અમદાવાદઃ અમૂલના હાથમાંથી 230 બાગબગીચાઓ જશે, અન્ય કોન્ટ્રાક્ટરને સોંપાશે

અમદાવાદઃ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે શહેરમાં 14 જેટલા નવા બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ સમસ્યા એ છે કે બગીચા મેન્ટેન કરવા માટે કોર્પોરેશન પાસે સ્ટાફનો અભાવ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ બાગ-બગીચાઓના સમારકામ મામલે ખાનગીકરણ અપનાવ્યું છે, અને ખાનગી ટેન્ડર મંગાવશે.

આખા શહેરમાં કોર્પોરેશનની માલિકીના કુલ 242 જેટલા બગીચા છે આ પૈકી સૌથી વધુ અમૂલને 230 બગીચા મેન્ટેનન્સ માટે આપવામાં આવ્યા છે. લૉ ગાર્ડન, ઉત્તમનગર ગાર્ડન, આસિમા ગાર્ડન અને પરિમલ ગાર્ડન જેવા બગીચાઓનું મેન્ટેનન્સ ટોરેન્ટ કંપની સંભાળે છે. તંત્રના હસ્તક રહેલા અન્ય 9 જેટલા બગીચાઓનું મેન્ટેનન્સ ગાયત્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની અન્ય પાંચ સંસ્થાને સોંપવામાં આવ્યું છે.

પરંતુ સમસ્યા એ છે કે છેલ્લાં એક વર્ષથી અમૂલ ડેરી હસ્તકના બગીચાના મેન્ટેનન્સ સંબંધિત ફરિયાદો વારંવાર મળી રહી છે જેની તંત્રએ ગંભીરતાથી નોંધ લીધી છે. તાજેતરમાં અમૂલ ડેરીના સંચાલકો સાથે બગીચાના યોગ્ય મેન્ટેનન્સ માટે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી.

ત્યારે હવે સત્તાવાળાઓ ર૪ બગીચાના મેન્ટેનન્સનું પણ અગાઉની જેમ ખાનગીકરણ કરવા જઇ રહ્યા છે. ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નવા બગીચાના મેન્ટેનન્સનો મુદ્દો ચર્ચાયો હતો, જેમાં શાસક ભાજપના સભ્યોએ બગીચાના મેન્ટેનન્સ માટે બીજી સંસ્થાને પણ બોલાવવી તેવી ઉગ્ર માગણી કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે તેમાં સંમતિનો સૂર પુરાવ્યો હતો. આ અંગે પ્રવીણ પટેલે વધુમાં જણાવ્યું કે કોર્પોરેશનની માલિકીના નવા ર૪ બગીચાના મેન્ટેનન્સ માટે ટેન્ડર મંગાવીને સ્પર્ધાત્મક માહોલ ઊભો કરાશે.