‘ચૂંટણી વચન’ પૂરું કરવા માટે 500 કૂતરાઓની હત્યા

હૈદરાબાદઃ ભલે દેશમાં રખડતા કૂતરાઓની સમસ્યા હોય, પરંતુ વિસંગતિ એ છે કે હવે કૂતરાઓનો નાશ કરવો પણ ચૂંટણી વચનોનો ભાગ બની રહ્યો છે. યોગ્ય ઉકેલ શોધવાને બદલે તેમને ઝેર આપી મારી નાખવામાં આવી રહ્યા છે.તેલંગાણામાં રખડતા કૂતરાઓને મોટા પાયે મારી નાખવાના આરોપોથી હડકંપ મચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં અનેક ગામોમાં લગભગ 500 કૂતરાઓને ઝેર આપી મારી નાખવામાં આવ્યા હોવાના આરોપ છે. આ કૃત્ય તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં કરાયેલાં વચનો પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

પશુ કલ્યાણ કાર્યકર અદુલાપુરમ ગૌતમ (ઉમર 35)એ 12 જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ મૂક્યો કે કામારેડ્ડી જિલ્લાના ભવાનીપેટ, પાલવંચા, ફરીદપેટ, વાડી અને બંદારમેશ્વરપલ્લી સહિતનાં અનેક ગામોમાં રખડતા કૂતરાઓને યોજના મુજબ મારી નાખવામાં આવી રહ્યા છે. તેનો દાવો છે કે ગયા બે-ત્રણ દિવસમાં જ લગભગ 200 કૂતરાઓને મારી નાખવામાં આવ્યા છે.

ગામના સરપંચોના કહેવા પર હત્યાકાંડ

ગૌતમને કૂતરાઓની મોટા પાયે હત્યાની પાકી માહિતી મળી. તેણે આરોપ મૂક્યો કે આ બધું સંબંધિત ગામોના સરપંચોના આદેશ પર કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલે છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં પાંચ ગામોના સરપંચો અને એક વ્યક્તિ કિશોર પાંઢેનો સમાવેશ થાય છે, જેને આ હત્યાઓ કરવા માટે ભાડે રાખવામાં આવ્યો હતો.

 અમે ઘણા કૂતરાઓની લાશો જોઈ

ફરિયાદકર્તાએ આરોપ મૂક્યો કે કૂતરાઓને ઝેરી ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં, જેને કારણે તેમનાં મોત થયાં છે. તેણે કહ્યું કે એ જ દિવસે સાંજે લગભગ 6 વાગ્યે તેઓ અને તેમનો એક મિત્ર ભવાનીપેટ ગામે ગયા હતા, જ્યાં એક મંદિર પાસે ઘણા કૂતરાઓની લાશો પડી હતી.

આ હરકતોને જાણબૂજીને કરવામાં આવેલી અને અત્યંત ક્રૂર ગણાવીને ફરિયાદકર્તાએ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શબોને દફનાવવામાં આવ્યાં

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કૂતરાઓનાં શબો ગામોના બહારના વિસ્તારોમાં દફનાવવામાં આવ્યા હતા. બાદમાં પોસ્ટમોર્ટમ તપાસ માટે પશુચિકિત્સા ટીમોએ તેમને બહાર કાઢ્યાં હતાં. ગામોના સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તાજેતરમાં થયેલી પંચાયત ચૂંટણી દરમિયાન ગ્રામજનોને આપેલા વચનો પૂર્ણ કરવા માટે રખડતા કૂતરાઓને મારી નાખ્યાં હતાં.