અમદાવાદમાં ભદ્રના કિલ્લાથી ત્રણ દરવાજા મુખ્ય માર્ગ પરના પથારાની વચ્ચે, પ્રેમાભાઇ હોલની સામે સર ચિનુભાઈ માધવલાલ રણછોડલાલ (26 મે 1864 – 3 માર્ચ 1916), પ્રથમ બેરોનેટનું એક સ્ટેચ્યુ છે. જેનું અનાવરણ ખુદ ગાંધીજીએ 1933માં કર્યું હતું. એ બ્રિટિશ સમયના ભારતના પ્રથમ હિન્દુ બેરોનેટ હતા. બેરોનેટ બ્રિટિશ સમયની એક સન્માનનિય ઉપાધી ગણાતી હતી. ચિનુભાઇ એક મિલ માલિક અને એકદમ પરોપકારી માણસ હતા. અમદાવાદની પ્રથમ કાપડ મિલની સ્થાપના કરનાર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર હતા.
ચિનુભાઇ ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી જેવી ભાષાઓમાં નિષ્ણાત હતા. અભ્યાસ પૂર્ણ કરીને એ પારિવારિક વ્યવસાયમાં જોડાયા અને વ્યવસાયને આગળ વધાર્યો. આગળ જતાં એ પોતાના દાદાની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ પણ બન્યા.
શૈક્ષણિક સંસ્થાઓમાં એમણે ખૂબ દાન કર્યું. હોસ્પિટલો તેમજ સાહિત્ય ક્ષેત્રે પણ એટલું જ દાન કર્યું હતું. એટલે જ ગાંધીજીએ એમના માટે કહ્યું હતું કે, ‘સર ચિનુભાઈ દ્વારા આપવામાં આવેલા દાનની યાદી સાંભળીને મને ખ્યાલ આવ્યો કે સર ચિનુભાઈના દાન વિશ્વ વિખ્યાત પારસી દાન જેટલા જ છે. હું શહેરના સમૃદ્ધ લોકોને સંદેશ આપું છું કે તેઓ સર ચિનુભાઈ દ્વારા દર્શાવેલ પરોપકારના માર્ગને અનુસરે અને અમદાવાદને વિશ્વ સમક્ષ એક આદર્શ તરીકે રજૂ કરે!’
(પ્રજ્ઞેશ વ્યાસ)
