દક્ષિણ ગુજરાતમાં જ્યાં કાર્તક, ચૈત્ર અને ભાદ્રપદમાં પિતૃઓનું શ્રાધ્ધ વિધિ અને નારણબલી માટેનું જાણીતું સ્થાન એટલે ચાણોદ. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમસ્થાન ઉપર જ સુપ્રસિધ્ધ તીર્થધામ ચાણોદ આવેલું છે. આ ક્ષેત્રમાં દક્ષિણે ડભોઇ- ચાંદોદ નૅરોગેજ રેલવેનું સ્ટેશન હતું. એનું પ્રાચીન નામ ચંડીપુર છે. અત્યારે આ ક્ષેત્ર મરણોત્તર વિધિ માટે ખૂબ જ જાણીતું થયું છે.
ચણોદમાં કપિલેશ્વર, કાશીવિશ્વનાથ, દામેશ્વર વગેરે છએક શિવમંદિરો છે. કપિલેશ્વર મંદિર 1000 વરસ જૂનું છે. સ્કંદપુરાણના રેવાખંડમાં એનો ઉલ્લેખ છે. કપિલ નાગે અહીં તપ કર્યું હતું. કાશીવિશ્વનાથ કાશીનાથ ગાયકવાડે અને દામેશ્વર દામાજીરાવ ગાયકવાડ બીજાએ બંધાવેલાં છે. રણછોડરાય, શેષનારાયણ, બાલાજી અને ત્રિકમજીનાં મંદિરો અને મહાપ્રભુની બેઠક એ વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો છે. શેષનારાયણની મૂર્તિ કાળા આરસની છે. આ ઉપરાંત રામચંદ્રજી, હનુમાનજી, વેરાઈ માતા, હરિસિદ્ધિ માતા, ચંડિકા માતા વગેરેનાં મંદિરો પણ છે. ચંડિકા માતાના મંદિરના પ્રાંગણમાં 7 ઘોડાવાળા રથમાં બેઠેલા સૂર્યની મૂર્તિ છે. ચાંદોદથી ઉપરવાસમાં કુબેરભંડારીનું શિવમંદિર આવેલું છે. નર્મદાની પરિકમ્મા કરનારા યાત્રીઓ માટે ચાંદોદ અગત્યનું વિશ્રામસ્થાન છે.
ચાંદોદના વિદ્વાનો સંસ્કૃત અને કર્મકાંડ માટે જાણીતા છે. અહીં બે સંસ્કૃત પાઠશાળાઓ છે.નદી ઉપર મલ્હારરાવ ઘાટ, ચક્રપાણિ ઘાટ, યમ ઘાટ, હરિજન ઘાટ અને કપિલેશ્વર ઘાટ છે. ચૈત્રી પૂનમને દિવસે અહીં મેળો ભરાય છે.આઝાદી પૂર્વે ચાંદોદનો અર્ધો ભાગ ગાયકવાડનો અને બીજો અર્ધો ભાગ માંડવાના રાણાનો હતો. મેજર જેમ્સ ફૉર્બસે ચાંદોદનો તેના પુસ્તક ‘ઓરિયેન્ટલ મૅમોયર્સ’માં ઉલ્લેખ કર્યો છે. ચાણોદ નર્મદાકાંઠાના વિસ્તારનાં ગામો માટેનું બજાર છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
