હમણાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પછી આંતરરાષ્ટ્રીય સમુદાય મોટાભાગે ભારત તરફી રહ્યો, પણ ખાસ કરીને તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોએ પાકિસ્તાનને ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કરીને ભારતની સામે રહેવાનું પસંદ કર્યું એ પછી આ બન્ને દેશ પ્રત્યે ભારતીયોના ભવાં ખેચાયા છે. આ બન્ને દેશો સાથે વ્યવહાર બંધ કરવાની અને એમનો આર્થિક બહિષ્કાર કરવાની વાતો જોરશોરથી સોશિયલ મિડીયામાં ગાજી રહી છે ત્યારે સવાલ એ છે કે, પાકિસ્તાનને સપોર્ટ કરતા આ દેશો સાથે ભારતે શું વલણ અપનાવવું જોઈએ?
અપૂર્વ શાહ, વાઈઝ પ્રેસીડેન્ટ, GCCI
“આપણે માટે ભારત પહેલા હોવું જોઈએ. જે દેશ આપણી મુશ્કેલીની ઘડીમાં આપણી સાથે ન ઊભો રહે, તેને આપણે પણ સમર્થન ન આપવું જોઈએ. આપણી લડત આતંકવાદ સામે હતી, જેનો જવાબ સરકારે બરાબર રીતે આપ્યો છે. શક્ય હોય ત્યાં સુધી આ દેશોમાં પ્રવાસ ન કરવો જોઈએ. આપણે તેમની વસ્તુને સપોર્ટ ન કરવો જોઈએ. આપણે જ સમજી જઈશું તો, એ દેશોની સીધો ફટકો આપણે મારી શકીશું.”
શૈલેષ રાઠોડ, શિક્ષણવિદ
“ભારતીય મૂળના ઘણા લોકો તુર્કસ્તાનમાં રહે છે અને હવે એ દેશને પોતાનું વતન જ બનાવી લીધું છે. આપણે વ્યાપાર સંબંધ તો તેમની સાથે ધરાવીએ જ છીએ. આપણે વ્યાપાર અને લોકો બંને વસ્તુ ધ્યાને રાખી એક કડક વલણ અપનાવું જોઈએ. પ્રવાસનને લઈ પણ અઝરબૈજાન અને તુર્કી પર પ્રતિબંધ લાગવવા જોઈએ.”
રાજવીરસિંહ, સોશિયલ વર્કર
“જે દેશ ખુલ્લેઆમ આતંકવાદી ઘટનાને સપોર્ટ કરતા હોય, તે દેશોને પંપાળવાનો કોઈ અર્થ નથી. આપણે અઝરબૈજાન અને તુર્કીને આર્થિક ફટકો મારવાનું શરૂ કરી દીધું છે. હિમાચલ પ્રદેશના લોકોએ સફરજનની આયાત બંધ કરી દીધી છે. આપણે તુર્કી અઝરબૈજાન સાથે ચીન સાથે પણ કડક વલણ અપનાવવું જોઈએ. આપણે વેપાર બંધ કરી આર્થિક મોરચે આ દેશોને ઘેરવા જોઈએ.”
ભૌતિક ચાવડા, પીએચડી સંશોધન વિદ્યાર્થી (બાયોટેકનોલોજી), રાજકોટ
“એક સ્ટુડન્ટ તરીકે હું એમ કહીશ કે ભારતે સ્માર્ટ ડિપ્લોમસીથી જવાબ આપવો જોઈએ અને આવી સિચ્યુએશન ન થાય એના માટે જાગૃત રહેવું જોઈએ. ઘણા એવા બિઝનેસ છે, અભ્યાસ ક્ષેત્રે આવા દેશોમાં ભારતીય વિદ્યાર્થી જાય છે. તેમને વ્યાપાર આપે છે, આપણે એ બંધ કરી દેવો જોઈએ.”
(તેજસ રાજપરા, અમદાવાદ)
