આ છે ગુજરાતની ઐતિહાસિક ધરોહર

ઉત્તર ગુજરાતના સિધ્ધપુરમાં રાજા સિદ્ધરાજે બંધાવેલ રુદ્રમાળ હાલ અવશેષરૂપે ઊભો છે, પણ એમાં સોલંકી યુગના ગુજરાતની ભવ્યતાના દર્શન થાય છે. પહેલાંના સમયમાં આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણેય દિશાએ શૃંગારચોકીઓનું બનેલું હતું. હાલ ગૂઢમંડપના પશ્ચિમ બાજુના ચાર સ્તંભ અને ઉત્તરની બાજુના ચાર સ્તંભ જળવાઈ રહ્યા છે.

અવશેષો જોતાં જણાય છે કે મૂળમાં આ મંદિર બે મજલાનું અને વિશાળ હશે. મુખ્ય મંદિરની સામે નંદીમંડપ હોવાનું પણ જણાય છે. મંદિરને ફરતી 11 દેવકુલિકાઓ પૈકી ચાર દેવકુલિકાઓ જુમ્મા મસ્જિદમાં રૂપાંતરિત થઈ ગયેલી છે. પૂર્વની શૃંગારચોકીની બંને બાજુએ અને ઉત્તર તથા દક્ષિણની ચોકીની બાજુએ એક એક કીર્તિતોરણ આવેલું હતું. તેમાંથી ઉત્તરનું તોરણદ્વાર સારી સ્થિતિમાં જળવાઈ રહેલું છે. ગૂઢમંડપના સ્તંભોનું રૂપવિધાન આકર્ષક છે. કુંભીથી માંડીને શીર્ષ સુધી સ્તંભદંડો અષ્ટકોણીય છે. પૂર્વની ચોકી ખંડિત અવસ્થામાં છે. ઉત્તરની ચોકી તેના બે મજલા સાથે કંઈક સારી અવસ્થામાં ઊભી છે તેથી તેના શિલ્પવૈભવનો ખ્યાલ આવે છે. ચોકીની કુંભીના ભાગમાં ગજથર અને નરથર જોવા મળે છે.

ચોકીને ફરતી વેદિકાના કક્ષાસનમાં વિવિધ શિલ્પ છે. બીજા મજલાના આસનપટ્ટ પર વામનસ્તંભ આવેલા છે. મંદિરના પાટ પરનું કોતરકામ ઊંચી કોટિનું છે. ઊર્મિવેલા, ત્રિદલ પુષ્પલતા, દેવ-દેવીના થર વડે તે સુશોભિત છે. ઉત્તરની દિશાએ ઊભું રહેલું કીર્તિ-તોરણ શિલ્પકળાની દૃષ્ટિએ ઘણું સુંદર છે.

ખરેખર આ રુદ્રમહાલય એ ગુજરાતની ઐતિહાસિક ધરોહર છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)