અમદાવાદની પ્રતિષ્ઠિત રથયાત્રા જ્યાંથી નીકળે છે એ જગન્નાથ મંદિરના નિર્માણનો ઇતિહાસ રસપ્રદ છે. આજે જ્યાં આ મંદિર આવેલું છે ત્યાં અંદાજે ૪૬૦ વર્ષ પહેલાં ગાઢ જંગલ હતું.
શહેરની સીમા પર કોટની બહાર ઉત્તરમાં જમાલપુર દરવાજા સુધી સમાપ્ત થતી હતી. સાધુઓ સામાન્ય રીતે શહેરોના ઘોંઘાટથી દૂર નદીઓના કિનારે એકાંત શોધતા હતા. હનુમાનદાસજી નામના એક પ્રવાસી સાધુ અમદાવાદ આવ્યા. એમને નદી કાંઠાનો આ જંગલ વિસ્તાર રોકાણ માટે યોગ્ય લાગ્યો. એ હનુમાનજીના ભક્ત હોવાને કારણે એમણે ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી. જે આજે પણ અહીં પૂજાય છે.
એમના અનુગામી સાધુ શ્રીસારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. એમને પુરી (ઓરિસ્સા) ખાતે આવેલા જગન્નાથ મંદિરની મુલાકાત લેવાની ઇચ્છા થઈ. કેટલાક સ્થાનિક સાથીઓ યાત્રામાં એમની સાથે જોડાયા. એક રાત્રે જ્યારે તેઓ પુરી મંદિરની ધર્મશાળામાં સૂતા હતા ત્યારે તેમને ભગવાન જગન્નાથનું સ્વપ્ન આવ્યું. એમાં ભગવાને કહ્યું, અમદાવાદ પાછા જઇને મોટા ભાઈ ભગવાન બળદેવજી અને બહેન દેવી સુભદ્રાજી સાથે પવિત્ર ત્રિમૂર્તિ ભગવાન જગન્નાથની મૂર્તિઓ સ્થાપિત કરે. આમ, મારુતિ મંદિર શ્રી જગન્નાથજી મંદિર બન્યું.
૧૯૯૬ થી ૨૦૦૦ના સમયગાળા દરમિયાન, અમદાવાદ ખાતેના સમગ્ર મંદિર સંકુલનું નવીનીકરણ કરવામાં આવ્યું. જમાલપુરના જગન્નાથ મંદિરના પરિસર ગૌશાળાની સાથે અનેક ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું મહત્વનું કેન્દ્ર છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
