આજના આધુનિક પર્યટનના જમાનામાં માત્ર બેસી ન રહેવાય…

‘નવાં નવાં પરિવર્તન લાવીને ટુરિસ્ટોને આકર્ષતા રહેવું જોઈએ’… આ શબ્દો છે HRH ગ્રુપ ઑફ
હોટેલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર શ્રીજી અરવિંદસિંહ મેવાડના, જે ખાનગી માલિકીની હોય
એવી સૌથી મોટી અને એકમાત્ર હેરિટેજ પેલેસ-હોટેલ્સ અને રિસોર્ટ્સ ચેન ધરાવે છે.

માણેક ચોક-સિટી પેલેસ

અમે શાહી લગ્ન સમારંભોના પ્રણેતા છીએ: ઉદયપુરે ભારતમાં એનો ટ્રેન્ડ સ્થાપ્યો છે એવું HRH ગ્રુપ ઑફ હોટેલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર શ્રીજી અરવિંદસિંહ મેવાડનું કહેવું છે.

શ્રીજી અરવિંદસિંહ મેવાડ

‘HRH ગ્રુપ ઑફ હોટેલ્સ શાહી લગ્ન સમારંભોનું પ્રણેતા છે. એણે ઉદયપુરને લોકોનું સૌથી વધુ માનીતું વેડિંગ ડેસ્ટિનેશન બનાવ્યું છે. આ હકીકત સંતોષજનક તો છે જ, છતાં આજના અનુભવાત્મક પર્યટનના જમાનામાં સંતોષ માનીને ન બેસી રહેવાય. આજે તો નવા ટ્રેન્ડ્સ સ્થાપી શકે એવાં અવનવાં ટુરિસ્ટ પ્રોડક્ટ્સ લાવવાની જરૂર છે.’ આ શબ્દો છે ઉદયપુરના શ્રીજી અરવિંદસિંહ મેવાડના, જે HRH ગ્રુપ ઑફ હોટેલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર છે. આ ગ્રુપ ભારતની ખાનગી માલિકીની હોય એવી સૌથી મોટી અને એકમાત્ર હેરિટેજ પેલેસ-હોટેલ્સ અને રિસોર્ટ્સની ચેઈન ધરાવે છે.

ઉદયપુરને દેશ સાથે જોડતી એર અને રોડ કનેક્ટિવિટી બહેતર બની એને કારણે આ હેરિટેજ સિટીમાં હાઈ-પ્રોફાઈલ વેડિંગ્સનાં આયોજનો શક્ય બની શક્યાં એ હકીકત સમજાવતાં શ્રીજી અરવિંદસિંહ મેવાડ કહે છે: ‘શહેરને વેડિંગ ડેસ્ટિનેશનમાં પરિવર્તિત કરવાના અમારા દાયકાથી ચાલતા પ્રયાસો આખરે ફળ્યા. બહુ ઓછા લોકો એ વાત માની શકશે કે ઉદયપુર ઍરપોર્ટમાં ૨૦૦૫ કે ૨૦૦૭માં આવા ઈવેન્ટ્સ માટે આવેલાં ખાનગી વિમાનોના પાર્કિંગ માટેની પૂરતી સુવિધા પણ નહોતી.’

ઝનાના મહલ-સિટી પેલેસ

HRH ગ્રુપ ઑફ હોટેલ્સ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે જે સ્થળો પૂરાં પાડે છે એ અનોખાં છે, અધિકૃત છે અને એમાં રજવાડી અતીતનો રોમાન્સ જળવાયેલો છે. ઝનાના મહલ, માણેક ચોક, શિવ નિવાસ પેલેસ પુલ ડેક અને ભવ્ય જગમંદિર આઈલૅન્ડ પેલેસ જેવાં સ્થળો શાહી ઠાઠમાઠથી લગ્ન, સંગીતસંધ્યા અને રિસેપ્શન જેવા સમારંભો યોજવા માટેનાં આદર્શ સ્થળો છે. અહીંની સાજસજાવટ, ખાણીપીણી અને મનોરંજનના અન્ય વિકલ્પો અમર્યાદિત છે.

HRH ગ્રુપ ઑફ હોટલ્સની વિશિષ્ટતા વિશે શ્રીજી કહે છે: ‘અમારા ગેસ્ટ્સ રાજાઓનાં મૂળ મહાલયોનો અનુભવ કરી શકે છે એ જ અમારી વિશિષ્ટતા છે. અમારાં પેલેસ-હોટેલ્સ અને અભયારણ્ય-રિસોર્ટ્સ આખા રાજસ્થાનમાં ફેલાયેલાં છે. અમે રજવાડી અનુભવ માટે આઈલૅન્ડ પેલેસ, ડેઝર્ટ સફારી અને વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુઅરીઝ વગેરે ઑફર કરીએ છીએ. દાખલા તરીકે ઉદયપુરનો શિવ નિવાસ પેલેસ એક ગ્રાન્ડ હેરિટેજ પેલેસ તરીકે વર્ગીકૃત થયેલો છે. જગમંદિર આઈલૅન્ડ પેલેસ અને ગજનેર પેલેસ (બિકાનેર) અદ્વિતીય ગણાતી હેરિટેજ હોટલ્સ છે. આ ઉપરાંત, ઉદયપુરની શિકારબાડી અને ગાર્ડન હોટેલ, કુંભલગઢની અવધિ હોટેલ, રાણકપુરના ફતેહબાગ ને જેસલમેરના ગોરબંધ પેલેસ તથા બિકાનેરના કરણી ભવન પેલેસ અમારા HRH ગ્રુપ ઑફ હોટેલ્સના રોયલ રીટ્રીટ્સ છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા દરેક ગેસ્ટ એવો અનુભવ કરે કે જાણે એ શાહી પરિવારના જ ગેસ્ટ છે. અમે અમારી પ્રોપર્ટીઝને ઈન્નોવેટ કરવાની સાથેસાથે અમારા ઐતિહાસિક અતીતના સ્પિરિટને પણ જાળવીએ છીએ.’

તાજ ગ્રુપ ઑફ હોટેલ્સ સાથેના કરારને કારણે તાજેતરમાં જ ફતેહ પ્રકાશ પેલેસ તાજ ફતેહ પ્રકાશ પેલેસ બન્યો છે. શ્રીજીના કહેવા મુજબ ૧૯૭૧માં તાજ લેક પેલેસ સાથે તાજ ગ્રુપ સંકળાયું ત્યારથી એમનો પરિવાર તાજ ગ્રુપ સાથે સંબંધો ધરાવે છે. શ્રીજી માને છે કે પર્યટનમાં જે તે સ્થળનો સાંસ્કૃતિક મિજાજ જળવાવો જોઈએ. એમનું કહેવું છે કે સિંગાપોર, બેંગકોક, દુબઈ અને પેરિસ જેવા દરેક શહેરમાં આપણા આખા દેશ કરતાં વધુ પર્યટકો જાય છે. આથી આપણે આપણી નાનકડી સિદ્ધિથી સંતોષ માનીને બેસી ન રહેવું જોઈએ.

ફિલ્મો સાથેનો નાતો

(ડાબે) ઓક્ટોપસી, (જમણે) ગાઈડ

ઉદયપુરમાં વર્ષોથી અંગ્રેજી, હિંદી અને પ્રાદેશિક ફિલ્મોના શૂટિંગ થતાં આવ્યાં છે. છેક ૧૯૨૯માં હિમાંશુ રાયે એમની ‘અ થ્રો ઑફ ડાઈસ’ ફિલ્મનું શૂટિંગ ઉદયપુરમાં કરેલું ત્યારથી આ પરંપરા શરૂ‚ થઈ છે. ૧૯૬૦માં બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ગાઈડ’ તથા ‘મેરા સાયા’ અને ‘જલમહાલ’માં પણ ઉદયપુર ચમક્યું હતું. ૧૯૮૨-૮૩માં જેમ્સ બોન્ડ સિરિઝની ફિલ્મ ‘ઑક્ટોપસી’ને કારણે ઉદયપુર વિશ્વના નકશા પર મુકાયું હતું. ૨૦૦૧માં સુભાષ ઘાઈની ‘યાદેં’ તથા ૨૦૧૩માં ‘યે જવાની હૈ દીવાની’માં પણ ઉદયપુરનો માહોલ સરસ રીતે કેપ્ચર થયો હતો. હવે રોયલ વેડિંગનો કન્સેપ્ટ આવ્યો છે. ૨૦૧૫માં સૂરજ બડજાત્યાની ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મ તથા ઈમ્તિયાઝ અલીની ‘લવ આજકલ 2’માં પણ ઉદયપુરનો માહોલ કેપ્ચર થયો હતો.

(આ લેખ ‘ચિત્રલેખા’ના ‘વેડિંગ સ્પેશિયલ-૨૦૨૦’ અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે)