દરેક આત્માની પોતાની યાત્રા છે

આજે એક કલાકારને પોતાનો રોલ ભજવ્યા પછી કેમ સારુ લાગે છે? કારણકે તે પોતાની ભૂમિકા સાથે સારી રીતે જોડાયેલ હતો. આપણે કોઈ પૂછીએ કે જો ત્રણ કલાકના અભિનય દરમિયાન તે ફક્ત બીજાના અભિનય અંગે વિચારે તો શું તે ખુશ રહી શકશે? ‘ના’. જેવા આપણે સુધારવા જઈએ છીએ ત્યારે તરત જ આત્મવિશ્વાસ ખતમ થઇ જાય છે. કલાકારો પણ પોતાના અભિનય પહેલા પાંચ મિનિટ મૌન રાખે છે. તે દરમિયાન તે પોતાના મન અને બુદ્ધિને બીજી તરફ થી દૂર કરી પોતાના અભિનય ઉપર તેને એકાગ્ર કરે છે. જેથી તે સારો અભિનય કરી શકે.

બીજી વ્યક્તિને હું સુધારી શકું છું. તે આપણી ખોટી માન્યતા છે. જ્યારે આપણે બીજાને ટોકી રહ્યા હોઈએ છીએ ત્યારે અથવા બીજા અંગે નિર્ણાયક બની જઈએ છીએ ત્યારે તેની પાછળ આપણી માન્યતા કામ કરે છે કે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં છે અને તે મારી ઈચ્છા અનુસાર ચાલવી જોઈએ. બીજી આપણી ટેવ એવી હોય છે કે આપણે બીજાને વશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરિણામે આપણી અંદર દુઃખ ઉભુ કરીએ છીએ. માતા-પિતાએ પોતાના સંતાનને એવા વિચારો સાથે મોટા કરવા જોઈએ કે એ આત્મા મારા ઘરમાં આવેલ છે. મારી ફરજ છે તેમનું શારીરિક રક્ષણ કરવું. તેમની બુદ્ધિનો વિકાસ કરવો. તેમને સારું વાતાવરણ પૂરૂ પાડવું. તેમની પાલના એવી રીતે કરવી કે જેથી તેઓ સારા નાગરિક બની શકે. પરંતુ આપણે આશા રાખીએ છીએ કે હું જેવું ઈચ્છું તેવું તેણે બનવું જોઈએ.

વાસ્તવમાં આપણે પોતાની આ વિચારધારાને બદલવાની જરૂરીયાત છે. આપણે એ સમજવું જોઈએ કે તે આત્માની પોતાની યાત્રા છે. તેની પોતાની પસંદગી છે, ઈચ્છાઓ છે તથા તેની મર્યાદાઓ પણ છે. આપણે ઈચ્છીએ કે મારી અપેક્ષા મુજબ તે પોતાની ભૂમિકા નિભાવે. આના કારણે તે વ્યક્તિ સાચું કે ખોટું તેનો નિર્ણય નહીં કરી શકે કારણકે તે પોતાના વિચારો મુજબ નથી ચાલી રહેલ તથા તે મારા વિચારો પ્રમાણે પણ નથી કરી શકતો.

આપણે બાળકો સાથે એક માર્ગદર્શક તરીકે વ્યવહાર કરવો જોઈએ તેનાથી એ બાળકના તેના માતા – પિતા સાથેના સંબંધો ખૂબ મજબૂત બની જાય છે. આપણે શું કરીએ છીએ તે નાની નાની બાબતમાં તેને ટોકીએ છીએ. આની પાછળ આપણો હેતુ એ હોય છે કે તેની જીવન યાત્રા સારી રીતે ચાલે. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ છતાં પણ એના જીવનમાં ચઢાવ – ઉતરાવ તો આવવાના જ છે. જો આપણે તેને મજબુત બનાવીએ છીએ તો તે પોતે જ તેના જીવનમાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરી શકશે. પરંતુ આપણે એવું વિચારીએ છીએ કે આપણે બાળકોને સાચી દિશામાં લઈ જઈએ કે જેથી તેના જીવનમાં સમસ્યાઓ આવે જ નહીં. એક દિવસ માટે આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે બીજાની જીવન કથા લખવાના બદલે પોતાના અંગે વિચારીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)