કબીરવાણી: પાંચ વાયુ અને આત્માની ઉડાન

 

કબીર પાંચ પખેરુઆ, રાખા પોષ લગાય,

એક જુ આયા પારધી, લઈ ગયા સબે ઉડાય.

 

યોગશાસ્ત્રમાં શરીરમાં રહેલા પાંચ વાયુ અપાન, સમાન, વ્યાપન, ઉદાણ અને પ્રાણને કબીરજી પક્ષીની ઉપમા આપે છે. કુંડલીને જાગૃત કરવા માટે આ વાયુની ઊર્ધ્વગતિ આવશ્યક છે. પક્ષી જેમ ઊંચે ઉડાન ભરે છે તેમ સાધક પોતાની વૃત્તિઓને ઉચ્ચ બનાવે છે.

આ પાંચ પંખીરૂપ વાયુને સાચવીને શરીરની રક્ષા કરીએ છીએ. એક દિવસ મૃત્યુસ્વરૂપે આવતો પારધી આ પાંચે પક્ષીને ઉડાવી જાય છે.

કબીરજી જીવનભર વણાટકામમાં વ્યસ્ત રહે છે. પરિશ્રમનો પરસેવો પાડી ગુજરાન કરે છે પણ તેમની યોગ, દર્શનશાસ્ત્ર, સૂફી સિદ્ધાંતો અને ભક્તિમાર્ગની સમજણ ઊંડી છે. આ તમામના સમાન તત્ત્વોનું સંયોજન કરી તેમણે જે ઉપદેશ આપ્યો છે તેનું મૂલ્ય શાશ્વત છે.

મૃત્યુ સમયે પ્રાણ દેહ છોડે છે તેને મીરાં પણ પક્ષીની ઉપમા આપે છે. “જૂનું રે થયું રે દેવળ મારું જૂનું તો થયું રે, હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું રે.” તે જ પ્રમાણે એક અન્ય ગીતમાં કહ્યું છે, “પંખીને આ પીંજરું, જૂનું જૂનું લાગે રે, બહુ સમજાવ્યું તો પણ પંખી નવું પીંજરું માગે.” “હાલોને હંસલા, નવા કલેવર ધરો” જેવાં કાવ્યોમાં સમાનતા છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)