માર્ગ-સુરક્ષા મિશન માટે ગડકરીએ અમિતાભનો ટેકો માગ્યો

મુંબઈઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી ગઈ કાલે અહીં બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને એમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને કેન્દ્ર સરકારે હાથ ધરેલા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા મિશનને સફળ બનાવવા માટે એમનો ટેકો માગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગડકરીના મંત્રાલયે રોડ સેફ્ટીનો પ્રશ્ન ઉકેલવા માટે અને માર્ગ સુરક્ષા અંગે દેશવ્યાપી જનજાગૃતિ કેળવવા માટે ચાર ‘E’ પર આધારિત એક વ્યૂહરચના ઘડી છે – એજ્યૂકેશન (શિક્ષણ), એન્જિનીયરિંગ (ઈજનેરી), એન્ફોર્સમેન્ટ (અમલ બજવણી) અને ઈમરજન્સી કેર (તાકીદની સારવાર). કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશમાં 2020ની સાલ દરમિયાન 3,66,138 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 3,48,279 લોકો ઘાયલ થયા હતા. 1,31,714 જણના મરણ નિપજ્યા હતા.