સંતોષઃ પ્રગતિ આડેનું સ્પીડબ્રેકર!

જીવન નદીની જેમ એક વહેતો પ્રવાહ છે. જેમ નદીનાં વહેતાં વહેણ પથ્થર સાથે અફળાય ટકરાય, ક્યારેક માર્ગ વળોટે, પણ અટકે નહીં, એવી જ રીતે પ્રગતિને પણ ફુલસ્ટોપ નથી. એમાં માત્ર કોમા હોય છે, જે આગળની નવી શરૂઆત તરફ ઈશારો કરે છે, કારણ જીવતો છે એ શીખતો રહે છે અને જે શીખતો રહે છે એ સતત આગળ વધતો રહે છે. આ દુનિયામાં ફુલસ્ટોપ માત્ર વાક્યો માટે છે, સપનાં માટે, મહત્વાકાંક્ષા માટે નહીં. પ્રગતિ એ એવો પ્રવાસ છે, જેમાં સમાપ્ત શબ્દ અસ્તિત્વ જ ધરાવતો નથી. નવી ટેકનિક, નવા વિચાર, નવી દ્રષ્ટિ, નવી ઊંચાઈને સ્પર્શવા દરેક પડાવ પર માણસ ફરી જન્મે છે.

હમણાં છાપાંમાં દુનિયાના ધનાઢ્યો કેટલા ને કોણ એ વિશે સમાચાર વાંચ્યા. આવા સમાચાર આવે ત્યારે કોઈ ને કોઈ તો ટીકા કરે જ કે હજારો, કરોડો રૂપિયા છે, પણ આ લોકોને હજી કમાવું છે. આવા લોકો ધનાઢ્યો દ્વારા દેશના આર્થિક સામાજિક વિકાસ, નોકરીની તકો, વગેરેને ભૂલી જાય છે, પણ આપણો વિષય એ નથી. પણ એ પહેલાં આ પ્રેરણાદાયી દષ્ટાંતકથા જુઓઃ

એક નાનકડા ગામમાં કુશળ શિલ્પકાર રહે. ચિત્રવિચિત્ર આકારના પથ્થરોમાંથી સુંદર મૂર્તિ ઘડવામાં એનો જોટો ન જડે. શિલ્પકારની કળાને નિહાળતાં સૌ મૂર્તિમંત થઈ જતા. વખત જતાં શિલ્પકારનો પુત્ર પણ શિલ્પકળામાં પ્રવીણ બન્યો, પરંતુ તે કોઈ પણ મૂર્તિ બનાવે તો પિતા એમાં કોઈ ને કોઈ ભૂલ બતાવતા. આથી પુત્રને કાયમ અસંતોષ રહ્યા કરતો. અંતે તેણે એક યુક્તિ કરી. પોતે જ બનાવેલી એક મૂર્તિ લઈ તે પિતા પાસે ગયો અને કહ્યું: “પિતાજી, આજે સવારે માટી ખોદતાં જમીનમાંથી મને આ મૂર્તિ મળી. સુંદર છે નહીં?’ પિતાએ મૂર્તિનાં ખૂબ વખાણ કર્યાં અને કહ્યું: ‘બેટા, તારે આવી મૂર્તિ બનાવતાં શીખવાનું છે.’ દીકરાએ ફોડ પાડ્યો કે ‘આ મારી જ બનાવેલી મૂર્તિ છે.’

ઊંડા નિસાસા સાથે પિતાએ કહ્યું: ‘બેટા, તારી પ્રગતિ અટકી ગઈ, કારણ કે તું તારા કાર્યથી સંતુષ્ટ થઈ ગયો.’

ખરેખર પ્રગતિના પંથે સંતોષ સૌથી મોટું વિઘ્ન છે. વિશ્વવિખ્યાત ક્રિકેટર સચીન તેંડુલકરે એક વાર કહેલું કે, ‘વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર હું છું એવું માનવા લાગીશ તે દિવસે મારી કારકિર્દીનો અંત આવી જશે.’ આ વાક્ય એ કેવળ બોલ્યા નથી, પણ તેમના જીવનમાં પણ દેખાય છે.

વ્યક્તિગત અનુભવોની સાથે જ્યારે માનવજાતના ઈતિહાસ પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આ જ હકીકત નજરે ચડે છે. એક સમયે જંગલમાં લાકડાં સળગાવીને રસોઈ તો બનતી જ હતી. ઘાસના ઝૂંપડામાં ઊંઘ તો આવતી જ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગાડાંમાં પણ જઈ શકાતું હતું, પરંતુ મનુષ્ય ત્યાં અટક્યો નહીં. આથી જ આજે બહુમાળી ઈમારતો, જાતજાતની વાનગીઓ અને ટ્રેનથી લઈને પ્લેન સુધીની વ્યવસ્થા છે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. અને વિજ્ઞાન ભવિષ્યમાં હજુ ઊંચી ઉડાન ભરવાનું છે એ નિર્વિવાદ હકીકત છે.

અમેરિકામાં રૉલ્સરોય કંપની પોતાની પ્રથમ રજૂ કરી રહી હતી ત્યારે એની જાહેરાતમાં લખવામાં આવ્યું કેઃ

‘આ ગાડી પ્રતિ કલાક 60 માઈલની ગતિએ દોડતી હશે ત્યારે તેમાંથી એક જ અવાજ સંભળાતો હશેઃ ગાડીમાં બેસનારની કાંડાઘડિયાળની ટિકટિકનો.’

વિચાર કરો,  જે જમાનામાં ગાડી સ્ટાર્ટ કરતાં એન્જિનના અવાજથી આખો વિસ્તાર ખળભળી ઊઠે તે જમાનામાં આ ગાડી આશ્ચર્ય ઊપજાવે તેવી હતી. કારઉત્પાદકનું કહેવું હતું કે અમારી કાર જરાયે અવાજ નહીં કરે. જો કે પોતાની કારની જાહેરાતમાં ઘડિયાળનો અવાજ સંભળાતો હશે એ વાક્ય કારઉત્પાદકોને ગમ્યું નહીં. એમણે નક્કી કર્યુ કે એન્જિન સ્ટાર્ટ કરતાં ઘડિયાળનો અવાજ પણ સંભળાવો ન જોઈએ. આવા દીર્ઘદ્રષ્ટા અસંતુષ્ટો થકી જ આજે એ કારની કીર્તિ દુનિયામાં પ્રસરી છે.

આજે સમગ્ર જગતમાં વિસ્તરતી બી.એ.પી.એસ. સંસ્થાને કક્ષાએ લઈ જનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન પણ આ જ આ સિદ્ધાંતને અનુસરતું રહ્યું હતું. આવા મહાપુરુષોને જોઈને જ કદાચ કહેવત પડી હશેઃ સુધારાને કોઈ સરહદ નથી અને પ્રગતિને કોઈ પૂર્ણવિરામ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)