તપ એટલે શું?

મહર્ષિ પતંજલિ અનુસાર, મનની પાંચ વૃત્તિઓ: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ: ઉપર અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા નિયંત્રણ આવે ત્યારે મન વર્તમાન ક્ષણમાં આવે છે. તમારું મન જયારે વર્તમાન ક્ષણમાં છે, અને પ્રતીક્ષાની અવસ્થામાં છે, ત્યારે તમારી ચેતના અતિ વિશિષ્ટ બને છે. આ અવસ્થામાં તમારી બુદ્ધિ શક્તિ વિચક્ષણ છે અને હૃદય અત્યંત કોમળ છે. આ ક્રિયા યોગ છે. ક્રિયા યોગ દ્વારા બધાં દુઃખો નષ્ટ થાય છે. ક્રિયા યોગ ક્યારે ઘટિત થાય?

तप: स्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोग:। મહર્ષિ પતંજલિ વર્ણવે છે: તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન દ્વારા ક્રિયા યોગ ઘટિત થાય છે.

તપ એટલે શું? દ્વંદ્વની સ્થિતિ – વિરોધની સ્થિતિને સહન કરવી તે તપ છે. જીવન અનેક વિરોધાભાસ થી ભરેલું છે. આ પરિસ્થિતિઓને તમે કઈ રીતે સહન કરી શકો છો, ટકી શકો છો તે સૂચવે છે કે તમે ભીતરથી કેટલા દ્રઢ છો, કેટલા શક્તિશાળી છો! તપ તમારી અંદર આ શક્તિ ઉત્પન્ન કરે છે.

તપ ત્રણ પ્રકારના છે: શારીરિક તપ, વાચિક તપ અને મનોમય તપ. આ ત્રણેય તપ પરસ્પર સંકળાયેલાં છે. કારણ, શરીર-મન પરસ્પર અસર કરતાં હોય છે. શરીરની સ્થિતિ પ્રમાણે મન પરિવર્તિત થતું રહે છે અને મનની અવસ્થા શરીરમાં પ્રતિબિંબિત થાય છે. જીવનમાં તપની ખૂબ મહત્વની ભૂમિકા છે. તપ વગર કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી. અસુવિધા જનક સ્થિતિનો તમે સ્વીકાર કરો છો, કારણ અંતમાં તેનું ઇચ્છનીય પરિણામ મળવાનું છે. નિર્ધારિત સ્થળે પહોંચવા માટે તમે અગવડ ભરી મુસાફરી કરો છો. વ્યાયામ કરવાની કોઈ ને ઈચ્છા હોતી નથી પરંતુ તેના થી થતા ફાયદાને લીધે વ્યક્તિ વ્યાયામ કરે છે. તમારું મન વ્યાયામ ન કરવા માટે કહે છે, પરંતુ તમે તે સહન કરીને પણ વ્યાયામ કરો છો, કારણ તેનું પરિણામ સુંદર મળવાનું છે. આ તપ છે.

તપ કરવાથી શું થાય છે? શરીર મજબૂત બને છે. એક નિર્બળ વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, એક નિર્બળ વ્યક્તિ આત્મ સાક્ષાત્કાર કરવા સક્ષમ નથી. જીવનમાં ઈચ્છાથી કે અનિચ્છાથી, જાણ્યે-અજાણ્યે તપ તમારી સાથે ઘટિત થતું રહે છે. તમે બસમાં બેઠા છો, તમારા પગ જકડાઈ જાય છે, છતાં તમે બેસી રહો છો. ગરમ પ્રદેશમાં તમે ગરમી સહન કરો છો, 24 કલાક એ.સી. માં ભરાઈ રહેતાં નથી. ઠંડા પ્રદેશમાં તમે ઠંડી સહન કરો છો. ઠંડી હોય કે ગરમી હોય, સમભાવે તે પરિસ્થિતિને સહન કરવી તે તપ છે. કોઈ કઠિન કાર્ય સ્વેચ્છાથી કરવું એ તપ છે. તપ તમારા શરીર અને મનને મજબૂત બનાવે છે. તમે સ્વયં ખૂબ શક્તિશાળી છો જ, તપ દ્વારા આ સત્ય તમને સમજાય છે. શારીરિક તપ એટલે સ્વચ્છતા, આળસનો ત્યાગ, પાંચ ઇન્દ્રિય પર સંયમ. તમે ટીવી જોયા નથી કરતાં, ખૂબ સ્વાદિષ્ટ ભોજન છે પણ તમે તેનો ત્યાગ કરો છો. આ શારીરિક તપ છે.

વાચિક તપ એટલે કોઈને દુઃખ ન થાય તેવું બોલવું, સત્ય બોલવું પણ પ્રિય સત્ય બોલવું- આ વાણીનું તપ છે. તમે લોકોની સાથે છો ત્યારે તમે શું બોલો છો? તેઓ જયારે તમને મળીને છૂટાં પડે છે ત્યારે તેઓ શાંત અને પ્રસન્ન હોય છે કે તેઓ ગુસ્સો, ઉદાસી, ઈર્ષા જેવી ભાવનાઓ સાથે વિદાય લે છે? આ અવલોકન કરો. ઘણી વખત તમે મૌન હો છો ત્યારે સુંદર હો છો, પરંતુ તમે વાત કરો છો ત્યારે શબ્દો પર તમારું નિયંત્રણ હોતું નથી, તે ચપ્પુ જેવા ધારદાર પણ હોઈ શકે છે કે પુષ્પ જેવા કોમળ પણ હોઈ શકે છે. તો, વાંગ્મય તપસ – શબ્દો કે જે સામી વ્યક્તિને દુઃખી કરતા નથી, તેના મનને વ્યગ્ર કરતા નથી. જેઓ ધારદાર શબ્દોમાં વાત કરે છે તેઓને લાગે છે કે તેઓ સત્ય કહે છે, સત્યને કોઈ આવરણની જરૂર નથી. પરંતુ વાસ્તવમાં તેમ નથી.

ઉદાહરણ રૂપે  જેઓ જોઈ શકતા નથી તેમને તમે “અંધ” કહો તેને બદલે “પ્રજ્ઞાચક્ષુ” કહો તો તમે વાંગ્મય તપસનું આચરણ કરો છો. વાચિક તપ બહુ જ મહત્વપૂર્ણ છે. કારણ, યોગના પથ પર તમે જેમ જેમ પ્રગતિ કરો છો તેમ તેમ તમારા શબ્દો વધુને વધુ શક્તિશાળી બનતા જાય છે. તમે કોઈને “મૂર્ખ” કહીને સંબોધશો તો તે મૂર્ખ નહિ હોય તો પણ મૂર્ખ થવા લાગશે. તમારા શબ્દો આશિર્વાદ કે શ્રાપ બંને માટે શક્તિશાળી છે. વાંગ્મય તપ તમને શુદ્ધ બનાવે છે. નહીંતર તમારા કટુ, તીક્ષણ શબ્દો તમારા પર જ અવળી અસર કરશે. આનો અર્થ એવો નથી કે દંભ કરવો અને ખોટેખોટું મીઠું બોલવું! પરંતુ સત્યને યોગ્ય શબ્દોમાં શાંત રીતે રજૂ કરવું તે વાંગ્મય તપસ છે.

મનોમય તપ માટે મહર્ષિ પતંજલિ અનુસાર मन: प्रसाद: सौम्यत्वम मौनमात्मविनिग्रह:। 

પ્રસાદ: મનની પ્રસન્નતાને જાળવી રાખવી તે તપ છે. તમે પ્રસન્નતાનો અનુભવ કરો અને તરત જ ફરી તમારી પ્રસન્નતા અલોપ થઇ જાય છે. મનની પ્રસન્નતાને નિરંતર જાળવી રાખવી તે મનોમય તપ છે.

સૌમ્ય: તે જ રીતે મન ને શાંત અને સંયત રાખવું તે પણ તપ છે. તમે પ્રસન્ન છો પણ સાથે સાથે તમે આવેશમાં છો! પ્રસન્નતા વ્યક્તિને આવેશમાં લાવી શકે છે. અને તમે બીજાને તકલીફમાં મૂકી શકો છો. પણ જો તમે શાંત છો, તમારું મન સૌમ્ય છે તો તમે પ્રસન્નતાની સાથે સાથે અન્યની ભાવનાઓની પણ સંભાળ લો છો.

મૌન: મન ની અંદર સતત સંવાદ ન હોય ત્યારે મન મૌન હોય છે. બહારનાં જગત તરફ વિખરાયેલાં મનને અંદરની તરફ કેન્દ્રિત કરવાથી મન મૌન બને છે.

આત્મ વિનિગ્રહ: પોતાના કેન્દ્રમાં રહેવું, આત્મસ્થ રહેવું તે મનોમય તપ છે. મન વારંવાર ભટકી જાય છે. તેને પુન: કેન્દ્રમાં લાવવું તે તપ છે. પ્રત્યેક વ્યક્તિમાં પોતાની જ જાતને જોવી તે તપ છે.

સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે આપણા શરીરની અંદર આપણું મન છે. પણ વાસ્તવમાં મન શરીરની બહાર છે. શરીરની ચારે બાજુ મન છે. શરીર કરતા દસ ગણું મોટું તમારું પ્રાણિક શરીર – પ્રાણઊર્જા થી બનેલું શરીર છે અને પ્રાણમય શરીર કરતાં દસ ગણું મોટું મનોમય શરીર છે. તેના થી દસ ગણું મોટું પ્રજ્ઞા શરીર છે અને તેનાથી દસ ગણું મોટું આનંદમય શરીર છે, જે અસીમ છે. તેથી જ તમે જયારે આનંદપૂર્ણ હો છો ત્યારે તમે અતિ વિશાળતા અને અનંતતાનો અનુભવ કરો છો. તમે જયારે દુઃખી છો ત્યારે તમારું પ્રાણમય શરીર તમારાં દૈહિક શરીરથી પણ નાનુ બની જાય છે. તમે પોતે પ્રેમ છો, આનંદ ઘન છો, પરંતુ જયારે તમે તેને નાની સીમામાં બાંધી દો છો ત્યારે તમે દુઃખી થઇ જાઓ છો. તો વારંવાર કેન્દ્રમાં આવવું, આત્મસ્થ રહેવું તે તપ છે. તપને અગ્નિ દ્વારા શા માટે વ્યાખ્યાયિત કરાય છે? મહર્ષિ પતંજલિ એ તપ અને પંચાગ્નિનું વિવરણ કર્યું છે, તેના વિશે આવતા સપ્તાહે વાત કરીશું.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)