Home Blog Page 954

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ‘ફૂલે’ફિલ્મનું કર્યુ સમર્થન

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સમાજ સુધારકો મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત ફિલ્મ ‘ફૂલે’ની પ્રશંસા કરી. 1 મે 2025ના રોજ મુંબઈમાં આયોજિત એક ખાસ સ્ક્રીનિંગમાં આઠવલેએ આ ફિલ્મને સામાજિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ ગણાવી. તેમણે તેને દરેક વ્યક્તિએ ખાસ કરીને સાંસદો અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મને પણ જોવા જેવી બાબત ગણાવી. આ ફિલ્મ 25 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થઈ હતી અને દર્શકો તરફથી તેને ઘણી પ્રશંસા મળી રહી છે.

‘ફૂલે’ ની વાર્તા
‘ફૂલે’ એ મહાત્મા જ્યોતિબા ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત જીવનચરિત્રાત્મક ફિલ્મ છે, જેમણે 19મી સદીના ભારતમાં જાતિ ભેદભાવ, નિરક્ષરતા અને લિંગ અસમાનતા સામે લડત આપી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં પ્રતીક ગાંધી અને પત્રલેખા મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત વિનય પાઠક, સુરેશ વિશ્વકર્મા અને દર્શિલ સફારી જેવા કલાકારો પણ ફિલ્મનો ભાગ છે.

રામદાસ આઠવલેએ ફિલ્મ વિશે શું કહ્યું?
ફિલ્મના સ્ક્રીનિંગ પછી રામદાસ આઠવલેએ કહ્યું,’આ ફિલ્મ જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેના યોગદાનને તેજસ્વી રીતે દર્શાવે છે. દરેક વ્યક્તિએ આ જોવું જોઈએ, ખાસ કરીને આપણા સાંસદોએ, જેથી તેઓ સામાજિક મુદ્દાઓને વધુ સારી રીતે સમજી શકે. હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આ ફિલ્મ બતાવવાની ભલામણ કરું છું. તેમણે એવી પણ માંગ કરી હતી કે આ ફિલ્મને સમગ્ર ભારતમાં કરમુક્ત કરવામાં આવે જેથી વધુને વધુ લોકો તેને જોઈ શકે.’

દિગ્દર્શકે આભાર વ્યક્ત કર્યો
ફિલ્મના દિગ્દર્શક અનંત મહાદેવને આઠવલેના સમર્થન પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું,’અમે ઇતિહાસ પ્રત્યે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે ‘ફૂલે’ બનાવી છે.’ મને ખૂબ આનંદ છે કે આઠવલેજીએ આ ફિલ્મને ટેકો આપ્યો. તેમનો ટેકો અમારા માટે ઘણો અર્થ ધરાવે છે. અનંત મહાદેવને કહ્યું કે તેમની ટીમે આ ફિલ્મ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે જેથી ફૂલે દંપતીની પ્રેરણાદાયી વાર્તા નવી પેઢી સુધી પહોંચાડી શકાય.’

રિલીઝ પહેલા વિવાદ
‘ફૂલે’ રિલીઝ થાય તે પહેલાં, કેટલાક જૂથોએ તેની વાર્તામાં જાતિ ભેદભાવના ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ફિલ્મ રિલીઝ થયા પછી તેણે દર્શકોના દિલ જીતી લીધા. આ ફિલ્મ માત્ર ફૂલે દંપતીના સંઘર્ષને જ દર્શાવતી નથી, પરંતુ આજના ભારતમાં તેમના શિક્ષણ અને સુધારાઓની વાર્તા પણ રજૂ કરે છે.

‘ફૂલે’નું નિર્માણ ડાન્સિંગ શિવા ફિલ્મ્સ અને કિંગ્સમેન પ્રોડક્શન્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે, જ્યારે તેનું વિતરણ ઝી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા અને તેના પાત્રો દર્શકોને 19મી સદીના ભારતના સામાજિક પડકારોમાં ઊંડાણપૂર્વક લઈ જાય છે.

એકે કર્યો બળાત્કાર, પણ બધા આરોપીઓને સજાઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સામૂહિક દુષ્કર્મના કિસ્સામાં જો કોઈ એક વ્યક્તિએ એક ઈરાદાથી ગુનો કર્યો હોય તો દરેક વ્યક્તિને તેના અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવશે. કોર્ટે ગેંગરેપના દોષિતોની સજાને યથાવત્ રાખી છે. ફરિયાદ પક્ષ માટે એ સાબિત કરવું જરૂરી નથી કે દરેક આરોપીએ દુષ્કર્મનું કૃત્ય કર્યું છે. ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) (g) હેઠળ સામૂહિક દુષ્કર્મના કેસમાં જો બધા પક્ષકારોએ સમાન ઇરાદાથી કૃત્ય કર્યું હોય તો તેમને દરેકને કૃત્ય માટે દોષિત ઠેરવી શકાય છે.

એક કેસમાં ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે તેમણે પીડિતાનું અપહરણ કર્યું હતું, તેને ગેરકાયદે રીતે બંધક બનાવી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અરજદારે દલીલ કરી હતી કે તેણે પોતે કોઈ જાતીય કૃત્ય કર્યું નથી, તેથી તેને ગેંગરેપનો દોષી ઠેરવી શકાય નહીં. જોકે પછી ટ્રાયલ કોર્ટ અને પછી હાઈકોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. આની વિરુદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે પણ આરોપીની અરજી ફગાવી દીધી હતી અને સજા યથાવત્ રાખી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિશ્વનાથને પોતાના લેખિત ચુકાદામાં જણાવ્યું હતું કે ઘટનાઓના ક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે પીડિતાનું અપહરણ, તેને ખોટી રીતે બંધક બનાવવી અને તેની સાથે દુષ્કર્મ થયો હોવાના તેના નિવેદન-.આ બધાં તથ્યો કલમ 376(2) (g) ના હેઠળ દોષી સાબિત કરે છે.

આ ઘટના જૂન 2004માં બની હતી, જ્યારે પીડિતા લગ્ન સમારંભમાંથી પરત ફરી રહી હતી. પછી તેનું અપહરણ કરીને તેને ઘણી જગ્યાએ રાખવામાં આવી. પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જાલંધર કોલ અને અપીલકર્તા રાજુ નામના બે વ્યક્તિઓએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ટ્રાયલ કોર્ટે બંને આરોપીઓને ગેંગરેપ, અપહરણ અને ગેરકાયદે રીતે બંધક બનાવવા બદલ દોષિત ઠેરવ્યા હતા.

રાજુને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને જાલંધર કોલને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો, જે જાલંધર કોલે સ્વીકારી લીધો, પરંતુ રાજુએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

‘આદિવાસીઓ’ શબ્દને કારણે વધી વિજય દેવરકોન્ડાની મુશ્કેલી, ફરિયાદ દાખલ થયા બાદ સ્પષ્ટતા આપી

વિજય દેવેરાકોન્ડાએ ‘રેટ્રો’ઓડિયો લોન્ચ દરમિયાન આદિવાસી સમુદાય વિશેની તેમની ટિપ્પણીઓને સ્પષ્ટતા કરતું એક નિવેદન બહાર પાડ્યું. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં પહેલગામ હુમલાની નિંદા કરતી તેમની ટિપ્પણીઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમની સામે અનુસૂચિત જાતિ અધિનિયમ હેઠળ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોતાની તાજેતરની ટિપ્પણીઓ પર થયેલી ટીકાના જવાબમાં, વિજય દેવેરાકોન્ડાએ માફી અને સ્પષ્ટતા પોસ્ટ કરી છે. આદિવાસી સમુદાયો વિશેની તેમની કથિત ટિપ્પણીઓને લગતા વિવાદ પર તેમણે પોતાનું મૌન તોડ્યું છે.

વિજય દેવરકોંડાએ માફી માંગી
વિજય દેવેરાકોંડાએ લખ્યું, ‘મારા ધ્યાનમાં આવ્યું છે કે રેટ્રો ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન મારા દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીએ લોકોના કેટલાક સભ્યોમાં વિવાદ અને ચિંતા પેદા કરી છે. હું નિષ્ઠાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે મારો કોઈ પણ સમુદાય, ખાસ કરીને અનુસૂચિત જનજાતિ, જેમનો હું ખૂબ આદર કરું છું અને જેમને આપણા દેશનો અભિન્ન ભાગ માનું છું, તેમને દુઃખ પહોંચાડવાનો કે અપમાનિત કરવાનો કોઈ ઈરાદો નહોતો. દેવેરાકોન્ડાએ વધુમાં કહ્યું કે તેમનો ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો અને તેઓ ‘ભારતમાં એકતા’ અને લોકો એક થવા વિશે વાત કરી રહ્યા હતા. અભિનેતાએ લખ્યું, ‘હું એકતા વિશે વાત કરી રહ્યો હતો, ભારત કેવી રીતે એક છે, આપણા લોકો એક છે અને આપણે સાથે મળીને કેવી રીતે આગળ વધવું જોઈએ. જ્યારે હું આપણને એક રાષ્ટ્ર તરીકે એકતામાં રહેવા વિનંતી કરું છું, ત્યારે હું ક્યારેય ભારતીયોના કોઈપણ જૂથ સાથે ઇરાદાપૂર્વક ભેદભાવ નહીં કરું, જેમને હું મારા પરિવાર તરીકે, મારા ભાઈઓ તરીકે જોઉં છું. પોતાના ઈરાદાને વધુ સ્પષ્ટ કરવા માટે તેમણે શબ્દોની પસંદગીના ઐતિહાસિક સંદર્ભને સમજાવ્યો અને કહ્યું, ‘મેં જે રીતે ‘આદિવાસી’ શબ્દનો ઉપયોગ કર્યો તેનો અર્થ ઐતિહાસિક અને શબ્દકોશના અર્થમાં તે જ હતો.’

‘આદિવાસીઓ’ પર ટિપ્પણી કરવા બદલ વિજય દેવરકોંડા મુશ્કેલીમાં
કાર્યક્રમમાં, વિજય દેવેરાકોંડાએ કાશ્મીરના પહેલગામમાં બનેલી દુ:ખદ ઘટના વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘કાશ્મીરમાં જે કંઈ થઈ રહ્યું છે તેનો ઉકેલ એ છે કે તેમને (આતંકવાદીઓને) શિક્ષિત કરવા અને ખાતરી કરવી તેમનું મગજ ખરાબ કરવામાં ના થાય. તેમને શું મળશે? કાશ્મીર ભારતનું છે અને કાશ્મીરીઓ આપણા છે. ભારતને પાકિસ્તાન પર હુમલો કરવાની પણ જરૂર નથી કારણ કે પાકિસ્તાનીઓ પોતે જ તેમની સરકારથી કંટાળી ગયા છે અને જો આવું જ ચાલુ રહ્યું તો તેઓ તેમના પર હુમલો કરશે. તેઓ 500 વર્ષ પહેલાંના આદિવાસીઓની જેમ વર્તી રહ્યા છે, કોઈ સમજણ વગર લડી રહ્યા છે. આ ટિપ્પણી બાદથી તેઓ વિવાદોમાં છે.

આખરે T-20માંથી નિવૃતિને લઈ વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શુ કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ 2024ના T20 વર્લ્ડ કપ બાદ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ નિર્ણય બાદ લગભગ 10 મહિના પછી કોહલીએ પોતાના મૌનને તોડીને નિવૃત્તિનું કારણ સ્પષ્ટ કર્યું છે. 2024ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 59 બોલમાં 76 રનની મેચવિનિંગ ઈનિંગ રમનાર કોહલીએ ભારતને ટાઈટલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ટૂર્નામેન્ટ બાદ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20Iમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ના પોડકાસ્ટમાં વાત કરતાં કોહલીએ જણાવ્યું કે, “મેં 2026ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવા ખેલાડીઓને તૈયાર થવા માટે બે વર્ષનો સમય આપવાનો નિર્ણય લીધો. નવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણનો સામનો કરવા, વિવિધ પરિસ્થિતિઓમાં રમવા અને પોતાની ક્ષમતા દર્શાવવા માટે સમયની જરૂર છે. આ નિર્ણય ટીમના ભવિષ્યને મજબૂત કરવા માટે લેવાયો હતો.”

કોહલીએ ભારત માટે 125 T20I મેચોમાં 48.69ની શાનદાર એવરેજથી 4188 રન બનાવ્યા છે. હાલ તે IPL 2025માં RCB માટે ઉમદા ફોર્મમાં છે, જ્યાં તેણે 10 મેચોમાં 63.28ની એવરેજથી 443 રન ફટકાર્યા છે. કોહલીની નિવૃત્તિ ભારતીય T20 ટીમ માટે નવા યુગની શરૂઆતનો સંકેત આપે છે, જ્યાં યુવા ખેલાડીઓને આગળ આવવાની તક મળશે.

સિંધુ નદી પર ડેમ પર બનશે તો પાકિસ્તાન હુમલો કરશેઃ ખ્વાજા આસિફ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને પોકળ ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે ‘જો ભારત સિંધુ નદી પર કોઈ ડેમ બનાવશે તો પાકિસ્તાન તેના પર હુમલો કરશે. આક્રમણ માત્ર ગોળીઓ દ્વારા જ નથી થતું, પાણી રોકવું એ પણ એક હુમલો છે.

તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વણસી ગયા છે. 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થીથી થયેલ IWT (સિંધુ જળ સંધિ)ને અત્યાર સુધીનો વિશ્વનો સૌથી સફળ જળ કરાર માનવામાં આવે છે. આ સંધિ હેઠળ ભારતને પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ, સતલજ) પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ) પર વધુ અધિકાર મળ્યો હતો.

ભારતને અમુક શરતો હેઠળ પશ્ચિમી નદીઓ પર વીજ પ્રોજેક્ટ્સ અને અન્ય બાંધકામ કાર્ય હાથ ધરવા માટે મર્યાદિત પરવાનગી છે. ભારત દ્વારા સંધિને સ્થગિત કરવાની અથવા એકપક્ષી રીતે રદ કરવાની શક્યતા અંગે પાકિસ્તાનની પ્રતિક્રિયા ગંભીર અને આક્રમક રહી છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 27 લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી હતી. ભારતે IWTને રદ કરવા ઉપરાંત પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને વાઘા-અટારી બોર્ડર બંધ કરી દીધી છે.

સંરક્ષણ મંત્રીનું માનવું છે કે ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર અપેક્ષા મુજબ સમર્થન નથી મળી રહ્યું. તેમણે આરોપ લગાવ્યો હતો કે  ભારતના આરોપોને આંતરરાષ્ટ્રીય સમુદાયે નકારી કાઢ્યા છે. મોદી સરકાર પાસે પોતાના દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. ખ્વાજા આસિફે અગાઉ પણ કહ્યું હતું કે ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે, પરંતુ અમે ભારત સાથે યુદ્ધ શરૂ કરવા નથી માગતા. તેમણે કહ્યું હતું કે  જો યુદ્ધની સ્થિતિ ઊભી થશે તો પાકિસ્તાન પણ તેનો જવાબ આપશે.

 

 

 

 

રાજકોટમાં ગેરકાયદે રહેતા 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓ ઝડપાયા, ડિપોર્ટેશનની તૈયારી

રાજકોટ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસે ગેરકાયદે રહેતા 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. આ સાથે, રાજકોટમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે. પોલીસે આ તમામની પૂછપરછ શરૂ કરી છે, અને યોગ્ય તપાસ બાદ તેમના ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી રાજ્ય સરકારના ઘૂસણખોરી સામે કડક પગલાં લેવાના આદેશને અનુસરીને કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ પાકિસ્તાની નાગરિકો લગભગ બે દાયકાથી રાજકોટમાં ગેરકાયદે વસવાટ કરતા હતા. તેઓ વર્ષો પહેલાં રાજકોટ આવ્યા હતા અને પરત ફર્યા ન હતા. લોધીકા તાલુકામાં ગ્રામ્ય LCBને મળેલી બાતમીના આધારે આ ચારેય પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. આ દરમિયાન, તેમની પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા, પરંતુ પૂછપરછમાં તેમણે પાકિસ્તાની નાગરિક હોવાનું કબૂલ્યું. આ પૈકી એક સગીર પણ છે.

બીજી તરફ, રાજકોટના ભગવતીપરા, મોરબી રોડ, રામનાથપરા અને જંગલેશ્વર જેવા વિસ્તારોમાં પોલીસે તપાસ હાથ ધરી, જેમાં 6 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. અગાઉની કાર્યવાહીમાં ઝડપાયેલા 15 બાંગ્લાદેશીઓને ધ્યાનમાં લેતા, કુલ 21 બાંગ્લાદેશીઓ પકડાયા છે. આ તમામ બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળની સરહદ દ્વારા ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ અને SOG ટીમ હાલ વધુ તપાસ કરી રહી છે, જેમાં આ ઘૂસણખોરોના ઇરાદા અને સંભવિત આતંકવાદી જોડાણોની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે. પૂછપરછ બાદ મોટા ખુલાસા થવાની શક્યતા છે, અને તમામ વિદેશી નાગરિકોની ઓળખની પુષ્ટિ થતાં તેમને તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવશે.

કેવી છે અજય દેવગનની ‘રેઈડ 2’?

અજય દેવગનની ‘દ્રિશ્યમ’નો સાર એ હતો કે, લોકો એ જ જુએ છે જે એમને બતાવવામાં આવે છે અથવા જે જેવો દેખાય છે એવો હોતો નથી. 2018માં આવેલી રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ‘રેઈડ’નો ભાગ બીજો જુઓઃ ઈમાનદાર ઈન્કમ ટૅક્સ ઑફિસર અમય પટનાયક (અજય દેવગન) બીજા ભાગમાં કરપ્ટ છે. બે કરોડની લાંચ લીધી હોવાનું એણે કબૂલાત કરી લીધી છે. બીજી બાજુ, દાદાભાઈ (રિતેશ દેશમુખ)ને વગદાર, માથાભારે, વિલન-ટાઈપ પોલિટિશિયન તરીકે રજૂ કરવામાં આવ્યો છે, પણ એ તો શહેરીજનો માટે ભગવાન છે. રોજ સવારે માતાના ચરણ ધૂએ છે, ગરીબોના પૈસા લૂંટતો નથી, પણ એમને પાછા આપે છે.

જે જેવો છે એવો દેખાશે નહીં. એમ?

2018માં અમય પટનાયકે ઉત્તર ભારતના માથાભારે રાજકારણી-બિઝનેસમૅન રામેશ્વરસિંહ (સૌરભ શુક્લા)ના ઘરે રેઈડ યોજીને ઢગલામોઢે રોકડા, ઘરેણાં, જમીનના કાગ્ઝાત કબજે કરીને એને જેલભેગો કરેલો. આ વખતે અમયનો ટાર્ગેટ છેઃ રામેશ્વરસિંહનો ભત્રીજો, પોલિટિશિયન દાદા મનોહર ભાઈ (રિતેશ દેશમુખ).

‘રેઈડ 2’ 1989માં આકાર લે છે. કતારબંધ ધોળી એમ્બેસેડર કાર અને આયકર વિભાગના અધિકારીઓનો કાફલો રાજસ્થાનના રાજવી (ગોવિંદ નામદેવ)ને ત્યાં કાળું ધન કબજે કરવા જઈ રહ્યો છે એ છે ફિલ્મનો ઉપાડ. માતબર કાળું ધન કબજે કરવામાં આવે છે, પણ અમય પટનાયક પર રાજવી પાસેથી લાંચ લેવાનો આરોપ લાગે છે ને એણે કારકિર્દીની ચુમ્મોતેરમી ટ્રાન્સફર લઈને રાજસ્થાનથી ભોજ નામના શહેરમાં આવવું પડે. ભોજમાં અમય જુએ છે કે શહેરનો સર્વેસર્વા છે દાદા ભાઈ. જે જુઓ તે એનાં ગુણગાન ગાતાં થાકતો નથીઃ “દેવતા છે, દેવતા એ. અમારા માટે કેટલું કરે છે.” પણ અમયને ખ્યાલ આવી જાય છે કે યલો દાલમાં સમથિંગ બ્લૅક છે.  એ પૂરી તૈયારી સાથે દાદાભાઈ પર ત્રાટકે છે, પણ દાદાભાઈ એના કરતાં એક ડગલું આગળ છે,

-અને સરળ લાગતો ટાર્ગેટ અમય માટે માથાનો દુખાવો બની જાય છે, એણે પીછેહઠ કરવી પડે છે. ધડામ્- ઈન્ટરવલ. મધ્યાંતર બાદ અમય (સિનેમાના હીરો લોકો કરે છે એમ) કમબેક કરે છે. એ નક્કી કરે છે કે હવે તો દાદાભાઈ કરતાં ચાર ડગલાં આગળ રહેવું. પછી શું બને છે એ ધારી લેવા માટે કોઈ પ્રાઈઝ રાખવામાં આવ્યું નથી.

‘રેઈડ 2’નાં બે મુખ્ય પાત્રો- અમય પટનાયક અને દાદાભાઈ સતત એક સંવાદ બોલ્યે રાખે છેઃ “જો હોગા વો આંખો કે સામને હોગા.” બસ, તો બધું પ્રેક્ષકોની આંખો સામે જ થતું રહે છેઃ પ્રેક્ષક ધારી લે છે કે હવે આંખો સામે આ થશે, એના પછી આ… ઈવન ધી એન્ડ પણ. એવું પણ નથી કે ધી એન્ડમાં કંઈ જબરદસ્ત વળાંક આવે. વળી જકડી રાખતા ડ્રામામાં સ્પીડબ્રેકર બનીને આવતાં સોંગ્સની શું જરૂર છે? પહેલું ગીત પટનાયકપરિવાર સુખી પરિવારવાળું છે. ટ્રાન્સફર ઑર્ડર મળ્યા બાદ અમય, પત્ની માલિની (વાણી કપૂર) અને બાળકી એક શહેરમાંથી બીજા શહેરમાં જઈ રહ્યાં છે તો ટાઈમ પાસ કરવા ગીત ગાઈ નાખે છે. પછી નવા શહેરમાં અમય સ્ટાફવાળા માટે હોળીનો જશન રાખે છે તેનું ગીત. અમયને પાઠ ભણાવ્યાની ખુશાલીમાં દાદા ભાઈના જશનમાં તમન્ના ભાટિયાનું આઈટેમ સોંગ. અને, 1980માં આવેલી ‘કર્ઝ’ મૂવીનું પૈસા યે પૈસા પણ રાખવામાં આવ્યું છે.

રેઈડ યોજવા જતા અમય પટનાયક જેટલી મોટી ટીમ લઈને જાય છે એટલી જ મોટી ફિલ્મના રાઈટરોની ટીમ છેઃ રાજકુમાર ગુપ્તા-રિતેશ શાહ-આદિત્ય બેલણકર-કરણ વ્યાસ-જયદીપ યાદવ. આવી ટીમ પાસેથી ડિરેક્ટરને અમુક સારા ડાયલૉગ્સનો સપોર્ટ મળ્યો છે. જેમ કે, “સરકાર કોઈ ભી ચલાયે, ડિપાર્ટમેન્ટ તો આપકે ઔર મેરે જૈસે લોગ (સરકારી અધિકારીઓ) ચલાતે હૈં.” અથવા “રાજા કો પકડને કે લિયે હર બાર કિલે પર હમલા કરના ઝરૂરી નહીં હૈ.” સંવાદો ઉપરાંત દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાને અમુક સપોર્ટિંગ એક્ટરોનો સ્ટ્રોન્ગ સપોર્ટ મળ્યો. જેમ કે, અમય પટનાયકના સહકર્મચારી લલ્લન સુધીરની ભૂમિકામાં અમીત સિયાલ, ખાઈબદેલા વકીલની ભૂમિકામાં યશપાલ શર્મા, સૌરભ શુક્લા, દાદાભાઈની માતાની ભૂમિકામાં સુપ્રિયા પાઠક, અમયના બૉસની ભૂમિકામાં રજત કપૂર, વગેરે.

ઓકે, બે કલાક ને વીસ મિનિટની ‘રેઈડ 2’ ખરાબ ફિલ્મ નથી, વૉચેબલ છે, પણ એ બહેતર બની શકી હોત એ હકીકત છે.

નરગીસ દત્ત પોતાના દીકરાને જીવનભર હીરો બનતો જોવા માંગતી હતી, પરંતુ…

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી નરગીસ દત્તની આજે પુણ્યતિથિ છે. નરગીસ જેમણે પોતાના સમયમાં બોલિવૂડ પર રાજ કર્યું અને અંત સુધી પોતાના કામથી લોકોના દિલ જીતતા રહ્યા. ખ્યાતિના શિખર પર પહોંચ્યા પછી પણ નરગિસની એક ઇચ્છા અધૂરી રહી ગઈ. નરગિસ પોતાના દીકરાને રૂપેરી પડદે હીરો તરીકે જોવા માંગતા હતા. દીકરો હીરો બન્યો અને આજે સુપરસ્ટાર પણ છે. પરંતુ નરગિસનું પોતાના પુત્રને હીરો તરીકે પડદા પર જોઈ શક્યા નહીં.


નરગિસનું મૃત્યુ તેમના પુત્રની ફિલ્મ રિલીઝ થવાના ત્રણ દિવસ પહેલા થયું હતું. નરગીસ પોતાના છેલ્લા દિવસોમાં કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. આજે નરગિસની પુણ્યતિથિ પર ચાહકોએ તેમને યાદ કર્યા છે. આજે નરગીસનો દીકરો સંજય દત્ત પણ બોલિવૂડનો સુપરસ્ટાર છે. નરગિસ પોતાના દીકરા સંજય દત્તને હિરો તરીકે જોવા માંગતા હતાં. પરંતુ સંજય દત્તની પહેલી ફિલ્મ રિલીઝ થઈ એના પહેલાં જ તેણીનું મૃત્યુ થયું.

માત્ર 6 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી
સ્વર્ગસ્થ અભિનેત્રી નરગીસ દત્તને હિન્દી ફિલ્મ ઉદ્યોગના રત્નોમાંના એક માનવામાં આવે છે, જેમણે 1935માં 6 વર્ષની ઉંમરે તલાશ-એ-હકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્રણ દાયકાની કારકિર્દીમાં સ્વર્ગસ્થ અભિનેત્રીએ મધર ઇન્ડિયા, શ્રી420 અને બરસાત સહિત ઘણી પ્રતિષ્ઠિત ફિલ્મો આપી. 1980માં રાજ્યસભાના સભ્ય રહેલા નરગીસે ​​3 મે, 1981ના રોજ સ્વાદુપિંડના કેન્સરને કારણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતા સુનીલ દત્ત સાથે લગ્ન કરનારી આ અભિનેત્રીને ત્રણ બાળકો, સંજય દત્ત, પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત. રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત સંજય દત્તની બાયોપિક સંજુમાં, આપણને નરગિસ દત્ત અને તેમના પુત્ર સંજય દત્ત વચ્ચેના સંબંધોની ઝલક જોવા મળી.

2018માં રિલીઝ થયેલી આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં રણબીર કપૂરની સાથે વિક્કી કૌશલ, પરેશ રાવલ, સોનમ કપૂર અને અન્ય કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં નરગીસનું પાત્ર મનીષા કોઈરાલાએ ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે નરગિસ દત્તનું મૃત્યુ 1981 માં તેમના પુત્રની પહેલી ફિલ્મ રોકીની રિલીઝના ત્રણ દિવસ પહેલા થયું હતું. જ્યારે તેનો પુત્ર ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહ્યો હતો ત્યારે અભિનેત્રી તેના માટે ઓડિયો સંદેશાઓ રેકોર્ડ કરતી હતી. જો તમે સંજુ જોયું હોય, તો તમને તે દ્રશ્ય યાદ હશે જ્યાં ટેપ રેકોર્ડિંગ કલાકારોને માત્ર ભાવુક જ નથી કરતું પણ પ્રેરણા પણ આપે છે. હિરાણી બતાવે છે કે કેવી રીતે નરગીસ દત્તના સંદેશાઓએ સંજયને તેના ડ્રગના વ્યસનમાંથી બહાર નીકળવામાં મદદ કરી.

મુન્નાભાઈ અભિનેતાનો એક જૂનો ઇન્ટરવ્યુ પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંજય દત્ત તેની માતા અને તેના છેલ્લા સંદેશ વિશે વાત કરે છે. યુવાન સંજય કહે છે કે જ્યારે તેની માતાનું અવસાન થયું ત્યારે તે રડ્યો ન હતો, પરંતુ ટેપ સાંભળ્યા પછી તે 4-5 કલાક સુધી રડતો રહ્યો. સંજયે જણાવ્યું કે બે વર્ષ પછી તેના એક મિત્રએ તેને રેકોર્ડિંગ વગાડ્યું અને તે સાંભળ્યા પછી તે પોતાને રોકી શક્યો નહીં. ઓડિયોમાં નરગિસને કહેતા સાંભળી શકાય છે,’સંજુ, બીજા બધાથી ઉપર, તારી નમ્રતા જાળવી રાખ. તમારા ચારિત્ર્યને જાળવી રાખો. ક્યારેય દેખાડો ન કરો. હંમેશા નમ્ર બનો અને હંમેશા વડીલોનો આદર કરો. આ જ તમને ખૂબ આગળ લઈ જશે, અને આ જ તમને તમારા કામમાં શક્તિ આપશે.’

લેરાઈ દેવી મંદિરમાં નાસભાગમાં સાતનાં મોત, 50 ઘાયલ

પણજીઃ ગોવાના શિરગાંવમાં આયોજિત લેરાઈ દેવી મંદિરમાં ભાગદોડ થતાં કમસે કમ સાત લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (GMC) અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત ‘જાત્રા’માં ભાગ લેવા માટે એકઠા થયા હતા. ભારે ભીડને કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ, જેને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. આ દુર્ઘટનામાં ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ મંદિરમાં હજ્જારો શ્રદ્ધાળુઓ સદીઓ જૂની પરંપરામાં ભાગ લેવા જુલૂસમાં સામેલ થયા હતા, એમાં ઉઘાડા પગે સળગતા અંગારા પર ચાલે છે, જ્યારે ઢાળવાળી જગ્યાએ ભીડ એકસાથે ઝડપથી આગળ વધવા લાગી હતી.  આ દુર્ઘટના પર PM મોદીએ ઘેરું દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ CM ડો. પ્રમોદ સાવંતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી. CM ઘાયલોને મળ્યા અને તેમની સારવાર અંગે પૂછપરછ કરી અને અધિકારીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો.

લેરાઈ જાત્રા છે શું?

લેરાઈ દેવી એક પૂજનીય હિન્દુ દેવી છે જેમની ગોવામાં ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં પૂજા કરવામાં આવે છે. લેરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને આજુબાજુનાં ક્ષેત્રોથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે. લેરાઈ દેવી જાત્રાને શિરગાંવ જાત્રાના નામે પણ ઓળખાય છે. તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પણ મનાય છે.

ભારતનો પાકિસ્તાન પર આર્થિક પ્રહાર, આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાનું ચાલુ રાખ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 2 મે, 2025ના રોજ એક જાહેરનામું બહાર પાડીને પાકિસ્તાનથી થતી તમામ પ્રકારની પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જે વિદેશ વ્યાપાર નીતિ (FTP) 2023માં નવી જોગવાઈ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)ના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ઉત્પન્ન થતા કે ત્યાંથી નિકાસ થતા તમામ સામાનની આયાત અથવા પરિવહન પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, અને આ પ્રਤિબંધ આગળના આદેશ સુધી અમલમાં રહેશે. આ નિયમમાં કોઈ અપવાદ માટે ભારત સરકારની સ્પષ્ટ મંજૂરી જરૂરી રહેશે. આ પગલું પહલગામમાં 26 લોકોના મોતનું કારણ બનેલા આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનના “સરહદ પારના સંબંધો” હોવાના આરોપો પછી લેવામાં આવ્યું છે.

આ પહેલાં પણ ભારતે પાકિસ્તાન સામે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અને હવાઈ માર્ગ પર પ્રતિબંધ મૂકવા જેવાં પગલાં લીધાં છે. આ આર્થિક પ્રતિબંધથી બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો થવાની શક્યતા છે.