Home Blog Page 920

સુવિચાર – ૧૫ મે ૨૦૨૫

૧૫ મે ૨૦૨૫

પંચાંગ 15/05/2025

નિવૃત્તિની જાહેરાત બાદ જાવેદ અખ્તરે વિરાટને કરી આવી વિનંતી

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિએ દરેક ક્રિકેટ પ્રેમીને નિરાશ કર્યા છે. ઘણા બી-ટાઉન સ્ટાર્સે પણ વિરાટ કોહલીની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી હતી. કેટરિના કૈફ, વિકી કૌશલથી લઈને અંગદ બેદી સુધી બધાએ કિંગ કોહલીની સફરને સલામ કરી. તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ વિરાટ કોહલીની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી હતી અને હવે ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. આ દિગ્ગજ લેખકે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે વિરાટ કોહલીની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી અને તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું.

જાવેદ અખ્તરની પોસ્ટ
જાવેદ અખ્તરે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘સ્વાભાવિક છે કે વિરાટ વધુ સારી રીતે જાણે છે, પરંતુ આ મહાન ખેલાડીના ચાહક તરીકે, હું ટેસ્ટ ક્રિકેટમાંથી તેની અકાળ નિવૃત્તિથી નિરાશ છું. મને લાગે છે કે તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. હું તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે હૃદયપૂર્વક વિનંતી કરું છું.’ ઘણા યુઝર્સે તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને સંમતિ આપી.

જાવેદ અખ્તરની પોસ્ટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓ
જાવેદ અખ્તરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘જાવેદ સાહેબ માટે આ કહેવું ખૂબ મોટી વાત છે. આશા છે કે, વિરાટ આ વાત પર ધ્યાન આપશે અને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. બીજાએ લખ્યું,’વિરાટ જેવા જાણે છે કે લેજેન્ડ્સ ક્યારે આદર સાથે નમન કરવું.’ તેને અકાળ કહેવાને બદલે, તેની સુંદર ટેસ્ટ સફરની પ્રશંસા કરવી અને તેના નિવૃત્તિના સમય પર વિશ્વાસ કરવો વધુ સારું છે. બીજા એક યુઝરે લખ્યું,’હું આ સાથે સંપૂર્ણપણે સંમત છું. ઉપરાંત, કોહલી અને અશ્વિન જેવા ખેલાડીઓ માટે વિદાય મેચ હોવી જોઈએ.’

વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ 14 વર્ષની કારકિર્દી બાદ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતી એક પોસ્ટ પણ શેર કરી અને લખ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ.’

 

નીરજ ચોપરાને ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ મળ્યું

ઓલિમ્પિક ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરાને ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરવામાં આવ્યું છે. આ નિમણૂક 16 એપ્રિલ, 2025થી અમલમાં આવી, જેની સત્તાવાર જાહેરાત ગેઝેટ ઓફ ઇન્ડિયામાં 9 મે, 2025ના રોજ કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ટેરિટોરિયલ આર્મી રેગ્યુલેશન્સ, 1948ના પેરા-31 હેઠળ નીરજને આ પદ પર નિયુક્ત કર્યા.

નીરજ ચોપરા, જેઓ 2016માં નાયબ સુબેદાર તરીકે રાજપૂતાના રાઇફલ્સમાં જોડાયા હતા, તેમણે 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સુબેદાર અને પછી સુબેદાર મેજરનો હોદ્દો મેળવ્યો હતો. તેમની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ, જેમાં ટોક્યો 2020માં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ અને પેરિસ 2024માં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે, તેમને ભારતના સૌથી સફળ વ્યક્તિગત ઓલિમ્પિયન બનાવે છે. આ ઉપરાંત, તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ (2023), એશિયન ગેમ્સ (2018, 2023), અને કોમનવેલ્થ ગેમ્સ (2018)માં ગોલ્ડ મેડલ જીત્યા છે.

ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એ એક પ્રતિષ્ઠિત સન્માન છે, જે સામાન્ય રીતે રાષ્ટ્ર માટે અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. આ પદ પર નીરજ ચોપરા રમતગમત અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાની સાથે યુવાનોને સેનામાં જોડાવા અને શિસ્તબદ્ધ જીવન અપનાવવા પ્રેરણા આપશે. આ પદની જવાબદારીઓ મુખ્યત્વે પ્રતીકાત્મક હોય છે, જેમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો, યુવા પેઢીને પ્રોત્સાહન આપવું અને સેનાના પ્રચાર પ્રયાસોમાં યોગદાન આપવું શામેલ છે. જોકે, વર્તમાન ભારત-પાકિસ્તાન તણાવને ધ્યાનમાં રાખીને, માનદ અધિકારીઓને સક્રિય ફરજ પર બોલાવવાની સંભાવના નથી, પરંતુ આવી પરિસ્થિતિમાં તેઓ પ્રેરણાત્મક ભૂમિકા ભજવી શકે છે.

નીરજે 2016માં રાજપૂતાના રાઇફલ્સમાં નાયબ સુબેદાર તરીકે પ્રવેશ મેળવ્યો, જે સામાન્ય રીતે 20 વર્ષની સેવા બાદ મળતો હોદ્દો છે, પરંતુ તેમની રમતગમતની સિદ્ધિઓને કારણે તેમને વિશેષ નિમણૂક આપવામાં આવી. સેનાએ તેમને મિશન ઓલિમ્પિક વિંગ અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ, પુણે ખાતે તાલીમ આપી, જેનું યોગદાન તેમની ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકની સફળતામાં નોંધપાત્ર રહ્યું. તેમની સિદ્ધિઓ માટે તેમને અર્જુન એવોર્ડ (2018), વિશિષ્ટ સેવા મેડલ (2020), પદ્મશ્રી, અને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM)થી સન્માનિત કરવામાં આવ્યા છે.

નીરજ ચોપરા પહેલા, એમ.એસ. ધોની, અભિનવ બિન્દ્રા, અને કપિલ દેવ જેવા ખેલાડીઓને પણ ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ આપવામાં આવ્યું છે. ધોનીએ 2019માં કાશ્મીરમાં 15 દિવસની સેવા પણ આપી હતી, જે યુવાનો માટે પ્રેરણાદાયી બની. નીરજનું આ પદ રાષ્ટ્રીય ગૌરવ અને સેના સાથેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે યુવા એથ્લીટ્સને રમતગમત અને રાષ્ટ્રસેવા બંનેમાં પ્રોત્સાહન આપશે.

નીરજ ચોપરા હાલ 2025ની સિઝનની તૈયારી કરી રહ્યા છે, જેની શરૂઆત 16 મે, 2025ના રોજ દોહા ડાયમન્ડ લીગથી થશે. બેંગલુરુમાં આયોજિત નીરજ ચોપરા ક્લાસિક, જે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025નું ક્વોલિફિકેશન ઇવેન્ટ હતું, ભારત-પાકિસ્તાન તણાવને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. આ નવું પદ નીરજને રમતગમતની સાથે રાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની નવી દિશા આપશે, જે ભારતના યુવાનો માટે એક ઉજ્જવળ ઉદાહરણ બનશે.

સાયન્સ સિટીનું નવું નજરાણું : એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો પ્રારંભ થયો. જે 15મી મેના રોજથી સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. ગેલેરીમાં 172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ છે, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે 24 ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે. 6.5 મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મૂકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીના ઉદ્ઘાટન સમયે જણાવ્યું કે, “હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે માટે મુખ્યમંત્રીની સૂચનાથી 15મી મે ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે, જેથી કરીને વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે.”કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો, ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલો છે, જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ જોઈ શકાય છે. ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો આવેલા છે. આ સાથે ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં 47 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને તેના ઇતિહાસની માહિતી આપે છે.પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના ૩૦ જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દૃષ્ટિકોણને ખ્યાલમાં રાખી 24 એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યાં છે.ભારતના એસ્ટ્રોનોમી એન્ડ  સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ 32 એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા 8 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. સાથે-સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા 4 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને 6 આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને યુનિક અનુભવ આપશે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બનશે.172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે 24 ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે. ઉપરાંત 6.5 મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મૂકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.

ગુજરાત પોલીસ વિભાગના 105 સિનિયર ક્લાર્કને મળ્યું પ્રમોશન

ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી અને બદલીનો દોર ચાલુ છે. આ ક્રમમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે 105 સિનિયર કારકુનો (વર્ગ-3)ને મુખ્ય કારકુન તરીકે બઢતી આપવાનો મહત્વનો આદેશ જારી કર્યો છે. આ બઢતી સાથે આ કારકુનોની રાજ્યભરના વિવિધ પોલીસ વિભાગોમાં બદલી પણ કરવામાં આવી છે.

આ નિર્ણયથી પોલીસ વિભાગની વહીવટી કામગીરીમાં કાર્યક્ષમતા વધશે એવી અપેક્ષા છે. બઢતી પામેલા સિનિયર કારકુનો લાંબા સમયથી ગુજરાત પોલીસમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા, અને તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને આ બઢતી આપવામાં આવી છે. મુખ્ય કારકુન તરીકે તેઓ હવે વધુ જવાબદારીઓ સંભાળશે, જેમાં વહીવટી દસ્તાવેજો, રેકોર્ડ વ્યવસ્થાપન અને અન્ય મહત્વની કામગીરીનો સમાવેશ થાય છે.


રાજ્ય પોલીસ વડાએ આ આદેશ 14 મે, 2025ના રોજ જારી કર્યો, અને બઢતી પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જવાબદારીઓ સોંપવાની સૂચના આપી. આ નિર્ણયથી પોલીસ વિભાગના કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બદલીની સાથે નવા કાર્યસ્થળો પર આ કર્મચારીઓ પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. આ પગલું ગુજરાત પોલીસની વહીવટી રચનાને મજબૂત કરવાની દિશામાં મહત્વનું ગણાય છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આવા નિર્ણયો લઈને કર્મચારીઓનું મનોબળ વધારવાના પ્રયાસો ચાલુ છે.

સિંધુ જળ સંધિ પર ફરીથી વિચાર કરવાની પાકિસ્તાનની અરજ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના જળ સંશાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખી અપીલ કરી છે કે ભારતનું આ પગલું પાકિસ્તાનમાં ગંભીર જળસંકટ ઊભું કરી શકે છે. આ પત્રમાં ભારતને આ નિર્ણય પર ફરી વિચાર કરવા વિનંતી કરવામાં આવી છે. આ પત્ર ભારતના વિદેશ મંત્રાલયને પણ મોકલવામાં આવ્યો છે, પરંતુ ભારતે પાકિસ્તાનની આ અપીલને સ્પષ્ટપણે નકારી દીધી છે.

શું છે સિંઘુ જળ સંધિ?

સિંધુ જળ સંધિ સપ્ટેમ્બર, 1960માં તે સમયેના PM પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની મિલિટરી જનરલ અયૂબ ખાન વચ્ચે કરાચીમાં કરવામાં આવી હતી. આ સંધિ અંતર્ગત ભારતને સિંધુ અને તેની સહાયક નદીઓમાંથી 19.5 ટકા પાણી મળે છે, જ્યારે પાકિસ્તાનને અંદાજે 80 ટકા પાણી મળે છે. ભારત પોતાના હિસ્સામાંથી પણ માત્ર આશરે 90 ટકા જ પાણીનો ઉપયોગ કરે છે.

આ સંધિ મુજબ સિંધુ ખીણને છ નદીઓમાં વિભાજિત કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે એ સહમતી થઈ હતી. આ સંધિ હેઠળ દર વર્ષે સિંઘુ જળ પંચની બેઠક ફરજિયાત છે. આ સંધિ મુજબ, પૂર્વી નદીઓ પર ભારતનો અધિકાર છે, જ્યારે પશ્ચિમી નદીઓ પાકિસ્તાનના અધિકાર હેઠળ રાખવામાં આવી છે. આ સંધિની મધ્યસ્થતા વિશ્વ બેન્કે કરી હતી. ભારતને ત્રણ પૂર્વી નદીઓ — સતલજ, બ્યાસ અને રાવી મળી છે, જ્યારે પશ્ચિમી નદીઓ — સિંધુ, જેલમ અને ચિનાબ — પાકિસ્તાનના હિસ્સામાં ગઈ છે.

પીએમ મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ

PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “ખૂન અને પાણી એકસાથે વહી શકતા નથી. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનના આતંકવાદી અને સૈન્ય ઠેકાણાંઓ પર જવાબી કાર્યવાહી હજી સ્થગિત કરી છે. આગામી દિવસોમાં પાકિસ્તાનના દરેક પગલાનું મૂલ્યાંકન કરીશું કે તેનું વલણ શું છે. પાકિસ્તાની સેના અને સરકાર જેમ રીતે આતંકવાદને પોષે છે, તે એક દિવસ પાકિસ્તાને જ ખતમ કરી નાખશે. પાકિસ્તાને જો બચવું છે તો તેના આતંકવાદી માળખાનું સમૂળ નાશ કરવો પડશે, એમ તેમણે કહ્યું હતું.

કર્નલ સોફિયા વિશે વિવાદાસ્પદ નિવેદનઃ HCનો FIR નોંધવા આદેશ

ભોપાલઃ મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહના કર્નલ સોફિયા કુરેશી વિશે વિવાદાસ્પદ નિવેદનને કારણે હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે તેમની સામે FIR નોંધવા આદેશ આપ્યો છે.  . હાઇકોર્ટના નિર્દેશ મુજબ તેમની વિરુદ્ધ ચાર કલાકની અંદર FIR નોંધાવી જોઈએ.

વાસ્તવમાં, એક કાર્યક્રમ દરમિયાન વિજય શાહે સોફિયાનું નામ લીધા વિના એવું નિવેદન આપ્યું હતું જેનાથી તેઓ મુશ્કેલીમાં ફસાયા હતા. કોંગ્રેસે પણ તેમના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

વિજય શાહે શું કહ્યું હતું?
વિજય શાહે કહ્યું હતું કે  “જેમણે આપણા દીકરીઓના સિંદૂર ઉજાડી દીધા હતા, તે કટેલા-પિટેલા લોકો સામે તેમની જ બહેનને મોકલીને તેમની ઐસીતેસી કરી. તેમણે કપડાં ઉતારીને આપણા હિન્દુઓને માર્યા હતા અને મોદીજીએ તેમની બહેનને તેમની ઐસીતૈસી કરવા માટે આપણા વિમાનમાં બેસાડીને તેમના ઘરે મોકલ્યા. તેમણે નામ લીધા વગર કર્નલ સોફિયાના ધર્મને લઈને ટિપ્પણી કરી હતી, જેથી સોશિયલ મિડિયા પર તેમને બહુ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

હાઇકોર્ટે આ મામલાનું સ્વયં માહિતી લઈને વિજય શાહને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરનની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કહ્યું કે ચાર કલાકની અંદર તેમની વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ. આ મામલાની આગલી સુનાવણી આવતી કાલે થશે. બીજી બાજુ, વિજય શાહે આ વિવાદાસ્પદ નિવેદન માટે માફી પણ માગી લીધી છે.

બાંગ્લાદેશીઓ માટે નકલી દસ્તાવેજો બનાવનાર એજન્ટ ઝડપાયા, ATSની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપનાર લલ્લા બિહારી ઉર્ફે મહમૂદ પઠાણની ધરપકડ બાદ ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓએ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કમરૂદ્દીનના લેટરપેડનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ATSએ આ મામલે નારોલ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી નાગરિક રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ અને નકલી ડોક્યુમેન્ટ્સ બનાવનાર એજન્ટ રોબ્યુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આરોપીઓ નારોલમાં મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલી અલકુરેશ એન્ટરપ્રાઇઝના સોહેબ કુરેશી સાથે મળીને બાંગ્લાદેશીઓ અને અન્ય લોકો માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ જેવા નકલી ડોક્યુમેન્ટ્સ બનાવતા હતા. રાણા સરકારે પોતાના ખોટા આઈડી પ્રૂફનો ઉપયોગ કરી ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો હતો. આરોપીની ‘વીઆઈપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર’ નામની દુકાનમાંથી 13 બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ્સ જપ્ત કરાયા છે.

પૂછપરછમાં ખુલાસો થયો કે, આરોપીઓએ શહેઝાદ ખાન પઠાણ, ગીતા સોલંકી અને કમરૂદ્દીનના લેટરપેડનો ઉપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા, જેના આધારે બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય નાગરિક તરીકે ઓળખ મેળવી રહ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક રાજકીય નેતાઓની સંડોવણી અને ડોક્યુમેન્ટ ફોર્જરીના નેટવર્ક પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ATSએ આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) (છેતરપિંડી), 336(2) (દસ્તાવેજોમાં નકલીપણું) અને 351(2) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ શરૂ કરી છે.