Home Blog Page 817

અમદાવાદની રથયાત્રામાં સામેલ હાથી બેકાબૂ થયો

અમદાવાદઃ અમદાવાદમાં 148મી રથયાત્રા યોજવામાં આવી રહી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સામેલ એક હાથી બેકાબૂ થયો હતો. આ રથયાત્રામાં કુલ 18 હાથી સામેલ હતા અને બેકાબૂ થનારો હાથી સૌથી આગળ ચાલી રહ્યો હતો. બેકાબૂ થયા પછી હાથી રથથી આગળ નીકળી ગયો હતો. જે પછી મહાવત અને અન્ય લોકો હાથીને કાબૂમાં લેવા માટે તેની પાછળ દોડ્યા હતા. એક તરફ લોકો પણ હાથીના રસ્તામાંથી હટીને પોતાનો બચાવ કરતા નજરે પડ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. થોડા સમય બાદ વન વિભાગના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લઈ લીધો હતો.

આ ઘટનાથી જોડાયેલા બે વિડિઓ પણ સામે આવ્યા છે. એક વિડિયોમાં હાથી રથયાત્રાથી અલગ થઇને દોડતો દેખાઈ રહ્યો છે. જ્યારે બીજા વિડિયોમાં હાથી બેકાબૂ થયા પછીનાં દ્રશ્યો છે. આ વિડિયોમાં અન્ય હાથી પણ થોડી અસ્વાભાવિક હરકતો કરતા જોવા મળ્યા હતા અને તેમના મહાવત તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતા હતા. જોકે અન્ય હાથીઓએ કોઈ તોફાન કર્યું ન હતું, પરંતુ એક હાથી બેકાબૂ થયા પછી બીજા હાથીઓમાં પણ થોડી અસ્વાભાવિકતા જોવા મળી હતી.

રથયાત્રામાંથી ત્રણ હાથી દૂર કરાયા
અમદાબાદ રથયાત્રા દરમિયાન અવાજને કારણે બેકાબૂ થયેલા હાથીને મહાવત અને ઝૂ ઓથોરિટીના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લીધો હતો. આ ઘટના પછી કુલ ત્રણ હાથીઓને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા.

રથયાત્રાનું મહત્વ
અહમદાબાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી (ઓડિશા) બાદ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા તરીકે માનવામાં આવે છે. 148મી રથયાત્રા 27 જૂન, 2025એ સવારે 7 વાગ્યે જમાલપુર સ્થિત 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી શરૂ થઈ અને રાત્રે 8:30 વાગ્યા સુધીમાં મંદિર પરત ફરશે. આ યાત્રાનો માર્ગ કુલ 18 કિમી લાંબો છે, જે જમાલપુરથી શરૂ થઈને રાયપુર, કાલુપુર, શાહપુર, દરિયાપુર, મોસાળ સરસપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચોકલા અને માણેક ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થાય છે.

સુરક્ષાની કડક વ્યવસ્થા
આ યાત્રામાં 18 સુશોભિત હાથી, 101 ઝાંખીઓ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને ત્રણ બેંડ-બાજા સામેલ છે. સુરક્ષા માટે 23,884થી વધુ પોલીસ કર્મચારીઓ, 41 ડ્રોન, 130 વધારાના CCTV કેમેરા, AI આધારિત મોનિટરિંગ અને 25 વોચ ટાવર તહેનાત કરવામાં આવ્યા છે.

એર ઇન્ડિયાના વિમાનને મુંબઈમાં પાંચ કલાકથી વધુ સમય માટે રોકી રાખવામાં આવ્યું, જાણો કારણો

25 જૂનના રોજ, મુંબઈથી બેંગકોક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને વિમાનના એક પાંખમાં ઘાસ ફસાઈ જવાને કારણે પાંચ કલાકથી વધુ સમય માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને વિમાનને સંચાલન માટે મંજૂરી આપવામાં આવી હતી. ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત એરલાઈને અન્ય મુખ્ય વિગતો જેમ કે બોર્ડમાં મુસાફરો અને ક્રૂની સંખ્યા, વિમાનનો પ્રકાર, પ્રસ્થાનનો સમય અને મુસાફરો મુંબઈ એરપોર્ટ પર કેટલા સમય સુધી ફસાયેલા હતા તે શેર કરી ન હતી.

એર ઇન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 25 જૂન 2025 ના રોજ મુંબઈથી બેંગકોક જતી ફ્લાઇટ AI2354 ને ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી કારણ કે ઓપરેટિંગ એરક્રાફ્ટના ડાબા પાંખ નીચે થોડું ઘાસ ફસાયેલું મળી આવ્યું હતું. એરલાઇને જણાવ્યું હતું કે તેની તાત્કાલિક સંભાળ લેવામાં આવી હતી અને વિમાનને ઓપરેશન માટે મંજૂરી આપવામાં આવી હતી.

એરલાઇને વધુમાં જણાવ્યું હતું કે ઘાસના સ્ત્રોતની ઓળખ થઈ શકી નથી. તેણે એમ પણ કહ્યું હતું કે ફ્લાઇટ ક્રૂ નિયમનકારી ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદામાં હોવાથી, ફ્લાઇટ તાત્કાલિક રવાના થઈ શકતી ન હતી.

એર ઇન્ડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈ એરપોર્ટ પર વિમાનનું સંચાલન કરતી સેવા પ્રદાતાને આ બાબતની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેની જાણ સુરક્ષા નિયમનકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને કરવામાં આવી છે.

એરલાઈને જણાવ્યું હતું કે મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફ્લાઇટ ક્રૂના નવા સભ્યો આવતાની સાથે જ ફ્લાઇટ રવાના થઈ ગઈ હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે DGCA એ મુખ્ય એરપોર્ટ પર દેખરેખ દરમિયાન એરલાઈન્સ, એરપોર્ટ, વિમાન જાળવણી કામગીરી સંબંધિત અનેક ઉલ્લંઘનો અને વારંવાર ભૂલો શોધી કાઢી છે. 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાના બે અઠવાડિયાથી ઓછા સમયમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મંગળવારે નિયમનકારે એરલાઇન્સ, એરપોર્ટ અને ભૂલોમાં સામેલ અન્ય સંસ્થાઓના નામ જાહેર કર્યા વિના કહ્યું હતું કે મોનિટરિંગમાં ફ્લાઇટ ઓપરેશન્સ, એરવોર્થનેસ, રેમ્પ સેફ્ટી, એર ટ્રાફિક કંટ્રોલ (ATC), કોમ્યુનિકેશન, નેવિગેશન અને સર્વેલન્સ (CNS) સિસ્ટમ્સ અને પ્રી-ફ્લાઇટ મેડિકલ એસેસમેન્ટ જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

ઈટ્સ નૉટ ઈઝી! …

એક મિનિટમાં વિજયી થઈને પહેલા નંબરની ટ્રૉફી જાણે હાથમાં જ લઈને મેદાનમાંથી બહાર આવવું એવી માનસિકતામાં આત્મવિશ્વાસ સાથે હું ઊભી રહી…

`આ પોસ્ટર દરવાજા પર શા માટે ચોંટાડ્યું છે?’ મારો પ્રશ્ન. `અરે મૉમ તે એક ગેમ છે, લેટ્સ પ્લે.’ હેતાએ મને ઉત્તર આપીને આય માસ્ક લઈ આવી. સારાને સામે ઊભી કરી, તેના હાથમાં સ્ટિકર આપ્યું. આંખો પર આય માસ્ક બાંધ્યો. તેને ગોળ-ગોળ ફેરવી અને કહ્યું, `જા હવે સામેના પોસ્ટર પર અચૂક ઠેકાણે પોસ્ટર ચોંટાડ.’ ગોળ-ગોળ ફેરવવાથી સારા મૂંઝાઈ ગઈ હતી. ચોક્કસ કઈ દિશામાં જવું તે અવઢવમાં હતી, પણ અમારા અવાજને આધારે તે દિશાનો અંદાજ લગાવતી હતી અને ધીમે-ધીમે મંજિલ દર મંજિલ કરીને તે પોસ્ટર સુધી પહોંચી અને ખાસ્સું નજીક તેણે પોસ્ટર ચોંટાડ્યું. તે પછી ઘરના દરેકની આંખો પર આ પટ્ટી બાંધવામાં આવી અને તેને લઈ એટલી ધમ્માલ આવી અને હાસ્યનું હુલ્લડ ફાટી નીકળ્યું કે પૂછો જ નહીં. મારી આંખો પર પટ્ટી બાંધવામાં આવી ત્યારે તો હદ થઈ ગઈ.

એટલે કે, મારી અગાઉ એક-બે પ્લેયર્સ રમ્યા હતા. મને અંદાજ આવી ગયો હતો. જે આંખો પર પટ્ટી બાંધવામાં આવતી હતી ત્યાંથી પોસ્ટરનું અંતર, પોસ્ટરના કોરથી જ્યાં નાક પર સ્ટિકર ચોંટાડવાનુ હતું ત્યાં સુધીનું અંતર, તેનું મારી ઊંચાઈ સાથે મનમાં ને મનમાં કેલ્ક્યુલેશન કરી રાખ્યું હતું. તે આસાન હતું, અગાઉના બે પ્લેયર્સ એટલા કેમ મૂંઝાયા એવો વિચાર કરીને હું રમતમાં ઊતરી. એક મિનિટમાં સ્ટિકરની અને નાકની મુલાકાત કરાવીને વિજયી થઈને પહેલા નંબરની ટ્રૉફી જાણે હાથમાં લઈને જ મેદાનમાંથી બહાર આવવાનું એવી માનસિકતામાં બહુ આત્મવિશ્વાસથી હું ઊભી રહી. મારી આંખો પર પટ્ટીરૂપી માસ્ક લગાવવામાં આવ્યો. અગાઉના પ્લેયર્સની જેમ મને પણ ગરગર ફેરવવામાં આવી. તેમાંય મેં કેલ્ક્યુલેશન કરી રાખ્યું હતું. એકંદરે ત્રણ રાઉન્ડ્સ મને ફેરવવામાં આવી જેને લીધે હવે જે દિશા આવી છે તે પોસ્ટરની જ હશે એવું મારા કેલ્ક્યુલેશને મને કહ્યું. મેં સાવધાનીથી ચાલવાનું શરૂ કર્યું અને કોઈકને હસવાનો અવાજ આવ્યો. `ઓહ એટલે મારી દિશા ચૂકી ગઈ છે. આવું કઈ રીતે થયું?’ મન હાર માનવા માટે તૈયાર નહોતું. મેં પ્રયાસ ચાલુ રાખ્યા. હવે બાકીનાઓનું હસવાનું ગડગડાટ સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. `નીલ, ચાલો ગાદલા નાખીએ, તેને પોસ્ટર સુધી પહોંચવામાં સવાર થઈ જશે,’ એવો એક અવાજ આવ્યો. `અરે વીણા, તને અમારા અવાજની દિશા વગેરે સમજાય છે કે નહીં?’, `અરેરે, તું આટલી સેન્સલેસ હશે એવું લાગ્યું નહોતું,’ `અરે આ તો ટોટલ મંદ છે,’ `વીણા આજે તારી ઈમેજને તેં ધૂળધાણી કરી નાખી, `અરે યાર, આ વિશે મેં ક્યા સોચા થા ઔર યે ક્યા નિકલી,’ એકંદરે મારા કેલ્ક્યુલેશનના બાર વાગી ગયા હતા અને આત્મવિશ્વાસના ધજાગરા ઊડી ગયા હતા. અભિમાનની જગ્યા અસહાયતાએ લીધી અને મેં કહ્યું, `માનું છું કે હું મંદ છું, બટ નાઉ ગિવ મી અ ક્લુ.’ મેં હાર માન્યા પછી અને મદદ માગ્યા પછી જો કે તે હસતા મોઢા અને શાબ્દિક ચપરાક બંધ થયા. `વીણા ડાબા હાથે વળી જા, બે પગલું આગળ જા, લેફ્ટ લેફ્ટ, થોડું રાઈટ, હવે સામે, યુ આર ઓલ્મોસ્ટ ધેર, આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’… કહીને મને આખરે તે પોસ્ટર સુધી પહોંચાડી, હમણાં સુધી મારી હોશિયારીની ઐસી-તૈસી થવાથી ત્યાં પણ મેં લોચા માર્યા. કાનની જગ્યાએ નાક લગાવીને રુઆબથી મેદાનમાં ઊતરેલી હું નાસીપાસ થઈ ગઈ હતી. આ નાની રમતને કારણે આંખો ખુલ્લી હોય ત્યારની દુનિયા અને આંખો પર પટ્ટી લગાવ્યા પછીની દુનિયા વચ્ચેનું અંતર એકાદ સત્ય સામે આવીને ઊભું રહ્યું. આ રમતમાં વધુ મજાની વાત એ હતી કે થોડા ફરકથી દરેકની અવસ્થા મારા જેવી જ હતી. `શું મૂરખપણું ચાલી રહ્યું છે, હવે હું જુઓ કઈ રીતે મસ્ત સ્ટિકર લગાવું છું’ એવું કહીને દરેક જણ મેદાનમાં ઊતરતા હતા અને `લાગ્યું હતું તેટલું ઝડપથી ફાવ્યું નહીં, ઈટ્સ નૉટ ધૅટ ઈઝી’ એવું મનમાં ને મનમાં કહેતા હતા અને આંખો પરથી પટ્ટી કાઢવામાં આવતી ત્યારે ચહેરા પર તો તેવું દેખાતું હતું. `મને તે તુરંત ફાવવાનું હતું, પરંતુ તમને હસાવવા માટે મેં સમય પસાર કર્યો,’ એવી પોતાની નિષ્ફળતા પર કરેલો ઢાંકપિછોડો પણ જોવા મળ્યો. જો કે એકંદરે તે એટલું આસાન નહોતું એ દરેકને સમજાઈ ગયું હતું. આ ગેમ અમે `પિન ધ નોઝ’ તરીકે રમ્યાં હતાં.

બધાનું અંગ્રેજીકરણ થયું છે, પરંતુ તેનો હવે કોઈ ઈલાજ નથી. ઘરમાં અથવા શક્ય હોય ત્યાં આપણી માતૃભાષા બોલવાની અને આગળ લઈ જવાની. આ રમતને આપણે સ્કૂલમાં `ગધેડાને પૂંછ લગાવવી’ એવું કહેતાં હતાં. હમણાં પણ આંખો સામે ગામની શાળામાંનો તે ક્લાસ યાદ આવ્યો. સામે મોટું કાળું બોર્ડ, તેની પર ચોકથી સરે અથવા શિક્ષિકાએ અથવા ક્લાસમાં એક ઊભરતા ચિત્રકારે દોરેલું ગધેડાનું મોટ્ટું ચિત્ર. અને એક-એક કરીને આપણે આંખો પર પટ્ટી બાંધીને તે ગધેડાને પૂંછ લગાવવા માટે આગળ વધતાં. ક્લાસ તે એક કલાક જાણે લાફ્ટર ક્લબમાં ફેરવાઈ જતો. દેખાડા માટે હસવાનું નહીં પણ રીતસર પેટ પકડાવીને હસાવીને આંખોમાંથી પાણી લાવનારું અસલ હાસ્ય. આપણે આવી જ એક અન્ય રમત રમતાં, આંધળી કોથમીર. તેમાં પણ આવી જ મજા આવતી, જેની પર રાજ્ય રહેતું તેને અને રમતા હોય તેને પણ.`ઉઘડા ડોળે બધા નીટ’ (ખોલો આંખો જુઓ બરોબર) આ એક ટીવી ચેનલની ટેગલાઈન છે. સૌપ્રથમ તે આવી ત્યારે `અરે આવી તે કેવી આ લાઈન’ એવું લાગતું પણ ધીમે ધીમે તેમાંનો અર્થ સમજાવા લાગ્યો અને પછી તે લાઈન બોલ્ડ અને બ્યુટિફુલ બની ગઈ. આ જ લાઈન મને આ `પિન ધ નોઝ’ ગેમ પછી `આંખો બંધ કરો અને ખ્યાલને જગાવો’ એવી કરવાનું મન થાય છે. એટલે કે, મારા માટે તે મેં બદલી પણ નાખી. આમ પણ અજાણતા આપણે આવું કરતા હોઈએ છીએ.

અચાનક ઉદભવેલી એકાદ મુશ્કેલીનો સામનો કરતી વખતે ઘણી વાર આપણે ઘરમાં અથવા કાર્યાલયમાં એકાદ શાંત જગ્યાએ એકલાં બેસીએ છીએ, આંખો બંધ કરીએ છીએ, શાંત થઈએ છીએ, વિચાર કરીએ છીએ. મુશ્કેલી અથવા સંકટ આપણા લીધે આવ્યા હોય અથવા આપણી પર આવ્યા હોય તો તે બદલી શકાય નહીં. આથી `વ્હોટ્સ નેક્સ્ટ?’ આ પ્રશ્ન પર મનમાં મને મનમાં `આ કે તે?’ `કિંતુ પરંતુ’નો ઊહાપોહ કરીએ છીએ અને નિશ્ચિત રીતે ક્યાંક નિર્ણય પર પહોંચીએ છીએ. આંખ બંધ કર્યા પછી જ ખરેખર મહત્ત્વની બાબત દેખાવા લાગે છે. દિવસમાં થોડો સમય આપણે આ આંખ બંધ કરવા માટે આપવો જોઈએ. ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવશે.ખુલ્લી આંખ, બંધ આંખ, ચશ્માં લગાવેલી આંખો, સતત સામે જોનારી આંખો, સામે અને આસપાસ જોનારી આંખો, પાછળ વળીને જોનારી આંખો, ભૂતકાળના ચિત્રમાં રમતી આંખો, ભવિષ્યનું કાલ્પનિક ચિત્ર કુતૂહલથી જોઈને તેમાં દેહભાન ભુલાવનારી આંખો… બાપ રે બાપ! કેટલા પ્રકારની છે આ આંખો? આપણી આંખો કેવા પ્રકારની છે તે આપણે જ તપાસી લેવી જોઈએ. આ આંખોમાં હવે ઉમેરાઈ છે કેમેરાની આંખો. ટુર્સ પર અમને તેનો પરિચય થાય છે.

ક્યારેક-ક્યારેક કોઈક પર્યટક પોતાની ખુલ્લી આંખે એકાદ પર્યટન સ્થળના સૌંદર્યનો મન મૂકીને આનંદ લઈ શકતો નથી. સતત આપણી આંખોને કેમેરા, ફોટો મહત્ત્વના છે જ, તે ખુશીની યાદો છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ ફોટોમાં અને કેમેરામાં જ જો તે પર્યટનસ્થળ જોવાનું હોય તો પછી આટલા પૈસા ખર્ચ કરીને આવવું જ શા માટે આટલા દૂર. પર્યટનસ્થળના મસ્ત-મસ્ત ફોટોઝ અને વિડિયોઝે તો સોશિયલ મિડિયા અને ચિત્રપટ ભરેલા છે. મને અહીં ચિત્રકાર શામ જોશીની યાદ આવી. તેઓ એકાદ ટુર પર હતા. તેમણે મને પૂછ્યું, `શામકાકા તમારી પાસે કેમેરા નથી?’ તેમણે કહ્યું, `વીણા, હું આ સ્થળો ખુલ્લી આંખો જોઉં છું. તેનો આનંદ લઉં છું, મનમાં તેનાં ચિત્રો દોરું છું અને ઘરે ગયા પછી કેન્વાસ પર તે ચીતરું છું.’ તેમના તે શબ્દો આજે પણ જેમના તેમ યાદ છે. હું પણ ટુર પર ક્યારેક ફોનને વશ થઈ જાઉં છું, દે ધનાધન ફોટોઝ ખેંચવાનું શરૂ કરું છું, પરંતુ પછી એકદમ શામકાકાના શબ્દ યાદ આવે છે અને ભાનમાં આવું છું, મેં કેમેરા બંધ કરીને શાંતિથી ખુલ્લી આંખોથી તે પર્યટનસ્થળનો આનંદ લેવાનો પ્રયાસ કરું છું. હા, પ્રયાસ જ કહેવું જોઈએ, કારણ કે હાથ અજાણતા જ તે મોબાઈલ પાસે ખેંચાતો હોય છે. ગધેડાને પૂંછ લગાવવાની હોય કે આંધળી કોથમીરની રમત હોય, મને આ પોતાની અંદર ભાન જાગૃત કરનારી રમત લાગે છે. `ઈટ્સ નૉટ ઈઝી ઓલ્વેઝ’ આ વાસ્તવિકતાનું ભાન કરાવે છે. ખુલ્લી આંખો અને આંખો પર પટ્ટી આ બંને બાબતોમાં રહેલા જમીન-આસમાનના ફરકનું તે આપણને ભાન કરાવે છે. આંખોનું મહત્ત્વશું છે તે મનાવી આપે છે અને આ એક જ બાબત આપણને ભગવાન સામે નતમસ્તક થવાની ફરજ પાડે છે. ગધેડાને પૂંછ લગાવવી કે પછી`પિન ધ નોઝ’ હોય, કોઈ પણ ભાષામાં રમત હોય, તે ક્યારેક વચ્ચે વચ્ચે રમવી જોઈએ. આપણને ઈઝીલી મળેલી આંખોનું મહત્ત્વ આપણને સમજાવવું જોઈએ. જ્યારે પણ તે થશે ત્યારે પછી આપણી આંખો કોઈકની આંખ બની શકશે. પછી આઈ ડોનેશન માટે હોય કે ઓર્ગન ડોનેશન માટે, સરકારને કેમ્પેઈન કરવાની જરૂર પડશે નહીં.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

જગન્નાથ મંદિરમાં પ્રસાદ વિતરણ અંગે કેમ થયો વિવાદ? જાણો…

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં TMCએ દીઘામાં બનેલા જગન્નાથ મંદિરમાંથી પ્રસાદ વિતરણની જાહેરાત કરી હતી, જેને પગલે એક નવો વિવાદ ઉભો થયો છે. ભાજપે CM અને TMC પ્રમુખ મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેઓ 2026ની શરૂઆતમાં થનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા હિંદુ સમુદાયને રીઝવવા માટે રથયાત્રા ઉત્સવનું “રાજકીયકરણ” કરી રહ્યા છે. આ મામલાને લઈને ભાજપ અને TMC વચ્ચે રાજકીય ટકરાવ વધી ગયો છે.

ભાજપ વારંવાર TMC પર અલ્પસંખ્યકોના તુષ્ટિકરણનો આરોપ લગાવતો રહી છે. આ વિવાદમાં પણ ભાજપે મમતા સરકાર પર હલાલ પ્રસાદ વિતરણ કરવાનો તથા રાજ્ય સરકારનાં નાણાં અને મશીનરીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. TMC સરકારે રાજ્યભરમાં 10.4 મિલિયનથી વધુ ઘરો સુધી દીઘામાં જગન્નાથ ધામથી પ્રસાદનું ઘેરેઘર વિતરણની શરૂઆત કરી છે.

TMCએ પ્રસાદ વિતરણની જાહેરાત કરી હતી
શુક્રવારે TMCએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મમતા બેનર્જીની પહેલ પર દીઘાથી ભગવાન જગન્નાથનો દિવ્ય મહાપ્રસાદ હવે બંગાળમાં લોકોનાં ઘરો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. 27 જૂન સુધી નાગરિકો તેમના નજીકની રેશનની દુકાન પરથી પ્રસાદનું બોક્સ લઈ શકે છે. દરેક બોક્સમાં જગન્નાથજીનો ફોટો અને બે પરંપરાગત મીઠાઈઓ – પેંડા અને ગાજા છે. બન્નેની કિંમત 20 રૂપિયા છે, જે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી રહી છે. પેકેજિંગ અને વિતરણ માટે પણ સરકારે વધારાનું ફંડ આપ્યું છે.

ભાજપનો પલટવાર

મમતા બેનર્જીના પગલાનો સામનો કરવા ભાજપે યોજના ઘડી છે. વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી કે 27 જૂનથી શરૂ થતી રથયાત્રા દરમિયાન પાંચ દિવસ સુધી પુરીના જગન્નાથ મંદિરમાંથી લાવવામાં આવેલા પ્રસાદનું વિતરણ તામલુક શહેરના મંદિરમાંથી કરવામાં આવશે.

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

યુએસઍર-1549, મોન્ટેગોઍર-828 અને ઍરઈન્ડિયા 171…

12 જૂન ને ગુરુવારે, અમદાવાદથી લંડનના ગેટવીક ઍરપૉર્ટ જવા ઊડેલી ઍર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ના અકસ્માતમાં 274થી વધુનાં મોત નીપજ્યાં, માત્ર એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો. આ ઘટનાના પિસ્તાળીસ દિવસ થયે ઘટના મગજમાંથી ખસતી નથી. જીવનની ક્ષણભંગુરતા વિશે વિચારતાં હું લેપટોપ સામે બેઠો છું ત્યારે વિમાનદુર્ઘટના પર બનેલી કેટલીક હોલિવૂડની ફિલ્મ યાદ આવી જાય છે. લિસ્ટ તો લાંબું છે, પણ તત્ક્ષણ સાંભરે છે ‘મેનિફેસ્ટ’ અને ક્લિન્ટ ઈસ્ટવૂડ દિગ્દર્શિત સત્ય ઘટના આધારિત ‘સલી’. 15 જાન્યુઆરી, 2009ના રોજ યુએસ ઍરવેઝની ફ્લાઈટ 1549 ન્યૂ યૉર્કના લગ્વાડિયા ઍરપૉર્ટ પરથી ઉડાન ભરે રહે છે, પણ પક્ષીઓ એન્જિનમાં ઘૂસી જતાં વિમાન ગોથાં ખાવા માંડે છે. પાઈલટ સુલેનબર્ગર તત્કાળ નિર્ણય લઈને પ્લેનને હડસન નદીમાં (જેમાં વિશ્વવિખ્યાત મશાલ ઝાલીને ઊભેલી સ્વાતંત્ર્યની મૂર્તિ છે તેમાં) ઉતારે છે, બધા પ્રવાસી બચી જાય છે. આ ઘટનાની ઈન્ક્વાયરીમાં પાઈલટને પૂછવામાં આવે છે કે ‘વિમાનને ઍરપૉર્ટ પર લૅન્ડ કરવાના ચાન્સ હતા કે નહીં? શું નદીમાં ખાબકવું જરૂરી હતું?’ ફિલ્મમાં પાઈલટ સુલેનબર્ગરની ભૂમિકા ટૉમ હેન્ક્સે ભજવેલી. આ પ્રેરણાદાયી કથા એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં સુરક્ષાના નિયમો, બેદરકારીને પણ પ્રકાશમાં લાવે છે. સર્જક જાણે પૂછવા માગે છે કે પાઈલટ સુલેનબર્ગર નાયક હતા ખલનાયક?  

-અને હવે ‘મેનિફેસ્ટ’. આ સુપરનેચરલ ડ્રામા સિરિયલ અમેરિકાની એનબીસી ટીવીચૅનલ પર શરૂ થયેલી. અપાર લોકચાહના મેળવી ગયેલી આ સિરિયલ ત્રણ સીઝન પછી અચાનક બંધ થઈ ગઈ. ચાહકોને લાગ્યું કે હવે મહા-અંત અથવા ગ્રાન્ડ ફિનાલે ક્યારેય જોવા નહીં મળે. ત્યાં તો નેટફ્લિક્સે ‘મેનિફેસ્ટ’ના હક મેળવી લીધા, જેનાથી એના દર્શકોમાં મોટો વધારો થયો. એટલે પોરસાઈને નેટફ્લિક્સે 20 એપિસોડ્સની ચોથી સીઝન બનાવી. પહેલો પાર્ટ 2022ના નવેમ્બરમાં પ્રસારિત થયો, જ્યારે બીજો પાર્ટ 2023ના જૂનમાં. આ સિરીઝ સાયન્સ-ટેક્નોલોજીથી ફાટફાટ થતી 21મી સદીમાં ઈશ્વરના અસ્તિત્વ વિશે, ધાર્મિક માન્યતાઓ વિશે દર્શકને વિચાર કરતાં કરી મૂકે છે. જો કે અંત થોડો ગૂંચવડાભરેલો લાગ્યો.

કથાનક કંઈ આવું છેઃ મૉન્ટેગો ઍરની ફ્લાઈટ 828 જમૈકાથી ન્યુ યૉર્ક આવી રહી હોય છે. અચાનક તોફાની હવામાનમાં આખું વિમાન આકાશમાં ગાયબ થઈ જાય છે. પાંચ વર્ષ પછી એ ફ્લાઈટ 828 ન્યુ યૉર્ક લૅન્ડ થાય છે. લૅન્ડ થયા બાદ પ્રવાસીઓને ખબર પડે છે કે વિમાન જમૈકાથી ન્યુ યોર્ક પહોંચ્યું એ દરમિયાન પાંચ વર્ષ પસાર થઈ ગયાં છે. એમનો સમય પાંચ વર્ષ માટે થંભી ગયો હતો, પણ પરિવારજનો, મિત્રોનાં જીવન એમના વગર આગળ વધી ગયાં છે. આ પરિસ્થિતિમાં કેટલીક અસાધારણ કહેવાય મુશ્કેલીઓ આવે છે— દાખલા તરીકે અમુક પ્રવાસીની માતાનું અવસાન થઈ ગયું છે. કૅલ અને ઓલિવ નામનાં ટવિન્સ ભાઈ-બહેનમાં કૅલની ઉંમર એ જ છે, જ્યારે ઑલિવ પાંચ વર્ષ મોટી થઈ ગઈ છે.

ફ્લાઈટ 828 ધરતી પર પાછી આવી ત્યાર બાદ એના પ્રવાસીઓને ગેબી અવાજ સંભળાય છે, ધૂંધળાં દશ્યો દેખાય છે. સિરીઝમાં એને ‘કૉલિંગ’ નામ આપવામાં આવ્યું છે. ‘કૉલિંગ’ એક રીતે તો ઊગરી ગયેલા પ્રવાસીઓની કસોટી છે, જેમાં એમને સારાં કાર્ય કરવાની, પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની તક આપવામાં આવે છે.

પરત આવેલા પ્રવાસીઓને દેખાતાં ધૂંધળાં દશ્યો કે કાને પડતા ગેબી અવાજ જાણે ભાગ્યના સંદેશવાહક છે. એ તેમને ભાવિ ઘટનાઓ તરફ દોરી જાય છે. આ સંકેત રહસ્યોથી ભરેલાં છે. પ્રવાસીઓએ અવાજનું અર્થઘટન કરીને આગળ વધવાનું છે. જાણે નિયતિ પોતે એમને માર્ગ ચીંધી રહી છે. ધીરે ધીરે સ્પષ્ટ થાય છે કે આ કોઈ ઈશ્વરીય યોજના છેઃ ભગવાનમાં શ્રદ્ધા, જરૂરતમંદો પ્રત્યે અનુકંપા તથા નવી શરૂઆત કરવાની અદમ્ય ઈચ્છા નક્કી કરશે કે એ જીવતાં રહેશે કે નહીં.

અંતે કથા ત્યાં પહોંચે છે, જ્યાં ફ્લાઈટ 828 પાછી દેખાય છે. આખા પ્રવાસથી એ સમજાય છે કે દરેક કાળા માથાના માનવીએ કરેલાં પાપનો સ્વીકાર કરી, એનું પ્રાયશ્ચિત્ત કરી નવી શરૂઆત કરવી પડે છે. અને મુક્તિ-મોક્ષ માટે ક્ષમા (આપવી) પણ જરૂરી છે. સિરીઝમાં ફ્લાઈટ 828ના પર્વાસીઓને બાઈબલના શ્લોકો કે ચિહ્નો પણ દેખાય છે, જે દર્શાવે છે કે બધું હજાર હાથવાળા ઈશ્વરના ઈશારે જ થાય છે.

મારી કને પાકી બાતમી તો નથી, પણ કહે છે કે, મેનિફેસ્ટ એ ફ્લાઈટ MH-370ની ઘટનાથી પ્રેરિત છે. 8 માર્ચ, 2014ના રોજ મલયેશિયાની રાજધાની કુઆલા લમ્પુરથી બીજિંગ (ચીન) જવા ઊડેલા બોઈંગ 777 વિમાનમાં પ્રવાસીઓ, પાઈલટ-ક્રૂ મળીને 239 લોકો હતા. વિમાન અચાનક ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક ગુમાવી બેઠું. છેલ્લા રાડાર ડેટા પ્રમાણે વિમાન હિન્દ મહાસાગરમાં ગરક થઈ રહ્યું, પણ એ કયાં ગયું કે ક્યાં ડૂબ્યું એની આજ સુધી ખબર પડી નથી. ન તો પ્લેનના અવશેષ મળ્યા, ન બ્લૅક બૉક્સ કે ડેડબૉડી. આ વિમાનના ગાયબ થઈ જવાને એવિયેશન-ઈતિહાસનું સૌથી મોટું રહસ્ય માનવામાં આવે છે.

૨૭ જૂન ૨૦૨૫

માણસનો સ્વભાવ અને વાસ્તુદોષ

કેટલાક માનસિક રોગીઓને ખબર જ નથી હોતી કે એ બીમાર છે. મજાની વાત એ છે કે એમની આસપાસના લોકોને પણ ખબર નથી હોતી કે એ બીમાર છે. સતત ભ્રમણામાં રહેતા લોકો પોતાને કોઈ મહાન વ્યક્તિની જગ્યાએ કે કોઈ મોટી પ્રતિષ્ઠિત જગ્યાએ વિચારે છે. અને પછી પોતાની આસપાસના લોકોને એ માનવા મજબુર કરે છે. આજના દેખાડાના જમાનામાં લોકો એવું માની પણ લે છે કે એ વ્યક્તિઓ સાચું બોલે છે. મોટા માણસોના કાર્યક્રમોમાં સ્ટેજની નીચે ઉભા રહીને સેલ્ફી લઈને માની લેવું કે એ વ્યક્તિ પોતાને ઓળખે છે. એ પણ બીમારી જ ગણાય. આવા લોકોને સન્માન નહિ પણ સારવારની જરૂર હોય છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારી સોસાયટીમાં બે માણસો રહે છે. જે પોતાની જાતને પ્રધાનમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી માને છે. હું તો ફલાણા નેતાના છોકરાને મારે ત્યાં દારૂની પાર્ટીમાં બોલવું છુ. મારા એક અવાજે ભલભલા નેતાઓ ઝુકી પડે. એવા બણગા ફૂંક્યા કરે છે. જો કોઈ નેતાની સભા અમારી સોસાયટી પાસે થાય તો તરત જ જાણે પોતાની જ સભા હોય એવા ઉધામા લેવા માંડે. સોસાયટીમાં ખુલ્લી ગાડીમાં રોડ શો કરે. કપડા પણ એમના જેવા જ પહેરે. બધા નેતા એમને પૂછીને જ નિર્ણય લેતા હોય એવી વાર્તાઓ કરે. અને અમારા મુર્ખજનો એમની વાત માને પણ ખરા. વાહ, વાહ લખે એટલે પેલા લોકોને પ્રોત્સાહન મળે. કોઈ પૂછે કે તમે કયા દેશના વડાપ્રધાન છો? તો જવાબ આપવાના બદલે આંખ મારે.

સ્વતંત્રતા દિવસ પર ચોકીદાર પાસે પરેડ કરાવે અને ગાડીને શણગારીને ટેબ્લો બનાવરાવે. પછી લાંબા ભાષણો કરીને લોકોનું મગજ ખાઈ જાય. સાચી વ્યક્તિ બોલે તો લાગે કે બોલ્યાજ કરે. અને આ લોકો બોલે તો કાનમાં વાગે. મારી દ્રષ્ટીએ આને માનસિક રોગ જ કહેવાય. વળી કયા નેતા આવા લોકોને સલામ મારવા નવરા હોય? જો કોઈ ઓળખતું હોય તો એકાદ રાષ્ટ્રીય નેતાની ભલામણથી સોસાયટીને ફાયદો તો થાય જ. આવો સ્વભાવ કયા વાસ્તુ દોષથી થાય? એ એમની મેળે જ દવા કરાવવા જતા રહે એવો કોઈ ઉપાય ખરો?

હા, ગયા અઠવાડીએ કોર્પોરેશન દ્વારા પાલતું જાનવરોનું રજીસ્ટ્રેશન કરવા માટે નોટીસ આવી હતી. ત્યારે પણ મેં અપના કુત્તા નહિ દુંગા. અંગ્રેજો તુમ વાપિસ જાઓ જેવી બુમો પાડતા હતા.

જવાબ: આ એક માનસિક સમસ્યા છે. જેને delusion of grandeur કહે છે. જેમાં માણસ એવું માનવા લાગે છે કે એ જ સર્વેસર્વા છે. આવા લોકો સમાજ માટે હાનીકારક હોય છે. જોકે એની યોગ્ય સારવાર કરાવવામાં આવે તો એ સાજા થઇ શકે છે.

Hubris syndrome ધરાવતી વ્યક્તિઓને પણ આવી સમસ્યા થાય છે. વળી ક્યારેક LGBTQ plus વ્યક્તિઓને પણ પોતે કોઈ અલગ જીવ છે એવી ભાવના ઉભી થાય છે. જોકે આપણા દેશમાં આવી વ્યક્તિઓને માન્યતા મળી છે. પણ આવો વ્યવહાર સામાન્ય નથી.

બ્રહ્મનો વાસ્તુદોષ હોય ત્યારે વ્યક્તિને આવી સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યાનું ઉદ્ભવસ્થાન જાણ્યા પછી એનું નિરાકરણ ચોક્કસ કાઢી શકાય. એના માટે કોઈ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

સવાલ: અમારા ઘરમાં પૈસાની આવક અચાનક બંધ થઇ ગઈ છે. કોઈ પણ કામ થતા નથી. તો આના માટેનું નિવારણ આપશો.

જવાબ: જયારે કોઈ સાચી વ્યક્તિને દુખ પહોંચે ત્યારે આવું થઇ શકે. જે વ્યક્તિને અજાણતા પણ દુખ પહોંચ્યું હોય એની માફી માંગી લો. જો એ શક્ય ન બને તો કોઈ સાચા વિદ્વાન બ્રાહ્મણને ગમતી વસ્તુનું દાન આપો. અને એમની ક્ષમા માંગી લો.

સુચન: તમારી હાજરીમાં કોઈને દુખ પહોંચે એવો વ્યવહાર થાય અને તમે ચુપ રહો તો એ ક્રિયામાં તમે પણ ભાગીદાર ગણાવ. એની નકારાત્મકતા તમારા જીવનમાં પણ આવી શકે.

આપના સવાલ મોકલી આપો Email : vastunirmaan@gmail.com

Chitralekha Gujarati – 07 July, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

મોંઘી ખરી, પરંતુ મહાગુણકારી છે આ બદામ

પ્રશ્ન: બદામને શા માટે આખી રાત પલાળીને સવારે લેવી જોઈએ? ક્યારેક પલાળવાનું રહી જાય તો એ કાચી ઉપયોગમાં લઈ શકાય?

– નેહલ શાહ (અમદાવાદ)

ઉત્તર: બદામને પાણીમાં પલાળી રાખવાથી એનું ડાઈજેશન (પાચન) અને એબ્ઝોર્પ્શન (અવશોષણ) વધુ સારી રીતે થઈ શકે છે. આ ઉપરાંત, બદામને પાણીમાં છથી સાત કલાક પલાળી રાખવાથી એમાં રહેલા એન્ઝાઈમના શરીરમાં થતા ઉપયોગને અવરોધનારાં પરિબળોનો નાશ થાય છે અને ન્યુટ્રિયન્ટ્સનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શકે છે. બદામની છાલને કાઢીને ઉપયોગમાં લેવી જોઈએ, જેથી એમાંથી હાનિકારક તત્ત્વોનો નિકાલ થઈ શકે. પલાળેલી બદામની છાલ આસાનીથી કાઢી શકાય છે આથી પણ બદામને પલાળીને ઉપયોગમાં લેવાનું સૂચવવામાં આવે છે.

જો કે એનો અર્થ એવો નથી કે તમે ફક્ત પલાળેલી બદામ જ લઈ શકો. અગર કોઈ કારણસર એને પલાળી ના શકાય તો કાચી બદામ પણ ગુણકારી તો છે જ. એની પોષણકીય વૅલ્યૂ થોડી ઘટે છે, પરંતુ એ ચોક્કસપણે લઈ શકાશે. બદામ એ પ્રોટીન, ફાઈબર્સ તેમ જ હેલ્ધી ફૅટ ધરાવે છે. એ ઉપરાંત, એમાં વિટામિન ઈ, કૅલ્શિયમ અને સારા પ્રમાણમાં મિનરલ્સ છે આથી એનો નિયમિત ઉપયોગ કરી શકાય. રોજની ૨૦થી ૨૮ ગ્રામ જેટલી બદામ લેવાનું સૂચવવામાં આવે છે. થાઈરોઈડ ધરાવતી વ્યક્તિ બદામનો ઉપયોગ ન કરે એ હિતાવહ છે.

પ્રશ્ન: મારી દીકરીને ટાઈફોઈડ થયો છે અને તબીબે એને અનાજ ન આપવાનું સૂચવ્યું છે. આ પરિસ્થિતિમાં એને કયા પ્રકારનો આહાર આપી શકાય?

– રીટા કોટક (રાજકોટ)

ઉત્તર: ટાઈફોઈડ દરમિયાન દરદીને હળવો એટલે કે પચવામાં સહેલો હોય એવો આહાર આપવો જોઈએ, કારણ કે આ બીમારી લીવર, પેન્ક્રિયાઝ તેમ જ આંતરડાંને અસર કરે છે, જેના દ્વારા પાચન શક્ય બને છે. શરીરના આ ભાગોને રાહત આપવા માટે હળવો ખોરાક લેવો જોઈએ, જેમ કે ભાત, ખીચડી, બાફેલાં બટેટાં જેવો કાર્બોહાઈડ્રેટયુક્ત  આહાર. આ સાથે સારી ગુણવત્તાવાળું પ્રોટીન મળે એ પણ જરૂરી છે. એ માટે સારી રીતે બફાયેલા મગ તેમ જ મગનું પાણી, ટોફુ, રોસ્ટેડ પનીર, વગેરેનો ઉપયોગ કરી શકાય. ઈંડાનો સફેદ ભાગ (એગ વ્હાઈટ) પણ આપી શકાય. ડિહાઈડ્રેશન ન થાય એ માટે પૂરતા પ્રમાણમાં પાણી, તાજાં ફળોનો જ્યુસ, નાળિયેરપાણી, હર્બલ ટી, બ્લૅક કૉફી, સૂપ, વગેરે લેતાં રહેવું.

વધુપડતો તીખો, તળેલો તથા કાચો આહાર પાચનશક્તિને અવરોધે છે આથી આવા પ્રકારના ખોરાકનો ઉપયોગ ટાળવો. સારી રીતે બફાયેલાં શાકભાજી જેવાં કે બટેટાં, ગાજર, ફણસી, મશરૂમ, વગેરેનો ઉપયોગ કરી શકાય. પાકેલાં કેળાં, સક્કરટેટી, તરબૂચ, સફરજન જેવાં ફ્રૂટ્સ પણ લઈ શકાય. તેલ, ઘી, બટર, ચીઝનો ઉપયોગ ટાળવો. રસોઈમાં પણ બને એટલો તેલ-ઘીનો ઉપયોગ ઓછો કરવો, જેથી ખોરાક પચવામાં આસાન રહે.

પ્રશ્ન: મને ખૂબ પાણી પીવાની આદત છે. મારો પ્રશ્ન એ છે કે દિવસ દરમિયાન કેટલું પાણી લેવું જોઈએ? અગર એનું પ્રમાણ વધુ કે ઓછું હોય તો એની આડઅસર થઈ શકે?

– સેજલ દલાલ (મુંબઈ)

ઉત્તર: નૉર્મલ વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર એટલે કે બારથી ૧૪ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી એ આપણી પ્રાથમિક જરૂરત છે, જેના દ્વારા આપણે રિહાઈડ્રેટ થઈ શકીએ છીએ.

પાણી આપણા શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે, બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે અને કિડનીને સાફ રાખવામાં મદદ કરે છે. આમ, પાણી દ્વારા આપણે શરીરને હેલ્ધી રાખી શકીએ છીએ. આથી જ એનું પ્રમાણ અગર ઓછું હોય તો આ ફાયદામાં વિપરીત અસર થઈ શકે છે. શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે.

બીજી બાજુ, પાણીનું પ્રમાણ વધુ થાય ત્યારે એ વધારાના પ્રવાહી રૂપે યુરિન દ્વારા નિકાલ પામે છે. પાણી વધુ પીવાથી ચોક્કસપણે નૉર્મલ વ્યક્તિને એ નુકસાન નહીં કરે, પરંતુ અગર કોઈ વ્યક્તિને કિડનીની અથવા તો લીવરને લગતી કે પછી હૃદયની અમુક પ્રકારની બીમારી હોય તો એ સ્થિતિમાં પ્રવાહીનું નિયંત્રણ લાદવામાં આવે છે, કારણ કે આ પ્રકારની વ્યાધિમાં પાણીનું વધુપડતું પ્રમાણ શરીરને નુકસાન કરી શકે છે.

હેલ્થ ટિપ્સ:

દેશના અનેક વિસ્તારોમાં મેઘરાજાની વિધિવત્ પધરામણી થઈ ગઈ છે તેમ છતાં વચ્ચે વચ્ચે ઉનાળા જેવો આકરો તડકો પણ પડે છે. આવી વિચિત્ર ઋતુ આરોગ્ય માટે બહુ સારી નહીં. પાંચ-સાત દિવસ પથારીભેગા કરી રાખે એવા તાવના વાયરા ઉપરાંત હવે અમુક પાણીજન્ય રોગ પણ દેખા દેવા લાગ્યા છે. બહેતર છે કે બહારનું ખાવાનું ટાળો અને પાણી ઉકાળીને પીવો.

ચોમાસામાં માપસર ભજિયાં-પકોડા ખાવ એનો વાંધો નહીં, પણ સાથે આ સીઝનમાં મળતાં શાકભાજી અને ફ્રૂટ્સ પણ ખાવાનું રાખજો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)