Home Blog Page 686

અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ભાગીદારી માટે સમજૂતી કરાર કર્યા

અમદાવાદઃ  અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીઝ લિમિટેડ (ADSTL) એ સંયુક્ત સાહસ કંપની હોરિઝોન એરો સોલ્યુશન્સ લિમિટેડ મારફતે અને પ્રાઇમ એરો સર્વિસિઝ LLP સાથે ભાગીદારીમાં ઇન્ડામેર ટેક્નિક્સ પ્રાઇવેટ લિમિટેડ (ITPL) માં 100 ટકા હિસ્સો મેળવવા માટે સમજૂતી કરાર કર્યો છે. હોરિઝોન એ ADSTL અને પ્રાઇમ એરો (પ્રજય પટેલની માલિકીની કંપની) વચ્ચે 50-50 ટકાનું ભાગીદારીનું સંયુક્ત સાહસ છે.

નાગપુરના MIHAN વિશેષ આર્થિક ઝોન (SEZ)માં વ્યૂહાત્મક રીતે સ્થિત ITPL એ 30 એકરના પ્લોટ પર આધુનિક ગ્રીનફિલ્ડ સુવિધા ઊભી કરી છે. આ પ્લાન્ટમાં 10 હેંગર સાથે 15 વિમાન રાખવાની ક્ષમતા છે. ITPLને DGCA, FAA (US) અને અન્ય વૈશ્વિક નાગરિક એવિયેશન રેગ્યુલેટર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. કંપની ભારતીય અને વૈશ્વિક અગ્રણી ગ્રાહકોને લીઝ રિટર્ન ચેક, હેવી C-ચેક, સ્ટ્રક્ચરલ રિપેર અને એરક્રાફ્ટ પેઇન્ટિંગ સહિતની MRO સેવાઓ પ્રદાન કરે છે.

ભારતીય એવિયેશન ઉદ્યોગે અદભુત ટ્રાન્સફોર્મેશન જોયું છે અને મુસાફરોની અવરજવર અનુસાર વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આગામી વર્ષોમાં ભારતીય કેરિયર્સ 1500 કરતાં વધુ વિમાનો ઉમેરશે, જે એવિયેશન માટે નવા યુગની શરૂઆત છે. આ હસ્તાંતરણ ભારતને અગ્રણી વૈશ્વિક MRO ગંતવ્ય તરીકે સ્થાપિત કરવાની અમારી યાત્રામાં આગામી પગલું છે. અમે વિશ્વ સ્તરીય ગુણવત્તા ધોરણો અને ગ્રાહક સંતોષ પર આધારિત એક સિંગલ-પોઇન્ટ એવિયેશન સર્વિસિસ પ્લેટફોર્મ બનાવવાનું ધ્યેય ધરાવીએ છીએ. ભારતના આકાશના ભવિષ્યને આકાર આપવા અમે પ્રતિબદ્ધ છીએ, એમ અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર જીત અદાણીએ કહ્યું હતું.

આ હસ્તાંતરણ વ્યાવસાયિક અને સંરક્ષણ બંને એવિએશન ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરતી સંપૂર્ણ MRO ઓફર પ્રદાન કરવાની અમારી દ્રષ્ટિમાં એક મહત્વપૂર્ણ તબક્કો છે. એર વર્ક્સને અમારી પોર્ટફોલિયોમાં ઉમેર્યા બાદ આ પગલું અમારી ક્ષમતા અને MRO ક્ષેત્રમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવે છે, એમ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના CEO  આશિષ રાજવંશીએ કહ્યું હતું.

અમે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સાથે ભાગીદારી કરીને ઇન્ડામર ટેક્નિક્સને નવી ઊંચાઇ પર લઈ જવા ઉત્સાહિત છીએ. આ સહકાર એન્જિનિયરિંગ કુશળતા સાથે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસની પૂંજીને જોડે છે. અમારું સંયુક્ત લક્ષ્ય એ છે કે ભારતમાંથી એક વિશ્વ સ્તરીય MRO  ઇકોસિસ્ટમ બનાવવી, જે વૈશ્વિક સ્તરે ગ્રાહકો અને સ્ટેકહોલ્ડર્સને અસાધારણ મૂલ્ય પ્રદાન કરે, એમ પ્રાઇમ એરો અને ઇન્ડામર ટેક્નિક્સના ડિરેક્ટર પ્રજય પટેલે જણાવ્યું હતું.

UPના ફતેહપુરમાં મકબરા-મંદિર વિવાદથી વધ્યું ટેન્શન

લખનૌઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં આવેલા એક મકબરા અંગે મોટો વિવાદ ઊભો થયો હતો. હિંદુ સંગઠનોના સભ્યોએ મકબરામાં કથિત રીતે તોડફોડ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ વિવાદાસ્પદ માળખું એક મંદિર પર બનાવવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસને આખા વિસ્તારમાં ભારે પોલીસ અને PAC દળ તૈનાત કરી દીધા છે. આ વિવાદાસ્પદ સ્થળની આસપાસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

મુખલાલ પાળના નેતૃત્વમાં હિંદુ જૂથોએ નવાબ અબ્દુલ સમદના મકબરાની અંદર એક શિવ મંદિર હોવાનો દાવો કર્યો હતો અને પૂજા કરવાની યોજના બનાવી હતી. એ કારણે ત્યાં વિવાદ ઊભો થયો. સોમવાર સવારે ફતેહપુરના વિવાદાસ્પદ સ્થળે પૂજા-અર્ચના કરવા માટે હિંદુ સંગઠનોના હજારો લોકો ભેગા થયા. તેમણે જબરદસ્તી પહેલી બેરિકેડ પાર કરી લીધી, જ્યારે બીજી બેરિકેડ પર પોલીસ દળે તેમને રોકી દીધા હતા. હિંદુ સંગઠનો આ સ્થળને મંદિર ગણાવે છે, જ્યારે મુસ્લિમોએ તેને મકબરો જાહેર કર્યો છે. આ વિવાદ સદર તાલુકાના રેડિયા વિસ્તારના અબુનગરમાં આવેલા માળખા અંગે છે.

મુખલાલ પાળે કહ્યું હતું કે અમારા મંદિરના સ્વરૂપને મસ્જિદમાં બદલી દેવામાં આવ્યું છે. અમે સનાતન હિંદુઓ તેને સહન નહીં કરીએ. કમળનું ફૂલ અને ત્રિશૂલ જેવા સ્પષ્ટ નિશાન છે. અમે કોઈ પણ કિંમતે મંદિરમાં પૂજા-અર્ચના કરીશું.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પ્રશાસને સ્વીકાર્યું છે કે આ માળખું ક્યારેય મંદિર હતું અને ચેતવણી આપી કે જો પૂજા કરવાથી રોકવામાં આવશે તો સરકાર જવાબદાર રહેશે. તેમણે કહ્યું હતું  કે અમે શાંતિપ્રિય લોકો છીએ, પરંતુ જો અમારે અમારા ધર્મ માટે લડવું પડે, તો અમે દરેક રીતે તૈયાર છીએ. આ વિવાદ કથિત રીતે 1,000 વર્ષથી પણ વધુ જૂનો છે.

જુઓ વીડિયો: અસિત મોદી અને દયાબેન એકબીજાને પગે લાગ્યા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ શોમાંનો એક છે. આ લોકપ્રિય સિટકોમે ઘણા સ્ટાર્સને ઓળખ આપી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ પણ આ સિરિયલને અલવિદા કહી દીધું છે, જેમાં દયાબેન એટલે કે દિશા વાકાણીનો સમાવેશ થાય છે. નિર્માતાઓ લાંબા સમયથી દિશા વાકાણીને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ચાહકો પણ તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા લાવવાના અસિત મોદીના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. એવામાં અસિત મોદીએ એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા પછી ચાહકો ફરી એકવાર આશા વ્યક્ત કરી રહ્યા છે કે દિશા ટૂંક સમયમાં શોમાં પાછા ફરી શકે છે.

અસિત મોદીએ દિશા વાકાણીને રાખડી બાંધી

વાસ્તવમાં, અસિત મોદીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં દિશા વાકાણી પણ તેમની સાથે જોવા મળી રહી છે. રક્ષાબંધન પ્રસંગે અસિત મોદી દિશા વાકાણીને મળ્યા હતા અને તેમને રાખડી પણ બાંધી હતી. આ દરમિયાન તેમની પત્ની નીલા મોદી પણ તેમની સાથે હતી. બધા પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે દિશા હવે તારક મહેતાનો ભાગ ન હોવા છતાં, અસિત મોદી સાથે તેમનો પ્રેમાળ ભાઈ-બહેનનો સંબંધ યથાવત છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

વીડિયો શેર કરતી વખતે અસિત મોદીએ ખૂબ જ સુંદર કેપ્શન પણ લખ્યું છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે,’કેટલાક સંબંધો ભાગ્ય દ્વારા બનેલા હોય છે… તે લોહીનો સંબંધ નથી, પણ હૃદયનો સંબંધ છે! #dishavakani ફક્ત અમારી ‘દયા ભાભી’ નથી, પણ મારી બહેન છે. વર્ષોથી હાસ્ય, યાદો અને નિકટતા વહેંચતો આ સંબંધ પડદાની બહાર ગયો છે. આ રાખડી, એ જ અતૂટ વિશ્વાસ અને એ જ ઊંડો સ્નેહ ફરી એકવાર અનુભવાયો… આ બંધન હંમેશા આજે જેટલું મધુર અને મજબૂત રહે તેવી પ્રાર્થના.’

યુઝર્સ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અસિત મોદી દ્વારા શેર કરાયેલા વીડિયો પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી અને આશા વ્યક્ત કરી કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરી શકે છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘દયાબેન ગુમ થઈ રહી છે, તે ક્યારે પાછી ફરી રહી છે?’ બીજાએ લખ્યું, ‘દયા ભાભી જલ્દી પાછી આવો, બધા તમને યાદ કરી રહ્યા છે.’ બીજા યુઝરે લખ્યું,’હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસી નિશ્ચિત છે.’ જોકે, તાજેતરમાં જ અસિત મોદીએ દયાબેનના શોમાં પાછા ફરવા વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે હવે આ પાત્ર માટે નવી અભિનેત્રી શોધી રહ્યા છે.

આ બંધારણને બચાવવા માટેની લડતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહોના વિરોધ પક્ષના સાંસદોએ સોમવારે સંસદ ભવન ખાતે આવેલા મકર દ્વારથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી.  આ માર્ચ સવારે 11:30 વાગ્યે શરૂ થઈ અને ટ્રાન્સપોર્ટ ભવનમાંથી પસાર થઈ હતી. દિલ્હી પોલીસે આ માર્ચને અટકાવી હતી. કોંગ્રેસ સાંસદ શશિ થરુર કહે છે, મારા માટે આ મુદ્દો ખૂબ સરળ છે. રાહુલ ગાંધી એ કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, તે ગંભીર જવાબના હકદાર છે. ચૂંટણી પંચની માત્ર દેશ પ્રત્યે જ નહીં, પરંતુ પોતાના પ્રત્યે પણ જવાબદારી છે કે દેશની પ્રજાના મનમાં અમારી ચૂંટણીની વિશ્વસનીયતા અંગે કોઈ સંશય ન રહે. ચૂંટણી સમગ્ર દેશ માટે મહત્વની છે. આપણું લોકશાહી એટલું અમૂલ્ય છે કે તેને આ સંશયથી જોખમમાં મૂકી શકાય નહીં કે ક્યાંક ડુપ્લિકેટ મતદાન તો નથી, ક્યાંક ઘણાં સરનામાં તો નથી કે ક્યાંક ખોટા મત તો નથી. જો લોકોના મનમાં કોઈ સંશય છે, તો તેનો ઉકેલ કરવો જોઈએ. આ પ્રશ્નોના જવાબ મળી શકે છે, પરંતુ તે જવાબ વિશ્વસનીય હોવા જોઈએ. મારી માત્ર એટલું જ વિનંતી છે કે ચૂંટણી પંચ આ પ્રશ્નોને લઈને તેનો ઉકેલ કરે.

અખિલેશ યાદવ બેરિકેડ પરથી કૂદ્યાસમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દિલ્હી પોલીસે બિહારની મતદાર યાદીના ખાસ ઘનિષ્ઠ પુનરીક્ષણ (SIR) અને 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાર ઠગાઈના આક્ષેપોના વિરોધમાં સંસદથી ભારત ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢી રહેલા ઈન્ડિયા બ્લોકના નેતાઓને અટકાવ્યા ત્યારે પોલીસના બેરિકેડ પરથી કૂદી ગયા. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત અને સાગરીકા ઘોષ સહિત અન્ય ઈન્ડિયા બ્લોક સાંસદોને ધરપકડમાં લીધા હતા.

મલ્લિકાર્જુન ખડગેની ધરપકડ

કોંગ્રેસ અધ્યક્ષને પોલીસે ધરપકડમાં લીધા. આજે મત ચોરીના વિરોધમાં ઈન્ડિયા ગઠબંધનના સાંસદો ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢી રહ્યા હતા. મોદીએ પોલીસ મોકલીને તેમની અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તાનાશાહ સરકાર યાદ રાખે — અમે ડરવાના નથી, લોકશાહીની રક્ષા માટે અડગ રહીશું.

‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ ૨૮ આદિવાસી બાળકો ઈસરોની મુલાકાતે

તાપી: રવિવાર જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે ’તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઈસરોના પ્રવાસે જઈ રહેલા ૨૮ આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો. સુરત એરપોર્ટના સભાગૃહમાં તેમણે બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

જિલ્લાની 15 સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી બાળકો 10 થી 13 ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે સુરત એરપોર્ટ પરથી રવાના થયા હતા.

વિદ્યાર્થીઓને યાદગાર અને મંગલમય પ્રવાસ માટે શુભેચ્છા આપતા મુકેશભાઈએ રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકો માટે કરાયેલી આ નવીન પહેલ માટે તાપી જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચેન્નઈ ઈસરો ખાતેના શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓને ’લર્ન વિથ ફન’, આનંદ સાથે કંઈક નવું શીખવાની પ્રેરણા આપી હતી. તેમણે બાળકોને ઈસરોના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લેવા તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રવાસ બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિચારશક્તિ વિકસાવવા મદદરૂપ થશે. ઈસરોની મુલાકાત વિજ્ઞાન ક્ષેત્રમાં કંઈક નવું કરવા, ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થશે. ઈસરો મુલાકાતની મળેલી તકનો સવિશેષ લાભ લઈ મહત્તમ જ્ઞાન મેળવવા બાળકોને જણાવવામાં આવ્યું હતું.દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલમેન ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામથી પ્રેરિત થઈ શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને ગામ–રાજ્ય સહિત દેશનું નામ વિશ્વફલક પર ઉજ્જવળ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તાપીથી પ્રવાસ કરી ઇસરોની સાથે ચેન્નઈ સ્થિત પ્લેનેટેરિયમ અને ઝુઓલોજિકલ પાર્કની મુલાકાતે જનાર આ વિદ્યાર્થીઓને યાદગાર સંભારણા તરીકે એક સ્મરણ પુસ્તિકા બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

બેસ્ટ ૨૮માં મોટી સંખ્યામાં દીકરીઓને પસંદગી કરવામાં આવી છે, જે એક પ્રેરણાદાયક વાત છે. મુકેશભાઈએ વિદ્યાર્થીઓને વડાપ્રધાનને ઈસરોના યાદગાર પ્રવાસના અંગત અનુભવો વર્ણવતો પત્ર લખવાનું સૂચન કર્યું હતું.

અમેરિકાથી 15 વર્ષમાં 15,000 ભારતીયોને પરત મોકલાયા

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત આવ્યા બાદથી અમેરિકા 1700થી વધુ ભારતીય નાગરિકોને પરત મોકલી ચૂક્યું છે. કેન્દ્રએ જણાવ્યું છે કે પરત મોકલાયેલા લોકો સાથે કરવામાં આવતા વર્તન અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિઝા મળવામાં થતા વિલંબ અંગે સરકારે વોશિંગ્ટન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ, 2009થી 2024 સુધી એટલે કે 15 વર્ષમાં કુલ 15,564 ભારતીય નાગરિકોને ચાર્ટર્ડ અને વ્યાપારી ઉડાનો મારફતે અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે.

વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે સંસદના ચોમાસુ સત્રમાં DMK સાંસદ કનિમોઝી કરુણાનિધિ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 20 જાન્યુઆરીથી 22 જુલાઈ વચ્ચે કુલ 1703 ભારતીય નાગરિકોને અમેરિકી સરકારે ડિપોર્ટ કર્યા હતા. આ ભારતીયોમાં 1562 પુરુષો અને 141 મહિલાઓ હતી.

ડિપોર્ટ કરવામાં આવેલાની સૌથી વધુ સંખ્યા પંજાબ (620)માંથી હતી, ત્યાર બાદ હરિયાણા (604) અને ગુજરાત (245)નો ક્રમ હતો. સરકારે જણાવ્યું કે 5, 15 અને 16 ફેબ્રુઆરીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સૈન્ય) ઉડાનો મારફતે 333 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે માર્ચ અને જૂનમાં 231 ભારતીયોને લાવવામાં આવ્યા, જ્યારે જુલાઈમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ની ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે 300 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.

વિદેશ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા મુદ્દે અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને અધિકારીઓએ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થી વિઝા માટેની વધારાની સુરક્ષા જરૂરિયાતોને કારણે ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ્સની વિઝા પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થી વિઝાની નિમણૂક હજી પણ ખુલ્લી છે. J-1 ફિઝિશિયન કેટેગરી માટે, અમેરિકાએ નિમણૂકોને પ્રાથમિકતા આપવા માટે સોફ્ટવેર આધારિત ઉકેલ શરૂ કર્યો છે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને નિમણૂક મળી ગઈ છે.

 

‘પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ ક્યાં અને કઈ હાલતમાં છે?’ સંજય રાઉતનો અમિત શાહને સવાલ

શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. શિવસેના સાંસદે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશે જાણવા માટે આ પત્ર લખ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેમનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હકીકતમાં, ધનખડે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

10 ઓગસ્ટના રોજ અમિત શાહને લખેલા પત્રમાં સંજય રાઉતે કહ્યું હતું કે, “આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વિશે કોઈ માહિતી નથી. તેઓ હાલમાં ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય કેવું છે? આ બાબતો પર કોઈ સ્પષ્ટતા નથી. રાજ્યસભાના કેટલાક સભ્યોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.” શિવસેના-યુબીટી નેતાએ સોમવારે એક્સ પર આ પત્ર શેર કર્યો હતો.

દેશ આ પ્રશ્નોનું સત્ય જાણવાને લાયક છે
રાઉતે કહ્યું કે દિલ્હીમાં અફવાઓ ફેલાઈ રહી છે કે ધનખડને તેમના નિવાસસ્થાને કેદ કરવામાં આવ્યા છે અને તેઓ કથિત રીતે સુરક્ષિત નથી. તેમણે કહ્યું,‘તેમની સાથે કે તેમના સ્ટાફ સાથે કોઈ સંપર્ક થયો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે.’ તેમણે કહ્યું, ‘આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિનું શું થયું? તેઓ ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય કેવું છે? શું તેઓ સુરક્ષિત છે? દેશને આ પ્રશ્નોનું સત્ય જાણવાનો હક છે.’

ઉદ્ધવ ઠાકરેએ ધનખડ વિશે પણ પૂછ્યું
ગત અઠવાડિયે, શિવસેના-યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ ધનખડ વિશે પૂછ્યું હતું. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,‘ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હવે ક્યાં છે? આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.’ રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે ઉપલા ગૃહમાં તેમના કેટલાક સાથીદારો સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવાનું વિચારી રહ્યા છે, કારણ કે તેઓ ખરેખર ધનખડ વિશે ચિંતિત છે.

રાઉતે વધુમાં કહ્યું,’સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરતા પહેલા મેં તમારી પાસે આ માહિતી માંગવાનું યોગ્ય માન્યું. મને આશા છે કે તમે મારી લાગણીઓને સમજશો અને ધનખડના હાલના ઠેકાણા, તેમની સલામતી અને સ્વાસ્થ્ય વિશે વાસ્તવિક માહિતી પ્રદાન કરશો.’

નોઇડામાં ડે-કેરમાં 15 મહિનાની બાળકી સાથે હેવાનિયત

નવી દિલ્હીઃ નોઈડાની હાઈટેક સિટીમાં આવેલા એક ડે-કેર સેન્ટરમાં 15 મહિનાની બાળકીને એક એટેન્ડન્ટે માર માર્યાનો વિડિયો વાઇરલ થયો છે. આ બર્બરતા એ બાળકીની સંભાળ માટે રાખવામાં આવેલી મહિલાએ જ કરી હતી. CCTVમાં ડે-કેરની મેઇડ બાળકીને મારતી અને તેને જમીન પર ફેંકતી દેખાય છે. એટલું જ નહીં, તેણે બાળકીને અનેક જગ્યાએ દાંતથી બચકાં ભર્યાં હતાં. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને આરોપી મહિલાની ધરપકડ છે. CCTV ફુટેજમાં મેઇડની હરકતો જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે.

આ મામલે ડે-કેરના માલિક વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે, જે કહેવાય છે કે આ બધું જોઈ રહ્યો હતો, પણ તેણે કોઈ હસ્તક્ષેપ કર્યો નહોતો. પારસ તિયરિયા- બાળકીની માતાએ ગુરુવારે સેક્ટર 142 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપીની ઓળખ ડે-કેર “બ્લિપ્પી”ની માલિક ચારુ અને શાહદરા ગામની એટેન્ડન્ટ સોનાલી તરીકે કરી. આ બાળકી મે મહિનાથી દરરોજ બે કલાક માટે ડે-કેરમાં આવતી હતી. સોમવારે જ્યારે માતા પોતાની દીકરીને લેવા આવી ત્યારે તેણે જોયું કે તે અસામાન્ય રીતે વ્યાકુળ હતી. ઘરે પહોંચ્યા પછી તેણે દીકરીની જાંઘ પર બચકાં ભર્યાંનાં નિશાન જોયાં હતા.

જ્યારે ડોક્ટરે ખાતરી કરી કે આ ખરેખર માનવીના દાંતના નિશાન છે, ત્યારે તે ડે-કેર પહોંચી અને CCTV ફુટેજ બતાવવાની માગ કરી. આ ફુટેજમાં ચોંકાવનારી ઘટનાઓનો ક્રમ સામે આવ્યો. સોનાલી બાળકીને થપ્પડ મારી રહી હતી, તેને જમીન પર ફેંકી રહી હતી, પ્લાસ્ટિકના બેટથી મારી રહી હતી અને તેને બચકાં ભરી રહી હતી. જ્યારે માતાએ આ બાબતે ડે-કેરની માલિક ચારુ સાથે વાત કરી, ત્યારે સોનાલી અને ચારુએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી પણ આપી. વિડિયો ફુટેજનો ઉલ્લેખ કરતાં માતાએ કહ્યું હતું કે તેની દીકરીના જોરજોરથી રડવા છતાં ચારુએ તેની કોઈ સંભાળ લીધી નહોતી કે તેને શાંત કરવાની કોશિશ કરી નહોતી.

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ હવે થશે રિલીઝ.. મેકર્સે અપનાવ્યો આ પેંતરો

પહેલગામ હુમલા પછી વાણી કપૂર અને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ ની રિલીઝ રદ કરવામાં આવી હતી. રિલીઝ પહેલા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ રિલીઝ કરવાનું ટાળ્યુ હતું. સોશિયલ મીડિયા પરથી તેના સંબંધિત બધી પોસ્ટ્સ, ગીતો, ટ્રેલર અને ટીઝર પણ દૂર કરી દીધા હતા. પરંતુ હવે એવી ચર્ચા છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ ભારતમાં 9 મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પહેલગામ હુમલા અને પછી ઓપરેશન સિંદૂરને કારણે તેની રિલીઝ રદ કરવામાં આવી હતી. પરંતુ હવે એવું લાગે છે કે ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચી શકે છે.

બિઝ એશિયા લાઈવના અહેવાલ મુજબ ફવાદ ખાન અને વાણી કપૂર અભિનીત ફિલ્મને રિલીઝ કરવા માટે નિર્માતાઓએ દિલજીત દોસાંજની રણનીતિ અપનાવી છે. અબીર-ગુલાલ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ચોથી બોલિવૂડ ફિલ્મ હશે, જે આ મહિને વિશ્વભરમાં રિલીઝ થઈ શકે છે. તાજેતરમાં, દિલજીત દોસાંજની ફિલ્મ ‘સરદાર જી 3’ ભારત સિવાય વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. તેનું કારણ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર હતી, જે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

સરદાર જી 3 ભારતમાં રિલીઝ થઈ ન હતી

પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારતીયોની ભાવનાઓને માન આપીને ‘સરદાર જી 3’ ના નિર્માતાઓએ ભારતમાં રિલીઝ કરી ન હતી, છતાં આખી ફિલ્મ ટીમને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સરદાર જી 3 રિલીઝ કરવાના નિર્ણયને કારણે દિલજીતની સૌથી વધુ ટીકા થઈ હતી. તેમ છતાં, આ ફિલ્મ ખૂબ જ સફળ રહી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ₹70.10 કરોડની કમાણી કરી, જેનાથી તે વિદેશમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય પંજાબી ફિલ્મ બની.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

હવે ‘અબીર ગુલાલ’ના નિર્માતાઓ પણ આ જ રણનીતિ અપનાવવાનું વિચારી રહ્યા છે. અહેવાલ મુજબ, ‘અબીર ગુલાલ’ 29 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. એવા પણ સમાચાર છે કે ફિલ્મનું નામ બદલવામાં આવશે. પહેલગામ હુમલા પછી વાણી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ ફિલ્મ સંબંધિત બધી પોસ્ટ્સ દૂર કરી દીધી.

9 વર્ષ પછી ફવાદ ખાનનું બોલિવૂડમાં કમબેક

ફવાદની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2016 માં રિલીઝ થઈ હતી, તે રણબીર કપૂર અભિનીત ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં દેખાયો હતો. અગાઉ, તે 2016 માં રિલીઝ થયેલી ‘કપૂર એન્ડ સન્સ’ માં દેખાયો હતો અને 2014 માં રિલીઝ થયેલી ‘ખૂબસૂરત’ માં કામ કર્યું હતું. અબીર ગુલાલ સાથે, તે 9 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરવાનો હતો, પરંતુ પહેલગામ હુમલા પછી આવું થઈ શક્યું નહીં. ‘અબીર ગુલાલ’નું દિગ્દર્શન આરતી એસ બાગડી દ્વારા કરવામાં આવ્યું છે અને આ રોમેન્ટિક કોમેડીના નિર્માતા વિવેક અગ્રવાલ છે.

રાશિ ભવિષ્ય 11/08/2025 થી 17/08/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.