Home Blog Page 647

ક્રિકેટર આર અશ્વિને IPLમાંથી અચાનક લીધી નિવૃત્તિ

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર આર અશ્વિને પણ આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આઈપીએલમાં પાંચ અલગ અલગ ટીમો માટે રમી ચૂકેલા અશ્વિને ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે હવે તે વિશ્વભરમાં વિવિધ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમતા જોઈ શકાશે.

અશ્વિને પોતાના ટ્વીટમાં લખ્યું,”ખાસ દિવસ અને તેથી એક ખાસ શરૂઆત. એવું કહેવાય છે કે દરેક અંતની એક નવી શરૂઆત હોય છે, IPL ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ વિવિધ લીગમાં ખેલાડી તરીકેનો મારો સમય આજથી શરૂ થઈ રહ્યો છે. વર્ષોથી અદ્ભુત યાદો અને સંબંધો માટે બધી ફ્રેન્ચાઇઝીઓનો આભાર. IPL અને BCCIનો પણ ખૂબ ખૂબ આભાર, તેમણે અત્યાર સુધી મને જે કંઈ આપ્યું છે તે માટે. આગળ જે કંઈ છે તેનો આનંદ માણવા અને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આતુર છું.”

આર અશ્વિનના IPL કારકિર્દીની વાત કરીએ તો, તે આ લીગમાં 16 સીઝન રમી ચૂક્યો છે. 16 સીઝનમાં તેને કુલ 221 મેચ રમવાની તક મળી, જેમાં તેણે 30.22 ની સરેરાશથી 187 વિકેટ લીધી. આ દરમિયાન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 34 રન આપીને 4 વિકેટ રહ્યું અને તે ફક્ત એક જ વાર ચાર વિકેટ લઈ શક્યો. બીજી તરફ બેટિંગમાં આર અશ્વિનના રેકોર્ડની વાત કરીએ તો, તેણે 833 રન બનાવ્યા અને તેનો સર્વોચ્ચ સ્કોર 50 રન હતો. આ લીગમાં તેના નામે અડધી સદી છે.

આર અશ્વિન IPL 2025માં CSK ટીમનો ભાગ હતો

IPL 2025 માં અશ્વિન ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝનો ભાગ હતો. CSK એ મેગા ઓક્શનમાં અશ્વિનને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જોકે, આ વખતે તેનું પ્રદર્શન એટલું સારું નહોતું. IPL 2025 માં અશ્વિનને 9 મેચ રમવાની તક મળી, જ્યાં તેણે 7 વિકેટ લીધી. સીએસકે ઉપરાંત, અશ્વિન આ લીગમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે પણ રમ્યો હતો.

આર અશ્વિન સીએસકે માટે ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે

આર અશ્વિન આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં પાંચમા ક્રમે છે. તે જ સમયે, તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ચેન્નાઈ માટે રમતા, અશ્વિને 130 મેચોમાં 24.62 ની સરેરાશથી 127 વિકેટ લીધી છે. આ યાદીમાં ડ્વેન બ્રાવોનું નામ ટોચ પર છે, તેણે 130 મેચોમાં 154 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજાનું નામ બીજા ક્રમે આવે છે. તેણે 200 મેચોમાં 152 વિકેટ લીધી છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઃ 18 વિરુદ્ધ 56 નિવૃત્ત ન્યાયાધીશોની ચિઠ્ઠી

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને મુદ્દે 50થી વધુ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં ગૃહમંત્રી અમિત શાહને લઈને કેટલાક નિવૃત્ત ન્યાયાધીશોની ટિપ્પણીઓ પર કડક વાંધો ઉઠાવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય નિવેદનોને કારણે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે.

56 ભૂતપૂર્વ ન્યાયાધીશોનું ખુલ્લો પત્ર

આ ઓપન લેટર દેશના 56 પૂર્વ ન્યાયાધીશોના હસ્તાક્ષર સાથે જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમ, રંજન ગોગોઈ તેમ જ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ઘણા ભૂતપૂર્વ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. નિવૃત્ત ન્યાયાધીશોએ કહ્યું છે કે કેટલાક ભૂતપૂર્વ ન્યાયાધીશો વારંવાર રાજકીય નિવેદનો આપી રહ્યા છે અને ન્યાયિક સ્વતંત્રતાને નામે પક્ષપાતપૂર્ણ વલણ અપનાવી રહ્યા છે, જેને કારણે ન્યાયતંત્રની પ્રતિષ્ઠા અને નિષ્પક્ષતાને નુકસાન થઈ રહ્યું છે.

સુદર્શન રેડ્ડી પર અમિત શાહની ટિપ્પણી

ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સુદર્શન રેડ્ડી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ રહેતા ‘સલવા જુડૂમ’ મામલે આપેલા ચુકાદાને લઈને ટિપ્પણી કરી હતી. શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ સુદર્શન રેડ્ડી એ જ વ્યક્તિ છે, જેણે નક્સલવાદને મદદ કરી. તેમણે સલવા જુડૂમ પર ચુકાદો આપ્યો. જો એ ચુકાદો ન આવ્યો હોત તો 2020 સુધી નક્સલી અતિરેકવાદ સમાપ્ત થઈ ગયો હોત.

18 પૂર્વ ન્યાયાધીશોનો રેડ્ડીને ટેકો

અમિત શાહના આ નિવેદન પર સુદર્શન રેડ્ડીએ કહ્યું હતું કે તેઓ બિલકુલ નક્સલ સમર્થક નથી અને ભારતનું બંધારણ જ તેમની વિચારધારા છે. તેમનું કહેવું હતું કે સલવા જુડૂમનો ચુકાદો સુપ્રીમ કોર્ટનો હતો અને તે માવોવાદીઓના પક્ષમાં નહોતો. તેમના સમર્થનમાં 18 પૂર્વ ન્યાયાધીશો આગળ આવ્યા હતા અને અમિત શાહની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

અંબાણી પરિવારે ‘એન્ટિલિયા ચા રાજા’નું ભવ્ય સ્વાગત કર્યુ

દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. દરેક જગ્યાએ ઢોલ અને નાગરા સાથે બાપ્પાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ ‘એન્ટિલિયા ચા રાજા’નું ભવ્ય સ્વાગત કર્યું હતું, જેના વીડિયો પણ સામે આવ્યા છે.


આજે દેશભરમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. ગણેશ ઉત્સવ પર ભક્તો પંડાલો શણગારે છે અને ઢોલ, સંગીત અને પરંપરાગત રીતરિવાજોથી ભગવાન ગણેશનું સ્વાગત કરે છે. આ તહેવાર બોલીવુડ સ્ટાર્સ દ્વારા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વખતે પણ બોલીવુડ સ્ટાર્સ આ ઉત્સવમાં સંપૂર્ણ ભક્તિ અને ભવ્યતા સાથે ભાગ લઈ રહ્યા છે. આ સાથે અંબાણી પરિવારમાં ‘એન્ટિલિયા ચા રાજા’નું પણ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે તેમના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

‘એન્ટિલિયા ચા રાજા’ ના સ્વાગતના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી સાથે જોવા મળી રહી છે. બંને બાપ્પાના સ્વાગતમાં વ્યસ્ત છે અને આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા પણ જોઈ શકાય છે. વીડિયોમાં, અનંત અને રાધિકા બંને પરંપરાગત પોશાકમાં જોવા મળે છે. બંને બાપ્પાનું સ્વાગત કરતા તેમના ઘરની બહાર ઉભા રહેલા જોઈ શકાય છે. બાપ્પાને લઈને જતી ટ્રકને પણ સુંદર ફૂલોથી શણગારવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

બાપ્પાના સ્વાગત માટે સમગ્ર એન્ટિલિયાને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુંબઈ પોલીસ પણ હાજર હતી. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાણીએ એન્ટિલિયા ચા રાજાના ભવ્ય સ્વાગતનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પહેલા અનંત-રાધિકા બાપ્પાનું સ્વાગત કરવા માટે ઉભા જોવા મળે છે અને પછી તેઓ કારમાં બેસીને આગળ વધે છે. બીજા વીડિયોમાં, એન્ટિલિયાની અંદરની ઝલક જોઈ શકાય છે, જેમાં અંબાણી પરિવારની મોટી પુત્રવધૂ શ્લોકા મહેતા બાપ્પાને સ્વાગત કરવા માટે રાહ જોતી જોવા મળે છે.

અંબાણી પરિવારની જેમ, ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું. સોનુ સૂદ, ભારતી સિંહ, હંસિકા મોટવાણી, અંકિતા લોખંડે, પરાગ ત્યાગી, યુવિકા ચૌધરી અને અન્ય સ્ટાર્સ પણ ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને ઘરે લાવ્યા. તમને જણાવી દઈએ કે, ગણેશ ઉત્સવ 10 દિવસ માટે ઉજવવામાં આવે છે. 27 ઓગસ્ટથી શરૂ થયેલો આ તહેવાર અનંત ચતુર્દશી સુધી ચાલુ રહેશે.

ટ્રમ્પની પાર્ટીનાં નેતાએ મુસ્લિમોનો ધાર્મિક ગ્રંથને સળગાવ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના ટેક્સાસથી રિપબ્લિકન પાર્ટીની કોંગ્રેસનાં ઉમેદવાર વેલેન્ટિના ગોમેઝે ફરી એક વાર વિવાદ ઊભો કર્યો છે. તાજેતરમાં તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X  પર એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ મુસ્લિમોના ધાર્મિક ગ્રંથને સળગાવતા નજર ચઢે છે. આ વિડિયોની કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે તેઓ ટેક્સાસમાંથી ઇસ્લામને સમાપ્ત કરશે. આ ઘટનાના તરત બાદ વિડિયો વાયરલ થઈ ગયો અને ગોમેઝને ઓનલાઇન યુઝર્સ, મુસ્લિમ સંસ્થાઓ અને અનેક રાજકીય નેતાઓની કઠોર ટીકા સહન કરવી પડી.

જોકે આ પહેલી વાર નથી કે ગોમેઝ વિવાદોમાં આવી હોય. મે, 2024માં તેમણે ટેક્સાસ મુસ્લિમ કેપિટલ ડે દરમિયાન મંચ પર ઘૂસી જઈ ઇસ્લામવિરોધી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટેક્સાસમાં ઇસ્લામની કોઈ જગ્યા નથી અને પોતાને ઈશ્વરથી ડરતી એકમાત્ર નેતા ગણાવી હતી. આ પહેલાં પણ તેઓ પ્રવાસીઓની નકલી ફાંસી બતાવતાં વિડિયો, LGBTQ+ સાહિત્ય સળગાવવા બદલ અને ટ્રાન્સજેન્ડર સમુદાય પર નિશાન સાધવાને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

કોણ છે વેલેન્ટિના ગોમેઝ?

વેલેન્ટિના ગોમેઝનો જન્મ 8 મે, 1999એ અમેરિકાના મેડેલિન, કોલમ્બિયામાં થયો હતો. તેમણે કારકિર્દીની શરૂઆત રિયલ એસ્ટેટ રોકાણકાર તરીકે કરી હતી. જોકે 2024માં તેઓ મિસૌરી સચિવાલયની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. તેઓ પોતાને કટ્ટર દક્ષિણપંથી કહે છે અને તેમણે વિવાદાસ્પદ કન્ટેન્ટ દ્વારા જ સોશિયલ મિડિયામાં ઓળખ બનાવી છે.

 સોશિયલ મિડિયા પર પ્રતિક્રિયા

ગોમેઝના ધાર્મિક ગ્રંથ સળગાવવાના વિડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કર્યું. એક યુઝરે લખ્યું કે આ રાજકારણ નહીં, પરંતુ ઉશ્કેરણીની કાર્યવાહી છે. ગોમેઝે પોતાના બચાવમાં કહ્યું હતું કે તમે એ ધર્મ સાથે શાંતિ કરી શકતા નથી, જેણે પહેલેથી જ તમારા પર યુદ્ધ જાહેર કર્યું છે.

VIDEO: અહીં કરી લ્યો મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન

ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર બાપ્પાના દર્શન કરવા મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ વખતે લાલબાગચા રાજાની પ્રતિમાને એક અનોખી થીમ પર શણગારવામાં આવી છે, જેમાં ભગવાન તિરુપતિ બાલાજીની દિવ્યતા પણ દેખાય છે.

ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.આ વર્ષે લાલબાગચા રાજાની પ્રતિમાને તિરુપતિ બાલાજીની અનોખી થીમ પર શણગારવામાં આવી છે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી છે.ભક્તો પોતાના પરિવારોની ખુશી, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવા આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

દર્શન માટે આવેલા લોકો ‘ગણપતિ બાપ્પા મોર્યા’ ના નારા લગાવતા મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. પીએમ મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે. તેમણે ભગવાન ગજાનનને દરેકના સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

ગણેશ ચતુર્થીના અવસર પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.પીએમએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું, ‘ગણેશ ચતુર્થીની આપ સૌને શુભકામનાઓ. શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો આ પવિત્ર પ્રસંગ દરેક માટે શુભ રહે.

જીવનની સાચી ઉર્જા : મૌન અને સેવા

લાગણીઓ વગરની કોઈ વ્યક્તિ એવા ફૂલ જેવી હોય છે જેમાં રસ નથી. તમારે તમારી આસપાસના લોકો માટે તમારી જાતને રસપ્રદ બનાવવી પડશે. જ્યારે તમે સંગીત, ધ્યાન, પ્રાર્થના અને સેવાથી પોતાને પોષણ આપો છો ત્યારે આ શક્ય બને છે. જ્યારે તમે હૃદયપૂર્વક ગીત ગાઓ છો અને પ્રાર્થના કરો છો, ત્યારે તમારી ભાવનાઓનું પોષણ થાય છે અને તમે જીવંત બની જાઓ છો.

જ્યારે તમે ભાવનાત્મક રીતે મજબૂત થાઓ છો, ત્યારે દુઃખ સામે ઊભા રહીને પણ તમને પીડા થતી નથી. જીવનમાં દુઃખ નિશ્ચિત છે, પણ દુઃખી થવું એ આપણી પસંદગી છે.

જેમ જેમ તમે વિકસિત થાઓ છો, તેમ તેમ તમારી ચેતના પણ વિકસિત થાય છે. વ્યવ્યક્તિગત ચેતનાથી બ્રહ્માંડિય ચેતનાની દિશામાં વિસ્તરણનો એકમાત્ર માર્ગ એ છે કે તમે અન્ય લોકોના સુખ–દુઃખમાં સહભાગી થાઓ. જયારે આપણે બીજાનું દુ:ખ વહેંચીએ છીએ ત્યારે આપણું વ્યક્તિગત દુઃખ વિલીન થઈ જાય છે. “મારું શું થશે?” અથવા “હું આ દુનિયાથી શું મેળવી શકું?” એના બદલે વિચાર કરો કે – “હું આ જગત માટે શું કરી શકું?” સેવા હૃદયને કોમળ બનાવે છે અને પોતાનાપણાની ભાવના વિકસાવે છે. જીવનમાં સેવાનો અભાવ વ્યક્તિને હતાશ બનાવે છે.

જ્યારે તમે બીજાના દુઃખ પ્રત્યે સંવેદનશીલ હોવ છો, ત્યારે કરુણા અને મદદ કરવાની ભાવના સ્વાભાવિક રીતે તમારી અંદર ઉદ્ભવે છે. ફક્ત નિઃસ્વાર્થપણે સેવા કરવા વડે તમારા જીવનમાં ઊંડો સંતોષ ઉત્પન્ન થાય છે. જોકે, મૌન વગરની સેવા તમને થોડા સમય પછી થાક લાગવા લાગે છે. આધ્યાત્મિકતા વિનાની સેવા નિરર્થક છે અને તમે લાંબા સમય સુધી સેવા કરી શકતા નથી. તમારું આંતરિક મૌન જેટલું ગહન હશે, તેટલી જ તમારી બાહ્ય પ્રવૃત્તિ સારી હશે. જીવનમાં આ બંને જરૂરી છે — મૌન પણ અને સેવા પણ.

જ્યારે તમે સેવા દ્વારા કોઈને થોડી પણ મદદ કરો છો, ત્યારે તમે ધન્યતા અનુભવો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાષ્ટ્રપતિ મુર્મુ, PM મોદીએ ગણેશ ચતુર્થી પર શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વડા પ્રધાને આ શુભ અવસર પર સૌના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડા પ્રધાન X પર એક પોસ્ટમાં લખ્યું હતું  કે તમામને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ. ભક્તિ અને આસ્થાથી પરિપૂર્ણ આ પાવન અવસર સૌ માટે મંગલમય બને. હું ભગવાન ગજાનનને પ્રાર્થના કરું છું કે તેઓ પોતાના તમામ ભક્તોને સુખ, શાંતિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે. ગણપતિ બાપ્પા મોરિયા.

રાષ્ટ્રપતિ મુર્મુએ X પર એક પોસ્ટ શેર કરતાં ભગવાન ગણેશને જ્ઞાન અને વિવેકના દેવતા ગણાવ્યા.દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ. આ મહાન તહેવાર જ્ઞાન અને વિવેકના દેવતા ભગવાન શ્રીગણેશના જન્મોત્સવ રૂપે હર્ષ અને ઉલ્લાસ સાથે ઊજવાય છે.

રાષ્ટ્રપતિએ પર્યાવરણ અનુકૂળ તહેવારો અપનાવવાની અપીલ કરી તથા એક મજબૂત ભારતના નિર્માણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે હું વિઘ્નહર્તા ભગવાન શ્રીગણેશને પ્રાર્થના કરું છું કે તેઓ વ્યક્તિ-નિર્માણ અને રાષ્ટ્ર-નિર્માણના માર્ગમાં આવેલી તમામ અડચણો દૂર કરતા રહે તથા તેમના આશીર્વાદથી દેશવાસીઓ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવી સશક્ત ભારતના નિર્માણ માટે સમર્પિત રહે. ગણપતિ બાપ્પા મોરિયા!”

આ પહેલાં ગણેશ ચતુર્થીના અવસર પર પૂજા-અર્ચના કરવા માટે ભક્તોની ભીડ મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ઊમટી હતી. આ ઉત્સવ માટે, લોકો ભગવાન ગણેશની મૂર્તિઓ પોતાના ઘરોમાં લાવે છે, ઉપવાસ રાખે છે, સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અને તહેવાર દરમિયાન પંડાલોમાં જાય છે. દેશભરમાં ઉજવાતા આ તહેવારમાં લાખો ભક્તો ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે મંદિરો અને મંડળોમાં એકત્ર થાય છે.

આ પહેલા જુલાઈમાં મહારાષ્ટ્ર સરકારે જાહેર ગણેશોત્સવને “મહારાષ્ટ્ર રાજ્ય મહોત્સવ” જાહેર કર્યો હતો. સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જાહેર ગણેશોત્સવની પરંપરા 1893માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવી હતી.

 

 

વાહ ભાઈ વાહ! – ૨૭ ઓગસ્ટ ૨૦૨૫

૨૭ ઓગસ્ટ ૨૦૨૫

પંચાંગ 27/08/2025