Home Blog Page 61

મદરેસામાં પાકિસ્તાનના નિર્મિત પંખાથી વિવાદ, ફોટો વાઇરલ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કુશીનગર સ્થિત એક મદરેસા હાલના દિવસોમાં વિવાદોમાં ઘેરાઈ છે. કારણ છે ત્યાં લાગેલો સીલિંગ ફેન, જેને થોડા દિવસ પહેલાં મરામત માટે મોકલવામાં આવ્યો હતો. આ સામાન્ય સફેદ રંગનો પંખો હતો, પરંતુ તેના મોટર હાઉસિંગ પર લાગેલા લેબલ અને ઇન્ક્રેવિંગને કારણે વિવાદ ઊભો થયો છે. સોશિયલ મિડિયા પર ત્રણ દિવસ પહેલાં પંખાની તસવીર વાયરલ થઈ હતી, જેમાં તેના મોટર પર ‘Made in Pakistan’ (પાકિસ્તાનમાં બનાવાયેલું) લખેલું દેખાતું હતું.

તસવીર વાયરલ થતાં જ પોલીસે તરત તપાસ શરૂ કરી. તપાસ કરવામાં આવી રહી છે કે આખરે પાકિસ્તાનમાં બનેલો આ પંખો મદરેસા સુધી કેવી રીતે પહોંચ્યો. પોલીસના જણાવ્યાનુસાર શક્યતા છે કે પંખાની મરામત કરનાર ઇલેક્ટ્રિશિયને તેના ઉપરના ભાગ પર આ નિશાન જોયું હોય અને ત્યાર બાદ તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી હોય.

 મદરેસામાં દાનમાં આપવામાં આવ્યો હતો પંખો

કુશીનગરના સર્કલ ઓફિસર જયંત યાદવે જણાવ્યું હતું કે પોલીસે મદરેસાના સંચાલક યુનુસ અન્સારીની પૂછપરછ કરી છે. તેમણે કહ્યું હતું કે આ સીલિંગ ફેન એક સ્થાનિક રહેવાસીએ મદરેસાને દાનમાં આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે પોલીસે તે સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું કે આ પંખો તેને તેના પુત્રે આપ્યો હતો, જે સાઉદી અરેબિયામાં રહે છે. ત્યાર બાદ વર્ષ 2023માં આ પંખો મદરેસાને દાનમાં આપવામાં આવ્યો હતો.

પોલીસે પંખો દાન કરનાર વ્યક્તિના પુત્રનો પણ સંપર્ક કર્યો. તેણે જણાવ્યું હતું કે તેણે વર્ષ 2020માં સાઉદી અરેબિયામાંથી આ પંખો ખરીદ્યો હતો અને પોતાના પિતાને મોકલી આપ્યો હતો. સીઓ જયંત યાદવે કહ્યું હતું કે તેણે પંખાની ખરીદીની રસીદની નકલ પણ શેર કરી છે. હાલમાં અમે દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છીએ અને જરૂરી કસ્ટમ ડ્યુટી ભરવામાં આવી હતી કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

Cannes 2026: જોઈ લો, આ વખતનો આલિયાનો રેડ કાર્પેટ લુક

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર શોભા વધારી હતી. તેનો ગાઉન લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આલિયાએ તેના સોશિયલ મીડિયા પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના કેટલાક મનમોહક ફોટા પણ પોસ્ટ કર્યા છે.

ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો લુક ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ વખતે પણ આલિયા ભટ્ટે તેના ચાહકોને નિરાશ કર્યા નથી. મોડી રાત્રે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના કેટલાક ફોટા પોસ્ટ કર્યા. તે પીચ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. તે 12 મેથી શરૂ થશે અને 23 મે, 2026 સુધી ચાલશે. આલિયા ભટ્ટે પણ પહેલા દિવસે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આલિયાના પીચ રંગના ગાઉન લુકે ચાહકોના દિલ જીતી લીધા.

કાન્સના રેડ કાર્પેટ પર જતા પહેલા આલિયાએ તેના હોટલ રૂમની બાલ્કનીમાં ઉભા રહીને પોઝ આપ્યો.

તામિલનાડુમાં CM વિજયે જીત્યો વિશ્વાસ મત

ચેન્નઈઃ તામિલનાડુમાં થલપતિ વિજયની સરકાર વિશ્વાસમત જીતવામાં સફળ રહી છે. વિજયના સમર્થનમાં 144 મત પડ્યા હતા. આ પહેલાં 59 સભ્યો ધરાવતી DMKએ વિશ્વાસમતનો બહિષ્કાર કર્યો હતો. નોંધનીય છે કે તામિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 આંકડો જરૂરી છે. TVKએ 108 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે DMKને 59 બેઠકો મળી હતી. AIADMKએ 47 બેઠકો જીતી હતી. કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી અને PMKને ચાર બેઠકો પર વિજય મળ્યો હતો. DMKના બહિષ્કાર બાદ વિધાનસભામાં બહુમતીનો આંકડો વધુ ઘટી ગયો હતો, જેને કારણે વિજય માટે ફ્લોર ટેસ્ટ માત્ર ઔપચારિકતા બની ગયો હતો.

ભાજપ રહી ‘તટસ્થ’

ફ્લોર ટેસ્ટ દરમિયાન DMKએ માત્ર બહિષ્કાર જ કર્યો નહોતો, પરંતુ મતદાનથી પણ દૂર રહી હતી. વિધાનસભામાં ભાજપનો માત્ર એક જ ધારાસભ્ય છે અને તેમણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ‘તટસ્થ’ વલણ અપનાવ્યું હતું. વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ મુખ્ય મંત્રી વિજયે વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

AIADMK બે જૂથમાં વહેંચાઈ

AIADMKના મહાસચિવ ઈ. કે. પલાનીસામીએ વિજય સરકારના વિશ્વાસમતનો વિરોધ કર્યો હતો. જોકે પાર્ટીના વિરોધી નેતા એસ. પી. વેલુમણીએ TVK સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

વિજયને આ રીતે મળ્યો બહુમતીનો આંકડો

વિજય સરકારને કોંગ્રેસ, CPI, CPM, VCK, IUML અને AMMKનું સમર્થન મળ્યું હતું. બીજી તરફ ભાજપના ઉધગમંડલમથી જીતેલા એકમાત્ર ધારાસભ્ય ભોજરાજન એમે તટસ્થ વલણ અપનાવ્યું હતું. નોંધનીય છે કે રાજ્યમાં 23 એપ્રિલે મતદાન થયું હતું અને ચોથી મેએ પરિણામ જાહેર થયાં હતાં. વિજયની પાર્ટી 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી.

TVKના સમર્થનમાં AIADMKના ધારાસભ્યો

AIADMKના 24 ધારાસભ્યોએ વિજય સરકારના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે AIADMKનો એક ધારાસભ્ય મતદાન દરમિયાન ગેરહાજર રહ્યો હતો. એ ઉપરાંત પાંચ ધારાસભ્યોએ તટસ્થ વલણ અપનાવ્યું હતું. PMKના ચાર અને ભાજપના એક ધારાસભ્યે પણ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો હતો.

નીટ યુજી પેપર લીક મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટઃ NTAને બદલવાની માગ

નવી દિલ્હીઃ દેશભરમાં ત્રીજી મેએ યોજાયેલી નીટ યુજી પરીક્ષા 12 મેએ રદ કરવામાં આવી હતી. પેપર લીક થયાના સમાચાર વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. NTAના આ નિર્ણયથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે, જેઓ નીટ યુજી પરીક્ષામાં હાજર રહ્યા હતા. NTAએ જણાવ્યું છે કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે અને રિ-એક્ઝામની તારીખ આગામી 7-10 દિવસમાં જાહેર કરવામાં આવશે.

નીટ યુજી 2026 રદ કરવાની જાહેરાત સાથે જ NTAએ આ પેપર લીક કેસની તપાસ CBIને સોંપવાની જાહેરાત પણ કરી હતી. CBIએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મંગળવારે FIR નોંધ્યા બાદ CBIની ટીમ નાસિક અને જયપુર પહોંચી હતી, જ્યાંથી પેપર લીકના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

એ દરમિયાન નીટ યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA)એ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. એસોસિયેશને ફરી પરીક્ષા યોજવાની સાથે NTAને બદલવાની પણ માગ કરી છે. નીટ યુજી પરીક્ષા 2026ની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે. ઉમેદવારોને તેમની ફી પરત આપવામાં આવશે અને તેમનાં પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.

25થી 30 લાખ રૂપિયામાં વેચાયું હતું નીટ યુજીનું પેપર

નીટ યુજી પેપર લીક કેસની તપાસમાં સામે આવ્યું છે કે ગુરુગ્રામના એક ડોક્ટર પાસેથી જયપુરના જામવારામગઢના રહેવાસી માગીલાલ અને દિનેશે 25થી 30 લાખ રૂપિયામાં NEETનો પેપર ખરીદ્યું હતું. દિનેશે આ પેપર પોતાના પુત્રને આપ્યું હતું, જે સીકરમાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

પરીક્ષા પહેલાં જ કલાકો અગાઉ ફરી રહ્યું હતું પેપર

તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ ઘણા કલાકો અગાઉ પેપર સર્ક્યુલેશનમાં આવી ગયું હતું. બીજી મેની રાત્રે તેને PDF સ્વરૂપે શેર કરવામાં આવ્યું હતું અને ત્રીજી મેની પરીક્ષા બાદ જ્યારે પ્રશ્નોનું મિલાન કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં પ્રશ્નો મેચ થતાં આખા મામલાનો ભાંડો ફૂટ્યો હતો.

CM કાફલામાં કર્યો ધરખમ ઘટાડો, માત્ર 2 કારમાં પહોંચ્યા રાજુલા

ગાંધીનગર: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને પગલે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી છે. આ અપીલને પગલે રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર CM અને DyCMને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા ST બસ અને ટ્રેનમાં કરશે.મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી પહોંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના રાજુલા પહોંચ્યા. અહીં 22 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણનો કાર્યક્રમ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને સાર્થક કરી. સામાન્ય રીતે 10થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રી માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચ્યા હતા.
બિનજરૂરી ઈંધણનો વપરાશ કરવાના બદલે અને ઝડપથી વહીવટી ખર્ચ ઘટાડવા માટે મુખ્યમંત્રીએ જાતે આ પહેલ કરીને વહીવટી તંત્ર અને નાગરિકો સમક્ષ શાસન અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા કરેલી અપીલનો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમલ શરૂ કર્યો છે.રાજ્યપાલ સામાન્ય મુસાફરની જેમ કરશે પ્રવાસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લોકભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાજ્યપાલ કોઈપણ સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે. તેઓ રાજ્યમાં અવરજવર કરવા માટે ટ્રેન અને એસટી (ST) બસનો ઉપયોગ કરશે. પોતાની ‘ઝેડ પ્લસ’ (Z+) સુરક્ષાના મોટા કાફલાને બદલે આવશ્યક પ્રવાસ વખતે ઓછામાં ઓછી કાર રાખવા તેમણે સૂચના આપી છે.
યુનિવર્સિટીઓ અને સરકારી તંત્ર માટે નિર્દેશ

રાજ્યપાલે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર તંત્ર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.  રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા નિર્દેશ અપાયા છે. સરકારી કામોમાં વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અને ઈંધણ બચાવવાના શક્ય તમામ પ્રયાસો કરવા રાજ્યપાલે આહવાન કર્યું છે.જનતાનો વિશેષ આગ્રહ

રાજ્યપાલના આ નિર્ણય બાદ હવે લોકોમાં એવો સૂર ઉઠ્યો છે કે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ આ અપીલનો અમલ ક્યારે કરશે? મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે આર્થિક પરિસ્થિતિ અને ગેસ-પેટ્રોલનું સંકટ વધી શકે છે, ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ હેલિકોપ્ટર-પ્લેનનો ઉપયોગ ઘટાડી રેલવે-એસટીમાં પ્રવાસ કરી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

વિધાનસભામાં TVKની અગ્નિપરીક્ષા, બહુમતીથી 11 પગલા દૂર ‘વિજય’

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી C. જોસેફ વિજય આજે વિધાનસભામાં વિશ્વાસ મતનો સામનો કરશે. આંકડાકીય રીતે સ્થિતિ નવા મુખ્ય મંત્રીના પક્ષમાં દેખાઈ રહી છે, પરંતુ ચૂંટણી પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઊથલપાથલ જોવા મળી છે. ઝડપથી બદલાતાં ગઠબંધનો,કોર્ટનો હસ્તક્ષેપ અને વિરોધ પક્ષ AIADMKમાં ખુલ્લા બળવાએ રાજકીય પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

  1. જોસેફ વિજયની પાર્ટી TVKએ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો મેળવી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જોકે બહુમતી માટે જરૂરી 118 બેઠકો કરતાં તે 10 બેઠકો ઓછી રહી હતી. બાદમાં વિજયે બે બેઠકો પરથી જીત મેળવી હોવાથી એક બેઠક પરથી રાજીનામું આપતાં આ ઘટાડો વધીને 11 બેઠકોનો થયો હતો.

આજે તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ મત

વિજયે 118 ધારાસભ્યોના સમર્થનપત્રો સાથે રાજ્યપાલને સમર્થન રજૂ કર્યા બાદ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. આજે તેઓ વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરશે. વિધાનસભાના પ્રથમ દિવસે તાત્કાલિક સ્પીકરની નિમણૂક કરવામાં આવી હતી. બીજા દિવસે કાયમી સ્પીકર અને ઉપસભાપતિની પસંદગી કરવામાં આવી હતી અને આજે ત્રીજા દિવસે વિશ્વાસ મત પર મતદાન થશે. ખાસ વાત એ છે કે તામિલનાડુ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વાસ મતની કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.

નવ વર્ષ બાદ ફ્લોર ટેસ્ટ

તામિલનાડુ વિધાનસભામાં નવ વર્ષ બાદ ફરી વિશ્વાસ મત યોજાઈ રહ્યો છે. બહુમતીની કસોટી વોઇસ વોટ (ધ્વનિ મત) અથવા ડિવિઝન વોટ દ્વારા થઈ શકે છે. મુખ્ય મંત્રી વિજય પોતાની કેબિનેટ પર વિશ્વાસ વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કરશે. ચર્ચા પૂર્ણ થયા બાદ સ્પીકર આ પ્રસ્તાવને મતદાન માટે મૂકવામાં આવશે.

વિસરાતી જતી લોકકલા: બહુરૂપી

આધુનિક મનોરંજનના સાધનો વચ્ચે શહેરના માર્ગો પર અચાનક હનુમાનજી કે પોલીસના વેશમાં દેખાતા કલાકારો આજે સ્મૃતિશેષ બની રહ્યા છે. આપણી પ્રાચીન ‘બહુરૂપી’ કલા આજે લુપ્ત થવાને આરે છે. દુર્ભાગ્યવશ, આજની પેઢી આ વિસરતી જતી લોકકલાના જીવંત દર્શનથી વંચિત રહી ગઈ છે. અનેક વેશ ધારણ કરી મનોરંજન પીરસતા ‘બહુરૂપી’ ગુજરાત અને રાજસ્થાનની આગવી લોકપરંપરા છે. માત્ર વેશભૂષા જ નહીં, પણ પાત્ર મુજબનો આબેહૂબ અભિનય એ આ કલાની વિશેષતા છે. દેશી રજવાડાંઓએ જેમને પ્રોત્સાહન આપ્યું હતું, તેવા આ કલાકારો સદીઓથી હાસ્ય રેલાવવાનું કાર્ય કરે છે.

આ કલાના ઉદ્ભવ અંગે કોઈ ચોક્કસ તથ્ય નથી, પરંતુ માનવામાં આવે છે કે સામવેદની લયબદ્ધ ગાયનશૈલીમાંથી ઉતરી આવેલી વિવિધ ‘લીલાઓ’નું આ એક અંગ છે. પૌરાણિક લોકવાયકા મુજબ, ભગવાન વિષ્ણુએ બલિરાજાના દ્વારે લીધેલા 52 સ્વરૂપોમાંથી પ્રેરણા મેળવી આ કલા અસ્તિત્વમાં આવી હોવાનું મનાય છે. આજે પણ બહુરૂપીઓની એક આખી જાતિ આ વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવા મથામણ કરી રહી છે. અજમેરના મેળા વખતે તાલાઘોલામાં ભારતભરના બહુરૂપીઓ ભેગા થાય છે. જ્યારે કર્નાલની મનવા ભાંડની ટેકરી એમની તાલીમનું પ્રેરણાધામ છે. આ કલામાં વર્ષના 52 અઠવાડિયા પ્રમાણે 52 વેશોનું વિશેષ મહત્વ છે. જોકે, ભૂતકાળમાં જે ઉસ્તાદ કલાકારો તમામ 52 વેશોમાં નિપુણ હતા, એમની સંખ્યા આજે નહિવત છે. વર્તમાન સમયના કલાકારો માત્ર પાંચ-સાત વેશો ભજવીને માંડ ગુજરાન ચલાવે છે.

વ્યવસાય અર્થે બહુરૂપીઓ વિવિધ શહેરો કે ગામડાઓમાં ભાડાના મકાનમાં રહીને ધાર્મિક અને સામાજિક વેશો રજૂ કરે છે. ગાદીના કડક નિયમોનું પાલન કરતા આ કલાકારો મહિનાના અંતે મળતા લોકફાળા અને અનાજ પર નિર્ભર રહે છે. કમનસીબે, મનોરંજનના બદલાતા પ્રવાહોને કારણે આ પ્રાચીન કલાનો સૂર્ય આથમી રહ્યો છે. આર્થિક લાચારીને વશ થઈને અનેક કલાકારો મજૂરીકામ તરફ વળ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વાહ ભાઈ વાહ! ૧૩ મે ૨૦૨૬

૧૩ મે ૨૦૨૬