Home Blog Page 59

BRICS: વૈશ્વિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ – વિદેશ મંત્રી એસ.જયશંકર

બ્રિક્સ (BRICS) વિદેશ મંત્રીઓની બેઠકમાં બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 80 થી વધુ બ્રિક્સ બેઠકો દ્વારા સભ્ય દેશો વચ્ચે સહયોગ અને સંવાદ મજબૂત બન્યો છે. તેમણે કહ્યું કે અધ્યક્ષ દેશ તરીકે ભારત બ્રિક્સને વધુ સમાવિષ્ટ અને સહકારી બનાવવા માટે ભાગીદાર દેશો સાથે સતત સંપર્કમાં છે.

બ્રિક્સ (BRICS) વિદેશ મંત્રીઓની બેઠકમાં બોલતા, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 80 થી વધુ બ્રિક્સ બેઠકો યોજાઈ છે, જેમાં તમામ સભ્ય દેશોની સક્રિય ભાગીદારી છે. તેમણે કહ્યું કે આ બેઠકોએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવામાં અને સંવાદને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

જયશંકરે કહ્યું કે બ્રિક્સની વર્તમાન ગતિ પર નિર્માણ કરવાની જરૂર છે અને ભારત, અધ્યક્ષ દેશ તરીકે, વધુ સમાવિષ્ટ અને સહકારી બ્રિક્સ (BRICKS) માળખાને પ્રોત્સાહન આપવા માટે ભાગીદાર દેશો સાથે સતત વાતચીત કરી રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે બ્રિક્સ (BRICKS)ના સુગમ કાર્ય અને વધુ પ્રગતિ માટે, નવા સભ્ય દેશો સંગઠનની અંદર વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થયેલી સર્વસંમતિને સંપૂર્ણપણે સમજે અને સમર્થન આપે તે જરૂરી છે.

વિદેશ મંત્રીએ જણાવ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં બ્રિક્સ દેશોની ભૂમિકા પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. તેમણે કહ્યું કે આ બેઠક વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર ચિંતન કરવાની એક મહત્વપૂર્ણ તક છે. જયશંકરે નોંધ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધો હાલમાં નોંધપાત્ર ફેરફારો અને અનિશ્ચિતતાઓમાંથી પસાર થઈ રહ્યા છે. ચાલુ સંઘર્ષો, આર્થિક અસ્થિરતા અને વેપાર અને ટેકનોલોજી સંબંધિત પડકારો વૈશ્વિક પરિદૃશ્યને અસર કરી રહ્યા છે.

તેમણે નોંધ્યું કે ઉભરતા બજારો અને વિકાસશીલ દેશોમાં અપેક્ષા વધી રહી છે કે બ્રિક્સ વૈશ્વિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. વિદેશ મંત્રીએ ભાર મૂક્યો કે બદલાતી દુનિયામાં બહુપક્ષીય સહયોગ અને સંવાદને મજબૂત બનાવવો જરૂરી છે.

સ્લીપર બસમાં મહિલા પર ગેંગરેપ, ડ્રાઈવર-કન્ડક્ટરની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના રાણી બાગ વિસ્તારમાં સોમવાર રાત્રે ઊભેલી સ્લીપર બસમાં એક મહિલાની સાથે કથિત સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પોલીસે કાર્યવાહી કરીને બસના ડ્રાઈવર અને કન્ડક્ટરને ધરપકડ કરી છે.પોલીસ અને ફરિયાદ મુજબ 11 મેની રાત્રે પીડિતા કામ પરથી ઘરે પરત ફરી રહી હતી અને સરસ્વતી વિહાર બસ સ્ટોપ પાસે પહોંચી હતી. એ દરમિયાન ત્યાં ઊભેલી સ્લીપર બસ પર રહેલી એક વ્યક્તિને સમય પૂછતાં તેને જબરદસ્તી બસમાં ખેંચી લેવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓ બસને નાંગલોઇ તરફ લઈ ગયા, જ્યાં મહિલાની સાથે કથિત રીતે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

પીડિતા પીતમપુરાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મંગોલપુરીની એક ફેક્ટરીમાં કામ કરે છે. તે પરિણીત છે અને ત્રણ બાળકોની માતા છે.

મદદ માટે બૂમો પાડતી રહી મહિલા

પીડિતાના જણાવ્યા મુજબ આ ઘટના દરમિયાન બસ અલગ-અલગ વિસ્તારોમાં ફરતી રહી અને નાંગલોઇ વિસ્તાર સુધી ગઈ હતી. મહિલા સતત મદદ માટે બૂમો પાડતી રહી, પરંતુ આરોપીઓએ તેની એક પણ વાત સાંભળી નહીં. આરોપીઓએ તેની સાથે મારપીટ પણ કરી. લગભગ બે કલાક પછી આરોપીઓ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા. કોઈ રીતે મહિલાએ પોતાને સંભાળી અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

 મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ

પ્રાપ્ત માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સ્લીપર બસને કબજે લીધી છે. એ સાથે જ વિસ્તારના CCTV ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી આરોપીઓની ઓળખ થઈ શકે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ઝડપી બનાવવામાં આવી છે અને ઘટનાક્રમના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશમાં તેજ આંધી અને વરસાદથી 96 લોકોનાં મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં બુધવારે આવેલી ભારે આંધી અને વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. જોરદાર પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા, જેને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આંધી અને વરસાદની ઝપટમાં આવીને વિવિધ જિલ્લાઓમાં 96 લોકોનાં મોત થયાં છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મોત વારાણસી, પ્રયાગરાજ અને કાનપુર મંડળમાં થયાં છે. વિવિધ જિલ્લાઓમાંથી મળેલી માહિતી અનુસાર પ્રયાગરાજમાં 17, ભદોહીમાં 16, ફતેહપુરમાં 9, બદાયુમાં 5, પ્રતાપગઢમાં 4, ચંદૌલી અને કુશીનગરમાં 2-2 અને સોનભદ્ર જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. મુખ્ય મંત્રી યોગીએ કમોસમી વરસાદ, આંધી અને વીજળી પડવાથી થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને અધિકારીઓને 24 કલાકમાં પીડિતોને રાહત પહોંચાડવાના આદેશ આપ્યા છે.

પ્રયાગરાજ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર બુધવારે આવેલા આંધી અને તોફાનને કારણે જિલ્લામાં 17 લોકોનાં મોત થયાં હતાં. જેમાં હંડિયા વિસ્તારમાં 7, ફૂલપુરમાં 4, સોરાંવમાં 3, મેજામાં 2 અને સદર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ભદોહી જિલ્લા વહીવટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લામાં આંધી અને તોફાનને કારણે થયેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે.

પોલીસ અધિક્ષક દીપક ભૂકરે જણાવ્યું કે લાલગંજ કોતવાલી વિસ્તારના ઓઝા કા પુરવા ગામમાં ભીમ યાદવ (25) નામના યુવકનું સિમેન્ટનું શેડ ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયું હતું. ઉપરાંત બાઘરાય પોલીસ સ્ટેશન વિસ્તારના સાડી સ્વામી ગામમાં ભૂષણ પાંડે (56) નામની વ્યક્તિનું પણ તોફાન દરમિયાન દીવાલ ધરાશાયી થતાં મોત થયું હતું.

CM યોગીએ વળતર આપવાના આપ્યા આદેશ

મુખ્ય મંત્રી યોગીએ કમોસમી વરસાદ અને વીજળીને કારણે થયેલા જાનહાનિ મામલાને ધ્યાનમાં  લઈને 24 કલાકની અંદર પીડિતોને વળતર આપવાનો આદેશ આપ્યો છે. તેમણે સંબંધિત જિલ્લાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ પર પહોંચી પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે.

કબીરવાણી: હીરા જેવું જીવન કોડીના ભાવે ન ગુમાવો

રાત ગંવાઈ સોય કે, દિવસ ગંવાયો ખાય,

હીરા જનમ અમોલ થા, કૌડી બદલે જાય.

 

સામાન્યજન અને પ્રબુદ્ધ વ્યક્તિના જીવનમાં શું તફાવત હોય છે ? સદ્કાર્યો માટે ઇચ્છા ઘણી છે પણ સમય જ ક્યાં છે ? તેવી ફરિયાદ સામાન્ય છે. કબીરજી ટકોર કરે છે કે, હે માનવ, રાત તો સૂવામાં ચાલી જાય છે. દિવસ ખાવામાં એટલે કે રોજી કમાવવામાં જાય છે.

બચપન ખોયા ખેલ મેં, જવાની ગવાયી ગેલમેં, ફીર બુઢાપા આયા તો રોતે રોતે પૂછા – અબ ક્યા કરું બચે હુએ દિનમેં ? કબીરજી કહે છે કે, જીવન એ તો હીરા જેવું અણમોલ છે. તેના પર જ્ઞાન-ભક્તિથી પાસા પાડીએ તો સ્વયં અને જગતને પ્રકાશિત કરવાની તેનામાં તાકાત છે.

કોઈ વિરલા જ આ મૂલ્ય સમજીને જીવન સાર્થક કરે છે. બાકી તો સામાન્યજન તેને આળસ અને ક્ષુલ્લક બાબતોમાં વેડફી દે છે. હીરા સામે જેમ કોડીનું કોઈ મૂલ્ય નથી તેમ અજ્ઞાની લોકો હીરા જેવું જીવન કોડીના ભાવે વ્યર્થ રીતે ગુમાવી દે છે.

કબીરજી વણાટનું મહેનતવાળું કામ કરતાં કરતાં ઉપદેશ કરે છે. શ્રમનો મહિમા કરે છે અને સાથે સાથે આધ્યાત્મિક જીવનની ટોચ સર કરે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

સુવિચાર – ૧૪ મે ૨૦૨૬

૧૪ મે ૨૦૨૬

ઝળહળતી સફળતા કે શુદ્ધ અંતરાત્મા?

હજારોની ભીડ તાળીના ગડગડાટથી એને વધાવી રહી હતી… માત્ર 30 વર્ષની વયે પ્રતિષ્ઠિત યંગ અચિવર એવોર્ડની ટ્રોફી લઈને એ ઊભો હતો, પણ કોણ જાણે કેમ, એના મનનો એક ખૂણો અજાણ્યો ડર અનુભવતો હતો. શું કામ? એકાદ ક્ષણ વિચારતાં એની સામે જવાબ આવ્યોઃ અધર્મના માર્ગે મળેલી પ્રસિદ્ધિ એ લાલચના રણમાં દેખાતા મૃગજળ જેવી છે. હા, કાવાદાવા કરીને એ અહીં પહોંચ્યો હતો, પોતાનાથી લાયક ઉમેદવારોને એણે કાવતરાથી પછાડ્યા હતા. કંઈ જ બોલ્યા વગર એ સ્ટેજ પરથી નીચે ઊતરી ગયો.

આજના કમ્પિટિટિવ યુમાં માણસ પોતાનો પ્રભાવ પાડવા કે જીત મેળવવા પોતાનાં મૂલ્યોની આહુતિ આપી રહ્યો છે. એ જીતી તો જાય છે, પણ જીત્યા પછી અરીસામાં પોતાની નજર સાથે નજર મેળવી શકતો નથી. કેમ કે જગતઆખઆને છેતરી શકાય, પણ અંતરાત્માને નહીં. અંતઃકરણની શુદ્ધિ વગર મનની શાંતિ કયારેય ન મળે. એ અંતઃકરણની શુદ્ધિ એટલે ચારિત્ર્ય.

તમે પેલી પ્રચલિત કહેવત સાંભળી હશેઃ શુદ્ધ અંતઃકરણ જેવું મુલાયમ અને આરામદાયક ઓશીકું હોઈ ન શકેઃ અંતરમાં શુદ્ધ ભાવનાઓ હશે, જીવનમાં ખોટું આચરણ કે વિચાર નહીં કર્યાં હોય તો જ માણસ શાંતિથી સૂઈ શકશે. અંતરની શુદ્ધિ માટે ચારિત્ર્યની દઢતા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. યુગોથી ભારતભૂમિ આવા વિરલ મહાપુરુષોના ચારિત્ર્યયી દેદીપ્યમાન રહી છે.

ગાયકવાડ સરકાર પ્રતિ વર્ષ વિદેશી વક્તાને પ્રવચન માટે આમંત્રણ આપતાં. તે મુજબ એક જર્મન મહાશય પ્રવચન માટે આવ્યા હતા. વાત કરતાં પહેલાં શ્રોતાઓની ભૂમિકા જાણવા હેતુથી તે જર્મન મહાશયે પૂછ્યું, ‘મારે કેવા શ્રોતાઓ સામે ચારિત્ર્યની વાત કરવાની છે?’ સંચાલકે કહ્યું કે આ બધા શ્રોતાઓ ચારિત્ર્યની એ ભૂમિ પર ઊછરેલા છે, જ્યાં લક્ષ્મજીને આદર્શ ગણવામાં આવે છે. પછી સંચાલકે રામાયણનો લક્ષ્મણજીનો પ્રસંગ કહ્યો. રાવણના પુત્ર ઈન્દ્રજિતને વરદાન હતું કે 12 વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું હોય એના હાથે જ તેનો નાશ થશે… રામ વિચારમાં પડયા કે આવી વ્યક્તિ લાવવી કયાંથી? ત્યારે વિભીષણે જવાબ આપ્યો કે આપના ભાઈ લક્ષ્મણ ૧૩ વર્ષયી બ્રહ્મચર્યનું પાલન કરે છે તે તેને મારશે. રામાયણકારે નોંધ્યું છે કે રાવણ અપહરણ કરીને સીતાજીને લઈ જતો હતો ત્યારે સીતાજીએ પોતાનાં ઘરેણાં કાઢીને નીચે ફેંક્યાં હતાં. સીતાજીની શોધમાં નીકળેલા રામ અને લક્ષ્મણ કિષ્કિંધામાં સુગ્રિવને મળ્યા ત્યારે સુગ્રિવે તે ઘરેણાં તેમને બતાવ્યાં. શ્રીરામે ઘરેણાં લક્ષ્મણને બતાવીને પૂછ્યું કે તું આ ઘરેણાં ઓળખે છે? ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ‘હું આ બાજુબંધને કે કુંડળને નથી ઓળખી શકતો.’ કારણ એ હતું કે 13-13 વર્ષ સુધી શ્રીરામ-સીતાજીની સાથે વનમાં રહેવા છતાં, લક્ષ્મણજીએ ક્યારેય ઊંચી દૃષ્ટિ કરીને સીતાજીની સામે જોયું નહોતું. એટલે જ કાનનાં કુંડળ કે હાથના બાજુબંધને તેઓ ઓળખી શકયા નહીં, પરંતુ ઝાંઝરને એ તરત ઓળખી ગયા, કારણ રોજ તેઓ સીતાજીની ચરણવંદના કરવા જતા ત્યારે ઝાંઝરનાં દર્શન થતાં.

આ પ્રસંગ સાંભળીને પેલા જર્મન વિદ્વાન પ્રવચન આપવા ઊભા થયા ત્યારે એમણે આટલું જ કહ્યું, ‘મારાં બહુ મોટાં ભાગ્ય કે ભારતની ભૂમિમાં આવ્યો. ગાયકવાડનો પણ આભાર. આટલા બધા સારા શ્રોતા બેઠા છે એ મારાં બહુ મોટાં ભાગ્ય.’ એમ કહીને એ પોતાની જગ્યાએ બેસી ગયા.

ચારિત્ર્યના આદર્શ સમાન આવા જ એક ઐતિહાસિક વીર એટલે ખુદીરામ બોઝ. એક એવું નામ, જેને દરેક ભારતીય ગર્વયી આજેય યાદ કરે છે. સૌ જાણે છે કે એ ભારતની આઝાદી માટે સૌથી નાની ઉંમરે શહીદ થનાર વીર સપુત હતા. ખુદીરામ માત્ર અઢાર વર્ષના હતા ને શાળામાં ભણતા હતા ત્યારે એક બૉમ્બબ્લાસ્ટ કેસમાં એમની ધરપકડ થઈ. કાળકોટડીમાં ગુપ્ત બાતમી કઢાવવા પોલીસે રૂપાળી કન્યાને એમની પાસે મોકલી. કન્યા એના ચેનચાળા શરૂ કરે તે પહેલાં જ ખુદીરામ બે હાથ જોડી બોલ્યાઃ ‘ભલે તમે આવ્યાં, મા. હું બાળપણથી જ મા વગરનો હતો. હું કેવો નસીબદાર કે આજે મરતાં મરતાં મા મળી. મને એવા આશીર્વાદ આપો કે હું માતૃભૂમિ કાજે આનંદથી મરું.’

ખુદીરામની વાત સાંભળી કન્યાની આંખોમાં આંસુ આવી ગયાં. એ તરત પાછી ફરી ગઈ.

ખુદીરામની શુરવીરતાના મૂળમાં તેમનું ચારિત્ર્ય હતું. આજે લોકો દેશ-દુનિયામાં અનેક અજાયબીઓ જોવા જાય છે, પણ એ બધી અજાયબીઓ કરતાં પણ ચારિત્ર્યની આવી મોટી મોટી અજાયબીઓનો વારસો આપણા દેશમાં જ ધરબાઈને પડ્યો છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

પંચાંગ 14/05/2026

કાળઝાળ ગરમીથી માર્ગો પર રાહત માટે સ્પ્રિંક્લર સ્પ્રેનો પ્રયોગ

અમદાવાદ: ઉનાળાની ઋતુએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 42 ડીગ્રી તાપમાનથી શહેરો સેકાઇ રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ, સરકારની ચેતવણીઓ પછી લોકો બને ત્યાં સુધી ઘરમાંથી નીકળાનું ટાળે છે. એવા સમયે જરૂરી કામે શહેરના માર્ગો પર બહાર નીકળેલા રાહદારીઓ અને વાહનચાલકોને થોડી ઠંડકનો અહેસાસ થાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. મોટી ટ્રકની ટાંકીમાં પાણી ભરી વોટર સ્પ્રિંક્લર દ્વારા માર્ગો પર સ્પ્રે કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં આ આધુનિક ટ્રક ટેન્કરમાં ફિટ કરેલા સ્પ્રિંક્લર દ્રારા સતત છંટકાવ થઇ રહ્યો છે. આ સાથે માર્ગ પર જેટલા વૃક્ષ આવે એને બચાવવા તેમજ એમાં રહેલાં પક્ષીઓને ગરમીથી રાહત મળે એ માટે ખાસ કાળજી સાથે પાણીના આ ફૂવારાનો છંટકાવ થઇ રહ્યો છે. AMCની આ સિસ્ટમથી ટ્રાફિક સિગ્નલો અને બસ સ્ટોપ પર ઠંડક પ્રસરે એવી રીતે સતત પાણીનો છંટકાવ થઇ રહ્યો છે.

વોટર સ્પ્રિંક્લર અને વોટર સ્પ્રેઇંગ દ્વારા માર્ગો પર પાણીના છંટકાવનો હેતુ નાગરિકોને ગરમીથી તાત્કાલિક રાહત આપવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રયોગથી માણસોની સાથે વૃક્ષો અને પશુ પક્ષીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

અનોખી પહેલ: વડાપ્રધાનના કાફલામાં હવે માત્ર 2 જ ગાડીઓ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠા પર જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે. જોકે, આ અપીલ માત્ર શબ્દો પૂરતી મર્યાદિત નથી, વડાપ્રધાને પોતે તેનો અમલ કરીને સૌને ચોંકાવી દીધા છે.

PM મોદીના કાફલામાં હવે માત્ર 2 ગાડી

સામાન્ય રીતે વડાપ્રધાનના સુરક્ષા કાફલામાં અનેક આધુનિક ગાડીઓનો સમાવેશ થતો હોય છે, પરંતુ તેલ બચાવવાના અભિયાન હેઠળ પીએમ મોદીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યામાં ધરખમ ઘટાડો કર્યો છે. હાલમાં જ પીએમ મોદીના કાફલામાં માત્ર 2 ગાડીઓ જ જોવા મળી હતી. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની જનતાને એ સંદેશ આપવાનો છે કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય હિતમાં પેટ્રોલ-ડીઝલની જરૂરિયાતોને ઓછી કરવી અનિવાર્ય છે.  વડાપ્રધાન મોદીની આ પહેલથી પ્રેરિત થઈને અન્ય મંત્રીઓ અને નેતાઓએ પણ પોતાના કાફલાને મર્યાદિત બનાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમની અપીલ બાદ પોતાના કાફલાનું કદ ઘટાડીને અડધાથી પણ ઓછું કરી દીધું છે. પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા માટે તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પીએમ મોદીના કાફલામાં ફક્ત બે વાહનો જ જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ ઇંધણ બચાવવા માટે આ પહેલ શરૂ કરી હતી, જેથી અન્ય લોકો પણ આવું કરવા માટે પ્રેરિત થઈ શકે. કાફલામાં વાહનો ઘટાડવાનો હેતુ સમગ્ર દેશને સંદેશ આપવાનો છે કે આપણે આ સમયે કોઈપણ કિંમતે પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતો ઘટાડવી જોઈએ. અમેરિકા-ઈરાન જંગને કારણે દુનિયાભરમાં તેલ અને ગેસની સપ્લાય ખોરવાઈ છે, જેનાથી ભારત પણ અછૂત નથી. વધતા ભાવો અને અછતને પહોંચી વળવા માટે સરકાર ‘ઉર્જા બચત’ પર ભાર મૂકી રહી છે. વડાપ્રધાન માને છે કે જો નેતાઓ પોતે સંયમ રાખશે તો દેશની જનતા પણ ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત થશે.