‘ચિત્રલેખા’ માટે આનંદનો પ્રસંગ: કવર ડિઝાઈન માટે ‘ચિત્રલેખા’ ગ્રુપે જીત્યા બે પબ્લિશર ABBY એવોર્ડ; એક સુવર્ણ, એક રજત
ગોવા/મુંબઈ – મિડિયા અને એડવર્ટાઈઝિંગ જગતના ઓસ્કર એવોર્ડ્સ ગણાતા ‘પબ્લિશર ABBY’ માટેના ગોવાફેસ્ટ-2017 એવોર્ડ્સ સમારંભમાં ‘ચિત્રલેખા’ ગ્રુપે બે એવોર્ડ જીત્યા છે. આમાં, એક સુવર્ણ અને એક રજત એવોર્ડનો સમાવેશ થાય છે.
6 એપ્રિલે ગોવામાં આયોજિત ‘ગોવાફેસ્ટ’માં ‘ચિત્રલેખા’ને ગોલ્ડ એવોર્ડ ‘મોસ્ટ ક્રિએટીવ કવર ડિઝાઈન’ કેટેગરી માટે આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ‘ચિત્રલેખા’ને પાંચ ડિસેંબર, 2016ના અંકના ‘શ્વાસ રુંધી નાખતું મરણતોલ પ્રદૂષણ’ શિર્ષકની કવર ડિઝાઈન માટે આપવામાં આવ્યો છે.
‘ચિત્રલેખા’ને ‘મોસ્ટ ક્રિએટીવ કવર ડિઝાઈન’ કેટેગરીનો સિલ્વર એવોર્ડ 18 જુલાઈ, 2016ના અંકમાં ‘કુછ તો ગરબડ હૈ!’ શિર્ષકની કવર ડિઝાઈન માટે આપવામાં આવ્યો છે.
‘ચિત્રલેખા’ ગ્રુપ સતત ચાર વર્ષથી ગોવાફેસ્ટમાં એવોર્ડ જીતતું આવ્યું છે. તેણે જીતેલી ટ્રોફીઓનો આંક વધીને 9 થયો છે.
‘ચિત્રલેખા’ ગ્રુપે 2014માં 3 ટ્રોફી જીતી હતી તો 2015માં બે અને 2016માં પણ બે ટ્રોફી જીતી હતી.
જાગરણ પ્રકાશને સૌથી વધુ એવોર્ડ – બે સુવર્ણ, પાંચ રજત અને બે કાંસ્ય એવોર્ડ જીત્યા છે. તેણે સામાજિક ઉદ્દેશ્ય કેટેગરી માટે એવોર્ડ જીત્યા છે, તો દૈનિક ભાસ્કર ગ્રુપે પણ બેસ્ટ માર્કેટિંગ ઓફ અ પ્રિન્ટેડ ન્યૂઝપેપર/એડિશન કેટેગરીમાં અને બેસ્ટ યૂઝ ઓફ મોબાઈલ/ડિજિટલ કેટેગરી અંતર્ગત બે સુવર્ણ ટ્રોફી જીતી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સ મિડિયાએ બેસ્ટ માર્કેટિંગ કેટેગરીમાં કાંસ્ય એવોર્ડ જીત્યો છે તો માતૃભૂમિએ એક સુવર્ણ અને બે રજત એવોર્ડ જીત્યા છે. મલયાલા મનોરમાએ સામાજિક ઉદ્દેશ્ય કેટેગરી અંતર્ગત એક કાંસ્ય એવોર્ડ જીત્યો છે.
એડવર્ટાઈઝિંગ ક્લબના ABBY એવોર્ડ્સ ભારતીય એડવર્ટાઈઝિંગ જગતના ઓસ્કર ગણાય છે. જાહેરખબર અને માર્કેટિંગના ક્ષેત્રોમાં રચનાત્મક શૈલી માટે આ એવોર્ડ આપવામાં આવે છે.
‘ગોવાફેસ્ટ-2017’ જાહેરખબર, મિડિયા અને માર્કેટિંગ કન્વેન્શન ક્ષેત્રમાં ભારતનો સૌથી પ્રતિષ્ઠિત વાર્ષિક એવોર્ડ સમારંભ ગણાય છે.
મુંબઈમાં દિલચસ્પ રહ્યો ‘બિરલા સન લાઈફ-ચિત્રલેખા મ્યુચ્યુઅલ ફંડ’ વિશેનો માર્ગદર્શક પરિસંવાદ…
‘બિરલા સન લાઈફ’ અને ‘ચિત્રલેખા’ દ્વારા મુંબઈમાં ગત્ 19 માર્ચે ‘ધ ક્લબ’ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં નોટબંધી પછી એક તરફ આર્થિક તંત્ર કેશલેસ બનાવવાના યત્ન-પ્રયત્ન થઈ રહ્યા છે તો બીજી તરફ, અમેરિકાના નવા પ્રેસિડન્ટના આગમન પછી એમના દ્વારા ત્યાંની ઉદારીકરણ નીતિ-રીતિ બદલવાના પ્રયત્ન શરૂ થયા છે… આ બંનેને કારણે દેશના આર્થિક ક્ષેત્રે જબરાં પરિવર્તન આવશે ત્યારે તમારાં નાણાંનું મૂડીરોકાણ તથા બચત કરવા શું શું કરવું એ વિશે આર્થિક જગતના નિષ્ણાતો તરફથી ઈન્વેસ્ટરો/શ્રોતાઓને એમની અનેક મુંઝવણોનું સચોટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજ, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા, જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદી તથા જાણીતા પત્રકાર જયેશ ચિતલિયા ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદને અંતે ઈન્વેસ્ટરો સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પાંચ સવાલ પૂછનારને ઈનામ આપવામાં આવ્યા હતા. આ પરિસંવાદમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, મનન કોટક તથા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી ઉપસ્થિત રહ્યા હતા.
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-2017’ વર્ષ 11મું; ઈનામ વિતરણ સમારોહ, ‘દેવદાસીની’ શ્રેષ્ઠ નાટક – પ્રથમ પારિતોષિક
મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૭’ (વર્ષ ૧૧મું)નો પારિતોષિક વિતરણ સમારંભ 20 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અંધેરી (પશ્ચિમ) સ્થિત સરદાર પટેલ સભાગૃહ, ભવન્સ કેમ્પસ ખાતે યોજાયો હતો.
જેમાં શ્રેષ્ઠ નાટકનું પ્રથમ ઈનામ સુરત, આર્ટિઝમ થિયેટરના નાટક ‘દેવદાસીની’ને મળ્યું હતું. જ્યારે શ્રેષ્ઠ નાટકનું દ્વિતીય ઈનામ સુરત, દીપ આર્ટ્સના ‘કથા’ નાટકને ફાળે ગયું હતું. શ્રેષ્ઠ નાટકનું તૃતિય ઈનામ વડોદરાના વૈભવ સોનીના નાટક ‘છેલ્લી મુલાકાત’ને મળ્યું હતું.
શ્રેષ્ઠ નાટકના પ્રોત્સાહન ઈનામ બે નાટકને આપવામાં આવ્યા હતા જેમાં વડોદરા, નાન્દી આર્ટ્સનું ‘રક્તબીજ’ અને સુરત, નવરંગ આર્ટ્સના ‘સંસારની સેમી ફાઈનલ’નો સમાવેશ થાય છે.
શ્રેષ્ઠ દિગ્દર્શકની કેટેગરીમાં પ્રથમ ઈનામ ‘દેવદાસીની’ નાટક માટે ગિરીશ સોલંકીને, દ્વિતીય ઈનામ ‘કથા’ નાટકના ગીત દિક્ષીતને અને ‘છેલ્લી મુુલાકાત’ માટે વૈભવ સોનીને એનાયત થયું હતું.
શ્રેષ્ઠ અભિનેતાનું પ્રથમ ઈનામ ‘છેલ્લી મુલાકાત’ માટે મેહુલ વ્યાસને આપવામાં આવ્યું હતું. જ્યારે શ્રેષ્ઠ અભિનેતાનું દ્વિતીય ઈનામ ‘કથા’ના હિરેન વૈદ્યને અને તૃતિય ઈનામ ‘તા. 7મીમેને મંગળવાર’ માટે ડેનિસ પુનીવાલાને અપાયું હતું.
શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં, પ્રથમ ઈનામ પ્રીતિ પટેલ (કથા), દ્વિતીય ઈનામ રૂબી ઠક્કર (રક્તબીજ) અને દીશા મહેતા (આવો જરાક પ્રેમ કરીએ)ને આપવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ સહાયક અભિનેતામાં પ્રથમ ઈનામ ફવાદ શેખ (દેવદાસીની) અને દ્વિતીય ઈનામ વૈભવ સોની (છેલ્લી મુલાકાત)ને આપવામાં આવ્યું હતું.
પ્રથમ પારિતોષિક વિજેતા નાટકઃ દેવદાસીની
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીમાં પ્રથમ ઈનામ રક્ષિતા શાહ (દેવદાસીની), દ્વિતીય ઈનામ ઐશ્વર્યા શાહ (છેલ્લી મુલાકાત)ને આપવામાં આવ્યું હતું.
‘દેવદાસીની’ નાટકને ફાળે ચાર એવોર્ડ એનાયત થયા હતા જેમાં શ્રેષ્ઠ કલા નિર્દેશનમાં પ્રથમ ઈનામ નીલા દોશી, શ્રેષ્ઠ પ્રકાશ રચનામાં પ્રથમ ઈનામ હિતેશ પટેલ, શ્રેષ્ઠ સંગીત સંયોજન સાગર ગોહિલ અને શ્રેષ્ઠ વેશભુષા એવોર્ડ વૈદેહી ઉપાધ્યાયને ફાળે ગયો છે.
શ્રેષ્ઠ યુવા પ્રતિભાનું પ્રથમ ઈનામ હાર્વિ ભટ્ટને ‘સરિતા’ નાટક માટે એનાયત કરવામાં આવ્યું હતું.
બોલીવૂડ-ટેલીવૂડ અને રંગમંચની જાણીતી હસ્તીઓના હાથે વિજેતા સ્પર્ધકોને પોંખવામાં આવી હતી અને નૌશાદે સંગીતબદ્ધ કરેલાં બોલીવૂડનાં ગીતો પર પંડિત બીરજૂ મહારાજની સંસ્થા કલાશ્રમના વિદ્યાર્થીઓ નૃત્યનો એક રસભર્યો કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો.
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ઈનામ વિતરણ સમારંભ…
(તસવીરોઃ દીપક ધુરી)