Home Blog Page 5015

ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનો ઓછાયોઃ આયોજકો ટેન્શનમાં

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ કહ્યું હતું કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસથી હું ચિંતિત છું. 2020 ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભને છ મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે ત્યારે આયોજકો ચીનના આ વાઇરસથી બહુ વધારે ચિંતામાં છે.

 

આયોજન સમિતિના મુખ્ય અધિકારી (CEO)  તોશિરો મ્યુતોએ ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટીના અધિકારીઓની સાથે બેઠક દરમ્યાન ચીનના કોરોના વાઇરસ અંગે ઘેરી ચિંતા દર્શાવી હતી. મને એ વાતનો બહુ ડર લાગે છે કે આ ચેપગ્રસ્ત ઘાતક બીમારી ઓલિમ્પિક રમતો પર દુષ્પ્રભાવ પાડી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે આ બીમારી પર બહુ જલદી કાબૂ મેળવવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકના એથ્લીટ વિલેજમાં 11,000 વિલેજમાં 11,000થી વધુ ઓલિમ્પિયનો રોકાશે. આ વિલેજના મેયર સાબુરો કાવાબુચીએ પણ કોરોના વાઇરસ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આશા કરું છે કે આ ચેપગ્રસ્ત બીમારી જલદી ખતમ થાય, જેથી અમે પેરાલિમ્પિક અને ઓલિમ્પિક રમતોનું સુચારુ સંચાલન થઈ શકે.

 

ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ વારંવાર જણાવ્યું હતું કે ઓલિમ્પિકને સ્થગિત કરવાની હાલ કોઈ યોજના નથી. સ્વિટ્ર્ઝર્લેન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ  પણ આ વાત દોહરાવી હતી.જાપાનમાં આ કોરોના વાઇરસથી અત્યાર સુધી કોઈનાં મોત થયાં નથી, પણ બુધવારે ચીનમાં આ આંકડો 490 સુધી પહોંચી ગયો હતો. ચીન હેલ્થ કમિશને  મંગળવારે 65 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કોરોના વાઇરસથી 3,887 લોકોને ચેપગ્રસ્ત હતા.  અત્યાર સુધી 24,324 લોકોને આ વાઇરસથી ચેપ લાગ્યો છે.

 

નિર્ભયા કેસમાં હવે ચારે આરોપીઓને એકસાથે ફાંસી

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા મામલે ચારે આરોપીઓને  ડેથ વોરંટ પર અટકાવવાની અરજી પર સ્ટે મૂકી દીધો છે અને આદેશમાં કહ્યું છે કે બધા આરોપીઓને એકસાથે ફાંસી આપી દેવામાં આવે. ફાંસી ત્યાં સુધી જ ટાળી શકાય, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોય.

દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી અરજી પર ચુકાદો આપ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારે નીચલી કોર્ટ દ્વારા નિર્ભયાના હત્યારાના ડેથ વોરન્ટ પર અનિશ્ચિત સમય સુધી સ્ટે મૂકવાનો આદેશ કર્યો હતો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કેવો છે મતદારોનો મૂડ?

શાસક આમ આદમી પાર્ટી (AAP)એ શહેર-રાજ્ય દિલ્હીમાં દરેક પરિવારને ચોક્કસ સ્તર સુધી પીવાનું મફત પાણી અને વીજપૂરવઠો આપવા તેમજ દિલ્હીના ઘણા ખરા ભાગોમાં વાઈ-ફાઈ તથા સીસીટીવી સુવિધા પૂરી પાડવાના નામે વોટ માગ્યો છે. તદુપરાંત શાળાઓમાં તથા આરોગ્યના માળખામાં વિકાસ કરવા, ઓનલાઈન માગણી કરનારાઓને એમના ઘરમાં સરકારી સેવાઓ પહોંચતી કરવા, મહિલાઓ માટે મફત જાહેર પરિવહન સુવિધા, રસ્તાઓ અને પૂલોના કામકાજમાં પ્રગતિ લાવવા અને રાજ્યના બજેટનું કદ બમણું કરવા જેવા અન્ય મુદ્દાઓ ઉપર પણ વોટ માગ્યો છે.

આમ આદમી પાર્ટીને પડકાર ફેંક્યો છે ભારતીય જનતા પાર્ટીએ, જે કેન્દ્રમાં સત્તા પર છે. તે દિલ્હીવાસીઓ પાસેથી પોતાના એ નિર્ણય પર મત માગે છે કે એણે ગેરકાયદેસર કોલોનીઓમાં 40 લાખ ઝૂંપડપટ્ટીના ઘરોને નિયમિત કરી દીધા. AAPની સરકાર પોતે જે વિકાસલક્ષી કાર્યો કર્યાનો દાવો કરે છે એના વિસ્તારીકરણ, ગુણવત્તા અને કદ અંગે પણ સરકારને ભાજપ સવાલ કરી રહી છે. દિલ્હીની ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે તો એનાથી એની કેન્દ્રીય સત્તા પર કોઈ પ્રકારની આંચ આવવાની નથી, પરંતુ નાગરિકતા અને વસ્તી ગણતરીની CAA-NRC-NPRની કાયદા-પ્રક્રિયાઓનો આરંભ કરાયા બાદ રાષ્ટ્રીય પાટનગરની આ ચૂંટણી પહેલી એવી છે જ્યાં મતદારો એમનો ચુકાદો આપશે. વળી, આ ચૂંટણી ભાજપમાં તેમજ કેન્દ્ર સરકારમાં મોદી-શાહની જોડીની શાસકીય ક્ષમતા માટે પ્રતિષ્ઠા સમી પણ બની છે. બીજી બાજુ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જો ચૂંટણીમાં ફરી જીતશે તો તેઓ એમની આ સફળતાનો ઉપયોગ કરશે તથા એમના બહુ વખણાયેલા દિલ્હી-મોડેલના શાસનનો દેશના અન્ય રાજ્યોમાં ફેલાવો કરશે.

રેસમાં ઉતરનાર ત્રીજો પક્ષ છે કોંગ્રેસ, જે થોડીક રમૂજ પૂરી પાડે છે અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે AAP સરકારે માત્ર છેલ્લા છ મહિનામાં જ મોટા ભાગના વિકાસલક્ષી કાર્યો કર્યા છે. રસપ્રદ રીતે, કોંગ્રેસ માટે ભાજપ વિશે બોલવા જેવું કંઈ રહ્યું નથી. ભાજપ છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં મહાનગરપાલિકામાં અને કેન્દ્રમાં લગભગ છ વર્ષથી શાસન કરે છે. પ્રચાર ઝુંબેશ પરથી એવું જણાયું છે કે કોંગ્રેસને ભાજપ તરફથી કોઈ રાજકીય પડકારની ચિંતા નથી, પરંતુ પોતાની વોટ-બેન્કને આમ આદમી પાર્ટી છીનવી ગઈ એનું તેને દુઃખ છે.

મહિલા દેખાવકારો લગભગ બે મહિનાથી અને કાતિલ ઠંડીનો સામનો કરીને શાહીનબાગ ખાતે CAA-NRC વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કરી રહી છે અને જામિયા યુનિવર્સિટી તથા જેએનયૂના વિદ્યાર્થીઓની મારપીટની ઘટનાઓ અને એના વિડિયો જે રીતે સોશિયલ મિડિયા પર સર્ક્યૂલેટ થયા છે ત્યારે AAPની નેતાગીરીએ આ બધાયથી ચતુરાઈપૂર્વક અંતર જાળવી રાખ્યું છે. ભાજપ તથા મિડિયાનો અમુક વર્ગ AAPને આ મામલામાં ઢસડવાની બહુ કોશિશ કરે છે, જેથી એને કોમી રંગ આપી શકાય. કેજરીવાલે ચોખ્ખું જણાવી દીધું છે કે સંસદમાં AAP પાર્ટીએ CAAની વિરુદ્ધમાં મત આપી દીધો છે તેથી દિલ્હીની ચૂંટણીમાં CAA-NRC મુદ્દાનું એને મન મહત્ત્વ નથી, પરંતુ બેરોજગારીની સમસ્યા સામે પગલાં લેવા તથા આર્થિક વિકાસને વધારવાને મહત્ત્વ આપે છે. 

દિલ્હીની ચૂંટણીને કોમી રંગ

ભાજપના હતાશ ઉમેદવાર અને AAPની વિરુદ્ધ બાજુએ આવી ગયેલા કપિલ મિશ્રાએ દિલ્હીની ચૂંટણીમાં પાકિસ્તાનને ઢસડવાનો પ્રયાસ કર્યો હતો તથા કોમવાદની ભાષા ઉચ્ચારી હતી, પણ એમાં એમને ચૂંટણી પંચ તરફથી ઠપકો સાંભળવો પડ્યો અને બે દિવસ સુધી પ્રચાર કરવાનો એમની પર પ્રતિબંધ પણ મૂકાયો. એટલું જ નહીં, દિલ્હી પોલીસને આદેશ આપવામાં આવ્યો કે એ મિશ્રા સામે એફઆઈઆર નોંધે. એટલે દિલ્હીની ચૂંટણીમાં મૂડ કેવો છે એની સાબિતી મળી ગઈ છે.

આ વખતનો ચૂંટણીજંગ ખરેખર ભપકાદાર છે, કારણ કે AAP પાર્ટીએ એની પૂરી તાકાત લગાવી દીધી છે. અન્ય રાજ્યોમાંથી એના સેંકડો સ્વયંસેવકો પણ પાર્ટીની મદદે આવી ગયા છે. એનાથી AAPની તાકાત વધી ગઈ છે. પક્ષના ચૂંટણી પ્રચારમાં ગીત-નૃત્યો, શેરી-નાટકો તથા સોશિયલ મિડિયા મીમ્સનો પણ સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, ભાજપે 21 દિવસમાં જ 5000 જેટલી નાની સભાઓ યોજવાનું નક્કી કર્યું, જેમાં અમુક સભાઓ તો વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તથા કેન્દ્રીય પ્રધાનો સહિત પક્ષના ટોચના નેતાઓ ગજાવશે એવું નક્કી થયું. જોકે વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે પોતે 6 ફેબ્રુઆરી સુધીમાં માત્ર ચાર જ ચૂંટણીસભા કરશે. 6 ફેબ્રુઆરીએ ચૂંટણીપ્રચારનો અંત આવી જશે. મતદાન 8 ફેબ્રુઆરીએ છે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ છે. કોંગ્રેસ પાર્ટી સોશિયલ મિડિયા પર પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે.

દિલ્હીમાં વિધાનસભાની કુલ 70 બેઠકો છે. આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. એણે 15 વિધાનસભ્યોને ફરી ટિકિટ આપી નથી અને ત્યાં નવા ચહેરાઓને જંગમાં ઉતાર્યા છે. એમાંથી બે જણ બળવાખોર અપક્ષ ઉમેદવારો બની ગયા અને બાદમાં પોતાની ઉમેદવારી પાછી પણ ખેંચી લીધી. અન્ય બે ઉમેદવાર (આદર્શ શાસ્ત્રી અને અલકા લાંબા) કોંગ્રેસમાં જોડાઈ ગયાં અને એમાંથી ટિકિટ મેળવી. એક અન્ય નેતા (કપિલ મિશ્રા) ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે.

ભારતીય જનતા પાર્ટી 67 બેઠકો પર ચૂંટણી લડે છે. એણે બે સીટ જનતા દળ (યુનાઈટેડ)ને આપી છે અને એક સીટ રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટીને આપી છે. ભાજપના ઉમેદવારોની યાદીમાં છ મહિલા ઉમેદવારો છે. (આની સામે AAPમાં આઠ મહિલા ઉમેદવારો છે). કોંગ્રેસ પણ 67 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એણે બિહારમાં તેના સહયોગી પક્ષ રાષ્ટ્રીય જનતા દળને 3 બેઠક આપી છે.

2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, AAP, ભાજપ અને કોંગ્રેસના 143 ઉમેદવારો પાસે રૂ. 1 કરોડ કે તેથી વધારે કિંમતની સંપત્તિ હતી. આ વખતે, એ આંકડો વધીને 164 થયો છે. મતલબ કે લગભગ 11 ટકા વધ્યો. વધુમાં, 13 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે એમની પાસે રૂ. 50 કરોડથી વધારે કિંમતની સંપત્તિ છે. આમાં આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારો છે તો કોંગ્રેસના ચાર અને ભાજપના 3 ઉમેદવારો છે.

2015ની ચૂંટણીમાં, AAPના ઉમેદવારોની સરેરાશ ઉંમર 43.1 વર્ષ હતી, પરંતુ આ વખતે એ વધીને 47.3 થઈ છે. ભાજપના મામલે, તેના ચૂંટણી ઉમેદવારોની સરેરાશ વયમાં નજીવો ફેરફાર થયો છે. 2015માં સરેરાશ વય 51.7 હતી, જે હાલ વધીને 52.8 થઈ છે. એનાથી વિપરીત, કોંગ્રેસ પાર્ટીએ ઘરડા ઉમેદવારોની સંખ્યા ઘટાડી દીધી છે. એની સરેરાશ વય 53.3 હતી, જે હાલ 51.2 થઈ છે. AAPના 20 ઉમેદવારો 40થી નીચેની વયના છે, કોંગ્રેસના એવા 12 ઉમેદવારો છે. જ્યારે ભાજપના માત્ર 6 છે. ઉમેદવારોની વયના મામલે AAPનો હાથ ઉપર રહ્યો છે.

દિલ્હીના લગભગ બે કરોડ મતદારો ઘણા અણધાર્યા રહ્યા છે. કોંગ્રેસનાં શીલા દીક્ષિતને સતત ત્રણ મુદત આપ્યા બાદ 2013માં, એમણે ત્રિશંકુ વિધાનસભાનો ચુકાદો આપ્યો હતો. એ વખતે, અણ્ણા હઝારેની આગેવાની હેઠળ ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત’ આંદોલનમાંથી અમુક ભાગ છૂટો પડ્યો એમાંથી આમ આદમી પાર્ટીનું સર્જન થયું. ત્રિશંકુ વિધાનસભા ચુકાદા બાદ 2015ના એપ્રિલમાં ફરી ચૂંટણી થઈ ત્યારે AAPએ સપાટો બોલાવી દીધો અને 67 બેઠક જીતી લીધી. બાકીની 3 સીટ ભાજપને મળી. પરંતુ, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી દીધો હતો અને તમામ 7 બેઠકો જીતી હતી. તે ઉપરાંત ભાજપે ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ જીતી હતી અને AAPને બીજું સ્થાન મળ્યું હતું.

આમ, એક વાત સ્પષ્ટ થાય છે કે દિલ્હીમાં કેન્દ્રીય અને સ્થાનિક ચૂંટણીઓમાં મતદારોનું વલણ સાવ જુદું જ રહે છે. બે જુદા જુદા હેતુઓ માટે તેઓ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને એમના હિરો માને છે. હવે આ વખતે પણ એ જ ટ્રેન્ડ ચાલુ રહે એવી ધારણા છે. તમામ જનમતોનો વરતારો આવ્યો છે કે AAP આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરશે.

ઘણા નિરીક્ષકોનું માનવું છે કે આમ આદમી પાર્ટી જીતે એ જરૂરી છે કારણ કે તો જ એ સાબિત થશે કે સુશાસન ચૂંટણી જીતી શકે છે. CAA-NRC મુદ્દાઓ પરની ઉગ્ર ચર્ચા બાદ લોકોની ગંભીર લાગણીનું મહત્ત્વ પણ એનાથી ઘટી જશે, કેન્દ્રીય સ્તરે રાજકારણમાં રાજકીય હરીફાઈનું સંતુલન જળવાશે તથા કાર્યશીલ લોકશાહી જીવંત રહેશે અને મજબૂત પણ થશે. 11 ફેબ્રુઆરીએ એનો જવાબ આવી જશે.

તે છતાં, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે AAP વિજેતા બનશે તો એનું નવું લક્ષ્ય ફરીથી રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણનું રહેશે જેમાં મનીષ સિસોદીયા દિલ્હીનો કારભાર સંભાળશે અને કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરે આગળ વધશે. પરાજીત ભાજપ એ ફટકાને ભૂલીને પોતાનું ધ્યાન બિહાર અને બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીઓ પર કેન્દ્રિત કરશે, જે પણ ભાજપ માટે બહુ જ મહત્ત્વની છે. ભાજપની જીત થશે તો આમ આદમી પાર્ટી પર કયામત આવી જશે અને મોદીને જનતાનો ટેકો હજી પણ કેટલો મજબૂત એ સ્થાપિત થશે, કારણ કે આ વખતની ચૂંટણી પણ કેજરીવાલ અને મોદીને જ આગળ રાખીને લડવામાં આવી રહી છે. કોંગ્રેસને તો બંને બાજુએ ગુમાવવાનું જ આવશે.

(પ્રો. ઉજ્જવલ કે. ચૌધરી)

(લેખક કટારલેખક અને ટેલિવિઝન ન્યૂઝ એનાલિસ્ટ છે તથા કોલકાતાસ્થિત એડમાસ યુનિવર્સિટીના પ્રો વાઈસ ચાન્સેલર છે)

 

રામમંદિર નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ નું ગઠન થશે

નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટના અંતિમ ચૂકાદાના 88 દિવસ પછી કેન્દ્ર સરકારે રામ મંદિર બનાવવા માટે નવા ટ્રસ્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં 15 સભ્યો હશે. દિલ્હી ચૂંટણીના ત્રણ દિવસ પહેલા અને કેબિનેટના નિર્ણય પછી તુરંત જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, ‘મને આજે આ ગૃહને, દેશને જણાવતા ખુશી થઈ રહી છે કે કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. કેબિનેટની બેઠકમાં રામ મંદિરના ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રસ્ટનું નામ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર રાખવામાં આવ્યું છે. રામ મંદિરના નિર્માણ અને તે અંગેના નિર્ણયો લેવા માટે ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે. આ સાથે જ કેન્દ્ર સરકારે તેમના નેજા હેઠળની 67.703 એકર જમીન પણ ટ્રસ્ટને સોંપી દીધી છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, અમે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવાની અપીલ કરી હતી, જેને ઉત્તરપ્રદેશ સરકારે સ્વીકારી લીધી છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું છે કે તમામ ધર્મના લોકો એક જ છે. પરિવારના તમામ સદસ્યો ખુશ રહે એ માટે જ સબકા સાથ સબકા વિશ્વાસના મંત્રને આધારે સરકાર કામગીરી કરી રહી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે એક સ્વરમાં તમામ પોતાનો મત રજૂ કરે. રામ મંદિર ટ્રસ્ટમાં દિગંબર અખાડા, નિર્મોહી અખાડા, રામલલ્લા વિરાજમાનના ત્રણ સદસ્યોમાંથી એકનો સમાવેશ સરકાર કરી શકે છે. મોદી સરકાર આ ટ્રસ્ટથી સરકારને અલગ રાખવા માગે છે એટલે સરકારી અધિકારીઓને આ ટ્રસ્ટમાં જગ્યા મળશે નહીં. જોકે, પૂર્વ સરકારી અધિકારી આ ટ્રસ્ટમાં સામેલ થઈ શકે છે.

મોદી સરકાર જે 67.7 એકર જમીન ટ્રસ્ટને આપી રહી છે તેને નરસિંહા રાવ સરકારે અધિગ્રહિત કરી હતી. 1991થી 1993ની વચ્ચે કેન્દ્રની તત્કાલિન પીવી નરસિંહા રાવની સરકારે વિવાદિત સ્થળ અને તેની આસપાસની લગભગ 67.7 એકર જમીનનું અધિગ્રહણ કર્યું હતું. 0.313 એકર જમીન પર બાબરી મસ્જિદનો ઢાંચો હતો. આ સાથે કુલ 2.77 એકર જમીન પર વિવાદ હતો. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટોનો નિર્ણય આ 2.77 એકર જમીન પર આવ્યો હતો. બાકીની જમીન પર વિવાદ ન હતો. એટલા માટે એ જમીન પર કેન્દ્ર સરકારનું જ નિયંત્રણ છે.

મસ્જિદ: રોનાહીના ધાનીપુરમાં મસ્જિદ માટે જમીન ફાળવાશે

સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ માટે 5 એકર જમીન લખનૌના સોહાવાલ તાલુકાના ધાનીપુર ગામમાં આપવામાં આવશે. આ જમીન જિલ્લા કાર્યાલયથી માત્ર 18 કિલોમીટરના અંતર પર છે. કેન્દ્ર સરકાર હવે આ પ્રસ્તાવને મંજૂરી માટે સુપ્રીમ કોર્ટને મોકલશે.

ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના અંતિમ ચૂકાદાને પડકાર આપતા 18 રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી, જેને 12 ડિસેમ્બરના રોજ ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે ફગાવી દીધી હતી. ત્યારપછી 21 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશની પીસ પાર્ટી ઓફ ઈન્ડિયાએ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી જે હજું સુપ્રીમમાં લંબિત છે.

 

ફિટનેસ પર હાર્દિક પંડ્યા કરી રહ્યો છે મહેનતઃ કરી શકે વાપસી

નવી દિલ્હીઃ  ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે ઈજાના કારણે ટીમમાં નથી. હાર્દિકની લંડનમાં સર્જરી થઈ હતી અને બાદમાં તે પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી સીરીઝની છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા મુંબઈની મેચમાં ટીમનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યો હતા. આજે હાર્દિકે પોતાનો એક વિડીયો શેર કર્યો છે. હાર્દિક પોતાની ઈજામાંથી તેજીથી સાજો થઈ રહ્યો છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે તે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટીમ સાથે જોડાઈ શકે છે. ભારતની ટીમ જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે, જેમાં ટીમ 5 ટી-20, 3 વન-ડે, અને બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે.

પંડ્યાએ કહ્યું કે, મે વિચાર્યું હતું કે આ સમય સર્જરી માટે નહી રહે કારણ કે જો મને પાછા આવતા ચાર મહિના પણ થશે તો પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં અથવા તો સીરીઝમાં વચ્ચે હું પાછો આવી શકીશ. અમારું પ્લાનિંગ એ હતું કે, હું આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં જતા પહેલા કેટલીક ઈન્ટરનેશનલ મેચ અને આઈપીએલની મેચમાં રમું.

હાર્દિક પંડ્યા છેલ્લે ભારતીય ટીમ તરફથી સપ્ટેમ્બર મહિનામાં ટી-20 મેચ રમ્યો હતો. ઓક્ટોબરમાં તેમણે પોતાની પીઠની સર્જરી કરાવી હતી અને બાદમાં તે ટીમથી બહાર થયો હતો. હાર્દિકે 10 ઓક્ટોબરના રોજ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં મારી પીઠનો ખ્યાલ રાખ્યો અને શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા કે જેથી મારે સર્જરી ન કરાવવી પડે. પણ મેં જોયું કે હું મારું 100% આપવામાં સફળ નહોતો થઈ રહ્યો, જેનો અર્થ છે કે હું મારા પોતાની સાથે અને મારી ટીમ સાથે ન્યાય નહોતો કરી શકતો. બાદમાં મે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.

એલઆઇસીનું શેરવેચાણઃ કર્મચારીઓનું યુનિયન જનઆંદોલનને માર્ગે

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
ઓલ ઇન્ડિયા નેશનલ લાઇફ ઇન્શ્યોરન્સ એમ્પ્લોયીઝના જનરલ સેક્રેટરી રાજેશ નિમ્બાલકરે જણાવ્યું હતું કે એલઆઇસી એ દેશમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર નાણાકીય સંસ્થા છે. સરકારને કંપનીનો હિસ્સો વેચવાની કેમ ફરજ પડી અને તે માનીતા ઉદ્યોગકારોને આપવા માગે છે? એલઆઇસી સંપૂર્ણપણે લોકોનાં હિતમાં કામ કરી રહી છે ત્યારે કંપનીનો હિસ્સો વેચવાની કેમ જરૂર પડી,  એવો પ્રશ્ન તેમણે પ્રશ્ન કર્યો હતો.
સરકાર માટે એલઆઇસી દૂઝણી ગાય સમાન
સરકાર એલઆઇસીનો હિસ્સો વેચવા કેમ તૈયાર થઈ છે? એમ તેમણે સવાલ પૂછ્યો હતો. તેમણે જણાવ્યું હતું. એલઆઇસી એ નુકસાન કરતી સંસ્થા નથી, પણ પ્રતિ વર્ષ સરકારને રૂ. 2,600 કરોડનું ડિવિડન્ડ ચૂકવે છે.

જનઆંદોલનને ગુજરાતનાં સાત ડિવિઝનનો ટેકો
ઓલ ઇન્ડિયા લાઇફ ઇન્શ્યોરન્સ એમ્પ્લોયીઝના પશ્ચિમ ઝોન (ગુજરાત)ના સેક્રેટરી મહેશભાઈ રાવલને કંપનીના હિસ્સાને શેરવેચાણ થકી વેચવા અંગે ચિત્રલેખા.કોમ એ ભાવિ રણનીતિ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલે કંપનીની ઓફિસ ખાતે કર્મચારીઓએ એક કલાક દેખાવો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સ્તરે તેમનાં યુનિયનો જેકોઈ નિર્ણય લેશે એને તેઓ અનુસરવાના છે. આગામી સમયમાં તેઓ રાષ્ટ્રીય સ્તરે જનઆંદોલન કરવાના છે અને એ માટેની રણનીતિ તૈયાર થશે. આ માટે તેમને ક્લાસ-I, II (ડેવલપમેન્ટ અધિકારીઓ) અને ક્લાસ III-IVના કર્મચારીઓનો ટેકો છે. આ ઉપરાંત તેમને પોલિસીહોલ્ડર ઓથોરિટી અને એજન્ટ એસોસિયેશનનો પણ સપોર્ટ છે. ગુજરાતમાં સાત ડિવિઝન છે અને તેના 95 ટકા કર્મચારીઓનો તેમને ટેકો છે.

એલઆઇસીનું બંધારણ અને કદ

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સરકારી માલિકીની છે, જેની સ્થાપના 1956માં સંસદમાં લાઇફ ઇન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયા એક્ટ પસાર કરીને કરવામાં આવી હતી. કંપનીની કુલ સંપત્તિ 2019 સુધીમાં રૂ. 31.12 લાખ કરોડ (450 અબજ ડોલર) છે.  કંપનીની એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, આઇડીબીઆઇ બેન્ક અને લાઇફ પેન્શન ફંડ સહિત અનેક પેટા કંપનીઓ છે.
નિમ્બાલકરે ઉમેર્યું હતું કે એલઆઇસીનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પહેલા સંસદની મંજૂરી લેવી પડશે. ત્યાર બાદ એલઆઇસી બોર્ડ અને વીમા નિયામકની મંજૂરી લેવી પડશે. એ પછી બજાર નિયામકની મંજૂરી લેવાની રહેશે અને ત્યાર બાદ એલઆઇસીનો 10 ટકા હિસ્સો વેચાશે. એપ્રિલથી ડિસેમ્બર 2019 સુધીમાં કંપનીને નવા પ્રીમિયમની આવક રૂ. 1.37 લાખ કરોડ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 45.5 ટકાનો વધારો દર્શાવે છે. જોકે એક મહિનામાં (ડિસેમ્બર, 2019)માં કંપનીએ 16,861.98 કરોડ માંડી વાળ્યા હતા.


હવે ઉનાળાની ગરમીમાં ય બાળકો ભણશેઃ શાળા શૈક્ષણિક સત્રમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનાની શરુઆતમાં પૂરી થયા બાદ એક મહિનો અઘોષિત વેકેશન રહેતું હતું પરંતુ તેને રદ્દ કરીને એપ્રિલ મહિનાથી જ નવા શૈક્ષણિક સત્રની શરુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

હવેથી ધોરણ 1 થી 12 નું વર્ષ  2020-21 નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ,2020 થી આરંભાશે. વેકેશન 1 મે થી પાંચ સપ્તાહનું રહેશે. વેકેશન પછી શાળા યથાવત રહેશે. હવે શૈક્ષણિક સત્રનો એક મહિનો વધી જશે.

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા આશરે 1.14 કરોડ જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સત્રમાં ફેરફાર કરીને સીબીએસઈ પેટર્નનું કરવાનું નક્કી કર્યું છે. શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ-2009 પ્રમાણે ધોરણ 1 થી 5 માં 200 દિવસ અને ધોરણ 6 થી 8 માં 220 દિવસથી ઓછા ન હોવા જોઈએ.

તો ધોરણ 9 થી 12 માં 240 થી ઓછા દિવસ ન હોવા જોઈએ. ત્યારે આ જોગવાઈને ધ્યાને રાખતા અત્યાર સુધી પ્રથમ સત્ર અને બીજા સત્રના દિવસની જોગવાઈમાં વધઘટ થતી હતી. અત્યાર સુધી 15 મી જૂનથી શરુ થનારું શૈક્ષણિક સત્ર હવે એપ્રિલ મહિનાથી આરંભાશે.

ચાલુ વર્ષે નવું શૈક્ષણિક વર્ષ 2020 માં 21 દિવસો ઘટતા હોવાથી તારીખ 20 એપ્રિલથી આરંભાશે પણ વર્ષ 2021-22 નું નવું શૈક્ષણિક વર્ષ તારીખ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને આ પછી તારીખ 1 મેથી પાંચ સપ્તાહનું વેકેશન રહેશે.

એક રૂપિયાના 64 પૈસા બંધ કેમ કરી દેવાયા?

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેનો હિસાબ દર વખતે બજેટ પછી રજૂ થતો હોય છે. આખી દુનિયા રૂપિયા પર ચાલે છે એવો અફસોસ કર્યા પછી આપણેય ખિસ્સામાં કેટલા ખણખણીયા છે તે જોઈ લેવું પડે છે. રોકડ વિના રંકને પણ ચાલતું નથી અને રાજાને પણ ચાલતું નથી. લખપતિ શેઠિયો હોય, તે ચમડી તોડી નાખે, પણ દમડી છોડે નહિ અને સાધુ પણ ભાગ્યે જ જડે, જેને ફૂટી કોડીની પણ પડી ના હોય.

સબ સે બડા રૂપૈયા એવું ગીત સાંભળ્યું છે તે કંઈ ખોટું નથી, કેમ કે હિસાબકિતાબ વિના કોઈને ચાલતું નથી. પણ હિસાબ કરવાનું સહેલું પડે તે માટે પ્રાચીન સમયથી ચલણ વિશે સત્તાધીશો વિચારતા રહ્યા હતા. મારા નામના તો સિક્કા ચાલે છે એવું બડાઈ મારવા માટે આપણે કહેતા હોઈએ છીએ તેની પાછળ ઇતિહાસ છે. ચલણનો અને રાજાનો અને સિક્કાનો ઇતિહાસ. નવો રાજા આવે એટલે પોતાના નામના સિક્કા પડાવે અને ચલણમાં મૂકવામાં આવે. નાના રાજાની ત્રેવડ ના હોય એટલે મહારાજા અને સમ્રાટોના સિક્કા ચાલે. તુઘલકે રાજધાની બદલવાનો તુક્કો લગાવેલો તે રીતે સિક્કા બદલવાનો તુક્કો પણ લગાવેલો. તાંબાના સિક્કાસનું ચલણ લાવવાનું નક્કી કર્યું ત્યારે થયું એવું કે લુહારોએ બીજું કામ પડતું મૂકીને તાંબા કિસ્સા બનાવવાનું ચાલુ કરી દીધેલું. નકલી ચલણ એટલું બધું વધી પડ્યું કે તુઘલકનું રાજ્ય બરબાદ થઈ ગયું હતું.

તેનું કારણ એ કે ચલણનું એક મૂલ્ય હોય છે અને ચલણનો સિક્કો તૈયાર કરવા માટે ખર્ચ થાય તે ઓછો હોય તો લોકો નકલી સિક્કા બનાવવાનો જ ધંધો કરે. ચલણ તૈયાર કરવાનો ખર્ચ તેના મૂલ્ય કરતાં વધારે હોવો જોઈએ. અથવા હાલના સમયમાં છે તે રીતે નોટો છાપવાની પદ્ધતિ એટલી અઘરી હોવી જોઈએ કે નકલી નોટો છાપી શકાય નહિ. તેમ છતાંય નકલી નોટો થોડી ઘણી છપાતી રહે છે.

આના પરથી જ રૂપિયાનું ‘મૂલ્ય’ બહુ અગત્યનું બની રહે છે. રૂપિયાનું મૂલ્ય સત્તાવાર અને બિનસત્તાવાર એમ બંને રીતે હોય છે. બિનસત્તાવાર મૂલ્ય એટલે આપણે સૌ જે રીતે રૂપિયા, નાણા, ધન, સંપત્તિને જોતા હોઈએ છીએ તે, અને સત્તાવાર મૂલ્ય એટલે રૂપિયા બરાબર કેટલા પૈસા. આ તો બહુ સહેલું છે એમ તમને લાગશે – એક રૂપિયાના એક સો પૈસા. બરાબર છે, એક રૂપિયો એટલે એકસો પૈસા થાય. તે પછી એકસો રૂપિયા, હજાર, લાખ, કરોડ એવી રીતે ગણતરી ચાલે, પણ એક રૂપિયાનું મૂલ્ય આ રીતે નિર્ધારિત થયું તે સત્તાવાર રીતે થયેલું હોય છે. સાચી વાત એ છે કે રૂપિયાનું મૂલ્ય પ્રથમથી જ એકસો પૈસા નથી. આના શબ્દ હમણાં સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. ચાર આના અને આઠ આઠા આપણે બોલતા હતા અને તેના સિક્કા પણ હતા. પાવલી એટલે કે 25 પૈસાનો સિક્કો ચાર આના અને 50 પૈસાનો સિક્કો આઠ આના.

પરંતુ પાઈ, દમડી, ફૂટી કોડી આવા શબ્દો આપણે વધારે કહેવતોમાં સાંભળ્યા છે અને તેનું અસલી મૂલ્ય શું તે હવે કદાચ થોડી જૂની પેઢીના લોકોને પણ ના ખબર હોય તેવું બને. કોડી તો ખરી, પણ ફૂટી કોડી એટલે શું? એક કોડીના ત્રણ ભાગ ત્યારે ફૂટી કોડી બને! ત્રણ ફૂટ કોડી એટલે એક કોડી મૂલ્ય. આનાનો હિસાબ વધારે સહેલો હતો. રૂપિયામાં સોળ આના હતા. સોળ આના સચ – એ કહેવત યાદ છેને!

એક આનાના પણ ભાગ પડતા હતા. ચાર પૈસા ભેગા ત્યારે એક આનો થતો હતો. એટલે ગણી લો હિસાબ મળી જશે. ચાર આના એટલે પાવલી=25 પૈસા. ચાર પાવલી ભેગી થાય એટલે 100 પૈસાનો રૂપિયો થઈ જાય. જોકે સત્તાવાર રીતે એક રૂપિયાને 100 પૈસામાં ગણવાની શરૂઆત બ્રિટિશરો ગયા તે પછી થઈ હતી, તેની વાત આગળ કરીશું.
પૈસાનો પણ ભાગ પડે – એક પૈસામાં ત્રણ પાઈ આવે. એટલે જ કહેવત પડી હતી કે પાઈ પાઈએ ભેગી કરીને પૈસો બચાવ્યો હોય, તે ગુમાવ્યાનું દુખ થાય. દોઢ પાઈનો એક ધેલા થતો હતો, પણ તે બહુ પ્રચલિત નથી. એક ધેલાની બે દમડી થાય તે દમડી શબ્દ વળી કહેવતમાં પ્રચલિત હતો. દમડીના પણ ભાગ પડે – એક દમડીની 10 કોડી આવે અને છેલ્લે આવે એક કોડીની ત્રણ ફૂટી કોડી. હવે ખ્યાલ આવ્યો શા માટે જૂની પેઢીના લોકો કહેતા હતા કે રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો?
પાઈ પાઈ ભેગી કરવાની વાત જવા દો, બહુ જૂના સમયે એક એક ફૂટી કોડી ભેગી કરીને માંડ માંડ રૂપિયો ભેગો થતો હતો. રજવાડાના સમયમાં આખો રૂપિયો પગાર હોય તે બહુ મોટી વાત કહેવાતી હતી. રૂપિયાનો હિસાબ નીચેની રીતે સમજો એટલે વધારે સ્પષ્ટ થઈ જશે.

1 રૂપિયો= 16 આના
16 આના= 64 પૈસા
64 પૈસા= 128 ધેલા
128 ધેલા= 192 પાઈ
192 પાઈ= 265 દમડી
265 દમડી= 2650 કોડી
2650 કોડી= 7950 ફૂટી કોડી

સરળ હિસાબ માટે (ઓછી પ્રચલિત ધેલાને બાદ કરીને)

3 ફૂડી કોડી= 1 કોડી
3 કોડી= 1 દમડી
3 દમડી= 1 પાઈ
3 પાઈ= 1 પૈસો
4 પૈસા= 1 આનો
16 આના= 1 રૂપિયો

1540ની આસપાસ શેરશાહ સૂરીએ સિક્કા પડાવ્યા તે રૂપું (ચાંદી)માંથી બનેલા હતા એટલે તેનું નામ રૂપિયા પડ્યું. 11.453 ગ્રામનો એક સિક્કો બનતો હતો. તુઘલકે તાંબામાંથી સિક્કા બનાવેલા તેને દામ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેના પરથી દમડી શબ્દ આવ્યો હતો. સોનાના સિક્કાને મોહર કહેવાતા હતા. સોનામહોર એક પ્રકારનો સિક્કો હતો. ત્યાંથી આજે આપણે રૂપિયાની નોટ સુધી પહોંચ્યા છીએ. વચ્ચે ઉપર ગણાવ્યા તે પ્રમાણે 16 આનાનો રૂપિયો ગણાતો હતો. તેનું વજન 11.66 ગ્રામનું હતું.

ભારતે શૂન્યની અને દશમાંશની શોધ કરેલી પણ ચલણમાં તેનો ઉપયોગ અમેરિકાએ શરૂ કર્યો હતો. અમેરિકાએ પાયાના ચલણને સો હિસ્સામાં ગણાવાનો એટલે કે ડૉલરના 100 સૅન્ટનો હિસાબ નક્કી કર્યો હતો. અમેરિકાએ 1792થી આ પદ્ધતિ અપનાવી હતી. યુરોપના બીજા દેશોએ પણ આ સહેલી રીત અપનાવી લીધી હતી. પણ બ્રિટનમાં જૂની પદ્ધતિ ચાલતી રહી. તેથી ભારતમાં પણ આના પદ્ધતિ ચાલતી રહી. આઝાદી પછી છેક ભારતે પણ રૂપિયાનું મૂલ્ય (64 પૈસાને બદલે) 100 પૈસા કરવાનું નક્કી કર્યું. પરંતુ મૂલ્ય ફેરવવાનું કામ એટલું સહેલું હોતું નથી. તુઘલકે તાંબાના સિક્કા નક્કી કર્યા અને બધા લોકો સિક્કા બનાવવા લાગ્યા તેના કારણે ભારે અરાજક સ્થિતિ પેદા થઈ હતી. તે જ રીતે રાતોરાત એક રૂપિયાના 100 પૈસા કરી નખાય તો ચાર આના અને આઠ આનાની ગણતરી મુશ્કેલ બને. તેથી ધીમ ધીમે આયોજનપૂર્વક રૂપિયો બરાબર 100 પૈસા દાખલ થયા હતા.

1955માં પ્રથમ તો સંસદમાં સિક્કા બહાર પાડવા અંગેના કાયદામાં સુધારો કર્યો. દશમાંશ પદ્ધતિ અપનાવાનું નક્કી કરાયું અને સૌથી નાની મુદ્રા પાઈની જગ્યાએ પૈસોને બનાવવામાં આવી. ત્રણ પાઈનો એક પૈસા થાય તે હિસાબ ભૂલી જવાનો અને હવે એક પૈસાથી શરૂઆત થાય. 100 પૈસાનો રૂપિયો થાય. હવે એક પૈસો (નયું-નયા પૈસા પરથી), બે પૈસો, ત્રણ પૈસા (તિનિયું), 25 પૈસા (પાવલી), 50 પૈસાના સિક્કા તૈયાર થયા. પરંતુ ચાર અને આઠ આનાનો હિસાબ બેસાડવો મુશ્કેલ પડત હતો. કહેવાય ચાર આના, પણ તેનું મૂલ્ય 16 પૈસાના બદલે 25 પૈસાનું હોય. ટપાલ ટિકિટ, રેલવે ટિકિટ આના-રૂપિયામાં હતી તેમાં ફેરફાર કરવો પડે તેમ હતો. ખેતી માટે આનાવારી નક્કી થતી હતી, મહેસૂલનો દર પણ આનાવારી પ્રમાણે હતો તે બધામાં ફેરફારો કરવા પડે તેમ હતા.

આરબીઆઈએ ગણતરી સરળ બને તે માટે ચાર્ટ તૈયાર કરી આપ્યો હતો. તે દેશભરમાં પોસ્ટ ઓફિસમાં લગાવવામાં આવ્યો હતો. કાયદામાં સુધારા પછી 1957માં નવા સિક્કા બહાર પડ્યા. તેના પર ‘નયે પૈસે’ એવું ખાસ લખવું પડ્યું હતું. નયા પૈસા મેળવવા માટે દિલ્હીની જનરલ પોસ્ટ ઓફિસ આગળ 10,000 લોકોની લાઈન લાગી ગઈ હતી. પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. કોલકાતામાં લોકો નયે પૈસે સ્વીકારવા તૈયાર નહોતા એટલે વિરોધમાં ઉતરી આવ્યા હતા અને પોસ્ટ ઓફિસને જ સળગાવી દીધી હતી.

નોટબંધી યાદ આવી ગઈ? શાસકોના તુઘલઘી તુક્કા હંમેશા પ્રજાને પરેશાન કરતાં હોય છે અને લાઈનમાં લગાડી દેતા હોય છે. જોકે અહીં પ્રજાને નુકસાન નહોતું થઈ રહ્યું. આમ જુઓ તો ફાયદો થઈ રહ્યો હતો, કેમ કે રૂપિયાના 64ના બદલે 100 પૈસા થઈ રહ્યા હતા. બીજી બાજુ ચાર આનાનું પરબિડિયું મળતું હતું તે હવે પાવલીમાં મળતું હતું, એટલે લોકોને મોંઘું લાગ્યું હતું. 16 પૈસાને બદલે 25 પૈસા દેવા પડતા હતા.

સમગ્ર સ્થિતિને થાળે પડતા અને લોકોને નવા પૈસાની આદત પડતા દાયકો લાગી ગયો હતો. તે પછી 1963-64માં સૌને આદત પડી ગઈ હશે એમ સમજીને સરકારે સિક્કા પરથી નયે પૈસે શબ્દ હટાવી દીધો હતો. હવે નવો પૈસો જ અસલી પૈસો બન્યો હતો, પણ પૈસાની મોહમાયામાં કંઈ ફરક પડ્યો નથી. આજેય રૂપિયો-પૈસો આપણને પરેશાન કરતો રહે છે. રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે એક નયા જેટલો થઈ ગયો છે એમ આપણને લાગે છે. રૂપિયામાં હવે પાણીનું પાઉચ પણ મળતું નથી. કપ ચાના પણ 10 રૂપિયા થઈ ગયા છે. 100ની નોટ ફટ કરતીકને ઊડી જાય છે. લખપતિ મધ્યમ વર્ગની હરોળમાં આવી ગયા છે, કેમ કે સરકાર 5 ટ્રિલિયનની (તેમાં એક પર કેટલાં મીંડા આવે તેની નેતાઓને પણ ખબર નથી) વાતો કરે છે, ત્યારે અબજપતિની યાદીઓ બહાર પડ્યા કરે છે. ચાલો ભઈ, પડતી મૂકો પંચાત, પાઈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ… કમાણી માટે કામે લાગો!

શાહીનબાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ “આપ” સાથે જોડાયેલો છેઃ દિલ્હી પોલીસ

નવી દિલ્હીઃ શાહીનબાગમાં ફાયરિંગ કરનારા આરોપી કપિલ ગુર્જરને લઈને દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, આ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. આ દાવા બાદ આરોપીના પિતા ગજે સિંહનું પણ નિવેદન આવી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો હતો તે સમયે જબરદસ્તી આવીને ટોપી પહેરાવી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સાથે અમારો કોઈ સંબંધ નથી. હું રાજનીતિમાં આવ્યો હતો, પરંતુ 2012 સુધી બહુજન સમાજ પાર્ટીમાં રહ્યો હતો. બસપામાં આવ્યા બાદ મારી તબિયત ખરાબ રહેતી હતી પછી મે રાજનીતિ છોડી દીધી હતી.

કપિલ ગુર્જરના કાકા ફતેહ સિંહ અને અજબ સિંહે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા પરિવારનો આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. તમામ પાર્ટીઓ પ્રચાર માટે ચૂંટણીમાં આવે છે. આમ આદમી પાર્ટી વાળા પણ આવ્યા હતા અને ટોપી પહેરાવી ગયા. અમારા ગામમાં અમે બધાનું સન્માન કરીએ છીએ. અમારા આખા પરિવારનો રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી અને ન તો કોઈ પોલિટીકલ પાર્ટી સાથે. અમને રાજનીતિમાં ફસાવવામાં આવી રહ્યા છે. ગજે સિંહ પહેલા બસપામાંથી ચૂંટણી લડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દલ્લૂપુરામાં રહેતા કપિલે ફાયરિંગ કરતા ઘટનાસ્થળ પર જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને તે પણ કહ્યું હતું કે અહીં માત્ર હિન્દુઓનું ચાલશે. કપિલને રવિવારે મેટ્રોપોલિટન જજની સામે રજૂ કરવામાં આવ્યો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી વેામાં આવ્યો હતો. આ ઘટના બાદ સીએમ અરવિંદ કેજરીવાલે ગૃહપ્રધાન અમિત શાહને રાજધાનીના કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘેર્યા હતા. જ્યારે ગુર્જરના આપના સભ્ય હોવાની વાત સામે આવ્યા બાદ તેની સંભાવના છે કે ભાજપ દિલ્હીની સત્તામાં રહેલી પાર્ટી પર હુમલો કરશે.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન કપિલના ફોનમાંથી ઘણા ફોટોગ્રાફ્સ મળ્યા છે, જેમાં આપમાં જોડાવાના ફોટો પણ સામેલ છે. આ ફોટોગ્રાફ્સમાં કપિલ પોતાના પિતા અને અન્ય લોકોની સાથે આપનું સભ્યપદ લઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું, ‘અમારી શરૂઆતી તપાસમાં કપિલના ફોનમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ મળ્યા છે, જેનાથી તે સાબિત થાય છે અને તેણે ખુલાસો કર્યો છે કે તે અને તેના પિતા એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અમે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.’

શાહીનબાગ મુદ્દો ધ્રુવીકરણ કરાવશે કે કેજરીવાલનો કરિશ્મા ચાલશે?

નવી દિલ્હી: ભાજપ તેની રણનીતિ મુજબ શાહીન બાગના મુદ્દાને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. દિલ્હીના રસ્તાઓથી લઈને સંસદ સુધી પાર્ટી તરફથી સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, તે શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન વિરુદ્ધ છે. એટલું જ નહીં શાહીન બાગ પર વિવાદિત નિવેદન મામલે ચૂંટણી પંચની કાર્યવાહીનો સામનો કરી ચૂકેલા ભાજપા સાંસદ પ્રવેશ વર્મા દ્વારા જ પાર્ટીએ રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા શરુ કરાવી. એ જ દિવસે સદનમાં પ્રશ્નકાળ દરમ્યાન અનુરાગ ઠાકુરના વિરોધમાં પણ જોરદાર નારેબાજી કરવામાં આવી. મહત્વનું છે કે, અનુરાગ ઠાકુરે દિલ્હીમાં એક રેલી દરમ્યાન ‘ગદ્દારોને ગોળી મારો’ જેવા નારા લગાવ્યા હતા.

લોકસભામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, કેટલાક કેન્દ્રીય મંત્રી પોતાના ‘રાજકીય આકા’ઓના ઈશારે ભડકાઉ નિવેદનો આપીને દેશમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ દેશમાં નફરતની રાજનીતિના સ્થાને નવી અપેક્ષાની રાજનીતિની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં બેરોજગારી, ગરીબી, મોંઘવારી, શિક્ષણ જેવા વિકરાળ પડકારો વચ્ચે દેશના ભાગલા પડે તેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે, આ સ્થિતિમાં વિપક્ષી દળો દેશ અને બંધારણને બચાવવાની વાત કરી રહ્યા છે.

આ તમામ ચર્ચાઓ, નિવેદન અને આરોપો વચ્ચે પ્રશ્ન એ વાતનો છે કે, શું શાહીન બાગને હાથો બનાવી ભાજપ દિલ્હીમાં મતદાતાઓનું ધ્રુવીકરણ કરવામાં સફળ થશે? આ સવાલના જવાબમાં આપણે વર્ષ 2008ની દિલ્હીની ચૂંટણી પર નજર નાખવી પડશે. મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ હુમલો થયો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોંગ્રેસની આગેવાનીમાં ચાલી રહેલી યુપીએ સરકાર એકદમથી બેકફૂટ પર જતી રહી હતી. હુમલાના બે દિવસ પછી એટલે કે 28 નવેમ્બરે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન હતું.

ભાજપે આ બે દિવસનો ફાયદો ઉઠાવતા મતદાતાઓને એવો સંદેશો પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો કે, કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે નરમ વલણ અપનાવે છે. પણ અહીં ભાજપનું નસીબ પાછું પડયું કારણ કે, એ દિવસોમાં રાજધાની પર શીલા દીક્ષિતની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. તેમના વિકાસ કામોના ચારેકોર વખાણ થતા રહ્યા અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું તો કોંગ્રેસની જીત થઈ. શું અરવિંદ કેજરીવાલ પણ એવો જ કરિશ્મા આ ચૂંટણીમાં કરી શકશે?