એલઆઇસીનું શેરવેચાણઃ કર્મચારીઓનું યુનિયન જનઆંદોલનને માર્ગે

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
ઓલ ઇન્ડિયા નેશનલ લાઇફ ઇન્શ્યોરન્સ એમ્પ્લોયીઝના જનરલ સેક્રેટરી રાજેશ નિમ્બાલકરે જણાવ્યું હતું કે એલઆઇસી એ દેશમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર નાણાકીય સંસ્થા છે. સરકારને કંપનીનો હિસ્સો વેચવાની કેમ ફરજ પડી અને તે માનીતા ઉદ્યોગકારોને આપવા માગે છે? એલઆઇસી સંપૂર્ણપણે લોકોનાં હિતમાં કામ કરી રહી છે ત્યારે કંપનીનો હિસ્સો વેચવાની કેમ જરૂર પડી,  એવો પ્રશ્ન તેમણે પ્રશ્ન કર્યો હતો.
સરકાર માટે એલઆઇસી દૂઝણી ગાય સમાન
સરકાર એલઆઇસીનો હિસ્સો વેચવા કેમ તૈયાર થઈ છે? એમ તેમણે સવાલ પૂછ્યો હતો. તેમણે જણાવ્યું હતું. એલઆઇસી એ નુકસાન કરતી સંસ્થા નથી, પણ પ્રતિ વર્ષ સરકારને રૂ. 2,600 કરોડનું ડિવિડન્ડ ચૂકવે છે.

જનઆંદોલનને ગુજરાતનાં સાત ડિવિઝનનો ટેકો
ઓલ ઇન્ડિયા લાઇફ ઇન્શ્યોરન્સ એમ્પ્લોયીઝના પશ્ચિમ ઝોન (ગુજરાત)ના સેક્રેટરી મહેશભાઈ રાવલને કંપનીના હિસ્સાને શેરવેચાણ થકી વેચવા અંગે ચિત્રલેખા.કોમ એ ભાવિ રણનીતિ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલે કંપનીની ઓફિસ ખાતે કર્મચારીઓએ એક કલાક દેખાવો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સ્તરે તેમનાં યુનિયનો જેકોઈ નિર્ણય લેશે એને તેઓ અનુસરવાના છે. આગામી સમયમાં તેઓ રાષ્ટ્રીય સ્તરે જનઆંદોલન કરવાના છે અને એ માટેની રણનીતિ તૈયાર થશે. આ માટે તેમને ક્લાસ-I, II (ડેવલપમેન્ટ અધિકારીઓ) અને ક્લાસ III-IVના કર્મચારીઓનો ટેકો છે. આ ઉપરાંત તેમને પોલિસીહોલ્ડર ઓથોરિટી અને એજન્ટ એસોસિયેશનનો પણ સપોર્ટ છે. ગુજરાતમાં સાત ડિવિઝન છે અને તેના 95 ટકા કર્મચારીઓનો તેમને ટેકો છે.

એલઆઇસીનું બંધારણ અને કદ

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સરકારી માલિકીની છે, જેની સ્થાપના 1956માં સંસદમાં લાઇફ ઇન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયા એક્ટ પસાર કરીને કરવામાં આવી હતી. કંપનીની કુલ સંપત્તિ 2019 સુધીમાં રૂ. 31.12 લાખ કરોડ (450 અબજ ડોલર) છે.  કંપનીની એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, આઇડીબીઆઇ બેન્ક અને લાઇફ પેન્શન ફંડ સહિત અનેક પેટા કંપનીઓ છે.
નિમ્બાલકરે ઉમેર્યું હતું કે એલઆઇસીનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પહેલા સંસદની મંજૂરી લેવી પડશે. ત્યાર બાદ એલઆઇસી બોર્ડ અને વીમા નિયામકની મંજૂરી લેવી પડશે. એ પછી બજાર નિયામકની મંજૂરી લેવાની રહેશે અને ત્યાર બાદ એલઆઇસીનો 10 ટકા હિસ્સો વેચાશે. એપ્રિલથી ડિસેમ્બર 2019 સુધીમાં કંપનીને નવા પ્રીમિયમની આવક રૂ. 1.37 લાખ કરોડ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 45.5 ટકાનો વધારો દર્શાવે છે. જોકે એક મહિનામાં (ડિસેમ્બર, 2019)માં કંપનીએ 16,861.98 કરોડ માંડી વાળ્યા હતા.