Home Blog Page 487

સ્વામિનારાયણ મંદિરે પ્રબોધિની એકાદશી પર ભવ્ય શાકોત્સવ ઉજવાયો

અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં આજે, ૨ નવેમ્બર ૨૦૨૫ના રોજ પ્રબોધિની એકાદશી નિમિત્તે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસના અંતને શુભ કરતી આ એકાદશી એટલે વૈષ્ણવો અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે વિશેષ મહત્ત્વનો દિવસ.

પ્રકૃતિના વર્દાનરૂપ અનેક શાકભાજી અને ફળોથી પૃથ્વીને સમૃદ્ધ બનાવનાર પરમાત્મા પ્રત્યેની આભારભાવના વ્યક્ત કરવા દર વર્ષે દેશ-વિદેશના તમામ બી.એ.પી.એસ. મંદિરોમાં આ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આજે શાહીબાગ મંદિર ખાતે સેંકડો હરિભક્તોની હાજરી વચ્ચે ૮૦થી વધુ જાતના શાકભાજી અને ૨૦થી વધુ પ્રકારના ફળોથી સુંદર અને કલાત્મક રીતે ભગવાન સમક્ષ હાટડી સમર્પિત કરવામાં આવી હતી. ભગવાનના આ શાકોત્સવ દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભાવભીની ભીડ ઉમટી પડી હતી.

સાંજ સમયે વિશેષ આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ ભક્તોએ શુભ દિવસનો લાભ લીધો હતો. ભાવનાથી ભરપૂર આ શાકોત્સવની ઉજવણી ભક્તોના મનમાં આధ్యાત્મિક આનંદ અને પોષણસભર જીવનપ્રત્યેની કૃતજ્ઞતા વધારતી હતી.

અહીં વિશેષ રૂપે ઉજવાય છે દેવ દિવાળી…

દિવાળીના તહેવારો પછી પણ એના આધ્યાત્મિક ઉજાસનો ઉજવણીય પ્રકાશ ભારતભરમાં ઝળહળતો રહે છે. કેમ કે ભારતમાં દિવાળી પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનું પર્વ ઉજવવાનો મહિમા છે.

કહેવાય છે કે એ દિવસે દેવતાઓ પોતે ધરતી પર ઉતરીને દીવો પ્રગટાવે છે. ભગવાન શિવની આરાધના કરે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો સંહાર કર્યો હતો અને એ વિજયના આનંદમાં દેવતાઓએ આખા કાશીને દીવડાઓથી પ્રકાશિત કર્યુ હતું.

આજે પણ ભારતના અનેક પવિત્ર મંદિરોમાં આ ઉજવણી એ જ ભક્તિભાવથી કરવામાં આવે છે. આવો જાણીએ, દેશમાં ક્યાં ક્યાં આ રીતે ઉજવાય છે દેવ દિવાળીનું પર્વ…

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, ઉત્તર પ્રદેશ

દેવ દિવાળીની જન્મભૂમિ કહેવાતું કાશી વિશ્વનાથ મંદિર આ દિવસે વિશ્વભરમાંથી આવેલ લાખો ભક્તોથી છલકાય છે. કાશી વિશ્વનાથ મંદિરને બાર જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંદિરના કારણે વારાણસી શહેરને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગંગાના કિનારે આવેલા ૮૦થી વધુ ઘાટો પર લગભગ ૧૦ લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવે છે. દશાશ્વમેધ ઘાટથી લઈને અસ્સી ઘાટ સુધી પ્રકાશની અવિરત લહેર ફેલાય છે. સાંજે ગંગા આરતીના શંખધ્વનિ અને મંત્રોચ્ચારથી આખી કાશી ગુજી ઉઠે છે. આ દૃશ્ય એવું લાગે છે જાણે સ્વર્ગના દેવતાઓ ધરતી પર ઉતરી આવ્યા હોય.

સંતરામ મંદિર, નડિયાદ, ગુજરાત

નડિયાદમાં આવેલું સંતરામ મંદિર દેવ દિવાળીના દિવસે પ્રકાશના મહાસાગરમાં ઝળહળતું હોય છે. આ દિવસે મંદિરમાં અંદાજે એક લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવે છે, જે મંદિરના ચોપાલથી લઈને મુખ્ય ગર્ભગૃહ સુધી ઝગમગતા રહે છે. સવારે ગાયત્રી યજ્ઞ અને હવન યોજાય છે, જ્યારે સાંજે ભવ્ય દીપોત્સવ અને આરતી થાય છે. ભક્તો આ દિવસે ખાસ પ્રકાશ યાત્રા પણ કરે છે, જેમાં દીવડાઓ સાથે ભક્તો મંદિરની પરિક્રમા કરે છે. આખું નડિયાદ શહેર સંતરામના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે. એટલું જ નહીં દેશ-વિદેશમાં વસતા લોકો ખાસ દેવ દિવાળીએ અહીં દર્શનાર્થે પણ આવે છે.

મહાકાલેશ્વર,ઉજ્જૈન

ઉજ્જૈનમાં દેવ દિવાળીનો તહેવાર ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. અહીં મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં દિવાળીની રાત્રે અદભુત દૃશ્ય જોવા મળે છે. હજારો દીવડાઓથી મંદિર અને ઘાટો ઝગમગી ઉઠે છે. મંદિરમાં વિશેષ આરતી અને પૂજા-અર્ચના યોજાય છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે. “હર હર મહાદેવ”ના નાદથી આખું ઉજ્જૈન ગુંજી ઉઠે છે. આ દૈવી માહોલમાં ભક્તોને શિવના આશીર્વાદની અદભુત અનુભૂતિ થાય છે અને ઉજ્જૈનની દેવ દિવાળી આત્માને પ્રકાશિત કરતો એક અનોખો આધ્યાત્મિક તહેવાર બની રહે છે.

ત્રિવેણી સંગમ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ

પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થાને દેવ દિવાળીનો દિવસ અતિ પવિત્ર માનવામાં આવે છે. હજારો ભક્તો અહીં ગંગાસ્નાન કરે છે. લગભગ ૨ લાખથી વધુ દીવા પાણીમાં તરતા મુકાય છે. રાત્રીના સમયે સમગ્ર સંગમ પ્રદેશ જાણે તેજસ્વી સમુદ્ર બની જાય છે. યજ્ઞ, આરતી અને મંત્રોચ્ચારની ગુંજ સાથે ભક્તો ભગવાન શિવ અને માતા ગંગાની આરાધના કરે છે.

હર કી પૌરી,  હરિદ્વાર, ઉત્તરાખંડ

હર કી પૌરી એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના હિન્દુ પવિત્ર શહેર હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આવેલો એક પવિત્ર ઘાટ છે . એવું માનવામાં આવે છે કે આ એ સ્થાન છે જ્યાં ગંગા પર્વતો છોડીને મેદાનોમાં પ્રવેશ કરે છે. આ ઘાટ પર દેવ દિવાળીના દિવસે લગભગ દોઢ  લાખ દીવા પ્રગટાવવામાં આવે છે. સાંજે ગંગા આરતી દરમિયાન ભક્તો અહીં દીવો પ્રગટાવી ઈચ્છાઓ પુરી થાય એ માટે પ્રાર્થના કરે છે.

સોમનાથ, વેરાવળ, ગુજરાત

સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર આવેલું સોમનાથ મહાદેવનું મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજનીય છે. અહીં કાર્તિક માસની તેરસથી લઈને પૂર્ણિમા સુધી ભવ્ય લોકમેળો અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાય છે, જેને દેવ દિવાળીની ઉજવણીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રીએ ચંદ્ર અને શિવલિંગ એક સીધી રેખામાં આવી જાય છે. જે દૈવી દૃશ્ય ભક્તો માટે અદભુત અનુભૂતિ આપે છે. દર વર્ષે હજારો ભક્તો પ્રભાસ તીર્થ ખાતે દીવા પ્રગટાવી શિવ આરાધનામાં લીન થાય છે. આખું સોમનાથ તીર્થ પ્રકાશના સમુદ્રમાં ઝળહળે છે. આ મેળો આધ્યાત્મિકતા, ભક્તિ અને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ઝલકનું અવિનાશી પ્રતિક છે.

છત્રપતેશ્વર મહાદેવ મંદિર, પાટણ, ગુજરાત

પાટણમાં આવેલું છત્રપતેશ્વર મહાદેવ મંદિર ધર્મ અને આસ્થાનું અદભુત પ્રતિક છે. આ મંદિરની વિશેષતા છે કે અહીં શિવ પરિવાર એક સાથે બિરાજમાન છે.  જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર અહીંનું મુખ્ય આકર્ષણ છે, કારણ કે એનું દ્વાર વર્ષમાં માત્ર એક જ વાર, દેવ દિવાળીના દિવસે એટલે કે કાર્તિક પૂર્ણિમાએ ખોલવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે આ મંદિરનું વાતાવરણ અતિ દૈવી બની જાય છે. મંદિરમાં સૈંકડો દીવડાં પ્રગટાવવામાં આવે છે. ભગવાન કાર્તિકેયના દર્શન માટે ભક્તો દૂર દૂરથી અહીં  આવે છે. દેવ દિવાળીની રાત્રે ભક્તિ, આરતી અને દીપોત્સવનો અદભુત મેળો સર્જાય છે.

હેતલ રાવ

૦૨ નવેમ્બર ૨૦૨૫

સાચા વિચાર અને સાથીઓની પસંદગી…

સાચા વિચાર અને સાથીઓની પસંદગી એ કોઈપણ સંચાલકની સફળતાના મૂળમાં રહેલું સહુથી મહત્વપૂર્ણ તત્વ છે, કારણ કે નેતૃત્વની દિશા એ તેના વિચારોની શુદ્ધતા અને આસપાસના લોકોની નૈતિકતાથી નક્કી થાય છે.

મહાભારતના ઉદ્યોગપર્વમાં ભગવાન કૃષ્ણ જ્યારે શાંતિમંત્રણા માટે હસ્તિનાપુર આવે છે ત્યારે રાજા ધૃતરાષ્ટ્રને વિદુરની સચોટ સલાહ મળે છે કે ખરાબ વિચાર અને અહંકારી સાથીઓને કારણે રાજ્ય વિનાશ તરફ જઈ શકે છે.

વિદુર ધર્મ અને નીતિ બંનેમાં પારંગત હોવાથી તેમણે ધૃતરાષ્ટ્રને સ્પષ્ટ કહ્યું કે જે લોકો પોતાના સ્વાર્થ માટે ખોટી સલાહ આપે છે, તેઓ રાજધર્મના શત્રુ સમાન છે. દુર્ભાગ્યે, ધૃતરાષ્ટ્રે વિદુરની વાત અવગણીને દુર્યોધન જેવા અહંકારી સલાહકારો પર વિશ્વાસ મૂક્યો અને પરિણામે મહાસંગ્રામનો જન્મ થયો. અહીંયા ધૃતરાષ્ટ્ર પુત્રપ્રેમના અતિરેકથી અંધ હતા તે દોષ પણ લાગે છે. કોઈ પણ સંચાલકે પોતાના ઉદ્યોગ કે વ્યાપારના સંચાલનમાં માત્ર પોતાના સગાં-વહાલાંની કાનભંભેરણીથી વશ નહીં થતાં વિદૂર જેવા વિષમ નિષ્ણાત અને તટસ્થ વ્યક્તિનો અભિપ્રાય પણ ગણતરીમાં લેવો જોઈએ.

આ કથા આજના કોર્પોરેટ અથવા પ્રશાસકીય સંચાલન માટે પણ એટલી જ પ્રાસંગિક છે. વિચારો અને સાથીઓની પસંદગી એ માત્ર પ્રતિભા કે બુદ્ધિની બાબત નથી, પરંતુ ઈમાનદારી, દૃષ્ટિ અને સંસ્થાના હિત માટેની પ્રતિબદ્ધતા પર આધારિત છે. કોઈપણ સંચાલક જો વિચારવિમર્શ વિના ફક્ત ચાતુર્ય કે લાભના આધારે સલાહકારો રાખે, તો નિર્ણયોમાં નૈતિક સંતુલન ગુમાઈ જાય છે. ઉદાહરણ તરીકે, ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાએ હંમેશાં એવા સહયોગીઓ પસંદ કર્યા જેઓ માત્ર નફો નહીં પરંતુ મૂલ્યો સાથે વ્યવસાય ચલાવતા હતા; તેમણે એકવાર કહ્યું હતું કે “જો તમારી પાસે ખોટા લોકોની ટીમ છે, તો શ્રેષ્ઠ વિઝન પણ નિષ્ફળ જાય છે.” આ વિચાર વિદુરના સિદ્ધાંત સાથે જોડાયેલો છે.

વધુ એક ઉદાહરણ તરીકે, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું ટીમ સંચાલન જોવું – તેમણે વૈજ્ઞાનિક ટીમોમાં એવી વ્યક્તિઓની પસંદગી કરી કે જેઓ વિચારોમાં ઈમાનદારી અને દેશહિત માટે સમર્પિત હતા. એ જ કારણે તેઓએ અવકાશ અને મિસાઈલ વિજ્ઞાન બંને ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સંકલિત સફળતા મેળવી. વિપરીત રીતે, ઇતિહાસ દર્શાવે છે કે કેટલાક નેતાઓએ ખોટા સલાહકારો અને ગણતરીના લોભના કારણે દેશ અને સંગઠનોને અંધકારમાં ધકેલ્યા, જેમ કે એનરોન કંપનીનું વિઘટન, જે ખોટા અર્થતંત્રીય માર્ગદર્શન અને નૈતિકતાના અભાવનું સીધુ પરિણામ હતું.

સાચા વિચારવાળા સાથીઓ એ સંચાલનની આત્મા છે – તેઓ નેતાને સાચી દિશા બતાવે છે, ખરાબ સમયમાં પણ સત્ય બોલવાની હિંમત ધરાવે છે અને વ્યક્તિગત ફાયદા કરતાં સમૂહહિતને મહત્વ આપે છે.  આજની દુનિયામાં પણ એ જ સત્ય છે – સંચાલક માટે નફા કરતાં વિશ્વાસ, સ્પર્ધા કરતાં સહકાર અને રાજનીતિ કરતાં નૈતિકતા મહત્વની છે. સાચા વિચાર ધરાવતી ટીમ હંમેશાં સંસ્થાને લાંબા ગાળે ટકાઉ બનાવે છે, કારણ કે એવી ટીમ “હા સાહેબ” કહેતી નથી, પરંતુ યોગ્ય પ્રશ્નો પૂછવાની હિંમત રાખે છે.

અંતે કહી શકાય કે વિદુરની જેમ ધર્મ અને બુદ્ધિના સંગમથી વિચાર કરવો અને સાથીઓની પસંદગી કરવી એ માત્ર સંચાલનની જરૃરિયાત નથી પરંતુ સંસ્થાના અસ્તિત્વનું રક્ષણ કરનાર ધર્મ છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 02/11/2025

સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘લોહપુરુષ’ નાટકનો પ્રીમિયર શો યોજાયો

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી અવસરે, શુક્રવારે સાંજે રાજધાનીમાં ‘લોહપુરુષ’ નાટકનો પ્રીમિયર શો યોજાયો, જેમાં સરદાર પટેલના જીવનની ભવ્ય ઐતિહાસિક ઝલક જોવા મળી.

દિલ્હીની જાણીતી ગુજરાતી સંસ્થાઓ, ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્ર અને શ્રી દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના સંયુક્ત ઉપક્રમે ‘મારી ભાષા ગુજરાતી’ દ્વારા પ્રસ્તુત આ વિડીયો શોનું આયોજન શાહ ઓડિટોરિયમના નરસિંહ મહેતા હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં અભિનવ ભારત – આભાર પર્વનો સહકાર મળ્યો હતો.

આ સમારોહના મુખ્ય અધ્યક્ષ તરીકે રાજધાનીના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટ અને સમાજસેવક તેમ જ અભિનેતા હિતેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું કે, “સરદાર પટેલનું જીવન અને કાર્યો આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમણે એક રાષ્ટ્ર તરીકે ભારતને એકજૂટ કરવામાં જે યોગદાન આપ્યું છે, તે અભૂતપૂર્વ છે. આવા નાટકો દ્વારા તેમની વીરગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.”

કાર્યક્રમની શરૂઆત ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના પ્રમુખ વિરાટ શાહ દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી. જાણીતા સાહિત્યકાર અને નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા લિખિત, અભિનિત અને દિગ્દર્શિત એકપાત્રીય નાટક ‘લોહપુરુષ’ની પ્રસ્તુતિ થઇ. કાર્યક્રમના અંતે, દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના મહાસચિવ વિજય પંચાલે આભારવિધિ કરી હતી.

‘લોહપુરુષ’ નાટક યુટ્યુબ ચેનલ લિંક https//t.ly/UUs7G પર નિહાળી શકાય છે.

સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘રન ફોર યુનિટી’

ચાંગા: ચારુસેટ યુનીવર્સીટીમાં 31મી ઓક્ટોબર, 2025 શુક્રવારે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે યુનિટી, ઈન્ટીગ્રીટી, ફિટનેસ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી ચારુસેટ એન એસ એસ યુનિટ દ્વારા ‘રન ફોર યુનિટી’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં ચારુસેટ યુનીવર્સીટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, ડીવાયએસપી પાર્થ ચોટાલિયા, રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા સંકલ્પ લીધો હતો.

ત્યાર બાદ પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને ડીવાયએસપી પાર્થ ચોટાલિયાએ ‘રન ફોર યુનિટી’ ને ફ્લેગ ઓફ કરાવી હતી. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

‘રન ફોર યુનિટી’ માં વિવિધ કોલેજોના અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મહેળાવ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પાક નુકસાનીનો CMએ તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો

ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે.  મુખ્યમંત્રીએ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનું પંચકામ માત્ર 3 દિવસમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને તેનો તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા વહીવટી તંત્રને કડક આદેશો આપ્યા છે.મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગોને ધ્યાને રાખી ખાસ સંવેદના દાખવીને ચીફ સેક્રેટરી, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવને આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તેમણે તમામ જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી શરૂ કરવા જણાવ્યું છે, જેથી ખેડૂતોને સહયોગ કરવામાં વિલંબ ન થાય.ગાંધીનગર ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આ વિગતો જેટલી ઝડપથી મળશે, તેટલી જ ઝડપથી સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે સહાયરૂપ બની શકશે.’ આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓમાં નુકસાન અંગેની પ્રાથમિક વિગતો પૂરી પાડી હતી.

રાજ્યમાં છેલ્લા બે દાયકામાં આવો તીવ્ર કમોસમી વરસાદ નોંધાયો નથી. આ અણધારી આફતના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વિકટ સમયે સરકાર ધરતીપુત્રોની સાથે છે અને સર્વેની કામગીરીમાં કોઈ ખેડૂતને અડચણ ન પડે તે સુનિશ્ચિત કરીને તેમને મદદ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

પત્ની ઉષા હિન્દુ રહેશે… ક્યારેય ધર્માંતર નહીં કરે, જે.ડી. વેન્સે આપી સ્પષ્ટતા

અમેરિકા: ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પોતાના એ નિવેદનનો બચાવ કર્યો છે કે જેમાં તેમણે કહ્યું હતું કે, તેમને આશા છે કે તેમની પત્ની ઉષા વેન્સ, જે હિન્દુ છે, એક દિવસ ખ્રિસ્તી ધર્મ અપનાવશે. વેન્સે આ નિવેદન પર પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તેમના પત્ની ઉષા હિન્દુ જ રહેશે. ઘણા વર્ષો પહેલા ઉષાએ જ મને મારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હતી. વેન્સે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, “મારી પત્નીએ મને મારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હતી. તે પોતે ખ્રિસ્તી નથી અને ધર્મ પરિવર્તન કરવાની તેની કોઈ યોજના નથી. પરંતુ ઘણા આંતરધાર્મિક લગ્નોની જેમ, મને આશા છે કે એક દિવસ તે વસ્તુઓને મારા જેવી જ જોઈ શકશે.” બુધવારે મિસિસિપીમાં ટર્નિંગ પોઇન્ટ યુ.એસ.એ. (TPUSA) રેલીમાં એક પ્રશ્નના જવાબમાં, વેન્સે કહ્યું કે તેઓ ખ્રિસ્તી ગોસ્પેલમાં માને છે અને આશા રાખે છે કે તેમની પત્ની એક દિવસ તેને એ જ રીતે સમજશે. તેમણે સમજાવ્યું કે ઉષા વેન્સનો ઉછેર હિન્દુ પરિવારમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર ખૂબ ધાર્મિક નહોતો. વેન્સે કહ્યું કે તેમની પત્ની દર રવિવારે પરિવાર સાથે ચર્ચમાં જાય છે, અને તેમના બાળકોનો ઉછેર ખ્રિસ્તી પરંપરામાં થયો હતો. તેમણે એમ પણ કહ્યું, “ઉષા મને બાપ્તિસ્મા આપનાર પાદરીની વધુ નજીક છે, કદાચ મારાથી પણ વધુ નજીક.”

જો કે, જૂનમાં એક મુલાકાતમાં, ઉષા વેન્સે સ્પષ્ટપણે કહ્યું, “હું કેથોલિક નથી અને ધર્મ પરિવર્તન કરવાનો કોઈ ઇરાદો નથી.” તેમણે સમજાવ્યું કે તેમના બાળકોને તેમનો ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. “અમે અમારા બાળકોને કેથોલિક શાળામાં મોકલ્યા, પરંતુ તેઓ બાપ્તિસ્મા લેવા માંગે છે કે નહીં તે તેમનો નિર્ણય છે. અમારા મોટા બાળકે બાપ્તિસ્મા લીધું છે, અને હવે અમે જોઈશું કે બીજું બાળક શું કરે છે.” ઉષાએ એમ પણ સમજાવ્યું કે બાળકોને હિન્દુ પરંપરાઓ સાથે જોડવા માટે, તેમને ધાર્મિક પુસ્તકો આપવામાં આવે છે, ભારતની યાત્રાઓ પર લઈ જવામાં આવે છે, અને ઘણા હિન્દુ મિત્રો અને સંબંધીઓ સાથે જોડવામાં આવે છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) એ પણ આ વિવાદનો જવાબ આપ્યો. ‘X’ પર લખ્યું, “જો તમારી પત્નીએ તમને તમારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હોય, તો શું તમે હિન્દુ ધર્મને સમજવાનો પ્રયાસ પણ કરી શકતા નથી? હિન્દુ ધર્મમાં કોઈને પણ તેના ધર્મનું પાલન કરવાની અથવા ધર્માંતર કરવાની જરૂર નથી. તે સમાવેશી અને બહુવચનવાદી છે.” HAF એ વધુમાં જણાવ્યું હતું કે ઉપપ્રમુખ તરીકે, વેન્સે હિન્દુ ધર્મના સકારાત્મક પ્રભાવ અને હિન્દુઓના તેમના ધર્મનું પાલન કરવાના અધિકારને પણ સ્વીકારવો જોઈએ.

ગુજરાતના પ્રભારી મંત્રીઓના નામ જાહેર, કોને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ?

ગાંધીનગર: તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે. જેમાં 9 મંત્રીઓને બે જિલ્લાની, 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ફાળવેલ જિલ્લાઓમાં પ્રભારી, સહ પ્રભારી મંત્રીઓએ સમયાંતરે જિલ્લાની મુલાકાત લેવાની રહેશે અને જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નોથી વાકેફ થઈ તેના નિકાલ સંબંધે જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે.

જીતુ વાઘાણી-હર્ષ સંઘવી પ્રવક્તા મંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જિતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલાં જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જિતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.

વહીવટી નિયંત્રણ અને અમલ પર ધ્યાન

રાજ્ય સરકારનો આ નિર્ણય પ્રાદેશિક સંતુલન જાળવવા અને જિલ્લા સ્તરે રાજકીય તેમજ વહીવટી પકડ મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. પ્રભારી મંત્રીઓ તેમના નિયુક્ત જિલ્લાઓમાં કલ્યાણકારી યોજનાઓનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ પર વિશેષ ધ્યાન આપશે. સરકારના આ પગલાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વિકાસના કામોમાં ઝડપ આવશે તેવી અપેક્ષા છે.

મંત્રી

જિલ્લાનું નામ

હર્ષ સંઘવી

વડોદરા, ગાંધીનગર

કનુ દેસાઈ

સુરત, નવસારી

જીતુ વાઘાણી

અમરેલી, રાજકોટ

ઋષિકેશ પટેલ

અમદાવાદ, વાવ-થરાદ

કુંવરજી બાવળિયા

પોરબંદર, દેવભૂમિ દ્વારકા

નરેશ પટેલ

વલસાડ, તાપી

અર્જુન મોઢવાડિયા

જામનગર, દાહોદ

પ્રદ્યુમન વાજા

સાબરકાંઠા, જૂનાગઢ

રમણ સોલંકી

ખેડા, અરવલ્લી

ઈશ્વર પટેલ

નર્મદા

પ્રફુલ પાનેસેરિયા

ભરૂચ

મનીષા વકીલ

છોટા ઉદેપુર

પરષોત્તમ સોલંકી

ગીર સોમનાથ

કાંતિ અમૃતિયા

કચ્છ

રમેશ કટારા

પંચમહાલ

દર્શનાબેન વાઘેલા

સુરેન્દ્રનગર

કૌશિક વેકરિયા

ભાવનગર, જૂનાગઢ ( સહ પ્રભારી )

પ્રવીણ માળી

મહેસાણા, નર્મદા ( સહ પ્રભારી )

જયરામ ગામિત

ડાંગ

ત્રિકમ છાંગા

મોરબી, રાજકોટ ( સહ પ્રભારી )

કમલેશ પટેલ

બનાસકાંઠા, વડોદરા ( સહ પ્રભારી )

સંજયસિંહ મહિડા

આણંદ, ભરૂચ ( સહ પ્રભારી )

પૂનમચંદ બરંડા

મહીસાગર, દાહોદ ( સહ પ્રભારી )

સ્વરૂપજી ઠાકોર

પાટણ

રિવાબા જાડેજા

બોટાદ