Home Blog Page 4687

14 પ્રવાસીને કોરોના થતાં AIની ફ્લાઈટ્સ પર હોંગકોંગમાં પ્રતિબંધ

નવી દિલ્હીઃ ગઈ 14 ઓગસ્ટે દિલ્હીથી હોંગકોંગ ગયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના 14 પ્રવાસીઓનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હોંગકોંગ સરકારે આદેશ આપ્યો છે કે ઓગસ્ટના અંત સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને હોંગકોંગમાં ઉતારવા દેવામાં નહીં આવે.

હોંગકોંગ સરકારે ગયા જુલાઈમાં બહાર પાડેલા નિયમો અનુસાર, ભારતમાંથી કોઈ પણ પ્રવાસી એ શરતે જ હોંગકોંગમાં પ્રવેશી શકશે જો એની પાસે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટવાળું સર્ટિફિકેટ હોય, જેની ટેસ્ટ એણે તેની સફર શરૂ કર્યાના 72 કલાક પહેલા કરાવી હોય.

હોંગકોંગના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગઈ 14 ઓગસ્ટે એર ઈન્ડિયાની જે ફ્લાઈટ ભારતથી હોંગકોંગ આવી પહોંચી હતી એમાંના 11 પ્રવાસીઓને કોવિડ-19નો ચેપ લાગ્યાનું કન્ફર્મ થયું હતું.

આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગે હોંગકોંગ સરકારે ઘડેલા નિયમને 17 ઓગસ્ટે લાગુ કર્યો હતો જે અનુસાર એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઈટ્સને 18 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી, બે અઠવાડિયા માટે હોંગકોંગમાં ઉતરવા દેવામાં નહીં આવે.

20મી ઓગસ્ટ સુધીમાં એર ઈન્ડિયાની એ ફ્લાઈટના કુલ 14 પ્રવાસીઓ કોરોનાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું હતું, એમ હોંગકોંગના અધિકારીએ વધુમાં કહ્યું.

આ 14 પ્રવાસીઓ પાસે એમણે સફર શરૂ કરી એના 72 કલાક પહેલા કરાવેલી કોરોના ટેસ્ટનું નેગેટિવ રિઝલ્ટ દર્શાવતું સર્ટિફિકેટ હતું કે નહીં એ સ્પષ્ટતા આ નિવેદનમાં કરવામાં આવી નથી.

ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, કઝાખસ્તાન, નેપાળ, પાકિસ્તાન, ફિલિપીન્સ, સાઉથ આફ્રિકા અને યૂએસથી આવતા પ્રવાસીઓ માટે પણ પ્રી-ફ્લાઈટ કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટ દર્શાવતું સર્ટિફિકેટ હોવું હોંગકોંગમાં ફરજિયાત છે.

ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 29,05,823 નોંધાઈ છે. આ બીમારીથી થયેલા મરણનો આંકડો અત્યાર સુધીમાં 54,849 છે. શુક્રવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 983 જણના કોરોનાને લીધે મરણ થયા હતા એવું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

ભારતમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગઈ 23 માર્ચથી શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાન સેવા સસ્પેન્ડ કરવામાં આવી છે. તે છતાં એવિએશન રેગ્યૂલેટર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની મંજૂરીથી સ્પેશિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ જરૂર કરવામાં આવે છે.

દિલીપકુમારના નાના ભાઈ અસલમ ખાન (88)નું મુંબઈમાં નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું આજે મુંબઈમાં અવસાન થયું છે. એ 88 વર્ષના હતા. એમને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને વેન્ટિલેટર પર હતા.

અસલમ ખાનને ગઈ 16 ઓગસ્ટે બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે એમનું નિધન થયું હતું.

દિલીપકુમારના પારિવારિક મિત્ર ફૈસલ ફારુકીએ ટ્વિટર પર આ સમાચાર આપ્યા હતા, જેને બાદમાં દિલીપકુમારે રી-ટ્વીટ કર્યા હતા.

દિલીપ કુમારના અન્ય નાના ભાઈ એહસાન ખાન પણ હોસ્પિટલમાં છે અને કોરોના વાઈરસની સારવાર હેઠળ છે.

અસલમ અને એહસાન, બંનેને ગયા શનિવારે શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંને ભાઈને કૃત્રિમ શ્વસન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

ફૈસલ ફારુકીનું કહેવું છે કે એહસાન ખાન હજી લીલાવતી હોસ્પિટલમાં ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. એમની તબિયત સારી છે. જો કે એ સાજા થઈ ગયા છે એવું હું નહીં કરું. એ સાજા થઈ જાય એવી અમે દુઆ કરીએ છીએ.

દિલીપકુમાર વિશે ફારુકીએ કહ્યું કે દિલીપસાબની તબિયત સારી છે. એ ગયા માર્ચ મહિનાથી હોમ ક્વોરન્ટાઈનમાં છે.

વિશ્વનો પ્રતિષ્ઠિત સાયન્સ એવોર્ડ ગુજરાતના ફાળે! ‘ચારુસેટ’ના પ્રોવોસ્ટ ડૉ.પંકજ જોશીની

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી દ્વારા INSA- Vainu Bappu Memorial Award માટે ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ.પંકજ જોશીની પસંદગી કરવામાં આવી છે. વિશ્વનો આ પ્રતિષ્ઠિત સાયન્સ એવોર્ડ આમ ગુજરાતના ફાળેને આવ્યો છે.

ડૉ.પંકજ એસ. જોશીએ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ અને પુસ્તકોમાં 200 જેટલાં પ્રકાશનોમાં બ્લેક હોલ ફિઝિક્સ, ગ્રેવીટેશન અને કોસ્મોલોજીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.

સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ તેમની વ્યવસાયિક કુશળતા માટે જાણીતા છે. પરંતુ ગુજરાતના ભાવનગરમાં જન્મેલા એક વિરલ વ્યક્તિ અને વૈજ્ઞાનિકે કોસ્મોલોજીના ક્ષેત્રમાં અદ્યતન રીસર્ચ કરીને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં અગ્રીમ હરોળમાં મૂકી દીધું છે. ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (આઈએનએસએ), નવી દિલ્હી એ એક રાષ્ટ્રીય કક્ષાની વૈજ્ઞાનિક સંસ્થા છે, જે ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ હેઠળ કાર્યરત છે. તે દેશની ટોચની સાયન્સ એકેડેમી છે, જેણે ચારુસેટના પ્રોવોસ્ટ પ્રો.પંકજ જોશીની પસંદગી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર INSA – Vainu Bappu Memorial Award – માટે કરી છે. કોસ્મોલોજી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂળભૂત રીસર્ચ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આજ સુધી મોટેભાગે આ એવોર્ડ વૈશ્વિક રીતે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યા છે, જેમાં ચાર નોબેલ પુરસ્કાર વિજેતાઓનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ  ખગોળશાસ્ત્રીઓ/એસ્ટ્રોફિઝિસિસ્ટ્સને આપવામાં આવે છે. 1985માં જાહેર કરાયેલ સૌપ્રથમ એવોર્ડ પ્રખ્યાત ભારતીય-અમેરિકન એસ્ટ્રોફિઝિસ્ટ, પ્રો.એસ.ચંદ્રશેખરને આપવામાં આવ્યો હતો, જેમણે પાછળથી નોબેલ પારિતોષિક મેળવ્યું હતું.

આ સમ્માન પ્રાપ્ત કરનાર પુરોગામીઓમાં ચાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વૈશ્વિક ખ્યાતિ પામેલા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો છે.

પ્રોફેસર આર્નો પેનઝિયાઝ અને આર ડબલ્યુ વિલ્સન, જેમણે ‘બિગ બેંગ’ થીયરીની શોધ કરી હતી અને ‘પલ્સર’ તરીકે ઓળખાતા કોમ્પેક્ટ સ્ટાર્સની શોધ કરનાર પ્રોફેસર એન્ટોની હેવિશે આ Vainu Bappu Award મેળવ્યો છે અને તેઓ નોબેલ પારિતોષિક વિજેતા છે.

INSA-Vainu Bappu Memorial Awardની શરૂઆત 1985માં શ્રીમતી સુનન્ના બાપુ, પ્રખ્યાત ખગોળશાસ્ત્રી અને એકેડેમીના ફેલો ડૉ. મનાલી વૈનુ બાપુના માતા દ્વારા કરવામાં આવી હતી. તે INSA દ્વારા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. આ એવોર્ડની જાહેરાત દર ત્રણ વર્ષે કરવામાં આવે છે.

આ એવોર્ડના  પ્રશસ્તિપત્રમાં જણાવ્યા અનુસાર, પંકજ એસ. જોશીએ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ અને પુસ્તકોમાં 200 જેટલા પ્રકાશનોમાં બ્લેક હોલ ફિઝિક્સ, ગ્રેવીટેશન અને કોસ્મોલોજીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. જનરલ રિલેટીવિસ્ટિક ગ્રેવીટેશનલ કોલેપ્સ પર તેઓના ગહન વિશ્લેષણે બ્રહ્માંડમાં તારાઓની અથડામણ, સ્પેસ ટાઈમ સીન્ગ્યુલારીટીઝ અને કોસ્મિક સેન્સરશીપ પર ઘણો પ્રકાશ પાથર્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેઓના કાર્ય થકી તેઓએ દર્શાવ્યું છે કે વિશાળકાય તારાઓ બ્લેક હોલ્સ કે પછી એક્સપ્લોડીંગ ફાયરબોલ્સ જેને નેકેડ સિંગ્યુલારિટીઝ કહે છે તેમાં સમાઈ શકે છે અને તેની એસ્ટ્રોફિઝીકલ અને ક્વોન્ટમ ગ્રેવિટી સિગ્નેચર્સ પર હવે પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. 

આ એવોર્ડમાં મેડલ, પ્રશંસાપત્ર, લેકચર અને રોકડ ઇનામ આપવામાં આવે છે. અમે આ સિદ્ધિની હાર્દિક પ્રશંસા કરીએ છીએ, તેઓને અભિનંદન પાઠવીએ છીએ અને તેઓ પોતાના પ્રયત્નોમાં સતત સફળતા મેળવે એવી ઇચ્છા રાખીએ છીએ.

અત્રે નોંધનીય છે કે વિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓના યોગદાનને કારણે તાજેતરમાં જ ગુજરાત વિજ્ઞાન એકેડેમીના પ્રમુખ તરીકે ડો.જોશીની નિમણૂક કરવામાં આવી છે. ડૉ.જોશી ગુજરાતના યુવાનોમાં વિજ્ઞાન અને નવ-પરિવર્તન વિશે જાગૃતિ લાવવાના અંગત મિશન સાથે કાર્ય કરે છે.

ડૉ. પંકજ જોશીએ જણાવ્યું છે કે “INSA દ્વારા આ ટોચના આંતરરાષ્ટ્રીય પુરસ્કાર થકી અમારા કોલેપ્સીંગ સ્ટાર્સ અને બ્લેક હોલ્સ અંગેના સંશોધન-કાર્યને સરાહના મળી છે તેનો મને સંતોષ છે. હું આશા રાખું છું કે આ આપણા યુવા સંશોધનકારોને કોસ્મોલોજીના આ રસપ્રદ ક્ષેત્રમાં કામ કરવા પ્રેરણારૂપ બની રહેશે.”

આ અંગે આનંદ વ્યક્ત કરતાં, ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ખરેખર, આ પુરસ્કારથી ગુજરાત, ચારુસેટ અને જીએસએનું ગૌરવ વધ્યું છે.”

ભારતમાં ઈ-ફાર્મસી ગેરકાયદેસર છેઃ દવા વિક્રેતાઓએ બેઝોસને પત્ર લખ્યો

મુંબઈઃ ભારતમાં કેમિસ્ટ્સ અને ડ્રગિસ્ટ્સ (દવા વિક્રેતાઓ)ની સંસ્થાએ અમેરિકાની મલ્ટીનેશનલ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને પત્ર લખીને જણાવ્યું છે કે ભારતમાં ઈ-ફાર્મસી બિઝનેસ કરવો ગેરકાયદેસર છે.

એમેઝોન વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રીટેલર છે. એ ભારતમાં ઓનલાઈન ફાર્મસી ઉદ્યોગમાં પ્રવેશવાનો પ્લાન કરી રહી છે.

ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) સંસ્થાએ બેઝોસને પત્ર લખીને જણાવ્યું છે કે ભારતના કાયદાઓ અંતર્ગત દેશમાં ઈ-ફાર્મસીઓ ગેરકાયદેસર ગણાય છે અને એમને ધંધો કરવાની પરવાનગી નથી.

AIOCD સંસ્થામાં 8.5 લાખ કેમિસ્ટ્સ સામેલ છે. એમણે ગઈ 14 ઓગસ્ટે જેફ બેઝોસને પત્ર લખ્યો હતો અને બેઝોસના ભારતમાંના સીઈઓ અમિત અગ્રવાલનું કહેવું છે કે ભારતમાં છેલ્લા અમુક વર્ષોમાં ઓનલાઈન ફાર્મસી બિઝનેસ વિવાદોમાં સપડાયો છે. અનેક કોર્ટ કેસ થયા છે અને કાનૂની પ્રશ્નો ખડા થયા છે.

AIOCDના પત્રમાં જણાવાયું છે કે, www.amazon.in ભારતમાં ઓનલાઈન ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે એવું અમારી જાણમાં આવ્યું એટલે અમે તમને આ પત્ર લખ્યો છે. તમને એ હકીકતથી વાકેફ કરવા માટે કે ભારતમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ અંતર્ગત ઘડાયેલા કાયદા અનુસાર ભારતમાં ઈ-ફાર્મસી ચલાવવી ગેરકાયદેસર છે.

ઉલ્લેખનીય છે કે, એમેઝોને આ મહિનાના આરંભમાં, બેંગલુરુમાં એક ઓનલાઈન ફાર્મસી શરૂ કરી હતી. એમેઝોન ફાર્મસી નામે એણે ઓવર-ધ-કાઉન્ટર અને પ્રીસ્ક્રિબ્શન-બેઝ્ડ દવાઓ માટેના ઓર્ડર સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત તેણે પરંપરાગત હર્બલ દવાઓ તથા ગ્લુકોઝ મીટર, નેબ્યુલાઈઝર્સ, હેન્ડહેલ્ડ મસાજર્સ જેવા અમુક હેલ્થ સાધનો વેચવાનું પણ શરૂ કર્યું છે.

રાશિ ભવિષ્ય 21/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

Chitralekha Gujarati – August 31, 2020

PDF Version Password for PDF- cg-310820

ખુશી કોને કહેવાય?

(બી. કે. શિવાની)

જીવનમાં આપણે ઘણું બધું નિહાળીએ છીએ. વ્યક્તિઓ, મિત્રો, સબંધી, ચીજ-વસ્તુઓ અને તેમની પાસેથી આપણે નાની-મોટી અનેક વાતો શીખીએ છીએ. ભાવ-ભાવનાઓ, ધન, મદદ પણ મેળવીએ છીએ. આપણા ઘણાં સપનાં હોય છે, જે આપણાં જીવન અને પરિવાર કે બાળકોને અનુલક્ષીને હોય છે. પોતાની કારકિર્દીને અનુલક્ષીને પણ આપણા સપનાં હોય છે. જેમ-જેમ આપણે સપનાઓને સાકાર કરતા જઈએ છીએ તેમ તેમ આપણને આનંદ અને ખુશીનો અનુભવ થાય છે, પરંતુ આજે આપણે જોઈએ છીએ કે, જીવનમાં આપણે રાખેલી તમામ આશાઓમાંથી પસાર થતા-થતા ક્યાંક ને ક્યાંક આપણી ખુશી ઓછી થઈ રહી છે. ખુશી મળી અને થોડી વારમા જતી પણ રહી. આપણે ફરી તે ખુશીઓને મેળવવા, તેને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.

આ લેખમાળામાં મારી કોશિશ એ છે કે ખુશી શું છે? ખુશી કોને કહેવાય? તે સમજીને પોતાના જીવનમાં અપનાવીએ. હું કેવી રીતે ખુશ રહી શકું છું? શું મને એ ખબર છે કે, એવી કઈ વાતો છે જે મને ખુશી આપે? ખુશી ક્યાંય બહાર બજારમાં કે કોઈના ઘરે, ક્યાંકથી મળશે? કે પછી કોઈ સાથેના સારા સ્વચ્છ સંબંધો દ્વારા મળશે? કે પછી કોઈ ભૌતિક ચીજ વસ્તુઓને આધારે પ્રાપ્ત થશે? કે પછી ખુશી મારી પોતાની અંદર જ સમાયેલી છે? એવી ઘણી બધી બાબતો છે કે જે આપણી ખુશી સાથે જોડાયેલ છે. આપ વારંવાર પોતાનું અવલોકન કરો કે મારી ખુશીનો ઇન્ડેક્સ શું છે?

આખા દિવસમાં ઘણી બાબતો કે પરિસ્થિતિઓ આપણી સામે આવે છે. કોઈ પ્રસંગ મારી પસંદ મુજબનો હશે, તો કોઈ પ્રસંગ મારી પસંદગી પ્રમાણેનો નહીં પણ હોય. તેવી જ રીતે કોઈ વ્યક્તિ હું ઇચ્છું છું તે પ્રમાણે વર્તશે અને કોઈ મારી ઇચ્છા મુજબ નહીં પણ વર્તે. મોટા ભાગે આપણે આપણી ખુશી પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓ ઉપર આધારિત રાખીએ છે. આજે મોટે ભાગે દરેક વ્યક્તિઓ તેવું અનુભવે  છે કે, ખુશી ક્ષણિક મળે છે અને પળવારમાં ખુશી ગાયબ થઈ જાય છે. જેમ કે એક પ્રસંગ જે આપણી પસંદગી મુજબનો થયો, જેમાં બાળકો સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા અને મને ખુશી થઈ. પણ બીજા પ્રસંગે બાળકો સમયસર તૈયાર થયા છે, પરંતુ તેમને લેવા માટે બસ ન આવી. તેથી કાર દ્વારા મારે બાળકોને સ્કૂલે મૂકવા માટે જલ્દી-જલ્દી જવું પડ્યું.

પ્રથમ પ્રસંગમાં ખુશી હતી, પરંતુ બીજા પ્રસંગે ખુશી જતી રહી. પછી એવું દ્રશ્ય સામે આવે છે કે, સમયસર બાળકો સ્કૂલે પહોંચી ગયા. ઘણું સરસ. પરંતુ બીજા દ્રશ્યમાં એ યાદ આવ્યું કે, જે નોટ-બુકમાં લેસન કર્યું હતું તે નોટ તો ઘરે જ રહી ગઈ. તો ફરી ખુશી જતી રહી. આવા દ્રશ્યો આપણાં માનસિક સંતુલન ઉપર ઘણો પ્રભાવ પાડે છે. કારણ કે આપણે આપણા મનનું નિયંત્રણ સંપૂર્ણ રીતે બહારની પરિસ્થિતિઓના હાથમાં સોપી દીધેલ છે. આપણે વિચારીએ છીએ કે, આવું તો સ્વાભાવિક હોય જ છે. જેમ જેમ પરિસ્થિતિઓ તથા પ્રસંગો બદલતા જશે, મારા વિચારો તે પ્રમાણે બદલતા જશે. તેથી ક્યારેક આપણને ખુશી મળે છે તો ક્યારેક દુ:ખ અને અશાંતિનો અનુભવ થાય છે. આપણે તેને સ્વીકાર કરી લઈએ છીએ કે આ કેવું જીવન છે?

આપણે પોતાના મનની શક્તિઓને પરિસ્થિતિઓને આધારિત બનાવતા ગયા. પરિસ્થિતિઓ દિવસે-દિવસે પડકારરૂપ બનતી ગઈ. ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ. જેના કારણે જીવનમાં અશાંતિનું પ્રમાણ વધતું ગયું. ત્યારે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, મારા જીવનમાં એક સારો પતિ-સારી પત્ની છે. ઘરમાં દર મહિને સંતોષકારક આવક આવી રહી છે. 35 વર્ષની ઉંમરમાં મેં બે માળનું મકાન બનાવી લીધેલ છે. બહાર અમારા બન્ને માટે અલગ-અલગ ગાડીઓ ઉભી છે. બાળકો માટે અલગ સાધનો છે. જીવનમાં તમામ ભૌતિક સાધનો હોવા છતાં હું ખુશ શા માટે નથી? હવે આનાથી વધુ શું જોઇએ? જીવનમાં આટલું બધું પ્રાપ્ત થયું હોવા છતાં કંઈક ખૂટે છે તેવો અનુભવ થાય છે. તેવામાં એક પ્રશ્ન થાય છે કે આ બધામાં આપણી ખુશી ક્યાં છે?

આપણે શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત શરૂ કરીએ છીએ. પરંતુ તે કસરતના કામનો પણ આપણે એક તણાવ અનુભવીએ છીએ. તેથી આપણે ફક્ત આપણા માતા-પિતાને જ જોવા જોઈએ કે, તેઓ ક્યારેય કોઈ જીમમાં કે વ્યાયામશાળામાં કસરત કરવા ગયા નથી. તેઓએ ક્યારેય મિનરલ વોટર નથી પીધું. તે જમાનામાં ભોજન ઉપર આજના જમાના પ્રમાણે આટલું બધું ધ્યાન રાખવામાં આવતું ન હતું. આપણા ઘેર સાદું ભોજન બનતું હતું, છતાં પણ આપણે ખુશી-ખુશીથી સ્વીકાર કરતા હતા. આજે આપણને શરીરને તંદુરસ્ત રાખવા માટે આટલું બધું ધ્યાન શા માટે રાખવું પડે છે? કારણ કે ભાવનાત્મક દબાણ ઘણું વધારે છે. શરીરમાં કોઈને કોઈ બીમારી કે સમસ્યા ચાલતી જ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, આપણે આત્માનું ધ્યાન રાખતા નથી. જેના કારણે સમસ્યાઓ અને પ્રશ્નો આવવાના શરૂ થઈ જાય છે. પરંતુ જો આપણે આત્માનું પણ ધ્યાન રાખીએ તો આટલું બધું દબાણને દૂર કરવા મહેનત કરવી નહીં પડે.

જો તમે કસરત કરવા જઈ રહ્યા છો અને બે કે ત્રણ વ્યક્તિઓ સાથે કસરત કરી રહ્યા છો. તો આપ પોતાને જુવો  કે તે સમયે મારા વિચારોની ગુણવત્તા કેવી છે?  શરીરની તંદુરસ્તી માટે ચાલવા જઈએ છીએ, પરંતુ સાથે-સાથે મનમાં તો નકારાત્મક વિચારો આવી રહ્યા છે. તો આ નકારાત્મક વિચારોની અસર સીધા આપણા મન પર જ નહીં પરંતુ સમગ્ર શરીર ઉપર પડે છે. જ્યાં સુધી આપણે આપણા વિચારોનો અનુભવ નહીં કરીએ કે, શારીરિક તંદુરસ્તી ઉપર આત્મિક તંદુરસ્તીનો કેટલો ઊંડો પ્રભાવ પડે છે! ત્યાં સુધી આપણે મનથી  સ્થિર રહી નહિ શકીએ. માટે જ સૌ પ્રથમ આપણે આપણા વિચારોને જોવાની જરૂર છે.

જો તમે એક વાત પર ધ્યાન આપો છો અને બીજી બાબતોની અવગણના કરો છો તો પરિણામ શું આવશે? મહેનત વધુ અને સફળતા ઓછી મળશે. આજે ડોક્ટર પાસે 30 વર્ષથી નીચેની ઉંમર વાળો કોઈ  યુવાન આવીને કહે કે, મારી જીવન પ્રણાલી બરાબર છે. હું ડ્રિંકિંગ-સ્મોકિંગથી દૂર રહું છું. હું સંપૂણ શાકાહારી ભોજન જ લઉં છું. દરરોજ સવારે નિયમિત જોગિંગ કરું છું, છતાં પણ મને આટલી બધી આળસ કેમ અનુભવાય છે? પણ તેમણે પોતાના શરીરની તંદુરસ્તી માટે સર્વ બાબતોનું ધ્યાન તો રાખ્યું, પરંતુ એક વાતનું ધ્યાન ન રાખ્યું કે, આખા દિવસમાં મારા મનની સ્થિતિ કેવી છે? અને સર્વ સામાન્ય રીતે એવું સ્વીકારી લીધું કે, હવે આનું કંઇ થઇ શકે નહીં. જીવનમાં ટેન્શન તો રહેવાનું જ છે. પણ આનો વિપરિત પ્રભાવ વિવિધ બીમારીઓના સ્વરૂપે આપણી પાસે આવે છે.

હવે આપણે સમજીએ કે માનસિક તથા ભાવનાત્મક તંદુરસ્તી એટલે શું? તેનો અર્થ શું છે? ખુશી એ આપણી માનસિક તંદુરસ્તીની નિશાની છે. જયારે તમને ખુશીનો અનુભવ નથી થતો, ત્યારે તમારે સમજી લેવું કે તે સમયે હું માનસિક રૂપે તંદુરસ્ત નથી. હવે તમે તમારા આખા દિવસના ઇન્ડેક્સને ચેક કરો કે આજે મારો આખો દિવસ કેવી રીતે પસાર થઇ રહ્યો છે? ખાસ કરીને તેવા સમયે કે જ્યારે તમે હળવાશનો અનુભવ કરી રહ્યા હો છો. ધારો કે હું ચાલવાની કસરત કરી રહ્યો છું અને ચાલતા ચાલતા તે સમયે ઘૂંટણમાં પીડાનો અનુભવ થઈ રહ્યો છે. પણ તેમ છતાં હું ચાલવાનું ચાલુ રાખું છું. એ સમયે કોઈ આપણને સલાહ આપીને કહે કે – કોઈ ડોક્ટરને બતાવો. ત્યારે તમે એમ કહો છો કે હા પછી બતાવીશું, અત્યારે તો સમય જ નથી. પછી બતાવવા જઈશું. ધીરે-ધીરે તમે એ બાબતનો સ્વીકાર કરી લીધો છે કે મારે પીડાની સાથે જ ચાલવાનું છે. અને મનને મનાવો છો કે મારી પાસે હોસ્પિટલમાં જવાનો સમય જ ક્યાં છે?  અને તમે મનથી કહો છો કે શરીરની પીડા તો મારા જીવનનો એક ભાગ બની ગયેલ છે. એ પીડાની સાથે જીવવાનું તમે સ્વીકાર કરી લો છો. શું આ તંદુરસ્તી છે? શું આ તંદુરસ્ત પગ છે? શું ઘૂંટણ ઠીક છે?  ના. તમે તે પીડાનો સ્વીકાર કરી લીધો અને તેને સામાન્ય ગણી લીધી. પરંતુ તે સામાન્ય નથી. તો પ્રશ્ન થાય કે શું આપણે માનસિક તણાવને આ રીતે જ સ્વીકાર કરી લેવો જોઈએ?

મનની સ્થિતિના સંબંધમાં પણ મનુષ્ય આવું જ કઇક વિચારે છે. જ્યારે આપણને ટેન્શન ના કારણે દર્દનો અનુભવ થાય છે, ત્યારે આપણે વિચારીએ છીએ કે આ દર્દ (પીડા)નું તેની જાતે જ સારું થઈ જશે. અને એ પછી આપણે તે દર્દનો કાયમ માટે સ્વીકાર કરી લઈએ છીએ. કોઈ આપણું ધ્યાન દોરે તો આપણે જવાબ આપીએ છીએ કે ટેન્શન તો બધાને છે ફક્ત મને એકલાને જ થોડું છે? જો તમે કોઈ સમારંભમાં જાઓ કે જ્યાં 100 વધુ વ્યક્તિઓ બેઠા છે. ત્યાં જઈને તમે એક સાધારણ પ્રશ્ન પૂછો કે કોને-કોને માનસિક તણાવનો અનુભવ થાય છે? તો હું વિશ્વાસ સાથે કહું છું કે ત્યાં તમને એક પણ એવો વ્યક્તિ નહીં મળે છે જે ઊભા થઈને કહે કે મારા જીવનમાં ટેન્શન નથી. 99% લોકો એમ જ કહેશે કે આ તો બધાને હોય જ. આ તો સ્વાભાવિક છે. બધાને અનુભવ થાય જ છે. આજે લોકોએ ટેન્શન સાથે જીવવાનું સ્વીકાર કરી લીધું છે.

જો કોઈ વ્યક્તિ એવું કહે કે હા મને ટેન્શન નથી. તો કોઈ તેની આ વાતનો સ્વીકાર જ નહીં કરે. કારણ કે બધાએ એ બાબતનો સર્વ સામાન્ય સ્વીકાર કરી લીધો છે કે ટેન્શન તો એક સામાન્ય બાબત છે. આ બિમારી વર્તમાન સમયે બધાને અનુભવાય છે. જેના કારણે આપણે પણ તેને સ્વાભાવિક જ ગણી લઈએ છીએ. જો આપણે પીડાને શરૂઆતથી જ ચેક કરાવી લઈએ તો આપણે ભાવનાત્મક રૂપથી સ્વસ્થ રહીશું. પરંતુ આપણને પીડા છે ને સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. માનસિક તણાવનો અનુભવ થાય છે અને આવેશ કે ગુસ્સામાં આપણે કહ્યું કે મારું ધ્યાન રાખવા માટે મારી પાસે સમય નથી. તો શું આપણે પોતાને સ્વસ્થ  કહી શકીશું?  ના. કારણ કે, આપણે આરામનો અનુભવ કરી રહ્યા નથી. મારૂ ભાવનાત્મક સ્વાસ્થ્ય આજે કઈ કક્ષાએ છે? તે જાણવા માટે મારે બીજા પાસે જવાની જરૂરિયાત નથી.

ઘણીવાર આપણે કોઈ એક કામમાં એકાગ્ર બની જઈએ છીએ તો થોડા સમય માટે આપણી પીડાને ભૂલી જઈએ છીએ. અને સમજીએ છીએ કે પીડા ખતમ થઈ ગઈ અને થોડા સમય પછી પીડાનો અનુભવ ફરીથી શરૂ થઈ જાય છે. કારણકે આપણે ફક્ત થોડા સમય માટે મનને પીડાના વિચારોથી અલગ કરી દીધું. ખરેખર તો આપણે જીવનમાં ઘણું બધું મેળવેલું હોય છે. વાસ્તવમાં આપણું જીવન ખૂબ જ સુંદર જીવન છે. પરંતુ ઘણા મનુષ્ય જીવનની આ સુંદરતાનો આનંદ ઉઠાવી શકતા નથી. આપણે આત્માની તંદુરસ્તી તરફ તો ધ્યાન જ નથી આપ્યું. બાકી તમામ બાબતોનું આપણે ખૂબ સુંદર રીતે ધ્યાન રાખીએ છીએ પરંતુ જે પાયાની બાબત છે, તે તરફ તો આપણે ધ્યાન જ નથી રાખ્યું. આપણું જીવન એક વૃક્ષ સમાન છે. જો વૃક્ષના બીજની ગુણવત્તા ઉપર આપણે ધ્યાન નહીં રાખીએ તો જીવનરૂપી છોડ સારી રીતે નહીં ઉગે. જીવનમાં કોઈ ચોક્કસ ઉણપ રહી જશે……

વધુ આવતા લેખમાં.

 

૨૧ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 21/08/2020

ભાવુક પત્ર લખવા બદલ ધોનીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

રાંચી/નવી દિલ્હીઃ ગઈ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ કેપ્ટન, વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે, જેમણે પત્ર દ્વારા ધોનીએ ક્રિકેટના મેદાન પર હાંસલ કરેલી સિદ્ધિઓની બિરદાવી છે એટલું જ નહીં, પરંતુ જીવનમાં ધોનીના ઉદયને એક વિરલ ઘટના તરીકે લેખાવી છે.

ધોનીએ વડા પ્રધાન મોદીએ મોકલેલા પત્રની તસવીરો પાડીને એને સોશિયલ મિડિયા પર શેર કરી છે.

પત્રમાં, મોદીએ ધોનીની સિદ્ધિઓને જ નહીં, પણ સાવ સામાન્ય શરૂઆતમાંથી ધોનીએ સફળતાના શિખર સુધી આદરેલી સફરને પણ વખાણી છે.

મોદીએ પત્રમાં લખ્યું છે, ‘મહેન્દ્ર સિંહ ધોનીનું નામ માત્ર એમની કારકિર્દીના આંકડા કે ચોક્કસ મેચ-વિનિંગ કામગીરી માટે જ યાદ રખાય એ પૂરતું નહીં કહેવાય. તમને માત્ર એક ખેલાડી તરીકે જોવામાં આવે તો એ તમને અન્યાય કર્યો કહેવાશે. તમારી અસરને ચમત્કારના રૂપમાં ગણાય એ જ તમારું મૂલ્યાંકન કરવાની સાચી રીત કહેવાશે.’

વડાપ્રધાને વધુમાં લખ્યું છે કે, ‘જીવનમાં તમારો ઉદય અને એ પછીનું આચરણ એવા કરોડો યુવા લોકોને એક શક્તિ અને પ્રેરણા પૂરા પાડે છે, જેમને તમારી જેમ જ સરળ રીતે શાળા કે કોલેજમાં ભણવાનું નસીબ પ્રાપ્ત થયું નથી, કે જેઓ કોઈ નામાંકિત પરિવારમાંથી આવતા નથી, પરંતુ એમનામાં સર્વોચ્ચ સ્તરે ઝળકવાની પ્રતિભા જરૂર છે.’

વડા પ્રધાનના પત્રના જવાબમાં ધોનીએ ટ્વીટમાં એમનો આભાર માનતા કહ્યું કે, ‘એક કલાકાર, સૈનિક અને રમતવીર કાયમ એવું ઈચ્છે કે એના સખત પરિશ્રમ અને ત્યાગની દરેક જણ નોંધ લે અને એની સરાહના કરે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમે સરાહના કરી અને શુભેચ્છા આપી એ બદલ આપનો આભાર.’