Home Blog Page 46

વર્ષ 2026માં રેકોર્ડ તોડ ગરમી લાવશે સુપર અલ નિનો  

નવી દિલ્હીઃ વિશ્વના વૈજ્ઞાનિકો આ વર્ષે સંભવિત ‘સુપર અલ નિનો’ને લઈને ચિંતિત છે. શરૂઆતના સંકેતો દર્શાવે છે કે આ હવામાન સંબંધિત ઘટના અપેક્ષા કરતાં વધુ ઝડપથી વિકસી રહી છે અને છેલ્લા ઘણા દાયકાઓમાંના સૌથી શક્તિશાળી અલ નિનોમાં બદલાઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો સુપર અલ નીનો બનશે, તો તેના અસર દુનિયા પર પડી શકે છે. દેશમાં નબળા ચોમાસા, દુષ્કાળ, ભયંકર ગરમી અને ખેતી પર મોટી અસર જોવા મળી શકે છે.

આખરે અલ નિનો શું છે?

અલ નિનો એક કુદરતી જલવાયુ ઘટના છે. તે ત્યારે બને છે જ્યારે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગનું સમુદ્રી પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. સમુદ્રના તાપમાનમાં આવતો આ ફેરફાર સમગ્ર દુનિયાની પવનો અને હવામાનની પેટર્નને અસર કરે છે. તેને કારણે અનેક દેશોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળે છે. ક્યાંક દુષ્કાળ પડે છે તો ક્યાંક પૂર અને ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી કેમ વધારી?

અમેરિકાની NOAA (National Oceanic and Atmospheric Administration)એ ચેતવણી આપી છે કે 2026માં અલ નિનો ખૂબ જ મજબૂત બની શકે છે. NOAA અનુસાર પ્રશાંત મહાસાગરમાં અલ નિનોની સ્થિતિ ઝડપથી વિકસી રહી છે. ઘણા હવામાન મોડેલ દર્શાવે છે કે આ 1982-83, 1997-98 અને 2015-16 જેવા મોટા અલ નિનોની બરાબરી કરી શકે છે અથવા તેનાથી પણ વધુ શક્તિશાળી બની શકે છે.

ભારત માટે મોટો ખતરો કેમ?

ભારતની સૌથી મોટી ચિંતા ચોમાસાને લઈને છે. દેશમાં લગભગ 70 ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે આવતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર આધારિત છે. જ્યારે અલ નિનો મજબૂત બને છે, ત્યારે ચોમાસાની પવનો નબળી પડી જાય છે. તેને કારણે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો પડી શકે છે. જોકે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

કયાં રાજ્યો પર સૌથી વધુ અસર પડી શકે?

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યો અલ નિનો દરમિયાન સૌથી વધુ દુષ્કાળની ચપેટમાં આવ્યા છે. બીજી તરફ કેટલાક દરિયાકાંઠાનાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

BCCIનો મોટો એક્શન પ્લાન: 2026-27ના ડોમેસ્ટિક સીઝનનું શેડ્યૂલ જાહેર

ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ 2026-27 માટેના ઘરેલું ક્રિકેટ સીઝનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે ભારતીય પીચો પર ક્રિકેટનો અદભુત રોમાંચ જોવા મળશે, કારણ કે આગામી સીઝનમાં પુરુષ અને મહિલા બંને કેટેગરીના વિવિધ વય જૂથો (Age Groups) ને મળીને કુલ 1788 મેચો રમાવાની છે. ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના આ મહાકુંભની શરૂઆત 23 August 2026 થી દલીપ ટ્રોફી સાથે થશે. 6 ઝોનલ ટીમો વચ્ચે રમાનારી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ લાંબા ફોર્મેટ (મલ્ટી-ડે ક્રિકેટ) ની શરૂઆત કરશે, ત્યારબાદ 1 Octoberથી ઈરાની કપ રમાશે.

ખેલાડીઓની ફિટનેસ માટે મોટો નિર્ણય: રણજી ટ્રોફી બે તબક્કામાં રમાશે

BCCI એ આ વખતે મલ્ટી-ડે એટલે કે લાંબા ફોર્મેટના ક્રિકેટને વધુ મહત્વ આપ્યું છે. ખેલાડીઓને સતત રમવાના કારણે થતી ઈજાઓથી બચાવવા અને રિકવરી માટે પૂરતો સમય આપવા માટે રણજી ટ્રોફી અને કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીને બે અલગ-અલગ તબક્કામાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. આગામી રણજી ટ્રોફીના માળખાની વાત કરીએ તો, એલીટ (Elite) ગ્રૂપમાં કુલ 32 ટીમોને 4 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ ઉપરાંત પ્લેટ (Plate) ગ્રૂપમાં 6 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે.

શેડ્યૂલમાં કરવામાં આવેલા 3 મોટા ફેરફારો

નવી ટૂર્નામેન્ટની વાપસી: અંડર-23 (U23) ના ઉભરતા યુવા ખેલાડીઓને વધુ સારી તક આપવા માટે ‘કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી વિનર્સ વિરુદ્ધ રેસ્ટ ઓફ ઈન્ડિયા’ મેચને શેડ્યૂલમાં ફરી સામેલ કરાઈ છે. આ મેચ 1 થી 4 October 2026 દરમિયાન રમાશે.

વન-ડેના બદલે હવે T20 ફોર્મેટ: મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં મોટો બદલાવ કરતા, પુરુષોની U23 સ્ટેટ એ ટ્રોફી અને વિજય ટ્રોફીને હવે 50 ઓવરના વન-ડે ફોર્મેટને બદલે રોમાંચક T20 ફોર્મેટમાં રમાડવામાં આવશે.

તારીખો અને વેન્યુમાં ફેરફાર: કૂચ બિહાર ટ્રોફી (એલીટ ગ્રૂપ) ની નૉકઆઉટ મેચો ટીમો વચ્ચે સમાન ટક્કર જાળવી રાખવા માટે બેંગલુરુ અને મૈસૂરુમાં આયોજિત કરાશે. જ્યારે વિજય મર્ચન્ટ ટ્રોફી (U16) ને નવી ટાઈમલાઈન આપવામાં આવી છે, જે હવે November થી January દરમિયાન રમાશે.

રણજી ટ્રોફી 2026-27 માટે નક્કી કરાયેલા ગ્રૂપ્સ (Ranji Trophy Groups):

BCCI દ્વારા આગામી રણજી ટ્રોફી માટે ટીમોનું વિભાજન નીચે મુજબ કરવામાં આવ્યું છે:

ગ્રૂપનું નામ સામેલ ટીમોની વિગત

Elite A – જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, બરોડા, ઉત્તર પ્રદેશ, પુડુચેરી, ગોવા.
Elite B – કર્ણાટક, આંધ્રપ્રદેશ, સૌરાષ્ટ્ર, છત્તીસગઢ, હૈદરાબાદ, ત્રિપુરા, પંજાબ, આસામ.
Elite C – બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર, સર્વિસીસ, ગુજરાત, કેરળ, દિલ્હી, ઓડિશા.
Elite D – ઉત્તરાખંડ, મુંબઈ, હરિયાણા, રેલવે, રાજસ્થાન, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ.
Plate  – નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ.

યુવા પ્રતિભાઓને ચમકવાની સોનેરી તક

સ્પોર્ટ્સ એક્સપર્ટ્સના મતે, આ વર્ષે BCCI એ જે રીતે શેડ્યૂલ તૈયાર કર્યું છે, તેનાથી ન માત્ર સિનિયર ખેલાડીઓને ફિટ રહેવામાં મદદ મળશે પરંતુ જુનિયર અને કલબ લેવલના ખેલાડીઓને પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની શાનદાર તક મળશે. આટલી મોટી સંખ્યામાં મેચોનું આયોજન ભારતીય ક્રિકેટના બેન્ચ સ્ટ્રેન્થને વધુ મજબૂત બનાવશે.

 

કંગાળ પાકિસ્તાનને લૂંટી રહી છે વિદેશી કંપનીઓ

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ગરીબ જનતા આસમાને પહોંચેલી મોંઘવારી અને ગરીબીથી ત્રસ્ત છે. બીજી તરફ, પાકિસ્તાનમાં કાર્યરત વિદેશી કંપનીઓ ભારે કમાણી કરી રહી છે અને પોતાના દેશોમાં મોટી રકમ મોકલી રહી છે.સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પાકિસ્તાનમાં કામગીરી કરતી વિદેશી કંપનીઓએ એપ્રિલ, 2026 દરમિયાન પોતાના મુખ્ય મથકોને 17.2 કરોડ અમેરિકી ડોલરનો નફો પરત મોકલ્યો હતો. આ રકમ ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 42 ટકા વધુ છે.નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 10 મહિનામાં પરત મોકલાયેલ કુલ નફો થોડો વધીને બે અબજ અમેરિકી ડોલરથી વધુ થયો છે, જે ગયા નાણાકીય વર્ષ 2024-25ની સમાન સમયગાળાની તુલનામાં 8.7 ટકા વધુ છે. પાકિસ્તાનનું નાણાં વર્ષ એક જુલાઈથી 30 જૂન સુધી ગણવામાં આવે છે.

આ કંપનીઓએ કરી મોટી કમાણી

સ્ટેટ બેન્કે પોતાની ડેટા રિપોર્ટમાં જણાવ્યું કે ફંડની પરત મોકલવામાં થયેલો વધારો મુખ્યત્વે નાણાકીય વેપાર ક્ષેત્રને કારણે થયો, જ્યાંથી 72 મિલિયન અમેરિકી ડોલરનો આઉટફ્લો થયો. ડેટા મુજબ  એ પછી ખાદ્ય ક્ષેત્રનો નંબર રહ્યો, જ્યાંથી 30 મિલિયન અમેરિકી ડોલર પરત મોકલાયા, જ્યારે તમાકુ અને સિગારેટ બનાવતી કંપનીઓએ 26 મિલિયન અમેરિકી ડોલર પોતાના દેશોમાં પાછા મોકલ્યા હતા. સેન્ટ્રલ બેન્કના એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનું બાહ્ય દેવું 3.6 ટકા વધીને વિત્ત વર્ષ 2025-26માં PKR 22,959 અબજ સુધી પહોંચી ગયું છે. સ્ટે બેન્ક ઓફ પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ પાકિસ્તાનના કુલ દેવાં 80 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા (PKR)ને પાર કરી ગયાં છે. સેન્ટ્રલ બેન્કે જણાવ્યું કે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારનું કુલ દેવું PKR 80,524 અબજ સુધી પહોંચી ગયું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 9.3 ટકા વધુ છે. ગયા વર્ષે આ આંકડો PKR 73,688 અબજ હતો.

 યુનાઇટેડ કિંગડમમાં ગયો સૌથી વધુ પૈસા

બેન્કે જણાવ્યું કે વિદેશી કંપનીઓના ફંડનો સૌથી મોટો પ્રવાહ UK તરફ ગયો, જે 81 મિલિયન અમેરિકી ડોલર હતો.

બંગાળમાં સત્તા ગુમાવતા જ મમતા બેનર્જીની TMCમાં ભંગાણના સંકેત?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટા ભંગાણની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે યોજાયેલા પાર્ટીના પ્રથમ મોટા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાંથી મોટી સંખ્યામાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, જેને કારણે બંગાળના રાજકીય ગલીયારાઓમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યની સત્તા પર સતત 15 વર્ષ સુધી રાજ કર્યા બાદ વિપક્ષની બેંચ પર ધકેલાઈ ગયેલી TMC માટે આ પ્રથમ મોટું અને સંગઠિત આંદોલન હતું. ચૂંટણી પછીની હિંસા અને ફેરીવાલાઓને હટાવવાના અભિયાન વિરૂદ્ધ TMC ધારાસભ્યોના એક જૂથે વિધાનસભા પરિસરમાં આંબેડકર પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું. આ ધરણામાં શોભનદેવ ચટ્ટોપાધ્યાય, નયના બેનર્જી, કુણાલ ઘોષ અને ઋતબ્રત બેનર્જી જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

80માંથી માત્ર 35 ધારાસભ્યો જ પહોંચ્યા: ભંગાણની અટકળો

જોકે, આ આંદોલન દરમિયાન ચિંતાજનક બાબત એ સામે આવી કે પાર્ટીના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 35 ધારાસભ્યો જ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અડધાથી વધુ ધારાસભ્યોની ગેરહાજરી એવા સમયે સામે આવી છે જ્યારે પાર્ટી ચૂંટણીના આંચકામાંથી બહાર આવીને પોતાને ફરીથી સંગઠિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આ ઘટનાથી સંગઠનની અંદર મોટી તિરાડ હોવાની આશંકાઓને બળ મળ્યું છે. જોકે, આ આંતરિક કલહની વાતોને નકારતા TMCના વરિષ્ઠ ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે બચાવ કર્યો હતો. તેમણે ધારાસભ્યોની ગેરહાજરી પાછળ ભૌગોલિક મુશ્કેલીઓ અને સંગઠનાત્મક જવાબદારીઓનું બહાનું કાઢ્યું હતું. તેમણે ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા જણાવ્યું કે, “આજના કાર્યક્રમમાં આશરે 35 ધારાસભ્યો હાજર હતા. ચૂંટણી પછી જે વિસ્તારોમાં હિંસા થઈ છે ત્યાં ધારાસભ્યો પોતાના સ્થાનિક કાર્યકરોની મદદમાં વ્યસ્ત હોવાથી આવી શક્યા નથી. આ ઉપરાંત આ કાર્યક્રમ માત્ર 1 દિવસની નોટિસ પર રાખવામાં આવ્યો હતો, તેથી દૂર-દરાજ વિસ્તારમાં રહેતા ધારાસભ્યો માટે તાત્કાલિક પહોંચવું મુશ્કેલ હતું.

કાલીઘાટની બેઠકમાં નેતૃત્વ સામે ફૂટ્યો હતો આક્રોશ

બુધવારના વિરોધ પ્રદર્શનમાં જોવા મળેલી આ પાંખી હાજરી એટલા માટે વધુ મહત્વની માનવામાં આવે છે કારણ કે તેના ઠીક 1 દિવસ પહેલા મંગળવારે કલકત્તાના કાલીઘાટમાં એક હાઈ-લેવલ બેઠક મળી હતી. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તે બેઠકમાં જ સંગઠનની અંદરની નારાજગી સામે આવી ગઈ હતી. કેટલાક ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, TMC માત્ર બંધ બારણે રણનીતિઓ ઘડીને પોતાની જૂની તાકાત પાછી મેળવી શકશે નહીં. તેના માટે જમીની સ્તર પર જઈને જનતા સાથે ફરીથી જોડાવું પડશે.

પાર્ટીના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, મંગળવારની બેઠકમાં પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ હાજર હતા. આ બેઠકમાં કેટલાક ધારાસભ્યોએ ચૂંટણી હાર્યા બાદ જનતાની વચ્ચે જઈને ‘રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન’ ન કરવા બદલ હાઈકમાન્ડની શૈલી સામે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્યોનું માનવું છે કે, બંધ રૂમમાં બેઠકો કરવાથી જે રાજકીય જમીન પક્ષે ગુમાવી દીધી છે તે ક્યારેય પાછી મેળવી શકાશે નહીં.

વિપક્ષ તરીકે અસ્તિત્વ ટકાવી રાખવાનો મોટો પડકાર

રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણીમાં હાર બાદ કોઈપણ પક્ષ માટે પોતાના નેતાઓને એકજૂથ રાખવા અઘરા હોય છે. 15 વર્ષ સુધી સત્તા ભોગવ્યા બાદ હવે વિપક્ષમાં બેસવું ટીએમસીના ઘણા નેતાઓ પચાવી શકતા નથી. જો મમતા બેનર્જી વહેલી તકે આ નારાજગી દૂર નહીં કરે, તો આગામી દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ભંગાણ ચોક્કસ જોવા મળી શકે છે.

PM મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરતા જ રાહુલ ગાંધી પર વરસ્યા ભાજપના નેતાઓ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક નિવેદને દેશભરમાં રાજકીય ઘમસાણ મચાવી દીધું છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને ‘ગદ્દાર’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ તીખા અને વિવાદિત નિવેદન બાદ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતાઓ આગબબૂલા થઈ ગયા છે. ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન મોદીનો વિરોધ કરવાની લ્હાયમાં તેઓ હવે વિદેશી શક્તિઓના હાથની કઠપુતલી બની ગયા છે, જેનું અસલી રિમોટ કંટ્રોલ પાકિસ્તાન પાસે છે.

નિતિન નવીનનો આકરો પ્રહાર: ‘માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે રાહુલ’

રાહુલ ગાંધીના આ નિવેદન પર પલટવાર કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને આ ટિપ્પણીને અત્યંત કમનસીબ અને અરાજકતાવાદી માનસિકતાનું પ્રતીક ગણાવી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “મને લાગે છે કે રાહુલ ગાંધી પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. તેમની આ ભાષા દેશના 140 કરોડ લોકોનું ઘોર અપમાન છે. તેથી તેમણે તાત્કાલિક દેશની જનતાની માફી માંગવી જોઈએ. નિતિન નવીને વડાપ્રધાનના કાર્યોની યાદ અપાવતા સવાલ કર્યો કે, “જે વ્યક્તિએ દેશમાં આતંકવાદી ઘટનાઓ પર લગામ લગાવી, નક્સલવાદનો સફાયો કર્યો અને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગાનું સન્માન વધાર્યું, તેવા રાષ્ટ્રના નેતા માટે તમે આવા અપશબ્દોનો ઉપયોગ કરો છો? આ દેશ ક્યારેય સહન નહીં કરે.”

‘રાહુલ ગાંધીનું રિમોટ કંટ્રોલ પાકિસ્તાનમાં’ – પ્રદીપ ભંડારી

બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી માટે ‘ગદ્દાર’ જેવા હીન શબ્દનો પ્રયોગ કરીને કોંગ્રેસ નેતાએ દેશની લોકશાહી અને જનતાનું અપમાન કર્યું છે. ભંડારીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, “રાહુલ ગાંધીનું રિમોટ કંટ્રોલ પાકિસ્તાન અને અન્ય ભારત વિરોધી તાકાતોના હાથમાં છે, જેના ઈશારે તેઓ દેશના વડાપ્રધાનને નિશાન બનાવી રહ્યા છે.”

ઓબીસી પૃષ્ઠભૂમિના કારણે પીએમ મોદીનું અપમાન: શહઝાદ પૂનાવાલ

ભાજપના અન્ય એક ફાયરબ્રાન્ડ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ આ વિવાદમાં કોંગ્રેસની વિચારધારા પર સવાલો ઉઠાવ્યા છે. પૂનાવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી બહારથી તો ‘મોહબ્બત કી દુકાન’ હોવાનો દાવો કરે છે, પરંતુ નફરત ફેલાવવી એ જ તેમની અસલી ઓળખ છે. તેમણે હંમેશા પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાનું પણ અપમાન કર્યું છે. વડાપ્રધાન મોદી એક પછાત (OBC) પૃષ્ઠભૂમિમાંથી આવે છે, એટલા માટે જ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના મનમાં તેમના પ્રત્યે આટલી નફરત છે અને તેઓ વારંવાર તેમનું અનાદર કરે છે.

વધતો જતો રાજકીય ગરમાવો

રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણીઓ અને સંસદના સત્રો પહેલા આ પ્રકારની ભાષાબાજીથી વાતાવરણ વધુ તંગ બનશે. ભાજપે આ મુદ્દાને દેશના સન્માન અને ઓબીસી અસ્મિતા સાથે જોડીને દેશવ્યાપી આંદોલન આદરવાના સંકેતો આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં કોંગ્રેસ બેકફૂટ પર આવી શકે છે.

મેલોડીના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા મોદી, મેલોની!: આ શેરમાં તેજી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી  ઇટાલીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે PM મોદીએ મેલોનીને ‘Melody’ ટોફી ગિફ્ટ આપી છે. હવે આ “મીઠી ભેટ”ને કારણે Melody સાથે જોડાયેલા નામવાળી એક કંપની અને તેના રોકાણકારોની ચાંદી થઈ ગઈ છે. અહીં અમે તમને કંપનીના શેરમાં આવેલા ઉછાળા અને કંપનીના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.વડા પ્રધાન મોદીએ જ્યોર્જિયા મેલોનીને ખાસ ‘Melody’ ટોફી ભેટ આપી હતી, જે પછી PM મેલોનીએ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને આ ગિફ્ટ બદલ આભાર માન્યો. ત્યાર બાદ સોશિયલ મિડિયા પર ‘Melody’ ટોફીની જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ.

પાર્લે (Parle) કંપની ભારતીય શેરબજારમાં લિસ્ટેડ નથી, છતાં શેરબજારમાં સમાન નામ ધરાવતા એક સ્ટોકની ખરીદી અચાનક વધી ગઈ છે. મેલોડી ટોફી ગિફ્ટ થયા બાદ પાર્લે (Parle Industries Ltd) નામના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે, જેને કારણે શેરમાં તેજી આવી અને થોડી જ વારમાં શેર અપર સર્કિટ પર પહોંચી ગયો હતો. . જોકે સત્ય એ છે કે ટોફી બનાવતી કંપની અને જેના શેર વધી રહ્યા છે, તે બંને અલગ-અલગ કંપનીઓ છે.

97 વર્ષ જૂની કંપની

પાર્લે પ્રોડક્ટસ (Parle Products) કોઈ નવી કંપની નથી, પરંતુ 97 વર્ષ જૂની કંપની છે. તેની શરૂઆત મોહનલાલ દયાળે “House of Parle” નામથી કરી હતી. આજે કંપની પાસે 21થી વધુ પ્રોડક્ટ્સ છે અને દેશભરમાં 125થી વધુ ફેક્ટરીઓ છે. હાલમાં Parle-G બિસ્કિટ અને ટોફી ઉપરાંત કંપની ચોકલેટ, કેક, રસ્ક, સ્નેક્સ, બ્રેકફાસ્ટ સિરિયલ અને લોટ પણ વેચે છે.

 શું પાર્લે ઇન્ડસ્ટ્રીઝ અને પાર્લે પ્રોડક્ટ એક જ છે?

ના,  પાર્લે ઇન્ડસ્ટ્રીઝ અને પાર્લે પ્રોડક્ટ વચ્ચે કોઈ સંબંધ નથી. પાર્લે પ્રોડક્ટ્સ એક જાણીતી FMCG કંપની છે, જે Parle-G, Melody અને Monaco જેવી બિસ્કિટ અને ટોફીઓ બનાવે છે. જ્યારે પાર્લે ઇન્ડસ્ટ્રીઝ લિ.  એક અલગ જ કંપની છે, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા રિસાયક્લિંગના વ્યવસાય સાથે જોડાયેલી છે.

સરકારી બાબુઓની લક્ઝરી પર બ્રેક: ગુજરાત સરકારનો મોટો નિર્ણય

વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલી આર્થિક પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય પડકારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં ચાલી રહેલા બિનજરૂરી ખર્ચાઓ પર મોટો અંકુશ લગાવ્યો છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને વિદેશી હૂંડિયામણ (Foreign Exchange)ના વપરાશને નિયંત્રિત કરવા તેમજ સરકારી નાણાંની બચત કરવાના હેતુથી સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક અત્યંત કડક અને વિસ્તૃત પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ નવા આદેશ અનુસાર, હવે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ મનફાવે તેમ પ્રવાસો કે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં.

સરકારી પ્રવાસો પર લાગશે લગામ, ‘વર્ચ્યુઅલ’ બેઠકોનો આદેશ

સરકારના નવા નિયમો મુજબ, સરકારી કામકાજ માટે માત્ર અત્યંત અનિવાર્ય અને જેની વિના ચાલે તેમ ન હોય તેવા જ પ્રવાસોનું આયોજન કરવાનું રહેશે. અધિકારીઓને રૂબરૂ મુસાફરી ટાળવા અને ટેલિફોન, ઈ-મેઈલ તેમજ વીડિયો કોન્ફરન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હવેથી ક્ષેત્રીય અધિકારીઓને રૂબરૂ મિટિંગમાં બોલાવવાને બદલે ઓનલાઈન બેઠકો યોજવાને જ પ્રથમ પ્રાધાન્ય અપાશે.

આ ઉપરાંત, વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો કે અભ્યાસ પ્રવાસો (સ્ટડી ટૂર) પર પણ મોટો કાપ મૂકી દેવાયો છે. અન્ય રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ ડિજિટલ માધ્યમથી જ જોડાવા જણાવાયું છે. જો કોઈ સંજોગોમાં રાજ્ય બહાર જવું અનિવાર્ય બને, તો પણ ઉચ્ચ અધિકારીઓ પોતાની સાથે વધારાનો મોટો સ્ટાફ કે લબાચો લઈ જઈ શકશે નહીં. એટલું જ નહીં, જિલ્લા બહારની કોઈપણ મુસાફરી માટે સક્ષમ નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી હવે ફરજિયાત બની ગઈ છે.

વધારાની સરકારી ગાડીઓ જમા લેવાશે, EV વાહનો પર ભાર

ગાડીઓના દુરુપયોગ અને ઈંધણના બગાડને અટકાવવા માટે સરકારે ભારે આકરું વલણ અપનાવ્યું છે. જો કોઈ અધિકારી પાસે એકથી વધુ હોદ્દા કે વધારાનો હવાલો (Charge) હોય, તો તેમને મળવાપાત્ર એક મુખ્ય વાહનને બાદ કરતાં, બાકીની તમામ વધારાની સરકારી ગાડીઓ તાત્કાલિક ધોરણે ‘સરકારી વાહન પુલ’ (Vehicle Pool)માં જમા કરાવી દેવી પડશે. તદુપરાંત, જે અધિકારીઓ પાસે પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) કે હાઈબ્રિડ મોડલ ઉપલબ્ધ છે, તેમણે ફરજિયાત પણે તેનો જ આગ્રહ રાખવો પડશે. સામાન્ય કર્મચારીઓને પણ વ્યક્તિગત વાહનોના બદલે મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા છે.

સરકારી કેન્ટીનોમાં PNG ફરજિયાત અને સ્વદેશીને પ્રાધાન્ય

એક અન્ય મહત્વના નિર્ણય અંતર્ગત, આગામી ૬ મહિનાની અંદર તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે દેશી અર્થતંત્રને મજબૂત કરવા માટે તમામ સરકારી સંસ્થાઓમાં ખરીદ નીતિ પણ કડક કરાશે. હવેથી કોઈપણ ખરીદીમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને MSMEs (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)ની સેવાઓને જ પ્રથમ અગ્રતા અપાશે. આંતરરાષ્ટ્રીય કટોકટીના કારણે બજારમાં બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે સરકાર જનજાગૃતિ અભિયાન પણ ચલાવશે.

લોકાર્પણના કાર્યક્રમો હવે સાદગીપૂર્ણ થશે

ભવિષ્યમાં યોજાનારા તમામ સરકારી કાર્યક્રમો, ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રોગ્રામો પણ હવે ભવ્ય પ્રદર્શનો કે ઝાકઝમાળના બદલે તદ્દન સાદગીપૂર્ણ રીતે અથવા તો વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી યોજવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ તમામ સૂચનાઓનો તાકીદે અને અંશતઃ પણ ચૂક વગર કડક અમલ કરવા માટે રાજ્યના તમામ વહીવટી વિભાગો, સરકારી યુનિવર્સિટીઓ, નિગમો અને સ્વાયત્ત સંસ્થાઓને આદેશ આપી દેવાયો છે.

ટ્વિશા શર્મા મોત મામલે રહસ્ય ઘેરાયું

ભોપાલના બહુચર્ચિત ટ્વિશા શર્મા મોતના કેસમાં AIIMS ભોપાલનો સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ સમગ્ર કેસે એક તદ્દન નવો જ વળાંક લીધો છે. પીએમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મોતનું કારણ ફાંસી લાગવું જ બતાવવામાં આવ્યું છે, પરંતુ આ રિપોર્ટમાં એક એવો ખુલાસો પણ થયો છે જેણે ટ્વિશાના પરિવારના શંકા-કુશંકાઓને વધુ મજબૂત કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, ટ્વિશાના શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાનો મળી આવ્યા છે, જેને તબીબી ભાષામાં ‘બ્લન્ટ ફોર્સ ઇન્જરીઝ’ (Blunt Force Injuries) તરીકે દર્શાવવામાં આવ્યા છે.

શરીર પર મળ્યા ઈજાના નિશાન: પરિવારે ઉઠાવ્યા સવાલો

AIIMS ભોપાલના આ રિપોર્ટ પર ટ્વિશાના પરિવારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે જો આ સામાન્ય આત્મહત્યાનો મામલો હોય, તો ટ્વિશાના શરીર પર આ પ્રકારના ગંભીર ઈજાના નિશાનો ક્યાંથી આવ્યા? આ નિશાનો સીધેસીધા નિર્મમ હત્યા તરફ ઈશારો કરે છે.

પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે પરિવારે હવે કાયદાકીય લડત શરૂ કરી દીધી છે. તેમણે આ કેસની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે AIIMS Delhi માં બીજી વખત પોસ્ટમોર્ટમ (Re-Postmortem) કરાવવાની માંગ કરી છે. આ માટે પરિવારે સ્થાનિક વહીવટી તંત્ર અને કોર્ટ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. પરિવારનો આરોપ છે કે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં શરૂઆતથી જ ઘણા મહત્વના તથ્યો અને પુરાવાઓને નજરઅंदाज કરવામાં આવી રહ્યા છે.

પોલીસ કમિશનરનું નિવેદન અને તપાસનો દાયરો

આ આખા વિવાદ વચ્ચે ભોપાલના પોલીસ કમિશનર સંજય કુમારે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમનો તબીબી રિપોર્ટ આત્મહત્યા તરફ જ ઈશારો કરી રહ્યો છે. જોકે, તેમણે પીડિત પરિવારને આશ્વાસન આપતા એ પણ સ્પષ્ટ કર્યું છે કે પોલીસ કોઈ પણ તારણ પર ઉતાવળમાં નહીં પહોંચે. સાસરી પક્ષ વિરૂદ્ધ નોંધાયેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ સહિતના તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે અને કેસના કોઈપણ કાનૂની એંગલને છોડવામાં નહીં આવે.

CCTV ફૂટેજથી કેસ વધુ સંવેદનશીલ બન્યો

આ દરમિયાન તપાસ કરી રહેલી એજન્સીઓના હાથમાં કેટલાક મહત્વના CCTV ફૂટેજ પણ લાગ્યા છે, જે આ કેસની કડીઓ જોડવામાં મુખ્ય સાબિત થઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, આ ફૂટેજમાં ટ્વિશા શર્મા છેલ્લી ક્ષણોમાં ઘરની છત તરફ એકલી જતી જોવા મળી રહી છે. પરંતુ તેના થોડા સમય બાદ જ, સીસીટીવી ફૂટેજમાં ટ્વિશાનો પતિ તેને છત પરથી નીચે લાવતો નજરે પડે છે. આ ફૂટેજ સામે આવ્યા બાદ કેસ અત્યંત સંવેદનશીલ બની ગયો છે અને પોલીસ આ સમયગાળા દરમિયાન ઘરમાં બનેલી તમામ ઘટનાઓનું રી-કન્સ્ટ્રક્શન કરવાનો પ્રયાસ કરી રહી છે.

ન્યાય માટે પરિવારની લડત

ટ્વિશાના પિતા અને અન્ય સગા-સંબંધીઓનું કહેવું છે કે લગ્ન બાદથી જ તેને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પીએમ રિપોર્ટમાં સામે આવેલી ‘બ્લન્ટ ફોર્સ ઈન્જરીઝ’ તેમના આક્ષેપોને સાબિત કરે છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ તરફથી દિલ્હી AIIMSમાં ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની મંજૂરી મળે છે કે નહીં, કારણ કે તેના પછી જ આ રહસ્યમય મોત પાછળનું સાચું સત્ય બહાર આવી શકશે.

 

PM, ગૃહપ્રધાન ગદ્દાર છેઃ રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન

રાયબરેલીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર અને ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે તમારા વડા પ્રધાન અને તમારા ગૃહ મંત્રી ગદ્દાર છે. કોંગ્રેસે રાહુલ ગાંધીનો આ વિડિયો પોતે સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ ભાજપ-RSSના લોકો તમારી સામે આવે અને નરેન્દ્ર મોદી-અમિત શાહની વાત કરે, ત્યારે તમે ખુલ્લેઆમ કહો કે નરેન્દ્ર મોદી-અમિત શાહ ગદ્દાર છે. ભાજપ-RSS ગદ્દાર છે, કારણ કે તમે લોકો મળીને દેશને વેચવાનું કામ કર્યું છે. ભાજપ-RSSએ બંધારણ પર, વીરા પાસીજી, ગાંધીજી અને આંબેડકરજી પર હુમલો કર્યો છે.

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ભારતની આર્થિક વ્યવસ્થાને વેચી દીધી છે. હવે આર્થિક તોફાન આવવાનું છે અને નરેન્દ્ર મોદી તથા ભારત સરકાર તમને બચાવી શકશે નહી. તેઓ તમને કહેશે, રડશે અને કહેશે કે મારી ભૂલ નથી. હું તમને કહી રહ્યો છું કે ભૂલ માત્ર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને RSSની છે, કારણ કે તેમણે આ (બંધારણ)ને ખતમ કર્યું છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને પણ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ અને ગેસની કોઈ અછત નથી અને પેટ્રોલના ભાવ નહીં વધે. આજે જ્યારે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે ત્યારે અંબાણી પેટ્રોલ ભારતની બહાર મોકલી રહ્યા છે. અંબાણી રશિયાથી પેટ્રોલ ખરીદી બહાર વેચે છે અને તે પૈસાથી નરેન્દ્ર મોદીને ફંડિંગ કરે છે, આ સત્ય છે.

તાજેતરમાં વડા પ્રધાન મોદીએ દેશના લોકોને વિદેશ ન જવાની અને સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. એ મુદ્દે પણ રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર નિશાન સાધ્યું હતું રાયબરેલીમાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કહે છે કે વિદેશ ન જાઓ, સોનું ન ખરીદો, ઇલેક્ટ્રિક ગાડી ખરીદો. આવનારા સમયમાં ખેડૂત પાસે ખાતર નહીં હોય. જુઓ, થોડા મહિનામાં મોંઘવારી ક્યાં પહોંચે છે, પેટ્રોલ, ડીઝલ, તેલ, ગેસ, દાળ અને ચોખાના ભાવ ક્યાં સુધી જાય છે. વડા પ્રધાન ખુદ ખુલ્લેઆમ કહે છે કે સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ અને પોતે હજારો કરોડ રૂપિયાના વિમાનમાં વિદેશ પ્રવાસે જાય છે.

મેટાએ વૈશ્વિક સ્તરે 8000 કર્મચારીઓની છટણી શરૂ કરી

નવી દિલ્હીઃ મેટા પ્લેટફોર્મ્સ (Meta Platforms)એ વિશ્વભરમાં હજારો કર્મચારીઓને છટણી કરવાનું શરૂ કર્યું છે. આ પગલું કંપનીની રિ-સ્ટ્રક્ચરિંગ યોજનાનો ભાગ છે, જેના માધ્યમથી ખર્ચ ઘટાડવો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં રોકાણ વધારવાનો છે. કંપનીએ બુધવારે સવારે સૌથી પહેલા સિંગાપુરમાં કર્મચારીઓને માહિતી આપી હતી, જ્યાં સ્થાનિક સમય મુજબ સવારે ચાર વાગ્યે નોટિસ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ યુરોપ અને અમેરિકાના કર્મચારીઓને પણ તેમના સ્થાનિક સમય મુજબ જાણ કરવામાં આવશે.

 કંપની 8000 પદો ખતમ કરશે

કર્મચારીઓને ઘરેથી કામ (Work From Home) કરવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે કંપની લગભગ 8000 પદો ખતમ કરી રહી છે. આ છટણીનો સૌથી વધુ અસર એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ટીમો પર પડશે એવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર વર્ષના અંત સુધીમાં વધુ છટણી પણ થઈ શકે છે. સોમવારે કંપનીએ જણાવ્યું હતું કે લગભગ 7000 કર્મચારીઓને નવી ટીમોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે AI પ્રોજેક્ટ્સ અને પ્રોડક્ટ્સ પર કામ કરશે. માર્ચના અંત સુધીમાં કંપનીમાં લગભગ 80,000 કર્મચારીઓ હતા, જે આ છટણી અને ફેરફારો પહેલાંની સંખ્યા છે. મેટાની હેડ ઓફ પીપલ જેનેલ ગેલે એક મેમોમાં જણાવ્યું હતું કે કંપની હવે નાના અને ફ્લેટ સ્ટ્રક્ચરમાં કામ કરવા માગે છે, જેથી ટીમો વધુ ઝડપથી કામ કરી શકે અને વધુ જવાબદારી સંભાળી શકે.

 AI કંપનીની સૌથી મોટી પ્રાથમિકતા

કંપનીના CEO માર્ક ઝુબરબર્ગે AIને સૌથી મોટી પ્રાથમિકતા બનાવી છે અને આ ક્ષેત્રમાં સ્પર્ધા કરવા માટે ભારે મૂડીરોકાણ કર્યું છે. કંપની આ વર્ષે AI પર 100 બિલિયન ડોલરથી વધુ ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે. રોકાણકારોને પણ કંપનીના AI ખર્ચ અંગે ચિંતા છે. વિશ્લેષકોને મતે આ છટણીથી લગભગ ત્રણ બિલિયન ડોલરની બચત થઈ શકે છે, જે કુલ ખર્ચની સરખામણીએ નાનો હિસ્સો છે. કંપનીનો કુલ મૂડી ખર્ચ આ વર્ષે 145 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે અને આવનારાં વર્ષોમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ થવાની શક્યતા છે.