Home Blog Page 45

દેશમાં દીકરીઓ દહેજના ખપ્પરમાં ક્યાં સુધી હોમાશે?

નવી દિલ્હીઃ દેશમાં દહેજ પ્રથા સામે આકરા કાયદા છે, છતાં આજે પણ દહેજને લઈને હત્યાઓ થાય છે અને મહિલાઓને અત્યાચારનો સામનો કરવો પડે છે. દિલ્હીના દીપિકા નાગર મૃત્યુ કેસમાં પરિવારનો આરોપ છે કે સસરિયાવાળા દહેજ માટે દબાણ કરી રહ્યા હતા। બીજી તરફ, ભોપાલની ત્વિશા શર્મા કેસ પણ સામે આવ્યો છે, જ્યાં હાલ બંને પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે, પરંતુ પીડિતાના પરિવારનો દાવો છે કે સસરિયાવાળાઓએ દહેજની માગ કરી હતી.

બંને કેસોમાં પોલીસ તપાસ ચાલુ છે, તેથી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું હાલ વહેલું ગણાશે, પરંતુ એક વાત સત્ય છે કે આજે પણ દેશમાં દહેજ માટે અનેક મહિલાઓની હત્યા કરવામાં આવી રહી છે.

2023નો NCRB રિપોર્ટ શું કહે છે?

2023માં પ્રકાશિત થયેલા NCRB રિપોર્ટ મુજબ એક જ વર્ષમાં દેશમાં 6000થી વધુ મહિલાઓની દહેજ માટે હત્યા કરવામાં આવી હતી.

 પૂર્વોત્તર રાજ્યો પાસેથી શીખવાની જરૂર

અહેવાલ મુજબ દહેજ સંબંધિત સૌથી વધુ હત્યાઓ ઉત્તર પ્રદેશમાં થાય છે. બીજા ક્રમે બિહાર, ત્રીજા સ્થાને મધ્ય પ્રદેશ, ચોથા પર રાજસ્થાન અને પાંચમા સ્થાને પશ્ચિમ બંગાળ છે. એક મહત્વપૂર્ણ ટ્રેન્ડ એ પણ જોવા મળે છે કે ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં દહેજને લઈને હત્યાના કેસ લગભગ નથી નોંધાતા. NCRBના આંકડા મુજબ 2023માં માત્ર મેઘાલયમાં એક કેસ નોંધાયો હતો, જ્યારે સિક્કિમ, નાગાલેન્ડ અને મિઝોરમમાં એક પણ કેસ સામે આવ્યો નહોતો.

વિજયની TVK સરકાર પર હોર્સ ટ્રેડિંગનો આરોપઃ SCમાં અરજી

નવી દિલ્હીઃ તામિલનાડુમાં વિધાનસભા ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માગ સાથે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજીમાં 13 મેએ થયેલા વિશ્વાસ મત દરમિયાન ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. આ વિશ્વાસ મતમાં હાલના મુખ્ય મંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની TVK સરકારે બહુમતી સાબિત કરી હતી. મદુરાઈના રહેવાસી કે.કે. રમેશે આ અરજી દાખલ કરી છે. આ અરજીમાં આ મામલાની તપાસ CBI દ્વારા કરાવવાની માગ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તામિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ પણ કરવામાં આવી છે. અરજીમાં ભારત સરકાર, CBI અને તામિલનાડુ સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

તામિલનાડુ વિધાનસભામાં કુલ 234 બેઠકો છે અને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. વિજયે 144 ધારાસભ્યોના સમર્થન સાથે 13 મેએ વિશ્વાસ મત જીત્યો હતો.

 વિધાનસભા ભંગ કરવાની માગ

આ અરજી મુજબ TVK પાસે માત્ર 108 બેઠકો હતી અને બહુમતી મેળવવા માટે તેને અન્ય પક્ષો અને જૂથોનું સમર્થન લેવું પડ્યું હતું. TVKને કોંગ્રેસ, CPI, CPI(M), VCK, IUML, AIADMKના બળવાખોર ધારાસભ્યોના એક જૂથ અને AMMKના એકમાત્ર ધારાસભ્યનું સમર્થન મળ્યું હતું. અરજદારનો આરોપ છે કે અન્ય પક્ષોના ધારાસભ્યોની ખરીદી-વેચાણ કરવામાં આવી હતી અને TVK દ્વારા કેટલાક ધારાસભ્યોને કથિત રીતે “મોટી રકમ” આપવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ધારાસભ્યો સરકારમાં જોડાયા નહોતા, છતાં તેમણે પૈસા અને અન્ય લાભોના બદલામાં પાર્ટી વ્હિપના નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું.

આ અરજીમાં વધુમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ગોપનીય સોદા કરવામાં આવ્યા, ધારાસભ્યો વચ્ચે મોટી રકમ વહેંચાઈ અને ફ્લોર ટેસ્ટ લોકશાહી સિદ્ધાંતો અનુસાર યોજાયો નહોતો. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા ગેરકાયદે હતી અને યોગ્ય લોકશાહી પ્રક્રિયાનો ભાગ નહોતી. તેથી વિધાનસભા ભંગ કરવામાં આવે અને મામલાની વિગતવાર તપાસ CBIને સોંપવામાં આવે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 91મા બંધારણીય સુધારા પછી કોઈ પણ પક્ષમાં થયેલી ફૂટને કાનૂની માન્યતા મળતી નથી અને અન્ય પક્ષમાં કાયદેસર વિલય માટે ઓછામાં ઓછા બે-તૃતીયાંશ ધારાસભ્યોનું સમર્થન જરૂરી હોય છે.

ગાયની કુરબાનીને લઈને હુમાયુ કબીરનું વિવાદાસ્પદ નિવેદન

કોલકાતાઃ બકરી ઈદ પહેલાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. વાસ્તવમાં, આમ જનતા ઉન્નયન પાર્ટીના ચીફ અને ધારાસભ્ય હુમાયુ કબીરે  ગાયની કુર્બાની મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને કારણે રાજકીય તાપમાન વધ્યું છે. તેમણે કહ્યું હતું કે કુર્બાની તો 1400 વર્ષ પહેલાંથી ચાલી આવી રહી છે અને દુનિયા રહેશે ત્યાં સુધી કુર્બાની ચાલતી રહેશે. તેમણે એવો પણ દાવો કર્યો કે કોઈ પણ કુર્બાનીને રોકી શકશે નહીં.

કુર્બાની તો થશે જ – હુમાયુ કબીર

હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળ સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું કે તેઓ સવારે શું કહે છે અને બીજા દિવસે શું કહે છે, તેના પર હું કોઈ ટિપ્પણી નહીં કરું. તેઓ મુસ્લિમોને ગાયનું માંસ ખાવાથી રોકી રહ્યા છે, તેમની સરકાર છે એટલે તેઓ આવું કરી શકે છે, પરંતુ કુર્બાની તો થશે જ.

1400 વર્ષથી ચાલતી આવતી કુર્બાની નહીં અટકે

AJUPના ચીફે કહ્યું હતું કે કોઈ કુર્બાનીને રોકવાનો પ્રયાસ કરશે તો પણ લોકો તેને નહીં સાંભળે. સત્તામાં સુવેન્દુ અધિકારી આવ્યા છે, લોકોએ તેમને મત આપ્યા છે એટલે તેઓ સરકાર ચલાવશે, પરંતુ મારું કહેવું છે કે 1400 વર્ષ પહેલાંથી આ કુર્બાની ચાલી રહી છે. દુનિયા રહેશે ત્યાં સુધી આ કુર્બાની ચાલતી રહેશે.

ગાયને લઈને હુમાયુ કબીરનું વિવાદાસ્પદ નિવેદન

તેમણે આગળ કહ્યું હતું કે ગાયની પણ કુર્બાની થશે, બકરીની પણ થશે, ઊંટની પણ થશે, ઘેટાંની પણ થશે. કુર્બાની માટે જે પણ પશુ માન્ય છે, તેમની કુર્બાની થશે અને તેને કોઈ રોકી શકશે નહીં.

 

હુમાયુ કબીર કોણ છે?

હુમાયુ કબીર એ જ નેતા છે જેમણે ડિસેમ્બર, 2025માં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદને નામે નવી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત બાદ TMCએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યાર બાદ હુમાયુ કબીરે પોતાની નવી રાજકીય પાર્ટી “આમ જનતા ઉન્નયન પાર્ટી” બનાવી અને પહેલી જ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બે બેઠકો પર જીત મેળવી હતી. હુમાયુ કબીરે પોતે રેજીનગર અને નૌડા બેઠકો પરથી ચૂંટણી લડી અને જીત નોંધાવી હતી.

પશ્ચિમ બંગાળમાં બધી મદરેસાઓમાં વંદે માતરમ્ ગાવાનું ફરજિયાત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)ની તમામ મદરેસાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાજ્યના મદરેસા શિક્ષણ નિર્દેશાલયે આ અંગે તાત્કાલિક અસરથી નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર હવે રાજ્યની તમામ સરકારી, સરકારી સહાય પ્રાપ્ત અને માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં વર્ગો શરૂ થાય એ પહેલાં પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ગાવું અનિવાર્ય રહેશે.

સરકારના આ નિર્ણયને મદરેસા શિક્ષણ વ્યવસ્થામાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. જાહેર કરાયેલા નિર્દેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અગાઉ લાગુ તમામ આદેશો અને પરંપરાઓને રદ કરીને આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. તેના દાયરામાં સરકારી મોડલ મદરેસા, સહાય પ્રાપ્ત મદરેસા, બિનસહાય પ્રાપ્ત માન્યતા પ્રાપ્ત મદરેસા, એમએસકે અને એસએસકે સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અલ્પસંખ્યક કાર્ય અને મદરેસા શિક્ષણ વિભાગના મંત્રી ખુદીરામ ટુડુએ સરકારના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે રાજ્યની ઘણી સરકારી શાળાઓમાં સંતાલી ભાષામાં અભ્યાસ થાય છે અને ત્યાં પહેલેથી જ ‘વંદે માતરમ’ ગવાય છે. આવી સ્થિતિમાં મદરેસાઓમાં તેને લાગુ કરવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આ રાષ્ટ્રભાવના અને શિસ્ત સાથે જોડાયેલો વિષય છે.

આ પહેલાં રાજ્યના શિક્ષણ વિભાગે 13 મેની સાંજે એક સૂચના જાહેર કરીને તમામ સરકારી શાળાઓમાં પણ પ્રાર્થના સભા દરમિયાન ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત બનાવ્યું હતું. એ સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાં વર્ગો શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવશે. એ પછી મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ પણ આ સૂચનાને સત્તાવાર સોશિયલ મિડિયા હેન્ડલ પર શેર કર્યું હતું, જેના પછી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો. હવે શિક્ષણ વિભાગ બાદ મદરેસા શિક્ષણ નિર્દેશાલયના આદેશથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્ય સરકાર તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં એકસરખી પ્રાર્થના વ્યવસ્થા અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહી છે.

સાદગી: કંજૂસાઈ નહીં, સંતોષ અને ખુમારીનું શિખર

ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને એક વખત લંડન જવાનું હતું. ત્યાં અન્ય દેશોના વડાપ્રધાનો અને રાજદ્વારી પ્રતિનિધિઓ એકત્ર થવાના હતા. શાસ્ત્રીજી પાસે બે કોટ હતા. તેમાંથી એકમાં કાણાં પડી ગયેલાં. મિત્ર વેંકટરમણે તેમને નવો કોટ સીવડાવવાની સલાહ આપી, પરંતુ શાસ્ત્રીજીએ ‘ના’ પાડી. છતાં મિત્ર દરજીને લઈને આવ્યા. શાસ્ત્રીજીએ કહ્યું, “એક કામ કરો. આ જૂના કોટને ઊંધો કરીને સીવી દો. જો સારો નહીં લાગે તો નવો કરાવીશું.”

તૈયાર થયેલો કોટ સારો લાગતા શાસ્ત્રીજી બોલ્યા, “આપણને જ ખબર નથી પડતી કે આ રિપેર કરાવેલો છે, તો બીજાને કેવી રીતે ખબર પડશે? માટે આ જ ચાલશે.” એ જ કોટ પહેરીને તેઓ લંડન ગયા.

મહાપુરુષોના આવા વર્તનને લોકો ઘણીવાર કંજૂસાઈ ગણે છે, પરંતુ આપણા શાસ્ત્રો તેને દોષ નહીં, સાદાઈનો ગુણ કહે છે. માણસની મહાનતા તેના વસ્ત્રોથી નહીં, પરંતુ તેના વિચારો અને ચરિત્રથી માપવામાં આવે છે. સાદગી કોઈ મજબૂરી નથી, પરંતુ આંતરિક સમૃદ્ધિનું પ્રતિક છે. જે વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર હોય, તેને બહારના દેખાડાની જરૂર પડતી નથી.

આજે વેચાણમાં આવેલી વસ્તુ કાલે જૂની થઈ જાય એટલી હદે ચીજવસ્તુઓ બજારમાં અને ઈન્ટરનેટ પર ઠલવાઈ રહી છે. વસ્તુઓનો આ ભરાવો માનવીના મનને ચકરાવે ચડાવી દે છે. પરિણામે, પોતાની પાસે જે છે તે પણ જૂનું લાગવા માંડે છે. માર્કેટમાં નવો ફોન આવતાં જ પોતાની પાસે રહેલો ફોન નકામો લાગવા માંડે છે. નવા બૂટ-ચંપલ આવતાં વ્યક્તિને પોતાના જૂતાં જુગજૂના લાગે છે.

પરંતુ દરેકની ખરીદશક્તિ મર્યાદિત હોય છે. તેથી દરેક નવી વસ્તુ ઘરમાં લાવવી શક્ય બનતી નથી. પરિણામે, વસ્તુઓ હોવા છતાં માણસને અધૂરાપણાનો અહેસાસ થાય છે. કેટલાક કુટુંબોમાં તો આ બાબતે કંકાસ પણ વધે છે, કારણ કે ઘરના સભ્યોની નવી વસ્તુઓની માગણી પૂરી કરવાની ક્ષમતા ઘરના મોભી પાસે ન હોય. આથી શરૂ થયેલી ચડભડ ક્યારેક મારામારી સુધી પહોંચે છે અને ક્યારેક આત્મહત્યા સુધી પણ દોરી જાય છે. ઘણીવાર સંતાનો પોતાની ઈચ્છા પૂર્ણ ન થતાં ચોરીના માર્ગે પણ વળી જાય છે.

વર્ષો પહેલાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આંખોના બદલાયેલા નંબર મુજબ નવા ચશ્માં કરાવવા ન્યુયોર્કમાં એક જર્મન તબીબ પાસે ગયા હતા. નિષ્ણાત તબીબે જરૂરી તપાસ કરીને નવા નંબર મુજબનાં ચશ્માં નવી ફ્રેમમાં બનાવી આપવાની તૈયારી બતાવી. ત્યારે સ્વામીજીએ કહ્યું, “જૂની ફ્રેમમાં જ નવા કાચ ફિટ કરી આપો.”

સાથે આવેલા હરિભક્ત ચંદ્રકાંતભાઈએ વિનંતી કરી, “સ્વામીજી, ફ્રેમ જૂની થઈ ગઈ છે. બદલી નાખો ને!”

સ્વામીજીએ હળવેથી જવાબ આપ્યો, “મારે જોવાનું ફ્રેમમાંથી છે કે કાચમાંથી?”

આ ધારદાર દલીલ સામે કોઈ કંઈ બોલી શક્યું નહીં. અંતે જૂની ફ્રેમમાં જ નવા કાચ જડાયા, પરંતુ સ્વામીશ્રીની સાદગી સૌના હૃદયમાં જડાઈ ગઈ.

બે હાથમાં પાંચ-પાંચ કિલોના વજન ઊંચકીને પગથિયાં ચઢનાર કરતાં ખાલી હાથે ચઢનાર વધુ ઝડપથી ઉપર પહોંચી શકે. તેવી જ રીતે બિનજરૂરી વસ્તુઓનો ભાર આપણી પ્રગતિમાં અવરોધરૂપ બને છે. એટલું જ નહીં, બિનજરૂરી ચીજો આપણને તેમની ગુલામીમાં પણ બાંધી દે છે. તે વિના આપણે કામ ન કરી શકીએ એવા પંગુ બની જઈએ છીએ.

અમેરિકન વિચારક એમર્સને કહ્યું છે, “To be simple is to be great.” અર્થાત્, “મહાનતા સાદા બનવામાં છે.”

સાદગીનું આ સૌંદર્ય સરદાર પટેલના જીવનમાં પણ જોવા મળતું હતું. તેમના ચશ્માંનું ખોખું વીસ વર્ષ જૂનું હતું. તેમની ઘડિયાળ ત્રીસ વર્ષ જૂની હતી. તેઓ ગોબાવાળો લોટો વાપરતા હતા. તેઓ અવસાન પામ્યા ત્યારે તેમના બેંક ખાતામાં બસો-અઢીસો રૂપિયા જ હતા. માત્ર ચાર જોડી કપડાંથી તેઓ જીવન ચલાવતા હતા.

એટલે જ આવા મહાપુરુષોની છબીઓ માત્ર દીવાલો પર નહીં, લોકોના હૃદયોમાં પણ વસે છે. જે વ્યક્તિ આવી સાદગી અપનાવે છે, તે પોતાના જીવનમાં શાંતિ અને આદર બંને પ્રાપ્ત કરી શકે છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કબીરવાણી: કાલ પર ટાળેલું કાર્ય ક્યારેય પૂર્ણ થતું નથી

કાલ કરૈ સૌ આજ કર, સબહિ સાજ તુવ સાથ,

કાલ કાલ તૂ કયા કૌં, કાલ કાલ કે હાથ.

 

સૌરાષ્ટ્રમાં લોકોક્તિ છે કે, “પથારી કરવામાં રાત પૂરી થાય તો સૂવું કેમ ?” સંગીતની મહેફિલ શરૂ થતાં પહેલાં દરેક સાજિંદો પોતાના સાજને મઠારી સ્પંદનોને ચકાસી લે છે. આમાં ઘણી વખત ખૂબ લાંબો સમય વ્યતિત થાય છે. શ્રોતાઓ કંટાળી જાય છે. સદ્કાર્ય ટાળવાની આપણી વૃત્તિને અડચણરૂપ માનતા કબીરજી કહે છે કે, કોઈ કામ કાલ કરીશ એના બદલે આજ કરી જ લેવું તેવી ટેવ ઉપકારક છે.

કાલ શબ્દના વિવિધ અર્થને ગૂંથીને કબીરજી કહે છે કે, આવતી કાલ આપણા હાથમાં નથી. મહાકાળરૂપી સમય કોઈના બંધનમાં થોડો છે ? ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ? તે ન્યાયે માણસે ફરજ બજાવવામાં વિલંબ ન કરવો જોઈએ. આધુનિક મૅનેજમેન્ટમાં પણ સમયનું આયોજન અને ઉપયોગ એક મહત્ત્વનું પાસું છે.

સમયને આપણે કાલ, આજ, કાલ, મિનિટ, ઘડી, કલાક, અઠવાડિયું, માસ, વર્ષ એમ માપીએ છીએ. કાળ તો અનંત છે પણ તેનો એવો અર્થ ન કરીએ કે સમાજમાં વિલંબ, પ્રમાદ અને કામચોરીને પ્રોત્સાહન મળે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

સુવિચાર – ૨૧ મે ૨૦૨૬

૨૧ મે ૨૦૨૬

કોલકાતાએ મુંબઈને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

આઈપીએલ 2026 હવે તેના રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. ટૂર્નામેન્ટની 65મી મેચમાં બુધવારે (20 May) કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામસામે ટકરાયા હતા. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે KKR માટે આ મેચ ‘કરો કે મરો’ સમાન હતી, જેમાં તેમણે મુંબઈને 4 વિકેટે ધૂળ ચટાડીને શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ વાળી કોલકાતાની ટીમના હવે 13 અંક (Points) થઈ ગયા છે અને પ્લેઓફની આશાઓ અકબંધ છે. જોકે, આગામી રાઉન્ડમાં પહોંચવા માટે KKR એ પોતાની આગામી મેચ મોટા માર્જિનથી જીતવી પડશે.

ટોસ જીતીને KKR નો બોલિંગ કરવાનો નિર્ણય, મુંબઈની નબળી શરૂઆત

કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને હોમ ગ્રાઉન્ડ પર પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને માત્ર 41 રનના સ્કોર પર ટીમે પોતાની 4 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. ઓપનર રયાન રિકેલ્ટન 6 રન, રોહિત શર્મા 15 રન, નમન ધીર 0 અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 15 રન બનાવીને સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા.

આ મુશ્કેલ સમયમાં તિલક વર્મા (20 રન) અને કેપ્ટન હાર્દિક પંડ્યા (26 રન) એ ભાગીદારી કરીને ટીમની ઈનિંગને થોડી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુંબઈની હાલત પહેલેથી જ ખરાબ થઈ ચૂકી હતી. વિલ જેક્સે ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો પણ તે 14 રન બનાવી રનઆઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં લોઅર ઓર્ડરના બેટ્સમેન કોર્બિન બોશ (18 બોલમાં 32 રન) અને દીપક ચાહર (7 બોલમાં 10 રન) ની ઉપયોગી ઈનિંગ્સના કારણે મુંબઈની ટીમ 20 ઓવરમાં 147/8 ના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. કોલકાતા તરફથી બોલિંગમાં સૌરભ દુબે, કાર્તિક ત્યાગી અને કેમરોન ગ્રીનને 2-2 સફળતા મળી હતી. જોકે, KKR ની ઈનિંગની અસલી હાઈલાઈટ મિસ્ટ્રી સ્પિનર સુનિલ નરેન રહ્યો હતો, જેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 13 રન આપીને હાર્દિક પંડ્યાની મોટી વિકેટ ઝડપી હતી.

રોમાંચક રનચેઝ: મનીષ પાંડે અને રોવમેન પોવેલની મેચ વિનિંગ ઈનિંગ્સ

મુંબઈ તરફથી મળેલા 148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત પણ નિરાશાજનક રહી હતી. ઓપનર ફિન એલન માત્ર 8 રન બનાવી દીપક ચાહરના બોલ પર પ્લેડ-ઓન આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે પણ 21 રન બનાવી કોર્બિન બોશનો શિકાર બન્યો હતો. બોશે પોતાના આગલા જ ઓવરમાં કેમરોન ગ્રીનને ફાઇન લેગ પર અલ્લાહ ગઝનફરના હાથે કેચ આઉટ કરાવી KKR ને ત્રીજો ઝટકો આપ્યો હતો.

એક તબક્કે મુશ્કેલીમાં દેખાતી કોલકાતાની ટીમને મનીષ પાંડે (45 રન) અને રોવમેન પોવેલ (40 રન) ની જોડીએ ઉગારી લીધી હતી. બંનેએ સમજદારીપૂર્વક બેટિંગ કરીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. અંતિમ ઓવરોમાં આ બંને બેટ્સમેનો અને તેજસ્વી સિંહ (11 રન) આઉટ થયા હોવા છતાં, અનુકૂલ રોય અને રિંકુ સિંહે અણનમ રહીને 7 બોલ બાકી હતા ત્યારે જ ટીમને જીત અપાવી દીધી હતી.

 

પંચાંગ 21/05/2026