Home Blog Page 456

ભારત વિ. સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચઃ ભારત એક વિકેટે 37 રન

કોલકાતાઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ આજથી ઇડન ગાર્ડન્સમાં શરૂ થઈ છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પણ. ટી બ્રેક પછી દક્ષિણ આફ્રિકાની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી. દક્ષિણ આફ્રિકાનો કોઈ પણ બેટ્સમેન અડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો.

પહેલા દિવસનો ખેલ પૂર્ણ થતી વેળાએ ભારતે 20 ઓવરમાં એક વિકેટે 37 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા 122 રનથી આગળ છે. યશસ્વી જયસ્વાલ 12 રન બનાવીને આઉટ થયો હતો. કે.એલ. રાહુલ 13 અને વોશિંગ્ટન સુંદર છ રન બનાવીને ક્રીઝ પર છે. દક્ષિણ આફ્રિકા તરફથી માત્ર માર્કો જોન્સને એક જ વિકેટ મેળવી હતી.દક્ષિણ આફ્રિકા તરફથી એડન માર્કરમે સર્વાધિક 31 રન બનાવ્યા. તે સિવાય વિયાન મુલ્ડર અને ટોની ડી જૉર્જીએ 24-24 રન બનાવ્યા. રિયાન રિકલ્ટને 23 રન બનાવ્યા. ટ્રિસ્ટન સ્ટબ્સ 15 રન પર નોટઆઉટ રહ્યો. કાઈલ વેરેનએ 16 રન બનાવ્યા. સાઈમન હાર્મરે 5 અને કોર્બિન બોશે 3 રન બનાવ્યા. માર્કો જોન્સન અને કેશવ મહારાજ ખાતું ખોલી શક્યા નહીં.

ભારત તરફથી બુમરાહે પાંચ વિકેટ મેળવી. મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ મેળવી. અક્ષર પટેલે એક વિકેટ ઝડપી.

ભારતની પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જૈસવાલ, કે.એલ. રાહુલ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કપ્તાન), ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન

એડન માર્કરમ, રાયન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કપ્તાન), ટોની ડી જૉર્જી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરેન (વિકેટકીપર), સાઈમન હાર્મર, માર્કો જોન્સન, કોર્બિન બોશ, કેશવ મહારાજ.

નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા, છે અને રહેશે, JDUએ ટ્વિટ કર્યું પછી તેને ડિલીટ કરી દીધું

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. NDA સરકાર રાજ્યમાં સત્તામાં પાછા ફરવા માટે તૈયાર છે. બપોરે 2 વાગ્યા સુધીમાં, NDA એ બેવડી સદીના આંકડે પહોંચી ગયું છે, જ્યારે મહાગઠબંધન ખરાબ રીતે આગળ વધી રહ્યું છે. ભાજપ 90 થી વધુ બેઠકો સાથે આગળ વધીને નંબર વન પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે JDU બીજા સ્થાને છે, 79 બેઠકો સાથે આગળ છે. દરમિયાન, JDU એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક ટ્વિટ પોસ્ટ કર્યું જેણે ચર્ચા જગાવી. હકીકતમાં, JDU એ લખ્યું કે નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા અને રહેશે. જો કે, પાર્ટીએ થોડા સમય પછી તેને ડિલીટ કરી દીધું.

JDU એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, “ન તો ભૂતકાળ કે ન ભવિષ્ય… નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.” પાર્ટીએ થોડા સમય પછી પોસ્ટ ડિલીટ કરી, જેનાથી અટકળો શરૂ થઈ ગઈ. નોંધનીય છે કે NDA એ બિહાર ચૂંટણી ફક્ત નીતિશ કુમારના દમ પર લડી હતી. NDA નેતાઓએ કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ માટે કોઈ જગ્યા ખાલી નથી, પરંતુ ક્યારેય ખુલ્લેઆમ કહ્યું નથી કે નીતિશ કુમાર મુખ્યમંત્રી હશે. ગત ચૂંટણીમાં, JDU એ BJP કરતા ઘણી ઓછી બેઠકો જીતી હતી, છતાં BJP એ નીતિશ કુમારને CM બનાવ્યા. આ વખતે, BJP રાજ્યનો સૌથી મોટો પક્ષ બન્યો છે, NDA ગઠબંધનમાં મોટા ભાઈની ભૂમિકા ભજવી રહ્યો છે.

NDA એક ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યું છે

ભારતીય જનતા પાર્ટી (BJP) ની આગેવાની હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) બિહાર ચૂંટણીમાં પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે, રાજ્યની 243 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર લીડ મેળવી રહ્યું છે. BJP નંબર વન પાર્ટી રહી છે, જ્યારે JDU બીજા સ્થાને છે. વધુમાં, ચિરાગ પાસવાનની પાર્ટી 21 બેઠકો પર આગળ છે. HAM અને RLM ચાર-ચાર બેઠકો પર આગળ છે. દરમિયાન, મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. RJD ફક્ત 28 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ છ બેઠકો પર અને ડાબેરી પક્ષો પાંચ બેઠકો પર આગળ છે. ભાજપનું આ પ્રદર્શન તેને રાજકીય રીતે વધુ મજબૂત બનાવશે અને ગયા વર્ષની લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયની ભરપાઈ કરશે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વલણો દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપના સતત મજબૂત પ્રદર્શનની પૃષ્ઠભૂમિ સામે ઉભરી આવ્યા છે.

 

પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું તૈલચિત્ર આવેલું છે. જ્યાં શુક્રવારે તેમની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભાના સચિવ સી.બી.પંડ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી.પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તા. ૧૪મી નવેમ્બર, ૧૮૮૯ના રોજ અલ્લાહાબાદ (પ્રયાગરાજ) મુકામે થયો હતો. તેઓ બાળકોના પ્યારા હોવાથી તેમના જન્મદિનની ‘બાળદિન’ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ પિતા મોતીલાલ નહેરુ સાથે અંગ્રેજોના કાળાકાયદા વિરુદ્ધ મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા હતા અને જીવનભર ગાંધીજી સાથે રહ્યા હતા.

વર્ષ ૧૯૪૭થી ૧૯૬૪ દરમિયાન ભારતના વડાપ્રધાન રહી પંડિત જવાહરલાલ નહેરુએ ભારતની શાન દુનિયાભરમાં વધારી, પંચશીલના સિદ્ધાંતો આપ્યા હતા. બિનજોડાણવાદી નીતિ, અણુયુગનો સમન્વય, પંચવર્ષીય યોજના તેમની દેણ હતી. ઝડપી આર્થિક વિકાસ દ્વારા સામાજિક ન્યાય હાંસલ કરવા, સંપત્તિની ન્યાયિક વહેંચણી કરવા અને સમાનતા વધારવા તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા.

‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની સાતમી આવૃત્તિનો ભવ્ય આરંભ

અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની સાતમી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ થયો છે. 15 દિવસ ચાલનારો આ કલા મહોત્સવ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અટીરા અને શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં 16 રાજ્યોના 45 શહેરોના 140થી વધુ કલાકારો નૃત્ય, સંગીત, રંગભૂમિ, સાહિત્ય અને વિઝ્યુઅલ આર્ટ્સમાં કલાત્મક કૃતિઓ રજૂ કરવાના છે.

પ્રથમ દિવસે દેવિકા શાહ દ્વારા નિર્મિત, નાદિર ખાન દ્વારા દિગ્દર્શિત અને રજિત કપૂર તેમજ સૃષ્ટિ શ્રીવાસ્તવ દ્વારા વર્ણવેલ નૃત્ય-સંગીતમય નાટક “મુંબઈ સ્ટાર”ની પ્રારંભક પ્રસ્તુતિ  ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપતા યુ.એન.એમ. ફાઉન્ડેશન ના ચેરપર્સન સપના મહેતા એ જણાવ્યું, “અભિવ્યક્તિ ખાતે, અમારું ધ્યેય કોઈ પણ મર્યાદા વિના કલાને લોકો સુધી પહોંચાડવાનું છે. અમે કલાત્મક અભિવ્યક્તિના સમૃદ્ધ સ્પેક્ટ્રમને રજૂ કરીએ છીએ, જે શૈલીઓ, ભૌગોલિક વિસ્તારો અને પેઢીઓને આવરી લે છે. સાતમી આવૃતિ માટે અમારા આર્ટિસ્ટ કોલને વિવિધ કલાકારો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ભાગ લેવા માટે દેશભરમાંથી અરજીઓ આવી હતી. કલાના વિવિધ સ્વરૂપોને બંધનોથી મુક્ત રાખીને તેને લોકભોગ્ય બનાવવાના અભિવ્યક્તિના મૂળ વિચારનો આ પુરાવો છે. આ વર્ષની આવૃત્તિ કલાકારો માટે તેમજ કલા પ્રેમીઓ માટે વ્યાપક દ્રષ્ટિએ કલાત્મક અનુભવના નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે તેવો મને વિશ્વાસ છે.”

220થી વધુ પ્રસ્તુતિઓ અને 62 વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સ
30 નવેમ્બર સુધી ચાલનારી આ આવૃતિમાં પખવાડિયા દરમિયાન 220થી વધુ રજૂઆતો કરવામાં આવશે. ખાસ કરીને નવીન કળાની રજૂઆતો માટે અભિવ્યક્તિ દેશનું એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે. ગત આવૃત્તિઓમાં વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન માટે કલા પ્રેમીઓ તરફથી મળેલા પ્રોત્સાહક પ્રતિસાદને કારણે, 7મી આવૃત્તિમાં દેશના વિવિધ ભાગોના કલાકારો દ્વારા 62 સર્જનાત્મક સ્થાપનોનું વિસ્તૃત પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષની આવૃત્તિ કદમાં અને પહોંચમાં નોધપાત્ર રીતે વિશાળ છે. જેમાં ભાગ લઈ રહેલ મોટાભાગના કલાકાર ગુજરાત બહારના છે. જેમ કે સિલચર (આસામ), બાડમેર અને અલવર (રાજસ્થાન), કોચી (કેરલ), રાયપુર (છત્તિસગઢ), ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) અને વારણસી (ઉત્તર પ્રદેશ) જેવા દેશભરના વિસ્તારો માંથી કલાકારો ભાગ લઇ રહ્યા છે. જે સાબિત કરે છે કે અભિવ્યક્તિ હવે દેશભરના કલાકારો માટે એક મનપસંદ મંચના રૂપમાં ઉભરી આવ્યો છે. આ એક એવો મંચ છે જેની મદદથી કલાકારો પોતાની મૌલિક અને કલાત્મક અભિવ્યક્તિ માટે વિચાર, રચના, પ્રદર્શન અને ઓળખ પ્રાપ્ત કરી શકે છે.

દર વર્ષની જેમ કલાકારોની પસંદગી એક ચુસ્ત અરજી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે, જેમાં દરેક ક્ષેત્રના નિષ્ણાંત તરફથી માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવે છે. તમામ રચનાઓ તૈયાર કરવાનો ખર્ચ યુ.એન.એમ ફાઉન્ડેશન ઉઠાવીને સર્જનાત્મક સ્વતંત્રતા અને વ્યાવસાયિક સમર્થન સુનિશ્ચિત કરે છે. સાતમી આવૃત્તિમાં ઉભરતી અને પ્રસ્થાપિત થયેલા કલાકારોનો સંગમ થયો છે, જેમાં કેટલાંક જાણીતા નામ જેમ કે, આઈ.એન.જી.એ. (ઇંગા) (નેક્સા મ્યુઝિક સીઝન-2 ના વિજેતા), સૂરજ નામ્બિયાર (કુટીયટ્ટમ), અનીશા ગ્રોવર (ભરતનાટ્યમ), ક્વાસર ઠાકોર પદમસી (નાટક), ક્રાન્તિનારી – સાઉન્ડ ઓફ વુમન (સંગીત) દિવ્યા વારિયર (નુત્ય),  અને દીપેશ વર્મા (સંગીત)નો સમાવેશ થાય છે.

અભિવ્યક્તિની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 2656 કલાકારોની અરજીઓ (જે ગત વર્ષની તુલનામાં બમણાથી પણ વધુ છે) પ્રાપ્ત થઈ હતી, જે અભિવ્યક્તિની વધતી જતી લોકપ્રિયતાનું પ્રમાણ છે. સાથે જ આ બાબત અભિવ્યક્તિના કલામાં મૌલિક વિચારો અને પ્રયોગશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુને પણ સાર્થક કરે છે. દર્શકોની સુલભતા માટે એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી દર્શકો પહેલાથી પોતાનું નામ નોંધાવીને સુલભ રીતે પ્રવેશ મેળવી શકે છે. તમામ લોકો માટે પ્રવેશ નિઃ શુલ્ક રહેશે.

‘સ્ટોરીઝ વેઇટિંગ ટુ બી ટોલ્ડ’ ની થીમ હેઠળ સાતમી આવૃત્તિમાં પાંચ પ્રખ્યાત ક્યુરેટર – ગોપાલ અગરવાલ (નૃત્ય), તાપસ રેલિયા (સંગીત), ગુરલીન જજ (થિયેટર), જય ઠક્કર (વિઝ્યુઅલ આર્ટ્સ) અને પ્રીતિ દાસ (સાહિત્ય) દ્વારા ક્યુરેટ થયેલા પ્રદર્શન રજૂ કરવામાં આવશે. કલાકારોને માર્ગદર્શન આપનારા માર્ગદર્શકોમાં કૃતિ મહેશ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટક), ખંજન દલાલ (વિઝ્યુઅલ આર્ટ્સ) અને રાજેશ ‘મિસ્કીન’ વ્યાસ (સાહિત્ય)નો સમાવેશ થાય છે.

વર્ષ 2018 માં અભિવ્યક્તિનો પ્રારંભ થયો, ત્યારથી અત્યાર સુધી 600 થી વધુ કલાકારોને મંચ પુરો પાડવામાં આવ્યો છે, તેમ જ 400 થી વધુ પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવી છે. આ દરમિયાન 6,00,000 થી વધુ દર્શકોએ કલાના વિવિધ સ્વરૂપોને માણ્યા છે.  આ વર્ષોમાં અભિવ્યક્તિનો મંચ અમદાવાદથી આગળ વધીને સુરત, વડોદરા, રાજકોટ, ભૂજ (કચ્છ) સહિતના શહેરો સુધી વિસ્તર્યો છે અને ઉભરતા કલાકારોને મંચ પુરો પાડ્યો છે તેમજ કલાના વિવિધ સ્વરૂપોને લોકો સુધી નિઃ શુલ્ક પહોંચાડવાનું સુલભ બનાવ્યું છે.

ચેન્નાઈ નજીક ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયું

ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન ક્રેશ થયું છે. વિમાન તાલીમ ઉડાન પર હતું અને ચેન્નાઈના તાંબરમ નજીક ક્રેશ થયું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. ઘટનાના કારણની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

ભારતીય વાયુસેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે નિયમિત તાલીમ મિશન પર રહેલું ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન ચેન્નાઈના તાંબરમ નજીક ક્રેશ થયું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. કારણ નક્કી કરવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

કોણ હતા વૃક્ષ માતા તરીકે ઓળખાતા પદ્મશ્રી થિમ્મક્કા? જેમનું 114ની ઉંમરે થયું નિધન

જાણીતા પર્યાવરણવાદી અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સાલુમરદા થિમ્મક્કાનું આજે એટલે કે શુક્રવારે 114 વર્ષની વયે નિધન થયું છે. તેમની બેંગલુરુના જયાનગરની એક ખાનગી હોસ્પિટલમાં શ્વાસોચ્છવાસની તકલીફની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમની તાબિયત વધુ ખરાબ થતાં તેણીએ દેહ છોડી દીધો હતો.

વૃક્ષ માતા તરીકે ઓળખાતા જાણીતા પર્યાવરણવાદી સાલુમરદા થિમ્મક્કાનું 114 વર્ષની વયે અવસાન થયું છે. તેણીના શરીરમાં નબળાઈ હતી અને તેમને ભૂખ પણ નહોતી લાગતી. નાદુરસ્ત તબિયતને કારણે તેમને જયાનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

કોણ હતા સાલુમરદા થિમ્મક્કા?

સાલુમરદા થિમ્મક્કા કર્ણાટકના હતાં. તે પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતાં. થિમ્મક્કાએ 8000 થી વધુ વૃક્ષો વાવ્યા છે, જેમાં 400 વડના વૃક્ષોનો સમાવેશ થાય છે, જેના કારણે તેમને “વૃક્ષ માતા”નું બિરુદ મળ્યું છે.

30 જૂન, 1911 ના રોજ તુમાકુરુ જિલ્લાના ગુબ્બી તાલુકામાં જન્મેલા, થિમ્મક્કાના લગ્ન હુલીકલ ગામના ચિક્કૈયા સાથે થયા હતા. આ દંપતીને કોઈ સંતાન નહોતું. જેના કારણે તેણી રસ્તાના કિનારે વડના છોડ વાવતા અને તેનો ઉછેર કરતા હતાં. પોતાના બાળકોની જેમ જ તેઓ છોડની સંભાળ રાખતા હતા. આને કારણે તેણીને “સાલુમરદા (વૃક્ષોની હરોળ)” થિમ્મક્કા નામનું બિરુદ મળ્યુ હતું.

અભણ હોવા છતાં, તેણી પર્યાવરણ સંરક્ષણની આંતરરાષ્ટ્રીય પ્રતીક બની ગયા. વર્ષોથી, તેણીને રાજ્યોત્સવ પુરસ્કાર, વિશાલાક્ષી પુરસ્કાર, નાડોજા પુરસ્કાર (2010) અને પ્રતિષ્ઠિત પદ્મશ્રી (2019) સહિત અનેક સન્માનો મળ્યા. 2020 માં, કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટીએ તેણીને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.

દેશભરના રાજકીય નેતાઓ, પર્યાવરણવાદીઓ અને જાહેર હસ્તીઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, “‘વૃક્ષમાતા’ સાલુમરદા થિમ્મક્કાના નિધનના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. હજારો વૃક્ષો વાવીને અને પોતાના બાળકોની જેમ તેમનું પાલન-પોષણ કરીને, થિમ્મક્કાએ પોતાનું મોટાભાગનું જીવન પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત કર્યું. જોકે તે આજે આપણને છોડીને ચાલી ગયા છે, પરંતુ પ્રકૃતિ પ્રત્યેના તેમના પ્રેમે તેમને અમર બનાવી દીધા છે. જે મહાન આત્મા વિદાય લઈ ગયા છે તેમને મારી શ્રદ્ધાંજલિ.”

PM મોદી, નીતીશકુમારની આગેવાનીમાં NDA 200ને પાર

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. બપોરે ત્રણ વાગ્યા સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર આંકડાઓ અનુસાર ભાજપ, JDU, LJP (રામ વિલાસ), હિંદુસ્તાની અવામ મોર્ચા (સેક્યુલર) અને રાષ્ટ્રીય લોક મોર્ચા 200થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ એકલા 95 બેઠકો પર આગળ છે. બિહારમાં સરકાર બનાવવા માટે 122 વિધાનસભ્યોની જરૂર પડે છે.

આ સાથે JDU 82 બેઠકો પર આગળ છે. લોકજનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 20 બેઠકો પર આગળ છે. HAMS (હિંદુસ્તાની અવામ મોર્ચા – સેક્યુલર) 5 અને રાષ્ટ્રીય લોક મોરચા 4 બેઠકો પર આગળ છે.

RJD ઘટીને 29માંથી હવે માત્ર 25 બેઠકો જ રહી છે. AIMIM છ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ હવે માત્ર એક બેઠક પર આગળ છે. CPI-ML (લિબરેશન) 2માંથી ફક્ત એક બેઠક પર જ આગળ રહી છે. CPI (M) અને બસપા 1-1 બેઠકો પર આગળ છે.

ચૂંટણીના અત્યાર સુધીનાં વલણો મુજબ NDA કુલ 200 બેઠકો પર આગળ છે, જ્યારે પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજને મોટી હાર મળતી દેખાઈ રહી છે અને તેમનું ખાતું પણ ખૂલે તેમ નથી. મોકામાંથી અનંતસિંહ આગળ છે, અલીનગરથી મૈથિલી ઠાકુર આગળ છે. તારાપુરથી સમ્રાટ ચૌધરી આગળ છે. તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ બંને પાછળ ચાલી રહ્યા છે.

New Delhi: Prime Minister Narendra Modi with Chief Minister of Bihar, Nitish Kumar during a meeting, in New Delhi,Monday, June 3, 2024.(IANS)

બિહારમાં NDAને ઐતિહાસિક સમર્થનઃ નીતિન ગડકરી

બિહારમાં બહુમતનો આંકડો પાર કર્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે બિહારની પ્રજાએ NDAને ઐતિહાસિક સમર્થન આપ્યું છે. ડબલ એન્જિન સરકાર દ્વારા થયેલા વિકાસને લોકોનો પૂરતો ટેકો મળ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં PM મોદી અને નીતીશ કુમારના નેતૃત્વમાં કરાયેલા કામનું પરિણામ છે કે લોકો અમને જિતાડી રહ્યા છે. આ માટે હું બિહારની જનતાનો આભાર માનું છું.

બિહારના ઇતિહાસમાં પ્રથમ વખત પુનર્મતદાનની જરૂર પડી નહીં

બિહાર વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે મતદાનના દિવસે કોઈના મૃત્યુની ઘટના નોંધાઈ નથી અને કોઈ પણ મતવિસ્તારમાં પુનર્મતદાનની જરૂર પડી નથી.

 

 

 

 

 

સોનાં–ચાંદીથી પણ કિંમતી એક ખજાનો…

આ દીવાળી સોના અને ચાંદીના વૈશ્વિક બજારમાં રેકોડ બ્રેક ઉછાળો આવ્યો. અને એ સાથે જ તહેવારો જતાં ભાવમાં ભારેખમ ઘટાડો. રોકાણકારો તેમજ મુહૂર્ત જોઈને સોના ચાંદી ખરીદનારા રાતા પાણીએ રોયા. એમ પણ કહેવાય જ છે ને કે, કુંભમાં ન્હાનારાની સંખ્યા હંમેશા બીજા ક્રમે જ રહે છે પહેલો નંબર તો શેર બજારનો જ આવે છે. પણ 2026 નું આવનારું વર્ષ રોકાણકારો તેમજ ખેડૂતો માટે શુકનવનતું સાબિત થવા જઈ રહ્યું છે. કેમકે પહેલી વાર ભારત 2026માં પોતાનો રાષ્ટ્રીય કાર્બન ક્રેડિટ માર્કેટ શરૂ કરવા જઈ રહ્યું છે.

જો સરળ ભાષામાં સમજીએ તો, એક સમય હતો જ્યારે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત ગણાતું. પછી આવ્યો ક્રિપ્ટોનો યુગ ડિજિટલ કરન્સીની હલચલ. પરંતુ હવે વિશ્વ નવી દિશામાં જઈ રહ્યું છે, જ્યાં હવા અને પાણી જ આવનારા દિવસોના સોનાના ખાણ બનવાના છે. આ બદલાતી દિશાને આપણે કહી શકીએ, કાર્બન ઇકોનોમી – The Green Game!

કાર્બન અર્થતંત્ર શું છે?

આગામી વર્ષોમાં દરેક ફેક્ટરી, વિમાન, રિફાઇનરી અને ઉદ્યોગને પોતાનો પ્રદૂષણ મર્યાદા (pollution limit) રાખવી ફરજિયાત બનશે. જે ઉદ્યોગો આ મર્યાદા વટાવે છે, તેમને દંડ ભરવો પડશે. અને જે ઉદ્યોગો પોતાના ઉત્સર્જન (emission) મર્યાદા કરતાં ઓછું રાખશે, તેઓને કાર્બન ક્રેડિટ તરીકે ઇનામ મળશે. એટલે જો જે લોકો લિમિટની બહાર જશે એમણે બીજા લોકો પાસે કાર્બન ક્રેડિટ મેળવવી ફરજીયાત બનશે. જ્યાં લોકો સ્વચ્છ હવા પાણી અને પર્યાવરણનો યોગ્ય ઉપયોગ કરીને ભવિષ્યમાં કાર્બન ક્રેડિટ જમા કરી શકશે. જેનો ઉપયોગ તેઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચીને કરી શકશે.

કાર્બન ક્રેડિટ એક નવું સોનુ

એક કાર્બન ક્રેડિટ એટલે કે એક ટન CO₂ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન અટકાવવું અથવા ઘટાડવું. અને આ ક્રેડિટને બજારમાં વેચી શકાય છે. એટલે કે સ્વચ્છ હવામાં પૈસા કમાવા, જ્યાં દરેક એકર જંગલ, સરોવર અથવા શુદ્ધ જમીન “ટ્રેડેબલ એસેટ” બની જાય છે. જે લોકો કુદરતને સાચવી રહ્યા છે, વૃક્ષારોપણ કરી રહ્યા છે, પાણીના સ્ત્રોતો જાળવી રહ્યા છે, તેઓને હવે સીધો નફો મળશે. અને જે ઉદ્યોગો પ્રદૂષણ કરે ત્યારે એ પ્રકૃતિના રક્ષકોને ચૂકવણી કરીને ક્રેડિટ ખરીદી શકશે.

કાર્બન ક્રેડિટ એ એક પ્રકારનું વેપારની ટ્રેડેબલ પરમીટ છે, જે એક ટન કાર્બન ડાયોક્સાઈડ સમકક્ષ CO₂e વાયુના ઉત્સર્જનને અટકાવવાનું અથવા હવામાંથી દૂર કરવાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે, એક ક્રેડિટ એવુ પ્રમાણ છે જે એક ટન CO₂ અથવા તેના જેવા ગેસોને હવાથી દૂર રાખે છે.

કાર્બન ક્રેડિટ કેવી રીતે બને છે?

આ ક્રેડિટ એવા પ્રોજેક્ટ્સ દ્વારા બનાવવામાં આવે છે જે ગ્રીનહાઉસ ગેસ ઘટાડે છે કે દૂર કરે છે. જેમકે સૌર, પવન, હાઈડ્રો પ્રોજેક્ટ્સ, જંગલોનું સંરક્ષણ અને વૃક્ષારોપણ વગેરે…મેથેન કૅપ્ચર અને રિસાયક્લિંગ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા કાર્બન ક્રેડિટ જમા થાય છે. યુ.એસ.માં, કેલિફોર્નિયા પોતાનું કાર્બન બજાર ચલાવે છે અને ગેસ અને વીજળીના વપરાશ માટે રહેવાસીઓને ક્રેડિટ આપે છે. આ ઉપરાંત કાર્બન ક્રેડિટના ઘણા જ ઇન્ટરનેશનલ માર્કેટ આવેલા છે જ્યાં ગ્રીન એનર્જી ખરીદી શકાય છે અને વેચી શકાય છે પણ નિયમોના દાયરામાં. આ નિયમ અનુસાર, જે ઉદ્યોગો પ્રદૂષણ કરશે તેમને કાર્બન ક્રેડિટ ખરીદવી ફરજિયાત રહેશે. જે ખેડૂત, વનવિભાગ, અથવા સ્થાનિક સમુદાયો પોતાની જમીન સ્વચ્છ રાખશે તેઓ આ ક્રેડિટ વેચી શકશે.

કાર્બન માર્કેટનો મુખ્ય હેતુ એ છે કે દરેક ઉદ્યોગ, સંસ્થા અને વ્યક્તિ પર્યાવરણ પ્રત્યે જવાબદારી અનુભવે. કોમ્પ્લાયન્સ માર્કેટ કાયદાકીય રીતે નિયંત્રણ રાખે છે, જ્યારે સ્વૈચ્છિક માર્કેટમાં લોકો સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. બન્ને મળીને એક એવા અર્થતંત્રની રચના કરે છે, જ્યાં પ્રદૂષણ માટે દંડ અને શુદ્ધતા માટે ઇનામ મળે છે.

જો આપણે સૌ આ દિશામાં વિચારીએ, તો એક એવો સમય આવશે જ્યાં વિકાસ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન સાચવવું માત્ર ફરજ નહીં, પરંતુ ગૌરવની વાત બનશે અને ખેડૂતો ગુલામ નહીં પણ સ્વતંત્ર અને સમૃદ્ધ બનશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

વૈભવ સૂર્યવંશીની આંધી, 42 બોલમાં 144 રન ફટકાર્યા

ભારત A એ ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે પોતાની પહેલી મેચ રમી. શુક્રવાર, 14 નવેમ્બરના રોજ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ગ્રુપ B મેચમાં ભારત A એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારતીય ટીમે તેમના કેપ્ટન જિતેશ શર્માના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો. ઓપનર વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ બોલરોને કઠિન સમય આપ્યો. 14 વર્ષીય વૈભવે 32 બોલમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. વૈભવે પોતાની સદી પૂરી કર્યા પછી પણ પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી. કુલ મળીને, તેણે 42 બોલનો સામનો કર્યો અને 15 છગ્ગા અને 11 ચોગ્ગા સહિત 144 રન બનાવ્યા.

વૈભવ સૂર્યવંશીએ નમન ધીર સાથે મળીને બીજી વિકેટ માટે 56 બોલમાં 163 રન ઉમેર્યા. નમનએ 22 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. પોતાની ધમાકેદાર ઇનિંગ દરમિયાન, વૈભવે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. મોહમ્મદ ફરાઝુદ્દીનના બોલ પર અહેમદ તારિકના હાથે કેચ આઉટ થયો.

આખરે કેવી રીતે નિષ્ફળ થઈ તેજસ્વીની વ્યૂહરચના?

પટના: બિહારની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં પૂર્ણ થઈ ગઈ છે. એ સાથે જ આજે સવારથી મતગણતરીમાં જ NDA સતત આગેવાની જાળવી રાખી છે. બીજી તરફ મહાગઠબંધનને આ વખતની ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પહેલાથી જ વિરોધ પક્ષના સૌથી મોટા નેતા અને મુખ્ય મંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવે મોટાં–મોટાં વચનકર્યા હતા. નોકરીથી લઈને મહિલાઓના ખાતામાં પૈસા જમા કરાવવાના તેમના અનેક દાવા પાણીમાં ફરી વળ્યા. તેથી હવે પ્રશ્ન ઊભો થયો છે કે તેજસ્વી યાદવની વ્યૂહરચના ક્યાં ફેલ થઈ?

તેજસ્વીની વ્યૂહરચના ક્યાં નિષ્ફળ થઈ?તેજસ્વી યાદવની સ્ટ્રેટેજી નિષ્ફળ થવા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અહીં અમે તે પાંચ મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરીશું, જે તેજસ્વીની સૌથી મોટી નિષ્ફળતા તરીકે ગણાય છે:

  1. કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું
  2. સીટ વહેંચણી મુદ્દે રાહુલ ગાંધી પાછળ દોડતા રહ્યા
  3. મુકેશ સહની સમક્ષ ઝૂક્યા, ડેપ્યુટી CM પદ માટે પણ તૈયાર થઈ ગયા
  4. વાસ્તવિક મુદ્દાઓ છોડીને ‘વોટ ચોરી’ જેવા મુદ્દા પર ભટકી ગયા
  5. મહિલાઓના બમ્પર મતદાને RJDનો ખેલ બગાડી નાખ્યો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થયું હતું. બંને તબક્કામાં મળીને મતદાન ટકાવારી 67.13 ટકા રહી, જે 1951 પછીનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. કુલ મળીને જોઈએ તો બિહારની જનતાએ રેકોર્ડ તોડ મતદાન કર્યું છે. આજે પરિણામનો દિવસ છે અને સૌની નજર એ વાત પર છે કે બિહારમાં આગામી સરકાર કોની બનશે. થોડા સમય બાદ આ સ્પષ્ટ થઈ જશે.