Home Blog Page 2847

દિલ્હી મેટ્રો ટ્રેનમાં સતામણીનો થયેલો કડવો અનુભવ સાન્યા મલ્હોત્રાએ શેર કર્યો

મુંબઈઃ ‘દંગલ’ ફિલ્મમાં કામ કરીને જાણીતી થયેલી અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ જિંદગીમાં પોતાને થયેલા એક ખરાબ અનુભવની જાણકારી આપી છે. એણે કહ્યું કે દિલ્હીની એક મેટ્રો ટ્રેનમાં એની છેડતી કરવામાં આવી હતી. ‘હું ત્યારે નિઃસહાય સ્થિતિમાં હતી. હું એકલી જ હતી. મને ખબર હતી કે જો હું જરાક પણ અવાજ ઉઠાવીશ તો કંઈ પણ બની ગયું હોત.’ એમ તેણે કહ્યું.

મુંબઈસ્થિત મિડિયા કંપની હોટરફ્લાઈને આપેલી એક મુલાકાતમાં સાન્યાએ કહ્યું હતું કે, ‘અમુક વર્ષ અગાઉ સાંજના સમયે હું  જ્યારે મારી કોલેજમાંથી મેટ્રો ટ્રેન દ્વારા મારાં ઘેર જતી હતી ત્યારે છોકરાઓનું એક ગ્રુપ પણ ટ્રેનમાં ચડ્યું હતું. એ લોકોએ મારી છેડતી કરવાનું શરૂ કર્યુ હતું અને મને સ્પર્શ પણ કર્યો હતો. હું ટ્રેનમાંથી ઉતરી ગઈ ત્યાં સુધી તેઓ એવી હરકત કરતા રહ્યા હતા.’ સાન્યાએ વધુમાં કહ્યું કે, ત્યારે પોતે એકલી હતી અને એને પોતાની સલામતીનો ડર લાગ્યો હતો. તેથી એ ચૂપ રહી હતી. ‘મારી કમનસીબી એ હતી કે એ વખતે ટ્રેનમાં બેઠેલી કોઈ વ્યક્તિ મારી મદદે આવી નહોતી. રાજીવ ચોક સ્ટેશને જ્યારે પોતે ઉતરી ત્યારે એ તોફાની છોકરાઓ એનો પીછો કરતા હતા. સારું થયું કે સ્ટેશન પર બહુ ગિરદી હતી અને હું દોડીને વોશરૂમમાં જતી રહી. બાદમાં તરત જ મેં મારા પિતાને ફોન કર્યો હતો અને એમને કહ્યું હતું કે તેઓ સ્ટેશને આવીને મને લઈ જાય,’ એમ સાન્યાએ વધુમાં કહ્યું હતું.

રેસલર વિનેશ ફોગાટ તો મંથરા છેઃ બ્રિજભૂષણ શરણ સિંહ

નવી દિલ્હીઃ મહિલા રેસલરોના કથિત યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે એક વિવાદાસ્પદ નિવેદનમાં મહિલા પહેલવાનોના વિરોધ પ્રદર્શન પર રામાયણનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે વિનેશ ફોગાટ તેમના માટે મંથરા બનીને આવી ગઈ છે.

પાંચ જૂને અયોધ્યામાં આયોજિત જનચેતના મહારેલીમાં જનમેદની એકત્ર કરવાના ઉદ્ધેશથી જિલ્લામાં જનસંપર્ક દરમ્યાન તેમણે એક નુક્કડ સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે મહિલા પહેલવાન વિનેશ ફોગાટ આજે એ જ કામ કરી રહી છે, જે ત્રેતા યુગમાં મંથરાએ કર્યું હતું. કૈસરગંજથી ભાજપના સાસંદ બ્રિજભૂષણે કહ્યું હતું કે એ પહેલાં જંતર મંતર પર હજારો પહેલવાનો ધરણાં આપી રહ્યાં હતાં અને માત્ર ત્રણ યુગલ (પતિ-પત્ની) બચ્યાં છે. સાતમું કોઈ નથી જે દિવસે પરિણામ આવશે અમે મંથરાનો આભાર માનીશું.

તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જે રેસલરો દેખાવો કરી રહ્યા છે, તેઓ આજ સુધી જણાવી નથી શક્યા કે તેમની સાથે ક્યારે અને શું-શું થયું?  તેમણે તેમની સામેના પ્રકરણની તુલના અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મામલાથી કરી છે. તેમણે જનસભામાં કહ્યું હતું કે તમે સૌભાગ્યશાળી છો, કે એવો કેસ સામે આવ્યો છે, જેમાં ફસાઈને ક્યારેક ડોનાલ્ડ ટ્રમ્પે પણ હેરાન થવું પડ્યું હતું. આ ષડયંત્ર આજનું નથી, એ ઘણા દિવસોનું છે.

આ આરોપ ગુડ ટચ –બેડ ટચનો મામલો છે. મારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. આ પહેલાં તેમણે કહ્યું હતું કે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું, પણ વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની પણ આ તપાસ કરવામાં આવે.

 

 

 

 

 

PMને હસ્તે નવી સંસદનું ઉદઘાટન થશેઃ 19 વિરોધ પક્ષોનો બોયકોટ

નવી દિલ્હીઃ નવી સંસદના ઉદઘાટનને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. 28 મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે, પણ વિરોધ પક્ષોએ એનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. 19 વિરોધ પક્ષોએ ઉદઘાટન સમારોહના બહિષ્કારનું એલાન કર્યું છે.

નવા સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે 60,000 શ્રમિકોનું સન્માન કરશે, જેમણે સંસદ ભવનના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે નવી સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. સંસદ જે દિવસે રાષ્ટ્રને સમર્પિત થશે. એ દિવસે તામિલનાડુથી આવેલા વિદ્યાનો દ્વારા સેંગોલ વડા પ્રધાનને આપવામાં આવશે,. એ પછી એ સંસદમાં કાયમી સ્થાપિત થશે. સેંગોલ આ પહેલાં અલાહાબાદના સંગ્રહાલયમાં રાખવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

હવે આ પક્ષોમાં લાલુ યાદવની પાર્ટી RJD, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે જૂથ અને શરદ પવારની પાર્ટી NCP પણ સામેલ થઈ ગઈ છે. એ પહેલાં તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીઆઇ (એમ) અને સીપીઆઇ પહેલેથી ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ ના થવાનું એલાન કરી ચૂકી છે.

વરિષ્ઠ સાંસદ અને રાજ્યસભામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી માટે સંસદના નવા ભવનનું ઉદઘાટન કરવું એ બંધારણીય રીતે યોગ્ય નથી. વાસ્તવમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 18 મેએ વડા પ્રધાનને નવા ભવનનું ઉદઘાટન કરવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યારે નવી સંસદનો પાયો રાખવામાં આવ્યો, ત્યારે રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવ્યા અને હવે નવા સંસદ ભવના ઉદઘાટનથી પણ રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવી રહ્યા છે. એ ઉચિત નથી. વડા પ્રધાને રાષ્ટ્રપતિજીને આગ્રહ કરીને તેમને ઉદઘાટનમાં બોલાવવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટમાં લખ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિએ જ કરવું જોઈએ, વડા પ્રધાને નહીં.

કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂતપૂર્વ રામનાથ કોવિંદને નવા સંસદ ભવનના શિલાન્યાસ પ્રસંગે કેમ આમંત્રિત કરવામાં ના આવ્યા.

 

 

 

 

કોરાનાના 549 નવા કેસો, છનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 549 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,87,891 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,849 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,49,451 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1059 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 6591એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,09,695 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.96 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,01,276 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1433 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સ્પાઈસજેટના પાઈલટ્સનો માસિક પગાર વધારીને સાડા સાત લાખ કરાયો

મુંબઈઃ દેશના એવિએશન ક્ષેત્રમાં 18 વર્ષથી કાર્યરત એરલાઈન સ્પાઈસજેટના મેનેજમેન્ટે 75 ફ્લાઈંગ કલાકો માટે તેના પાઈલટ્સ (કેપ્ટન્સ)નો માસિક પગાર વધારીને રૂ.7.5 લાખ કરવાનો નિર્ણય લીધો છે. આ પગારવધારો 16 મે, 2023થી અમલમાં આવશે. સ્પાઈસજેટે આ પહેલાં ગયા નવેમ્બરમાં, તેના પાઈલટ્સનો માસિક પગાર 80 ફ્લાઈંગ કલાકો માટે રૂ. 7 લાખ સુધી વધાર્યો હતો. એરલાઈન આ ઉપરાંત તેના પાઈલટ્સને હવે એમની મુદત સાથે સંલગ્ન વફાદારીનું ઈનામ પણ આપશે.

સ્પાઈસજેટે એમ પણ કહ્યું છે કે પ્રશિક્ષકો (DE, TRI) અને ફર્સ્ટ ઓફિશ્યલ્સને પણ તુલનાત્મક સ્વરૂપે વધારે વળતર આપવામાં આવશે.

ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન

મુંબઈઃ હિન્દી ટીવી સિરિયલ ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’માં જાસ્મીન માવાણી તરીકે અભિનય કરનાર યુવા અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું ગઈ કાલે ચંડીગઢમાં એક કાર અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ કમનસીબ સમાચાર નિર્માતા-અભિનેતા જમનાદાસ મજિઠીયા (જેડી)એ શેર કર્યા છે. વૈભવી હવે હયાત નથી એ પોતાને માનવામાં નથી આવતું એવું એમણે કહ્યું.

જેડીએ વધુમાં કહ્યું કે, વૈભવી એમનાં ફિયાન્સ સાથે કારમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે એક વળાંક વખતે તેઓ કાર પરનો અંકુશ ખોઈ બેસતાં કાર ખીણમાં પડી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં વૈભવીનાં ભાઈ તરત જ ચંડીગઢ દોડી ગયા હતા. વૈભવીનાં પાર્થિવ શરીરને મુંબઈ લાવવામાં આવશે અને મુંબઈમાં અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

જેડીએ કહ્યું કે, વૈભવી અત્યંત ઉમદા સ્વભાવની હતી અને અસાધારણ ટેલેન્ટ ધરાવનાર અભિનેત્રી હતી. ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ સિરિયલમાં એણે જાસ્મીનનું જે પાત્ર ભજવ્યું હતું તેણે મારા દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. જીવન એકદમ અણધાર્યું છે. એના વિશે કોઈ પ્રકારની ધારણા કરી શકાતી નથી.

32 વર્ષીય વૈભવી ઉપાધ્યાયનાં નિધન અંગે દેવેન ભોજાણી સહિત ટીવી ઉદ્યોગમાંના એમનાં સાથી કલાકારો તથા સહયોગીઓએ ઘેરા દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

વૈભવીએ ‘સીઆઈડી’, ‘અદાલત’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. એણે 2020માં આવેલી હિન્દી ફિલ્મ ‘છપાક’માં દીપિકા પદુકોણ સાથે પણ અભિનય કર્યો હતો. રહસ્ય-રોમાંચસભર હિન્દી ફિલ્મ ‘તિમિર’માં વૈભવીએ ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર રિતીકાનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મ આવતી 31 મેએ રિલીઝ થવાનું નિર્ધારિત છે.

વાહ ભાઈ વાહ! – ૨૪ મે, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૨૪ મે, ૨૦૨૩

૨૪ મે, ૨૦૨૩

૨૪ મે, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 24/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

શ્રી શ્રી રવિશંકરજી : જીવનમાં સમસ્યાઓને હલ કરવી

મોટાભાગના લોકો સમસ્યા વગરના જીવનની ઈચ્છા રાખે છે. પરંતુ એવું જીવન જો શક્ય પણ હોત તો નિરસ અને કંટાળાજનક હોત. માણસ તરીકે આપણું ઘડતર સકારાત્મક અને સાવ સારા નહીં એવા બન્ને પ્રકારના અનુભવોથી થાય છે. પડકારરૂપ સંજોગો માણસોને તેમની મર્યાદાઓ વિસ્તૃત કરવાની ફરજ પાડે છે અને અનુભવોમાં ગહેરાઈ તથા સૌંદર્ય ઉમેરે છે. જો કોઈ વ્યક્તિને કોઈ જ સમસ્યા ના હોય તો શક્ય છે કે તે અન્ય લોકો માટે સમસ્યારુપ બને છે! સમસ્યારુપ બનવું એના કરતાં સમસ્યા હોવી એ બહેતર છે!

કોઈ પરિસ્થિતિ સમસ્યા ત્યારે બને છે જ્યારે આપણને તેના વાસ્તવિક અને આદર્શ રુપ વચ્ચે ફર્ક લાગે છે. સમસ્યા તરીકે દેખાતી દરેક બાબત સમસ્યા નથી હોતી. તમે કોઈ વિકટ પરિસ્થિતિમાં કાં તો સપડાઈ જાવ છો અથવા તેને કંઈક શીખવા અને જીવનમાં વિકાસ સાધવાની તક તરીકે જુઓ છો.

સ્વીકાર કરો અને યોગ્ય પગલા લો- જ્યારે કોઈ સમસ્યા ઉદભવે છે ત્યારે મનની સામાન્ય વૃત્તિ તેને નકારવાની અથવા તેના શિકાર થઈ જવાની હોય છે. સમસ્યાને નકારવાથી તે અદ્રશ્ય નથી થઈ જતી કે તે વિશે વિચાર્યા કરવાથી તેનો ઉકેલ નથી આવી જતો. સમસ્યાના સફળતાપૂર્વક ઉકેલ માટે પહેલું પગલું એ છે કે સમસ્યા ઉદ્ભવી છે એવો સ્વીકાર કરવો. આ સમજ વ્યક્તિને સમસ્યાના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ કરે છે. સમસ્યાનો સ્વીકાર કરવાથી તેનો શાંતિથી પ્રતિભાવ આપવાની ક્ષમતા આવે છે.એનાથી વિરુદ્ધ એનો સ્વીકાર કરવાની ક્ષમતા ના હોય તો મનમાં ઉદ્વેગ થાય છે જેનાથી ખોટા પગલા લેવાઈ જાય છે જે પરિસ્થિતિને વધારે બગાડે છે.

“કેવી રીતે” એના પર ધ્યાન કેન્દ્રિત કરો- ઘણી વાર લોકો સમસ્યાને લઈને “શુ” અને ” શા માટે” શોધવાના પ્રયત્નોમાં ઘણો સમય વેડફી નાંખે છે. પુષ્કળ વિશ્લેષણ કરવાની આ ટેવ શક્તિનો દુર્વ્યય જ નથી કરતી પણ સમસ્યા હોય તેના કરતાં તેને મોટું સ્વરૂપ આપી દે છે. સમસ્યા જેવી છે તેવી જોવાને બદલે વ્યક્તિ તેના બૃહદ સ્વરૂપથી ડઘાઈ જાય છે. શાણપણ એમાં છે કે “શું” અને “શા માટે” પાછળ ઓછા સમય અને શક્તિ વાપરીને સમસ્યાનો ઉકેલ “કેવી રીતે” આવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું.

નવો દ્રષ્ટિકોણ કેળવવો- યોગ્ય અભિગમ તથા સમજ અપનાવવાથી સમસ્યા સમસ્યા રહેતી નથી અને નિરાકરણો પ્રત્યક્ષ થવા માંડે છે. સમસ્યાઓ જીવનનો અનિવાર્ય ભાગ છે.ઈશ્વર કૃપાથી તેમને ઉકેલવાની તમારી ક્ષમતા તમારા બધા કાર્યક્ષેત્રોમાં એક વિલક્ષણ ગુણ ગણાય,ખાસ કરીને નેતાગીરીમાં. શાણા માણસોનો સમસ્યાને જોવાનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. સમસ્યાને જોવાના પાંચ માર્ગ છે જે તમને શાંત મનથી તેનું નિરાકરણ લાવવા તથા મુક્તિનો અનુભવ કરવા સક્ષમ બનાવે છે.

બધું પરિવર્તનશીલ છે- બધું જ પરિવર્તનશીલ છે તે જ્ઞાન તમારા પર સમસ્યાને હાવી નહીં થવા દે. જુઓ કે તમારું શરીર સતત બદલાયા કરે છે; એ જ રીતે તમારી લાગણીઓ, વિચારો,અભિપ્રાય,ગમા-અણગમા અને અભિગમ પણ બદલાયા કરે છે. એ જ રીતે સમસ્યાઓ પણ બદલાયા કરે છે.સમજી જાવ કે તમે આખી જીંદગી કોઈ સમસ્યામાં ફસાયેલા રહેવાના નથી. તમારી જીંદગીમાં ઘણી સમસ્યાઓ આવી અને ગઈ છે.

પોતાને યાદ દેવડાવો કે “આ પણ જતું રહેશે”- સર્જનના પરિવર્તનશીલ ગુણને સમજવાનું બુધ્ધિચાતુર્ય એ પરિપક્વતાની નિશાની છે.કેટલીક બાબતો ટાળી શકાતી નથી. તો શું થયું?સમસ્યાને જોવાનો અન્ય વિકલ્પ છે એ સ્વીકાર કે કેટલીક બાબતો બદલાતી નથી. જો ઉનાળામાં તમે હવામાન ઠંડુ થાય તેવી અપેક્ષા રાખો તો સમસ્યા અચૂક થવાની.જીવનમાં ઘણી બાબતો છે જેના પર આપણું કોઈ જ નિયંત્રણ હોતું નથી. બીજા લોકોને કેવું લાગશે એના પર આપણું નિયંત્રણ હોતું નથી,તમે આબોહવા પર અંકુશ રાખી શકતા નથી અને તમે તમારા જીવનસાથી પર દબાણ ના કરી શકો કે તે બદલાય. જે ક્ષણે તમે પરિસ્થિતિ જેવી છે તેવીનો સ્વીકાર કરો છો ત્યારે તે સમસ્યા રહેતી નથી. પરસ્પર વિરુદ્ધને ધીરજપૂર્વક અપનાવતાં શીખવું એ જીવનમાં અગત્યની કુશળતા છે.

સિંહની જેમ દહાડો- જ્યારે ઉપરોક્ત બન્ને અભિગમ કામ ના કરે ત્યારે તમારી આંતરિક તાકાત અને હિંમતને જગાડવાના હોય. પ્રતિકૂળ સમય આપણા સુષુપ્ત હિંમત અને ક્ષમતાને એક કરતાં વધુ રીતે જગાડી શકે છે. આ હિંમત તમને બદલાતી અને નહીં-બદલાતી ઘટનાઓમાં ટકાવી રાખે છે.”આને પહોંચી વળવા મારામાં તાકાત છે.ગમે તે થાય,હું સામનો કરીશ” આવી ભાવના તાકાત પ્રદાન કરનારી છે. જ્યારે તમે આ ઊર્જાને જાગૃત કરો છો ત્યારે સ્વયં પર ઊઠતા સંશય અદ્રશ્ય થઈ જાય છે. તમે સમસ્યા કરતાં મોટા છો એવું જાણો. જ્યારે તમને એમ લાગે કે તમે સમસ્યાનો હલ નહીં લાવી શકો ત્યારે જ તે ઘણી વિકટ જણાય છે. જે લોકોને મોટી સમસ્યાઓ છે તેમને જુઓ તો તમારી સમસ્યા નાની લાગશે.

શ્રધ્ધા રાખો અને તેની ચિંતા ત્યજી દો- જો તમારી હિંમત પણ કામિયાબ ના રહે તો પણ એક રસ્તો છે–સમસ્યાને ઈશ્વરીય શક્તિને સમર્પણ કરી દેવી.મોટે ભાગે હતાશ થઈને આપણે છોડી દેતા હોઈએ છીએ. હવે શ્રધ્ધા રાખીને તેને છોડવા પ્રયત્ન કરો. સમર્પણ એટલે એ સ્વીકાર કે તમારે જીવનમાં જે કંઈ જોઈએ છે તે તમારા પ્રયત્નોથી મળી શકે તેમ નથી.માત્ર નાના મનના પ્રયત્નોથી મોટું મળી શકે તેમ નથી. સમર્પણથી હળવાશ,રાહત અને શાંતિ મળે છે અને આપણને મુશ્કેલ સમય વચ્ચે પણ મુસ્કુરાઈએ એવી તાકાત મળે છે. જ્યારે શરીર, મન અને બુદ્ધિ થાકી જાય છે ત્યારે તમે કોઈ ઉકેલ લાવી શકો એની શક્યતા ઓછી હોય છે. માટે જ પ્રાર્થના કરો, ધ્યાન કરો અને શ્રધ્ધા સાથે આગળ વધો. શ્રધ્ધા તમને સ્થિરતા, સમતોલન, શાંતિ અને પ્રેમ આપે છે.

ઉજવણી કરવાનો વિચાર આવકારદાયક છે- જ્યારે તમે સમસ્યામાં સપડાયા હોવ છો ત્યારે કોઈ ઉજવણીમાં સામેલ થવું સારું છે. તમારા જીવનના ઘણા આયામો છે.જો તમારા વ્યવસાયિક જીવનમાં સમસ્યાઓ હોય તો તમારા અંગત જીવનની સારી બાબતોની ઉજવણી કરો અને અંગત જીવનમાં સમસ્યાઓ હોય તો વ્યવસાયિક જીવનની. જ્યારે તમે સમસ્યાને તમારા મનમાંથી કાઢી નાંખો છો અને ઉજવણી કરો છો ત્યારે સમય જતાં ઉકેલ નીકળતો હોય છે.
સમસ્યાઓ અને પડકારો જીવનમાં રોમાંચ ઉમેરે છે અને તમારામાંથી શ્રેષ્ઠ બહાર લાવે છે. તેમાંથી શીખ મેળવો અને તેમનાથી મોટા થાવ.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)