નવી દિલ્હીઃ મોદી સરનેમ કેસ મામલામાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. માનહાનિ મામલામાં દોષસિદ્ધિ પર સ્ટે લગાવવાના ઇનકારના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ જારી કરી છે, જેના પર તેમણે 10 દિવસમાં જવાબ આપનવો પડશે. આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટ, 2023એ થશે.
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત સરકાર અને અન્યને નોટિસ જારી કરી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને પ્રશાંતકુમાર મિશ્રાની ખંડપીઠે સુનાવણી કરી હતી. ભૂતપૂર્વ અધ્યક્ષે 15 જુલાઈએ મામલાની ત્વરિત સુનાવણીની અરજી કરી હતી. કોર્ટે 18 જુલાઈએ અરજીનો સ્વીકાર કર્યો હતો. એ પહેલાં રાહુલ પર કેસ કરવાવાળા ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીને પણ કેવિયેટ દાખલ કરવાની અપીલ કરી હતી. તેમને સાંભળ્યા વગર કેસમાં ચુકાદો ના અપાય. રાહુલ ગાંધી તરફથી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંધવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.
રાહત નહીં મળે તો ચૂંટણી નહીં લડી શકે ગાંધી
માનહાનિ કેસમાં 23 માર્ચ, 2023એ સુરતની સેશન કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સંભળાવી હતી. આ ચુકાદા પછી રાહુલનું સાંસદ પદ જતું રહ્યું હતું. રાહુલ ગાંધી આ ચુકાદાની વિરુદ્ધ હાઇકોર્ટમાં ગયા હતા., પરંતુ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા હતા અને સ્ટે આપવાથી ઇનકાર કર્યો હતો. જો રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નહીં મળે તો તેઓ 2031 સુધી કોઈ ચૂંટણી નહીં લડી શકે.
જો કામ-વિકારને સંતાનપ્રાપ્તિ માટે અનિવાર્ય માનવામાં આવે તો પ્રશ્ન એ છે કે બાળકો, વૃદ્ધો તથા સંન્યાસીઓના કામાચાર પાછળનું લક્ષ્ય શું છે? શું સમાજનું કલ્યાણ, શું સમાજની પ્રગતિ, શું પરિવારની શાંતિ? આનો જવાબ આવશે – “ના”. તો પછી જો લક્ષ જ અયોગ્ય છે તો તેનું પરિણામ પણ તેવું જ હશે. સમાજમાં વધતા અનાથાલય, વૈશ્યાલય, ગર્ભપાત, એઇડ્સ જેવા ગુપ્તરોગ વિગેરે આ અનિયંત્રિત કામવૃત્તિ થી ઉત્પન્ન થયેલ સમાજરૂપી શરીરના ગુમડા તો છે.
જ્યારે કોઈ વસ્તુનો ખૂબ પાક થાય છે તો સમજદાર વ્યક્તિ તેની કિંમત ઓછી હોવાના કારણે તેને ઉગાડવાનું બંધ કરી દે છે. જ્યારે સામાન્ય વ્યક્તિને આટલી સમજ છે તો પછી ભગવાન તો બુદ્ધિવાનોની બુદ્ધિ છે. તે મનુષ્ય દુર્ગુણોથી ભરેલ તથા મનોબળ વગરનો હોવાના કારણે તેના પર પ્રતિબંધ લગાવવા ઇચ્છે છે. તેઓ ગૃહસ્થ જીવનને ફરીથી ધર્મયુક્ત બનાવવા માટે બધા ગૃહસ્થીઓને પવિત્રતા આપનાવવા માટેનો મહામંત્ર આપે છે.
પરમાત્મા કહે છે કે સ્ત્રી-પુરુષ ભલે ઘરમાં રહે, પરંતુ પવિત્ર રહે, ગૃહસ્થને તપોવન સમજે અને કમળ ફૂલ સમાન અલિપ્ત રહે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ ઈશ્વરીય આદેશને સાંભળીને બધા ગૃહસ્થીઓ કહે છે કે તમે ભલે બાળકો, વૃદ્ધો, વાનપ્રસ્થીઓને પવિત્રતા શીખવાડો અમને નહીં. પરંતુ કોઈપણ આંખો ખોલીને એ જોવા કે સમજવા તૈયાર નથી કે કામવાસનાના કારણે સમાજમાં સંઘર્ષ, ઉગ્રવાદ, તોડફોડ, અનૈતિકતા, ચોરી, યુદ્ધ, બળાત્કાર વિગેરે વધી ગયા છે. પાપની પ્રવેશતા જ્યાંથી થઈ એ દરવાજેથી તેને કાઢવાનું પણ છે. પહેલો પ્રવેશ સ્ત્રી અને પુરુષ બંનેમાં દેહઅભિમાનના આધારે કર્યો. માટે ગૃહસ્થમાં રહેવા છતાં બંને નું પવિત્ર રહેવું ખુબ જરૂરી છે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના માધ્યમ થી સ્વયં ભગવાને નારીને શ્રી લક્ષ્મી અને નરને શ્રી નારાયણ જેવા બનવાનું આહવાન કર્યું છે. ભગવાન કહે છે કે અંતિમ જન્મમાં મારા માટે ગૃહસ્થમાં રહેવા છતાં વિકારોનો સન્યાસ કરો, તો હું તમને સતયુગી પાવન દુનિયામાં 16 કલા સંપૂર્ણ દૈવી રાજ્યનું પદ આપીશ. તો શું ઈશ્વરના આહવાન થી વધુ વહાલું છે વિષનું પાન? વિચાર કરો એક જન્મ પવિત્ર રહેવાથી 21 જન્મોની દૈવી બાદશાહી મળશે. જેમને યોગ્ય લાગે તે લઈ લે.
ભગવત ગીતામાં ભગવાને દૈવી અને આસુરી સંપત્તિનું સુંદર વર્ણન કરેલ છે. દૈવી સંપત્તિ અર્થાત સતોગુણી વૃત્તિઓ (દૈવી ગુણ). આનો વિસ્તાર ઘણો છે પરંતુ તેનો સાર એક શબ્દ – “કલ્યાણ” માં સમાયેલ છે. સતોગુણી ભાવનાઓ હંમેશાં કલ્યાણની તરફ હોય છે. માટે જ ભગવાન શિવને કલ્યાણકારી કહેવાય છે કારણકે તેઓ તમામ સારી વૃત્તિઓના મહાસાગર છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,055 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,789 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 125 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1460એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 46,840 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,49,643 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 524 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
તમારી પાસે વૈભવી મકાન હોય, મોંઘી દાટ ગાડીઓ હોય, ઘરમાં યુવાન દીકરો હોય, અને પૈસાની રેલમછેલ હોય તો તમે સુખી ગણાવ? મોટા ભાગે આવા સવાલનો જવાબ હા માં જ મળે. પણ 170 ની સ્પીડે દોડતી એ જ ગાડી સુખમાં બાધક બની શકે? ઘરના વાયવ્ય અને નૈરુત્યનો દોષ આના માટે જવાબદાર ગણી શકાય. ઝેડ પ્લસ સીક્યોરીટી સાથે વટ મારનાર વૈભવી જીવન જીવનાર વ્યક્તિ અચાનક ગુનેહગાર ઠેરવવામાં આવે. ત્યારે ફરી એક વાર થોડા સમય પહેલા એના જેવું જીવન જીવવાની ઈચ્છા રાખનાર વ્યક્તિઓને ઝટકો લાગે. દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું બને. ઘર ઉર્જાથી બને છે. બાકી મકાનો તો ઘણા જોવા મળે છે. લોકો થોડો સમય બધું દુખ ઠાલવીને પછી પોત પોતાના કામમાં લાગી જાય. અને ફરી આવું કઈક બને. માણસને જીવવા માટે સાચે જ શું જરૂરી છે એની સમજણ બદલાતાની સાથે એની રેસ ઝડપી બની રહી છે. અને એ રેસનો અંત મોટા ભાગે કરુણ હોય છે. નાનકડી બીમારી માટે હજારો રૂપિયાની ફી આપનાર પોતાના ઘરની ઉર્જા વધારવા સસ્તા રસ્તા શોધે ત્યારે નવાઈ લાગે છે. વળી એ જ વ્યક્તિ વકીલ ની ફી પૂરી આપે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા કાકાએ એક જ્યોતિષીને 5 કુંડળીના ઓનલાઈન પૈસા આપ્યા. એ કાયમ પુરા પૈસા એડવાન્સ લે છે. વળી એના ચાર્જ પણ વધારે છે. એ માણસે પૈસા લીધા પછી પુરતો સમય ન આપ્યો. અમે જે પૂછવા માંગતા હતા એના જવાબ આપવાના બદલે એની જ વાત ચલાવે રાખી. બાકી હતું તો બધા ગોળ ગોળ જવાબો લખીને મોકલી આપ્યા. પછી એ ફોન નથી ઉપાડતા. વાત અહી પૂરી નથી થતી. એમણે વાસ્તુની પણ વાત કરી. મારા માટે તો વાસ્તુ માટે તમારાથી વધારે જ્ઞાની કોઈ છે જ નહિ. એ ભાઈએ ઈશાનમાં ભૂરો રંગ એટલે કરવાનો કહ્યો કે જળ તત્વ ભૂરુ હોય છે. ભૂરા કપડા પહેરવા પણ કહ્યું. પાણીનો કોઈ રંગ હોય ખરો? વળી જો પાણીના રંગના કપડા પહેરાવે તો કેવું લાગે? એમના માટે અગ્નિ તત્વ લાલ છે અને ભૂમિ તત્વ ભૂખરું. કશુજ સમજાતું નથી. હું બાજુમાં બેઠી હતી એટલે મેં પૂછ્યું કે જળ તત્વ ભૂરું કેવી રીતે હોઈ શકે? અને એમણે ગુસ્સે થઈને ફોન કાપી નાખ્યો. આવું થોડું જ ચાલે? પિતૃ દોષ હોવાથી, અમને ત્યાંથી નંગ ખરીદવા માટે પણ આગ્રહ રાખ્યો હતો.
જવાબ: બહેન શ્રી. સાવ અજાણ્યા માણસને 5 કુંડળીના પૈસા ન જ અપાય. એકાદ ટ્રાયલ લીધા પછી આગળ વધાય. એમને પણ અજાણ્યા લોકોના અનુભવ હોય એટલે એડવાન્સ લે એમાં કાઈ ખોટું નથી. પણ પૈસા લીધા પછી પુરતો સમય આપવો જોઈએ. વળી અગત્યની વાત એ છે કે એ માણસને કેટલું જ્ઞાન છે, કેટલો અનુભવ છે એ જોયા જાણ્યા વિના આટલી મોટી રકમ ન અપાય. પૈસા આપતા પહેલા એમની સીસ્ટમ પણ સમજવી જોઈએ. સાવ એમ જ પ્રભાવિત ન થવાય. ત્રીસ વરસનો માણસ ગોળગોળ વાત કરી શકે.
હવે વાત વાસ્તુની, આપણા શાસ્ત્રો રીસર્ચ આધારિત છે. એમાં આવા પોકળ તર્કને સ્થાન નથી. જેમ માણસ ઈશ્વરને માણસની જગ્યાએ જોઈ રહ્યો છે એ જ રીતે તત્વોને પણ જોવામાં આવે છે. આતો સારું છે કે એમણે પારદર્શક રંગ લગાડવાનું નથી કહ્યું. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર બંને અલગ વિષયો છે એ સમજવું ખુબ જ જરૂરી છે. બંને વિષયો અદ્ભુત છે. પણ અધૂરું જ્ઞાન ન જ ફળે.
પિતૃ એટલે વડવાઓ. એ શું કામ રંજાડે? અને શું કોઈ નંગ પહેરવાથી એ રાજી થઇ જાય? પોતાનું બાળક દુખી થાય એ કોઈને ગમે. અને દેવું કરીને મોંઘા નંગ પહેરીને એ રાજી થઇ જાય? આ બધું મારી તો સમજણ બહારનું છે. આપના ઘરમાં વાયવ્ય પશ્ચિમનો દોષ છે. શિવ લિંગ પર કેવડાના અને ચંદનના અત્તરથી અભિષેક કરો.
સુચન: શ્રાવણમાં પુરુષોત્તમ મહિનો એટલે શિવ અને વિષ્ણુ ( હરિહર) ને પૂજવાનો મહિનો. આ દરમિયાન શિવલિંગ અને શાલીગ્રામ પર યોગ્ય રીતે અભિષેક કરવાથી લાભ થાય.
હિંદી સિનેમાના મહાન સ્વરકારોની પંગતમાં બિરાજતા મુકેશચંદ માથુર જો હયાત હોત તો 22 જુલાઈ, 2023એ એમના 100મા બર્થડેનું સેલિબ્રેશન ધામધૂમથી થયું હોત. નો પ્રોબ્લેમ. એમના દેશ-વિદેશના ફૅન્સે જન્મશતાબ્દી વર્ષની ઉજવણી શરૂ કરી દીધી છે, જે વરસભર ચાલવાની છે.
22 જુલાઈ, 1923ના દિલ્હીમાં જન્મેલા મુકેશનું જીવનસંગીત 27 ઑગસ્ટ, 1976ના રોજ અમેરિકાના ડેટ્રોઈટની એક હૉસ્પિટલમાં વીરમ્યું. તે વખતે એવી વાતો વહેતી થઈ કે ડેટ્રોઈટના લાઈવ કન્સર્ટમાં ગીત ગાતી વખતે મુકેશજીને હાર્ટ અટૅક આવ્યો ને એ સ્ટેજ પર ઢળી પડ્યા, પરંતુ મુકેશજીના અંતિમ સમયની રજેરજ વિગત રજૂ કરી છે વૉઈસ ઑફ સમય તરીકે પ્રખ્યાત એવા હરીશ ભીમાણીએ એમના લતા મંગેશકર વિશેના પુસ્તક ‘ઈન સર્ચ ઑફ લતા’માં, જેનો ગુજરાતી અનુવાદ ડૉ. શરદ ઠાકરે કર્યો છે. મુકેશજીના અંત સમયનું આ કથાકથન લાગણીનીતરતું તો છે જ, સાથે સાથે એ જીવનના કેટલાક અઘરા પાઠ પણ શીખવી જાય છે.
મુકેશજીને એમની તબિયત વિશે કાળજી લેવાની ચેતવણી અવારનવાર આપવામાં આવતી. 34 વર્ષની વયે એમને ડાયાબીટીસ આવી ગયેલો. ૧૯૭૬ની એમની છેલ્લી સંગીતયાત્રા પહેલાં એમને ચાર-ચાર હાર્ટ અટૅક આવ્યા હતા. આનાથી એમણે ચેતી જવું જોઈતું હતું, પણ પહેલા બે અટૅકના દોઢેક મહિના બાદ તો એ કેનેડા, યુ.એસ.એ.માં દસ લાઈવ કન્સર્ટ્સ આપીને પાછા આવી ગયેલા. દરેક હાર્ટઅટૅક વખતે એમને છાતીમાં દુખાવો થતો નહીં. ઑક્સિજન આપવામાં આવતાં જ એમની તબિયત સુધરવા માંડતી. આના લીધે પણ એ જરા બેધ્યાન થઈ ગયેલા.
હવે જઈએ 1976ના ઑગસ્ટમાં. કેનેડા, યુ.એસ.એ.માં મુકેશજી-લતા મંગેશકરના કાર્યક્રમોની હારમાળા યોજાયેલી. સાથે હતા હૃદયનાથ મંગેશકર, 26 વર્ષી નીતિન મુકેશ, વગેરે. ટોરન્ટો (કેનેડા)ના કાર્યક્રમ આટોપી કાફલો અમેરિકા આવ્યો. 26 ઑગસ્ટ, ૧૯૭૬. ડેટ્રોઈટના કન્સર્ટની તૈયારી પુરજોશમાં ચાલી રહી હતી. ઢળતી સાંજે સૌએ ડેટ્રોઈટની હોટેલ પેંટ્યૂટ્રેમાં ચેકઈન કર્યું. મુકેશજી નવના આંકડાને શુકનવંતો માનતા. રૂમમાં જતાં પહેલાં મુકેશજીએ પુત્ર નીતિનને કહ્યું, “રૂમનંબર જો…૨૦૦૭! આવતી કાલનો આપણો અમેરિકા ખાતે સળંગ 9મો કાર્યક્રમ છે, કાલે તારીખ પણ સત્યાવીસ છે, જેનો સરવાળો પણ નવ થાય છે. તું જોજે, કાલનો કાર્યક્રમ યાદગાર બની જવાનો!”
એ રાતે મુકેશજી ઘસઘસાટ ઊંઘી ગયા. બીજા દિવસે સવારે સાડાપાંચ વાગ્યે જાગી રોજની જેમ રામાયણ વાંચવા લાગ્યા. એમણે કહ્યું કે, “આજે મારે આખો દિવસ આરામ કરવો છે, જેથી સાંજે કાર્યક્રમમાં ફ્રૅશ રહી શકાય.” નીતિન હોટેલની રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ લેવા ગયા, પણ એમણે જીન્સ પહેરેલું એટલે ડ્રેસકોડ મુજબ પ્રવેશ ન મળ્યો. એ રૂમમાં આવીને ભૂખ્યાપેટે પોઢી ગયા.
અચાનક નમતા બપોરે નીતિનની ઊંઘ ઊડી. પિતા હળવેકથી પગની પાનીએ ગલગલિયાં કરીને એને જગાડવાની કોશિશ કરી રહ્યા હતા. સાથે સાથે એ ધીમા સૂરમાં ગીત પણ ગણગણી રહ્યા હતા. નીતિને કહ્યું, “પપ્પા, બસ, દસ જ મિનિટ મને સૂવા દો.”
એ પછી મુકેશજીએ લતાજીના રૂમમાંથી હાર્મોનિયમ મગાવ્યું. એ હંમેશાં કાર્યક્રમ શરૂ થતાં પહેલાં રિયાજ કરતા. રૂમબૉય હાર્મોનિયમ ફરશ ઉપર મૂકીને ચાલ્યો ગયો… અને ચાર-ચાર હાર્ટ અટૅકનો સામનો કરી ચૂકેલા મુકેશજી નીચા નમીને એ ઉઠાવી રહ્યા હતા ત્યાં ઝડપથી નીતિન એમની પાસે પહોંચી ગયા અને હાર્મોનિયમ ઉઠાવી પલંગ પર ગોઠવી દીધું.
નીતિન તૈયાર થયા. હવે તૈયાર થવાનો વારો મુકેશજીનો હતો. એમણે ટીવીસેટ ૫૨ ૫ડેલું અખબાર મગાવ્યું. નીતિને અખબાર એમના હાથમાં આપ્યું, પણ એની ઉપર મૂકેલી સાંઈબાબાની વીંટી જમીન પર પડી અને પગ સાથે અથડાઈ. નીતિને સમ્માનપૂર્વક વીંટીને આંખોએ અડકાડી, પણ એ ક્ષણે એક આશંકા ઘર કરી ગઈ કે પિતા પર કશુંક અનિષ્ટ ઘુમરાઈ રહ્યું હતું.
છાપું લઈને મુકેશજી બાથરૂમમાં ચાલ્યા ગયા. નીતિન હાર્મોનિયમ પાસે ગયા ને ગીત ગાવા માંડ્યા. થોડી વાર બાદ એમણે બૂમ મારીઃ “પાપા, તમે ઠીક તો છોને?”
ત્રીજી વારની પૃચ્છા બાદ જવાબ મળ્યોઃ “હા, સારું છે.”
છતાં નીતિને કહ્યું કે “બાથરૂમનો દરવાજો અંદરથી બંધ ન કરશો.” દીકરાની વાત માની મુકેશજીએ સ્ટૉપર ખોલી નાખી.
થોડી વાર પછી બાથરૂમનું બારણું ઊઘડ્યું. નીતિને માથું ઊંચું કરીને જોયું તો દરવાજાની વચ્ચોવચ પિતા ઊભા હતા, એ પરસેવાથી નીતરી રહ્યા હતા, એમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. નીતિનને ખ્યાલ આવી ગયો કે આ હાર્ટ અટૅક છે. એ એમને ટેકો આપવા ઊભા થયા, પણ મુકેશજી જેમતેમ કરીને જાતે જ પલંગ સુધી પહોંચી ગયા અને ઢળી પડ્યા.
હોટેલનો ફિઝિશયન એ દિવસે રજા ઉપર હતો, પણ તરત બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવી. નીતિને એમને ઑક્સિજન-સિલિન્ડર લાવવાની રિકવેસ્ટ કરી. એમને ખબર હતી કે પ્રાણવાયુ આપવાથી પાપાને રાહત મળે છે.
રૂમની બારીઓ ખોલી નાખવામાં આવી. મુકેશજી એમના ઢીલા પડી ગયેલા અવાજમાં સૂચના આપી રહ્યા હતા, “(લતા) દીદીને જાણ કરવાની જરૂર નથી…’’ પણ બે મિનિટમાં બધાં એમના રૂમમાં આવી ગયાં. મુકેશજીએ રામાયણ ગ્રંથ છાતી ઉપર મૂકવા કહ્યું. પછી ભીડ જોઈને એમણે લતાજીને કહ્યું, “તમે ચિંતા નહીં કરતાં. એક ઈન્જેક્શનમાં તો ઊભો થઈ જઈશ. તમે હૉલ પર પહોંચો, હું પણ કપડાં બદલીને આવું છું.”
ત્રણ-ચાર મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. ડૉક્ટર આવ્યા. નીતિને અકળાઈને ઑક્સિજન સિલિંડર વિશે પૂછ્યું તો જવાબ મળ્યોઃ “નીચે એમ્બ્યુલન્સમાં છે.”
એ જ વખતે મુકેશજીનું બ્લડપ્રેશર કથળવા માંડ્યું, અંતનો આરંભ થઈ ચૂક્યો હતો. હૉસ્પિટલ પહોંચતાં જ એમને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા. અહીં નીતિનને કહેવામાં આવ્યું કે બસ, અહીંથી આગળ નહીં જઈ શકાય.’’
એકદમ ફિલ્મી દશ્ય હતું- મુકેશજી ઈમ૨જન્સી રૂમમાં પ્રવેશી રહ્યા હતા, એમણે માથું ફેરવીને નીતિનની દિશામાં જોયું અને નીતિનને લાગ્યું કે જાણે એની આંખો કંઈ જોઈ શકતી ન હતી, ચહેરા ઉપર એક હળવું સ્મિત. પિતા-પુત્રની એ છેલ્લી મુલાકાત.
થોડી વાર પછી એક ફ્રેન્ચ ડૉક્ટર બહાર આવ્યા. એમણે નીતિનને કહ્યું કે “કોઈ સગાંને બોલાવવા હોય તો બોલાવી લો.” નીતિને પૂછ્યું, “શું ઈન્ડિયાથી મારી મમ્મીને બોલાવી શકું?’’
જવાબમાં ડૉક્ટરે કહ્યું, “થોભો.” એ અંદર સરકી ગયા. થોડી વારમાં એક ઈન્ડિયન ડૉક્ટર આવ્યાઃ “મુકેશજીની હાલત અત્યંત ગંભીર છે–ભારતથી કોઈને દોડાવાનો અર્થ નથી. હું પોતે મુકેશજીનો ફૅન છું. તમને ખાતરી આપું છું કે મુકેશજીને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે. અમે એમને ઈલેક્ટ્રિક શૉક્સ પણ આપી રહ્યા છીએ…”
થોડી જ વારમાં, લતાજી ત્યાં આવી પહોંચ્યાં અને બેન્ચ પર બેસી ગયાં. તેઓ કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતાં. તેમ છતાં તેમણે નીતિનને એક બાજુ પર બોલાવીને કહી દીધું, “ઈશ્વરની મરજી સામે આપણે લાચાર છીએ.’’ આશાનો આછોપાતળો તંતુ પણ આ વાક્યથી તૂટી ગયો. નીતિને હકીકતનો સ્વીકાર કરી લીધો. એને એક જ વિચાર વારંવાર સતાવતો હતો, ઑક્સિજન-સિલિન્ડર રૂમમાં લઈ આવવામાં આવ્યું હોત તો?
હજુ વીસેક મિનિટ પહેલાં મુકેશજીએ લતાજીને કહ્યું હતું કે “હમણાં કપડાં પહેરીને આવું છું.”
-અને એ કપડાં પહેરીને આવ્યા ખરા… પણ એક લાંબા પ્રવાસે જવા માટે.
આ વાતને 47 વર્ષનાં વહાણાં વીતી ગયાં હોવા છતાં મુકેશ એમના પ્રશંસકોનાં દિલમાં આજે પણ હયાત છે, આજે પણ દેશદુનિયામાં સંગીતપ્રેમી એમનાં ગીતો સાંભળીને ઝૂમે છે.
પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ): અહીં ગઈ કાલથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થયેલી બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતે તેના પહેલા દાવમાં દિવસની રમતને અંતે 4 વિકેટે 288 રન કર્યા હતા. પોતાની કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 87 અને રવિન્દ્ર જાડેજા 36 રન સાથે દાવમાં હતો. આ બંને બેટરે પાંચમી વિકેટ માટે 106 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમના દાવને વધારે તૂટતા બચાવ્યો હતો.
(તસવીર સૌજન્યઃ ICC)
પહેલી ટેસ્ટ જીતી ચૂકેલા ભારતને ટોસ હારી જતાં પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. યશસ્વી જયસ્વાલ (57) અને કેપ્ટન રોહિત શર્મા (80)ની ઓપનિંગ જોડીએ 139 રનની ભાગીદારી કરીને ભારતના દાવનો મજબૂત આરંભ કરાવ્યો હતો. પણ ત્યારબાદ કેરિબિયન બોલરોએ દાવ પર પકડ જમાવી હતી અને જયસ્વાલ, શુભમન ગિલ (10), શર્મા અને અજિંક્ય રહાણે (8) વિકેટ પાડીને ચમકારો બતાવ્યો હતો. ભારતને આ ચારેય નુકસાન દિવસના બીજા સત્રમાં ગયું હતું, પરંતુ ત્યારબાદ કોહલી અને જાડેજાએ બાજી સંભાળી લીધી હતી. કેમાર રોચ, શેનન ગેબ્રિયલ, જોમેલ વારિકન અને જેસન હોલ્ડરે એક-એક બેટરને આઉટ કરીને ભારતના પહેલા દાવને વહેલો સમેટી લેવાના સંજોગો ઊભા કર્યા હતા, પરંતુ કોહલી-જાડેજાની જોડીએ સંભાળપૂર્વક રમીને વિન્ડિઝના બોલરોને વધારે સફળ થવા દીધા નહોતા. કોહલી 161 બોલનો સામનો કરીને અને 8 ચોગ્ગા ફટકારીને દાવમાં છે જ્યારે જાડેજા તેના 84 બોલના દાવમાં ચાર ચોગ્ગા ફટકારી ચૂક્યો છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ 100મી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના આરંભે બંને ટીમના કેપ્ટનને સ્મૃતિ તકતી ભેટમાં આપવામાં આવી હતી. ભારતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર મુકેશકુમારને સામેલ કરવામાં આવ્યો છે.
જયપુરઃ રાજસ્થાનના પાટનગર જયપુરના અનેક વિસ્તારો આજે વહેલી સવારે ધરતીકંપના આંચકાથી હચમચી ગયા હતા. લગભગ અડધા કલાકના ગાળામાં ધરતીકંપના ત્રણ આંચકા આવ્યા હતા. એને કારણે ગાઢ નિંદર માણી રહેલાં લોકો સફાળા જાગી ગયા હતા અને એમનાં ઘર-મકાનોમાંથી બહાર દોડી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પહેલો આંચકો સવારે 4.09 વાગ્યે લાગ્યો હતો, જે 4.4ની તીવ્રતાનો હતો. ત્યારબાદ 4.22 વાગ્યે બીજો આંચકો આવ્યો હતો જે 3.1ની તીવ્રતાનો હતો અને ત્રીજો આંચકો 4.25 વાગ્યે લાગ્યો હતો જેની તીવ્રતા 3.4ની હતી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ, ધરતીકંપનું કેન્દ્રબિંદુ જયપુરમાં જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું માલુમ પડ્યું હતું. ઘણા લોકોએ ધરતીકંપના આંચકાઓ વિશે સોશિયલ મિડિયા પર પૂછપરછ કરી હતી તો ઘણાએ ઘરોની બહાર ગભરાટના માર્યા ભેગા થઈ ગયેલા લોકોની તસવીરો શેર કરી છે. રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ પણ કહ્યું કે એમને પણ જયપુરમાં ધરતીકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. ટ્વીટમાં એમણે જણાવ્યું છે કે, હું આશા રાખું છું કે સૌ સુરક્ષિત છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.