Home Blog Page 2627

અટલ ઈન્ક્યુબેશન સેન્ટરના નેજા હેઠળ યુવા બિઝનેસ સાહસિકોને માર્ગદર્શન

મુંબઈઃ અત્રેની કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજમાં મેનેજમેન્ટ સ્ટડી વિભાગે તાજેતરમાં “અટલ ઈન્ક્યુબેશન સેન્ટર – રામતાઉ મ્હાલગી પ્રબોધિની” સંલગ્ન એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આજના આ પ્રગતિશીલ યુગમાં વેપાર ક્ષેત્રે નવા નવા પ્રવેશતા ઉદ્યોગવીરો અને યુવકોને સાચું જ્ઞાન અને પ્રોત્સાહન મળે તે દ્રષ્ટિએ આ સેમિનાર આયોજિત કરાયો હતો.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી અને મહારાષ્ટ્રના ગ્રામ્ય વસાહતીકરણ વિભાગના પ્રમુખ ઉજ્જવલ ઉકે પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રીનાથ શ્રીધરન મુખ્ય વક્તા હતા. આ ત્રિદિવસીય સેમિનારમાં પેપર પ્રેઝન્ટેશન પણ સમાવિષ્ટ કરાયું હતું.

અતિથિ વિશેષે બિઝનેસ ક્ષેત્રે નવા-નવા પ્રવેશતા યુવાનોને વિવિધ શક્યતાઓ વિષેની જાણકારી આપી હતી. પેપર પ્રેઝન્ટ કરવા માટે લગભગ 480 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિભાગમાં વિન્ડ પ્લસ પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર માનસી ઠક્કર, યુવા નેતા અને વિચારક અપૂર્વ ગંગર તેમજ પ્રમુખ એચ.આર. ઓફિસર સંજીવ બહેરી હતા. નીક્કી વાન ડેનબર્ગ દુબઈથી ઓનલાઇન જોડાયા હતા, જેમાં તેમણે બિઝનેસ સફળતા વિષે સૂચનો આપ્યા હતા.

“વેપાર અને વાણિજ્યના વિકાસ” પર નમન જૈન તેમજ મીતાક્ષરા સીરગાંવકરના વક્તવ્યએ નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. સંસ્થાના સંચાલકોએ આધુનિક યુગમાં વિદેશ સુધી વિદ્યાર્થી વ્યાપક બની જ્ઞાન પ્રાપ્તિ કરે તે માટે ખૂબ ઉત્સાહ સીંચ્યો હતો. કેઈએસ સંસ્થાના ટ્રસ્ટીગણમાંથી રજનીકાંત ઘેલાણી, સંસ્થાના વાઈસ પ્રિન્સિપાલ વી.એસ. કન્નન અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રીલંકાએ નીતિ સુધારા, ડિજિટલાઈઝેશન માટે ભારતની મદદ માગી

નવી દિલ્હી/કોલંબોઃ નેશનલ સેન્ટર ફોર ગૂડ ગવર્નન્સ (NCGG)ના ડાયરેક્ટર જનરલ ભરત લાલની આગેવાની હેઠળ ભારતનું એક પ્રતિનિધિમંડળ શ્રીલંકાના બે-દિવસીય પ્રવાસ દરમિયાન પાટનગર કોલંબોમાં શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેને મળ્યું હતું.

તે બેઠકમાં વિક્રમસિંઘેએ એમના દેશમાં હાલમાં ઊભા થયેલા આર્થિક પડકારોનો એમની સરકારે કેવી રીતે સામનો કર્યો હતો અને દેશના અર્થતંત્રની ગાડી ફરી પાટા પર કેવી રીતે ચડાવી તે વિશે રજૂઆત કરી હતી. ભારત સરકારે ભારતમાં જે રીતે સામાજિક અને આર્થિક વિકાસ હાંસલ કર્યો છે તેની વિક્રમસિંઘેએ સરાહના કરી હતી અને NCGGને વિનંતી કરી હતી કે શ્રીલંકામાં નીતિ વિષયક સુધારા લાવવા, સુશાસન સ્થાપિત કરવા, ડિજિટલાઈઝેશન લાવવામાં ભારત તરફથી એમની સરકારને મદદ મળે.

ભરત લાલે બેઠકમાં જાણકારી આપી હતી કે નરેન્દ્ર મોદીએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે એમના દૂરદ્રષ્ટિપૂર્ણ શાસનથી રાજ્યની નકારાત્મક હાલતમાં ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને કેવી રીતે ફરી મજબૂત કરી આપી હતી. વડા પ્રધાન મોદીના એ જ વિઝનને આધારે જ ભારત વ્યાપકપણે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.

બેઠકમાં ભરત લાલની સાથે શ્રીલંકાસ્થિત ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે, NCGGના એસોસિએટ પ્રોફેસર ડો. એ.પી. સિંહ તથા દૂતાવાસના અન્ય વરિષ્ઠ રાજદૂતોનો પણ સમાવેશ થતો હતો.

શહેરમાં મહાવીર જન્મકલ્યાણક રથયાત્રા નીકળી

અમદાવાદઃ જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જૈનોનાં ધાર્મિક સ્થળોએ પૂજા, અર્ચના, વ્યાખ્યાન અને યાત્રાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સાબરમતી વિસ્તારમાં વિવિધ પાઠશાળાઓ- શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી (ચારેય પંથ) સમસ્ત જૈન સમાજના ઉપક્રમે એક વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચોથી એપ્રિલે મંગળવારની વહેલી સવારે મહાવીર જયંતી નિમિત્તે નીકળેલી રથયાત્રાનું ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી પ્રસ્થાન થયું હતું.

હાથી, ઘોડા શણગારેલી બગી, રથ , બેન્ડ-વાજાં જેવાં વિવિધ આકર્ષણો સાથે નીકળેલી રથયાત્રાનું સમગ્ર વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિ, પરોપકાર અને અહિંસાનો સંદેશ આપતા જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીના જન્મદિવસે નીકળેલી રથયાત્રામાં આચાર્ય ભગવંતો અને શ્રાવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ધોનીએ બોલરોને નોબોલ, વાઇડ નહીં કરવા ચેતવણી આપી

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બોલરોને IPLની આગામી મેચમાં નોબોલ અને વાઇડની સંખ્યામાં કાપ કરવાની કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેઓ વિરોધી ટીમને આ રીતે સરળતાથી રન આપતા રહેશે તો પછી તેમણે નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવાનું રહેશે. ધોનીની આ ચેતવણી ચેન્નઈ સુપર કિંગ્સની સોમવારે લખનઉ સુપરજાયન્ટ્સની સામે 12 રનની જીત પછી આવી છે. એ વિકેટકીપર બેટ્સમેન એ વાતે નારાજ હતો કે તેના બોલરો એ મેચમાં ત્રણ નોબોલ ને 13 વાઇડ બોલ કર્યા હતા, જેથી લખનઉ 218 રનના લક્ષ્યનો પીછો કરતા સમયે સાત વિકેટ પર 205 રન સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

ચેન્નઈની ટીમે હાલના ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની સામે પહેલી મેચમાં ચાર વાઇડ અને બે નોબોલ ફેંક્યા હતા. ધોનીની ટીમ એ મેચમાં પાંચ વિકેટે હારી ગઈ હતી. યુવા ઝડપી બોલર રાજવર્ધન હેંગારગેકરે એ મેચમાં ત્રણ વાઇડ અને એક નોબોલ ફેંક્યો હતો. સોમવારે તેણે લખનઉની સામે ત્રણ વાઇડ ફેંક્યા હતા.

ચેન્નઈના એક અન્ય ઝડપી બોલર તુષાર દેશપાંડેએ સોમવારે બે વિકેટ લીધી હતી, પણ તેણે ચાર વાઇડ અને ત્રણ નોબોલ ફેંક્યા હતા. દીપક ચાહરે પણ વાઇડ દ્વારા પાંચ વધારાના રન આપ્યા હતા.ધોનીએ મેચ પછી કહ્યું હતું કે તેમણે એક પણ નોબોલ નહીં ફેંકવા જોઈએ અને ઓછા વાઇડ બોલ ફેંકવા જોઈએ. અમે બહુ વધારાના બોલ ફેંકી રહ્યા છીએ અને એમાં કાપ મૂકવાની જરૂર છે, અન્યથા તેમણે નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવું પડશે.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 04/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે, બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર, ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

ચીનની અવળચંડાઈઃ અરુણાચલ પ્રદેશની 11 જગ્યાઓનાં નામ બદલ્યાં

ગુવાહાટીઃ ચીન ભારતની સામે અવળચંડાઈથી બાજ નથી આવતું.બીજિંગે અરુણાચલ પ્રદેશ પર પોતાના દાવા પર ફરી ભાર આપવાના હેતુથી અરુણાચલ પ્રદેશ માટે ચીની, તિબ્બતી અને પિનયિન અક્ષરોમાં નામોની ત્રીજી યાદી જારી કરી છે. ભારત દ્વારા G20 બેઠક આયોજિત કરવાના ઠીક પહેલાં ચીને આ પગલું ભર્યું છે. G20ની આ બેઠકમાં પણ ચીન સામેલ નહોતું થયું.

ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશનાં 11 સ્થળોનાં નામની યાદી બહાર પાડી છે. તેમાં બે મેદાનો, બે રહેણાંક વિસ્તારો, પાંચ ટેકરીઓ અને બે નદીઓનો સમાવેશ થાય છે. હકીકતમાં, આ ત્રીજી વખત છે જ્યારે ચીને એપ્રિલ, 2017 અને ડિસેમ્બર, 2021માં એકતરફી રીતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોનાં નામ બદલ્યાં છે, જેમાં 2017માં છ અને 2021માં 15 જગ્યાઓના નામ બદલવામાં આવ્યાં હતાં. હવે ત્રીજી યાદીમાં 11 સ્થળોનાં નામ બદલવામાં આવ્યાં છે.

ચીન સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશનાં ક્ષેત્રોના બદલાયેલાં નામ ત્રીજી વખત જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ 2017માં ચીને અરુણાચલ પ્રદેશનાં છ સ્થળોનાં નામ અને 2021માં 15 સ્થળોનાં નામની યાદીઓ જાહેર કરી હતી. ભારત આ બંને યાદીઓને ફગાવતાં વાંધો ઊઠાવી ચૂક્યું છે. ભારતે હંમેશાં કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. તેના પર ચીનનો દાવો તેની બદનિયતનો પુરાવો છે.

 વિદેશ મંત્રાલયનું નિવેદન

ભારતે અગાઉ અરુણાચલ પ્રદેશમાં કેટલાંક સ્થળોનાં નામ બદલવાના ચીનના પગલાને નકારી કાઢ્યું છે. ભારત તરફથી હંમેશાં એવું કહેવામાં આવે છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશાં રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ડિસેમ્બર, 2021માં કહ્યું હતું કે આ પહેલી વાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશમાં આ રીતે સ્થાનોનાં નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય.

 

 

કુંડું કથરોટને ના કહે કે મારૂં મ્હોં મોટું છે…

કુંડું કથરોટને ના કહે કે મારૂં મ્હોં મોટું છે…

કુંડું અને કથરોટ બંને જુદા જુદા પ્રકારનાં પાત્રો છે. બંનેનું તળિયું સાંકડુ હોય અને ઉપરનો ભાગ એટલે કે મોં પહોળું હોય.

હવે આ બંને એકબીજાની સાથે હરીફાઈ કરે ત્યારે બંનેનાં મોં લગભગ એક સરખાં પહોળાં છે એ ભૂલી જાય છે. આ કારણથી આ કહેવત એક સરખી ક્ષમતા અથવા દોષ ધરાવતા બે વ્યક્તિઓની આપસમાં સરખામણી કરવી હોય ત્યારે વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘ગીત ગાતા ચલ’ જસપાલ સિંહ 

ગાયક તરીકે રાજશ્રીની ‘ગીત ગાતા ચલ’ (૧૯૭૫) થી જાણીતા થનાર જસપાલ સિંહને ફિલ્મનું ટાઇટલ ગીત મળવાની આશા ન હતી. બાળપણથી જ ગાવાનો શોખ ધરાવતો જસપાલ અમૃતસરમાં સ્કૂલ અને કોલેજના દરેક કાર્યક્રમમાં ગાવાની તક મેળવતો હતો. ગાયક તરીકે કારકિર્દી બનાવવાનું તેનું સપનું હતું. પિતા કડક સ્વભાવના હોવાથી જલદી મંજુરી મળી ન હતી. તે મુંબઇ જવાની તક શોધતો હતો ત્યારે બહેનના લગ્ન મુંબઇ થતાં સપનું પૂરું થવાની આશા જાગી હતી. ૧૯૬૮ ના વર્ષમાં વેકેશનમાં બહેનને ત્યાં મુંબઇ ગયો ત્યારે ગાયનના શોખનો ખ્યાલ હોવાથી પતિને વાત કરી.

જસપાલના બનેવીએ સંગીતકાર ઉષા ખન્ના સાથે મુલાકાત કરાવી આપી. ઉષાજી જસપાલના અવાજથી પ્રભાવિત થયા અને પોતાના સંગીતવાળી ફિલ્મ ‘બંદિશ’ (૧૯૬૯) માં પ્રથમ સોલો ગીત ‘દેખો લોગો યે કૈસા જમાના’ ગાવાની તક આપી. જસપાલને થયું કે નસીબ ખૂલી ગયું. પરંતુ ફિલ્મ ના ચાલી એટલે ગીત લોકપ્રિય ના બન્યું. જસપાલ વળી અમૃતસર જતો રહ્યો. તે સ્નાતક સુધીનો અભ્યાસ કરવા સાથે અવારનવાર મુંબઇ આવતો રહ્યો. એક ગીતને કારણે બીજા બે-ચાર ગીત મળ્યા હતા. એમાં મહેન્દ્ર કપૂર સાથેનું ‘બેટા ખેલ મત મટકા’ હતું. જેનાથી તેના વિશે લોકોને થોડી ખબર પડી પરંતુ એક હિટ ગીતની શોધ હતી. એ સમય પર નવા ગાયકોને તક મળતી ન હતી. જસપાલે ફિલ્મોમાં પ્રયત્ન કરવા સાથે બી.એ. થયા પછી દિલ્હી જઇને એલ.એલ.બી. નો અભ્યાસ પણ પૂરો કરી લીધો. દરમ્યાનમાં પિતાએ સુવર્ણ મંદિરની સામે એક મોટી હોટલ શરૂ કરી. તે બહેનના ઘરે હતો ત્યારે પિતાએ પત્ર લખી હોટલના ધંધામાં જોડાઇ જવા કહ્યું. તે પાછો અમૃતસર ગયો અને હોટલનું કામ સંભાળવા લાગ્યો. તેનું મન પિતાના ધંધામાં લાગતું ન હતું. માતાને સમજાવીને પાછો મુંબઇ આવી ગયો.

પહેલાં એક એડવોકેટ સાથે વકીલાત શરૂ કરી. જેથી પિતાને આનંદ થાય કે કામ કરે છે. પછી બહેને જ પિતાને સમજાવ્યા કે એને ગાયનના ક્ષેત્રમાં જવા દો. પિતા એની સામે હારી ગયા અને મુંબઇમાં એક ફ્લેટ લઇ આપ્યો. જસપાલ વકીલાત સાથે ગાયક તરીકે કામ મેળવવા પ્રયત્નશીલ બન્યો ત્યારે સંગીતકાર રવિન્દ્ર જૈન સાથે મુલાકાત થઇ. રવિન્દ્રને રાજશ્રીની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ માં કામ મળ્યું હતું. રાજશ્રીવાળાની ઇચ્છા હતી કે ફિલ્મમાં નવો હીરો સચિન હોવાથી એના માટે કોઇ નવો જ અવાજ હોવો જોઇએ. રવિન્દ્રની ભલામણથી એમણે જસપાલને બોલાવ્યો. જસપાલનો અવાજ સાંભળી ખુશ થયા અને પછીથી જવાબ આપવા કહ્યું. થોડા દિવસ બાદ જસપાલને સંદેશો મળ્યો કે એક ગીત પહેલાં ગવડાવશે એ પસંદ આવશે તો બીજા ગીતોમાં અવાજ લેશે. એમણે પહેલાં ‘ધરતી મેરી માતા પિતા આસમાં’ ગવડાવ્યું. જસપાલની ઇચ્છા ટાઇટલ ગીત ગાવાની હતી.

રાજકુમાર બડજાત્યા જસપાલના પક્ષમાં હતા. પરંતુ રવિન્દ્ર ખચકાતા હતા. એમને થતું હતું કે જો તે મુખ્ય ગીત બરાબર ગાઇ નહીં શકે તો હું સંગીતકાર તરીકે નિષ્ફળ રહીશ. અસલમાં તે બીજા કોઇ ગાયક પાસે ગવડાવવા માગતા હતા. જસપાલને લાગતં હતું કે ગીત તેના હાથમાંથી જતું રહેશે. આખરે એનામાં વિશ્વાસ વ્યક્ત કરી બડજાત્યાએ જાતે હાજર રહી રિહર્સલ કરાવી ‘ગીત ગાતા ચલ’ ગીત ગવડાવ્યું અને જસપાલે એટલું સરસ ગાયું કે ફિલ્મના બાકી ગીતો ઉપરાંત ચોપાઇઓ પણ એની પાસે ગવડાવી. રવિન્દ્ર જૈને એ પછી અંખિયોં કે ઝરોંખો સે, નદિયા કે પાર, જીદ, શ્યામ તેરે કિતને નામ વગેરે ઘણી ફિલ્મોમાં જસપાલ સિંહના અવાજનો ઉપયોગ કર્યો હતો.

કોરાનાના 3641 નવા કેસો, નવનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3641 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે નવ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,26,246 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,901 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,77,204 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1830 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 21,179એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.05 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,64,740 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.18 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,11,814 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2799 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.