Home Blog Page 2120

આ ન્યાયમૂર્તિએ શપથ લેતાં જ સર્જાયો રેકોર્ડ…

કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલે ગુરુવારે (25 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા.આ પછી આ પહેલીવાર બનશે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એકસાથે ત્રણ દલિત જજ હશે. ચાલો જાણીએ કોણ છે જસ્ટિસ પ્રસન્ના વરાલે, શપથ લેતાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં સર્જાયો રેકોર્ડ.

કાયદા અને ન્યાય મંત્રાલયે બુધવારે (24 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ વરાલેની નિમણૂકની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 19 જાન્યુઆરીએ જસ્ટિસ વરાલેની બઢતીની ભલામણ કરી હતી. કોલેજિયમે કહ્યું કે 2008માં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ વરાલે ઘણો અનુભવ ધરાવે છે. તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. એમના અનુભવના આધારે એમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.

કળા અને કાયદાના અભ્યાસી

જસ્ટિસ વરાલેનો જન્મ વર્ષ 1962માં કર્ણાટકના નિપાનીમાં થયો હતો. આ જગ્યા મહારાષ્ટ્રની સરહદ પર છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠા યુનિવર્સિટીમાંથી કળા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે 1985 માં કાયદામાં પ્રવેશ મેળવ્યો. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ એડવોકેટ એસએન લોયાની ચેમ્બરમાં જોડાયા હતા. અહીં તેણે સિવિલ અને ફોજદારી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ 1990 અને 1992 વચ્ચે આંબેડકર લો કોલેજ, ઔરંગાબાદમાં લેક્ચરર પણ હતા. તેમણે ઔરંગાબાદ ખાતે બોમ્બે હાઈકોર્ટની બેંચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. 18 જુલાઈ, 2008ના રોજ તેમની બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિમાંથી એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ

જસ્ટિસ વરાલે બોમ્બે હાઈકોર્ટમાં 14 વર્ષ સુધી સેવા આપી, ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેમને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અત્રે નોંધનીય બાબત એ છે કે તે સમયે તેઓ દેશની તમામ હાઈકોર્ટમાં અનુસૂચિત જાતિમાંથી એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ હતા. જસ્ટિસ વરાલે તેમની કાનૂની યાત્રાનો શ્રેય તેમના પરિવારના ડૉ બીઆર આંબેડકર સાથેના જોડાણને આપે છે. તેમનું કહેવું છે કે તેમના પરિવાર પર આંબેડકરનો ઘણો પ્રભાવ રહ્યો છે.

સામાન્ય માણસોના હિતમાં કરે છે કામ

જસ્ટિસ પ્રસન્ના બી વરાલે ઑક્ટોબર 2022થી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. અહીં તેઓ જાહેર હિતની ઘણી બાબતોમાં સુઓ મોટુ સંજ્ઞાન લેવા માટે જાણીતા છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલો તેમને ડાઉન ટુ અર્થ અને સામાન્ય માણસના હિતમાં કામ કરતા ગણાવે છે. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા, ન્યાયમૂર્તિ પ્રસન્નાએ 14 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે, તેમની આગેવાની હેઠળની બેંચોએ જાહેર હિતમાં સુઓ મોટુ કેસો શરૂ કર્યા. આમાં આંબેડકરના લખાણો અને ભાષણો પ્રકાશિત કરવાના અટકેલા પ્રોજેક્ટ પરની PILનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ વરાલેની આગેવાની હેઠળની બેન્ચે જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખીરખંડી ગામની છોકરીઓને એમની શાળામાં લઈ જવાની ફરજ પડી હતી એવા જોખમી બોટ રાઈડ અંગેના સમાચારને ધ્યાનમાં લઈને, જાન્યુઆરી 2022માં સુઓ મોટુ પીઆઈએલ શરૂ કરી હતી. બેન્ચે સરકારને રાજ્યમાં સમાન દુર્દશાનો સામનો કરી રહેલા શાળાના બાળકોને મદદ પૂરી પાડવા જણાવ્યું હતું.

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચુકાદા

કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે, તેમણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સૂચનાઓ અને ચુકાદાઓ આપ્યા. તેમણે એવા કિસ્સાઓ પણ સાંભળ્યા કે જેમાં સરકારના વર્તન પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને જે અધિકારીઓ યોગ્ય કામ નથી કરી રહ્યા હતા તેમના પર દંડ પણ લગાવ્યો હતો.

પહેલીવાર એવું બની રહ્યું છે કે..

જસ્ટિસ પ્રસન્ના બી વરાલે સુપ્રીમ કોર્ટના જજ બનતાની સાથે જ પહેલીવાર એવું બની રહ્યું છે કે અનુસૂચિત જાતિમાંથી આવતા ત્રણ જજ સુપ્રીમ કોર્ટમાં છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ અનુસૂચિત જાતિમાંથી આવે છે.

ઇંગ્લેન્ડ 246 રનમાં ઓલઆઉટઃ જાડેજા, અશ્વિને રચ્યો ઇતિહાસ

હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં શરૂ થઈ છે. આ મેચમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડની ટીમની 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  

ટીમ ઇન્ડિયા વતી સ્પિનર ત્રિપુટી આર. અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો હતો. બંને સ્પિનરોએ ઇંગ્લેન્ડની ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. આ સાથે અક્ષર પટેલે બે વિકેટ લીધી હતી. હૈદરાબાદમાં ઇતિહાસ રચતાં જાડેજા અને અશ્વિનની જોડીને નામે હવે કુલ 502 વિકેટ થઈ ચૂકી છે.

        ઇંગ્લેન્ડ વતી સૌથી વધુ 70 રન સ્ટ્રોક્સે બનાવ્યા હતા, જે પછી ડકકેટે 35, રૂટે 29, બેરિસ્ટોએ 37 અને હાર્ટલેએ 23 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ વતી જાડેજા અને અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બે, અને અક્ષર પટેલે 6 વિકેટ લીધી હતી.

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટટ કોહલીએ અંગત કારણોસર શ્રેણીની પ્રથમ બે મેચમાંથી આરામ લીધો છે. કોહલીની ગેરહાજરીમાં શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ મિડલ ઓર્ડરને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. 

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, એસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડની ટીમ

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલે, માર્ક વુડ અને જેક લીચ.

 

 

 

 

 

 

 

નીતીશકુમાર પલટી મારશે?: લાલુ પુત્રીનો ઇશારો કઈ બાજુ?

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઊથલપાથલ થશે? એના પર સતત અટકળો ચાલી રહી છે. એ અટકળોને વધુ હવા એ સમયે મળી, જ્યારે સિંગાપુરમાં રહેતી લાલુ યાદવની પુત્રીએ X  પર કંઇક પોસ્ટ કર્યું. રાજકીય વિશ્લેષકોના કહેવા અનુસાર રાજકારણથી દૂર રહેનારી રોહિણી આચાર્યએ વગર નામે લીધા વગર નીતીશકુમાર પર નિશાન સાધ્યું છે.

રોહિણી આચાર્યએ X પર ત્રણ પોસ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે કેટલાક લોકો તેમની ખામીઓ જોઈ નથી શકતા, પણ બીજાના પર કીચડ ઉછાળતા રહે છે. બીજી પોસ્ટમાં તેણે કહ્યું હતું કે પોતાની નિયતમાં જ ખોટ હોય, ત્યારે બીજા પર ખીજ કાઢવાથી શો ફાયદો?  ત્રીજી પોસ્ટમાં તેણે કહ્યું હતું કે સમાજવાદી હોવાના દાવા એ જ લોકો કરે છે, જેમની વિચારધારા હવાની જેમ બદલાય છે.

કર્પૂરી ઠાકુરને ભારત રત્નના એલાન પછી નીતીશકુમારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે પણ કર્પૂરી ઠાકુરની જેમ પરિવારવાદને પ્રોત્સાહન આપવાની વિરુદ્ધ છે ને અમે પણ એવું કામ નથી કર્યું. તેમનું આ નિવેદન લાલુ પરિવાર પર સીધો હુમલા સમાન હતું. રોહિતી આચાર્યએ નીતીશકુમારના આ નિવેદન પર પલટવાર કર્યો હતો.

બિહારના રાજકારણ પર નજર રાખતા વિશ્લેષકોનું માનવું છે કે નીતીશકુમાર ભાજપની તરફ વળી શકે છે, પણ જૂની શરતો સાથે. સામે પક્ષે ભાજપ બિહારમાં CM પદથી ઓછું કંઈ લેવાના મૂડમાં નથી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને JDUએ 40માંથી 39 સીટો જીતી હતી.

 

 

 

 

 

 

તેલંગાણામાં અધિકારીને ઘરે દરોડામાં રૂ. 100 કરોડની સંપત્તિ મળી

નવી દિલ્હીઃ તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ હૈદરાબાદમાં એક કોર્પોરેશનના અધિકારીના ઘરે અને ઓફિસમાંથી આશરે રૂ. 100 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ અધિકારીની ઓળખ શિવ બાલકૃષ્ણ તરીકે કરવામાં આવી છે. ACBએ કહ્યું હતું કે 14 ટીમોએ અધિકારીથી જોડાયેલાં સ્થાનો પર તપાસ કરી હતી અને ગુરુવારે પણ તપાસ જારી રહેશે. તેની પાસેથી જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં સોનું, ફ્લેટ અને બેન્ક ડિપોઝિટ સામેલ છે.

અહેવાલ અનુસાર શિવ બાલકૃષ્ણ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ના પૂર્વ ડિરેક્ટર છે. બુધવારે સવારે પાંચ વાગ્યાથી ACBએ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. ભ્રષ્ટાચારવિરોધી બ્યુરોએ તેમના ઘર અને ઓફિસો અને અન્ય અગ્રણી સ્થળોની તપાસ કરી હોવાની માહિતી બહાર આવી રહી છે.

ACBના અધિકારીઓના જણાવ્યાનુસાર અધિકારીઓએ બે કિલો સોનું, 60 કાંડા ઘડિયાળ, 14 ફોન, 10 લેપટોપ અને કેટલીક સંપત્તિના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

તાજેતરના કેસમાં ACBએ દરોડા અંગે કહ્યું છે કે હજુ પણ તપાસ ચાલી રહી છે અને ઘણા અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ACBને દરોડામાં નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ના પૂર્વ ડિરેક્ટર શિવ બાલકૃષ્ણની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

 

 

 

 

 

કોરાનાના 198 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 198 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,24,548 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સૌથી વધુ 512 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 483 કેસો નોંધાયા છે અને  કેરળમાં 182 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,442 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,89,342 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 319 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1764 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,84,995 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 238 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

…ત્યારે ખૂટે છે શું?

ગયા સોમવારે, 22 જાન્યુઆરીએ એક ઈતિહાસ રચાઈ ગયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રીરામ મંદિરમાં રાઘવ (હવે બાલક રામ)ની પ્રાણપ્રતિષ્ઠા કરીને દેશ-દુનિયાના કરોડો આસ્થાળુ માટે મંદિરનાં દ્વાર ઊઘડ્યાં. દેશઆખો આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી થયો. જો કે અમુક બૌદ્ધિક ટીકાકારોએ કહ્યું કે આના કરતાં સ્કૂલ, હૉસ્પિટલ બાંધ્યાં હોત તો? વૈજ્ઞાનિક પ્રકલ્પો હાથ ધર્યા હોત તો? વગેરે વગેરે.

અહીં ભારતના પ્રખર વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામની આત્મકથાનો એક પ્રસંગ નોંધવો રહ્યોઃ વિશ્વવિખ્યાત અણુવિજ્ઞાની, અંતરિક્ષવિજ્ઞાની અબ્દુલ કલામ સાહેબ 2001માં પ્રમુખસ્વામી મહારાજની મુલાકાતે દિલ્હીમાં આવ્યા. ભારતને વિકસિત દેશોની પંક્તિમાં લાવવા દેશના પાંચસો બુદ્ધિશાળીઓએ ભેગા થઈને વિકાસનાં પાંચ ક્ષેત્રો નક્કી કર્યા હતાં. શિક્ષણ-સ્વાસ્થ્ય, કૃષિ અને તેને લગતાં ક્ષેત્રો, ઈન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને, ક્રિટિકલ ટેક્નોલોજી. આ વાત તેમણે સ્વામીશ્રીને કરી. પ્રમુખસ્વામી મહારાજે તરત જ કહ્યું, ‘આ પાંચ મુદ્દાની સાથે એક છઠ્ઠો મુદ્દો ઉમેરો– ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા. એ રીતે લોકો તૈયાર થાય તે પણ ખૂબ અગત્યનું છે. આધ્યાત્મિક સંપત્તિ મજબૂત હશે તો લૌકિક સંપત્તિ આપમેળે જ આવી જશે.’

કલામસાહેબે આ માર્ગદર્શનને સહર્ષ સ્વીકારીને પૂછ્યું, ‘પહેલાં માણસોને ધાર્મિક કરીને પછી આ પ્રમાણે કાર્યનો આરંભ કરવો કે પછી બંને સમાંતર કરવું?’ સ્વામીજીએ કહ્યું, ‘બંને સમાંતર કરવું, વિકાસનાં કાર્યો પણ ચાલુ રાખવાં. આપણી સંસ્કૃતિ પરા અને અપરા વિદ્યા બંનેને સ્વીકારીને આગળ ચાલે છે.’

હવે જઈએ આજથી સોએક વર્ષ પહેલાંના અમેરિકામાં. 1923, શિકાગો. એડવોટર બીચ હોટેલમાં નવ વ્યક્તિઓ એક મિટિંગ માટે ભેગી થઈ હતી. આ નવ માંધાતા દુનિયાના સૌથી સફળ ધનાઢ્યો અને રોકાણકારો હતા. સંપત્તિની દૃષ્ટિએ આ નવ વ્યક્તિ એ સમયે દુનિયા પર રાજ કરતી હતી. ગ્લેન બ્લાન્ડ નામના લેખકે પોતાના પુસ્તક ‘સક્સેસ’માં શિકાગોની એ મિટિંગનો ઉલ્લેખ કરીને નોંધ્યું છે કે આ નવ વ્યક્તિઓના પાછલા જીવનકાળ વિશે તપાસ કરવામાં આવી તો આશરે પચીસ વર્ષ બાદ 9માંથી ૩ વ્યક્તિ આપઘાત કરીને મરી ગયેલી, બે જેલમાં સબડતી હતી અને બેએ દેવાળું ફૂંક્યું હતું.

આવા તો ઘણા લોકોને આપણે જાણતા હોઈશું, જેઓ એક સમયે પોતાના ક્ષેત્રમાં બેતાજ બાદશાહ હતા અને જોતજોતાંમાં નિષ્ફળતાની ગર્તમાં વિલીન થઈ ગયા. અહીં એક પ્રશ્ન સ્વાભાવિક ઊભો થાય કે તેમની આવી બરબાદીનું કારણ શું? શિક્ષણ, સત્તા અને સંપત્તિની ટોચ ઉપર બેઠેલી આવી પ્રભાવશાળી વ્યક્તિનાં જીવનમાં શું ખૂટતું હતું? કેમ અસીમિત સાધનોનો સરવાળો શૂન્ય જ બની રહ્યો? આ સવાલના જવાબમાં ઉત્તર મધ્યકાલીન ભક્તકવિ નિષ્કુળાનંદ કહે છેઃ

એક ભૂંસાડીને એકડો રે, વાળ્યાં મીંડાં વીસ
જોતાં સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીસ.

જેમ એકડા વગરનાં મીંડાંનું કોઈ મૂલ્ય નથી એવી જ રીતે આધ્યાત્મિકતા વગર અન્ય સાધનો વ્યર્થ જ સિદ્ધ થાય છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. રાધાક્રિષ્નન્ કહેતા કે આત્મિક કે આધ્યાત્મિક વિકાસ જ સાચો વિકાસ છે.
અહીં એક બાબત ધ્યાન ખેંચે એવી છે. મહાપુરુષો, ચિંતકો કે કવિઓને પ્રગતિનાં સાધનો કે સોપાનો સિદ્ધ કરવા સામે કશો જ વિરોધ નથી. હા, તેમનું કહેવું એટલું જ છે કે આ સાધનો પણ મૂલ્યવાન બની જાય જો તેને આધ્યાત્મિકતાની સાથે જોડવામાં આવે.

આધ્યાત્મિકતાના દિવ્ય સ્પર્શ સાથેની જીવનશૈલી પૂર્ણ અને સંતુલિત વિકાસ લાવે છે. એક વાત સમજવા જેવી કે આધ્યાત્મિકતા જીવનની વાસ્તવિક આવશ્યક્તા છે, માત્ર સકારાત્મક સૂચન તેનું સ્થાન ન લઈ શકે. તમારે તેનું અનુકરણ પણ કરવું જોઈએ, જો તમે તેનું અનુકરણ કરશો, તેને તમારા જીવનમાં ઉતારશો તો જ તમે ખરા આધ્યાત્મિક બની શકશો.

એટલે જ કહેવાયું છેઃ આધ્યાત્મિકતા આત્માની પરમ સંતુષ્ટિ છે. તેને રોજિંદા જીવનમાં આપનાવીને જીવનની પ્રત્યેક પળને આનંદ ઉત્સવ બનાવી શકાય.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 25/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

સુવિચાર – ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૨૪ જાન્યુઆરી ૨૦૨૫

સુવિચાર – ૦૪ એપ્રિલ, ૨૦૨૪

પંચાંગ 25/01/2024