સુરત : સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધી (IAS)એ તા.૨જી ફેબ્રુ.એ પદભાર સંભાળી લીધો હતો. કલેક્ટરએ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે સુરત શહેર-જિલ્લા વિષે માહિતી મેળવી હતી.
એમણે જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓ, વિભાગોની મુલાકાત પણ લીધી હતી. મૂળ મહારાષ્ટ્રના વતની ડો.સૌરભ પારધી ૨૦૧૧ ની બેચના IAS અધિકારી છે. આ અગાઉ, તેઓ ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
તેમણે વર્ષ ૨૦૧૨માં ભરૂચના સુપર ન્યુમરરી આસિ. કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૩માં ધોળકાના આસિ. કલેક્ટર, ૨૦૧૫માં છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, ૨૦૧૬માં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, ૨૦૧૭માં અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી, ૨૦૧૮માં જુનાગઢ કલેક્ટર, ૨૦૨૧માં જામનગર કલેક્ટર અને ૨૦૨૩માં ગુજરાત પ્રવાસન નિગમના એમ.ડી. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ગઈ કાલથી શરૂ થયું છે. નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ઐતિહાસિક છે. આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
આ બજેટના મુખ્ય અંશો નીચે મુજબ છે…
નાણાપ્રધાને રાજ્ય માટે રૂ. 3,32, 465 કરોડનું બજેટ રજૂ કર્યું
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે રૂ. 751 કરોડની જોગવાઈ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. ૩૮૪ કરોડની જોગવાઈ
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે રજૂ કરેલા વચગાળાના બજેટ પર ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપેલા બજેટ પરના પ્રતિભાવો નીચે મુજબ છે. આ કેન્દ્રીય બજેટ વિશે કોણે શું કહ્યું? બજેટ વિશે આર્થિક જગતના નિષ્ણાતોએ આપેલા પ્રતિભાવો આ મુજબ છે…
ગૌરવ મશરૂવાલા (આર્થિક વિશ્લેષક)
નાણાપ્રધાને બજેટમાં સૌથી દૂધ ઉત્પાદક દેશનો ઉલ્લેખ કર્યો છે, જે કૃષ્ણ ભગવાનની વાત છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ તો વિષ્ણુ ભગવાનના અવતાર છે. સરકારે ગરીબના જનકલ્યાણની વાત કરી છે. સરકારે મહિલા સશક્તીકરણની વાત કરી છે. સરકારે આખું બજેટ ભગવાનને સમર્પિત છે. બજેટમાં પૂરા દેશની વાત છે. ભારત માતા પર ગર્વ છે અને G20માં પણ વસુધૈવ કુટુંબકમની વાત હતી. આમ સરકાર સૌનો સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસની વાત કરે છે.
કમલ બંસલ, MD-GVFL
નાણાં મંત્રીએ ઇનોવેશનને વાસ્તવમાં વિકાસનો પાયો ગણાવ્યો છે અને યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. લાંબા ગાળાની મુદત સાથે નીચા અથવા વ્યાજમુક્ત ધિરાણ આપવા રૂ. 1 લાખ કરોડની ફાળવણી ખાનગી ક્ષેત્રની ઉભરતી કંપનીઓને રિસર્ચ અને ઇનોવેશન માટે પ્રોત્સાહન પૂરુ પાડશે. આ પહેલ સ્ટાર્ટઅપ્સ અને યુવા ઇનોવેટર્સ માટે ખૂબ લાભદાયી બનશે. સ્ટાર્ટઅપ્સ અને સોવરિન વેલ્થ તથા પેન્શન ફંડ્સ દ્વારા થતાં રોકાણો પર એક વર્ષ સુધી કર લાભો લંબાવવાની જાહેરાત કરવેરામાં સાતત્ય પ્રદાન કરશે.
આર. મુકુંદન, MD, CEO ટાટા કેમિકલ્સ લિ.
વચગાળાનું બજેટ એ 2047ના વિકસિત ભારતનું વિઝન છે. એ જનકેન્દ્રિત, વૈવિધ્યકરણ અને ભારતની વિકાસની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે, જેનાથી દરેક ભારતીય રાષ્ટ્રીય વિકાસમાં સક્રિય ભાગીદાર બની જાય છે.
બજેટમાં જાહેર કરવામાં આવેલી બાયો-મેન્યુફેક્ચરિંગ અને બાયો—ફાઉન્ડરી યોજનાથી ભારતના ગ્રીન ગ્રોથ મિશનને વેગ મળે છે. આ પહેલ લાંબા ગાળાના 2070ના ઝીરો પ્રદૂષણના લક્ષ્યને ટેકો આપે છે. રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મથી પ્રેરિત થઈને સરકાર ઈ-વેહિકલ ઇકોસિસ્ટમનને મજબૂત કરી રહી છે. જે ભારતના મેન્યુફેક્ચરિંગ હબના લક્ષ્યને સિદ્ધ કરશે. બજેટ આર્થિક નીતિઓ પર કેન્દ્રિત છે, જે પાછલા દાયકામાં અર્થતંત્રમાં થયેલાં પરિવર્તનોને પ્રોત્સાહન આપશે.
ડો. મંજુલા પૂજા શ્રોફ, ફાઉન્ડર અને MD-કેલોરેક્સ ગ્રુપ
બજેટ ફોકસ સામાજિક કલ્યાણ અને વિકાસની તકો મારફત લોકોને ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને સશક્ત બનાવવા પર છે. દેશની આર્થિક ગતિવિધિઓમાં મહિલાઓનું યોગદાન વધારવા મહિલા ઉદ્યોગસાહસિકો માટે આર્થિક સહાયરૂપે ફંડિંગની ઉપલબ્ધતાને વેગ આપતાં પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. સર્વાઈકલ કેન્સર માટે રસીકરણ, માતૃત્વ અને બાળસંભાળ કાર્યક્રમો, મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો, આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન સંબંધિત જાહેરાતો સરકારની આરોગ્ય સંભાળ અને પોષણ વિતરણમાં સુધારો કરવાની પ્રતિબદ્ધતા રજૂ કરે છે. વધુમાં, યુવાનો માટે નવી તકોનાં દ્વાર ખોલતાં ઉભરતા સ્ટાર્ટઅપમાં રિસર્ચ અને ઈનોવેશનને વેગ આપવા લાંબા ગાળાની મુદત સાથે વ્યાજમુક્ત ધિરાણ આપવા રૂ. 1 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજીવ ભાટિયા, એનાલિટિક્સ સોલ્યુશન્સના પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ
હું નાણાપ્રધાનને વચગાળાના બજેટ માટે શુભેચ્છાઓ આપું છું, જેમણે ગયા વખતના બજેટ પર આધારિત છે. બજેટમાં વિકાસ સાધવા માટે, ઉત્પાદકતામાં સુધારો કરવા અને સૌકોઈ માટે તક ઊભી કરવાની નીતિઓને અપનાવતાં નાણાપ્રધાને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બજેટે વિકાસને વેગ આપવા રિસર્ચ અને સંશોધનની ઓળખ કરી છે. તેમણે બજટમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે યુવાઓ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે રૂ. એક લાખ કરોડનું ફંડ ઊભું કર્યું છે, જેથી રિસર્ચ અને ઇન્નોવેશનને પ્રોત્સાહન મળશે અને સરકારના આત્મનિર્ભરતાને ટેકો પૂરો પાડશે.
યતિન ગુપ્તા, CMD-વોર્ડવિઝાર્ડ ઇન્નોવેશન એન્ડ મોબિલિટી લિ.
અમે ઈ-વેહિકલ ઇકોસિસ્ટમને અગ્રણી ઉદ્યોગ બનાવવા માટે અને એક દૂરંદેશી દિશા આપવા માટે નાણાપ્રધાનને શુભેચ્છાઓ આપીએ છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને સુરક્ષિત પેમેન્ટ પદ્ધતિને લાગુ કરવાથી ઉદ્યોગને વેગ આપવામાં મદદ મળશે. પર્યાવરણ પ્રત્યે જાગરુકતા અપનાવાયેલો દૂરંદેશી દ્રષ્ટિકોણ અમારી અપેક્ષા મુજબનો છે.
દિલિપ ઓમ્મેન, AM/NS Indiaના CEO અને ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના પ્રેસિડન્ટ
“આ વચગાળાનું બજેટ રાજકોષીય સમજદારી અને સારી રીતે સંતુલિત અભિગમ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જે જુલાઈમાં જાહેર થનારા બજેટ માટે શુભ સંકેત આપે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો મૂડી ખર્ચ (કેપેક્સ)માં 11.1 ટકાનો વધારો કર્યો છે, જે કુલ ખર્ચ રૂ. 11.1 લાખ કરોડ સુધી લઈ જશે. જોકે આપણે નાણાકીય વર્ષ 2023-24માં સંભવિત ખર્ચ પર નજર કરીએ તો તે લગભગ 9.5 લાખ કરોડ રૂપિયા હતો. તેથી તે વાસ્તવિક દ્રષ્ટિએ લગભગ 17 ટકા વધારો દર્શાવે છે. પરિણામે, સ્થાનિક સ્ટીલની મજબૂત માગ, ખાનગી રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે. – ડિજિટલ, સામાજિક અને ભૌતિક – એમ તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અભૂતપૂર્વ ગતિએ સ્થાપિત કરવાની બાબતને કેન્દ્રમાં રાખવું તે આશાસ્પદ છે. નાણાકીય વર્ષ 24-25 માટે રાજકોષીય ખાધ લક્ષ્યાંક 5.1 ટકા અને રાજકોષીય ખાધ પર સમજદારીભર્યુ વલણ ખરેખર પ્રશંસનીય છે.
પિંકેશ કોટેચા, MD, ચેરમેન- ઇશાન ટેક્નોલોજીસ
વચગાળાનું બજેટ નાણાકીય વર્ષ 24-25નું વિસ્તૃત અવલોકન દર્શાવે છે. અમે અપસ્કિલિંગ અને રિસ્કિલિંગના માધ્યમથી યુવાઓને સશક્ત બનાવવા પર સરકારની પહેલની પ્રશંસા કરીએ છીએ. વધુમાં IITs, IIITs, and IIMsની સ્થાપના IT ક્ષેત્રમાં એક કુશળ પ્રતિભા બનાવવાની દિશામાં એક આશાસ્પદ પગલું છે. જે AIના યુગમાં જરૂરી બાબત દર્શાવે છે.
IT ક્ષેત્રમાં MSME તરીકે કંપની MSMEના વિકાસ અને વૈશ્વિક હરીફાઈ માટે ફાઇનાન્સ, ટેક્નોલોજી અને તાલીમના મહત્ત્વ માટે સરકારના પગલાંની પ્રશંસા કરે છે, જે MSME ઇકોસિસ્ટમ સકારાત્મક અસર કરશે.
દિનેશ ખારા, ચેરમેન, SBI
વચગાળાનું બજેટ નાણાકીય વર્ષ 2026માં 4.5 ટકાની રાજકોષીય ખાધને કાબૂમાં રાખવા માટેનું સ્તુત્ય પગલું છે, જે કોરોના વાઇરસના વર્ષને છોડીને નાણાકીય વર્ષ 2024માં ટેક્સ વસૂલાતમાં આવેલો ઉછાળો સાત વર્ષોમાં સૌથી વધુ છે. આ સિવાય બજેટ પ્રત્યેક ભારતીય માટે એક તક સાધવા માટેનો રોડમેપ તૈયાર કરી આપ્યો છે, ખાસ કરીને સીમાંત અને નબળા વર્ગના લોકો, ઉદ્યોગ સાહસિકો અને મહિલાઓ માટે. જેનાથી તેઓ વિકસિત ભારતમાં ઇક્વિટીહોલ્ડર બની ગયા છે.
અમર અંબાણી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,યસ સિક્યોરિટીઝ
લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં વચગાળાના બજેટ માટે નાણાં મંત્રીએ મોટા ભાગે વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. બજેટ મોટા ભાગે લોકપ્રિય નથી. વર્ષ ૨૦૨૫ માટે નાણાકીય ખાધનો લક્ષ્યાંક અપેક્ષિત ૫.૫ ટકાની સામે ૫.૧ ટકાનો રાખવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૪.૬ ટકાની નાણાકીય ખાધ પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા વૈશ્વિક સૂચકાંકોમાં ભારતીય બોન્ડ્સનો સમાવેશ જોતાં આવશ્યક લાગતી હતી. અન્ય આકર્ષિત કરતાં મુદ્દાઓમાં આગામી પાંચ વર્ષમાં પીએમ આવાસ યોજના ગ્રામિણ સ્તરે બે કરોડ પરવડે તેવાં ઘરોનો વધારાનો લક્ષ્યાંક સામેલ છે, જેમાં સાડાત્રણ કરોડ ઘરો પૂર્ણ થવાની નજીક છે. ઉપરાંત, રાજ્યોને સતત વ્યાજ મુક્ત લોન આપવી અને મૂડીખર્ચ કરવાથી જબરદસ્ત ગ્રોથ થશે.
દિનેશ ઠક્કર, CMD, ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ
નાણાપ્રધાને વચગાળાના બજેટમાં કોઈ નોંધપાત્ર જાહેરાત કરી ન હતી. નાણાકીય વર્ષ 25 માટે 5.1 ટકા રાજકોષીય ખાધનો અંદાજ જાળવી રાખવામાં આવ્યો હતો. ત્યાં કોઈ નોંધપાત્ર આવકવેરાની જાહેરાતો કરવામાં આવી ન હતી, જે ફરીથી રાજકોષીય સમજદારી તરફ નિર્દેશ કરે છે. પરંતુ FMએ બજેટરી કોન્સોલિડેશન માટે એક પડકારજનક ધ્યેય નક્કી કર્યું. અંદાજિત 5.3 ટકા રાજકોષીય ખાધ સામે, FY25 માટે 5.1 ટકા લક્ષ્ય જાહેર કર્યું છે, જે આખરે વધુ આર્થિક વૃદ્ધિમાં મદદ કરશે. FY24માં 5.9 ટકાના લક્ષ્યની તુલનામાં 5.8 ટકાનું ટાર્ગેટ હાંસલ થઈ શક્યું છે.
રોનક ચિરિપાલ, પ્રમોટર, ચિરિપાલ ગ્રુપ.
નિકાસકારો માટે સાનુકૂળ વાતાવરણ પ્રદાન કરીને કર દરો અને અપરિવર્તિત નિકાસ જકાત જાળવી રાખવાના નિર્ણય પ્રશંસા પાત્ર છે. નવી સૌર ઉર્જા નીતિ હેઠળ એક કરોડથી વધુ ઘરોને મફત વીજળીની ફાળવણી એ અમારા સમૂહની “ગ્રુપ એનર્જીી” જેવી નવીનીકરણીય ઊર્જા કંપનીઓ માટે વરદાનનો સંકેત આપે છે. સંશોધન અને નવીનતા પર ભાર, વધતા મૂડી ખર્ચ અને ઘટેલા રાજકોષીય ખાધ લક્ષ્યાંકો સાથે, ભારતના આર્થિક માર્ગ માટે સારી નિશાની છે. રેલવે, એરપોર્ટ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઝડપ ફોકસ, આપણા રાષ્ટ્રની વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓ સાથે સંરેખિત છે. 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતા સાથે ભાગીદારી કરવા માટે અમે ઉત્સાહી છીએ.
નિશા સંઘવી (આર્થિક વિશ્લેષક)
નાણાપ્રધાને રાજકોષીય ખાધ 5.8 ટકા છે, જેને ઓછી કરવાની જરૂર છે. જે આવનારા વર્ષ 2024-25માં 4.6 ટકા લાવવાની વાત છે, એ ઘણી સારી બાબત છે. સર્વાઇકલ કેન્સર માટે માટેના રસીકરણ ખાસ કરીને – નવથી 14 વર્ષ માટેની યુવા છોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં ઓઆવશે એ ઘણી સારી વાત છે. એ સિવાય મહિલાઓની ભાગીદારી વર્કફોર્સમાં વધશે, જે લોકસભામાં પણ કરવામાં એક તૃતીયાંશ કરવામાં આવ્યું છે, જે બેટી પઢાવો, બેટી બચાવોમાં એને પ્રોત્સાહન મળશે. એ સિવાય આંગનવાડી, આશા અને હેલ્પર્સવાળા બહેનોને આયુષ્માન યોજનાનો લાભ મળશે, જે ઘણી સારી વાત છે.
વિરલ ભટ્ટ (આર્થિક બાબતોના નિષ્ણાત)
જુલાઈમાં સંપૂર્ણ બજેટ આવશે, એનું આ વચગાળાનું બજેટ ટ્રેલર જેવું છે, નાણાપ્રધાને આવતાં પાંચ વર્ષની ઝલક આ બજેટમાં દેખાય છે. સરકારે જે વચનો આપ્યાં હતાં એને પૂરાં કર્યાં છે. સરકારે મધ્યમ વર્ગ માટે ઘર માટેની યોજના છે, એ ઘણી સારી છે. નાણાપ્રધાને FDIની નવી વ્યાખ્યા આપી છે- જે ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા. આ અમૃતકાળ છે, આપણે વિકસિત ભારત બનવા તરફ જઈ રહ્યા છે, જે નાણાપ્રધાને એ માટેનો રોડમેપ નક્કી કર્યો છે.
ફોરમ શાહ (આર્થિક બાબતોના નિષ્ણાત)
નાણાપ્રધાને રજૂ કરેલું બજેટ એ WWW- વોટ, વેન્ટ અને વેલ. મોદી સરકારે જે યોજનાઓ ઘડી હતી, એ સરકારે આવતા 25 વર્ષોમાં સરકાર શું કરવા ઇચ્છે છે, એના માટે નાણાપ્રધાન બજેટમાં દ્રષ્ટિકોણ દર્શાવ્યો છે. સરકારે ત્રણ Dની વાત કરી, જેમાં DDD એટલે ડેમોક્રસી, ડેમોગ્રાફી અને ડાયવર્સિટી. સરકારે વિવિધતાની વાત કરી છે, સરકારે આવતાં પાંચ વર્ષમાં એ યોજનાઓ ઘડી છે, એનો ઉદ્દેશ એક જ છે કે દેશ પ્રગતિ અને વિકાસ કરે.
રાશિ છેડા, આર્થિક બાબતોના નિષ્ણાત, મુંબઈ
સરકારે વચગાળા બજેટમાં મહિલાઓ, ખેડૂતો, યુવા અને ગરીબોની વાત કરી હતી. સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સરકારે મહિલા સશક્તીકરણની વાત કરી છે, ખાસ કરીને લખપતિ દીદી યોજનાની વાત કરી છે. સરકાર ગ્રામીણ મહિલાઓને આગળ વધારવાની વાત કરી છે. સરકારે 28 ટકા યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર થઈ રહી છે. સરકારે યુવાઓ માટે 340 યુનિવર્સિટી તૈયાર કરી છે, જેમાં IIT, IIM શરૂ કરી છે, જેના દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ટર પર ફોકસ કર્યું છે, જે સારી વાત છે. સરકારે ખેડૂતો માટે MSP વધારી છે અને પાક વીમો પણ વધારો છે, જેથી ખેડૂતોની આત્મહત્યા કરવાની ઘટનામાં ઘટાડો થયો છે. સરકાર વિકસિત ભારતનો રોડમેપ બનાવી રહી છે.
ભારતી પંજાબી (આર્થિક બાબતોના નિષ્ણાત)
સરકારે સરળ બજેટ રજૂ કર્યું છે, તેમણે ઓછા સમયમાં ઘણુંબધું બતાવ્યું છે કે કઈ રીતે દેશમાં છેલ્લા 10 વર્ષમાં વિકાસ થયો છે. આ સાથે તેમણે આગામી યોજનાઓ પર પરણ પ્રકાશ ફેંક્યો છે. સરકારે બજેટમાં મહિલાઓ માટે કરેલી કામગીરી અને આગામી યોજનાઓ માટે જણાવ્યું છે. સરકારે લખપતિ દીદી યોજનાઓનું લક્ષ્ય ત્રણ કરોડ નિર્ધારિત કર્યું છે. સરકાર વંદે ભારત યોજના હેઠળ 40,000 ડબ્બા બનાવવાની જાહેરાત કરી છે, એ સારી વાત છે. સરકાર ટુરિઝને વેગ આપશે. સરકાર કરમાળખાનું સરળીકરણ કર્યું છે, જે આવકારદાયક પગલું છે.
એ. બાલસુબ્રમણિયન, આદિત્ય બિરલા સન લાઈફ AMCના MD, CEO
નાણાપ્રધાને જાહેર કરેલા વચગાળાના બજેટમાં સ્પષ્ટ નિર્દેશ છે કે સરકારે ફિસ્કલ (રાજકોષીય) ખાધમાં અને દેવાંમાં ઘટાડો કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, વપરાશ અને મૂડી ખર્ચ પર ફોકસ કર્યું છે. નાણાકીય વર્ષ 2025માં નાણાકીય ખાધ જીડીપીના 5.1 ટકા સુધી અંદાજીને સરકારે નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવાનો માર્ગ પકડી રાખ્યો છે. ટેકનોલોજીના ખર્ચ માટે યુવાનોને વ્યાજમુક્ત લોન આપવાનું પગલું વિકાસને વેગ આપશે. કૃષિ અર્થતંત્ર પર ફોકસ કરાયું છે એથી વપરાશ વધશે.
કૌસ્તુભ ગુપ્તા, આદિત્ય બિરલા સનલાઇફ AMCના કો-હેડ ફિક્સ્ડ ઇન્કમ આ અંદાજપત્રનું જમા પાસું એ છે કે સરકારને ફુગાવામાં વધારો કર્યા વિના લાંબા ગાળાનો વિકાસ કરવાનો વિશ્વાસ છે, તેમ છતાં તેણે સંયમિત અંદાજો મૂક્યા છે. માથે ચૂંટણીઓ હોવા છતાં તેણે લોકપ્રિય પગલાં લેવાનું ટાળ્યું છે. અમે માનીએ છીએ કે બેન્ચમાર્ક યિલ્ડ 6.5 ટકા પ્રતિનું રહેશે.
મહેશ પાટીલ, આદિત્ય બિરલા સનલાઇફ AMCના CIO સરકારે આ બજેટમાં ભારે નાણાકીય શાણપણ દાખવ્યું છે. ખર્ચમાં પણ ઝુકાવ મૂડીખર્ચ પ્રતિ છે, જે વાર્ષિક ધોરણે 17 ટકાના દરે વધશે. માર્કેટ બોરોઇંગ રૂ.11.75 લાખ કરોડ રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે તે બજારની અપેક્ષા પ્રમાણેનો છે. બોન્ડ્સ માર્કેટની દ્રષ્ટિએ બજેટ સારું છે, પરંતુ ઈક્વિટી બજારની દ્રષ્ટિએ બજેટ તટસ્થ છે, કારણ કે કંપનીઓની કમાણીમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી.
શેરબજારને નવી ઊંચાઈએ લઈ જવામાં આ બજેટ મોટી ભુમિકા ભજવશે, કારણ કે……
શેરબજાર ભલે સાધારણ ઘટયું, ન રાજી થયું, ન નારાજી બતાવી, કિંતુ આ જ બજેટ શેરબજારને આ વરસે જ નવી ઊંચાઇ પર લઈ જવામાં નિમિત્ત બનશે. માત્ર આ જ નહી, બલકે આગામી વરસોમાં પણ ભારતા આર્થિક -સામાજીક વિકાસમાં આ ઈન્ટરિ બજેટનો નોંધપાત્ર ફાળો હશે.
ગઈકાલે-ગુરુવારે જાહેર થયેલા બજેટમાં ઘણાંને કંઈ દેખાયું નહી, ઉત્તેજના લાગી નહી, શેરબજાર પણ ઠંડું, નરમ અને નિરસ લાગ્યું. બાય ધ વે, આ ઈન્ટરિમ બજેટ હતું, દેશમાં યોજાનારી સામાન્ય ચુંટણી પહેલાનું, જેથી તેમાં બહુ આશા રાખવાની પણ ન હોય, તેમછતાં નાણાં પ્રધાને આ ઈન્ટરિમ બજેટમાં હાલ તુરંત માટે નહી, કિંતુ લાંબા ગાળા માટે ભરપુર આશાઓ આપી છે, તેમ જ વિવિધ લાભો અને તકોની ઓફર મુકી વિકાસનો વિરાટ માર્ગ બનાવી આપ્યો છે. સમજો તો ઈશારા કાફી, ન સમજાય તો અહી આગળ સમજીએ.
કોમન મેન માટે શું?
આપણે કોમન મેન-સામાન્ય માણસ માટે બજેટમાં શું છે તેના પર નજર કરીએ તો નરી આંખે દેખાય એવું નહી, પણ દ્રષ્ટિ હોય તો સમજાય એવું ઘણું છે. નિર્મલા સીતારમણે હાઉસિંગ ફોર મિડલ કલાસ નામની નવી યોજના જાહેર કરી છે, જેને લીધે સામાન્ય માણસ પોતાના માટે ઘર લઈ શકે યા બંધાવી શકે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ (ગ્રામિણ) વધુ બે કરોડ ઘરો બાંધવાની પણ જાહેરાત કરી છે. બાળકો અને મહિલાઓની સ્વાસ્થ્યની કાળજી માટે ખાસ સુવિધા જાહેર કરી છે. આયુષમાન ભારત સ્કિમ હેઠળ વધુ ગરીબ વર્ગોનો સમાવેશ કરાયો છે. જેમાં આંગણવાડી, કામદારો-હેલ્પર્સનો સમાવેશ થશે. જેમની ટેકસ ડિમાંડ રૂ.૨૫૦૦૦ સુધીની વરસ ૨૦૧૦ સુધી ઊભી છે તેમને અને ૨૦૧૧ થી ૨૦૧૫ સુધીમાં રૂ. ૧૦૦૦૦ સુધીની ઊભી છે તેવા કરદાતાઓને રાહત અપાઈ છે, કેમ કે તેમની સામેની આ ડિમાંડ પાછી ખેંચી લેવાઈ છે. આને પગલે એક કરોડ કરદાતાઓને રાહત થશે. આ ઉપરાંત સરકાર એક કરોડ ઘરોને રુફટોપ સોલરાઈઝેશન સુવિધા ઉપલબ્ધ બનાવશે. ત્રણ નવા રેલ્વે કોરિડોર અને વધુ નવા એરપોર્ટસથી પણ પ્રજાને લાભ થશે. ખાસ કરીને નાના શહરોમાં વિમાની સવલત અને રેલ્વેની વધારાની સવલતનો મહત્તમ લાભ લેવાશે.
નાણાંપ્રધાને ગિફટ સિટીમાં આવેલા ઈન્ટરનેશનલ ફાઈ. સર્વિસ સેન્ટર ખાતેની કંપનીઓને આપેલી કરમુકિતનો લાભ માર્ચ 2025 સુધી લંબાવી આપ્યો છે.
ફાઈનાન્સ મિનિસ્ટરે ઈન્કમ ટેકસ કે પરોક્ષ વેરામાં કોઈ ફેરફાર કર્યા નહી એટલે ઘણાંને લાગ્યું જાણે બજેટ આવ્યું જ નથી. કરવેરાના ફેરફાર ન થાય, મોંઘવારી વધશે કે ઘટશે, રાહત આવી કે બોજ વધ્યા એવું બધી બાબતો ન હોય તો બજેટનું અસ્તિત્વ જ નથી એવી લાગણી સામાન્ય પ્રજામાં થઈ હતી, કિંતુ અહી યાદ રાખવું જરૂરી છે કે ઈન્ટરિમ બજેટમાં એ આવે પણ નહી. અહી માત્ર સરકાર પોતાના આર્થિક -સામાજીક હાલ-ચાલ-તાલ કહીને ભાવિ માટે સંકેત આપી શકે, જે જુલાઈમાં તેમજ આગામી પાંચ વરસમાં તેમ જ એ પછી પણ જોવા મળશે.
કયા સેકટર્સને વધુ લાભ-વધુ તકો
બજેટની જાહેરાતો સકારાત્મક હોવાછતાં શેરબજાર ભલે ઘટયું, તેની લાંબા ગાળાની અસરો વધુ સારા પરિણામ આપશે અને એ જ પરિણામ બજારને વધુને વધુ ઊંચે લઈ જવામાં કારણરૂપ બનશે. ઈન્ફ્રાસ્ટ્રકચર, હાઉસિંગ, કૃષિ, ટુરિઝમ, રેલ્વે, નાગરિક ઉડયન, ફુડ પ્રોસેસિંગ, પાવર, વિન્ડ એનર્જી, સોલાર, મેડિકલ, નાના-મધ્યમ ઉધોગો, સ્ટાર્ટઅપ્સ, વગેરેને અપાયેલી રાહતો તેના પરિણામ આપશે. ફાર્મિગને આધુનિક બનાવાશે, ફિશરી માટે તો અલગ ડિવિઝન બનાવાશે. ખેડુતોની આવક વધે એવા પ્રયાસ થશે, સામાન્ય પ્રજાને પોષાય એવા દરે ટેકનોલોજી ઉપલબ્ધ કરાશે. લાંબા ગાળાના ધિરાણ ઉપલબ્ધ કરાશે, રાજયો સાથે પણ ધિરાણ બાબતે વધુ પ્રોત્સાહન અપાશે. સાહસિકતાને વેગ અપાશે. ડેરી અને એનિમલ હસબન્ડરીને પ્રમોટ કરાશે. કૃષિ ક્ષેત્રે ખાનગી અને જાહેર રોકાણ વધારાશે. હાલ ભલે કિસાનોને કંઈ સીધું અપાયું નથી, પરંતુ તેમને લાભ થાય એવા પગલાં અવશ્ય આ બજેટમાં સામેલ છે.
હવે રાહ જુઓ જુલાઈની
નાણા પ્રધાને એક વાત ભારપૂર્વક કહી છે કે મોદી સરકાર રિફોમ્સમાં માને છે, તેમ જ રાષ્ટ્ર પ્રથમ (નેશન ફર્સ્ટ) ગણે છે. તેથી જ છેલ્લા દસ વરસમાં જે બન્યું છે તે રાષ્ટ્ર હિતોને ધ્યાનમાં રાખી બન્યું છે. હવે સરકાર ૨૦૧૪ પહેલાં શું હતું અને હવે શું છે તેનું વિશ્લેષણ કરતું શ્વેતપત્ર બહાર પાડવાની છે. અહી એ નોંધવું મહત્વનું છે કે ૨૦૧૪માં મોદી સરકાર બની ત્યારે દેશ સામે અનેક કપરાં પડકારો હતા, એ પછી દસ જ વરસમાં મોદી સરકારે કહયું હતું તે કરી બતાવ્યું છે, જેનો પુરાવો દેશના વિકાસ સ્વરૂપે સૌની નજર સામે છે. હવેનું લક્ષ્ય ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે, જેનો સંકેત આ ઈન્ટરિમ બજેટે વધુ જાહેરાતો અને યોજનાઓ અને લક્ષ્યો સાથે આપી દીધા છે. હવે મોદી સરકારની વાપસી અને જુલાઈમાં પૂર્ણ બજેટની પ્રતિક્ષા કરવી રહી અને ઊંચી આશા પણ રાખવી રહી….
ગુરુવારે લોકસભામાં રજૂ થયેલું બજેટ ઈન્ટરિમ હોવાછતા તેની માટે ઘણું કહેવા-સમજવા જેવું છે. એક કરોડ સોલર રૂફ ટોપથી વીજળીના ખર્ચમાં વર્ષે રૂ.21000 કરોડની બચત થશે. આ જે બચત થશે તેના ઉપયોગને પગલે અર્થતંત્રમાં વપરાશ વધશે, એટલે કે આવાસ, ઓટો, ઘરવપરાશની ચીજો, વ્યક્તિગત વપરાશની ચીજો અને અન્ય માલોની માગ વધશે. કંઝ્મ્પશન વધવાને કારણે સરકારની જીએસટીની આવકમાં 2500-3000 કરોડ રૂપિયાનો વધારો થશે.
આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ આવાસ બાંધવાને પગલે આશરે 150 ઉદ્યોગોની માગ વધવાને કારણે પણ આવક વધશે. રૂ.11.11 લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવશે, એથી એન્જિનિયરિંગ, કોમોડિટીઝ સર્વિસીસ ક્ષેત્ર, કેપિટલ ગુડ્સ ક્ષેત્રે માગ વધશે. રેલવે પાછળ રૂ.2.5 લાખ કરોડ ખર્ચવામાં આવશે,જેથી રેલવે સંબંધિત સંખ્યાબંધ ઉદ્યોગોને વેગ મળશે.
રિન્યુએબલ ગ્રીન એનર્જી હાઈડ્રોજન પેદા કરવા માટેના ઈલેક્ટ્રોલાઈઝરની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, જેને કારણે દેશનું અર્થતંત્ર સ્થાનિક તેમ જ વૈશ્વિક સ્તરે અધિક સ્પર્ધાત્મક બની રહેશે. સરકાર નાણાકીય ખાધ અને ઋણને સીમિત રાખશે એટલે વ્યાજખર્ચની બચત થશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. આ ઉપરાંત સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે કરેલી સંખ્યાબંધ ઘોષણાઓ નિઃશંક અર્થતંત્રને વેગ આપશે.
આશિષકુમાર ચૌહાણ (નેશનલ સ્ટોક એક્સચેન્જ, એમડી અને સીઈઓ)
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાણાકીય શિસ્ત, કલ્યાણલક્ષી અને વિકાસતરફી દરખાસ્તો જાહેર કરીને નાણાકીય વર્ષ 2025 માટેની “વિનિંગ ફોર્મ્યુલા” રજૂ કરી છે. ભારત હજી પણ ગરીબ દેશ છે અને કોઈ વિકાસશીલ દેશ તેની અસમાનતાઓ પ્રતિ ધ્યાન આપ્યા વિના અને મજબૂત સામાજિક સલામતી વ્યવસ્થા વિના વિકસિત બન્યો નથી. નાણાપ્રધાને જાહેર કરેલાં લોકકલ્યાણનાં પગલાં આવકાર્ય છે. નાણાકીય ખાધ 5.1 ટકા સુધી ઘટાડવાનો અને નવા નાણાકીય વર્ષ માટે ઋણ લેવાના નક્કી કરાયેલા નીચા લક્ષ્યાંકો પણ આવકારદાયક છે, કેમ કે એને પગલે ખાનગી ક્ષેત્રને વધુ સંસાધનો ઉપલબ્ધ થશે.
ફુલ માર્કસ
હું આ વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. આમાં આર્થિક નીતિઓ ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરાયું છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહી છે. બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે એકંદરે આર્થિક વૃદ્ધિ માટે સારો સંકેત આપે છે અને તેના લીધે આપણે અનિશ્ચિતતાઓથી ભરેલા વિશ્વમાં સારી સ્થિતિમાં રહીએ છીએ. રાજકોષીય કન્સોલિડેશન સતત કેન્દ્રસ્થાને રહ્યું છે. નાણાંકીય વર્ષ 2024-25 માટે રાજકોષીય ખાધ ઘટીને 5.1% રહેવાનો અંદાજ મુકાયો છે, જે અપેક્ષા કરતા વધુ સારી છે અને સરકાર વર્ષ 2025-26 સુધીમાં 4.5% કરતાં ઓછી રાખવાના લક્ષ્ય અંગે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પીએસયુ સસ્તામાં ન વેચવાનો વ્યુહ
૨૦૨૪ના વચગાળાના કેન્દ્રીય બજેટમાં ડિસ્ઈન્વેસ્ટમેન્ટનો નીચો લક્ષ્યાંક રખાયો છે. ડિસ્ઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ.50,000 કરોડનો નક્કી કરવામાં આવ્યો છે તે સૂચવે છે કે સરકારે તેના વ્યૂહમાં ફેરફાર કર્યો છે. એવું લાગે છે કે સરકાર જાહેર સાહસોનું સસ્તામાં વેચાણ કરવા માગતી નથી. બલકે યોગ્ય કિંમતે વેચાણ કરવા માગે છે. આપણે તાજેતરના ભૂતકાળમાં જોયું છે કે ડિસ્ઈવેસ્ટમેન્ટની સાથે સાથે સરકાર જાહેર સાહસોની કામગીરી મજબૂત કરવા માગે છે. સરકાર ઈચ્છે કે સસ્તામાં વેચાણ કરવાને બદલે વાજબી સમય ગાળામાં પબ્લિક સેક્ટર યુનિટ્સના ડિસ્ઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં શ્રેષ્ઠ કિંમત પ્રાપ્ત થઈ શકે છે.
અગાઉની સરકારો ડિસ્ઈવેસ્ટમેન્ટ લક્ષ્યાંક માટે બજેટમાં સંસાધનોની દૃશ્યતાના અભાવે “ગોઠવણો” કરતી હતી, જ્યારે વર્તમાન સરકારના અંદાજો વધુ વાસ્તવિક છે.
નાણાકીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) જીડીપીના 5.1 ટકા સુધી સીમિત રાખવાના પગલા સહિત જો બજેટ રોકાણકારતરફી છે તો શા માટે બજારો ફ્લેટ છે? સરકાર એક દસકાની તેની સિદ્ધિઓ વિશે બધાને જણાવી રહી છે અને મોટા ભાગની ઘોષણાઓ પૂરી કરવામાં આવી છે. એ ઉપરાંત વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે કશો ફોડ પાડવામાં આવ્યો નથી એટલે વિદેશી રોકાણકારો દૂર રહ્યા છે.
કેપિટલ ખર્ચમાં વૃધ્ધિ
કેપિટલ ખર્ચ 16.9% વધીને રૂ. 11.11 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે જીડીપીના 3.4% જેટલો છે અને 26 વર્ષમાં સૌથી વધુ છે અને તેમાં રસ્તાઓ, પરિવહન અને રેલવે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં 27%નો કમ્પાઉન્ડિંગ ગ્રોથ સૂચવે છે. ખર્ચની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. મૂડી ખર્ચ હવે કુલ ખર્ચના 23.3% જેટલો છે જે 30 વર્ષમાં સૌથી વધુ છે. એકંદરે, આ બજારો માટે સકારાત્મક બજેટ છે, જેમાં વૃદ્ધિ, સમજદારી અને પારદર્શિતા પર સતત ધ્યાન આપવામાં આવ્યું છે.
વૈશ્વિક સ્તરે ભૂરાજકીય સમસ્યાઓ, ફુગાવાનો અને વ્યાજનો ઉંચો દર તથા અર્થતંત્રની નાજુક સ્થિતિ જેવા સંજોગો વચ્ચે ભારત ખમતીધર અર્થતંત્ર છે એ બાબત વચગાળાના બજેટ પરથી સ્પષ્ટ થઈ રહી છે. આગામી નાણાકીય વર્ષ માટે કુલ કરજ 14.13 ટ્રિલ્યન રૂપિયા રહેવાનો અંદાજ છે અને મૂડીગત ખર્ચમાં વધારો કરીને એનું પ્રમાણ 11.1 ટ્રિલ્યન રૂપિયા કરવામાં આવવાનું છે. સાથે સાથે રાજીકોષીય ખાધનું પ્રમાણ જીડીપીના 5.1 ટકા સુધી સીમિત રાખવાનું લક્ષ્ય નકકી કરાયું છે. આ રીતે સરકારે મૂડીખર્ચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સરકારી ખર્ચ વધે ત્યારે અર્થતંત્રની વૃદ્ધિ પર એનું ઘણું સારું પરિણામ આવે છે, એ સિદ્ધાંતના આધારે સરકારે આ નિર્ણય લીધો છે. સાથે સાથે સરકારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય
ગરીબો, યુવા વર્ગ, ખેડૂતો અને મહિલાઓ એ ચારેય વર્ગોને કેન્દ્રમાં રાખીને વિકાસ માટેનાં પગલાં ભરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ માટેની ફાળવણી વધારવામાં આવી છે. નોંધનીય છે કે આયુષ્માન ભારત યોજના આશા અને આંગણવાડી વર્કર્સ તથા સહાયકોને આવરી લેશે. આ રીતે દેશમાં સર્વસમાવેશક વિકાસ સાધવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ બજેટનું અન્ય મુખ્ય પાસું એટલે આત્મનિર્ભર ભારત અને કાર્બનનું પ્રમાણ ઘટાડવા માટેના પગલાં. અદ્યતન તંત્રજ્ઞાનમાં નાણાંનું રોકાણ કરીને કાર્બનનું પ્રમાણ ઘટાડવા માટેનાં પગલાં લેવામાં આવવાનાં છે. સરકારે ખાનગી ક્ષેત્રે સંશોધન અને વિકાસ કાર્યને વેગ આપવા માટેની યોજના ઘડી છે અને સાથે સાથે એક કરોડ ઘરોમાં સૌર ઉર્જાનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. એ જ રીતે કમ્પ્રેસ્ડ બાયોગેસની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે આધુનિકતા લાવવા માટેની નવી યોજના દાખલ કરાઈ છે. આ રીતે ઉચ્ચ દરજ્જાની અદ્યતન ટેક્નૉલૉજીમાં રોકાણ વધશે.
માળખાંકીય સુવિધાઓમાં સુધારા
સરકારે રેલવે, પોર્ટ્સ, ઉડ્ડયન અને માર્ગ પરિવહન એ બધાં ક્ષેત્રે રોકાણ વધારવાનું નક્કી કર્યું છે, જેને લીધે દેશનો સર્વાંગી વિકાસ થશે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના હેઠળ રેલવે કોરિડોરનું નિર્માણ કરવાથી લોજિસ્ટિક્સનો ખર્ચ ઘણો ઘટશે. માળખાકીય સુવિધાઓની ગુણવત્તા સુધારવા માટે તથા જાહેર પરિવહન સુધારવા માટે પણ પગલાં ભરવામાં આવવાનાં છે. સર્વાંગી વિકાસ અને આર્થિક સુધારાને પ્રાથમિકતા આપવાની સરકારી નીતિ ચાલુ રહેશે, એવું વચગાળાના બજેટ પરથી સ્પષ્ટ થયું છે. એની સાથે સાથે માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે વધુ રોકાણ કરવા માટે સરકારે કરવેરાના અનુપાલન દ્વારા સંસાધનો ઊભાં કર્યાં છે. હાલના કરવેરાના માળખામાં કોઈપણ ફેરફાર કર્યા વગર અનુપાલન સુધારીને વધુ કરવેરા આવક ઊભી કરવાનું લક્ષ્ય છે, જે ઘણી સકારાત્મક બાબત કહેવાય.
ઈકિવટી માર્કેટ પર અસર
નાણાપ્રધાને નાગરિકો માટેની નિશ્ચિત જુના વર્ષોની પ્રત્યક્ષ કરવેરાની લેણી કે ડિમાંડની નીકળતી રકમ માફ કરવાનો જે નિર્ણય લીધો છે એનાથી આશરે 1 કરોડ કરદાતાઓને લાભ થશે. સરકારે વિકાસ પાછળ ખર્ચ કર્યો છે પરંતુ સાથે સાથે રાજકોષીય વ્યવહાર્યતા જાળવી રાખી છે. આ રીતે, નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધનું પ્રમાણ જીડીપીના 4.5 ટકા કરતાં ઓછું કરી દેવાના લક્ષ્યનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. વચગાળાના આ બજેટની ઈક્વિટી માર્કેટ પર સાનુકૂળ અસર થવાની શક્યતા છે. માર્કેટને હવે લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ આવનારી નવી સરકારના સંપૂર્ણ બજેટની પ્રતીક્ષા રહેશે.
જેવી રીતે કોઈ ગાડી ખરીદે છે અને તેનાથી કમાણી કરે છે તેવી જ રીતે આ શરીર રૂપી ગાડી પુણ્ય કમાવા માટે છે. ખૂબ કમાણી કર્યા પછી જો ગાડી નકામી થઈ જાય તો તે વ્યક્તિ પોતાની કમાણી જોઈને ખુશ થાય છે, ન કે નકામી ગાડી જોઈને દુઃખી થાય છે. તેવી જ રીતે આ શરીર રૂપી ગાડી દ્વારા આપણે એટલું બધું પુણ્ય કમાઇયે કે આ ગાડી નાશ પામ્યા પછી પણ તેના દ્વારા કરવામાં આવેલ કમાણીને આધારે મન પ્રસન્નતાનો અનુભવ કરતું રહે. જે વ્યક્તિ જીવતા જીવત શરીરથી ન્યારા બનીને પરમધામ જવાના અભ્યાસી થઈ જાય છે તેમને મૃત્યુ એક રમત નજર આવે છે. તેઓ દરેક સેકન્ડને અંતિમ સેકન્ડ સમજે છે તેમની આત્મિક સ્થિતિ એટલી બધી મજબૂત બની જાય છે કે તેમને આ કળિયુગી સંસાર સાર વગરનો નજર આવે છે.
વસ્તુ, વ્યક્તિ તથા વૈભવ ઉપર તેમની નજર ગરમ તાવડી ઉપર પડેલ પાણીના ટીંપાની જેમ ટકતી જ નથી. તેઓ દરેક શ્વાસ તથા સંકલ્પને સફળ બનાવતા જાય છે. તેઓ પોતાને અકાલ મૂર્ત પરમાત્માની સંતાન માસ્ટર અકાલ મૂર્ત સમજે છે. તમનું દરેક કાર્ય પરમપિતા પરમાત્માની શ્રીમત અનુસાર હોય છે. મૃત્યુ તેમને વરદાન સમાન લાગે છે. શરીર રૂપી પાંજરા થી મુક્ત થવાની આ સેકન્ડ તેમને ખૂબ સુખ આપનાર લાગે છે. શરીરનો જન્મ કર્મોના હિસાબ-કિતાબના આધારે થયો છે. જ્યારે આત્માના શરીરને આધાર બનાવીને કરવામાં આવતા આપવા-લેવાના હિસાબ પૂરા થઈ જાય છે ત્યારે આ શરીર પણ ખલાસ થઈ જાય છે. આથી કર્મોના આધારે બનવા વાળા આ શરીર સાથે કેવો મોહ? મોહમાં તો વ્યક્તિ આંધળો બની જાય છે. આત્મિક પ્રેમ તેને ત્રીજી આંખ આપે છે. તો આ વિનાશી શરીરના મોહમાં અંધ બનવાના બદલે આપણે અવિનાશી આત્માના સ્નેહી બની શા માટે ત્રીજું નેત્ર પ્રાપ્ત ન કરીએ!
આપણે સૌ જાણીએ છીએ કે આ સંસાર કર્મોના આધારે ચાલે છે. કર્મનું ફળ ફરજિયાત ભોગવવાનું હોય છે. શરીર કર્મ કરવા માટે એક સાધન છે. શરીરની વિવિધ કર્મેન્દ્રિયો મનના આદેશ અનુસાર પોતાની ક્રિયાઓ કરે છે. આ ક્રિયાઓ જો સુખ ઉત્પન્ન કરનાર હોય છે તે વ્યક્તિના કર્મના ખાતામાં પુણ્ય જમા થાય છે. અને જો તે ક્રિયાઓ દુઃખ ઉત્પન્ન કરનાર હોય છે. તો તે વ્યક્તિના ખાતામાં પાપ જમા થાય છે. જીવતા મનુષ્યમાં વિચારોની ઉત્પત્તિનો આધાર આત્મા છે. આત્મા મસ્તકમાં રહે છે.
આત્માના વિચાર અનુસાર જે ભાવ બને છે તે આંખો દ્વારા પ્રત્યક્ષ થાય છે આ વિચારોની ઝડપ જો વધી જાય તો તે મુખ દ્વારા પ્રગટ થાય છે. તેના કરતાં પણ જેવો ઝડપ વધી જાય તો હાથ વગેરે દ્વારા કર્મમાં આવી જાય છે. કર્મના સિદ્ધાંત અનુસાર કોઈપણ ખરાબ વિચાર જો મનમાં વીજળીની જેમ આવ્યો અને જતો રહ્યો તો તે પાણીમાં રેખા બરાબર છે. જો તે ભાવ બની આંખો દ્વારા પ્રગટ થાય છે તો રેતી પર રેખા કરવા બરાબર છે. જો તે વાણીમાં આવી જાય તો પથ્થર પર રેખા બરાબર છે અને જો તે કર્મમાં આવી જાય તો લોખંડ પર રેખા સમાન ઊંડો પ્રભાવ છોડીને જશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
નવી દિલ્હીઃ ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં આ મામલે દખલ દેવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે સોરેનને ઝારખંડ હાઇકોર્ટ જવા નિર્દેશ આપ્યા છે. કોર્ટ દરેક જણ માટે ખુલ્લી છે અ હાઇકોર્ટ બંધારણીય કોર્ટ છે. અમે એક વ્યક્તિને મંજૂરી આપીશું તો અમારે બધાને મંજૂરી આપવી પડશે, એમ કોર્ટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે એ અરજી પર રાંચી હાઇકોર્ટને જલદી સુનાવણી કરવાના નિર્દેશ આપવાની માગ પણ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે બંધારણીય કોર્ટને નિયંત્રિત કરીશું. કોર્ટના આ વલણ પછી હવે સોરેન ટૂંક સમયમાં હાઇકોર્ટમાં સુનાવણીની માગ કરે એવી શક્યતા છે.
EDએ સોરેનની ધરપકડ પછી દાવો કર્યો હતો કે ધરપકડ કરવામાં આવેલા ઝારખંડના ભૂતપૂર્વ મંત્રી સોરેનના ગેરકાયદે અને ઉપયોગમાં આશરે 8.5 એકરની એક ડઝન જમીન છે. મુખ્ય મંત્રી પદથી રાજીનામું આપ્યા પછી સોરેન (48)ની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ તેમની સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.
બીજી બાજુ, ઝારખંડમાં ચંપઈ સોરેન સરકારની રચના થશે. ચંપઈ સોરેનના શપથ કાર્યક્રમથી પહેલાં JMMના અધ્યક્ષ શિબુ સોરેન પાસે આશીર્વાદ લીધા હતા. જોકે સૌની નજર ઝારખંડમાં PMLA કોર્ટ પર છે, કેમ કે કોર્ટ સોરેનના રિમાન્ડ પર ચુકાદો આપશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 187 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,25,792 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,451 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,90,960 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 141 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1381 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,86,446 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 456 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.