Home Blog Page 1820

ચૂંટણી પંચે અત્યાર સુધીમાં રૂ. 8889 કરોડ જપ્ત કર્યા

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે 2 દિવસ બાકી છે. દરમિયાન ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા મની પાવરના ઉપયોગને રોકવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ શ્રેણીમાં ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર નાણા અને નશીલા પદાર્થો જપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. પંચે કહ્યું કે અત્યાર સુધી ચૂંટણી સમયે જપ્ત કરાયેલી વસ્તુઓની સંખ્યા 8889 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાંથી 45% જપ્ત દવાઓની છે. મની પાવર વિરુદ્ધ ચૂંટણી પંચની કાર્યવાહીમાં 8889 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણી સમયે જપ્તીનો આંકડો ટૂંક સમયમાં 9000 કરોડ રૂપિયાને પાર કરી જશે. નોંધનીય છે કે 45 ટકા હુમલા ડ્રગ્સ અને નશીલા પદાર્થોના છે. જેના પર પંચનું ખાસ ધ્યાન છે.

જપ્ત કરાયેલી 45% વસ્તુઓમાં ડ્રગ્સનો સમાવેશ થાય છે – ECI

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભારતીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીમાં ભડકાવનારાઓ સામે સૌથી કડક કાર્યવાહી કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે ગેરકાયદેસર નાણાં, માદક દ્રવ્યો, મફત બીજ અને કિંમતી ધાતુઓના રેકોર્ડ જપ્ત કર્યા છે. ચૂંટણી પંચે આજે ચૂંટણીમાં કાળા નાણા અને મની પાવરના ઉપયોગને રોકવા માટે રૂ. 8889 કરોડ જપ્ત કર્યા છે, જેમાંથી 45% જપ્તીમાં ડ્રગ્સના જથ્થાનો સમાવેશ થાય છે.

ECI આવી કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે

ચૂંટણી પંચે કહ્યું કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ એટલે કે પાંચમા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા જ 8889 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ રકમ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલી કુલ રકમ કરતાં ઘણી વધારે છે.

પંચના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો, આવકવેરા, આવકવેરા ગુપ્તચર સર્વેલન્સ વિભાગ, કસ્ટમ્સ, આબકારી, સ્થાનિક પોલીસ અને અર્ધ લશ્કરી દળના અધિકારીઓની તકેદારી અને સંકલન સાથે, ચૂંટણી પંચ કડકતા સાથે સમાન પગલાં લેવાનું ચાલુ રાખશે.

ચૂંટણી મની પાવરથી પ્રભાવિત થાય છે

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત, પંજાબ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમમાં ચૂંટણી દરમિયાન જંગી જપ્તી કરવામાં આવી છે. પંચે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગયા મહિને સામાન્ય ચૂંટણીની જાહેરાત કરતી વખતે મની પાવરને મોટો પડકાર ગણાવ્યો હતો. તે દરમિયાન ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં રાજકીય નેતાઓની મદદ કરનારા લગભગ 106 સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે.

સાયન્સ સિટી ખાતે ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નો પ્રારંભ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે ઉનાળુ વેકેશનને લઈને ખાસ 18 મે થી 31 મે સુધી ‘સમર સાયન્સ પ્રોગ્રામ -2024’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંગળવારથી શનિવાર એમ સપ્તાહના પાંચ દિવસ સવારના 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વિવિધ વર્કશોપ્સ યોજવામાં આવશે. જેમાં મોડેલ રોકેટ્રી, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, 3-D મોડેલિંગ અને પ્રિન્ટિંગ, મેથ્સ થ્રૂ ઓરિગામી, ફન ફિઝિક્સ, વન્ડર ઓફ કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ મેકિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેક્નોલોજી ઓન હોમ ઓટોમેશન, ટેલિસ્કોપ મેકિંગ, ડ્રોન એન્ડ એરોડાયનેમિક્સ જેવા વર્કશોપ્સનો સમાવેશ થાય છે.

18 મેના રોજ આ પ્રોગ્રામનો પ્રારંભ થયો. જે 31 મે સુધી ચાલશે. પ્રોગ્રામના પ્રથમ દિવસ મોડેલ રોકેટ્રી વર્કશોપ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને રોકેટ કઈ રીતે બનાવવામાં આવે છે તે શીખવાડમાં આવ્યું હતું. ગમ, સ્ટીલની પાઈપ અને સીઝરની મદદથી સહભાગી વિદ્યાર્થીઓએ પેપર રોકેટ બનાવ્યા હતા અને પાઈપ તથા બોટલના બનેલા લોન્ચિંગ પેડની મદદથી હવામાં ઉડાવ્યા હતા. મોડેલ રોકેટ્રીના વર્કશોપમાં વિદ્યાર્થીઓને ન્યૂટનના અને બર્નોલીના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા.

વેકેશનની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાનને સરળતાથી સમજી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે આ ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નું આયોજન કરવામાં આવ્યું છે. 14થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આ વર્કશોપ્સમાં વિનામૂલ્યે ભાગ લઈ શકે છે.મહત્વનું છે કે ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.

લોકસભા ચૂંટણી:ભાજપના એ ગુજરાતી સાંસદો જેનો મુંબઈમાં રહ્યો દબદબો

લોકસભા ચૂંટણીનું ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. પાંચમા તબક્કાનું મતદાન 20 મેને સોમવારના રોજ થવાનું છે. આ તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદારો તેમના મતાધિકારના અધિકારનો ઉપયોગ કરશે. મુંબઈમાં પણ આ જ દિવસે મતદાન થવાનું છે. મુંબઈની છ લોકસભા બેઠકો પર ખરાખરીનો રંગ જામ્યો છે. 6 બેઠકમાંથી ત્રણ બેઠક પર શિવસેના વર્સીસ શિવસેના છે. મુંબઈમાં ગુજરાતી મતદારોની ભૂમિકા મહત્વની હોય છે. પરંતુ જો ઉમેદવારની વાત કરીએ તો આ વખતે માત્ર એક જ ઉમેદવાર ગુજરાતી છે, મિહિર કોટેચા. જે મુંબઈ નોર્થ ઈસ્ટ પર ભાજપ તરફથી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આપણે જાણીએ લોકસભા ચૂંટણી દરમિયાન અગાઉ ભાજપના કયા ગુજરાતીઓ ચહેરાઓનો મુંબઈમાં દબદબો રહ્યો છે.

1. જયવંતિબહેન મહેતા

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને દિગ્ગજ ગુજરાતી નેતાઓમાંના એક એટલે જયવંતિબેન મહેતા. જયવંતિ બેન મહેતા મુંબઈથી લોકસભાના સાસંદ રહી ચૂક્યા છે અને 1999માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં રાજ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. જયવંતીબેનનો જન્મ 20 ડિસેમ્બર 1938ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થયો હતો. તેણીએ 1962 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1968માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા. ત્યારબાદ તેણી ફરીથી ચૂંટાઈ આવ્યાં અને 10 વર્ષ માટે મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સેવા આપી.1975માં જાહેર કરાયેલી ઈમરજન્સી દરમિયાન તે 19 મહિના સુધી જેલમાં રહ્યા હતા. જયવંતીબેન 1978માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા હતા અને ઓપેરા હાઉસ મતવિસ્તારમાંથી 1985 સુધી 2 ટર્મ સુધી સેવા આપી હતી.

વર્ષ 1980માં જયવંતિબહેન મહેતા ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા હતા અને 1988 માં તેણીને અખિલ ભારતીય સચિવ બનાવવામાં આવ્યા હતાં. 1989માં તેણી પ્રથમ વખત લોકસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ 1996 અને 1999માં પણ તેમણે લોકસભામાં પોતાની જગ્યા બનાવી રાખી હતી અને 1999 થી 2004 સુધી વાજપેયી સરકારમાં પાવર રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતાં.જયવંતીબેને 1991 થી 1995 સુધી ભાજપના મહિલા મોરચાના પ્રમુખ તરીકે અને 1993 થી 1995 સુધી ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. તેણીએ 1989માં 9મી લોકસભામાં મુંબઈ ઉત્તર પૂર્વ મતવિસ્તાર અને 1996 અને 1999માં 11મી અને 13મી લોકસભામાં મુંબઈ દક્ષિણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1999ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મુરલી દેવરાને 10,243 મતોથી હરાવીને જયવંતીબેન સંસદમાં પહોંચ્યા હતા.વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં તેમની લડાઈ કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરા સામે થઈ હતી. ત્યારે 137,956 મત સાથે મિલિંદ દેવરાએ વિજય મેળવ્યો હતો. વર્ષ 2016માં ટૂંકી બિમારી બાદ 78 વર્ષની વયે જયવંતિબહેન મહેતાનું નિધન થયું હતું.

2. કિરિટ સોમૈયા

મહારાષ્ટ્ર બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા પણ ગુજરાતી છે. તેમણે 16મી લોકસભા અને 13મી લોકસભામાં મુંબઈ ઉત્તર-પૂર્વનું પ્રતિનિધિત્વ કર્યું હતું.હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર એકમના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. કિરીટ સોમૈયાનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો હતો. તેમણે 1979માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સ્નાતક થયા અને ઓલ ઈન્ડિયા મેરિટ લિસ્ટમાં પણ સ્થાન મેળવ્યું. જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી ત્યારે એક વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે સોમૈયાએ 1975માં જયપ્રકાશ નારાયણની બિહાર ચળવળમાં ભાગ લીધો હતો. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા અને મહારાષ્ટ્ર વિધાનસભા અને મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા મતવિસ્તારમાં મુલુંડ વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું.

વર્ષ 1995માં કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડ્યા અને મુલુંડ વિધાનસભામાંથી ચૂંટાયા હતાં. આ ચૂંટણીમાં તેમણે 43,527 મતોના માર્જિનથી જીત મેળવી હતી.ધારાસભ્ય તરીકે તેમણે મહારાષ્ટ્ર એસેમ્બલીમાં 2 મોટા અધિનિયમો પસાર કર્યા – મહારાષ્ટ્ર સ્મોલ ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન એક્ટ, રિપીલ ઓફ કોરોનર્સ કોર્ટ (પોસ્ટ મોર્ટમ) એક્ટ અને હાઉસિંગ સોસાયટી કન્વેયન્સ બિલ રજૂ કર્યું. 1999ની લોકસભા ચૂંટણીમાં સોમૈયાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન ગુરુદાસ કામતને 7,276 મતોના માર્જિનથી હરાવ્યા હતા. એક સાંસદ તરીકે તેમણે લોકસભામાં તેમના કાર્યકાળ દરમિયાન સંસદમાં મહત્તમ 11 અરજીઓ રજૂ કરી (13મી લોકસભામાં રજૂ કરાયેલ કુલ 27 અરજીઓમાંથી) જે ઇતિહાસમાં કોઈપણ સાંસદ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીઓની સૌથી વધુ સંખ્યા હતી. 2004 અને 2009માં પણ તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતાં. પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. પછી 2014માં ફરી ભાજપે લોકસભા ચૂંટણીમાં કિરિટ સોમૈયાને મુંબઈ ઉત્તર પૂર્વમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા. ત્યારે તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વર્તમાન ઉમેદવાર સંજય દિના પાટીલને 317,122 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. ગત વર્ષે એટલે કે 2023માં કિરિટ સોમૈયાનો આપત્તિજનક એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોના દ્રશ્યોએ હોબાળો મચાવી દીધો હતો.

3. મનોજ કોટક

મનોજ કોટક મહારાષ્ટ્રમાં ભાજપના અગ્રણી નેતાઓમાંના એક છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ મુંબઈ નોર્થ ઈસ્ટથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વખત કોર્પોરેટર તરીકે સેવા આપી હતી અને કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા હતા મનોજ કોટક સામાજિક કાર્યકર તરીકે ખૂબ જ સક્રિય રહે છે. તેમની પત્નીનું નામ સીમા મનોજ કોટક છે અને તેમને બે બાળકો છે. મનોજ કોટકે મહિલાઓમાં સ્વ-રોજગાર ચળવળ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઘણું કામ કર્યું છે.

મનોજ કિશોરભાઈ કોટકનો જન્મ રાજકોટમાં થયો હતો. 2019માં કિરિટ સોમૈયાનું પત્તુ કાપીને ભાજપ પાર્ટીને મનોજ કોટકને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. ભારતીય સામાન્ય ચૂંટણીમાં મુંબઈના ઉત્તર પૂર્વ મતવિસ્તારમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના ઉમેદવાર સંજય દિના પાટીલ સામે 2.26 લાખ મતોના માર્જિનથી તેમણે જીત હાંસિલ કરી હતા. હાલમાં તેઓ મુંબઈ ઉત્તર પૂર્વના સાંસદ છે. જોકે આ વખતે ભાજપે આ સીટ પર તેમનું પત્તુ કાપીને બીજા ગુજરાતી નેતા મિહિર કોટેચાને ટિકિટ આપી છે. પોતાની ટિકિટ કપાતા મનોજ કોટકે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

અર્બન હીટ આઇલેન્ડની અસર

મે મહિનાની શરૂઆતમાં જ ભારતીય મહાનગરો દિલ્હીમાં 33 ડિગ્રી સેલ્સિયસ, ચેન્નઈ તથા બેંગલુરુમાં 37 ડિગ્રી સેલ્સિયસ તેમજ મુંબઈમાં 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ‘અર્બન હીટ આઇલેન્ડ’ની અસરને લીધે છે. આ હીટની અસર ત્યારે નોંધપાત્ર છે. જ્યારે આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરો વધુ ગરમ હોય છે.

અર્બન હીટ આઇલેન્ડ કઈ રીતે શહેરોને વધુ ગરમ બનાવે છે?

‘અર્બન હીટ આઇલેન્ડ’ અસર મહદ્અંશે શહેરીકરણ જેમ કે, શહેરોમાં માળખાકીય સુવિધા, ઈમારતો ઉભી કરવાને લીધે છે. જે કુદરતી લેન્ડ્સ્કેપ કરતાં વધુ અસરકારક રીતે ગરમીને શોષીને સંગ્રહીત કરી રાખે છે.

અર્બન હીટ આઇલેન્ડઃ કારણો અને અસરો

  • શહેરોમાં રસ્તાઓ પર વાપરવામાં આવેલી સામગ્રી જેમ કે, કોંક્રીટ અને ડામર દિવસ દરમિયાન ગરમીને શોષે છે અને રાત્રે તેને ધીમે ધીમે છોડે છે. જેના કારણે તાપમાન ઉંચું રહે છે.
  • શહેરોમાં લીલાં છોડ, વૃક્ષો, હરિયાળીનો અભાવ ઉંચું તાપમાન નોતરે છે અને હીટ વેવની અસર વધારે છે.અન્ય કારણોમાં મેટ્રોપોલિટન શહેરોમાં પરિવહન, ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને એર કન્ડિશનીંગ વધુ ઉર્જા ખેંચે છે અને હવામાં ગરમી છોડે છે. જે ઉર્જા સ્ત્રોતો પર વધુ તાણ પણ લાવે છે અને તેથી પાવર આઉટેજ પણ થાય છે.
  • શહેરોમાં જગ્યાના અભાવે ઈમારતો એકબીજાને અડીને બાંધવામાં આવે છે. ત્યારે તે હવાના પ્રવાહને અવરોધે છે અને માળખાંઓની બંધિયાર જગ્યાઓ વચ્ચે ગરમીનું નિર્માણ કરે છે. જેથી તે જગ્યાનું તાપમાન વધી જાય છે.
  • શહેરોમાં પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા નબળી હોય છે. તેમજ શહેરોમાંથી પસાર થતા પાણીના પ્રવાહ તેની આસપાસ રહેલાં છોડ તેમજ પ્રાણીઓને પણ અસર કરે છે.
  • આ શહેરી ઉષ્મા તે વિસ્તાર ઉપરાંત તેની આસપાસના તાપમાનમાં વધારો કરીને એકંદરે ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપે છે.

શું અર્બન હીટ આઇલેન્ડ અને આબોહવા પરિવર્તન સમાન છે?

અર્બન હીટ આઇલેન્ડ અને આબોહવા પરિવર્તન સમાન નથી. પરંતુ એકબીજાને સંબંધિત છે.અર્બન હીટ આઇલેન્ડ ત્યારે બને છે. જ્યારે શહેરો તેમની આસપાસના વિસ્તારો કરતાં વધુ ગરમ હોય છે. જ્યારે આબોહવા પરિવર્તન એ પૃથ્વી ઉપર લાંબા ગાળાની ઉષ્ણતા છે. જે હવામાં ભરાયેલા ગેસને કારણે ગરમીને વધારે છે.

અર્બન હીટ અને આબોહવા પરિવર્તન આ બંનેને કારણે શહેરો વધુ ગરમ થઈ રહ્યાં છે. જેમ જેમ વધુ લોકો શહેરોમાં સ્થળાંતર કરશે તેમ તેમ આ સમસ્યા વધતી રહેશે. માણસોની વસતી શહેરોમાં વધવાને લીધે ગરમીની સમસ્યા વધી રહી છે. જેથી ભવિષ્યમાં હજુ વધુ હીટવેવનો સામનો કરવો પડી શકે છે. એથી જ શહેરોનું તાપમાન નીચું લાવવા અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવાના રસ્તાઓ શોધવાનું મહત્વપૂર્ણ બની રહેશે!

અરવિંદ કેજરીવાલની ભાજપ હેડક્વાર્ટર પર કૂચ થશે?

દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને ચૂંટણીને લઈ વચ્ચ ગાળાના જામીન આપવામાં આવ્યા છે. જામીન મળતાની સાથે અરવિંદ કેજરીવારે જોરસોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. આ વચ્ચે અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

18મી મેના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘કાલે હું 12 વાગ્યે પોતાના તમામ નેતાઓની સાથે ભાજપના હેડક્વાર્ટર આવી રહ્યો છું. તમારે જેની ધરપકડ કરવી હોય કરી લો. ભાજપ જેલ-જેલ રમી રહી છે. પહેલા મને જેલમાં નાખ્યો અને આજે મારા પીએને જેલમાં નાખી દીધો. અમે દિલ્હીમાં સારું કામ કર્યું છે, એટલા માટે અમને જેલ મોકલવા માંગે છે. જે કામ તેઓ નથી કરી શકતા તે અમે કરી રહ્યા છીએ.’

કેજરીવાલે કહ્યું કે, ‘અમારો શું વાંક? તમે જોઈ રહ્યા છો કે આ લોકો કેવી રીતે આમ આદમી પાર્ટીની પાછળ પડી ગયા છે. એક બાદ એક અમારા નેતાઓને જેલ મોકલવામાં આવી રહ્યા છે. તમામને જેલ મોકલવાનું ષડયંત્ર છે. તેમણે મને જેલ મોકલી દીધો, મનીષ સિસોદિયાને જેલ મોકલ્યા, સત્યેન્દ્ર જૈનને જેલ મોકલ્યા, સંજય સિંહને જેલ મોકલ્યા, આજે મારા પીએને જેલમાં નાખી દીધા, હવે તેઓ કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢાને પણ જેલમાં નાખીશું. જે હમણા જ લંડનથી પરત ફર્યા છે. તેઓ કહી રહ્યા છે કે સૌરભ ભારદ્વાજને પણ જેલમાં નાખીશું, આતિશીને પણ જેલમાં નાખીશું. મારે જેને જેલમાં નાખવા હોય તેને નાખીદો. ક્યાં સુધી પીએમ જેલની રમત રમશે.’

PMની હાજરીમાં શિવાજી પાર્કમાં મહાયુતિની ઐતિહાસિક રેલી

મુંબઈ: દાદરના શિવાજી પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈકરોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત મહાયુતિના નેતાઓ ખાસ હાજર રહ્યા હતા.    

વડાપ્રધાને આ રેલીમાં જણાવ્યું હતું કે, “2047 સુધીમાં ડ્રીમ સિટી મુંબઈ આપણા વિકસિત ભારતના સપનામાં મોટી ભૂમિકા ભજવશે.”

(તસવીરો – દીપક ધૂરી)

આસામમાં સુરત જેવી દુર્ઘટના, કોમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટમાં લાગી આગ

પાંચ વર્ષ પહેલા એક ગોઝારી ઘટના સુરતમાં બની હતી. જેને આખા ગુજરાતને હલાવીને રાખી દીધું હતું. આજે ફરી એક વાર આસામમમાં એવી જ ઘટની બની છે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના આસામમાં સામે આવી છે.

આસામની એક કમ્યુટર લેબમાં આગ ફાટી નીકળી હતી. આસામના સિલચરના શિલાંગ પટ્ટી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં એક કોમ્પ્યુટર ઈન્સ્ટીટ્યૂટ ટૉપ ફ્લોર પર ચાલે છે. ઘટના દરમિયાન અહીં કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હાજર હતા. આગ લાગતાની સાથે ચકચાર મચી ગયો છે. ઇન્સ્ટિટ્યૂટમાં આવેલા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા. કેટલાક બાળકો બારીથી નીકળીને પાઈપની મદદથી નીચે ઉતરતા જોવા મળ્યા.

જ્યારે બીજી બાજુ સ્થાનિકોની મદદથી વિદ્યાર્થીઓને બચાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની 3થી 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વનું છે કે બિલ્ડિંગની છત પર ઘણા બધા બાળકો હજુ પણ ફસાયેલા છે. જોકે, તેમની સંખ્યા અંગે કોઈ માહિતી નથી મળી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ રાહત અને બચાવ કામમાં જોડાઈ હતી. તો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પાંચ વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 જેટલા વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને પાંચ વર્ષ પૂર્ણ થશે.

 

૭૭મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર “અમૂલ”

કાન્સફ્રાન્સ: ૩૬ લાખ ડેરી ખેડૂતોની માલિકીની વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી અમૂલના મેનેજિંગ ડિરિક્ટર ડૉ. જયેન મહેતાએ ૭૭મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કર્યું.  શ્યામ બેનેગલની ૧૯૭૬માં બનેલી ફિલ્મ મંથનનું કાન્સ ક્લાસિક્લ ફિલ્મ ૨૦૨૪માં વર્લ્ડ પ્રિમિયર યોજાયું હતું.જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મંથનમાં સ્વર્ગસ્થ ગિરીશ કર્નાડદિવંગત પ્રતિષ્ઠિત અભિનેત્રી સ્મિતા પાટીલ અને નસીરૂદ્દીન શાહ સહિતના શ્રેષ્ઠ કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં શ્વેતક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયન દ્વારા પ્રેરિત અદ્ભૂત સહકારી ડેરી ચળવળની શરૂઆતને દર્શાવવામાં આવી છે. જેના થકી ભારત દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં પરિવર્તિત થયો.મંથન” ફિલ્મ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ડેરી ખેડૂતોના ક્રાઉડ ફંડથી નિર્મિત વિશ્વની પ્રથમ ફિલ્મ છે. જેના માટે દરેક ડેરી ખેડૂતોએ બે રૂપિયાનું યોગદાન આપ્યું હતું. વિશ્વની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા GCMMF કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે તેની સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે આ ફિલ્મને ફરી એકવાર લોકોની વચ્ચે લાવવામાં આવી છે. આ ફિલ્મને ૧લી જૂન ૨૦૨૪ એટલે કે વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે સમગ્ર ભારતના સિનેમા ઘરોમાં રિલીઝ કરાશે. 
રેડ કાર્પેટ પર અમૂલના એમ.ડી. ડૉ. જયેન મહેતા સાથે મંથન ફિલ્મના કલાકારો નસીરુદ્દીન શાહરત્ના પાઠક શાહદિવંગત અભિનેત્રી સ્મિતા પાટીલના પુત્ર પ્રતિક બબ્બરશ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના પુત્રી નિર્મલા કુરિયન અને સ્મિતા પાટીલની બહેનો ડૉ અનીતા પાટીલ દેશમુખ અને માન્યા પાટીલ સેઠ હાજર રહ્યા હતા. 

ડૉ જયેન મહેતાએ જણાવ્યું હતું કે,  “મંથન” ફિલ્મનો ભારતને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનાવવામાં ખૂબ જ મોટો ફાળો છે. સમગ્ર દેશમાં ડેરી સહકારી ચળવળને ગતિશીલ બનાવવામાં આ ફિલ્મ થકી ફેલાયેલ જાગૃતિ ખૂબ જ અસરકારક રહી છે. સહકારી મોડલ આજે પણ સુસંગત છે કારણ કે ભારત કદાચ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જેની પાસે સહકાર મંત્રાલય છે અને તેનું વિઝન સહકારિતા દ્વારા તમામ ક્ષેત્રોના વિકાસને સુનિશ્ચિત કરવાનું છે. ૧૯૭૬માં રૂપિયા ૧૦ લાખના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મે વાર્ષિક રૂપિયા ૧૦ લાખ કરોડનું દૂધ ઉત્પાદન મૂલ્ય બનાવવામાં મદદ કરી છે.”ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા ફિલ્મની પ્રિન્ટને અપડેટ કરવામાં આવી છે અને ચેન્નાઇની પ્રસાદ લેબમાં સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. સ્કેનિંગ અને ડિજિટલ ક્લીન-અપ બોલોગ્નામાં લઇમેજીન રિટ્રોવાટાના માર્ગદર્શન હેઠળ પ્રસાદ ખાતે કરવામાં આવેલ હતું જ્યારે ગ્રેડિંગસાઉન્ડ રિસ્ટોરેશન અને માસ્ટરિંગ બોલોગ્નાની લેબમાં કરવામાં આવેલ હતું.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં દિગ્ગજોની શાખ દાવ પર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી હેઠળ છેલ્લા તબક્કામાં 380 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. પાંચમા તબક્કામાં 49 સીટો પર મતદાન આવતી કાલે થવાનું છે.  જેનો ચૂંટણીપ્રચાર આજે થંભી જશે. પાંચમા તબક્કામાં કેટલીક હાઇ પ્રોફાઇલ સીટો છે. પાંચમા તબક્કામાં બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, મહારાષ્ટ્રની 13, ઓડિશાની પાંચ, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિંમ બંગાળની સાત અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક સીટ પર મતદાન થવાનું છે.

પાંચમા તબક્કામાં 49 સીટો પર 695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 613 પુરુષ અને 82 મહિલા ઉમેદવારો સામેલ છે. પાંચમા તબક્કામાં આઠ રાજ્યોની 49 સીટો પર મતદાન થવાનું છે. 2019ની ચૂંટણીમાં આ 49 સીટોમાંથી ભાજપે 40 સીટો પર લડીને 32 સીટો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર એક સીટ જીતી શકી હતી.

આ સિવાય JDU એક, LJP એક, શિવસેના સાત, અને TMC ચાર સીટો જીતી હતી. ભાજપના નેતૃત્વ હેઠળ NDA 41 સીટો જીતવામાં સફળ રહ્યું હતું, જ્યારે UPA માત્ર બે સીટ અને અન્યને ભાગે પાંચ સીટો મળી હતી. પાંચમા તબક્કામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી, સ્મૃતિ ઇરાની અમેઠીથી બીજી વાર, પીયૂષ ગોયલ, બિહારની સારણ સીટ પરથી લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય, મહારાષ્ટ્રમાં કલ્યાણ સીટ પરથી CM એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે અને બિહારના જમુઈથી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાના પુત્ર ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં છે.

 

 

 

 

અમે રૂપાલાને માફી આપીએ છીએ : પદ્મીનીબા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો રોષે ભરાયા હતાં. ક્ષત્રિયોની સંકલન સમિતીએ ચૂંટણી પૂર્ણ થતાં જ જાહેરાત કરી હતી કે, આંદોલનને વિરામ આપીએ છીએ પણ આંદોલન પુરૂ નથી થયું. ત્યારે આજે ક્ષત્રિય આંદોલનનો ભાગ રહેલા પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે,અમારું આંદોલન નિષ્ફળ ગયું છે તેમ છતાં અમે રૂપાલાને માફ કરી રહ્યા છીએ. સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરી રહી છે. સમાજના આગેવાનો સામાજિક ન રહી શક્યા. તેમણે કરણસિંહ પર પણ આક્ષેપો કર્યા હતા.


પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે સંકલન સમિતિની જાહેરાત મુદ્દે કહ્યું કરણસિંહ ચાવડાએ કોના કહેવાથી આ ડીસીઝન લીધું? પોતાનું ડીસીઝન હોય તેવું લાગતું નથી. ક્ષત્રિય સમાજમાં વિરોધ હતો તો કોનો હતો? અગાઉ સંકલન સમિતિના સભ્ય પી ટી જાડેજાએ પણ ઓડિયો જાહેર કર્યો હતો. જેમાં સંકલન સમિતિના તૃપ્તિબા રાઓલ અંગે પી.ટી.જાડેજા બોલ્યા હતા. પરંતુ પી ટી.જાડેજા હવે ક્યાં છે? સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ છે. બહેનો દીકરીઓનો હાથો બનાવી રાજકારણ કરી રહ્યા છો. ક્ષત્રિયોમાં 120 સંસ્થાઓ છે તો કઈ છે તે જાહેર કરો. રૂપાલાને માફ કરો કાં આંદોલન કરો. ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે જોઈએ તો નિષ્ફળ ગયું.

પદ્મિનીબાએ કહ્યું કે, રૂપાલાભાઈએ ચૂંટણી પછી નારી શક્તિની માફી માંગી જેથી અમે બહેનો દીકરીઓ પરસોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ. સંકલન સમિતિ પાપડ પણ ભાંગી શકે તેમ નથી. પદ્મિનીબા વાળા અને મારી ટીમને સંકલન સમિતિએ હાથો જ બનાવ્યો.પરશોત્તમ રૂપાલાનું રાજીનામુ તો સંકલન સમિતિ લઈ ન શકી, હવે જો આંદોલન થાય તો ટીકીટ અને સત્તા માટેનું જ રહેશે.કરણસિંહ ચાવડા પણ ટિકિટો માટે જ કરતા એવું બોલી ગયા છે. પરસોત્તમ રૂપાલા ઇચ્છશે તો હું અને મારી નારી શક્તિની ટીમ રૂપાલાની મુલાકાત કરશે. રૂપાલા સામેથી બોલાવશે તો અમે મળવા જઈશું. જયરાજસિંહ જાડેજાએ જે કર્યું હતું તે બરાબર હતું. સંકલન સમિતિએ પણ છેલ્લે એ જ કર્યું.