Home Blog Page 1592

Monsoon Update: રાજ્યમાં સરેરાશ 68% વરસાદ નોંધાયો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘ રાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે પાછલા 24 કલાકમાં 168 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદમાં દોઢ ઇંચ, કપરાડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સરેરાશ 23.50 ઇંચ સાથે સિઝનનો 67.70 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

 આ વર્ષે લલનીનોના કારણે રાજ્યમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. જે પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ નોંધાય રહ્યો છે. જો આપણે જિલ્લા પ્રમાણે જોઈએ તો આ વર્ષે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 150 ટકા વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 30.27 ઇંચની સામે 46 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જૂનાગઢ અને પોરબંદરમાં 124 ટકા વરસાદ વરસ્યો છે. નવસારીમાં 96 ટકા વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 147 ટકા, કેશોદમાં 145 ટકા, વંથલીમાં 144 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હાલ 39 તાલુકામાં 40 ઇંચથી વધુ, 64 તાલુકામાં 20થી 40 ઇંચ, 151 તાલુકામાં 10થી 20ઇંચ, 39 તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાતમી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો આઠમી ઑગસ્ટે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંમચહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Olympics: નીરજ ચોપરાની ફાઈનલમાં એન્ટ્રી

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. નીરજને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેણે તેના પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. તમને જણાવી દઈએ કે સીધા ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે 84 મીટરનું માર્ક નક્કી કરવામાં આવ્યું હતું. નીરજ ઉપરાંત પાકિસ્તાનના અરશદ નદીમે પણ 86.59 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ભાલા ફેંકની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વર્તમાન ચેમ્પિયન નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં સિઝનના શ્રેષ્ઠ 89.34 મીટર સાથે ઓલિમ્પિક પુરુષોના ભાલા ફેંકની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. આ પછી પાકિસ્તાનના અરશદ નદીમે પણ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

IASની બદલીનો બીજો રાઉન્ડ, 10 IASની થઈ બદલી

રાજ્યમાં વરસાદી સિઝન સાથે બદલીનો પણ સિઝન ચાલી રહી હોય, તેવું લાગી રહ્યું છે. તારીખ 31 જુલાઈના રોજ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. આ ફેરફાર આજે ફરી એક વખતા IASની બદલીનો બીજો રાઉન્ડ લાગ્યો છે. આજે બીજા 10 IASની બદલીની જાહેરાત કરવામાં આવી છે.

આજે 10 IASની બદલીની જાહેરતા કરવામાં આવીછે જેમાં બી.જે પટેલની ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ઓલિમ્પિકમાં યાત્રીઓની સુવિધા માટે જિયોફાઇનાન્સની એપનો પ્રારંભ

મુંબઈઃ પેરિસ હાલના સમયે વિશ્વભરના રમતપ્રેમીઓ માટે ઓલિમ્પિક ગેમ્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, ત્યારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝે ફ્રાંસના પાટનગર પેરિસમાં જિયોફાઇનાન્સ એપ શરૂ કરવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું છે કે ભારતીય યાત્રીઓ માટે આંતરરાષ્ટ્રીય ડિજિટલ ચુકવણી કરવાનું સુવિધાજનક બન્યું છે, કેમ કે પર્યટકો એફિલ ટાવરની મુલાકાત માટે કંપનીની સત્તાવાર વેબસાઇટથી ટિકિટ ખરીદી શકશે, આ ઉપરાંત તેઓ પર્શિયન ડિપાર્ટમેન્ટ સ્ટોર, ગેલેરી, લાફાયેટ હોસમેનમાં ઇન-સ્ટોર શોપિંગ માટે પણ એપનો ઉપયોગ કરી શકશે.

કંપનીએ જાહેરાત કરી છે કે  પેરિસમાં પર્યટક સ્થળોએથી પણ કંપનીની એપ દ્વારા ભારતીય પ્રવાસીઓ ડિજિટલ ચુકવણી કરી શકશે. કંપનીની એપનો અનુભવ ઇન્ડિયા હાઉસની અંદર એક અનુભવ કેન્દ્રના માધ્યમથી પણ કરી શકાશે, એને રિલાયન્સ ફાઉન્ડેશને ભારતીય ઓલિમ્પિક સંઘની સાથે ભાગીદારીમાં તૈયાર કરી છે. જિયો ફાઇનાન્સે વિસાની સાથે ભાગીદારી કરી છે, જે ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024ની સત્તાવાર ચુકવણી ભાગીદાર છે. કંપનીની એપ વિના કોઈ ઘર્ષણ નેવિગેશન માટે ડિઝાઇન કરવામાં આવી છે અને એપનું મુખ્ય લક્ષ્ય બધા ભારતીયોને તેમની નાણાકીય જરૂરરિયાત માટે એક ડિજિટલ અનુભવ આપવાનો છે. આ એપ ઉપયોગકર્તાઓની બધા સ્તરે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી વડે જરૂરિયાતો પૂરી કરે છે અને તેમનાં નાણાંનું સંચાલન હવે તેઓ આંગળીના ટેરવાથી કરી શકશે.

કંપનીની એપ યુઝર્સને તત્કાળ UPI પેમેન્ટ્સ, ડિજિટલ બેન્ક એકાઉન્ટ, વોલેટ સર્વિસિસ, બિલની ચુકવણી અને રિચાર્જીસ, રિવોર્ડ્સ, ઇન્સ્યોરન્સ બ્રોકિંગ અને ઇન્ડિવિડ્યુઅલ હોલ્ડિંગ બેન્ક એકાઉન્ટ્સ માટે સિંગલ વિન્ડો નિર્વિરોધ સુવિધા પૂરી પાડે છે.

કંપનીની એપ ડિજિટલ નાણાકીય અનુભવ માટેની દિશામાં સતત સુધારા માટે વપરાશકર્તાઓની પ્રતિક્રિયા માગતા વિશ્વાસ પારદર્શકતાની પ્રાથમિકતા પૂરી પાડવાની છે.

 

‘ધુમ’અભિનેત્રી રિમી સેને સર્જરી પર ટ્રોલિંગ પર જડબાતોડ જવાબ આપ્યો

મુંબઈ: એક સમયે કોમેડી ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ રિમી સેન આ દિવસોમાં પોતાના લુક્સને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી વર્ષોથી લાઈમલાઈટથી દૂર છે, પરંતુ એક રેન્ડમ રેડિટ પોસ્ટ રિમી સેનને ફરીથી લાઇમલાઇટમાં લાવી હતી. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે સર્જરી કરાવી છે. આ પછી અભિનેત્રીને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જો કે હવે રિમીએ પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

રિમીએ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો
HT સાથે વાત કરતા રિમીએ કહ્યું, જો લોકોને લાગે કે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે… જો તે સારી રીતે કરવામાં આવે તો તે મારા માટે ઘણું સારું છે. લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા વિના બોલી રહ્યા છે. મેં માત્ર ફિલર, બોટોક્સ, પીઆરપી ટ્રીટમેન્ટ કરાવી છે, એના સિવાય બીજું કંઈ નથી કરાવ્યું.”

અભિનેત્રીએ કહ્યું કે તેની પાસે સારા ડોક્ટર છે
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,”જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનાથી ભાગી ન જાય ત્યાં સુધી તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર ન હોવી જોઈએ. ભારતની બહાર ઘણા સારા ડૉક્ટરો છે જે ફેસલિફ્ટ કરવામાં નિષ્ણાત છે. હું પણ તે કરાવવા માંગુ છું. પરંતુ તેના વિશે હું 50 વર્ષની થઈશ પછી વિચારીશ,હજી આ બધાની કામ ચાલી રહ્યું છે.”

 

View this post on Instagram

 

A post shared by Rimi Sen (@subhamitra03)

લોકો પાસેથી સલાહ માંગી
રિમી સેને વધુમાં જણાવ્યું કે હાલમાં તેની પાસે બે ડોક્ટર છે, જેમની પાસેથી તે સલાહ લે છે અને સારવાર લે છે. અભિનેત્રીએ કહ્યું, “તેઓ મને સારા દેખાવામાં ઘણી મદદ કરે છે. કદાચ લોકો મારી લેટેસ્ટ તસવીરોમાં સારી ત્વચા જોઈ રહ્યા છે. આ વસ્તુઓનો ઉપયોગ કરીને અને શિસ્તબદ્ધ રહીને કોઈપણ વ્યક્તિ સારી દેખાઈ શકે છે, પરંતુ જો તમે મારું અનુસરણ કરો છો, તો જો તમે કંઈક ખોટું કહી રહ્યાં છો, મને કહો કે હું તેને કેવી રીતે સુધારી શકું, જેથી હું મારા ડૉક્ટરોને કહી શકું કે તેઓ ક્યાં ખોટું કરી રહ્યા છે.”

ઇન્દોર કોર્પોરેશનનાં ખોટાં બિલનું રૂ. 125 કરોડનું કૌભાંડઃ EDના દરોડા

ઇન્દોરઃ કેન્દ્રીય તપાસ એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે)એ મધ્ય પ્રદેશની રાજધાની ઇન્દોરમાં થયેલા નગર નિગમ ખોટાં બિલ કૌભાંડ મામલે આશરે બે ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન તપાસ એજન્સીને આરોપી વેન્ડરનાં કેટલાંક સ્થળોએ આશરે રૂ. 1.30 કરોડ મળ્યા હતા.

એ સાથે એજન્સી તપાસ કરી રહી છે. તપાસ એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ કૌભાંડ અંતર્ગત ઓડિટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની ભૂમિકા સંદિગ્ધ છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

એ સાથે એ માહિતી શેર કરવામાં આવી હતી કે ડ્રેનેજથી જોડાયેલાં કાર્યોમાં કામ કરવાવાળી કેટલીય કંપનીઓ અંતર્ગત આઠથી વધુ ઠેકેદારોએ વગર કામ કર્યે નકલી બિલો લગાવીને નગર નિગમને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

શું છે આ કેસ?

ઇન્દોરમાં નગર નિગમ નકલી બિલ કૌભાંડ મામલો આશરે રૂ. 125 કરોડનો છે. જોકે તપાસ દરમ્યાન મળેલા પુરાવા અને નોંધાયેલાં નિવેદનોને આધારે આ રકમમાં ઓર વધારો થવાની સંભાવના છે. સર્ચ ઓપરેશન દરમ્યાન તપાસ એજન્સીને અનેક મહત્ત્વના પુરાવા અને ઇનપુટ્સ જપ્ત કર્યાં છે.

એજન્સીને સર્ચ ઓપરેશન દરમ્યાન અરિહંત સ્ટીલ, નિવા કન્ટ્રક્શન, ગ્રીન કન્સ્ટ્રક્શન, કિંગ કન્સ્ટ્રક્શન વગેરે વેન્ડર અને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના નિવાસસ્થાન સહિત અન્ય લોકેશન પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલામાં ભૂમાફિયા તરીકે ચંપુ અજમેરા અને તેના ભાઈ નીલેશ અજમેરાનાં સ્થળોએ પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

 

શિક્ષણને લાગ્યો મોંઘવારીનો માર, જાણો કેટલી વધી ફી

ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી છે. આપને જણાવી દઈએ કે નવા શક્ષિક સત્રની શરૂઆત બાદ પણ અમદાવાદની લગભગ 150થી વધુ શાળામાં નવા ફ્રી નક્કી કરવાની બાકી હતી. ત્યારે અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામા આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5થી 7 ટકાનો વધારો કરવામા આવ્યો છે.

ચાર ઝોન માટે નવી ફી કમિટીઓની રચના બાદ તેઓ એ અમદાવાદની 150 શાળા માટે નવી ફીની જાહેરાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવી ફી વધારાની જાહેરાત બાદ એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 99 હજાર રૂપિયા હતી. જે હવે 1.04 લાખ રૂપિયા થઈ છે. ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી 91 હજાર રૂપિયા હતી તે 95 હજાર રૂપિયા થઈ છે, અને આનંદનિકેતન સ્કૂલની ફી 83 હજાર રૂપિયા હતી જે વધીને 91 હજાર રૂપિયા થઈ છે. આ ઉપરાંત ડીપીએસ બોપલ સ્કૂલની ફી 80 હજાર રૂપિયા હતી જે વધીને 84 હજાર રૂપિયા થઈ છે. એસ.એચ.ખારાવા સ્કૂલની ફી 32 હજાર રૂપિયા હતી જે 35 હજાર રૂપિયા થઈ છે. શિવ આશિષ સ્કૂલની ફી 57,500 રૂપિયા હતી. જે વધીને 61 હજાર રૂપિયા થઈ છે. કે.એન પટેલ સ્કૂલની ફી 77 હજારથી વધીને 81 હજાર રૂપિયા અને સંત કબીર સ્કૂલની ફી 95,400થી વધીને 97,900 રૂપિયા થઈ છે. એચ.બી.કાપડીયા સ્કૂલની ફી 57 હજાર રૂપિયા હતી તે વધીને 60 હજાર રૂપિયા કરવામા આવી છે.

નોંધનીય છે કે, નવી ફી કમિટીની રચના બાદ તત્કાલના ધોરણે ફી વધારા પર કમિટીએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અદમદાવાદની કેટલીક સ્કૂલોની ફી 5થી 7 ટકા અને કેટલીક સ્કૂલોની ફી 10 ટકા સુધી વધી છે. એકંદરે 3 હજારથી લઈને 12 હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. કેટલીક સ્કૂલોએ ફી કમિટીનો ફીનો ઓર્ડર થાય તે પહેલા જ અને નવી ફી કમિટી રચાય તે પહેલા જ નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો લેવાનો શરૂ કરી દીધો છે. આ મુદ્દે અમદાવાદ શહેર ડીઈઓમાં વાલીઓએ ફરિયાદ પણ કરી હતી.

અમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકોનાં મોત

અમદાવાદ: તાજેતરમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવને રિડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે ચંડોળા તળાવમાં ખાડા ખોદવામાં આવ્યા છે. વરસાદના લીધે ખાડામાં ભરાયેલા પાણીમાં ત્રણ બાળકો પડી જતાં ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે.

માહિતી અનુસાર સોમવારે બપોરથી બાળકો ગુમ થતાં પરિવારજનોએ અને સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ ભાળ મળી ન હતી. ત્યારબાદ મોડી રાત્રે તળાવ પાસે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં તપાસ કરતાં ત્રણેય બાળકો ડૂબેલા જોવા મળ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પરિવારજનો તંત્ર સામે બેદરકારીના આક્ષેપ કરી રહ્યા છે.

બંગલાદેશમાં સરકાર ઊથલાવવા પાછળ અમેરિકાનું ષડયંત્ર?

નવી દિલ્હીઃ બંગલાદેશમાં શેખ હસીના સરકારનો તખતાપલટ થઈ ગયો છે. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે માતાને સત્તા પરથી દૂર કરવા પાછળ બહારની શક્તિઓનો હાથ હોવાની વાત કહી છે. બંગલાદેશમાં જે સ્થિતિ બની છે, એની પાછળ અમેરિકાનો ગેમપ્લાન હોવાની શક્યતા તેમણે દર્શાવી છે. એની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે.

હું જણાવી નથી શકતો કે આ કોણે કર્યું છે, પણ અમારો સંદેહ છે કે એની પાછળ પાકિસ્તાન કે અમેરિકાનો હાથ હોઈ શકે. પાકિસ્તાન તો નથી ઇચ્છતું કે બંગલાદેશમાં મજબૂત સરકાર બને, કેમ કે એ પૂર્વ તરફથી ભારતને પરેશાન કરવા ઇચ્છે છે.

અમેરિકાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે અમેરિકા પણ બંગલાદેશમાં સ્થિર સરકાર નથી ઇચ્છતી. એ બંગલાદેશમાં નબળી સરકાર ઇચ્છે છે. એવી સરકાર ઇચ્છે છે કે જેને નિયંત્રિત કરી શકાય અને તેઓ શેખ હસીનાને નિયંત્રિત નથી કરી શક્યા.

તેમણે શેખ હસીનાના કાર્યકાળની તરફેણ કરતાં કહ્યું હતું કે તેમણે છેલ્લાં 15 વર્ષમાં બંગલાદેશની સિકલ બદલી છે. જ્યારે તેમણે બંગલાદેશની ધુરા સંભાળી ત્યારે બંગલાદેશને લોકો નિષ્ફળ રાષ્ટ્ર તરીકે ગણતા હતા. એ ગરીબ દેશ હતો. અત્યાર સુધી આ દેશ ‘રાઇઝિંગ ટાઇગર ઓફ એશિયા’ તરીકે ઓળખાતો હતો. તેઓ ખૂબ દુ:ખી છે.

તેમણે એ આરોપોને ફગાવ્યા હતા કે તેમની સરકારે પ્રદર્શનકારીઓ સાથે કડકાઈભર્યું વલણ દાખવ્યું છે. લોકોએ પોલીસને પણ માર્યા છે, 13 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે ટોળું પોલીસને માર મારી રહ્યું હોય ત્યારે તમે પોલીસ પાસેથી શું આશા રાખો?

તેમણે એમ પણ કહ્યું હતું કે શેખ હસીના હવે કોઈ રાજકીય પુનરાગમન નહીં કરે, તેઓ તેમણે કરેલી મહેનત પછી દુ:ખી છે. મને લાગે છે કે હવે બહુ થયું, હવે બસ.

 

મુંબઈ: ઝરુખો કાર્યક્રમમાં ડૉ.જે જે રાવલે બ્રહ્માંડ વિષય પર પ્રકાશ પાથર્યો

મુંબઈ: બોરીવલીમાં ઝરુખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈબાબા મંદિર ખાતે આયોજિત પ્રોગામમાં ‘આપણું અદભુત બ્રહ્માંડ ‘ વિષય પર જાણીતા વિજ્ઞાની ડૉ.જે જે રાવલે વક્તવ્ય આપ્યું હતું.

બ્રહ્માંડ શબ્દ બ્રહ્મ ઉપરથી આવ્યો છે .બ્રહ્માંડ તરફ નજર નાખીએ છીએ ત્યારે આપણને એનો ભૂતકાળ જોવા મળે છે કારણ નજીકનો તારો જો ચાર પ્રકાશવર્ષ દૂર હોય તો ત્યાંથી પ્રકાશને અહીં આવતા ચાર વર્ષ લાગે છે એટલે એ તારો ચાર વર્ષ પહેલાં શું હતો, કેવો હતો એ તમે જુઓ છો એવું ડૉ.જે જે રાવલે જણાવ્યું હતું. બ્રહ્માંડની સરખામણીમાં તમે જ્યારે આ વસ્તુ નાની કે મોટી એમ કહો છો એ એક ભ્રમ છે. કપડું માપીએ ત્યારે એક મીલીમીટર ઓછું વધતું થાય તો કંઈ ફરક પડતો નથી પણ તમે ન્યુક્લિયસ માટે જો એક મિલીમીટરનો ફરક ગણો તો એ એક અબજ ગણો વધી જાય છે.

સમયને આપણે સમજ્યાં નથી. ગીતામાં કૃષ્ણ કહે છે કે હું કાળ છું. કાળ બ્રહ્માંડને સર્જે છે, પરિમાણ બ્રહ્માંડને સર્જે છે. બ્રહ્માંડને આપણા ભારતીય ઋષિઓ બહુ સારી રીતે સમજ્યા હતા. સૂર્ય પરના લાંછનની વાત પણ વેદોમાં છે. બ્રહ્માંડમાં સો બિલિયન ગેલેક્સી છે. પાંચસોથી હજાર અબજ તારા છે અને આ તારાઓ એટલા બધા દૂર છે કે આપણને જાણ થતી નથી કે ત્યાં જીવન છે કે નહિ.આ બ્રહ્માંડમાં 500 અબજ સૂર્ય છે અને બે તારા વચ્ચે 45 અબજ કિલોમીટર સુધીનું અંતર છે. હજી આપણે આપણી ગેલેક્સીની પણ બહાર નીકળી નથી શક્યા .સૂર્યની જ્વાળા દસ લાખ કિલોમીટરની લંબાઈની હોય છે .વિવિધ દેશો જે યાન મોકલે છે એ ઘણા વર્ષો સુધી ડેટા ભેગો કરે છે અને ઘણો સમય એના પરના અભ્યાસ પછી એનું પેપર બહાર પાડવામાં આવે છે .

આપણે ધર્મ અને સંપ્રદાયમાં વહેંચાઈ ગયા છીએ પરંતુ મૂળ તો મંદિરો, મસ્જિદ, ગુરુદ્વારાને બદલે આપણે વિજ્ઞાનને સાચવવાનું છે. આપણે નવી પેઢીને માતૃભાષા અને સંસ્કૃત પણ શીખવવું જોઈએ એવું રાવલસાહેબે કહ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા એ કર્યું હતું . રાજકોટ, ભૂજ અને લૂણાવડા પાસે મેઘજીના મૂવાડા પાસે ઓબ્ઝર્વેટરી સ્થાપવા માટે રાવલસાહેબની પ્રતિબદ્ધતાની એમણે પ્રશંસા કરી હતી. ડૉ.જે જે રાવલ સાથે શ્રોતાઓએ પ્રશ્નોત્તરી કરીને પોતાની જીજ્ઞાસા સંતોષી હતી. વેદ ઉપનિષદમાં બ્રહ્માંડના સંદર્ભ સમજાવતું ડૉ.જે જે રાવલનું એક દળદાર પુસ્તક પ્રકાશિત થવામાં છે.