Home Blog Page 1536

ભારે વરસાદના પગલે 76 જળાશયો સંપૂર્ણ, 46 જળાશયો 70%થી વધુ ભરાયા

ગાંધીનગર: રાજ્યમાં સતત વરસાદના પગલે મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 30 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,90,547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,07,440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 78 ટકા, સૌરાષ્ટ્રના 141માં 66 ટકા, કચ્છના 20 જળાશયોમાં 61 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સાથે 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે.

ગુજરાતમાં જળબંબાકાર, CMએ યોજી સમીક્ષા બેઠક

ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજીના કારણે હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં સર્જાયેસી સ્થિતિ અને વહિવટી તંત્ર દ્વારા  હાથ ધરાયેલી કામગીરી અને રાહત પગલાની સમીક્ષા કરવા માટે  સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.  

સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે આજે 99.66 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છમાં સરેરાશ 116.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.99 ટકા, સૌરાષ્ટ્રમાં 101.52 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા અને મધ્ય ગુજરાતમાં 98.74 ટકા વરસાદ થયો છે.  પાછલા 24 કલાકમાં 33 જિલ્લામાં 251 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને પરિણામે રાજ્યના 15 નદીઓ તથા 21 તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે તેની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે આવા નદી, નાળા, તળાવમાં કોઈપણ વ્યક્તિ જાય નહિ તેની સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવી જરૂરી છે. લોકો ઓવરફ્લો થયેલી આવી નદીઓના વહેણમાં કે નાળાઓમાં જાય નહિ તે માટે પોલીસની મદદ લઈને સખ્તાઈ વર્તવા મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી.    

રાજ્યમાં  206 જળાશયોમાં હાલ જળસંગ્રહ ક્ષમતાના 72.73 ટકા જેટલું પાણી આવ્યું છે. 76 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, 96ને હાઈએલર્ટ પર તથા 19ને એલર્ટ પર મૂકવામાં આવેલા છે. રાજ્ય સરકારને  આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી  છે ઉપરાંત NDRF ની 14 પ્લાટૂન  અને એસ ડી આર એફ ની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે તેની પણ વિગતો આપવામાં આવી હતી. આર્મીની 6 કોલમ દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને મોરબી તથા રાજકોટ જિલ્લામાં બચાવ રાહત માટે તૈનાત કરવામાં આવી છે તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડ પણ બચાવ-રાહત કામગીરીમાં જોડાયાં છે. અત્યાર સુધીમાં 23871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.   

રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમના કિસ્સામાં નિયમાનુસારની સહાય ચૂકવવાની કાર્યવાહી ત્વરાએ હાથ ધરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે ગામો-નગરોમાં વીજ પુરવઠાને થયેલી અસરોની પણ વિગતો મેળવી હતી. આ અંગે વિગતો આપતા બેઠકમાં જણાવાયું કે કુલ 8824 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તેમાથી 7806 માં સ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે. 6615 વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત હતા તેમાંથી 6033નું દુરસ્તી કાર્ય પૂરુ થઈ ગયું છે.  

ભાજપે બંગાળ બંધનું આહવાન કર્યું, TMCએ પાડી ના

કોલકાતાઃ કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા મામલે નબાન્ન અભિયાન માર્ચ કાઢતાં પ્રદર્શનકારી હાવડાના સંતરાગાછીમાં પોલીસ બેરિકેડ્સ પર ચઢી ગયા હત અને બેરિકેડ્સ તોડવામાં આવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યા અને આંસુ ગેસ છોડવામાં આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ, ભાજપે પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી પર પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું હતું કે અસલી તાનાશાહી બંગાળમાં ચાલી રહી છે. મમતા બેનર્જીનું વલણ તાનાશાહી છે. ભાજપે નબન્ના (રાજ્ય સચિવાલય) અભિયાનનું સમર્થન કર્યું છે તો ડાબેરી પક્ષોએ તેને ભાજપ અને RSSનું ષડયંત્ર ગણાવ્યું છે. નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને હાવડા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. ભાજપે આવતી કાલે 12 કલાક બંધનું એલાન પણ કર્યું છે. સુકાંત મજમુદારે પણ કહ્યું હતું કે તેઓ પ્રદર્શનકારીઓને મદદ કરશે.

જોકે એના વિરોધમાં બંગાળ સરકારે આદેશ પસાર કર્યો છે. સરકારે કહ્યું છે કે કાલે એવું કંઈ નહીં થાય. સરકારે કર્મચારીઓને આદેશ કર્યો છે કે આવતી કાલે બધાઓએ ઓફિસ આવવાનું છે અને ગેરહાજર રહેનાર કર્મચારી પર પગલાં લેવાશે.

કોલકાતા પોલીસે વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને શહેરને છાવણીમાં ફેરવી દીધું છે. આ અભિયાનને રોકવા માટે 6000 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને 19 સ્થળોએ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા. આ સાથે જ નબન્ના ભવનની બહાર ત્રણ લેયરની સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે.પોલીસને અધિકારીઓને સજાગ રહેવા અને સીસીટીવી ફૂટેજ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. કોલકાતા પોલીસે આ અભિયાનના આયોજકોને એક મેઇલ પણ મોકલ્યો છે, જેમાં રેલીનું નેતૃત્વ કરનારા નેતાઓની વિગતો માગવામાં આવી છે. TMCએ કહ્યું છે કે વિપક્ષ રાજ્યમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યો છે અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ દરમિયાન કોલકાતા કેસમાં વિરોધ પક્ષોએ હવે પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાની લાશ મળ્યાના થોડા જ સમયમાં ઘટનાસ્થળે એકઠા થયેલા અનેક લોકોના ટોળાનો એક કથિત વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં તત્કાલીન આરજી કર પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષ, તેમના વકીલ સાંતનુ ડે, પોલીસ અને હોસ્પિટલના સિક્યોરિટી સેમિનાર હોલમાં જોવા મળી રહ્યા છે, જ્યાં ગુનો થયો હતો.

 

લોનધારકોને RBI આપશે રાહત?

દેશમાં મોંઘવારી દર ધમી ગતીએ ઘટી રહ્યો છે. આ સાથે અમેરિકામાં પણ આર્થિક સ્થિતિ થાળે પડતી જોતા ફેડ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં ઘટાડો કરવાના સંકેતો આપ્યા છે.  ત્યારે બીજી બાજું RBI પણ લોનધારકોને રાહત આફી આપી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, આગામી સમયમાં મોંઘવારીથી વધુ રાહત મળી શકે છે. આગામી મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવશે. હાલ દેશભરમાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે. જે અર્થતંત્ર માટે સકારાત્મક છે. રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી 3.54 ટકા નોંધઆઈ છે. જે 59 મહિનાના તળિયે છે. જૂનમાં રિટેલ ફુગાવો 5.08 ટકા હતો. 

ગત જુલાઈમાં જથ્થાબંધ ફુગાવો 3 મહિનાની નીચલી સપાટી પરએ એટલે કે, 2.04 ટકા નોંધાયો છે. જે આરબીઆના નિર્ધારીત લક્ષ્ય દર 2-4 ટકા હેઠળ છે. આ સકારાત્મક સંકેતોને ધ્યાનમાં લેતાં ઓક્ટોબરમાં યોજાનારી એમપીસી બેઠકમાં આરબીઆઈ વ્યાજના દરો ઘટાડશે. આરબીઆઈએ મોંઘવારી અને વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેતાં સતત નવ વખત રેપો રેટ જાળવી રાખ્યો છે. જે હાલ 6.5 ટકા છે. અગાઉ દેશમાં મોંઘવારી 7 ટકાથી વધી હતી. જેને અંકુશમાં લેવા આરબીઆઈ સતત રેપો રેટમાં વધારો કર્યો હતો. મે-22થી ફેબ્રુઆરી-23 સુધી તેમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. 

મોંઘવારીમાં ઘટાડાની સાથે જીડીપી ગ્રોથની ગતિ પણ ધીમી પડી છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથની ગતિ શુષ્ક રહી છે. જૂન ત્રિમાસિકમાં દેશનો રિઅલ જીડીપી ગ્રોથ 7.0-7.1 ટકા રહી શકે છે. જ્યારે ગ્રોસ વેલ્યૂ એડેડ ગ્રોથ 7 ટકાથી ઘટી 6.7-6.8 ટકાની એવરેજમાં રહેશે. ગ્રોથમાં ઘટાડો થવા પાછળનું કારણ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં ઘટાડો છે. 

નિઃસંતાન મહિલાને અપશુકનિયાળ કહેવી કેટલી યોગ્ય?

‘અરે જીજાજી સાંભળોને એક વાત કરવી હતી તમારી સાથે, દીદી આસપાસ તો નથી ઉભીને? ફોન પર સુરેખાએ પોતાની મોટી બહેન નયનાના પતિ સાથે વાત કરતા પૂછ્યું, જીગ્નેશભાઈએ સાળીને કહ્યું કે તારી દીદી તો બહાર છે બોલ શું વાત છે?કેમ આમ ગભરાયેલા અવાજે બોલું છું ઘરમાં લગ્ન લીધા છે, કોઈ તકલીફ છે? જો હું તારા પિતાની જગ્યાએ છું તારી દીકરી ગાર્ગી પણ અમારી પાસે રહીને મોટી થઈ છે,  અમારે તો વળી એના સિવાય કોઈ છે જ ક્યાં. તુ મને કહી શકે છે બોલ. સુરેખાએ ચિંતા સાથે વાત શરૂ કરી, જુઓ જીજાજી મારી બહેને મને મા બનીને મોટી કરી છે, એ જ રીતે મારી ગાર્ગીને પણ તમે જ કોલેજ માટે તમારા ત્યાં રાખી. મને કહેતા સંકોચ થાય છે. પરંતુ ગાર્ગીના પપ્પા કહેતા હતા કે મારી એકની એક દીકરીના લગ્ન છે. એમાં તારી બહેનને કહેજે થોડી દૂર રહે, એનો પડછાયો પણ જો મારી દીકરી પર પડશે તો આ સારા પ્રસંગમાં અપશુકન થશે..એ પોતે તો નિઃસંતાન છે, અને મારી દીકરી પર પણ..આટલુ બોલતા જ જીગ્નેશભાઈ સાળીને વચ્ચે અટકાવી અને કહ્યું ચિંતા ન કર તારી સમસ્યાનું સમાધાન થઈ જશે. અને હા તારી બહેને કહ્યું હતું માટે તારા ખાતામાં બે લાખ જમા કરાવ્યા છે વધારે જોઈએ તો કહેજે તુ પણ મારી દીકરી જ છે. આટલું કહી એમણે ફોન કાપ્યો.’

..સહેજ વારમાં તો જીગ્નેશભાઈ જમીન પર પછડાયા, જે લોકોને કામ નયના પોતાના માનતી રહી, જેના લગ્નની તૈયારી એ કરી રહી છે, એના જ લગ્નમાં સારા પ્રસંગો વખતે એને દૂર રહેવાનું કહેવામાં આવ્યું. કેમ? કારણ કે એ માતા નથી બની શકી માટે..શુ એ ગાર્ગીની યશોદા માતા નથી..હું કેવી રીતે એને સમજાવીશ.

માત્ર મહિલાને જ કેમ વાંઝણી કહેવી?

આ ઘટના કોઈ કાલ્પનીક નથી બિલકુલ સાચી છે, હા નામ જરૂર બલ્યા છે પરંતુ હકીકત શબ્દસહ છે. નવાઈ લાગતી હશે નઈ કે એકવીસમી સદી જ્યાં સ્ત્રી-પુરુષ ખભેથી ખભો મિલાવી કામ કરે ત્યાં આવી માનસિકતા ધરાવતા લોકો હજુ પણ છે? હા છે જે આજે પણ સંતાન ન હોય એવી મહિલાને વાંઝણી કહે છે..એવો સમાજ છે જયાં લગ્ન પછી માતા બનેલી મહિલાઓને જ સમ્માન મળે છે, એવા લોકો છે જે વારંવાર કહે છે, કે જે સ્ત્રી સંતાનને જન્મ ન આપી શકે એનો ચહેરો સવારમાં જોવાથી દિવસ ખરાબ જાય છે. એક બાજુ આપણે ચાંદ પર પહોંચવાનો ગર્વ મનાવીએ છીએ. જ્યારે બીજી બાજુ આજે પણ મહિલાએ નિઃસંતાન હોવાના મહેણાં સાથે જીવન પસાર કરવું પડે છે. પરંતુ કેમ સંતાન ન હોય એવી મહિલાને અપશુકનિયાળ માનવામાં આવે છે? શુ એના માટે પણ મહિલા જ જવાબદાર છે?

મહિલાની અવગણના થાય છે

જાણીતા લેખિકા દિનાબહેન રાયચુરા ચિત્રલેખા.કોમને કહે છે, બાળક ન હોવું એ પુરુષ મહિલા બંનેની જવાબદારી છે, એને શુકન અપશુકન સાથે સાંકળવા એ ખોટી વાત છે. મે જોયું છે કે એક સ્ત્રી તરીકે ભલે માતા ન બની શક્યા હોય પરંતુ તમારા પરિવારમાં કાકી, માસી, મામી કે ફોઈ તરીકે તમે માતાની પરફેક્ટ ભૂમિકા નિભાવી હોય છે. પરંતુ જ્યારે સારા પ્રસંગની વાત આવે ત્યારે આવા સમયે તમારી અવગણના કરવામાં આવે છે. હું તો માનું છું કે ભગવાન દરેક સ્ત્રીમાં એક માતા મુકી છે, એ બહેન, દીકરી, પત્ની, ભાભી, પુત્રવધુ જુદા-જુદા સ્વરૂપે પોતાની ભૂમિકા નિભાવતી હોય છે. જરૂરી નથી કે તમે ફિઝિકલી જ માતા બનો.

 

આધુનિક ફિલ્મોમાં પણ આ વાત દર્શાવે છે

તાજેતરમાં જ અક્ષય કુમાર અને અન્ય કલાકારોને દર્શાવતી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ આવી, જેમાં તાપસી પન્નુ પર વંશને આગળ વધારવાનું દબાણ છે, એ માટે એને વારંવાર મહેંણા મારવામાં આવે છે. જ્યારે મલ્હાર ઠાકર અને પૂજા જોશીને દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘વીર ઇશાનું શ્રીમંત’ પણ માતા-પિતા બનવા ન ઇચ્છતા યુવા કપલ અને સમાજનું એમના જીવનમાં જબરદસ્તીની દખલગીરી દર્શાવવામાં આવી છે. થોડા વર્ષો પહેલા આવેલી ગુડ ન્યુઝ ફિલ્મમાં પણ બાળકને લઈને પરિવાર અને સમાજનું માનસિક દબાણ બતાવાયું છે. અફસોસ આ બધામાં વધારે મહિલાને જ માતા ન બનવા માટે દોશી દર્શાવવામાં આવી છે. આવી તો કેટકેટલી ફિલ્મો છે.

માતા ન બની શકે તો એમાં સ્ત્રીનો શો વાંક?

સોશિયલ એક્ટિવિસ્ટ અને લેખિકા ગિરિમાબહેન ઘારેખાન ચિત્રલેખા.કોમને કહે છે, માતા બનવું ન બનવુંએ સ્ત્રીના હાથની કે માનવના હાથની વાત નથી, એ ઇશ્વરના હાથની વાત છે. તો એના માટે કોઈ સ્ત્રીને જવાબદાર ઠેરવી કેટલું યોગ્ય છે? સ્ત્રી માતા બનવા માટે બધુ કરી છુટે છે, હવે તો આઈવીએફ પણ કરાવે છે. શારીરિક યાતનાઓથી લઈને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી માતા બનવા એ પ્રયત્નશીલ રહે છે. પણ જો એ માતા ન બની શકે તો એમાં એનો શો વાંક? આમ તો આપણે નાની-નાની વાતોમાં ભગવાનની મરજી એમ કહીએ છીએ, જ્યારે બીજી બાજુ માતા ન બની શકનાર મહિલા પર દોષનો ટોપલો ઢોળીએ જે યોગ્ય નથી. બીજી એક વાત એ પણ કહેવી છે કે આપણા કહેવાતા ભદ્ધ સમાજમાં સંતાન ન હોય એવી સ્ત્રી માટે વાંજીયણ શબ્દ છે પરંતુ પુરુષો માટે કોઈ શબ્દ નથી. એટલે માતા ન બની શકે એવી મહિલાનો જ બધો દોષ હોય એવુ સ્વાભાવિક રીતે માની લેવામાં આવે છે.

માતા બનવા બાળકને જન્મ આપવો જરૂરી નથી

અમદાવાદની નેશનલ કોલેજમાં 15 વર્ષથી સુપરવાઇઝર તરીકે કામ કરતા અને સામાજિક વિષય પર મહિલાઓને માર્ગદર્શન આપતા ચેતનાબહેન દવે ચિત્રલેખા.કોમને કહે છે, સ્ત્રીને ભગવાનનું સ્વરૂપ કહે છે, એ ગમે એ રીતે વાત્સલ્ય આપી શકે છે. હું તો માનું છું કે, આધુનિક યુગમાં આવી વાતો સારી નથી, સ્ત્રી જ લક્ષ્મી છે તો એને શુકન કે અપશુકન સાથે ન જોડી શકાય. એવું પણ બની શકે કે ઈશ્વરની ઈચ્છા હોય કે એ અન્ય બાળકોને દત્તક લઈને એના પર પોતાનું માતૃત્વ છલકાવે માટે જ એને નિઃસંતાન રાખી હોય. ટૂંકમાં મહિલા ફિઝિકલી ભલે માતા ન હોય પરંતુ એનામાં હંમેશા માતાનું દીલ ધબકતું જ રહે છે. સ્ત્રીની સાચી ઓળખ જ એક મા તરીકેની છે એની માટે એને સંતાનને જન્મ આપે એ જરૂરી નથી.

હકીકતમાં તો હવે માતા-પિતા બનવું કે નહીં એ આજના યુવા કપલ પ્લાનીંગ કરીને નક્કી કરે છે, જો એમને યોગ્ય ન લાગે તો એ યશોદા-નંદલાલ બનીને પોતાના ઘરે કોઈ કનૈયા કે રાધારાની લઇ આવે છે. જેમાં કશું ખોટું પણ નથી. સમાજે સ્વીકારવાની જરૂર છે કે કોઈ મહિલા માત્ર માતા ન બને તો એ અપશુકનિયાળ ન બની જાય કેમ ખરું ને?

હેતલ રાવ

યુવતીને જોઈ આંખ મારી…મુંબઈની અદાલતે યુવકને દોષી ગણાવ્યો

મુંબઈ: એક 22 વર્ષીય યુવકને મુંબઈની અદાલતે મહિલાની ગરિમાનું અપમાન કરવા, તેણીને આંખ મારવા અને તેનો હાથ પકડવા બદલ દોષિત ઠેરવ્યો છે. જો કે, કોર્ટે આરોપીની ઉંમર અને તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ ન હોવાને ધ્યાનમાં લઈને કોઈપણ સજા આપવાનો ઈન્કાર કર્યો હતો.

મેજિસ્ટ્રેટ આરતી કુલકર્ણીએ જણાવ્યું હતું કે આરોપી મોહમ્મદ કૈફ ફકીર દ્વારા કરવામાં આવેલ ગુનો ઓછામાં ઓછી આજીવન કેદની સજાને પાત્ર છે, પરંતુ તેની ઉંમર અને તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ ન હોવાને કારણે તેને પ્રોબેશનનો લાભ આપવામાં આવશે. આ આદેશ 22 ઓગસ્ટે પસાર કરવામાં આવ્યો હતો.

સજાથી આરોપીના ભવિષ્ય પર અસર થશેઃ કોર્ટ
કોર્ટે કહ્યું કે તે મહિલાને થતી માનસિક પીડા અને ઉત્પીડનની અવગણના કરી શકે નહીં, પરંતુ આરોપીને સજા કરવાથી તેના ભવિષ્ય અને સમાજમાં તેની છબી પર અસર થશે. કોર્ટે ફકીરને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354 (મહિલાની નમ્રતાનો આક્રોશ) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે ફકીરને રૂ. 15,000ના બોન્ડ ભર્યા બાદ મુક્ત કરવામાં આવે અને જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે પ્રોબેશન ઓફિસર સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. એપ્રિલ 2022 માં દક્ષિણ મુંબઈના ભાયખલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મહિલાએ સ્થાનિક દુકાનમાંથી કરિયાણાનો ઓર્ડર આપ્યો હતો અને આરોપી જે સંસ્થામાં કામ કરતો હતો ત્યાંથી તે સામાન આપવા મહિલાના ઘરે આવ્યો હતો.

કોર્ટે તેને દોષિત ગણાવ્યો
આરોપીએ મહિલા પાસે પાણીનો ગ્લાસ માંગ્યો અને જ્યારે તે તેને પાણી આપી રહી હતી ત્યારે તેણે કથિત રીતે તેના હાથને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને તેની સામે આંખ મારી. તેણીએ આક્ષેપ કર્યો હતો કે તેણીને કરિયાણાની થેલી આપતી વખતે બીજી વખત તેણીના હાથને સ્પર્શ કર્યો હતો અને પછી ફરી આંખ મારી હતી. મહિલાએ એલાર્મ વગાડતા જ આરોપી ભાગી ગયો હતો. આ પછી મહિલાએ તેના પતિને ઘટના વિશે જણાવ્યું અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આરોપીએ દાવો કર્યો હતો કે તેણે ભૂલથી મહિલાના હાથને સ્પર્શ કર્યો હતો અને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. કોર્ટે સ્વીકાર્યું કે ઘટના સમયે માત્ર પીડિતા અને આરોપી જ હાજર હતા, પરંતુ પુરાવા અને મહિલાનું નિવેદન આરોપીની સંડોવણી સાબિત કરવા માટે પૂરતું મજબૂત છે.

જામનગરના લાલપુરમાં ફસાયેલા 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ

જામનગર: લાલપુરમાંથી હેલિકોપ્ટર દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવાગામ વાડી વિસ્તારમાં આ 11 લોકો ફસાયા હતા. સ્થાનિકોએ અધિકારીઓને જાણ કરી હતી. જેમાં અધિકારીઓએ હેલિકોપ્ટર બોલાવી 11 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

લાલપુરના પ્રાંત અધિકારી સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું અને જીવનું જોખમ ટળ્યું હતુ. જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થયું છે. તાત્કાલિક મદદ મળતા આ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું.

ફન્ડિંગની અછતથી ઝઝૂમી રહી છે JNU?

નવી દિલ્હીઃ દેશની મોટી અને પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) એની મિલકતો વેચવા કે ભાડા પર આપવાની તૈયારીમાં છે. JNUને સરકાર ફંડ આપી છે, પણ યુનિવર્સિટીની આ નવી યોજના ફંડની અછતને ઉજાગર કરે છે. સવાલ એ છે કે સરકારી યુનિવર્સિટીને એની મિલકતો ભાડા પર કેમ આપવી પડી રહી છે?

18 ઓગસ્ટે JNUએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે યુનિવર્સિટીની કેટલીય જરૂરિયાતો છે, જેના માટે JNUને ફી વધાર્યા વગર ફંડ બનાવવાની જરૂર છે. શિક્ષણ મંત્રાલય JNUને સંપૂર્ણ રીતે સબસિડી આપે છે, પણ JNUની પાસે આંતરિક ફંડ નથી. અન્ય કેન્દ્રીય યુનિવર્સિટી આંતરિક ફંડથી 20 ટકાથી 30 ટકા પૈસા એકત્ર કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં JNUમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે.

JNUમાં વિદ્યાર્થીઓની ફી આજે પણ રૂ. 10 અને રૂ. 20 છે. શિક્ષણ મંત્રાલયે યુનિવર્સિટીનું ફન્ડિંગ વધાર્યું છે, પણ યુનિવર્સિટી પાયાની જરૂરિયાતો, પુસ્તકો, ઓનલાઇન સંસાધનો, સોફ્ટવેર વગેરે સંબંધિત વધતા ખર્ચા પૂરા કરવામા અસમર્થ છે. જે રિસર્ચ માટે જરૂરી છે. જેથી યુનિવર્સિટી નાના-મોટા ખર્ચાને પહોંચી વળવા માટે આવક વધારવા માગે છે.
JNUના વાઇસ ચાન્સેલર શાંતિ ડી પંડિતે કહ્યું હતું કે યુનિવર્સિટી નાણાકીય સમસ્યામાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે અમે મિલકતનો યોગ્ય ઉપયોગ કરવા ઇચ્છીએ છીએ. અમે ગોમતી ગેસ્ટ હાઉસ પાછળ દર મહિને રૂ. 50,000 ખર્ચ કરીએ છીએ, જેના બદલામાં અમને કંઈ નથી મળી રહ્યું.

‘સપોર્ટિંગ એક્ટર્સનું શોષણ થાય છે, દબાણ કરવામાં આવે છે’

મુંબઈ: હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ એક તરફ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ એક વરિષ્ઠ અભિનેતાએ બોલિવૂડને લઈ એક ખુલાસો કર્યો છે.’રાઝી’માં આલિયા ભટ્ટના પિતા’હિદાયત ખાન’નું પાત્ર ભજવનાર રજિત કપૂરે બોલિવૂડ વિશે કેટલાક એવા ખુલાસા કર્યા છે, જે બોલિવૂડની વાસ્તવિકતા જણાવે છે.બોલિવૂડમાં એક્ટર્સ અને પે પેરિટીના શોષણ પર અભિનેતાએ મોટો ખુલાસો કર્યો છે. રજિત કપૂરના કહેવા પ્રમાણે ઈન્ડસ્ટ્રીમાં સપોર્ટિંગ કે સાઇડ એક્ટર્સને ઓછા પૈસા અથવા પેમેન્ટ વગર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે અને જો પેમેન્ટ આપવામાં આવે તો પણ તે ક્યારેય સમયસર આપવામાં આવતું નથી.

રજિત કપૂરે બોલિવૂડનો પર્દાફાશ કર્યો

અનફિલ્ટર્ડ બાય સમદિશ સાથેની વાતચીત દરમિયાન રજિત કપૂરે ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રક્ચર્ડ સિસ્ટમના અભાવ પર ધ્યાન આપ્યું અને તેને પગારની અસમાનતાનું સૌથી મોટું કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે લગભગ પાંચ વર્ષથી ચાલી રહેલી કાસ્ટિંગ એજન્સીઓને પણ આમાં બહુ ફરક પડ્યો નથી. કાસ્ટિંગ એજન્સીઓ પહેલા દિગ્દર્શકો અને સહાયક નિર્દેશકો અભિનેતાઓની પસંદગી માટે જવાબદાર હતા. આવા સંજોગોમાં ચૂકવણીની કોઈ ખાતરી વિના દિવસો સુધી રાહ જોવી પડતી હોવાથી તેઓને ઘણીવાર અધર (Other)માં મુકવામાં આવતા હતા.

સપોર્ટિંગ એક્ટર્સને ફીની રાહ જોવી પડે છે

રજિત કપૂરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જ્યારે કલાકારોને તેમના પગારની ચૂકવણી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી ત્યારે તેમના વળતર માટે વકીલાત કરનાર કોઈ નહોતું, જેના કારણે શોષણની વ્યવસ્થા ઊભી થઈ હતી. તે કહે છે, “આજે પણ શોષણ થઈ રહ્યું છે. જો તમારી કિંમત 20,000 રૂપિયા છે, તો પણ તેઓ કહેશે,’જો તમારે આ કરવું હોય તો 10,000 રૂપિયામાં કરો. નહિંતર, એવા ઘણા લોકો છે જેઓ તકની રાહ જોઈ રહ્યા છે. આજે પણ આવું થાય છે.’

કાસ્ટિંગ એજન્સીઓ આવ્યા પછી પણ કોઈ સુધારો થયો નથી
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કાસ્ટિંગ એજન્સીઓના આગમનથી ઉદ્યોગમાં કોઈ સુધારો થયો છે? તો તેના જવાબમાં રજિત કપૂરે કહ્યું હતું કે ‘પ્રોફેશનલિઝમ બાદ પણ સ્થિતિ મોટાભાગે એવી જ છે. તેમણે કહ્યું કે ‘જ્યારે કોર્પોરેટ કર્મચારીઓને 7 થી 15 દિવસમાં ચૂકવણી કરવામાં આવે છે, અભિનેતાઓ ઘણીવાર તેમની ચૂકવણી માટે 90 દિવસ સુધી રાહ જોતા હોય છે.’ તેમણે એમ પણ કહ્યું કે જો તે આ અંગે કોઈ નિર્માતા સામે ઊભા રહેવાનો પ્રયત્ન કરે તો ભવિષ્યમાં તેને પોતાનું કામ ગુમાવવું પડે એવું પણ બને.

મેકર્સ પાસે સહાયક કલાકારો માટે પૈસા નથી
પીઢ અભિનેતાએ ઉદ્યોગમાં નાણાકીય અસમાનતાઓ વિશે પણ વાત કરી. અભિનેતાના જણાવ્યા મુજબ જ્યારે મુખ્ય કલાકારો ઘણીવાર ફિલ્મના બજેટનો નોંધપાત્ર હિસ્સો મેળવે છે, ત્યારે સહાયક કલાકારોને કહેવામાં આવે છે, અમારી પાસે પૈસા નથી. તેમણે આવી પરિસ્થિતિઓ પર તેમની પ્રતિક્રિયા પુનરાવર્તિત કરી. આભાર. જ્યારે તમારી પાસે પૈસા હોય, ત્યારે મને કૉલ કરો. મારો સમય બગાડો નહિ.

મોરબીના ટંકારામાં 14 ઈંચ વરસાદ, કેન્દ્ર સરકારે ફાળવી મદદ

રાજ્યમાં મેઘ મહેર ધીમે ધીમે હવે મેઘ કહેર બની રહી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના તાંડવ સાથે જનજીવન પણ અસ્ત વ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ માટે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.   

ગુજરાતમાં ભારે વરસાદના પગલે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે. રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6.00 થી 10.00 કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો છે. 

તારીખ 27મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 99.66 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 116 ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 108 ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં 101 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 98 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 80 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.