Home Blog Page 1445

PM મોદીએ મિથુનદાને પાઠવ્યા અભિનંદન

મિથુન ચક્રવર્તીને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 8 ઓક્ટોબરે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. મિથુન ચક્રવર્તી માટે આ એવોર્ડની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. વડાપ્રધાન નરેન્દ્રએ પણ અભિનેતાને અભિનંદન પાઠવ્યા છે. તેણે X પર પોસ્ટ શેર કરીને મિથુન ચક્રવર્તીને અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય એવોર્ડની જાહેરાત થતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

પીએમ મોદીએ વખાણ કર્યા

પીએમ નરેન્દ્ર મોદીએ પોસ્ટ શેર કરીને લખ્યું, ‘મને ખુશી છે કે મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અનન્ય યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે એક સાંસ્કૃતિક પ્રતિક છે જેમની પેઢીઓથી તેમના બહુમુખી પ્રદર્શન માટે પ્રશંસા કરવામાં આવી છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ.

ફૂટપાથ પરથી ઉપર આવેલા છોકરા માટે આટલું મોટું સન્માન

અભિનેતા મિથુન ચક્રવર્તી પણ આ પ્રસંગે ખૂબ જ ભાવુક દેખાતા હતા. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે, અભિનેતાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘ક્યારેય વિચાર્યું નથી, મારી પાસે શબ્દો નથી’. મિથુન ચક્રવર્તીએ કહ્યું, જો હું સાચું કહું તો મારી પાસે કોઈ ભાષા નથી. હું આનંદથી હસી શકતો નથી કે રડી શકતો નથી. આટલી મોટી વાત છે, હું તેને કેવી રીતે સમજાવું? કોલકાતામાં ફૂટપાથ પરથી આવીને અહીં આવેલા છોકરાને આટલું મોટું સન્માન આપવાનું હું વિચારી પણ શકતો નથી.

કોને મળ્યો હતો પહેલો દાદાસાહેબ ફાળકે એવોર્ડ? જુઓ આખી યાદી

મુંબઈ: દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તે દર વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવે છે. આ પુરસ્કારમાં ગોલ્ડન લોટસ મેડલિયન, એક શાલ અને રૂ. 10,00,000 રોકડ રકમનો સમાવેશ થાય છે. આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ સૌપ્રથમ 1969માં અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે અભિનેત્રી વહીદા રહેમાનને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

અગાઉ પણ ઘણા સ્ટાર્સનું સન્માન કરવામાં આવ્યું

મિથુન ચક્રવર્તીને તેમની સફળ ફિલ્મ સફર અને સિનેમામાં તેમના યોગદાન માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ઘણા દિગ્ગજોને તેમની શાનદાર સિનેમેટિક સફર માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં દિલીપ કુમાર, દેવા આનંદ, આશા પારેખ, આશા ભોસલે, લતા મંગેશકર જેવા અનેક દિગ્ગજ લોકોના નામ સામેલ છે.

અત્યાર સુધી દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થયેલા દિગ્ગજોની યાદી

વહીદા રહેમાન: 2021            આશા ભોંસલે: 2000                  સોહરાબ મોદી: 1979
આશા પારેખ: 2020              હૃષિકેશ મુખર્જી: 1999                રાયચંદ બોરલઃ 1978
રજનીકાંત: 2019                 બીઆર ચોપરા: 1998                  નીતિન બોઝ: 1977
અમિતાભ બચ્ચન: 2018         કવિ પ્રદીપ: 1997                       કાનન દેવી: 1976
વિનોદ ખન્ના: 2017               શિવાજી ગણેશન: 1996                ધીરેન્દ્ર નાથ ગાંગુલી: 1975
કાસીનાથુની વિશ્વનાથ: 2016    રાજકુમાર: 1995                        બોમીરેડ્ડી નરસિમ્હા રેડ્ડી: 1974
મનોજ કુમાર: 2015               દિલીપ કુમાર: 1994                    રૂબી માયર્સ: 1973
શશિ કપૂર: 2014                 મજરૂહ સુલતાનપુરી: 1993             પંકજ મલિક: 1972
ગુલઝાર: 2013                    ભૂપેન હજારિકા: 1992                   પૃથ્વીરાજ કપૂર: 1971
પ્રાણ: 2012                       ભાલજી પેંઢારકર: 1991                  બિરેન્દ્રનાથ સરકાર: 1970
સૌમિત્ર ચેટર્જી: બંગાળી 2011   અક્કીનેની નાગેશ્વર રાવ: 1990         દેવિકા રાની: 1969
કે બાલાચંદર: 2010               લતા મંગેશકર: 1989
ડી રામાનાયડુ: 2009              અશોક કુમાર: 1988
વીકે મૂર્તિ: 2008                   રાજ કપૂર: 1987
મન્ના ડે: 2007                      બી નાગી રેડ્ડી: 1986
તપન સિંહા: 2006                 વી શાંતારામ: 1985
શ્યામ બેનેગલ: 2005              સત્યજીત રે: 1984
અદૂર ગોપાલકૃષ્ણન: 2004         દુર્ગા ખોટે: 1983
મૃણાલ સેન: 2003                  એલ.વી. પ્રસાદ: 1982
દેવ આનંદ: 2002                  નૌશાદ: 1981
યશ ચોપરા: 2001                  પૈડી જયરાજઃ 1980

બાળકોના પોષણનું ધ્યાન રાખતી બહેનોના આંદોલનનો અંત શું?

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત રાજ્ય માટે કેટલીક યોજનાઓ અમલમાં લવવામાં આવી છે. જે અંતર્ગત  આંગણવાડીઓમાં કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ કુપોષણની કામગીરી પર વધુ ભાર મુકી આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ 2008થી ગુજરાતના તમામ તાલુકા સ્તરે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર પર બાલ સેવા કેન્દ્ર (CMTC/NRC) સેન્ટર કાર્યરત કર્યા છે. જેમાં કુપોષિત બાળક અને સાથે માતાને યોગ્ય સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે. આ સેન્ટરમાં કુક અને વોર્ડ આયા બહેનોની નિમણુક કરવામાં આવી હતી. જેઓ સાત માસથી લઈને પાંચ વર્ષના બાળકોને પોષણ(ફીડિંગ કરાવવાનું) આપવાનું અને જમાવાડું કામ કરીએ છીએ. આ કુક/વોર્ડ આયા બહેનોને શરૂઆતમાં લગભગ 3500 રૂ. આસપાસ વેતન ચૂકવવામાં આવતું હતું. બાદમાં તેમને CMTC/NRCમાંથી અલગ કરી વર્ષ 2017માં સખી મંડળમાં કે રોજમદાર તરીકે કાર્યરત કરવામાં આવ્યા. ત્યારથી લઈને અત્યારે સુધી તેમને માત્ર 7500 રૂ. વેતન તરીકે આપવામાં આવે છે. આથી હવે પગાર વધારા સહિતના અન્ય લાભોની માગ સાથે આ બહેનો ધરણાં પ્રદર્શન યોજી ગાંધીનગર આરોગ્ય વિભાગના અલગ-અલગ અધિકારીઓને અરજી કરી રહી છે.

બીજાના બાળકને પોષણ આપતી આ બહેનો કેટલાક દિવસોથી ગાંધીનગરમાં પોતાની સાથે થતાં શોષણ સામે લડત આપી રહી છે. સરકાર સમક્ષ માગ મુકતી આ બહેનોને એવો જવાબ પણ મળ્યો, કે તમારી શું પોસ્ટ છે? અમારા વિભાગ હેઠળ આપની પોસ્ટ નથી આવતી… તમે આ કચેરી જઈ અરજી કરો… તમારી ફાઈલ મોકલી આપી હવે ફોલો અપ માટે એક અઠવાડિયા પછી આવજો..

આ મુદ્દે ચિત્રલેખા.કોમચંદ્રીકાબેન સાથે વાતચીત કરી. જેઓ મહિસાગર જિલ્લામાં કુક અને વોર્ડ આયા તરીકે કાર્યરત છે. તેમણે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, “અમે કુક અને વોર્ડ આયા બહેનો સાત માસથી પાંચ વર્ષના બાળકને પોષણ આપવાનું અને જમાવાડું કામ કરીએ છીએ. શરૂઆતમાં NRSM એ અમને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લીધા હતા. જ્યારે 2017માં અમને ત્યાંથી હટાવી રોજમદાર તરીકે રાખવામાં આવ્યા અને ત્યારે અમારો વેતન દિવસ 250 એટલે કે મહિનાના 7500 નક્કી કર્યો હતો. જે બાદ પાછલા આઠ વર્ષમાં અનેક રજૂઆત બાદ અમારા પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના લગભગ તમામ અધિકારીને રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ મળ્યો નથી. કેટલીક વાર ફોલોઅપ લેવાનું કહી ટાળવામાં આવ્યું, કેટલીક વખત તમારો કેસ અમારા અધિકાર નીચે નથી આવી રહ્યો એવું કહી ટાળવામાં આવ્યું. જેથી હવે અમે અમારી માગ સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છીએ. અમારી માગ એટલી જ છે કે સામાન્ય રોજમદારની જેમ સરકારના ધારાધોરણ હેઠળ અમને પગાર વધારો કરી આપવામાં આવે. કેમ કે, અમે આ પગારમાં ઘર ચલાવી શકતા નથી. જ્યારે અમે 12 કલાકની નોકરી કર્યા બાદ સરકારી રજા વગર કાર્યરત હોવા છતાં પણ અમને પૂરો પગાર વધારો મળી રહ્યો નથી.”

તો બીજી બાજુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે થયેલી મુલાકાત વિશે વાત કરતા ધર્મિષ્ઠા બેન જણાવે છે, “અમે અત્યાર સુધીમાં તમામ આરોગ્ય ખાતાના અધિકારીને મળી ચૂક્યા છીએ. આ ઉપરાંત તમામને અમારી રજૂઆત પણ કરી છે. જ્યારે અમે ફોલો અપ માટે બીજી મુલાકાત કરીએ છીએ ત્યારે જોઈશું.. કરીશું.. જેવા જવાબ સિવાય કશું મળતું નથી. અમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ અમારી મુંજવણ વિશે જણાવ્યું હતું. પહેલી મુલાકાત વખતે તેમણે અમારી સાથે વાત કરી અમારી વેદના સમજી ત્યારે એક ફાઈલ તૈયાર કરાવી અને સમસ્યાનું સમાધાન લાવવાનું આશ્વાસન આપ્યું હતું. જ્યારે બીજી અને ત્રીજી મુલાકાત બાદ અમને વારંવાર ન આવવા માટે કહેવામાં આવ્યું. હવે તો સીન એવો છે કે અમારી સમસ્યાઓનું સમાધાન એક સાઈડ પર રહ્યું અમારી રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી.”

બાળકોને પોષણ આપતી કુક/ વોર્ડ આયા બહેનોના શોષણ પર વાત કરતા ધર્મિષ્ઠાબેન કહે છે, “જ્યારે અમે સખી મંડળમાં રજૂઆત કરવા પહોંચ્યા, ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યુ કે કુક અને આયા બહેનો વિશે અમને કોઈ જાણ નથી. અમારા સખી મંડળ હેઠળ કુક અને આયા બહેનો આવતા નથી. આ ઉપરાંત IAS અધિકારી સુધી અમારા વિશે કોઈ પણ જાણ નથી.”

ગુજરાતની 700થી વધુ બહેનો, જે પોતાનું ગુજરાન ચલાવવા માટે કુક અને વોર્ડ આયા તરીકે ફરજ બજાવે છે. રાજ્યની આ બહેનો કે જે બીજાના બાળકોને પોષણ આપવાનું કામ કરે છે, તેમની સરકારના ચોપડે કોઈ નોંધ જ નથી? આ બહેનો લગભગ છ દિવસથી ગાંધીનગર બહાર શાંતિપૂર્ણ વાતાવરણમાં આંદોલન કરી રહ્યા છે અને તેમના પ્રશ્નોનું ક્યારે નિરાકણ આવશે તે પણ એક મોટો સવાલ અત્યારે તો ઉભો જ છે.

સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 1270 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 26,000ની નીચે

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. નિફ્ટી અને સેન્સેક્સમાં આશરે બે મહિનાનો સૌથી મોટી ઇન્ટ્રા-ડે ઘટાડો થયો હતો. બજારમાં જિયોપોલિટિકલ ટેન્શનને કારણે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકા તૂટ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.55 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

વિદેશી રોકાણકારોએ સપ્તાહના પ્રારંભે ધૂમ વેચવાલી કરી હતી. રિલાયન્સ, ICICI બેન્ક, HDFC બેન્ક અને એક્સિસ બેન્કને લીધે સેન્સેક્સ 730 પોઇન્ટ તૂટ્યો હતો, જેમાં ઇન્ફોસિસ, M&M ભારતી એરટેલ, SBI અને ITCનો પણ ફાળો હતો. સૌથી વધુ વેચવાલી ઓટો શેરોમાં જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1272 પોઇન્ટ તૂટીને 84,300ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 368 પોઇન્ટ તૂટીને 25,811ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 233 પોઇન્ટ તૂટીને 60,148ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 856 પોઇન્ટ તૂટીને 52,978ની સપાટીએ બંધ આવ્યો હતો.

NSE પર કામચલાઉ ડેટા મુજબ FIIએ 27 સપ્ટેમ્બરે રૂ. 1209.10 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે DIIએ રૂ. 6886.65 કરોડની શેરોમાં ખરીદી કરી હતી.

આ સાથે બજારની નજર હવે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ નીતિવિષયક વ્યાજદરો પર ભાષણ આપશે, એના પર નજર છે. આ ઉપરાંત અમેરિકામાં જોબ ઓપનિંગ, ખાનગી ભરતીઓની સંખ્યા એટલે કે રોજગારી ડેટા અને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ ISM સર્વે પર રહેશે. આ સાથે રોકાણકારોની નજર RBIની દ્વિમાસિક ધિરાણ નીતિ પર રહેશે તેમ જ આવનારા સમયમાં સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર રહેશે.

BSE એક્સચેન્જ પર કુલ 4193 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1821 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2218 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 154 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 399 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 293 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

મહારાષ્ટ્રમાં ગાય બની રાજમાતા, સરકારનો મોટો નિર્ણય

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. મહાયુતિ સરકારે આ અંગે જાહેરાત કરી છે. ખરેખર, સરકારે સોમવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલા શિંદે સરકારનો આ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

સરકારના જણાવ્યા અનુસાર, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયના સ્થાનને ધ્યાનમાં રાખીને, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્વનું સ્થાન. , હવેથી દેશી ગાયોને “રાજ્યમાતા ગોમાતા” તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે (30 સપ્ટેમ્બર) મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં દેશી ગાયોના ઉછેર માટે દરરોજ 50 રૂપિયાની સબસિડી યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે ગૌશાળાઓ તેને પોષાય તેમ નથી. તેમની ઓછી આવક તેથી તેમને મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ યોજના મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ દ્વારા ઓનલાઈન લાગુ કરવામાં આવશે. દરેક જિલ્લામાં એક જિલ્લા ગૌશાળા ચકાસણી સમિતિ હશે. 2019ની 20મી પશુ ગણતરી મુજબ, દેશી ગાયોની સંખ્યામાં 46,13,632નો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. 19મી વસ્તી ગણતરીની સરખામણીમાં આ સંખ્યામાં 20.69 ટકાનો ઘટાડો થયો છે.

ગાય ખેડૂતો માટે વરદાન
આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, દેશી ગાય અમારા ખેડૂતો માટે વરદાન છે, તેથી અમે તેને આ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. અમે દેશી ગાયના પોષણ અને ઘાસચારામાં મદદ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં ટ્રાફિક મુક્તિ માટે 245 કરોડનો પ્રોજેક્ટ, CMનો મહત્વનો નિર્ણય

અમદાવાદ: ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે. રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ વિષય આવતા તેમણે લોકોને ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામત યાતાયાત થઈ શકે તે હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તેના માટે 245.30 કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સના વાઇડનીંગ માટે ફાળવ્યા છે. મુખ્યમંત્રીના આ જન હિતકારી નિર્ણયથી આગામી દિવસોમાં રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં વધુ સુવિધાજનક નેટવર્ક નાગરિકોને ઉપલબ્ધ થશે અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, તોડ્યો સચિનનો રેકોર્ડ

કાનપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલીએ 35 રન બનાવતાની સાથે જ એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો જેનું અન્ય ખેલાડીઓ સપનામાં પણ વિચારી ન શકે. વિરાટ કોહલીએ કાનપુર ટેસ્ટમાં 35 રનના આંકડા પર પહોંચતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 27 હજાર રન પૂરા કર્યા. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો ચોથો ખેલાડી છે. પરંતુ સૌથી ઝડપી 27 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે છે. તેણે સચિન તેંડુલકરને હરાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આટલું જ નહીં, પોન્ટિંગ અને સંગાકારા જેવા મહાન ખેલાડીઓ પણ તેનાથી પાછળ રહ્યા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રનનો રેકોર્ડ હવે વિરાટના નામે છે. તેણે 594મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકરે 623 ઇનિંગ્સમાં 27 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. જ્યારે આ આંકડા માટે કુમાર સંગાકારાએ 648 અને રિકી પોન્ટિંગે 650 ઈનિંગ્સ રમી હતી. સચિન-સંગકારા અને પોન્ટિંગે સાથે મળીને 234 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે, પરંતુ તેમ છતાં, વિરાટ હવે ઝડપી ગતિએ રન બનાવવાના મામલામાં આ ત્રણ મહાન ખેલાડીઓથી આગળ છે.

વિરાટ કોહલીના આશ્ચર્યજનક આંકડા

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાના મામલામાં નંબર 1 ભારતીય છે. તેણે 232 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
વિરાટ કોહલી સૌથી ઝડપી 15 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ક્રિકેટર છે. તેણે 333 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવનાર ખેલાડી પણ છે. તેણે 417 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે વિરાટ સૌથી ઝડપી 27 હજારના આંકડા પર પહોંચી ગયો છે.

આસામ સરકારના બુલડોઝર એક્શન પર ‘સુપ્રીમ’ રોક

નવી દિલ્હીઃ બુલડોઝર એક્શનની વિરુદ્ધ ફરી એક વાર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. આસામના સોનાપુરમાં ગેરકાયદે નિર્માણ પર બુલડોઝર એક્શન પર કોર્ટે રોક લગાવી છે. જે લોકો ત્યાં વસેલા છે, તેમને હટાવવા પર પણ કોર્ટે રોક લગાવી દીધો છે. જસ્ટિસ BR ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે આસામ સરકારને નોટિસ જારી કરી છે અને ત્રણ સપ્તાહમાં જવાબ માગ્યો છે.

કોર્ટમાં 48 લોકો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે કોર્ટે બુલડોઝર એક્શન પર પહેલી ઓક્ટોબર સુધી રોક લગાવી છે તો પછી આ પગલાં કેમ લેવામાં આવ્યાં. આવું કરવું એ સુપ્રીમ કોર્ટનો અનાદર છે.  એ સાથે આરોપ લગાવવામાં આવ્યો હતો કે અધિકારીઓએ કાનૂની પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. એ પણ તર્ક આપવામાં આવ્યો હતો કે લોકોને સાંભળવાની તક આપ્યા વિના તોડફોડ કરવામાં આવી હતી. એ બંધારણના આર્ટિકલ 14,15 અને 21નું ઉલ્લંઘન છે.

સોનાપુર ગુવાહાટીના બહારી વિસ્તારોમાં આવે છે અને કામરૂપ જિલ્લામાં પડે છે. આ વિસ્તારમાં વહીવટી તંત્ર તરફથી કેટલાક જિલ્લાઓમાં ગેરકાયદે બાંધકામની ઓળખ કરવામાં આવી હતી. અહીં આદિવાસી વિસ્તારની જમીન પર અતિક્રમણ કરીને ઘરોનુ બાંધકામ કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આ પહેલાં 17 સપ્ટેમ્બરે આપેલા આદેશમાં કહ્યું હતું કે કોર્ટની મંજૂરી વિના બુલડોઝરની કાર્યવાહી ના કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રસ્તા, ફૂટપાથ કે રેલવે લાઇન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામમાં આ નિર્દેશ લાગુ નથી થતો.

‘ભગવાનને તો રાજકારણથી દૂર રાખો…’ : સુપ્રીમ કોર્ટ

આંધ્રપ્રદેશના તિરુપતિમાં સામે આવેલા લાડુ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભગવાનને તો રાજકારણથી દૂર રાખો. જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ સુબ્રમણ્યમ સ્વામીના વકીલે કહ્યું કે બાંધકામ સામગ્રી તપાસ્યા વિના રસોડામાં જઈ રહી છે. તપાસમાં બહાર આવ્યું છે. સિસ્ટમ તેની દેખરેખ માટે જવાબદાર હોવી જોઈએ કારણ કે તે દેવતા માટે અર્પણ છે અને જનતા અને ભક્તો માટે સૌથી પવિત્ર છે.

CARTમાં દાખલ કરાયેલી અરજીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા આરોપોની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરવામાં આવી છે. તેમનો દાવો છે કે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન, લાડુમાં વપરાતા પ્રસાદમ અને ઘીની ગુણવત્તા ચકાસવા માટે રાજ્ય સરકારની એક સોસાયટી તિરુપતિમાં છે. તિરુપતિ ટેમ્પલ બોર્ડ વતી વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ અને આંધ્ર પ્રદેશ રાજ્ય વતી વરિષ્ઠ એડવોકેટ એડવોકેટ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા.

કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા

જસ્ટિસ બીઆર ગવઈએ આંધ્ર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “જ્યારે તમે બંધારણીય પદ સંભાળો છો, ત્યારે તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેવતાઓને રાજકારણથી દૂર રાખવામાં આવશે.” કોર્ટે રોહતગીને એમ પણ પૂછ્યું કે, “તમે SIT માટે આદેશ આપ્યો હતો, પરિણામ આવે ત્યાં સુધી પ્રેસમાં જવાની શું જરૂર છે? તમે હંમેશા આવા મામલાઓમાં હાજર રહ્યા છો, આ બીજી વખત છે.”

ચંદ્રાબાબુ નાયડુ સરકાર વતી રોહતગીએ દલીલ કરી હતી કે આ ‘સાચી અરજીઓ નથી’. અગાઉની સરકાર દ્વારા વર્તમાન સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું હતું કે લાડુ બનાવવામાં દૂષિત ઘીનો ઉપયોગ થતો હોવાના કયા પુરાવા છે. તેના પર તિરુપતિ મંદિર તરફથી હાજર રહેલા વકીલ સિદ્ધાર્થ લુથરાએ બેન્ચને કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. આ પછી જસ્ટિસ ગવઈએ પૂછ્યું, “તો પછી તરત જ પ્રેસમાં જવાની શું જરૂર હતી? તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.”

સાયન્સ સિટીમાં ‘વન વીક વન થીમ’ અભિયાન હેઠળ કાર્યક્રમ

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના સહયોગથી ‘વન વીક વન થીમ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ (CLP) થીમ પર 28 સપ્ટેમ્બરે કાર્યક્રમના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસાયણ, લેધર અને પેટ્રોલકેમિકલ્સ ક્ષેત્રોમાં થયેલા મહત્વપૂર્ણ વિકાસ, નવીન સંશોધનો અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી. ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, CSIR પ્રયોગશાળાના સંચાલકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ સહિત 160થી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં હૈદરાબાદ સ્થિત CSIR – IICT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી)ના ડાયરેક્ટર ડૉ. શ્રીનિવાસ રેડ્ડીએ સહભાગીઓને આવકાર્યા. તેમણે આ પ્રસંગે જુદી-જુદી CSIR પ્રયોગશાળાઓ અને ગુજરાતના રાસાયણિક ઉદ્યોગો વચ્ચે સહયોગના મહત્વ પર ભાર આપ્યો. ભારતના રાસાયણિક કેન્દ્ર તરીકે ગુજરાતને મહત્વનું રાજ્ય ગણાવ્યું. CSIR-CLRIના ડાયરેક્ટર અને ‘વન વીક વન થીમ’ અભિયાનના કેમિકલ્સ (લેધર સહિત) અને પેટ્રોકેમિકલ્સ (CLP) થીમના ડાયરેક્ટર ડૉ. કે.જે. શ્રીરામે CLP થીમ અંતર્ગત CSIR પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવેલી મહત્વની પહેલ અંગે વાત કરી.

ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સુબોધ જોશીએ આ પ્રસંગે કહ્યું, ખેડૂતો અને પૃથ્વી બંનેના લાભ માટે વૈજ્ઞાનિક કાર્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ગુજરાતમાં રાસાયણિક ઉદ્યોગોની વર્તમાન સ્થિતિ અને ભારતની અર્થવ્યવસ્થામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન છે. GHCL ઈન્ડસ્ટ્રીઝ-ગુજરાતના પ્રમુખ પી.એન. રાવ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર તરફ ધ્યાન આપવાની તથા મીઠા અને મીઠાને લગતી ઉપપેદાશો જેવી કે બ્રોમીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સહિતના રાસાયણિક તત્વો,  કેમિકલને લગતા સંશોધનો અને ટેકનોલોજીની ઇન્ડસ્ટ્રીને ખૂબ જ જરૂર છે. ગ્લાસના ઉત્પાદન, સોડાએશ, કોસ્ટિક સોડા, ક્લોરો-આલ્કલી અને ડિટર્જન્ટ જેવા કેમિકલ ઉદ્યોગોમાં ભારતમાં મીઠાના ઉદ્યોગની ખૂબ જ માંગ છે.વસા ગ્રૂપ ઓફ કંપનીઝના CMD અને ગુજરાત કેમિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. જૈમિન આર. વસા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાસાયણિક ઉદ્યોગની વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને સુનિશ્ચિત કરવા તથા નવીન સંશોધનો અને ટકાઉ પ્રથાઓ માટે આ પ્રકારની ભાગીદારી કેટલી મહત્વપૂર્ણ છે તેના પર તેમણે ભાર આપ્યો.ગુજરાત સાયન્સ સિટી દ્વારા લોકો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.