Home Blog Page 1339

વડતાલધામ ૨૦૦ વર્ષથી માનવતાના કલ્યાણ માટે સેવારત છે: આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: વડતાલમાં ચાલી રહેલા લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિતિ રહ્યા. સંસારનો ત્યાગ કરી કઠોર જીવનનો માર્ગ અપનાવનાર 47 નવદીક્ષિતોને શુભકામનાઓ પાઠવી. રાજયપાલ આચાર્ય દેવવ્રતએ આ પ્રસંગે જણાવ્યું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક  અને સમાજસેવાના તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન રહ્યું છે. જે વિશ્વવ્યાપી બનવા સાથે આવનારી પેઢીને માટે પ્રેરણાદાયી બની રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ સમાન વડતાલધામ છેલ્લા ૨૦૦ વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે કાર્ય કરી રહ્યું છે. આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે. આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રો અને ધર્મગ્રંથો દ્વારા ભાવી પેઢીને જીવન જીવવાનું  દર્શન કરાવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસનમુકત અને સુસંસ્કારી બનાવવાનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે સરાહનીય છે.

આ પ્રસંગે સંસ્થાના આચાર્ય રાકેશપ્રસાદજી, ટેમ્પલ સમિતિના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી, વક્તા સંત સર્વ જ્ઞાનજીવન સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, સંતો, મહંતો સહિત દેશ વિદેશના હરિભક્તો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘વી પ્રોટેક્ટ’ના મિશન હેઠળ ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાં એક જીવ બચાવ્યો!

‘વી પ્રોટેક્ટ’ના મકસદ સાથે ફરી એકવાર ભારતીય કોસ્ટ ગાર્ડે પોતાની ક્ષમતા દર્શાવી અને 11 નવેમ્બર 2024ના રોજ જિંદગી બચાવવાનો મિશન સફળ બનાવ્યો! આ ઇમર્જન્સી રેસ્ક્યૂ માટે ઇન્ટરસેપ્ટર બોટ ICGS C-149ને તાત્કાલિક જવાબદારી સોંપવામાં આવી હતી, અને પરિણામે એક કીમતી જીવને બચાવવામાં આવ્યો.

આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે ભારતીય ફિશિંગ બોટ ધન પ્રસાદ (રજી. નંબર IND-GJ-14-0597) પર સવાર એક માછીમાર અચાનક ગંભીર રીતે બીમાર થયો. આ બોટ દરિયામાં દમણથી લગભગ 60 કિ.મી. દૂર દક્ષિણ-પૂર્વ તરફ હતી. ICGS પિપાવાવે તરત જ ICGS C-419ની ટીમને આ મેડિકલ ઇમર્જન્સી માટે મોકલી આપવામાં આવ્યા હતા.

ICGS C-419 ઝડપથી માછીમાર પાસે પહોંચી અને દર્દીનો જીવ બચાવવામાં આવ્યો. જ્યાં માછીમારને પ્રાથમિક સારવાર આપી પછી પિપાવાવના RNEL જેટી પર લઈ જવામાં આવ્યો, જ્યાં સ્ટેશનના મેડિકલ ઓફિસરે દર્દીના તમામ જરૂરી ચેક-અપ કર્યા. ત્યાર બાદ દર્દીને રાજુલાની સ્થાનિક હોસ્પિટલમાં તેના પરિવારજનોની હાજરીમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા.

દેશમાં 10 વર્ષમાં રોડ અકસ્માતમાં 15 લાખ લોકોનાં મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના દહેરાદૂનમાં થયેલા રોડ એક્સિડન્ટે ફરી એક વાર રસ્તા પર દોડતા મોતને લઈને ચિંતા વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટ પણ એના પર ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લાં 10 વર્ષમાં 15 લાખથી વધુ મોત થઈ ચૂક્યાં છે. દેશમાં પ્રતિ 10,000 કિલોમીટર પર આશરે 250 લોકોનાં મોત થયાં છે. જે અમેરિકા, ચીન અને ઓસ્ટ્રેલિયામાં 57,119 અને 11 છે.

દેશમાં છેલ્લાં 10 વર્ષો ( 2014-2023)માં 15.3 લાખ લોકોનાં મોત થયાં છે, જ્યારે 2004-2013 દરમ્યાન 12.1 લાખ લોકોનાં મોત થયાં હતાં. આ આંકડો ચંડીગઢની વસતિથી વધુ છે. અમેરિકામાં પ્રતિ 57,119 કિલોમીટરે આ રેશિયો છે. આ સાથે દેશમાં આ રોડ એક્સિડન્ટમાં છેલ્લાં 10 વર્ષો (2014-2023)માં 45.1 લાખ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 2004-2013માં 50.3 લાખ લોકો ઘાયલ થયા હતા. જોકે દેશમાં 2012ની તુલનાએ 2024માં નોંધાયેલા વાહનોની સંખ્યા બમણી થઈ છે. વર્ષ 2012માં દેશમાં 15.9 કરોડ ગાડીઓ હતી, જ્યારે 38.3 કરોડ કારો છે.

દેશમાં વર્ષ 2012માં 50-3 લાખ કિલોમીટરના રસ્તા હતા, જે 2024માં વધીને 63.3 લાખ કિલોમીટર થયા છે. રસ્તા પર મોતના મામલે દેશમાં જે ટોચનાં રાજ્યો છે, એમાં વર્ષ 2023માં ઉત્તર પ્રદેશ (23,652), મહારાષ્ટ્ર (15,224), મધ્ય પ્રદેશ (13,427), કર્ણાટક (11,702) અને રાજસ્થાન (11,104)નો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઇનોવા કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં છ લોકોનાં મોત થયાં હતાં, મૃતકોમાં ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. જ્યારે એક યુવક એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ મુસાફરો વિદ્યાર્થીઓ હતા. તમામની ઉંમર 25 વર્ષથી ઓછી છે. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

 

 

 

 

એલાયન્સ ફ્રાંસેઝ-અર્થશિલા દ્વારા ‘લૂકી લૂક’ નામના આગમેન્ટેડ રિયાલિટી શૉનું આયોજન

અમદાવાદ: એલાયન્સ ફ્રાંસેઝ અને અર્થશિલામાં પ્રસિદ્ધ ફ્રેન્ચ કલાકાર ઓરેલિયન જિન્ની દ્વારા ‘લૂકી લૂક’ નામનો આગમેન્ટેડ રિયાલિટી પ્રદર્શન રજૂ કરવામાં આવવાનો છે. આ અનોખા શૉમાં વિવિધ શૈલી અને ટેક્નોલોજીનો સમન્વય જોવા મળશે. અહીં આવતા મુલાકાતીઓ રંગબેરંગી લુક-એન્ડ-ફાઇન્ડ ગેમનો આનંદ લઈ શકે છે. મેઝોન ટેન્ઝિબલ એપની મદદથી દર્શકો દરેક આર્ટવર્કને જીવંત બનાવી શકશે. જેમાં ભારતીય ફૂલમાર્કેટથી લઈને હિન્દુ મંદિર સુધીની જગ્યાઓ જીવંત કરીને પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

ફ્રેન્ચ ઈન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયાના ડિરેક્ટર ગ્રેગોર ટ્રુમેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાવાનો છે. જે 14મી નવેમ્બરના રોજ સાંજે 6:30 કલાકે યોજાશે. આ પ્રદર્શન 15મી નવેમ્બર, 2024થી લઈને 5મી જાન્યુઆરી, 2025 સુધી અર્થશિલા ખાતે યોજાવાનું છે. આ અંગે વધુ માહિતી માટે તમે એલાયન્સ ફ્રાંસેઝ, અમદાવાદનો સંપર્ક કરી શકો છો.

દિવાળી પછી પણ દિવાળી

દિવાળી આવી પાછી જાય અમે તો ઝળહળવાના રે,
પ્રગટાવો દીવા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે,

બે અઠવાડીયા વીતી ગયા છતાં અમેરિકામાં દિવાળી અને તેનું સેલિબ્રેશન ચાલુ છે. આ વિકેન્ડમાં ડેલાવર સ્ટેટમાં ગુજરાતી સમાજ અને અહી નવો ઉભરતો વૈષ્ણવ સમાજે ભેગા મળીને અન્નકુટની ઉજવણી કરી, વૈષ્ણવ ભક્તો ઉપરાંત બીજા ઘણા ગુજરાતીઓ ભેગા મળીને આ ઉત્સવ ઉજવ્યો હતો.

અમેરિકામાં ડેલાવર સ્ટેટમાં વૈષ્ણવ સંપ્રદાય સમાજ છેલ્લા કેટલાય વખતથી એક નાનો હોલ રાખી દર મહીને શ્રીજી બાવાની પૂજા પાઠ વગેરે કરે છે. વૈષ્ણવ સમાજની રચના તો થઈ પરંતુ એ કેવી રીતે થઈ એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આ વાત પણ મજાની છે. અહિયાં રહેતા વૈષ્ણવો ભેગા મળીને આમ પાઠ ધોળ કીર્તન કરતા હતા. એવામાં ચારેક વર્ષ પહેલા કડીની બેઠક ઉપરથી દ્વારકેશલાલ બાબા ફ્લોરીડા કથા કરવા આવ્યા હતા. સાથે શ્રીનાથજીની આ મૂર્તિ લાવ્યા હતા. તે ડેલાવર ખાતે કથા કરવા રોકાયા.

આ દરમિયાન તેમને પ્રેરણા થઇ કે આ મૂર્તિને છબી અહીજ રાખવી. બસ ત્યારથી શ્રીજી બાવાની આ સુંદર મૂર્તિ અહીં છે. નંદ મહોત્સવ, હોળી-ધૂળેટી, સાથે દરેક હિંદુ તહેવારમાં સહુ સત્સંગીઓ પ્રસાદ, જમવાનું બધું સ્વેચ્છાએ ઘરેથી બનાવી લાવીને ઉજવે છે.

ભગવાનની આ મનોહર મૂર્તિને કલ્પનાબેન પટેલ જે ડોવર ડેલાવરમાં રહે છે તેમના ઘરે રાખવામાં આવી. સહુથી અધરું અને ખુબ માવજત માંગી લેતું કામ છે વિધિસર પારંપરિક રીતે શ્રીનાથજીના શણગાર કરવાનું. રોજની પૂજા શણગાર કલ્પનાબેન કરે છતાં દર મહીને શણગાર માટે અને ખાસ તહેવારોમાં ભગવાન ઘર બદલે છે એટલેકે થોડા દિવસો પહેલા રૂપલ પટેલના ઘરે આવે છે, કારણ છે તેમનો દીકરો હિતેન જે બ્રિટીશ બોર્ન અને અમેરિકામાં મોટો થયેલો 26 વર્ષનો યુવાન છે હાલ ડેન્ટલ કોલેજમાં ડોક્ટરની ડીગ્રી મેળવી રહ્યો છે.

આ દીકરો ભગવાનના ખુબજ સુંદર વાધા અને શણગાર બધું ઘરે જાતે બનાવી પહેરાવે છે. મંદિરના મહંત કરતા પણ ખુબ ચીવટથી પ્રસાદથી લઇ બધીજ કામગીરી કરે છે. આમ સહુના સહકારથી આવા સુંદર પ્રસંગો પરદેશમાં પુરા પડે છે. આવા સંસ્કાર તેને જન્મજાત મળેલા કહી શકાય.

જરૂરી એવું કામ ભગવાનનું ઘર બનાવવાનું, આ માટે અહીના સત્સંગીઓ પુષ્ટિમાર્ગને આગળ લઇ જવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. પરદેશમાં રહીને પણ પોતાનો ધર્મ સંસ્કાર ટકાવી રાખવાની આધ્યાત્મિક સ્થળ એટલેકે એટલે કે શ્રીનાથજીની હવેલી માટે જગ્યાની શોધ આરંભાઈ છે.

આ સંસ્થા હજુ નવી છે, ખુબ મહેનત અને ફંડ માંગી લે તેમ છે છતાં ઘણા પુષ્ટિમાર્ગને અનુસરતા સત્સંગીઓ આ કાર્યને ઝડપથી પૂરું કરવા પ્રયત્નશીલ છે. પરદેશમાં રહીને પણ પોતાનો ધર્મ સંસ્કાર ટકાવી રાખવાની આધ્યાત્મિક સ્થળ બનાવવાની મહેનત સફળ થાય અને ભગવાને તેમનું ઘર મળી જાય તેવી અંતકરણની ઈચ્છા અને પ્રાર્થના..

  • રેખા પટેલ (ડેલાવર-યુએસએ)

બોપલ હત્યા કેસ: પોલીસે જાહેર કર્યો આરોપીનો સ્કેચ

અમદાવાદ: શહેરનો પોસ ગણાતો એરીયા બોપલ વિસ્તારમાં રવિવારે રાતના સમયે બુલેટ પર તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો. ત્યારે બોપલ રેઈન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી કાર ચાલકે નજીવી બાબતે બોલાચાલીમાં થઈ હતી. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને  ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઘટનાના આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા કાર ચાલકનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી આ સ્કેચ વાળી વ્યક્તિ કે તેના જેવા દેખાતી વ્યક્તિ અંગે કોઇ પણ માહીતી મળે તો તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશનનો નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. માહીતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવમાં આવશે.

શું હતો મામલો?

23 વર્ષીય પ્રિયાંશુ જૈન માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતના આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હોવાથી તે દિવસે કપડાં સીવડાવવા માટે બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરમાં શુટનું માપ આપવા માટે ગયા હતા. બાદમાં તેઓ ભોજન કરીને રાતના સાડા દસ વાગે પરત હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને અવાજ કરીને વાહન સરખું ચલાવવાનો ઠપકો આપતા કારચાલકે કારને પરત લાવીને પ્રિયાંશુ અને તેના મિત્ર સાથે તકરાર કરી હતી. આ દરમિયાન કારચાલક તેની કારમાંથી બે છરી લઇને આવ્યો હતો અને તેણે બંને હાથમાં છરી રાખીને પ્રિયાંશુના બરડા પર ઘા માર્યા હતો. જેના કારણે પ્રિયાંશુ નીચે પછડાયો હતો.  જેથી પૃથ્વીરાજ ઇજાગ્રસ્ત પ્રિયાંશુને એક ખાનગી કારમાં બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની તપાસ શરૂ કરી છે.

‘અઘાડી એટલે ભ્રષ્ટાચારના સૌથી મોટા ખેલાડી’, PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ચિમૂરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ જાહેર સભામાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ મહા વિકાસ અઘાડી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાયુતી સરકાર અને કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનો અર્થ વિકાસની ગતિ બમણી છે.


વડાપ્રધાને કહ્યું કે ‘છેલ્લા અઢી વર્ષમાં તમે વિકાસની બમણી ગતિ જોઈ છે. મહારાષ્ટ્ર સૌથી વધુ વિદેશી રોકાણ ધરાવતું રાજ્ય છે. નવા એરપોર્ટ અને એક્સપ્રેસ વે છે, એક ડઝન વંદે ભારત ટ્રેનો દોડી રહી છે અને 100 થી વધુ રેલ્વે સ્ટેશનોને નવજીવન આપવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રનો ઝડપી વિકાસ આઘાડીના હાથમાં નથી. તેમણે વિકાસને રોકવા માટે પીએચડી કર્યું છે અને કોંગ્રેસે આમાં ડબલ પીએચડી કરી છે. આઘાડી એટલે ભ્રષ્ટાચારનો સૌથી મોટો ખેલાડી.


વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સાથે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનો અર્થ રાજ્યમાં ડબલ એન્જિન સરકાર છે. મતલબ બમણી ઝડપે વિકાસ. મહાયુતિ સરકાર કઈ ઝડપે કામ કરે છે અને અઘાડી લોકોનું આ જૂથ કેવી રીતે કામ અટકાવે છે, તે ચંદ્રપુરના લોકો કરતાં વધુ કોણ જાણશે. અહીંના લોકો દાયકાઓથી રેલ જોડાણની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસ અને આઘાડીએ ક્યારેય આ કામ થવા દીધું નથી.

વડાપ્રધાને કહ્યું કે આજે તમે પોતે જ બતાવી દીધું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો કેવા આવવાના છે. લોકોની આ ભીડ કહી રહી છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ચિમુર અને સમગ્ર મહારાષ્ટ્રની જનતાએ નક્કી કર્યું છે – ‘ભાજપ – મહાયુતિ આહે, તાર ગતિ આહે, મહારાષ્ટ્રની પ્રગતિ આહે.’

ચૂંટણી પછી CM યોગીની ખુરશી જવાનો અખિલેશનો દાવો

લખનૌઃ લોકસભા ચૂંટણીમાં અખિલેળ યાદવની પાર્ટી મળેલી સફળતા પછી તેઓ સતત ભાજપ અને CM યોગી પર તીખો હુમલો કરી રહ્યા છે. રાજ્યમાં નવ સીટો પર થનારી પેટા ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન SPપ્રમુખ ભાજપની હારનો દાવો કરી રહ્યા છે. તેઓ વારંવાર કહેતા રહે છે કે CM યોગીની ખુરશી જવાની છે.

મુરાદાબાદના કુંદરકીની સભામાં તેમણે કહ્યું હતું કે CM યોગીની ખુરશી જવાની છે. દિલ્હીવાળા તેમને CMની ખુરશીથી હટાવવા માટે તક શોધી રહ્યા છે. હવે તેઓ કહે છે કે મહારાષ્ટ્ર ચૂંટણી પછી તેમની ખુરશી જવાની છે. ભાજપના નકારાત્મક રાજકારણને લોકોએ નકાર્યું છે. ઇન્ડિયા ગઠબંધનની જીત થશે. CM યોગીની ખુરશી જવી નિશ્ચિત છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો આવતાં તેમની ખુરશી જશે, એમ તેમણે કહ્યું હતું.

તેઓ EVM અને પોલીસ વહીવટી તંત્ર પર વારંવાર સરકારની મદદ કરવાનો આરોપ લગાવતા રહે છે. પેટા ચૂંટણી માટે પ્રચાર દરમ્યાન તેમણે એ આરોપ વારંવાર લગાવ્યા હતા. હવે EVM અને હેરફેર કરીને એ લોકો નથી જીતવાના. ભાજપ રાજ્યમાં ખતમ થઈ ગયો છે. રાજ્યની જનતા ઇન્ડિયા ગઠબંધનની સાથે જવાનું મન બનાવી ચૂકી છે.

ઉત્તર પ્રદેશમાં 10 ખાલી બેઠકોમાંથી નવ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગાઝિયાબાદ ઉપરાંત પીમાં ફુલપુર, મઝવાન, ખેર, મીરાપુર, સિસામાઉ, કટેહારી, કરહાલ અને કુંડારકી બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે.

 

ક્ષત્રિય કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને લઈને મોટી જાહેરાત કરી

ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ સિંહ શેખાવતે લોરેન્સ ગેંગના સભ્યોની હત્યા કરનારાઓને અલગ-અલગ ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઈનામની કુલ રકમ 21 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 5 ડિસેમ્બરે જયપુરના શ્યામ નગર વિસ્તારમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેની જવાબદારી લોરેન્સ વિશ્નોઈ ગેંગે લીધી હતી. આ અંગે હવે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ સિંહ શેખાવતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા 5 લોકોની હત્યા કરવા બદલ કુલ 21 લાખથી 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું છે.

રાજ સિંહ શેખાવતનું કહેવું છે કે જે વ્યક્તિ અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા, સંપત નેહરા અને વીરેન્દ્ર ચારણની ધરપકડ કરશે, જેમણે લોરેન્સ વિશ્નોઈ ગેંગને લગતી આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે, તેને ઈનામ આપવામાં આવશે. ચાલો આપણે ક્ષત્રિય ધર્મને પરિપૂર્ણ કરીએ અને ખાતરી કરીએ કે ભારત આતંકવાદ અને ભયથી મુક્ત છે. તેઓએ બદમાશો પર અલગ-અલગ ઈનામો રાખ્યા છે.

રાજ શેખાવતે આદેશ આપ્યો કે અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ અને કાવતરાખોરોનો સામનો કરવામાં આવશે. આવો યોદ્ધાઓ, ચાલો આપણે ક્ષત્રિય ધર્મને પરિપૂર્ણ કરીએ અને ખાતરી કરીએ કે ભારત આતંકવાદ અને ભયથી મુક્ત છે. મા કરણી ના આશીર્વાદ હંમેશા બની રહે. શેખાવતે અનમોલ બિશ્નોઈ પર 1 કરોડ રૂપિયા, ગોલ્ડી બ્રાર પર 51 લાખ રૂપિયા, રોહિત ગોદારા પર 51 લાખ રૂપિયા, સંપત નેહરા પર 21 લાખ રૂપિયા અને વીરેન્દ્ર ચરણની હત્યા કરનાર વ્યક્તિ પર 21 લાખ રૂપિયાની ઓફર કરી છે. રાજ સિંહ શેખાવતે અગાઉ લોરેન્સ બિશ્નોઈનો સામનો કરનાર પોલીસકર્મીને 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

શિક્ષણ સહાયકોની જિલ્લા ફેર-બદલી માટે નવા નિયમો જાહેર

રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી હતી. આ નિયમોમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલ હોય તેઓને જિલ્લા ફેર-બદલી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેર-બદલીની અરજી ઓનલાઇન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા ફેર-બદલીની અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ/વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજુરી મળ્યેથી આખરી ઓનલાઇન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મૂજબ જિલ્લા ફેર-બદલીના હુકમો ઓનલાઇન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની નિયત કરવામાં આવી છે, અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઇન અપલોડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ જિલ્લા ફેર-બદલીઓ અંગેની અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ મેરીટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ ૩ ૦ પોઇન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ/વિધવા/ત્યક્તા/વિધુર માટે 8 પોઇન્ટ્સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં, છેલ્લા ૩ વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10/ ધોરણ 12માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિધાર્થીની સંખ્યા ધ્યાને લઇ વધુમાં વધુ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે.

દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય, તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. દંપતી કેસમાં પતિ-પત્ની જિલ્લા ફેર-બદલી માટે પતિ-પત્નીની નોકરીના કિસ્સમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને પતિ/પત્ની રાજ્ય સેવા/પંચાયત સેવા કે રાજ્યના કોઇ જાહેર સાહસો/બોર્ડ/કોર્પોરેશન(નિગમ)/અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફીક્સ પગાર કે નિયમિત નિમણૂંકથી નોકરી કરતાં હોય તેને લાગુ પડે છે. આ દંપતીના કિસ્સામાં 1માસના કરાર કે આઉટસોર્સિંગથી નોકરી કરતાં કર્મચારીઓને લાભ મળવાપાત્ર થતો નથી. વિધવા/વિધુર/ત્યાના કિસ્સામાં તેઓએ વિધવા/ વિધુર હોવા અંગેનું તથા પુનઃલગ્ન ન કરેલ હોવા અંગેનું સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. અસાધ્ય તથા ગંભીર રોગો/બિમારીઓના કિસ્સામાં જિલ્લા આંતરિક/જિલ્લા ફેર-બદલીઓ કરવાની સત્તા કત્ત સરકારશ્રી કક્ષાએ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય તથા ગંભીર રોગો ધ્યાને લેવામાં આવે છે. આ જિલ્લા ફેર-બદલીનો લાભ શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને બે વાર મળવાપાત્ર રહેશે. શિક્ષકોને પ્રતિ-નિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે.