Home Blog Page 1338

વાણીના ચાર પ્રકારો: શ્રી શ્રી રવિશંકર

વાણીના ચાર પ્રકારો હોય છે– પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈકરી. મનુષ્યો જે બોલે છે તે માત્ર ચોથા પ્રકારનું હોય છે. આપણે વૈકરી પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ વાણીનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે. મધ્યમાં વૈકરી કરતાં સૂક્ષ્મ હોય છે. તમે બોલો તે પહેલા વિચારના સ્તરે જ વાત સમજાઈ જાય. જ્યારે તમે વાત વિચારના સ્તરે હોય ત્યારે જ જો જાણી લો છો તો તે મધ્યમા છે. પશ્યન્તિ જ્ઞાનાત્મક છે. તેમાં શબ્દો બોલવાની જરૂર હોતી નથી. પરા એ વ્યક્ત નહીં થયેલું, સ્પષ્ટ નહીં થયેલું જ્ઞાન છે.

આખું વિશ્વ ગોળાકાર છે. તેનો ક્યારેય જન્મ થયો નહોતો કે તે ક્યારેય નષ્ટ થવાનું નથી. આમ, તે અનાદિ, અનંત છે. તો બ્રહ્માજીનું, એટલે કે સર્જકનું, શું કામ હોય છે? કહેવાય છે કે દરેક યુગમાં અનેક બ્રહ્મા, વિષ્ણુ અને શિવ હોય છે.

કાળખંડ અને અવકાશમાં આવું બન્યા કરે છે. આ સર્જનનો સ્રોત શું છે? જ્ઞાન આકાશથી અને પંચમહાભૂતથી પણ પર છે. વેદો કે જેમને સમજી શકાય છે તે વૈકરી નથી. વેદોનું જ્ઞાન આકાશથી પર છે. દૈવી પ્રેરણાઓ એ ક્ષેત્રમાં સ્થાપિત છે જે સર્વત્ર પ્રસરેલું છે.

આકાશ એટલે શું? આકાશને વ્યોમ કે વ્યાપ્તિ તરીકે વર્ણવવામાં આવે છે એટલે કે જે સર્વવ્યાપ્ત છે-સર્વત્ર ફેલાયેલું છે, પ્રસરેલું છે. આકાશની પેલે પાર જે છે તે શું છે? આકાશની પેલે પાર જે છે તેનો વિચાર કરવો અકલ્પનીય છે. દરેક વસ્તુ આકાશમાં સમાયેલી છે,બાકીના ચારેય મહાભૂત આકાશમાં આવેલા છે. પૃથ્વી સૌથી સ્થૂળ છે, તે પછી જળ, અગ્નિ, વાયુ અને આકાશ. વાયુ સૂક્ષ્મ છે, અગ્નિ કરતાં વધારે સૂક્ષ્મ. આકાશ સૌથી વધારે સૂક્ષ્મ છે.

આકાશથી પણ પેલે પાર હોય એવું શું છે? એ છે મન, બુધ્ધિ,અહંકાર અને મહત તત્વ. એટલે કે તત્વજ્ઞાન-વિશ્વના મૂળભૂત ખ્યાલને સમજવો. જ્યાં સુધી તમે વિશ્વ વિશેના એ તત્વજ્ઞાનને નથી સમજતા ત્યાં સુધી પોતાને, આત્માને નહીં જાણી શકો. આકાશની પેલે પાર જે ક્ષેત્ર છે તે અનુભવથી જ જાણી શકાય છે. જ્ઞાનનું સમસ્ત ક્ષેત્ર આકાશ પછી શરું થાય છે.

પ્રાચીન દ્રષ્ટાઓએ પદાર્થ અને તેના ગુણધર્મો વચ્ચેના સંબંધ વિશે વાત કરી છે. એક ચર્ચા ખૂબ રસપ્રદ છે- શું આપણે પદાર્થમાંથી તેના ગુણધર્મને અલગ પાડી શકીએ? એ આખી ફિલસૂફી ખૂબ રસપ્રદ છે અને એનું એ તાત્પર્ય નીકળ્યું કે આપણે પદાર્થમાંથી તેના ગુણધર્મને અલગ પાડી શકતા નથી. શું મોરસમાંથી આપણે ગળપણ અલગ કરી શકીએ? જો એમ કરીએ તો પણ શું મોરસ એમ જ રહેશે? શું અગ્નિમાંથી ઉષ્ણતા અને પ્રકાશ અલગ કરી શકીએ? જો કરી શકીએ તો તે પછી અગ્નિ અગ્નિ જ રહેશે? એવું શું છે જે પદાર્થને ગુણધર્મ પ્રદાન કરે છે? પહેલું શું આવે, ગુણધર્મ કે પદાર્થ?આવા ઘણા પ્રશ્નો છે. તમે ઊંડે ઉતરતા જાવ તો પરમે વ્યોમન પહોંચો છો. બધા દેવી અને દેવતા ત્યાં એ અવકાશમાં વસે છે. પરમે વ્યોમનને, વિશ્વના મૂળભૂત ખ્યાલને જાણ્યા વગર વૈદિક શ્લોકો અને મંત્રો ઉચ્ચારવા નિરર્થક છે. સ્વરૂપ તે અવકાશનો ગુણધર્મ છે.

સ્વરૂપ એટલે તે ચેતના. સ્વરૂપમાંથી સ્પૂટ એટલે કે વિસ્ફોટ જન્મે છે જેમાંથી સર્જનની, સ્વરિતની ઉત્પતિ થાય છે અને તે નામ અને સ્વરૂપ સાથે એટલે કે સાકાર તરીકે ઉદ્દભવે છે. સર્જનમાં આવેલા લાખો જીવો સ્વરૂપમાંથી ઉદ્ભવ્યા હતા. અવકાશ સિવાયના ચાર મહાભૂત સમયાંતરે ઉધમાત-ખળભળાટ કરતા હોય છે. જો તમે સહાય માટે તેમના પર અવલંબન રાખો છો તો તે તમને હચમચાવીને અવકાશમાં પાછા લઈ જશે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 13/11/2024

ચીનમાં કારે ભીડને કચડી નાખી… 35ના મોત, 43 ઘાયલ

ચીનના ઝુહાઈ શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક 62 વર્ષીય વ્યક્તિએ સ્પોર્ટ્સ સેન્ટરની બહાર કસરત કરી રહેલા લોકો પર પોતાની કાર ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે જ્યારે 43 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, અને હાલમાં તે જાણી શકાયું નથી કે તે અકસ્માત હતો કે જાણી જોઈને કરવામાં આવેલ હુમલો હતો.

આ અકસ્માત PLA એરશો પહેલા થયો હતો

અહેવાલો અનુસાર, શહેરમાં આ દુર્ઘટનાના એક દિવસ પહેલા જ ચીનની સેના (PLA) મંગળવારે ઝુહાઈમાં સૌથી મોટા એરશોનું આયોજન કરી રહી છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ થઈ ગઈ છે, તેની પારિવારિક અટક ફેન છે. ઝુહાઈમાં શાંગ ચોંગ હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું કે કેટલાક ઘાયલ લોકોને ઈમરજન્સી ક્લિનિકમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા.

દત્તોપંત ઠંગડીની જન્મ જયંતિ નિમિત્તે સ્વદેશી સ્વાવલંબન દિવસની ઉજવણી

અમદાવાદ: આર.એસ.એસ.ના પ્રચારક દત્તોપંત ઠેંગડી સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, અને ભારતીય મજદૂર સંઘના સ્થાપક હતા. તેમની સ્મૃતિમાં સ્વદેશી જાગરણ મંચ અને ભારતીય કિસાન સંઘના સંયુક્ત ઉપક્રમે ૧૦મી નવેમ્બર ૨૦૨૪ના રોજ સ્વાવલંબન દિવસ આયોજિત કરવામાં આવ્યો છે. જે ગાંધીનગર સ્થિત બલરામ ભવન ખાતે યોજાવાનો છે.દત્તોપંત ઠેંગડીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત હર્ષદભાઈ પટેલ, વિવેકભાઈ કાપડિયા, હાર્દિકભાઈ વાચ્છાણી, કૌશિકભાઈ સપોવડિયા અને ઘનશ્યામભાઈ પટેલ એ દીપ પ્રાગટ્ય કરી કરી હતી. મંચ સંચાલન ગુંજનભાઈ બુચ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા સ્વદેશી  જાગરણના પૂર્વ સંયોજક વિવેક ભાઈ કાપડિયા એ દત્તોપંત ઠેંગડીના જીવન અને સ્વાવલંબન ઉપર ખૂબ જ રસપ્રદ માહિતી આપી. R.S.S. ગાંધીનગરના પૂર્વ જિલ્લા સંઘ ચાલક હર્ષદ ભાઈએ દત્તોપંત ઠેંગડીના જીવન મૂલ્યો વિશે વાત કરી. સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત સમન્વ્યક હાર્દિકભાઈ વાચ્છાણી એ સ્વાવલંબન અને સ્વાવલંબન કેન્દ્ર અંગે માહિતી આપી.કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રદેશ સંરક્ષક ડો .મયુરભાઈ જોષીના માર્ગદર્શનમાં સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના સહ સંયોજક જાગૃતભાઈ દવે, સમન્વયક ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને જૈમિન ભાઈ વૈદ્યએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમને સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરીને સ્વદેશી જાગરણ મંચ અખિલ ભારતીય ટીમ દ્વારા સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશભરના 500થી વધુ જિલ્લાઓમાંથી અને વિશ્વના ૧૮ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ (સ્થાપક – આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન), શ્રી વી. ભગૈયાજી (ઓલ ઈન્ડિયા એક્ઝિક્યુટિવ મેમ્બર, આરએસએસ), અને ડૉ. ચિન્મય પંડ્યા (વાઈસ ચાન્સેલર, દેવ સંસ્કૃતિ વિદ્યાલય, હરિદ્વાર) જેવા નામાંકિત વક્તાઓએ સ્વદેશી વિષય પર માર્ગદર્શન આપ્યું. માનનીય આર. સુંદરમજી (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ), ડૉ. ભગવતી પ્રસાદ શર્મા (અખિલ ભારતીય સંયોજક, સ્વાવલંબી ભારત અભિયાન) અને કાશ્મીરીલાલ (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ) આ સમારોહમાં હાજર હતા.

ખ્યાતિ હોસ્પિટલના CEO, ડિરેક્ટરે હાથ કર્યા અધર..

અમદાવાદ: એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલનું ફરી એક ચર્ચામાં આવ્યું છે. જ્યાના ડોક્ટરો પર જ દર્દીના જીવ લેવાનો આરોપ પરિવાર જનો દ્વારા મુકવામાં આવ્યો છે. અત્રે નોંધનિય છે કે ખ્યાતી હોસ્પિટલે આ અગાઉ પર દર્દીને છેતર્યા હોવાની વાત સામે આવી હતી. જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે ફરી એક વખત બે લોકોને જીવ ગુમાવો પડ્યો છે.

વાત એમ છે કે,પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાનો દર્દીઓએ આરોપ લગાવ્યો હતો. સોમવારે ઓપરેશનમાં બે દર્દીઓના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનોના હોબાળાથી ત્યાંથી જવાબદાર તબીબો અને હોસ્પિટલના સત્તાધીશો ગાયબ થઈ ગયાં હતાં. વહેલી સવારથી જ હોબાળા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધાં હતાં. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના પડઘા પડ્યા બાદ હવે ખ્યાતિ હોસ્પિટલના CEO અને ડિરેક્ટરે પોતાનો લૂલો બચાવ કર્યો છે.

ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે પોતાનો લૂલો બચાવ નિવેદન આપ્યુ હતું કે, અમે બોરિસણા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતું, જેમાં 20 જેટલા દર્દી ત્વરિત સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ આવવાનું કહેવામાં આવ્યુ હતું. જે બાદ તમામ દર્દીઓ સ્વેચ્છાએ જ ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા હતા. કોઈપણ દર્દીને જબદસ્તી અહીં લાવવામાં નથી આવ્યાં. તમામ દર્દીઓ પોતાની મરજીથી જ અહીં આવ્યા હતાં. હાલ તમામ દર્દીની સારવાર પણ પૂર્ણ થઈ ચૂકી છે અને બધાં જ દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે. અહીં આવ્યા બાદ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તેમના એસેસમેન્ટ રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સારવાર અર્થે તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી. તેમાંથી જરૂર પડ્યે સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી ક્રિટિકલ કન્ડિશનના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા હતાં. જેના માટે અમે તેમના પરિવાર માટે ખૂબ જ આશ્વાસન રાખીએ છીએ અને અમને તેમના માટે ઘણી સાંત્વના છે. પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસમાં અમારા તરફથી બને એટલો સંપૂર્ણ સહયોગ આપવા માટે બંધાયેલા છીએ.

આ સિવાય ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજેન્દ્ર ખાબોટનું નિવેદન પણ સામે આવ્યું છે. ડિરેક્ટરે જણાવ્યું કે, જે દર્દીના મોત થયાં છે તેનું જવાબદાર ભગવાન છે. દર્દીઓની સારવાર યોગ્ય પ્રોટોકોલ મુજબ કર્યા હોવા છતાં યશ મળતો નથી. દર્દીના મોત પર પોલીસ તપાસ કરી રહી છે, તેમાં અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. 90 થી 120 દર્દીઓ કેમ્પમાં આવ્યા હતાં, જેમાંથી 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા. જેમાંથી ફક્ત 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. કારણકે, તેમની ધમનીઓ બંધ દેખાઈ. નળીઓ બંધ હોય તો જ અમે એન્જિયોપ્લાસ્ટી કરીએ. તે પણ ઈસીજી દરમિયાન જ દર્દીઓને બોલાવવામાં આવ્યા હતાં. અમે ધમની બંધ ન હોય તો શું કામ એન્જિયોપ્લાસ્ટી કરીએ? સાતમાંથી પાંચ પણ સાજા છે અને ડિસ્ચાર્જ થઈ જશે.

શું છે આ એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ?

રાગીણીબહેન ઘરમાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા, નીરજભાઈને પત્નીને ચિંતીત જોઈને ખ્યાલ આવી ગયો કે આ દીકરા યશનો વિચાર જ કરી રહી છે. એમણે ધીમા સ્વરે કહ્યું “રાગીણી આમ આંટા મારવાથી યશનું પ્લેન અમેરિકામાં વહેલુ લેન્ડ નહીં થાય. એક બાજુ બેસી જા, એ પહોંચીને ફોન કરશે.” પતિની વાત સાંભળી રાગીણીબહેન ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા, નીરજભાઈ ટેન્શનમાં આવી ગયા. “શુ થયું રાગીણી, કેમ આમ રડી રહી છે? બધુ ઠીક તો છે ને ?”

પતિની વાત સાંભળી એ સોફા પર ફસડાઈ પડ્યા, જાણે એક ડુસકો અંદર ગળી ગયા હોય એમ રોતા અવાજે બોલ્યા, “હું યશ વગર કેમ કરીને રહીશ, હજુ તો એ અમેરિકા પહોંચ્યો પણ નથી, અને મારા આવા હાલ છે, તો ચાર વર્ષ કેવી રીતે પસાર કરીશ? એના વગર તો મને સહેજ પણ નહીં ગમે, હવે કોણ મને કહેશે કે મમ્મી તારા હાથની લસણની ચટણી મને બહુ ભાવે, કોણ પૂછશે કે મમ્મી આ ટી-શર્ટ કેવી લાગે છે? રાત્રે કોના ઘરે આવવાની મારે રાહ જોવાની ? હવે કોણ મારી સાથે હીંચકે બેસીને વાતો કરશે? મારો તો એકનો એક દીકરો, મારાથી લાખો માઈલ દૂર ચાલ્યો ગયો. સાચું કહું છું નિરજ હું એના વગર નહીં રહી શકું.”

રાગીણીબહેનને સમજાવવાના નીરજભાઈએ અનેક પ્રયાસ કર્યા પણ એ નિરર્થક નિવડ્યા. અંતે એમની તબિયત બગડી અને દીકરાનું પ્લેન અમેરીકામાં લેન્ડ થાય એ પહેલા, રાગીણીબહેનને હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યા. ડોક્ટરે નીરજભાઈને કહ્યું આમ તો એમને કોઈ તકલીફ નથી પરંતુ દીકરાનું દૂર જવું એ સહન નથી કરી શકયા, એ એમ્પ્ટીનેસ (ખાલીપણું) સિન્ડ્રોમથી પીડાય રહ્યા છે.

શુ છે આ એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ? કેવી રીતે એ દૂર કરી શકાય છે ? આવો જાણીએ..

બાળકો મોટા થાય એટલે ક્યારેક અભ્યાસ માટે તો ક્યારેક પોતાની લાઈફ સેટ કરવા માટે એ અન્ય શહેરમાં કે વિદેશ જાય છે. તો ઘણી વળી લગ્ન કરીને પણ માતા-પિતાથી અલગ રહેવા જાય, તો દીકરી પરણીને સાસરે જાય. ત્યારે ખાસ કરીને માતાઓમાં એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ જોવા મળે છે. આજકાલ તો હવે મોટાભાગના બાળકો મોટા થઈને વિદેશમાં અભ્યાસ કરવાના સપનાં સેવે છે. જો કે એવા સમયે પરિવાર અને ખાસ કરીને માતા પણ પોતાના સંતાનના ઉજળા ભવિષ્ય માટે એને પૂરતો સહકાર આપે છે. પરંતુ આ જ બાળક જ્યારે ખરેખર પરિવારથી દૂર જાય છે, ત્યારે મોટાભાગની માતા એનો વિયોગ સહન નથી કરી શકતી. અન્ય લોકો સામે તો એ ખુશ રહેવાના પ્રયાસ કરે છે. પરંતુ અંદરો અંદર સતત દુઃખી રહે છે, પરિણામે એ ક્યારે ‘એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ’નો શિકાર બને છે એનો ખ્યાલ એને પોતે પણ નથી રહેતો.

શુ છે એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ ? 

એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ એ એવી સ્થિતિ છે જ્યારે સંતાનો અભ્યાસ કરવા અન્ય શહેરમાં કે પછી ફોરેન જાય છે. એમ પણ કહી શકાય કે સંતાન પરિવારથી દૂર થાય છે. માતા-પિતા ઘણા વર્ષો સુધી પોતાના બાળકોને લાડકોડથી મોટા કરે છે. પછી એક સમય આવે છે જ્યારે એ પરિવારથી દૂર થાય છે. આવા સમયે ખાસ કરીને માતા સંતાનથી દૂર થવાનું સહન નથી કરી શકતી, ત્યારે એ એમ્પ્ટી સિન્ડ્રોમથી પિડાય છે. આ વિશે અમદાવાદના સોશિયલ એક્ટિવિસ્ટ પ્રો.ડો. સ્મિતા જોશી ચિત્રલેખા.કોમને કહે છે, આ પરિસ્થિતિ માતામાં વધારે જોવા મળે છે, કારણ કે એ સંતાનની ખૂબ નજીક હોય છે, એની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન પણ એ જ રાખે છે. માટે સૌથી વધારે તકલીફ પણ એમને જ થાય છે. ઘણી વખત તો સંતાનના ગયા પછી માતા એમના કપડા હાથમાં લઈને રોજ કલાકોના કલાકો રડ્યા કરે છે, જ્યારે ઘણીવાર સંતાનોની યાદમાં એનું ભાવતુ ભોજન પણ ઘરમાં નથી બનાવતી. મહિલાઓ માટે આ ખુબ કપરો સમય હોય છે. એક સમય એવો હતો જ્યારે હું પણ આ સમયમાંથી પસાર થઈ હતી. પરંતુ આ સ્થિતીમાં પોતાની જાતને મક્કમ બનાવી, અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને મેન્ટલી સ્ટ્રોંગ બનવાની ખુબ જરૂર છે.

એમ્પ્ટીનેસ સિન્ડ્રોમના લક્ષણો

વિચારોનાં વલણમાં પરિવર્તનઃ મહિલાઓ પોતાના જીવનમાં એક ખાલીપાનો અનુભવે છે. એટલું જ નહીં એને પોતાનું જીવન સંતાનના દૂર હોવાથી સાવ નિરર્થક લાગે છે.

દુ:ખ અને અશાંતિ: પોતાનું સંતાન પોતાની સાથે નથી એનું સતત દુ:ખ રહે છે. ઘરે તો સરસ જમવાનું મળતું હતું, દરેક વસ્તુ સમયસર મળી હવે બહાર ગયા પછી એ શુ કરતા હશે એમ વિચારીને સતત યાદ કરવી ને એમની ચિંતા કરવી.

ડિપ્રેશનના લક્ષણો: એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ ક્યારેક તણાવનું ગંભીર સ્વરૂપ પણ લે છે. ત્યારે ઊંઘમાં અવરોધ આવે છે. અથવા તો સતત ઊંઘતા રહેવાનું જ મન થાય. મનમાં હલચલ અને ગભરામણ રહેવી. એકલા એકલા રડવું, પોતાની જાતને સાવ એકલી સમજવી.

ચીડચીડાપણું, ક્રોધ: નાના-મોટા મુદ્દા પર નારાજગી દેખાડવી. પરિવાર સાથે માથાકૂટ થયા કરે, જીવનમાં ગેરસમજૂતી અને અશાંતિ અનુભવી. આ ઉપરાંત બાળકોને વારંવાર ફોન કે મેસેજ કરવા, અને તેઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે તે જાણવા મથામણ કરવી. એ પણ એમ્પ્ટીનેસ સિન્ડ્રોમના લક્ષણોમાંનુ એક છે.

એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ એ સમયસર સ્વીકાર્ય અને સંભવિત સમસ્યા છે, પરંતુ આ સ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરવાથી મહિલા એમના જીવનમાં નવી ઉર્જા લાવી શકે છે. આ વિશે ખેડાના જાણીતા ફેશન ડિઝાઈનર અને બ્યુટિશિયન અલ્પા ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે, મારે બે પુત્ર છે બંને પોતાના જીવનમાં સરસ સેટ થઈ ગયા છે, નાનો દીકરો એક વર્ષ પહેલા જ કેનેડા ગયો. એના જવાથી મારા જીવનનો એક ખૂણો સાવ ખાલી થઈ ગયો. પહેલા પહેલા તો મને જમવાનું ન ભાવે, એના રૂમમાં જઈને કલાકો સુધી એકલી બેસી રહું, એનો કોલ આવે ત્યારે સરસ રીતે વાત કરું પરંતુ પછી આખો દિવસ એને યાદ કરીને રડ્યા કરતી. પણ ધીમે-ધીમે મે મારી જાતને સમજાવી કે આ નહીં ચાલે, કારણ કે એના લીધે મારી તબિયત પર અસર થતી. અંતે મારી સાથે મારા પરિવારને પણ મુશ્કેલી થાય. હું મારા કામમાં સતત વ્યસ્ત રહેવા લાગી. મારા બીજા દીકરા, પુત્રવધુ અને મારા પતિએ મને સમજાવી કે એ એનું નવુ જીવન બનાવવા ગયો છે. તુ ખુશ રહીને એની માટે પ્રાર્થના કર. બસ પછી મે રડવાનું બંધ કરી સતત પોઝીટીવ રહેવાનું શરૂ કર્યું.

એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ છે ? તો આ કરો ઉપાય

અપેક્ષાઓનો સ્વીકાર: સંતાનની સ્વતંત્રતા એ સ્વાભાવિક છે. તે એમના જીવનના વિકાસનો ભાગ છે. એને સ્વીકારો અને તમારા જીવનમાં નવા હેતુઓ શોધવા પ્રયત્ન કરો.

મનપસંદ કામ કરોઃ સમયનો ઉપયોગ નવું શીખવામાં કરો, જેમ કે ગાર્ડનિંગ, પેઇન્ટિંગ, યોગ, અથવા વાંચન. મન અને શરીર સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરત કરો.

સંબંધો મજબૂત બનાવો: જીવનસાથી અને મિત્રો સાથે વધુ સમય વિતાવો. પરિવારના અન્ય સભ્યો અને મિત્રોને મળવા અને વાતચીત કરવા માટે સમય કાઢો.

કાઉન્સેલિંગ અથવા થેરાપી: જો ઉદાસીનતા વધારે હોય અને નિયંત્રણમાં ન આવે, તો પ્રોફેશનલ કાઉન્સેલર અથવા થેરાપિસ્ટની મદદ લો.

ફોન અથવા વિડિઓ કૉલ દ્વારા જોડાણમાં રહો: સંતાન સાથે સમયાંતરે વાતચીત કરો, પરંતુ એમને પર્યાપ્ત સ્વતંત્રતા આપવી પણ મહત્વપૂર્ણ છે. મળવા માટે પ્લાન બનાવો, જેનાથી થોડી રાહત અને ખુશી અનુભવશો.

જીવનમાં નવા હેતુઓ સ્થાપિત કરો: ચેરીટેબલ કાર્ય, વોલેન્ટિઅરિંગ, અથવા સમૂહની પ્રવૃત્તિઓમાં જોડાવાની કોશિશ કરો. આ ઉપરાંત, તમારા એવા સપના અને ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરો, જે તમે બાળકોની કાળજી લેતા સમયે પાછળ ધકેલ્યા હતા.

 

હેતલ રાવ

ભાવનગરમાં યોજાશે શાસ્ત્રીય સંગીતનો અનોખો કાર્યક્રમ

ભાવનગર: બનારસ ઘરાનાના ખયાલ ગાયકીની ગાયક બેલડી એટલે પદ્મભૂષણ પંડિત રાજન-સાજન મિશ્રા. કમનસીબે રાજન-સાજન બંધુઓમાંથી રાજન મિશ્રાએ કોરોના કાળમાં વર્ષ 2021માં આ દુનિયાને અલવિદા કરી એટલે આ જોડી તો તૂટી છે, પણ એમના ચાહકોના દિલમાં એમની યાદો હજુ અકબંધ છે. આગામી 15 થી 17 નવેમ્બર દરમ્યાન ભાવનગરમાં યોજાનાર એક કાર્યક્રમ એની સાખ પૂરે છે.

હા, પંડિત રાજન મિશ્રાની 73મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગરમાં સલોનીબહેન ગાંધીએ ત્રણ દિવસીય ક્લાસિકલ સંગીતના કોન્સર્ટનું આયોજન કર્યું છે. આગામી 15, 16 અને 17મી નવેમ્બરના રોજ લિવિંગ વીથ મ્યૂઝિક અને અનુભૂતિ ટ્રસ્ટ દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીતનું પરફોર્મન્સ તો હશે જ, સાથે એક ખાસ વર્કશોપ પણ યોજાશે.

ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 15મી નવેમ્બરના રોજ વોકલમાં સ્વર્ણેશ મિશ્રા અને કથકમાં વિશાલ ક્રિષ્ના પર્ફોમ કરશે. જ્યારે 16મી નવેમ્બરના રોજ અભિષેક મિશ્રાનો સોલો તબલા પર્ફોમન્સ છે અને વોકલમાં સુનંદા શર્માનું પર્ફોમન્સ છે. 17મી નવેમ્બરના રોજ વાયોલિન વાદક વિદૂષી કલા રામનાથનું પર્ફોમન્સ છે. આ સિવાય 16મી નવેમ્બરના રોજ પદ્મભૂષણ પંડિત સાજન મિશ્રાની વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 17મી નવેમ્બરના રોજ વાયોલિન વાદક વિદૂષી કલા રામનાથની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ વિશે વાત કરતાં આયોજક સલોની ગાંધી ચિત્રલેખા.કોમને કહે છે, ‘આ બધાં જ કલાકારો એક કે બીજી રીતે સ્વ. પંડિત રાજન મિશ્રા સાથે જોડાયેલા રહ્યા છે. કોઈએ તેમની સાથે કામ કર્યુ છે તો કોઈ એમની પાસેથી શીખ્યું છે. આથી એમની સાથેના પ્રેમના લીધે તેઓ આ કાર્યક્રમ કરવા માટે આવી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે, સલોનીબહેને વર્ષ 2017માં પંડિત રાજન સાજન મિશ્રા સાથે ‘ભૈરવ સે ભૈરવી તક’ ટાઈટલ હેઠળ વર્લ્ડ ટૂર કરી હતી. અમદાવાદ સહિત દુનિયાભરમાં રાગની સમજ કેળવાય અને ભારતીય શાસ્ત્રીય સંગીતથી લોકો વધારે પરિચિત થાય તે માટે આ વર્લ્ડ ટૂર યોજવામાં આવી હતી. ક્લાસિકલ સંગીત પણ આપણી સાંસ્કૃતિક ધરોહર જ છે અને એને જાળવી રાખીને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે એ સતત પ્રયત્નશીલ છે.

સલોનીબહેન વિશે થોડી વાત કરીએ તો તેઓ વર્ષો સુધી સ્પિક મેકે (SPIC MACAY) મુવમેન્ટ સાથે જોડાયેલા રહ્યા છે, જે વિવિધ સંસ્થાઓમાં ક્લાસિક્લ સંગીત અને સંગીતકારોના કાર્યક્રમો ઓર્ગેનાઈઝ કરે છે. એના કારણે એ વર્ષોથી આ બધાં કલાકારોને ખૂબ જ નજીકથી જાણે છે.

સલોનીબહેનનું કહેવું છે કે, ‘રાજનજીની ઈચ્છા હતી કે આપણા તરફથી જેટલી થઈ શકે તેટલી ઈન્ડિયન ક્લાસિકલ સંગીતને પ્રમોટ અને પ્રિઝર્વ કરવું જોઈએ. તેને યંગ જનરેશન સુધી લઈ જવાના પ્રયત્નો થવા જોઈએ. જીવનમાં છેલ્લે તેમણે નક્કી પણ કર્યું હતું કે હું માત્ર શીખવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ અને શો સિલેક્ટેડ કરીશ. પરંતુ કુદરતનું બીજું જ કંઈક પસંદ હતું. મારા આ પ્રયત્નોનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે શાસ્ત્રીય સંગીત આગામી પેઢી સુધી પહોંચાડવું. આપણી યુનિક શાસ્ત્રીય સંગીત પદ્ધતિ છે કે તેવી વિશ્વમાં બીજે ક્યાંય નથી. આપણાં બધાં સૂરો સમય અને સિઝન સાથે સંકળાયેલા હોય એવું તો વિશ્વમાં બીજે ક્યાંય નથી.’

સલોનીબહેને આગળ વાત વધારતા કહ્યું કે, ‘આજે ક્લાસિકલ સંગીતમાં લોકોને રસ પાડવો ખૂબ જ અઘરો છે. આ પ્રકારના મહાન કલાકારોના કાર્યક્રમનું આયોજન કર્યા બાદ પણ લોકોને ઓડિટોરિયમ સુધી લાવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે છે. જ્યારે વિદેશી કલાકારો માટે આપણે લાખો રૂપિયા ખર્ચીને સાંભળવા જઈએ છીએ! પોતાના જ સંગીત અને ક્લાસિકલ કલાકારો પ્રત્યે આપણે ઉદાસિનતા દાખવીયે છીએ એ ખૂબ જ દુઃખની વાત છે.’

આ માટે યુવા ક્લાસિકલ સંગીતકારોને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષથી સલોનીબહેન પંડિત રાજન મિશ્રા ફેલોશિપ શરૂ કરી રહ્યા છે. અંડર-30 ઉંમર માટે આ ફેલોશિપ શરૂ કરવામાં આવી છે. જેમાં એક ટોકન અમાઉન્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. યુવા કલાકારોમાં ટેલેન્ટ હોય છે પરંતુ તેમની પાસે આર્થિક ભંડોળના અભાવે તેઓ ના છૂટકે બીજા કામો તરફ વળી જાય છે. આ ફેલોશિપમાં જે કલાકારને સપોર્ટ કરવામાં આવે તેને મોટા પ્લેટફોર્મ પર પર્ફોમ કરવા માટે મળે તે પ્રકારના પ્રયત્નો પણ સલોનીબહેન દ્વારા કરવામાં આવી રહ્યા છે. પંડિત સાજન મિશ્રાના હસ્તે આ ફેલોશિપ આ વર્ષે પ્રથમ વખત આપવામાં આવશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

મોંઘવારી દર 14 મહિનાની ઊંચી સપાટીએઃ RBIની લક્ષ્મણરેખા પાર કરી

નવી દિલ્હીઃ મોંઘવારીને મોરચે આમ આદમીને ઓક્ટોબરમાં મોટો આંચકો લાગ્યો છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો થવાને કારણે રિટેલ ઇન્ફ્લેશન ઓક્ટોબરમાં વધીને 6.21 ટકાએ પહોંચ્યો છે, જે સપ્ટેમ્બરમાં 5.49 ટકાએ હતો. રિટેલ ફુગાવાનો દર 14 મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

છેલ્લા બે મહિનાથી શાકભાજી અને ખાદ્ય ચીજોના ઊંચા ભાવોએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. દેશમાં શાકભાજીના ભાવોમાં 80 ટકા ઉછાળાને કારણે ફુગાવો ઓક્ટોબરમાં વધી 42.18 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 36 ટકા હતો. અનાજમાં રિટેલ ફુગાવો 6.94 ટકા નોંધાયો છે.

તહેવારો તેમ જ આયાત ડ્યૂટીમાં વધારો તદુપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડતાં ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક એડિબલ ઓઈલ બજારમાં તેલના ભાવ 20થી 40 ટકા સુધી વધ્યા છે. પરિણામે મોંઘવારી વધી છે. ખાદ્ય તેલો પર રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 2.47 ટકા સામે અનેક ગણો વધી 9.51 ટકા થયો છે.

રિઝર્વ બેન્કે રિટેલ મોંઘવારી દરનો લક્ષ્યાંક ચારથી છ ટકા રાખ્યો છે. રિટેલ મોંઘવારી દરે RBIએ નક્કી કરેલા લક્ષ્યાંકને પાર કરી લીધો છે. જેથી મધ્યસ્થ બેન્ક આગામી સમયમાં ઊંચા ફુગાવાના દરને લીધે વ્યાજદરોમાં કાપ કરે એવી શક્યતા નહીંવત્ છે.

સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર તહેવારોની સીઝન અને ઊંચી માગના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. પરિણામે સપ્ટેમ્બર, 2024માં ઔદ્યોગિક ઉત્પાદનો (ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન-IIP) 3 ટકા વધ્યો છે. જે ઓગસ્ટમાં 0.1 ટકા ઘટ્યો હતો. ગત વર્ષે  સપ્ટેમ્બર, 2023માં IIP 6.4 ટકા વધ્યો હતો.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પંજાબ પોલીસ વચ્ચે મહત્વના કરાર

ગાંધીનગર: નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને પંજાબ પોલીસ વચ્ચે ચંદીગઢ ખાતે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સામનો કરવા માટે વ્યાપક તાલીમ કાર્યક્રમોના આયોજનનો છે. સાથે જ કાયદા અમલીકરણ માટે કર્મચારીઓની ક્ષમતાઓમાં વધારો કરવાનો છે. આ કરાર હેઠળ, RRU(રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી) પંજાબ પોલીસને વર્ગખંડ-આધારિત અને વર્ચ્યુઅલ લર્નિંગ એમ બંન્ને ફોર્મેટમાં તાલીમ પ્રદાન કરશે. જો મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો,

  1. મહિલા સશક્તિકરણ અને પોલીસિંગમાં ભૂમિકા: કાયદાના અમલીકરણમાં લિંગ વિવિધતાના મહત્વને ઓળખીને, આ કાર્યક્રમ હેઠળ મહિલા સશક્તિકરણ અને પોલીસિંગના પ્રયાસોમાં મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવશે.
  2. સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વ્યૂહરચના: સાયબર ગુનાઓની તપાસ માટે અદ્યતન વ્યૂહરચના શીખવવામાં આવશે.
  3. બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી: આ તાલીમનો હેતુ ફોજદારી પ્રવૃત્તિઓમાં બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીની અસરો અને નાણાકીય તકનીકોમાં થઈ રહેલા વિકાસને અનુરૂપ કાયદાના અમલીકરણના અનુકૂલન વિશે શિક્ષિત કરવાનો છે.
  4. નાણાકીય છેતરપિંડી નિવારણ તકનીકો: એ વાત સુનિશ્ચિત કરવામાં આવશે કે સત્તાવાળાઓ આર્થિક ગુનાઓનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.
  5. દેખરેખ માટે ડ્રોન તાલીમ: પોલીસિંગમાં ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે, અધિકારીઓને દેખરેખના હેતુઓ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની વિશેષ તાલીમ આપવામાં આવશે.
  6. આતંકવાદ વિરોધી પદ્ધતિઓ: લક્ષિત તાલીમ દ્વારા વર્તમાન જોખમોને સંબોધવા માટે આતંકવાદ વિરોધી ક્ષમતાઓને વધારવાનો છે.
  7. V.I.P. સુરક્ષા પ્રોટોકોલ: અધિકારીઓને ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિઓ (વી.આઈ.પી.)ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પ્રોટોકોલ અંગે તાલીમ આપવામાં આવશે.
  8. વિદેશી ભાષા નિપુણતા: વિવિધ સમુદાયો સાથે વાતચીત સુધારવા માટે, પંજાબ પોલીસના કર્મચારીઓને ભાષા પ્રાવીણ્ય અંગે તાલીમ આપવામાં આવશે.

MOU સમારોહમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રા અને પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવ ખાસ હાજર રહ્યા હતા. આ હસ્તાક્ષર પંજાબ પોલીસના કર્મચારીઓના કૌશલ્યને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

કાર્યક્રમ દરમિયાન પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રાએ કહ્યું કે, “આ એમ.ઓ.યુ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પંજાબ પોલીસ વચ્ચે જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ભારતના સુરક્ષા ઇકોસિસ્ટમમાં ભાવિ વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો. કાયદાના અમલીકરણ માટે અધિકારીઓને અદ્યતન કૌશલ્યો અને જ્ઞાનની જરૂર હોય છે. આથી આવા વિવિધ ઓપરેશનલ ક્ષેત્રોમાં કામગીરીને વધારવા માટે વ્યાપક તાલીમ આવશ્યક છે.”

સતત વેચવાલીથી સેન્સેક્સ 820 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 23,9000ની નીચે

અમદાવાદઃ શેરબજારમાં વેચવાલીનો દોર જારી છે. ઘરેલુ બજારમાં સતત ચોથા દિવસે વેચવાલી જારી રહી હતી. નિફ્ટીએ 23,900ની સપાટી તોડી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.34 લાખ કરોડનો ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ તૂટ્યા હતા. સૌથી વધુ ઘટાડો બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ઓટો શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટી પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મની છેલ્લાં 16 વર્ષમાં સૌથી નબળું પડ્યું છે. જર્મનીની સ્થિતિ2008ની મંદી પછી સૌથી વધુ ખસ્તા હાલત છે.ઓક્ટોબરમાં જર્મન કંપનીઓના ઓર્ડરમાં 42 ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ દેશમાં ફુગાવો ઓક્ટોબરમાં વધીને 6.21 ટકાએ પહોંચ્યો છે. જે RBIના લક્ષ્યાંક કરતાં વધુ છે. જે સપ્ટેમ્બરમાં 5.49 ટકાના સ્તરે હતો.

હવે રિઝર્વ બેન્ક આગામી ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે વ્યાજદરમાં કાપ કરશે, એની આશા ધૂંધળી બની છે. આમ બજારમાં હતાશ રોકાણકારોએ ભારે નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 820.97 તૂટીને 78,675ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી50 257.85 તૂટીને 23,883.45ના સ્તરે બંધ થયો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4061 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1226 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2742 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 93 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 289 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 71 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.