Home Blog Page 1306

Nutshell in 99

અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચને કહી આવી વાત

મુંબઈ: અભિષેક બચ્ચન ‘આઈ વોન્ટ ટુ ટોક’ રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. અભિષેક બચ્ચનની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં તેનો દમદાર અભિનય બધાને પ્રભાવિત કરશે. આ ફિલ્મ ગયા શુક્રવારે એટલે કે 22 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અભિનેતાએ એક એવું પાત્ર ભજવ્યું છે જે જીવનની પડકારજનક પરિસ્થિતિઓમાં પણ હાર માનતો નથી. અભિનેતાએ જીવન પ્રત્યેના તેના સકારાત્મક દૃષ્ટિકોણ વિશે પણ વાત કરી છે અને તે કેવી રીતે નકારાત્મકતાને પોતાની જાતથી દૂર રાખે છે.

(Photo:IANS)

ETimes સાથેની વાતચીતમાં અભિષેક બચ્ચને કહ્યું, ‘હિન્દીમાં એક શબ્દ છે, ‘દ્રઢતા’. કોઈક રીતે તમે એક વ્યક્તિ તરીકે કોણ છો, વ્યક્તિ તરીકે તમે કોણ છો તે બદલવું જોઈએ નહીં. તમારા મૂળ સિદ્ધાંતો બદલાવા જોઈએ નહીં. તમારે અનુકૂલન અને વિકાસ કરવાનું શીખવું પડશે અથવા તમે પાછળ રહી જશો, પરંતુ તમારા મૂળ મૂલ્યો બદલાવા જોઈએ નહીં. તેથી જ હું હજી પણ માનું છું કે જ્યારે ખરાબ તેની ખરાબીને છોડતો નથી, તો પછી સારાએ તેની સારાપાણાંને કેમ છોડે ?

અભિષેકને કોઈ પરવા નથી
આ વાતને આગળ લઈ જઈને અભિષેકે કહ્યું, ‘હું જે વ્યક્તિ છું તેને હું બદલી શકતો નથી. હું ખૂબ જ સકારાત્મક વ્યક્તિ છું અને તમે નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જ્યારે તમે નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તે તમને અભિભૂત કરી દે છે. તમે એક વ્યક્તિ તરીકે કોણ છો, તમારા મૂળ મૂલ્યો શું છે, તે બદલાવા જોઈએ નહીં. વળી તમે માણસ તરીકે કોણ છો? તમે શેના માટે ઊભા છો? જો હું પવનમાં ઉડતું પાંદડું બની જાઉં તો લોકો કહેશે કે તે નક્કર વ્યક્તિ નથી. તેથી જ મારી અંદર કેટલીક વસ્તુઓ બદલાતી નથી.

અભિષેકની ખૂબ પ્રશંસા થઈ રહી છે
તમને જણાવી દઈએ કે, ‘આઈ વોન્ટ ટુ ટોક’નું નિર્દેશન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. નિર્દેશક સાથે અભિષેક બચ્ચનની આ પ્રથમ ફિલ્મ છે. ‘પીકુ’ ફેમ ડિરેક્ટરના નિર્દેશનમાં અભિષેક બચ્ચનના કામમાં ઘણો સુધારો થયો. આ ફિલ્મ જોયા પછી લોકો કહે છે કે આ ફિલ્મ અભિષેક બચ્ચનના કરિયરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે અને તેણે આ ફિલ્મમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે.

મુસલમાનોને દુશ્મન માનીને વ્યવહાર કરી રહી છે સિસ્ટમઃ ઇમરાન પ્રતાપગઢી

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ હિંસા મામલે SP સાંસદ જિયાઉર્રહેમાન બર્કની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બર્ક પર લોકોને ભડકાવવાનો આરોપ છે. સંભલમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. જામા મસ્જિદના સર્વેને લઈને અહીં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. જેથી પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સંભલમાં ઈન્ટરનેટ હજુ પણ બંધ છે. સંભલ વિસ્તારની શાળાઓને પણ સોમવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રવિવારે સંભલમાં કોર્ટના આદેશ પર કોર્ટ કમિશનરની ટીમ બીજી વખત શાહી જામા મસ્જિદમાં સર્વે માટે પહોંચી ત્યારે હોબાળો થયો હતો. સવારે લગભગ પોણાનવ વાગ્યાની આસપાસ, ઉગ્રવાદીઓએ પહેલા જામા મસ્જિદની બહાર અને પછી નખાસા વિસ્તારમાં પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. તેમણે બંને સ્થળોએ ઓછામાં ઓછા એક ડઝન વાહનોને સળગાવી દીધાં હતાં.

એ દરમિયાન SPના PRO, CO અને કોતવાલ સહિત 12થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. બીજી તરફ વારંવાર સમજાવવા છતાં પણ ટોળું શાંત ન થતાં પોલીસે વળતો જવાબ આપતાં પહેલાં ટિયર ગેસના શેલ છોડ્યા અને પછી લાઠીચાર્જ કર્યો. લગભગ અઢી કલાક સુધી ચાલેલી હિંસા દરમિયાન ભીડમાંના ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

બીજી બાજુ, વિરોધ પક્ષોએ રાજ્યમાં સંભલમાં થયેલી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપે નફરતના રાજકારણને પ્રોત્સાહન આપવા માટે મસ્જિદમાં સર્વેક્ષણ ટીમ મોકલી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાસંદ ઇમરાન પ્રતાપગઢીએ આરોપ લગાવ્યો હતો કે મુસલમાનોને ભારતમાં દુશ્મન માનીને વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.  

 

કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતાં 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. 11.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી. ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે ઠંડુંગાર તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ રાજ્યભરમાં મોડી રાતે અને વહેલી સવારે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. ગત રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહેશે.

બીજી બાજુ હવામાન નિષ્ણાતોને મતે હજુ 8 ડિસેમ્બર સુધી અમદાવાદનું લઘુતમ તાપમાન 14 થી 16 ડિગ્રીની આસપાસ જ રહેશે. ત્યારબાદ ઠંડીમાં વધારો થવાની આશંકા છે. ગત રાત્રે અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં પણ 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં દાહોદ, પોરબંદર, ડીસા, વડોદરા, રાજકોટ, અમરેલી અને નલિયાનો સમાવેશ થાય છે.

સરકારી આંકડા પ્રમાણે હાલ ગુજરાતમાં મોટભાગના વિસ્તારનો પાસે 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં ગાંધીનગરમાં 11.8 ડિગ્રી પારો નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદમાં 12.7, પોરબંદરમાં 14.0, ડિસામાં 14.3, વડોદરામાં 14.8, રાજકોટમાં 14.9, અમરેલી અને નલિયામાં 15.2, અમદવાદમાં 16.0, ડાંગમાં 16.3, ભુજમાં 16.7, કંડલામાં 17.2, જામનગરમાં 17.3, ભાવનગરમાં 17.6, સુરતમાં 19.2 ડિગ્રી પારો નોંધાયો હતો.

મહારાષ્ટ્ર: અજિત પવારનું ફડણવીસને સમર્થન, દિલ્હીમાં બેઠક

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન મહાયુતિમાં સીએમ પદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અજિત પવારના જૂથની NCP દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માટે સહમત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે યોજાયેલી બેઠકમાં અજિત પવાર અને તેમના તમામ ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનું સમર્થન કર્યું હતું. જો કે, શિંદે છાવણીમાં તેમના ધારાસભ્યો ઈચ્છે છે કે હજુ પણ સીએમ એકનાથ શિંદે જ રહે, કારણ કે લાડલી બહિન યોજના સીએમ એકનાથ શિંદે દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેનો ફાયદો મહાયુતિને થયો હતો.

શિંદે જૂથ સીએમ પદની માંગ કરી રહ્યું છે

શિંદે કેમ્પનું માનવું છે કે એકનાથ શિંદેનું સીએમ બનવું આવનારી BMC ચૂંટણી અને અન્ય નગરપાલિકાની ચૂંટણીમાં ફાયદાકારક રહેશે. તે જ સમયે ભાજપના નેતાઓ ઇચ્છે છે કે ભાજપ પાસે મહત્તમ બેઠકો હોય, તેથી દેવેન્દ્ર ફડણવીસને ભાજપ તરફથી મુખ્યમંત્રી બનાવવામાં આવે. જો કે, આજે મહાગઠબંધન પક્ષોના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર દિલ્હી જઈ શકે છે, જ્યાં તેઓ અમિત શાહ અને જેપી નડ્ડાને મળી શકે છે.

એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા
સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ફરી એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલાનું પુનરાવર્તન થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. મહાયુતિમાં અજીત જૂથને ફડણવીસને સીએમ બનાવવા સામે કોઈ વાંધો નથી. જોકે, આજે ફડણવીસ, શિંદે અને અજિત પવાર દિલ્હી જઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો ફડણવીસ સીએમ બને છે તો એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બની શકે છે. એટલે કે એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની જૂની ફોર્મ્યુલા જ લાગુ કરી શકાશે.

આજે દિલ્હીમાં બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ અને શહેરી વિકાસ મંત્રી જેવો મોટો પોર્ટફોલિયો આપવામાં આવી શકે છે. તેમજ તેમની પાર્ટીના ક્વોટામાં 10-12 મંત્રી પદો આવી શકે છે. સાથે જ અજિત પવારને ડેપ્યુટી સીએમ પદની સાથે નાણા વિભાગ પણ મળી શકે છે. આ ઉપરાંત તેમની પાર્ટીના ખાતામાં લગભગ 10 મંત્રી પદ પણ આવી શકે છે. આ સિવાય ભાજપના ક્વોટામાં લગભગ 20-22 મંત્રી પદ આવી શકે છે. જોકે, શિંદેની શિવસેના ઈચ્છે છે કે સીએમ શિંદે લાડલી બહિન સ્કીમ લાવ્યા અને અઢી વર્ષ સુધી સારું કામ કર્યું, તેથી શરૂઆતમાં તેમને સીએમ પદ માટે બીજી તક મળવી જોઈએ. હવે જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર પોતપોતાના પક્ષોના નેતા તરીકે ચૂંટાયા છે, આ પછી મહારાષ્ટ્રના ત્રણ નેતાઓની ભાજપના ટોચના નેતૃત્વ સાથે બેઠક થશે અને મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે, જ્યાં ફડણવીસ પ્રબળ દાવેદાર છે.

લોકસભાના શિયાળુ સત્રનો પ્રારંભઃ 16 બિલો થશે રજૂ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં સરકાર કુલ 16 વિધેયક લાવશે, જેમાં પાંચ નવા વિધેયક હશે. આ વિધેયકોમાં વકફ (સંશોધન) બિલની ચર્ચા સૌથી વધુ છે. લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં પત્રકારો સાથે વાતચીત કરતાં PM નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને સંસદમાં સ્વસ્થ ચર્ચા કરવાની અપીલ કરી હતી. વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે સંસદમાં ચર્ચા ન થવા દેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે આ વર્ષ 2024નો છેલ્લો સમયગાળો છે.’ દેશ 2025ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારી કરી રહ્યો છે. સંસદનું એ સત્ર રીતે ઘણું ખાસ છે.

સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલાં PM મોદીએ કહ્યું હતું કે જે લોકોને 80 વખત જનતાએ નકારી કાઢ્યા છે, તેઓ સંસદનું કામ રોકે છે. કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય હિત માટે સંસદને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે આવતી કાલે બંધારણ સભામાં દરેક લોકો આ બંધારણના 75મા વર્ષની ઉજવણીની શરૂઆત કરવા માટે એકસાથે આવશે. બંધારણ ઘડતી વખતે બંધારણના ઘડવૈયાઓએ દરેક મુદ્દા પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરી હતી, ત્યારે જ આપણને આવો ઉત્તમ દસ્તાવેજ મળ્યો છે. તેનું મહત્ત્વનું એકમ આપણા સાંસદો અને આપણી સંસદ પણ છે. સંસદમાં તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ, વધુ ને વધુ લોકોએ ચર્ચામાં સહયોગ આપવો જોઈએ.

 

સુવિચાર – ૨૫ નવેમ્બર ૨૦૨૪

૨૫ નવેમ્બર ૨૦૨૪

પંચાંગ 25/11/2024

IPL Auction : રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

IPL 2025ની મેગા ઓક્શન શરૂ થઈ ગઈ છે. આ હરાજીનું આયોજન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં કરવામાં આવી રહ્યું છે. રિષભ પંતે IPL ઓક્શનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. પંત અગાઉ દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો.

દિલ્હીએ સ્ટાર્ક પર દાવ લગાવ્યો

ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. પરંતુ તેઓ રૂ.11.75 કરોડમાં વેચાયા હતા.

ગુજરાતે બટલરને સાઇન કર્યો

ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો. બટલરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ગુજરાતે તેને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યર પર મોટો દાવ લગાવ્યો

પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યર પર મોટો દાવ લગાવ્યો છે. તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અય્યરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે પણ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે પંજાબનો વિજય થયો હતો.

ગુજરાતે રબાડા પર દાવ લગાવ્યો

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો. રબાડાની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ગુજરાતે તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંજાબે અર્શદીપ પર દાવ લગાવ્યો

પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહ પર મોટો દાવ લગાવ્યો છે. અર્શદીપને પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંજાબે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો છે.