Home Blog Page 1293

ભચાઉમાં રૂ. 1.47 કરોડના કોકેઇન સાથે ચારની ધરપકડ

કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ વોચમાં હતી. બાતમીના આધારે હરિયાણા પાર્સિંગની એક કાર અટકાવી તેની તલાસી લેતાં તેમાંથી રૂ.1.47 કરોડની કિંમતનું કોકેન મળી આવ્યું હતું. ટીમ દ્વારા કારમાં સવાર ચાર શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા. પકડાયેલા ચારેય સંબંધી છે. જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે.

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જણાવાયુ હતું કે, ગઈકાલ સાંજે લાકડીયા ધોરીમાર્ગ પાસે એસઓજીની ટીમ વાહન ચેકિંગ કામગીરી કરી રહી હતી, ત્યારે એક હરિયાણા પાર્સિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાસી લેવામાં આવી હતી. જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છૂપાવેલો શંકાસ્પદ જથ્થો મળી આવતાં તેની એફ એસ એલ મારફતે ચકાસણી કરવામાં આવતા તે કોકેઇન હોવાનું ખુલ્યું હતું. 1.47 કિલોગ્રામના કોકેઇનની બજાર કિંમત 1.47 કરોડ છે. સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં કુલ ચાર આરોપીની અટક કરાઈ છે, તેમાં બે મહિલા છે. જ્યારે માલ મોકલનાર એક આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. આગળ પણ આજ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. પોલીસ દ્વારા તેમને પેશકશ કરવામાં આવી કે, તેઓ અન્ય ગેઝેટેડ અધિકારી અથવા મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પોતાના શારીરિક તપાસ માટે સંમતિ આપે, પરંતુ તેઓએ આ પ્રસ્તાવને મૌખિક રીતે નકાર્યો હતો. પોલીસે આ મામલે 147.67 ગ્રામ કોકેઇન જેની બજાર કિંમત ₹1,47,67,000 છે. આ ઉપરાંત 5 લાખની ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર સાથે 80 હજારા 6 મોબાઈલ જપ્ત કર્યા હતા.

 

સર્જન-પુનર્સર્જનની કથા હવે ટચૂકડા પડદે

૧૯૭૦ના દાયકાનું મુંબઈ. એ દિવસોમાં મુંબઈના અમુક વેપારીઓને રાતે ઘરે જતી વખતે પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પાસે વિચિત્ર અનુભવ થાય. કાર મંદિર પાસેથી વળાંક લેવાની હોય ત્યાં સારા, ધનિક કુટુંબની દેખાતી એક જુવાન મહિલા લિફ્ટ માગે. વેપારી કાર રોકીને લિફ્ટ આપે. પછી કાર માહિમ સુધી પહોંચે ત્યાં તો એ મહિલા અદૃશ્ય થઈ જાય…. અને કારમાં રહી જાય માત્ર એ જાજરમાન મહિલાના પરફ્યુમની સુગંધ.

મુંબઈના એક અંગ્રેજી દૈનિકના ડાયરી વિભાગમાં આ ઘટના છપાઈ. આટલી અમસ્તી વાતમાં ચિત્રલેખાના ત્યારના તંત્રી, સુપ્રસિદ્ધ નવલકથાકાર હરકિસન મહેતાને એક રોમાંચક નવલકથા દેખાઈ ને સર્જાઈ: ભેદ-ભરમ.  જો કે આવડી અમસ્તી એક ડાયરી આઈટેમ પરથી વિશાળ ફલકની નવલકથા ન સર્જાય એટલે હરકિસનભાઈએ અનેક સત્યઘટના, જીવંત પાત્રો એમાં ઉમેર્યાં. જેમ કે એ જ અરસામાં એમના એક મિત્રની પત્નીનો જીવલેણ મોટર અકસ્માત થયેલો. એ મિત્રપત્ની બન્યાં સુરેખા દેવી. અલાહાબાદના કુંભમેળામાં મળી ગઈ સાધ્વી લિઝા તો ઈન્સ્પેક્ટર સદાશિવ દેશપાંડેનું પાત્ર મુંબઈના બે સાચકલા પુલીસ અફસરો પરથી રચાયું. નવલકથાના નાયક વિવેક સંન્યાસીની અટક એમણે લેખકમિત્ર શામુ સંન્યાસીની લીધી, જો કે વિવેકના પિતાની વાત બીજી એક સત્યઘટનાના આધારે ઘડી. આ નવલકથા ૧૯૭૮-૧૯૭૯ના અરસામાં ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ. હવે, જલસાઘરના બાશિંદાઓ માટે ખુશખબર એ છે કે સદા અગ્રસર સાપ્તાહિક ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી હરકિસનભાઈની આ રોમાંચક નવલકથા નાના પરદા પર જોઈ શકાય છે. જાણીતા નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની નિર્માણસંસ્થા સનશાઈન પિક્ચર્સે  ડીડી નૅશનલ સાથે હાથ મિલાવીને ભેદભરમ: રહસ્યોં કા માયાજાલ  શો ૧૮ નવેમ્બરથી આરંભ કર્યો છે. શોમાં યશપાલ શર્મા, વૈશાલી ઠક્કર, ઐશ્ર્વર્યા સખુજા, અતુલકુમાર, ગૌરવ ચોપરા, સમીર ધર્માધિકારી જેવાં સશક્ત કલાકારો છે ને ડિરેક્ટર છે: યુસુફ બસરાઈ. નવલકથાનું ફલક જોતાં દોઢસોથી બસ્સો એપિસોડ્સ એના બનશે.

છએક વર્ષ પહેલાં હરકિસનભાઈની જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં, વંશ-વારસ, અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, જડ-ચેતન,  વગેરે જેવી વીસથી વધુ નવલકથા દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા એમના (હરકિસનભાઈના) પુત્ર તુષાર મહેતા પાસેથી ઑથોરિટી મેળવનાર વિપુલ અમૃતલાલ શાહ જણાવે છે: ‘સાંભળ રઘુ, હરકિસનભાઈ તો આપણી ભાષાના જેફ્રી આર્ચર કે ડેન બ્રાઉન હતા. પ્રત્યેક પ્રકરણે જકડી રાખતી એમની નવલકથા ચિત્રલેખામાં વાંચીને હું ઊછર્યો છું. ભેદ-ભરમ  ઉપરાંત અન્ય નવલકથાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. અમે પ્રતીક્ષા કરી રહ્યા છીએ યોગ્ય મંચની, યોગ્ય સમયની, યોગ્ય બજેટની, કેમ કે હરકિસનભાઈની નવલકથાઓનું ફલક, એનો સ્કૅલ જોતાં બજેટ સારું મળે તો એને ન્યાય આપી શકાય…’યોગ્ય મંચ અથવા પ્લૅટફૉર્મની વાત નીકળતાં રઘુને થાય છે કે ભેદ-ભરમ  ડીડી પરથી પ્રસારિત કરવાનું ટૉકિંગ કરવું જોઈએ. આ વિશે વિપુલભાઈ કહે છે: ‘ડિયર રઘુ, આજે પણ રુરલ ભારતમાં ફ્રી ટુ ઍર ડીડી જ વધારે જોવાય છે. આપણા દેશના ક્લાસિકની કક્ષામાં આવતા ટીવી-શોઝ ડીડી પરથી જ પ્રસારિત થયા છે. યાદ કર હમ લોગ, બુનિયાદ, નુક્કડનો એ જમાનો. કમનસીબે સાતત્યના અભાવે ડીડીની ચમક ઝાંખી પડતી ગઈ. હવે એમાં નવી તેજસ્વી સંચાલકોની ટીમ આવી છે. જે અમારા જેવા સર્જકો સાથે મળીને એનો સુવર્ણયુગ ફરી લાવવાના પ્રયાસ કરી રહી છે. એની મોબાઈલ ઍપ પણ આવી છે, જેની પર ભેદ-ભરમ  જોવા મળશે. એક બહુ મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લૅટફૉર્મ સાથે કૉલાબરેશનની વાત પણ ચાલી રહી છે, જેની પર ડીડીના જૂના-નવા શો જોવા મળશે.’

તાજેતરમાં જ વિપુલભાઈએ એમની આગામી ફિલ્મ હિસાબનું શૂટિંગ પૂરું કર્યું. ફિલ્મની મેઈન સ્ટારકાસ્ટ ઈન્ટરેસ્ટિંગ છે: જયદીપ અહલાવત અને શેફાલી શાહ. આ ફિલ્મ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં સિનેમાઘરમાં રિલીઝ થશે.

સરસ. જો ભેદ-ભરમને નવા સ્વરૂપમાં માણવી હોય તો સોમવારથી ગુરુવાર રાતે ૯:૩૦ વાગ્યે ટીવી સામે ગોઠવાઈ જજો.

(રઘુ જેટલી – જલસાઘરમાંથી)

શું એઆર રહેમાન અને સાયરા બાનુ વચ્ચે થઈ શકે છે સમાધાન?

મુંબઈ: સંગીતકાર અને ગાયક એઆર રહેમાનનું જીવન હાલમાં ચર્ચામાં છે. તેની પત્ની બેગમ સાયરા બાનુએ છૂટાછેડાની જાહેરાત કર્યા પછી તે વધારે ચર્ચામાં છે. તે પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે. પરંતુ એવા સમાચાર આવ્યા છે કે જે જોઈને લાગે છે કે રહેમાન અને સાયરા ફરી એક થઈ શકે છે. તેનું કારણ સાયરા બાનુના વકીલ વંદના શાહનું તાજેતરનું નિવેદન છે. તેણે આશા વ્યક્ત કરી છે કે રહેમાન અને સાયરા વચ્ચે સમાધાનની શક્યતા નકારી શકાય તેમ નથી.

વકીલે શું કહ્યું?

રહેમાનની પત્ની સાયરાની વકીલ વંદના શાહે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે બંને વચ્ચે સમાધાન શક્ય છે. તે કહે છે, ‘હું આશાવાદી વ્યક્તિ રહી છું. હું હંમેશા પ્રેમ વિશે વાત કરું છું. રહેમાન અને સાયરાએ આપેલા નિવેદનોમાં દર્દ સ્પષ્ટપણે દેખાય છે. તેમના લાંબા લગ્ન છે. બંને દ્વારા લેવામાં આવેલ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવામાં આવ્યો છે. પરંતુ મેં ક્યાંય એવું નથી કહ્યું કે સમાધાન શક્ય નથી.’ વકીલના આ નિવેદન પછી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે સાયરા અને રહેમાન છૂટાછેડાના નિર્ણય પર પુનર્વિચાર કરી શકે છે અને ફરી એક થઈ શકે છે. જોકે, રહેમાન અને સાયરા તરફથી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. આ વકીલનું અંગત નિવેદન ગણી શકાય.

રહેમાને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

જેમ કે સાયરાના વકીલે કહ્યું કે બંનેના નિવેદનમાં દર્દ સ્પષ્ટ દેખાય છે, તે બિલકુલ સાચું છે. હાલમાં જ પત્નીથી છૂટાછેડાની જાહેરાત બાદ રહેમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેણે અલગ થવાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તે લખે છે, ‘અમને આશા હતી કે અમે લગ્નના ત્રીસ વર્ષ પૂરા કરીશું પણ એવું થતું જણાતું નથી. આપણા તૂટેલા હૃદયને કારણે ભગવાનનું સિંહાસન પણ ધ્રૂજશે.’

રહેમાન હાલમાં જ ગોવામાં 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં જોવા મળ્યો હતો. તેમની એક મ્યુઝિક ડોક્યુમેન્ટ્રી ‘હેડ હંટિંગ ટુ બીટ બોક્સિંગ’ અહીં બતાવવામાં આવી હતી. રહેમાને ત્યાં મીડિયા સાથે વાત પણ કરી પરંતુ તેના ચહેરા પર પહેલા જેવી ચમક દેખાતી ન હતી.

11 વર્ષીય સગીર સહિત હાર્ટ અટેકથી ત્રણનાં મોત

રાજકોટઃ શિયાળામાં હાર્ટ એટેકના કેસમાં સામાન્ય રીતે વધારો થાય છે. એટલા માટે સાવચેત રહેવું જરૂરી છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હૃદય કોઈને અચાનક છેતરતું નથી, પણ અટેક આવવા માટે ઘણાં બધાં કારણો જવાબદાર હોય છે.

રાજકોટમાં હાર્ટ અટેકને કારણે 11 વર્ષીય સગીરનું મોત થયું હતું. તે ઘર નજીક રમી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટ અટેક આવ્યો હતો,  જેને કારણે તે ઢળી પડ્યો હતો. દેવરાજ કારેલિયાન નામના સગીરને સારવાર મળે તે અગાઉ જ તેનું મોત થયું હતું.

હાર્ટ અટેકથી યુવકનું મોત

અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાન લગ્ન પ્રસંગમાં ગરબા રમતાં રમતાં ઢળી પડ્યો અને તેનું હાર્ટ અટેકથી મોત થયું હતું.  રાજુલામાં એક લગ્નપ્રસંગમાં મહેમાનો ગરબા રમી રહ્યા હતા. એ દરમિયાન યુવાન અચાનક ઢળી પડ્યો હતો, જેનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મૃતક યુવાનનું નામ પાવન પટેલ છે અને અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. અચાનક લગ્ન પ્રસંગમાં યુવાનનું મોત નીપજતાં પ્રસંગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

 ક્રિકેટરનું મોત

ઈમરાન લકી ટીમનો કેપ્ટન હતો અને ઓપનર તરીકે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પીચ પર થોડો સમય વિતાવ્યા બાદ તેને છાતી અને હાથમાં સખત દુઃખાવો થયો હતો. તે અડધી પિચ પર આવ્યો અને પગ પર હાથ રાખીને ઊભો રહ્યો. ત્યાર બાદ તેણે વિપક્ષી ટીમના ખેલાડીઓ, એમ્પાયરોને આની જાણ કરી. આ પછી એમ્પાયરોએ તેને મેદાન છોડવાની મંજૂરી આપી હતી. જોકે ઈમરાન મેદાન પર બેભાન થઇને ઢળી પડ્યો હતો અને થોડા સમય બાદ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

 

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયો

ગુજરાત એટીએસ એ ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારે હનીટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા અને ઘણી વખત કેટલાક રૂપિયાની લાલચમાં પણ મહત્વની માહિતી ત્યાં પહોંચતી હતી. આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો આ સમગ્ર માહિતીની બાતમી એટીએસ ને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનને પહોંચતી હતી. આ સમગ્ર મામલે કેટલાક દિવસથી ગુજરાત એટીએસની ટીમ ઓખાના એક વ્યક્તિને ટ્રેક કરી રહી હતી. જેનું નામ દિનેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેણે કોસ્ટગાર્ડની ઘણી બધી માહિતી ત્યાં પહોંચાડી છે. હવે કયા મોડ્યુલમાં અને કઈ રીતે તે આમાં આવ્યો તેની તપાસ એટીએસ કરી રહી છે. દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા.

એક મહિના પહેલા ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, પોરબંદરનો એક શખ્સ કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. આ શખ્સ પોરબંદર કોસ્ટગાર્ડની કેટલીક માહિતી લીક કરીને પાકિસ્તાન પહોંચાડે છે. જેને લઇને ગુજરાત ATSની ટીમે પંકજની અટકાયત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પોરબંદર કોસ્ટડગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ એટીએસ દ્વારા તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

2025માં એડ શીરન ભારતમાં મચાવશે ધમાલ, આ છ શહેરોમાં યોજાશે કોન્સર્ટ

મુંબઈ: બ્રિટિશ સંગીતકાર અને પોપ સ્ટાર એડ શીરને વર્ષ 2025માં ભારતમાં તેમની ટૂરની જાહેરાત કરી છે. તેઓ આમાં છ શહેરોનો સમાવેશ કરવા જઈ રહ્યા છે. મુંબઈમાં તેના શોની ટિકિટ પૂરી થયા બાદ જ આ જાહેરાત કરવામાં આવી હતી કે તે ટૂંક સમયમાં ભારત પરત ફરશે. ચાલો તમને જણાવીએ કે એડ શીરાનો કોન્સર્ટ કયા શહેરોમાં અને ક્યારે થશે.

આ શહેરોમાં એડ શીરનનો કોન્સર્ટ યોજાશે

એડ શીરને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે કે તે ભારતમાં તેની ટૂર પર પાછો ફરવા જઈ રહ્યો છે. ભારતમાં એડ શીરન જે શહેરોમાં કોન્સર્ટ કરશે કે શહેરોના નામ છે પુણે, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, શિલોંગ અને ચેન્નાઈ.

એડ શીરનની ટૂરની શરૂઆત 30 જાન્યુઆરીએ પુણેના યશ લૉન્સમાં શરૂ થશે, ત્યારબાદ 2 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી, 5 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં YMCA ગ્રાઉન્ડ અને 8 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં નાઇસ ગ્રાઉન્ડ્સ ખાતે કોન્સર્ટ યોજાને. આ પછી તેઓ 12મી ફેબ્રુઆરીએ શિલોંગના જેએન સ્ટેડિયમમાં પરફોર્મ કરશે અને 15મી ફેબ્રુઆરીએ દિલ્હી એનસીઆરના લેઝર વેલી ગ્રાઉન્ડમાં કોન્સર્ટ સાથે ટૂર પૂર્ણ કરશે.

આ આલ્બમ્સનો સમાવેશ થશે
ટૂરમાં 2011 થી અત્યાર સુધીના તેમના તમામ આલ્બમ્સ શામેલ હશે, “પ્લસ”, “મલ્ટીપ્લી” (2014), “ડિવાઈડ” (2017), “ઈક્વલ્સ” (2021) અને “સબટ્રેક્ટ” (2023) થી શરૂ કરીને આ પ્રવાસમાં 2019ના “નં 6 કોલાબરેશન પ્રોજેક્ટ” (બ્લો) નું ગીત પણ સામેલ છે.

ભારત પ્રવાસની તૈયારી કરવામાં આવશે
આયોજકોએ જણાવ્યું કે, વર્ષ 2025માં યોજાનારી આ ઈન્ડિયા ટૂર દ્વારા એક શાનદાર કોન્સર્ટનું વચન આપવામાં આવી રહ્યું છે. એડ શીરન આ સમયગાળા દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપવા જઈ રહ્યો છે. સ્ટેડિયમને એડ શીરનની કોન્સર્ટની ખાસ શૈલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આનાથી દર્શકો વધુ ઉત્સાહિત થશે.

સંભલ હિંસા મુદ્દે કોઈ પગલાં ના લે નીચલી કોર્ટઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં સંભલ હિંસા કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કોઈ નિર્ણય ન લેવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે શાંતિ અને વ્યવસ્થા કાયમ રહેવી અને વહીવટી તંત્ર એ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરે.

કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં જવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં નીચલી કોર્ટના આદેશ સામે કેટલાક વાંધાઓ છે. હાઈકોર્ટની પરવાનગી વગર કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. કોર્ટે અરજદારને પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ ન ગયા?

સુપ્રીમ કોર્ટે કોર્ટ કમિશનરને સીલબંધ પરબીડિયામાં સર્વે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે આદેશમાં કહ્યું છે કે જ્યાં સુધી કેસ હાઈકોર્ટ સમક્ષ લિસ્ટ નહીં થાય ત્યાં સુધી આપેલા આદેશ મુજબ આગળની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે અમે કેસની યોગ્યતા અને ખામીઓ પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. આ કેસની ફરી સુનાવણી છઠ્ઠી જાન્યુઆરીએ થશે. કોર્ટે કહ્યું હતું કે જો જરૂરી હોય તો બંને પક્ષો અરજી કરી શકે છે.

કોર્ટે કહ્યું હતું કે શાંતિ અને સંવાદિતા સુનિશ્ચિત કરવી જોઈએ. અમે તેને પેન્ડિંગ રાખીશું અને અમે કંઈ થાય તેમ નથી ઈચ્છતા. આર્બિટ્રેશન એક્ટની કલમ 43 જુઓ અને જુઓ કે જિલ્લાએ આર્બિટ્રેશન કમિટીઓ બનાવવી જોઈએ. આપણે સંપૂર્ણપણે તટસ્થ રહેવું પડશે અને કોઈ અપ્રિય ઘટના ન બને તેની ખાતરી કરવી પડશે.

 

નાગા ચૈતન્ય અને શોભિતાની લગ્ન પહેલાની વિધિઓ શરૂ

મુંબઈ: અભિનેતા નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આજે 29 નવેમ્બરે હૈદરાબાદમાં હલ્દી સેરેમની થઈ હતી. હલ્દી ફંક્શનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત હલ્દીથી થઈ હતી, જેમાં તેમના નજીકના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્ન 4 ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થશે.

દુલ્હન બનવા જઈ રહેલી શોભિતા ધુલીપાલા હલ્દી સેરેમની માટે બે અલગ-અલગ આઉટફિટમાં જોવા મળી હતી. ફર્સ્ટ લુકમાં તેણે પીળી સાડીને બદલે ચમકતી લાલ સાડી પહેરી હતી. આ સાથે તેણે માંગ ટીક્કા પણ પહેર્યા હતા, જેમાં તે સુંદર લાગી રહી હતી. બીજા લુકમાં, શોભિતાએ પોનીયિન સેલવાનમાં તેની ભૂમિકાનો લુક અપનાવ્યો હતો અને હલ્દી માટે યલો આઉટફિટ પહેર્યુ હતું.

હલ્દી સેરેમની દરમિયાન નાગા ચૈતન્ય કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. હલ્દીની કેટલીક શ્રેષ્ઠ પળોનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. લગ્નના થોડા દિવસો પહેલા, એવી અફવા હતી કે કપલે તેમની લગ્નની ફિલ્મના રાઇટ્સ નેટફ્લિક્સને 50 કરોડ રૂપિયામાં વેચી દીધા છે. જો કે નાગા ચૈતન્યએ આ સમાચારને નકારી કાઢ્યા અને ઝૂમ સાથેની વાતચીતમાં કહ્યું, “આ ખોટા સમાચાર છે. આવી કોઈ ડીલ થઈ નથી.”

બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા 2022 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલે 8 ઓગસ્ટ, 2024 ના રોજ હૈદરાબાદમાં તેમના પરિવારના સભ્યોની હાજરીમાં સગાઈ કરી હતી.

‘ઠક્કરબાપા’ની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

ગાંધીનગર: ‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની 29મી નવેમ્બર, 2024ના રોજ 155મી જન્મજયંતી છે. ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિત અધિકારી-કર્મચારીશ્રીઓએ આજે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ ભાવનગર ખાતે ૨૯મી નવેમ્બર, ૧૮૬૯માં થયો હતો. પૂજ્ય ઠક્કરબાપા ગાંધીજીના પ્રિયજન તથા હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક તરીકે જાણીતા છે. ઠક્કરબાપાએ વર્ષ ૧૯૧૯ અને ૧૯૨૨માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખૂબ ઉમદા કાર્ય કર્યું હતું.ઠક્કરબાપા અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય તથા બંધારણમાં હરિજનો-આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણ કામો પણ તેમણે કર્યા હતા. ઠક્કરબાપાનું ૧૯મી જાન્યુઆરી, ૧૯૫૧ના રોજ નિધન થયું હતું.

મહારાષ્ટ્રના આગામી CM દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી CM શિંદે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહના ઘરે યોજાયેલી મેરેથોન બેઠક પછી સરકારની રચનાનની ફોર્મ્યુલા પર સહમતી બની હતી. મહારાષ્ટ્રના CM પદે દેવેન્દ્ર ફડણવીસ આરૂઢ થશે, જ્યારે કેટલીક શરતોની સાથે ડેપ્યુટી CM માટે એકનાથ શિંદે રાજી થયા છે, એમન સૂત્રોએ કહ્યું હતું.

ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને એકનાથ શિંદે સાથે લગભગ 20 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. શિવસેનાએ અમિત શાહ સામે ચાર પ્રસ્તાવ રાખ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને થયેલી બેઠકમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, કાર્યવાહક CM એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર રહ્યા હતા. રાજ્યની વિધાનસભાનાં ચૂંટણી પરિણામો બાદ એકનાથ શિંદેએ સ્વીકાર્યું હતું કે CM ભાજપના જ થશે. તેમણે કહ્યું હતું કે PM મોદી તરફથી તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે, એને તેઓ પૂરા મનથી પૂરી કરી લેશે. ગૃહપ્રધાન અમિત શાહની સાથે થયેલી બેઠકમાં તેમણે ડેપ્યુટી CM બનવા પર સહમતી આપી દીધી છે. ભાજપના મંત્રી મંડળમાંથી શિવસેનાના ક્વોટામાં 12 મંત્રીઓ હશે. પહેલાં એવી ચર્ચા હતી કે શિંદે પોતાના પુત્રને ડેપ્યુટી CM પદ આપવા ઇચ્છે છે.

મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો પછી PM મોદીએ દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરતાં તેમને પરમ મિત્ર ગણાવ્યા હતા. વળી, ભાજપની ઐતિહાસિક જીતનું શ્રેય પણ કુશળ વ્યૂહરચનાકાર ફડણવીસને જ આપવામાં આવે છે. તેઓ સંઘની નજીક છે અને RSS પણ તેમના નામ પર રાજી છે.