Home Blog Page 1153

હીરાનો મોલ ઝવેરી જ કરે

       હીરાનો મોલ ઝવેરી જ કરે

 

હીરાની પરખ ઝવેરી જ જાણે. ગુણની કદર ગુણવાન જ કરી શકે. વસ્તુની યોગ્યતા તેનો પારખનાર જ નક્કી કરી શકે. ક્ષમતા વગર પરખ કરી શકાતી નથી. બગલો અને હંસ બંનેનો મૂળભૂત તફાવત દર્શાવતો શ્લોક કાંઈક આ પ્રમાણે છે –

હંસો શ્વેત: બકો શ્વેત:

કો ભેદ બક: હંસયો

નીરક્ષીર વિવેકેતુ

હંસો હંસ: બકો બક:

આમ નીરક્ષીર વિવેક કરવાની ક્ષમતા કોઈ પણ વસ્તુના પરીક્ષણ માટે પાયાની જરૂરિયાત છે. હીરા કે ઝવેરાત માટેની આવી ક્ષમતા ઝવેરી ધરાવે છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

લેબનોનમાં યુદ્ધવિરામ પહેલા, ઈઝરાયલે હમાસના ઓપરેશન હેડને ઠાર કર્યો

ઈઝરાયલ: ગાઝામાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે, ઇઝરાયલી સેનાએ લેબનોનમાં તેના ઓપરેશન હેડ મુહમ્મદ શાહીનની હત્યા કરી દીધી. સોમવારે સવારે સિડોન વિસ્તારમાં IDFના હુમલામાં તેનું મોત થયું હતું. શાહીન હમાસનો ટોચનો કમાન્ડર હતો, જે ઇઝરાયલી નાગરિકો સામેના વિવિધ આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર હતો. તે ઈરાનના નિર્દેશ પર કાવતરું ઘડતો હતો.

ઇઝરાયલી લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે યુદ્ધવિરામ પૂર્ણ થવાની સમયમર્યાદા પછી પણ તેમના સૈનિકો લેબનોનમાં પાંચ સ્થળોએ તૈનાત રહેશે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 14 મહિનાના યુદ્ધવિરામની શરતો હેઠળ IDF દક્ષિણ લેબનોનમાંથી પાછી આવી જશે. આ પહેલા સોમવારે ઇઝરાયલે ડ્રોન હુમલામાં હમાસના એક મુખ્ય કમાન્ડરની હત્યા કરીને મોટો સંદેશ આપ્યો હતો.

બીજી તરફ, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેમની ગાઝા યોજનાનો પુનઃરોચ્ચાર કર્યો છે, જેને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ગાઝાના લોકોને ત્યાંથી જવાનો વિકલ્પ આપવો જોઈએ. રવિવારે જેરુસલેમમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળ્યા બાદ નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પની યોજના સાચી છે. ગાઝાના લોકોને પસંદગીનો મોકો આપવો જ જોઇએ.

તે જ સમયે, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંધકોની મુક્તિનો ઉલ્લેખ કરીને ઇઝરાયલને ટેકો આપ્યો. તેમણે કહ્યું કે બંધકોની મુક્તિ અંગે હમાસ અને ઇઝરાયલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઇઝરાયલ જે ઇચ્છે તે કરી શકે છે. અમેરિકા સંપૂર્ણપણે ઇઝરાયલની સાથે છે. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી તેમની ગાઝા યોજનાનો પુનઃરોચ્ચાર કર્યો. ઇઝરાયલી વડાપ્રધાને તેમની યોજનાને ટેકો આપ્યો.

આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ ગાઝા પરના કબજા અંગે આરબ દેશોને ચેતવણી આપી હતી. એક મુલાકાતમાં, તેમણે ખાસ કરીને જોર્ડન અને ઇજિપ્તને ધમકી આપતા કહ્યું કે તેઓ દર વર્ષે તેમને અબજો ડોલરની મદદ કરે છે. તેથી, જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો તે આ મદદ બંધ કરશે. તેમણે કહ્યું કે તેમની ગાઝા યોજના મુજબ, પેલેસ્ટિનિયનોને ગાઝા પાછા ફરવાનો કોઈ અધિકાર નથી.

તેમણે સૂચન કર્યું કે ગાઝાના લોકોને ફક્ત જોર્ડન અને ઇજિપ્તમાં જ અસ્થાયી રૂપે પુનઃર્વસન કરવામાં આવશે. દરમિયાન, બે દાયકા સુધી હ્યુમન રાઇટ્સ વોચના વડા રહેલા કેનેથ રોથે ટ્રમ્પના નિવેદનની સખત નિંદા કરી. તેમણે તેને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો અને કહ્યું કે તે વંશીય સફાઇ હશે. એટલું જ નહીં, કેનેશે ટ્રમ્પના પ્રસ્તાવને ચોથા જીનીવા સંમેલનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ ગણાવ્યું.

તમને જણાવી દઈએ કે વોશિંગ્ટનમાં નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીએ આ ચોંકાવનારી જાહેરાત કરી હતી. તેમણે ગાઝામાં 2.2 મિલિયન પેલેસ્ટિનિયનોને ફરીથી વસાવવા અને દરિયાકાંઠાના પ્રદેશને યુએસ નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, ટ્રમ્પના આ પ્રસ્તાવને માત્ર હમાસ દ્વારા જ નહીં પરંતુ જોર્ડન, ઇજિપ્ત અને સાઉદી સહિત ઘણા આરબ દેશોએ પણ નકારી કાઢ્યો હતો.

રિચા ચઢ્ઢાનું ‘ઓયે લકી! લકી ઓયે!’ થી નસીબ ચમક્યું ન હતું

રિચા ચઢ્ઢાને પહેલી હિન્દી ફિલ્મ જલદી મળી ગઈ હતી પરંતુ એ પછી બે વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. દિલ્હીમાં જન્મેલી રિચા કોલેજ સુધી અભ્યાસ કરીને પત્રકાર બનવાની ઈચ્છા લઈ મુંબઈમાં મીડિયાનો ડિપ્લોમા કોર્સ કરવા આવી હતી. એ સાથે થિયેટરમાં પણ શોખથી કામ શરૂ કર્યું હતું.

રિચાએ પુરુષો માટેના એક જાણીતા મેગેઝીનમાં ઇન્ટર્નશીપ પણ શરૂ કરી હતી. ત્યારે ખબર ન હતી કે એણે જે અભય દેઓલ સાથે મેગેઝીનમાં ફેશન ફીચર માટે ફોન પર વાત કરી હતી એની સાથે જ થોડા મહિનામાં ફિલ્મ કરવાની હતી. અભય દેઓલે ત્યારે રિચાને એમ કહીને ના પાડી હતી કે તેની ‘દેવ ડી’ આવે પછી લખજે.

કોલેજનો અભ્યાસ પૂરો કરી રિચા નાટકમાં કામ કરવા લાગી હતી. રિચાને જાણીતા થિયેટર કોચ અને નિર્દેશક બેરી જોનનું નાટક ‘બગદાદ કા ગુલામ’ મળ્યું હતું. એ નાટક જોવા માટે નિર્દેશક દીબાકર બેનર્જીના સહાયક કનુ બહેલ આવ્યા હતા. એમણે રિચાનું કામ જોયું અને ફિલ્મ ‘ઓયે લકી! લકી ઓયે!’ (૨૦૦૮) ના ઓડિશન માટે બોલાવી અને ‘ડોલી’ની ભૂમિકા માટે પસંદ કરી લીધી હતી. ફિલ્મનો હીરો એ જ અભય હતો જેનો એ એક સમય પર ઇન્ટરવ્યુ કરવાની હતી.

પહેલી ફિલ્મ ‘ઓયે લકી! લકી ઓયે!’ થિયેટરમાં બહુ ચાલી નહીં પરંતુ પાછળથી એક કલ્ટ ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મ ચાલી ન હોવાથી રિચાએ એમ માન્યું હતું કે તે આગળ ફિલ્મોમાં કામ કરી શકશે નહીં અને કોઈ ઓફર પણ આવી રહી ન હતી. તેથી માની લીધું હતું કે ફિલ્મોમાં કામ કરી શકશે નહીં એટલે ટીવીમાં, જાહેરાતોમાં અને થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એમાં બે વર્ષ નીકળી ગયા હતા અને એક જાહેરાતમાં એ અનુરાગ કશ્યપ સાથે કામ કરતી હતી ત્યારે એમણે ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’ (2012) માં નગમા ખાતૂનની ભૂમિકા આપી હતી. એમાં યુવાનીના દિવસોમાં એક માતાની ભૂમિકા હોવા છતાં રિચાએ સ્વીકારી લીધી હતી.

આ ફિલ્મની સફળતા પછી રિચાનું નસીબ ચમકી ગયું હતું અને ફુકરે, રામલીલા વગેરે ફિલ્મો મળી હતી. ફિલ્મ ‘ફુકરે’ માં રિચાને પતિ પણ મળ્યો હતો. ફિલ્મને કારણે રિચા અને અલી ફઝલની મુલાકાત થઈ હતી અને બંને પરણી ગયા હતા.

મસ્કની મોટી જાહેરાત, ‘પૃથ્વીનું સૌથી સ્માર્ટ AI’ Grok 3 ટૂંક સમયમાં લોન્ચ

અમેરિકા: આજે, ભારત સહિત વિશ્વના અનેક દેશો ‘સૌથી સ્માર્ટ AI’ ના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આવો દાવો બીજા કોઈએ નહીં પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે X પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે તેઓ આજે વિશ્વનું સૌથી ઝડપી Grok 3 AI લોન્ચ કરવા જઈ રહ્યા છે. એલોન મસ્કની X પોસ્ટ મુજબ, Grok 3 સોમવારે રાત્રે 8 વાગ્યે યુ.એસ. સમય અનુસાર ડેમો સાથે રિલીઝ થશે. ભારતીય સમય મુજબ, આ લોન્ચ મંગળવારે સવારે 9 થી 9:30 વાગ્યાની વચ્ચે થઈ શકે છે.

AI કંપની સાથે સંઘર્ષ
એલોન મસ્ક દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અન્ય AI ખેલાડીઓ સાથે તેમનો સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં, ટેસ્લાના CEO એલોન મસ્કે OpenAI ખરીદવાની ઓફર કરી હતી અને ત્યારબાદ OpenAIના CEO સેમ ઓલ્ટમેને તે ઓફરને નકારી કાઢી હતી. આ પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો.OpenAIની સ્થાપક ટીમનો ભાગ રહ્યા છે

ટેસ્લાના CEO એલોન મસ્ક પણ OpenAIની સ્થાપક ટીમનો ભાગ રહ્યા છે. OpenAIની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ પછી, એલોન મસ્ક આ ટીમથી અલગ થઈ ગયા અને બાદમાં ગ્રોક નામનું પોતાનું AI પ્લેટફોર્મ વિકસાવવાની યોજના બનાવી. તેનો ઉપયોગ X પ્લેટફોર્મ પર સરળતાથી થઈ શકે છે.
DeepSeek અને ChatGPT સાથે સ્પર્ધા કરશે

Grok 3ના લોન્ચ પછી, AI ક્ષેત્રમાં સ્પર્ધા વધશે. Grok 3 લોકપ્રિયતાના રેકોર્ડ તોડવા માંગે છે. તાજેતરમાં, ચીની સ્ટાર્ટઅપ DeepSeekએ તેની ઓછી કિંમતને કારણે લોકપ્રિયતા મેળવી છે. DeepSeekR1ની ChatGPT સાથે સ્પર્ધા છે. હવે Grok 3 પણ આ રેસમાં જોડાશે.

VIDEO: કેનેડાના ટોરોન્ટોમાં વિમાન અકસ્માત, એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાન ક્રેશ

કેનેડા: ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 4819ને લેન્ડિંગ સમયે અકસ્માત નડ્યો હતો. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી. જો કે ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ સમયે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 80 લોકો સવાર હતા, જેમાંથી 76 મુસાફરો અને 4 ચાલક દળના સભ્યો હતા. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, આ દુર્ઘટનામાં 18 લોકોને ઇજા પહોંચી છે.

કેનેડાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 65 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. જેના લીધે વિમાનને અકસ્માત નડ્યો હોવાનું અનુમાન છે. જો કે હજુ સુધી અકસ્માતનું ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. હાલમાં યુ.એસ. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટિ બોર્ડ મદદે પહોંચી ગયું છે. એક રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળ પર હાજર પેરામેડિકલ સ્ટાફે પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.

ADR રિપોર્ટ: ભાજપ દેશનો સૌથી ધનવાન પક્ષ, જાણો કેટલી છે કમાણી?

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં ભાજપને સૌથી વધુ 4340.47કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ રકમ સાથે જ ફંડ મેળવનારા રાજકીય પક્ષોમાં ભાજપ ટોચના સ્થાને છે. ADR દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ભાજપે પોતાને વર્ષ 2023-24 દરમિયાન 4340.47 કરોડ રૂપિયા મળ્યાની જાહેરાત કરી હતી. જેમાંથી માત્ર 50 ટકા જ ખર્ચ કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. ADRએ જણાવ્યું હતું કે ભાજપે મળેલા કુલ ફંડના 50 ટકા એટલે કે આશરે 2211.59 કરોડ રૂપિયા ખર્ચ નથી કર્યો. જ્યારે કોંગ્રેસને ગત નાણાકીય વર્ષ દરમિયાન 1225.12 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા. જેની સામે 1025 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જે કુલ આવકના 83 ટકા છે. તમામ પક્ષોને સૌથી વધુ ફંડ ઇલેક્ટોરલ બોન્ડથી મળ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને સૌથી વધુ 1685.63 કરોડ, કોંગ્રેસને 825.36  કરોડ, આમ આદમી પાર્ટીને 10.15 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ત્રણેય પક્ષોને કુલ 2524 કરોડ રૂપિયા એટલે કે આશરે 43ટકા રકમ ઇલેક્ટોરલ બોન્ડથી મળી હતી.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યા હતા, એક RTIમાં ADRને બેન્કે જવાબ આપ્યો હતો કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વિવિધ રાજકીય પક્ષોએ તેમને ઇલેક્ટોરલ બોન્ડથી મળેલા રૂ. 4507 કરોડ વટાવી લીધા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષોની રકમ 2524.13 કરોડ રૂપિયા એટલે કે 55.99 ટકા છે. કોંગ્રેસે સૌથી વધુ ચૂંટણી સાથે સંકળાયેલો આશરે 619 કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે 340 કરોડ વહીવટી અને સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે. CPIMએ 56 કરોડ વહીવટી ખર્ચ કર્યો હતો. જ્યારે 47 કરોડ કર્મચારીઓ પાછળ ખર્ચ થયો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫

પંચાંગ 18/02/2025

કતારના અમીરનું સ્વાગત કરવા માટે PM મોદી એરપોર્ટ પહોંચ્યા

PM મોદી સોમવારે કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાનીનું સ્વાગત કરવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા. કતારના અમીર 17 અને 18 ફેબ્રુઆરીએ ભારત મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત અંગે માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમની મુલાકાત આપણી વધતી જતી બહુપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભારત આવશે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળનો સમાવેશ થશે.

કતારના અમીર બે દિવસની ભારત મુલાકાતે

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ-થાની 17-18 ફેબ્રુઆરી 2025 ના રોજ ભારતની રાજ્ય મુલાકાત લેશે. કતારના અમીરની આ ભારતની બીજી રાજકીય મુલાકાત હશે. આ પહેલા તેઓ માર્ચ 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કાર્યક્રમ યોજાશે

વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કતારના અમીરનું 18 ફેબ્રુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેમની મુલાકાત દરમિયાન કતારના અમીર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ચર્ચા કરશે, જે તેમના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરશે. આમિર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વાતચીત કરશે.

ભારત-કતારના સંબંધો ઘણા જૂના

ભારત અને કતાર વચ્ચે મિત્રતા, વિશ્વાસ અને પરસ્પર આદરના ઊંડા ઐતિહાસિક સંબંધો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં, બંને દેશો વચ્ચેના સંબંધો સતત મજબૂત થયા છે, જેમાં વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે કતારમાં રહેતો ભારતીય સમુદાય કતારનો સૌથી મોટો વિદેશી સમુદાય છે.