Home Blog Page 104

ગુજરાતના એક વકીલે ફિલ્મ ધુરંધરના નિર્માતાઓ અને કલાકારોને નોટિસ મોકલી

ગુજરાત હાઈકોર્ટના એક વકીલે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ “ધુરંધર” ના દિગ્દર્શક આદિત્ય ધાર અને બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પર કાનૂની નોટિસ મોકલી છે, જેમાં તેમના પર બલૂચ સમુદાયને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વકીલનો આરોપ છે કે નિર્માતાઓએ ફિલ્મમાં બલૂચ સમુદાયને દર્શાવવા માટે અશ્લીલ, અપમાનજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, જે સંપૂર્ણપણે ખોટું છે અને બલૂચ સમુદાયની નકારાત્મક છબી બનાવી રહ્યું છે. વકીલે ફિલ્મમાં એક સંવાદ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, અમદાવાદ સ્થિત એડવોકેટ નબીલ બલોચ દ્વારા કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે ફિલ્મમાં સંજય દત્તના પાકિસ્તાની પોલીસ અધિકારી દ્વારા બોલાયેલા સંવાદ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો, જેમાં તેઓ કહે છે, “તમે મગર પર વિશ્વાસ કરી શકો છો, પરંતુ બલૂચ પર નહીં.” દત્ત ફિલ્મમાં પોલીસ અધિક્ષક (એસપી) ચૌધરી અસલમની ભૂમિકા ભજવે છે.

એડવોકેટ નબીલ બલોચે ફિલ્મની અન્ય પંક્તિઓ પણ ટાંકી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ બલૂચ સમુદાયને અપમાનજનક અને અપમાનજનક રીતે રજૂ કરે છે. બલોચે પોતાની નોટિસમાં જણાવ્યું હતું કે, “કોઈપણ સમુદાય વિરુદ્ધ અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઇરાદાપૂર્વક ઉપયોગ દ્વેષપૂર્ણ ભાષણ છે. તે માત્ર સામાજિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપતું નથી પરંતુ સમાનતા, ગૌરવ અને આદરના મૂળભૂત સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન કરે છે.”

ફિલ્મ સાથે સંકળાયેલા બંને વ્યક્તિઓને મોકલવામાં આવેલી નોટિસમાં, વકીલે ફિલ્મ નિર્માતાઓ પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરી હતી. તેમણે તેમને ફિલ્મ “ધુરંધર” માંથી બલોચ સમુદાયના તમામ બદનક્ષીભર્યા, અશ્લીલ અને અપમાનજનક સંદર્ભોને દૂર કરવા, કાઢી નાખવા અથવા સેન્સર કરવા પણ કહ્યું હતું, જેમાં ટ્રેલર, પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન સામગ્રીનો સમાવેશ થાય છે. નોટિસમાં, વકીલે 15 દિવસની અંદર માંગણીઓ પૂર્ણ ન થાય તો નાગરિક અને ફોજદારી કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.

ભારતે દક્ષિણ આફ્રિકા ટી20 શ્રેણી માટે ટીમમાં કર્યો ફેરફાર

અક્ષર પટેલ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ટી20 શ્રેણીની અંતિમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. 14 ડિસેમ્બરે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં પટેલ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ આપી છે કે માંદગીને કારણે પટેલ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.

અપડેટેડ ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ.

અક્ષર પટેલ બહાર

BCCI એ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અક્ષર પટેલ દક્ષિણ આફ્રિકા સામેની ચોથી અને પાંચમી T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. પટેલની બીમારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોથી અને પાંચમી T20I માટે અક્ષર પટેલના સ્થાને શાહબાઝ અહેમદને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20I 17 ડિસેમ્બરે લખનૌમાં રમાશે. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્રણ મેચ પછી, ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. અગાઉ, જસપ્રીત બુમરાહ વ્યક્તિગત કારણોસર સ્વદેશ પરત ફર્યો હતો અને તેથી ધર્મશાળામાં ત્રીજી મેચ રમ્યો ન હતો. ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે બુમરાહને અંતિમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

‘ચિત્રલેખા’ એ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું ‘બ્રાન્ડ એમ્બેસેડર’ છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગયા એપ્રિલમાં મુંબઇમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ચિત્રલેખાના 75 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયા પછી હવે વારો હતો અમદાવાદનો…. કેવો રહ્યો અમદાવાદમાં ઉજવણીનો આ જલસો?  આ રહ્યો અહેવાલ…

———————————————————

13 ડિસેમ્બર, શનિવારની એ સાંજ અમદાવાદ માટે યાદગાર બની ગઇ, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મંચ પર ઉપસ્થિત જાણીતા કથાકાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની હાજરીમાં એમ કહ્યું કે, ‘દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોનું સભ્ય બની ગયેલું ચિત્રલેખા એ ગુજરાતી સાહિત્ય અને સમાજ જીવનનું પ્રતિબિંબ રહ્યું છે અને ચિત્રલેખા એ ગુજરાતી ભાષા, કલા અને સંસ્કૃતિનું બ્રાન્ડ એમ્બેસેડર છે.’ હોલમાં ઉપસ્થિત અમદાવાદ-ગુજરાતના વિવિધ ક્ષેત્રના જાણીતા મહાનુભાવોએ આ વાતને પડઘો પાડીને તાળીઓના ગડગડાટથી ભૂપેન્દ્રભાઇની આ વાતને અનુમોદન આપીને વધાવી લીધી હતી.

પ્રસંગ હતો, ગુજરાતીઓના લાડકા સાપ્તાહિક ચિત્રલેખાના 75 વર્ષની સફરની ઉજવણીનો. સ્થળ હતું, અમદાવાદના શેઢે આવેલા શેલા ગામે આવેલી જાણીતી કલબ ઓ-સેવનનો જાજરમાન ધ કેપિટોલ હોલ. ઉજવણીનું આકર્ષણ હતા પોતાની ગાયકીથી ગુજરાતને ગૌરવ અપાવનાર જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ, આખીય ઉજવણીને વધાવવા, શુભેચ્છા અને આશીર્વચન આપવા પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા. એમાં હરખભેર સામેલ થયા ચિત્રલેખા પરિવાર સાથે સંકળાયેલા જાણીતા મહાનુભાવો એટલે શિયાળાની ઠંડી-મખમલી સાંજ પણ જાણે એ રંગમાં રંગાઇ ગઇ.

આમ તો તમને યાદ જ હશે કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં ચિત્રલેખાના 75 વર્ષ પૂર્ણ થયા એ અવસરે 12 એપ્રિલના રોજ મુંબઈમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાઇ ચૂક્યો હતો. એ પછી શુભેચ્છકોની લાગણી હતી કે અમદાવાદમાં પણ આવી કોઇક ઉજવણી થાય. બસ, ચાહકોની એ લાગણીને ચિત્રલેખાએ સ્વીકારી અને ઇજન આપ્યું પાર્થિવ ગોહિલને અમદાવાદ પધારવાનું. 13 ડિસમ્બરની એ ઢળતી સાંજે પાર્થિવભાઇ પધાર્યા અમદાવાદ અને છેડાયા સેલિબ્રેશનના સૂર…

પરંતુ સંગીતના સૂર છેડાય અને આમંત્રિતો એ રંગમાં રંગાય એ પહેલા સમય હતો ચિત્રલેખાની આ 75 વર્ષની ગુજરાતી પત્રકારત્વની ઉજ્જવળ પરંપરા વિશે વાત કરવાનો એટલે કાર્યક્રમના એન્કર ઇશિતા સલોતે સૌ પ્રથમ મુંબઇમાં યોજાએલા એ કાર્યક્રમની એક વિડીયો ઝલક દેખાડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક અને વાઇસ-ચેરમેન મનન કોટકને મંચ પર આમંત્રિત કર્યા. આ મહાનુભાવોને હસ્તે દીપ પ્રગટાવીને અવસરનો મંગળ પ્રારંભ કર્યા પછી મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પ્રસંગોચિત સ્વાગત કરવામાં આવ્યું.

અહીં પહોંચવામાં સૌનું યોગદાનઃ મૌલિક કોટક

ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટકે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતાં કહ્યું કે, ‘કોઈપણ મેગેઝિનની મહત્વની બાબત વિશ્વનિયતા છે. ચિત્રલેખા હંમેશા તટસ્થ અને સત્યના પડખે રહ્યું છે એટલે જ એની ટેગલાઈન પણ સદા અગ્રસર એવી છે. બીજી એક મહત્વ વાત એ પણ છે કે વજુભાઈના વખતથી ચાલતા વિભાગો આજે પણ અવરિત ચાલે છે, જેમાં રાજકારણ, હાસ્ય, મનોરંજન, માહિતી સભર લેખો, ધારાવાહિક, નવલકથા જેવા વિભાગોનો સમાવેશ થાય છે. એમણે ઉમેર્યું હતું કે, મનન હંમેશા નવા વિચારો લઈને આવે છે અને ચિત્રલેખા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજે બધી જ જવાબદારી તેણે ખુબ સારી રીતે પોતાના ખભે ઉપાડી લીધી છે. મૌલિકભાઇએ ચિત્રલેખાને અહીં સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપનારા સ્વર્ગસ્થ તંત્રી હરકિસન મહેતા સહિત તમામ લેખકો-પત્રકારો સહિત સૌને ભાવપૂર્વક યાદ કર્યા હતા.

વિકસિત ભારતના સંકલ્પોમાં ચિત્રલેખાની ભૂમિકાઃભૂપેન્દ્ર પટેલ

ઉજવણીમાં સામેલ થયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિત્રલેખાને આ મુકામ પર પહોંચવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે,  ‘જે સમયે સમગ્ર દેશમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી તથા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ની 150 વર્ષની ઉજવણી ચાલી રહી છે, એવા પવિત્ર અવસર પર ચિત્રલેખાના 75 વર્ષ પૂર્ણ થવાનો આ સુભગ સંયોગ સાંપડ્યો છે.’ એમણે ભારપૂર્વક કહ્યું કે, ‘ગુજરાતી પરિવારોમાં એક સભ્યની જેમ વણાઈ ગયેલું ચિત્રલેખા સામયિક લાંબા સમયથી ગુજરાતી સાહિત્ય અને સમાજ જીવનનું સચોટ પ્રતિબિંબ રજૂ કરતું રહ્યું છે.’

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ઝુંબેશનો ઉલ્લેખ કરતાં ભૂપેન્દ્રભાઇએ કહ્યું હતું કે, ‘આ રાષ્ટ્રવ્યાપી પહેલમાં ચિત્રલેખા જેવા પ્રતિષ્ઠિત માધ્યમો જનજાગૃતિ માટે મહત્વની અને અસરકારક ભૂમિકા ભજવી શકે છે. ‘વિકસિત ભારત’ના નિર્માણના લક્ષ્યને સિદ્ધ કરવા માટે જે ‘પંચ પ્રણ’ અને ’11 સંકલ્પો’ નક્કી કરાયા છે એના વિશે વાચક સમુદાયમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવાનું કાર્ય ચિત્રલેખા અસરકારક રીતે કરી શકે છે.’

મુખ્યમંત્રીએ ચિત્રલેખાને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું ‘બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે ગણાવ્યું હતું. એમણે મુંબઈથી શરૂ થઈને દેશના અન્ય ભાગો તેમજ વિશ્વભરમાં ગુજરાતીઓ વચ્ચે એના વ્યાપક પ્રચાર અને પ્રસાર અંગે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘આજના ઝડપી ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં પણ ‘ચિત્રલેખા‘ એ પોતાના પ્રિન્ટ મીડિયાના સ્વરૂપની સર્વોપરિતા અને પ્રભાવને જાળવી રાખ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે.’

વધુમાં એમણે ઉમેર્યું કે, ‘સમાચાર, સાહિત્યિક લેખો અને સમીક્ષા ક્ષેત્રે ‘ચિત્રલેખા’ હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્પર્ધાત્મક સમયમાં પણ એણે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે.’ એમણે ગૌરવ સાથે ઉલ્લેખ કર્યો કે આ સામયિક સાથે જોડાયેલા પ્રખર લેખકો જેવા કે નગીનદાસ સંઘવી, તારક મહેતા અને ગુણવંત શાહને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર ચિત્રલેખા માટે ગૌરવની બાબત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ગુજરાતી પરિવારોમાં એક સભ્યની જેમ વણાઈ ગયેલું ‘ચિત્રલેખા’ સામયિક લાંબા સમયથી ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનનું સચોટ પ્રતિબિંબ રજૂ કરતું રહ્યું છે.’

‘પ્રભાતનાં પુષ્પો’ એ ચિત્રલેખાનું મંગળાચરણઃ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા

જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને ‘ચિત્રલેખા’ના ૭૫ વર્ષના લાંબા અને નોંધપાત્ર યોગદાનની સરાહના કરી હતી અને ચિત્રલેખા શતાબ્દીની પણ આ રીતે ઉજવણી કરે એવી હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરી હતી. પૂજ્ય ભાઇશ્રીએ કહ્યું હતું કે, ‘ચિત્રલેખાના સ્થાપકો વજુ કોટક અને મધુરીબહેનની જોડી આપણને રાધા-કૃષ્ણની જોડીનું સ્મરણ કરાવે છે.’

પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું હતું કે, ‘પ્રકાશનો અને સામયિકોના બાળમરણનો દર ઘણો મોટો  છે ત્યારે ચિત્રલેખાએ 75 વર્ષની સફર સફળતાપૂર્વક પૂરી કરી છે એ એની ગહન પ્રતિષ્ઠા, ગુણવત્તા અને વાચકોના હૃદયમાં રહેલા અસીમ લોકાદરને સ્પષ્ટપણે સાબિત કરે છે. ચિત્રલેખા એવું સામયિક છે જેના માટે અંદરથી એક વિશેષ આદરનો ભાવ પ્રગટ થાય છે.’

વધુમાં એમણે ઉમેર્યું કે, ‘જે દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ, જ્યાં ડિજિટાઇઝેશન અને AI જગત ઝડપથી વિસ્તરી રહ્યું છે, ત્યારે આ સામયિક મજબૂતીથી ચાલતું રહ્યું છે.’ એમણે ચિત્રલેખાની આવૃત્તિને ‘ચિરંજીવી ભવ’ ના આશીર્વાદ પણ આપ્યા. એમણે ઉમેર્યું કે, ‘વજુભાઈ જેવા પત્રકાર કે સાહિત્યકારને ‘સ્વર્ગસ્થ’ ન કહી શકાય કારણ કે સાહિત્યકાર હંમેશા શબ્દસ્થ એટલે જીવંત હોય છે. આજે પણ ચિત્રલેખાના અંકમાં ક્યાંકને ક્યાંક વજુભાઈનો સ્પર્શ અને મધુરીબહેનનું અસ્તિત્વ પ્રગટ થાય છે.’

પૂજ્ય ભાઇશ્રીએ કહ્યું કે, ‘મનનભાઈ જે રીતે ‘ચિત્રલેખા’ને આગળ વધારી રહ્યા છે એ જોઈને એક ઉજળી આશા બંધાય છે. એમણે અમેરિકામાં પણ ‘ચિત્રલેખા’ના જૂના અંકોના બંડલ સચવાયેલા જોયા હોવાનું જણાવી નિરીક્ષણ કર્યું હતું કે મોટાભાગના લેખો અને સ્તંભો એમને એમ ચાલુ રહ્યા છે.’ ‘પ્રભાતનાં પુષ્પો’ ને ‘ચિત્રલેખા’ નું મંગળાચરણ ગણાવતાં એમણે ઉમેર્યું કે, આ પુષ્પો સુગંધિત છે અને ક્યારેય ન કરમાય એવા છે. આ વૈચારિક સુગંધ અંતરના દીવાને પ્રગટાવી રહી છે.

કેવી રહી 75 વર્ષની આ ગૌરવશાળી સફર?

શરૂઆતમાં ચિત્રલેખાના વાઇસ-ચેરમેન મનન કોટકે ‘ચિત્રલેખા’ના 75 વર્ષની સફરની ઝલક આપતી બે વિડીયો રજૂ કરી હતી. સંસ્થાપક વજુભાઈ અને મધુરીબહેને કરેલા સંઘર્ષો અને પ્રયાસોની હૃદયસ્પર્શી વાતો કરતાં કરતાં એમણે ચિત્રલેખાએ કઈ રીતે સમયની સાથે પરિવર્તન સ્વીકાર્યું અને પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી એની કેફિયત આપી હતી.

મનનભાઇએ આ પ્રસંગ માટે ખાસ બે વિડીયો તૈયાર કરાવી હતીઃ એક, ચિત્રલેખાની 75 વર્ષની સફરની ઝલક આપતી વિડીયો. અને બીજી, વજુ કોટક-મધુરી કોટકની એ સમયની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પરથી એઆઇની મદદથી તૈયાર કરેલી વિડીયો. મનનભાઇએ લાગણીસભર રીતે કહ્યું કે, એમને તસવીરોના માધ્યમથી જીવંત કરવાની ઇચ્છા ટેકનોલોજીની મદદથી પૂરી થઇ શકી છે. ઉપસ્થિત મહેમાનોએ આ વિડીયોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

મનન કોટકે સાડા સાત દાયકાની આ સફરમાં અને આ ઉજવણીમાં સહકાર આપનાર સૌ સ્પોન્સર્સ, વિજ્ઞાપનદાતાઓ, લેખકો-પત્રકારો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અને સ્ટેજ પર છવાયો પાર્થિવ ગોહિલનો જાદુ…

વિધિવત કાર્યક્રમ પૂરો થયા પછી હવે મંચનું મેદાન ખુલ્લું હતું પાર્થિવ ગોહિલ અને સાથી ગાયકો મોસમ અને મલકા માટે.

પાર્થિવ ગોહિલે શરૂઆતમાં જ વજુ કોટકે જે ફિલ્મની પટકથા લખી હતી એ મંગળ ફેરા ફિલ્મનું મધુરીબહેન કોટકનું ફેવરીટ ગીત તાળીઓના તાલે…. ગાઈને સંગીતમય સાંજની શરૂઆત કરી. એક પછી એક જાણીતા લોકગીતો, ગરબા અને ફિલ્મી ગીતો ગાઇને એમણે મહેમાનોને રીતસર ડોલાવ્યા હતા.

હા, એમાં વચ્ચે એક સરપ્રાઇઝ એલિમેન્ટ પણ હતું. એ સરપ્રાઇઝ એટલે સુપરડુપર હીટ ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારોની મંચ પર હાજરી. આ કલાકારોને સ્ટેજ પર આવતા જોઇને મહેમાનોએ કીકીયારીઓથી એમનું સ્વાગત કર્યું હતુ અને સામે આ કલાકારોએ પણ સંગીત સંધ્યામાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે…. ગાઇને વાતાવરણને અનોખી ઉંચાઇ આપી હતી.

બસ, પછી તો પાર્થિવભાઇ પણ ઓડિયન્સનો મૂડ જોઇને એક પછી એક ગીતોની રમઝટ બોલાવતા ગયા, સાથી ગાયિકાઓ મોસમ અને મલકાની સાથે સાજીંદાઓ પણ એમાં સૂર પૂરાવતા ગયા.

હા, કાર્યક્રમને વિશેષ બનાવવા માટે વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. જેમાં વિશ્વપ્રસિધ્ધ વિજ્ઞાની ડો. પંકજ જોશી, રાજકીય અગ્રણીઓ ધારાસભ્ય અમિત ઠાકર, પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, ભાજપના અગ્રણી હિમાંશુ વ્યાસ અને કુસુમ કૌલ-વ્યાસ, ચાર્ટડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલ, ભાજપના અગ્રણી નિમેષ જોશી, કોંગ્રેસના અગ્રણી અને ભૂતપૂર્વ સંસદસભ્ય અમી યાજ્ઞિક, પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેની ઠુમ્મર, પ્રદેશ પ્રવક્તા ડો. મનીશ દોશી, હિરેન બેન્કર, કેડિલાના અમિત દોશી, આઇનાના પ્રફુલ્લ નાટક અને હર્ષિલ નાયક, ટીવી-9 ગુજરાતીના એડિટર વિકાસ ઉપાધ્યાય, નિવૃત્ત સનદી અધિકારી અમૃત પટેલ, સામાજિક અગ્રણી તૃપ્તિબા રાઓલ, જાણીતા કવિ તુષાર શુક્લ, આઇપીએસ અધિકારી રાજેન સુસરા, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા, આર્કિટેક્ટ કમલ ખોખાણી, રસના પરિવારના રુઝાન ખંભાતા, હોટેલિયર દિલીપ ઠક્કર, નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ, જાણીતા સાઇકોલોજિસ્ટ ડો.પ્રશાંત ભીમાણી, જાણીતા લેખક અને સાઈક્યાટ્રીસ્ટ ડો. હંસલ ભચેચ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉન્મેષ દિક્ષિત, કલાકારો હિતુ કનોડિયા, મોના થીબા, દિગ્દર્શક અભિષેક જૈન, ચેતન દહિયા, મયુર વાકાણી, ભક્તિ કુબાવત, બેન્ચમાર્ક વોટર હીટરના નિશિત જોશી, હિરેન સવાઈ, જેડ બ્લુના જીતેન્દ્ર ચૌહાણ, બિપિન ચોહાણ, સ્પાયરન મસાલાના મયંક પટેલ, ક્લબ-O7 ના શ્રીનંદ વ્યાસ અને કલ્પેશ પ્રજાપતિ, વસંત મસાલાના ચંદ્રકાંત ભંડારી, રાજકમલ ભંડારી, અન્નપૂર્ણા હિંગના અતુલ શાહ, પાંચતારા ફરાળીના અકીલ શાહ, સંકેત એડવર્ટાઈઝીંગના જીગીશભાઈ શાહ, મેરિલ લાઇફના સુગન્ધા મહેતા જેવા અનેક ગણમાન્ય લોકોનો સમાવેશ થાય છે.

અને, ગુજરાતીઓની કોઇ ઉજવણી ગરબા વિના પૂરી થાય ખરી? જેમ જેમ સંગીત સંધ્યા એના અંતિમ ચરણ સુધી આવતી ગઇ એમ ઓડિયન્સને પણ ગરબાના મૂડમાં આવતી જોઇને પાર્થિવ ગોહિલે છેલ્લી કેટલીક મિનીટોમાં ગરબાના તાલે ઓડિયન્સને રીતસર નચાવ્યું હતું. હોલમાં ઉપસ્થિત સૌ કોઇ આમંત્રિતો જ્યાં ઉભા હતા ત્યાં રીતસર ગરબા કરતા જોવા મળ્યા હતા. અને, એમાં ચિત્રલેખાનો સ્ટાફ પણ બાકાત નહોતો…

75 વર્ષની ઉજવણીના ઉત્સાહમાં પાર્થિવના કંઠનો જાદુ ભળે ત્યારે આવું જ થાય ને?!

(હેતલ રાવ-અમદાવાદ)

2026 માં રોબોટ્સ વિનાશ વેરશે! અદ્ભુત ચમત્કારો થશે

નવું વર્ષ આવવાનું છે, અને 2026 ને ટેકનોલોજીની દુનિયામાં એક મુખ્ય વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઝડપી વિકાસ પરિવર્તન લાવી રહ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે આવનારું વર્ષ રોબોટ્સ વિશે હશે. ખાસ કરીને હ્યુમનૉઇડ રોબોટ્સ વિશે ઘણી ઉત્તેજના છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રોબોટ્સ ફક્ત ફેક્ટરીઓ અને વેરહાઉસ સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ ઘરોમાં પણ દેખાશે અને રોજિંદા કાર્યોનો ભાગ બનશે. તેમને બનાવતી કંપનીઓ તેમને ભવિષ્યની સૌથી મોટી ક્રાંતિ કહી રહી છે. જો કે, આ તેજસ્વી ચિત્ર પાછળ કેટલાક પડકારો છુપાયેલા છે જેને અવગણી શકાય નહીં.

સૌથી મોટો પ્રશ્ન માનવ સલામતીનો છે. હાલમાં, હ્યુમનૉઇડ રોબોટ્સ પોતાના પર ઘણા કાર્યો કરવા સક્ષમ છે, પરંતુ તેમને હજુ પણ માનવોથી દૂર રાખવામાં આવે છે. વેરહાઉસ અને ફેક્ટરીઓમાં, આ રોબોટ્સ અકસ્માતો અટકાવવા માટે દિવાલો અથવા બેરિકેડ પાછળ કાર્ય કરે છે. કારણ સ્પષ્ટ છે: જો કોઈ રોબોટ તકનીકી ભૂલ અથવા સોફ્ટવેર ખામીને કારણે માનવને નુકસાન પહોંચાડે છે, તો તેના પરિણામો અત્યંત ગંભીર હોઈ શકે છે.

કંપનીઓ એવી ટેકનોલોજી વિકસાવી રહી છે જે રોબોટ્સને મનુષ્યોને ઓળખવા અને તેમની આસપાસ સુરક્ષિત રીતે કામ કરવા દે છે. જોકે, આ ટેકનોલોજીને હજુ સુધી સંપૂર્ણપણે વિશ્વસનીય ગણી શકાય નહીં. જ્યાં સુધી આ સલામતીની ચિંતાઓને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી, મનુષ્યો અને રોબોટ્સ સાથે મળીને કામ કરવું એ જોખમી પ્રયાસ રહેશે.

સલામતી પછી, બીજી મોટી ચિંતા ગોપનીયતા છે, ખાસ કરીને જો ઘરોમાં રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરો ખાનગી જગ્યાઓ છે, જ્યાં બાળકો, પાલતુ પ્રાણીઓ અને કિંમતી વસ્તુઓ હાજર હોય છે. તેથી, કેમેરા અને માઇક્રોફોનથી સજ્જ રોબોટ્સ હંમેશા ફરતા રહેવાથી ઘણા લોકો માટે ચિંતા થઈ શકે છે. કારણ કે આ રોબોટ્સ ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે, તેથી ડેટા લીક અને હેકિંગનું જોખમ પણ રહે છે.

લોકોને એવો પણ ડર છે કે માનવ જેવા રોબોટ્સ દેખરેખનું સાધન બની શકે છે. કેટલીક કંપનીઓ વચન આપી રહી છે કે વપરાશકર્તાઓ ઘરના ચોક્કસ ભાગોમાંથી રોબોટ્સને અવરોધિત કરી શકે છે અથવા ડેટા શેરિંગને મર્યાદિત કરી શકે છે. આ હોવા છતાં, સામાન્ય લોકો તેમના અંગત જીવનના ભાગ રૂપે તેમને સ્વીકારવા કેટલી હદે તૈયાર થશે તે એક મુખ્ય પ્રશ્ન છે.

આ રોબોટ્સની કિંમત પણ એક મહત્વપૂર્ણ અવરોધ ઉભો કરી રહી છે. શરૂઆતના તબક્કામાં, માનવીય રોબોટ્સ એટલા મોંઘા છે કે સામાન્ય પરિવારો તેમને ધ્યાનમાં પણ લઈ શકતા નથી. કંપનીઓ વચન આપી રહી છે કે સમય જતાં કિંમતો ઘટશે, પરંતુ 2026 સુધીમાં, આ ટેકનોલોજી ફક્ત શ્રીમંત લોકો સુધી મર્યાદિત રહેવાની શક્યતા છે. જો રોબોટ્સ પસંદગીના વ્યક્તિઓ અથવા મોટી કંપનીઓના ઘરો સુધી મર્યાદિત રહેશે, તો તેમના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે નહીં. આ ટેકનોલોજી અને સામાન્ય લોકો વચ્ચેનું અંતર વધુ વધારી શકે છે.

સૌથી ગંભીર ચિંતા નોકરીઓની છે. માનવીય રોબોટ્સ માનવ જેવા કાર્યો કરવા માટે બનાવવામાં આવી રહ્યા છે. કંપનીઓ દાવો કરે છે કે આ રોબોટ્સ એવા કાર્યો કરશે જે લોકો કરવા માંગતા નથી, જેમ કે ભારે વજન ઉપાડવું અથવા કંટાળાજનક ઘરકામ. પરંતુ સત્ય એ છે કે આ જ નોકરીઓ ઘણા લોકો માટે આજીવિકાનો સ્ત્રોત પણ છે.

જો રોબોટ્સ મોટી સંખ્યામાં આ જવાબદારીઓ સંભાળે છે, તો બેરોજગારીનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં, સરકારો અને સમાજે વિચાર કરવો પડશે કે જેમની નોકરીઓ પ્રભાવિત થશે તેમને નવી કુશળતા કેવી રીતે શીખવવી અને નવી તકો કેવી રીતે ઊભી કરવી.

2026 ટેકનોલોજીકલ અજાયબીઓથી ભરેલું વર્ષ સાબિત થઈ શકે છે. રોબોટ્સમાં જીવન સરળ બનાવવાની ક્ષમતા છે, પરંતુ સુરક્ષા, ગોપનીયતા, ખર્ચ અને રોજગાર જેવા સંકળાયેલ મુદ્દાઓને સંબોધવા પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી આ પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી એ નક્કી કરવું મુશ્કેલ છે કે રોબોટ્સ ભવિષ્યના મિત્ર બનશે કે નવો પડકાર.

સરદાર પટેલની 75મી પુણ્યતિથિએ ભજવાયું ભવ્ય અને ભાવપૂર્ણ નાટક : ‘લોહપુરુષ’

નવી દિલ્હી: ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કાર્યનું આલેખન કરતું એકપાત્રીય હિન્દી નાટક ‘લોહપુરુષ’નું રવિવારે નવી દિલ્હીમાં ભાવપૂર્ણ મંચન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની 75મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ ચાણક્યપુરી સ્થિત CSOI ઓડિટોરિયમમાં આ વિશેષ અને ભાવનાત્મક પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર-સંસાર વેલફેર સોસાયટી અને સિવિલ સર્વિસીસ ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ સરદાર પટેલના અતુલનીય જીવન અને તેમના પોલાદી વ્યક્તિત્વને સમર્પિત હતો.

જાણીતા ગુજરાતી સાહિત્યકાર, સંપાદક અને નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા લિખિત, નિર્દેશિત અને તેમના દ્વારા જ અભિનિત આ મોનો એક્ટ પ્લેમાં- તેમણે પોતાના ઓજસ્વી અને ભાવનાત્મક અભિનયથી સરદાર પટેલના આદર્શો અને રાષ્ટ્રીય નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાનની ગાથાને જીવંત કરી દીધી, જેનાથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

આ કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલની 150મી જન્મજયંતી અને 75મી પુણ્યતિથિ પર કેન્દ્રિત પરિચયાત્મક અને જ્ઞાનવર્ધક વક્તવ્યથી થઈ, જે વરિષ્ઠ લેખક, સિને-ઇતિહાસકાર અને કલા-પ્રોત્સાહક ડો. રાજીવ શ્રીવાસ્તવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રનિર્માણમાં સરદાર પટેલના વિલક્ષણ યોગદાનથી દર્શકોને વાકેફ કર્યા હતા.

નાટકનાં કાર્યકારી નિર્માતા લતા પટેલ અને સ્વર-સંસારનાં મુખ્ય સંરક્ષક નવિતા સક્સેના ગૈહાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાજધાનીના કલા-પ્રેમીઓ અને અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ ભાવપૂર્ણ સાંસ્કૃતિક સંધ્યાને સફળ બનાવીને દેશના મહાન સપૂતને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

દિલ્હીના ગુજરાતી સામાજિક અગ્રણી રોહિત પારેખે આ સફળ આયોજન પર પ્રસન્નતા વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે “આ નાટકમાં સરદાર પટેલના જીવનના અનેક મહત્ત્વપૂર્ણ પ્રસંગો અને પાસાંઓને રેખાંકિત કરવામાં આવ્યા છે, જેના વિશે સામાન્ય રીતે લોકો વધુ જાણતા નથી. આ પ્રકારનું નાટ્ય મંચન યુવા પેઢીને રાષ્ટ્રના નાયકો સાથે જોડવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે દિલ્હીમાં ગુજરાતી રંગમંચને સમૃદ્ધ કરવાના ભાગ્યેન્દ્ર પટેલના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

માર્કેટિંગ કૌભાંડમાં શ્રેયસ તલપડે અને આલોક નાથની ધરપકડ થશે કે નહીં?

શ્રેયસ તલપડે અને આલોક નાથનું નામ માર્કેટિંગ કૌભાંડમાં સામે આવ્યું હતું. આ કેસમાં બંને કલાકારોને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. માર્કેટિંગ કૌભાંડના સંબંધમાં હવે તેમને ધરપકડનો સામનો કરવો પડશે નહીં.

શ્રેયસ તલપડે અને આલોક નાથની મુશ્કેલીઓ હવે ઓછી થઈ ગઈ છે. બંનેએ એક માર્કેટિંગ કંપનીનું પ્રમોશન કર્યું હતું. બાદમાં, આ કંપનીનું નામ એક કૌભાંડમાં સામે આવ્યું. આલોક નાથ અને શ્રેયસ તલપડે સહિત ઘણા લોકો પર આરોપ મૂકવામાં આવ્યા હતા. જોકે, બંને કલાકારોએ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો. હવે, તેમને કોર્ટમાંથી રાહત મળી છે.

પીટીઆઈ અનુસાર, ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવન સમક્ષ સુનાવણી દરમિયાન શ્રેયસ તલપડેના વકીલે પોતાનો કેસ રજૂ કર્યો. વકીલે જણાવ્યું કે અભિનેતાને કંપનીના વાર્ષિક કાર્યક્રમમાં મહેમાન સેલિબ્રિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વકીલે એમ પણ કહ્યું કે શ્રેયસ તલપડેએ આ કેસમાંથી ક્યારેય કોઈ પૈસા કમાયા નથી.

આલોક નાથના વકીલે એમ જણાવ્યું હતું કે અભિનેતાએ કોઈ માર્કેટિંગ કંપનીના કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો અને તેમનો ફોટો 10 વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાયો હતો. આલોક નાથના વકીલે પૂછ્યું, “જો કોઈ ટોચનો અભિનેતા કે ક્રિકેટર કોઈ કોર્પોરેટ કંપની માટે જાહેરાત કરે છે અથવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દેખાય છે, અને તે કંપની ફડચામાં જાય છે અથવા તેની સામે ફોજદારી કેસ છે, તો શું આ ક્રિકેટર કે અભિનેતા પર પણ લાગુ પડશે?” કોર્ટે વકીલની દલીલ પર વિચાર કર્યો.

કોર્ટે ધરપકડ પર રોક લગાવી

આલોક નાથ અને શ્રેયસ તલપડેના કેસની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું, “અમે આ અરજી (તલપડે દ્વારા દાખલ) નિકાલ કરીએ છીએ. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અરજદારની ધરપકડ કરવામાં આવશે નહીં.” સુપ્રીમ કોર્ટ શ્રેયસ તલપડે અને આલોક નાથ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં વિવિધ રાજ્યોમાં દાખલ કરાયેલી FIR ને એકીકૃત કરવાની માંગ કરવામાં આવી હતી.

માર્કેટિંગ કૌભાંડનો મામલો શું છે?

સોનીપતના રહેવાસી વિપુલ અંતિલ નામના ૩૭ વર્ષીય વ્યક્તિએ શ્રેયસ તલપડે, આલોક નાથ અને તેર અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે બંને કલાકારોએ હ્યુમન વેલફેર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રમોટ કર્યું હતું. આ કંપની પાછળથી માર્કેટિંગ કૌભાંડમાં પ્રકાશમાં આવી હતી. પોલીસે આલોક નાથ અને શ્રેયસ તલપડે વિશે એમ પણ જણાવ્યું હતું કે, “તેઓ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા અને પીડિતોને રોકાણ કરવા માટે આકર્ષિત કરવાનું કારણ હતા. તેથી જ ફરિયાદમાં તેમનું નામ આપવામાં આવ્યું હતું. એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે તેમની ભૂમિકા નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.” વિશ્વાસઘાત અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ 22 જાન્યુઆરીએ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષનો પદભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ ભાજપે તમામ અટકળોને વિરામ આપતાં બિહારના ધારાસભ્ય નીતિન નબીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ પછાત વર્ગ અથવા દલિત સમુદાયમાંથી કોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવશે, પરંતુ સૌને આશ્ચર્યમાં મૂકતાં કાયસ્થ જાતિમાંથી આવતા નીતિન નબીનને પાર્ટીની કમાન સોંપવામાં આવી છે.

દેશભરમાં કાયસ્થોની વસ્તી અંદાજે 2.5થી 3 કરોડ હોવાનું માનવામાં આવે છે, જે કુલ વસ્તીના આશરે 2થી 2.5 ટકા જેટલી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તેમની મોટી વસ્તી છે અને તેમનો રાજકીય પ્રભાવ પણ નોંધપાત્ર રહ્યો છે.

ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને બિહાર સરકારના મંત્રી નીતિન નબીન દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર દિલ્હીના CM રેખા ગુપ્તા, દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે સહિત અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ નીતિન નબીન દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગૃહ મંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાન સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ ભાજપના મુખ્યાલયમાં નીતિન નબીનનું સ્વાગત કર્યું. ભાજપના મુખ્યાલયમાં અમિત શાહ અને જે.પી. નડ્ડાની હાજરીમાં નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું.

નીતિન નબીન કોણ છે?

નીતિન નબીન હાલમાં બિહાર સરકારમાં પથ નિર્માણ અને નગર વિકાસ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પટનાની બાંકીપુર બેઠક પરથી 2006ની ઉપચૂંટણી બાદ સતત પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ કાયસ્થ સમાજમાંથી આવે છે અને હાલમાં બિહાર મંત્રીમંડળમાં કાયસ્થ સમાજમાંથી એકમાત્ર મંત્રી છે. તેમના પિતા નવીન કિશોર પ્રસાદ સિન્હા પણ ભાજપના પ્રભાવશાળી નેતા હતા. પિતાના અવસાન બાદ નીતિન નબીને તેમની રાજકીય વારસાગાથાને આગળ વધારી છે. માત્ર 45 વર્ષની ઉંમરે ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળનાર તેઓ સૌથી યુવાન નેતા બન્યા છે.

પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન, મુખ્યમંત્રી યોગીએ શ્રદ્ધાંજલિ આપી

રામ મંદિર આંદોલનના શિલ્પી ગણાતા ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું અયોધ્યામાં નિધન થયું. મધ્યપ્રદેશના રેવામાં સારવાર દરમિયાન તેમણે દેહ છોડી દીધો.

ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું બીમારીને કારણે નિધન થયું. તેમણે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મધ્યપ્રદેશના રેવામાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમને રામ મંદિર આંદોલનના શિલ્પી માનવામાં આવે છે. ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીના અવસાનથી અયોધ્યામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના ઉત્તરાધિકારી ટૂંક સમયમાં મધ્યપ્રદેશથી તેમના પાર્થિવ દેહ સાથે અયોધ્યા જવા રવાના થશે.

પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીની ગઈકાલે મધ્યપ્રદેશના રેવામાં રોકાણ દરમિયાન તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.

મુખ્યમંત્રી યોગીએ શ્રદ્ધાંજલિ આપી

ડો. રામવિલાસને શ્રદ્ધાંજલિ આપતા મુખ્યમંત્રી યોગીએ લખ્યું, “શ્રી રામ જન્મભૂમિ ચળવળના અગ્રણી સ્તંભ, ભૂતપૂર્વ સાંસદ અને શ્રી અયોધ્યા ધામમાં વશિષ્ઠ આશ્રમના આદરણીય સંત ડૉ. રામવિલાસ વેદાંતી જી મહારાજનું અવસાન આધ્યાત્મિક જગત અને સનાતન સંસ્કૃતિ માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! તેમનું અવસાન એક યુગનો અંત છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત તેમનું બલિદાન જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. અમે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત શિષ્યો અને અનુયાયીઓને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!”

ડૉ. રામવિલાસ કોણ હતા?

ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનો જન્મ 7 ઓક્ટોબર, 1958ના રોજ થયો હતો. તેઓ એક અગ્રણી હિન્દુ ધાર્મિક નેતા, રામ જન્મભૂમિ ચળવળના મુખ્ય શિલ્પી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ભૂતપૂર્વ સાંસદ હતા. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સાથે સંકળાયેલા હતા અને રામ મંદિરના નિર્માણ માટે સક્રિયપણે કામ કર્યું હતું. તેઓ 1996 માં મછલીશહર લોકસભા બેઠક પરથી અને 1998 માં પ્રતાપગઢ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય હતા અને અયોધ્યાના વશિષ્ઠ આશ્રમ સાથે સંકળાયેલા હતા. 1992 ના બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ રામ કથા અને ભાગવત કથાના પ્રખ્યાત વક્તા હતા, જેમણે ભારત અને વિદેશમાં હજારો કથાઓ આપી હતી. તેમણે રામ મંદિર ચળવળને જનતા સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે સંસદથી શેરીઓ સુધી મંદિરના નિર્માણ માટે જોરદાર હિમાયત કરી હતી.

રામ કથાના કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત બગડી

15 ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ મધ્યપ્રદેશના રેવામાં રામ કથાના કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત બગડી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેઓ 67 વર્ષના હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તેને સનાતન સંસ્કૃતિ માટે એક અપૂર્ણ નુકસાન ગણાવ્યું હતું. તેમના પાર્થિવ શરીરને અયોધ્યા લાવવામાં આવ્યુ છે, જ્યાં તેમને જળ સમાધિ આપવામાં આવશે. તેમના નિધનને રામ મંદિર ચળવળના સંતો અને રામ ભક્તો માટે એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.

ચારુસેટ એજ્યુકેશન એક્સપોની વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ મુલાકાત લીધી

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ચારુસેટ કેમ્પસમાં સતત ત્રીજા વર્ષે  ચારથી સાત ડિસેમ્બર, 2025 દરમિયાન આયોજિત‘ચારુસેટ એજયુકેશન એક્સપો 3.0’ને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ હતી. ચારુસેટ એજ્યુકેશન એક્સ્પો અનિલ અને આશા પટેલ એન્ડોમેન્ટ ફંડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને જગાજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સહ-સંચાલિત હતો.

વિદ્યાર્થીઓના ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસાર્થે કારકિર્દીલક્ષી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી ચાર દિવસ માટે આયોજિત એક્સ્પોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. એક્સપોમાં 72 સ્કૂલોના 9691 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ઊમટ્યા હતા. ગુજરાત રાજ્યનાં વિવિધ 100 જેટલાં સ્થળોથી વિદ્યાર્થીઓને કેમ્પસમાં લાવવામાં આવ્યા હતા. સ્કૂલોમાંથી કુલ 225 શિક્ષકો એક્સપોની મુલાકાતે આવ્યા હતા.

એક્સપોમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ-વાલીઓએ 10 ઇન્સ્ટિટ્યુટ, 7 ફેકલ્ટી, 70થી વધુ એકેડેમિક પ્રોગ્રામની તમામ માહિતી ઉપરાંત એડમિશન પ્રોસેસ,વિવિધ કોર્સ,સ્કોલરશિપ વગેરેની માહિતી તેમ જ કારકિર્દી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગેમ ઝોનમાં લર્નિંગ વિથ ફનનો અનુભવ લીધો હતો. એજ્યુકેશન, ઇનોવેશન અને ઓપર્ચ્યુંનિટીના ફ્યુઝન સમાન એક્સપોમાં ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા લગભગ 30 પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીઓએ એક્સપોમાં કેરિયર કાઉન્સેલિંગ ફેર, સ્ટુડન્ટ પ્રોટોટાઈપ શોકેસ, ઇન્સ્ટિટયૂટ વિઝિટનો લાભ લીધો હતો. એક્સપોના ભાગરૂપે કિશોર કાકા તરીકે પ્રખ્યાત સ્મિત પંડ્યા દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો.

ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ એક્સપોને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ હતી.

લોકપ્રિય ફૂટબોલર મેસ્સી મુંબઈમાં, ચાહકોની ઉમટી ભીડ

GOAT ટૂર 2025 હેઠળ ભારત આવેલા લિયોનેલ મેસ્સીનું મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમ અને મરીન ડ્રાઇવ પર ચાહકોની ભીડ જામી હતી. મેચ દરમિયાન મેસ્સી સચિન તેંડુલકરને મળ્યા હતાં. તેંડુલકરે મેસ્સીને પોતાની જર્સી ભેટમાં આપી.

GOAT ટૂર 2025 ના ભાગ રૂપે ભારતની મુલાકાતે આવેલા દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીનું રવિવારે મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સમય દરમિયાન ફૂટબોલના દિગ્ગજ મેસ્સી ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને પણ મળ્યા. સચિને મેસ્સીને પોતાની જર્સી ભેટમાં આપી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો ચાહકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચાહકોએ મરીન ડ્રાઇવ પર ત્રણ કિલોમીટર સુધી ભીડ જમાવી હતી.


( તસવીર:દીપક ધૂરી)