પશ્ચિમ બંગાળમાં કાઉન્ટિંગ પૂર્વે હાઈવોલ્ટેજ ડ્રામા

પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલા તૃણમૂલ કોંગ્રેસે સ્ટ્રોંગ રૂમમાં ગેરરીતિના ગંભીર આરોપો લગાવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે અને દાવો કર્યો છે કે પક્ષના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં મતપેટીઓ ખોલવામાં આવી રહી છે. બીજી તરફ, ચૂંટણી પંચે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા સ્પષ્ટતા કરી છે કે વીડિયોમાં દેખાતી પ્રવૃત્તિ પોસ્ટલ બેલેટની છંટણીની પ્રક્રિયા હતી, જે નિયમ મુજબ અને પક્ષોને પૂર્વ જાણ કરીને કરવામાં આવી હતી.

તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોઈપણ રાજકીય પક્ષના એજન્ટોની હાજરી વગર જ મતપેટીઓ ખોલવામાં આવી રહી હતી. પાર્ટીએ આને ‘ચૂંટણીલક્ષી છેતરપિંડી’ ગણાવતા કહ્યું છે કે લોકશાહીના પર્વમાં આ પ્રકારની હસ્તક્ષેપ અસ્વીકાર્ય છે. આ આરોપોને ગંભીરતાથી લઈને મમતા બેનર્જી પોતે કોલકાતાના એવા કેન્દ્રોની મુલાકાતે પહોંચી ગયા હતા જ્યાં મતપત્રો રાખવામાં આવ્યા છે. તેઓ ભવાનીપુર મતવિસ્તારની સુરક્ષા ચકાસવા સખાવત મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ અને ત્યારબાદ ખુદીરામ અનુશીલન કેન્દ્ર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા પર બેઠેલા કાર્યકરોનું મનોબળ વધાર્યું હતું.

આ વિવાદ વધુ વકરતા ટીએમસીના વરિષ્ઠ નેતાઓ શશિ પાંજા અને કુણાલ ઘોષે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. મમતા બેનર્જીએ પોતાના કાર્યકરો અને સમર્થકોને આદેશ આપ્યો છે કે તેઓ 4 મે ના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી ગણતરી કેન્દ્રો પર ચોવીસ કલાક કડક પહેરો રાખે. તેમણે કાર્યકરોને ચેતવણી આપતા જણાવ્યું કે વિપક્ષી દળો રાત્રિના અંધકારમાં મશીનો બદલવાની કોશિશ કરી શકે છે, તેથી સતર્ક રહેવું અત્યંત અનિવાર્ય છે.

ચૂંટણી પંચે આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે ખુદીરામ અનુશીલન કેન્દ્ર પરિસરમાં 7 વિધાનસભા ક્ષેત્રોના સ્ટ્રોંગ રૂમ આવેલા છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મશીનોને ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની હાજરીમાં યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યા હતા. પંચના જણાવ્યા અનુસાર, છેલ્લો સ્ટ્રોંગ રૂમ ગુરુવારે સવારે લગભગ 5:15 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો. જે વીડિયો ટીએમસી દ્વારા શેર કરવામાં આવ્યો છે તે વાસ્તવમાં પોસ્ટલ બેલેટના વર્ગીકરણની પ્રક્રિયા હતી, જે અલગ રૂમમાં અને કોરિડોરમાં ચાલી રહી હતી. પંચે ઉમેર્યું કે આ પ્રક્રિયા માટે તમામ રિટર્નિંગ ઓફિસરોને ઈમેલ મારફતે અગાઉથી જાણ કરવામાં આવી હતી.

રાજકીય વિશ્લેષકો માને છે કે એક્ઝિટ પોલ્સમાં ભાજપને મળતી મોટી સરસાઈના અહેવાલો બાદ ટીએમસી વધુ આક્રમક બની છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં એટલે કે 23 અને 29 એપ્રિલના રોજ મતદાન થયું હતું, જેમાં 90 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. ભાજપ આને સત્તા પરિવર્તનનો સંકેત ગણાવી રહ્યું છે, જ્યારે મમતા બેનર્જી 226 થી વધુ બેઠકો સાથે પુનરાગમન કરવાનો દાવો કરી રહ્યા છે. હવે આ આક્ષેપબાજી વચ્ચે 4 મે ના રોજ ખરેખર શું પરિણામો આવે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.