ગાંધીનગર: હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે, ત્યારે એમને મદદ આપવા માટે ગુજરાતના અલગ-અલગ શહેરોના ડાયમંડ એસોસિએશના હોદ્દોદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં ભૂપન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ. આગામી બે દિવસમાં કોઈ એક્શન પ્લાન ચોક્કસ બનાવીશું.વિશ્વમાં 10 ડાયમંડનું કટ એન્ડ પોલિશ્ડ થાય તેમાંથી 9 ડાયમંડ સુરતમાં બને છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડનું મોટા પ્રમાણમાં કામ થાય છે. પરંતુ છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી છે. છેલ્લાં અઢી વર્ષથી ચાલતી મંદીને કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે. જેને લઈને આ રત્ન કલાકારો માટે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે રજૂઆત ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
મંગળવારના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયા, વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ, અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ કાનાણી, જુનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજય પટેલ, ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા, અમદાવાદ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયાની ગુજરાતના સી.એમ. ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા રત્નકલાકારોને લગતી વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી. સી.એમ.એ કહ્યું હતું કે આ બાબતે સરકાર દ્વારા આગામી 2 દિવસમાં કોઈ ઠોસ પગલાં ભરવામાં આવશે.
ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટના ચેરેમન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ગુજરાતના અલગ-અલગ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. સી.એમ. દ્વારા સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો. સી.એમ.એ કહ્યું હતું કે, રત્ન કલકારો માટે સરકારે મદદ કરવી જોઈએ, અમે તે માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે અમારા વિભાગને સૂચના આપી દિધી છે અને આગામી 2 દિવસમાં રત્ન કલાકરો માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે.
(અરવિંદ ગોંડલિયા-સુરત)
