દેશમાં એક વર્ષમાં ત્રણ મોટા ટ્રેન અકસ્માતો થયા

યુપીના ગોંડામાં ગુરુવારે બપોરે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. ઉત્તર પ્રદેશના ગોંડા પાસે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 કોચ પલટી ગયા હતા. દુર્ઘટના બાદ બે લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ઘણા ઘાયલ થયાના અહેવાલ છે. જો કે, હજુ ચોક્કસ સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી. દેશમાં એક વર્ષમાં ત્રણ મોટા રેલ્વે અકસ્માત થયા છે, જેમાં 300થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. ચાલો આ અકસ્માતો પર એક નજર કરીએ.


ઑક્ટોબર 29, 2023

આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ-પલાસા અને વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેનો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. તેનું કારણ સિગ્નલની નિષ્ફળતા અને માનવીય ભૂલ હોવાનું જણાવાયું હતું. આ અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

17 જૂન, 2024

17 જૂન, 2024 ના રોજ, સિયાલદહ-અગરતલા કાંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના રંગપાણી સ્ટેશન નજીક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

2 જૂન, 2023

2 જૂન, 2023 ના રોજ, ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનો અથડાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસે ઊભેલી માલગાડી અને પછી બીજી બાજુથી આવતી સુપરફાસ્ટ એક્સપ્રેસને ટક્કર મારી. આ અકસ્માતમાં લગભગ 296 લોકોના મોત થયા હતા.