જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો

શ્રીનગર જિલ્લાના કરફાલી મોહલ્લાના શહીદગંજ વિસ્તારમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી અને બીજાને ઘાયલ કર્યો. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આજે સાંજે આતંકવાદીઓએ બે લોકો પર ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્તો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

પ્રારંભિક અહેવાલો મુજબ એકની ઓળખ અમૃતસરના અમૃતપાલ સિંહ (મૃતક) તરીકે થઈ છે અને બીજાની ઓળખ રોહિત તરીકે થઈ છે, જે SMHSમાં દાખલ છે. બંને બિન-સ્થાનિક હોવાનું કહેવાય છે. આતંકવાદીઓએ શ્રીનગરમાં એક બિન-સ્થાનિકને ગોળી મારી હતી. તે ડ્રાયફ્રુટ વેચવાનું કામ કરતો હતો.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું, આતંકવાદીઓએ શહીદ ગંજ શ્રીનગરમાં અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહ તરીકે ઓળખાતા બિન-સ્થાનિક વ્યક્તિ પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં ઘાયલ થવાને કારણે મોત થયું હતું. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.