IACC ગુજરાતના અધ્યક્ષ તરીકે તેજિન્દર પાલ સિંઘ ઓબેરોયે કાર્યભાર સંભાળ્યો

અમદાવાદઃ જાણીતા IT ઉદ્યોગસાહસિક તેજિન્દર પાલ સિંહ ઓબેરોયને ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની ગુજરાત શાખાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IACC ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ અગ્રણી સંસ્થા છે.તેજિન્દર પાલ સિંહ ઓબેરોય IT, ટેલિકોમ ક્ષેત્રે 32 વર્ષનો અનુભવ ધરાવતા વ્યવસાયિક છે. જેઓ ઇન્ડસ્ટ્રીયલ સેલ્સ એન્ડ સ્ટ્રેટેજિક વિઝન સાથે વેચાણ, માર્કેટિંગ અને વ્યવસાયના વિકાસ અંગેની કુશળતા ધરાવે છે. હાલમાં તેઓ અગ્રણી IT કંપની સિગ્નેટ ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તેઓ GESIAના તત્કાલિન ચેરમેન અને ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેજિન્દર પાલ સિંહ ઓબેરોયે ગુજરાતમાં IT ઉદ્યોગને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

IACC ગુજરાતના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક અંગે પ્રતિક્રિયા આપતા તેજિન્દર પાલ સિંહ ઓબેરોયે જણાવ્યું, “હું ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાત ચેપ્ટરનું નેતૃત્વ કરવા માટે કટિબદ્ધ છું. મારા સહકાર્યકરોએ મારા પર જે વિશ્વાસ દાખવ્યો છે તેમનો હું નિષ્ઠાપૂર્વક આભાર માનું છું. હું આ એસોસિએશનમાં મારા અગાઉના અધ્યક્ષો દ્વારા કરવામાં આવેલા કામને આગળ વધારવા અને ભારત-યુએસ વચ્ચેના વેપાર અને સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમામ હિતધારકો સાથે મળીને કામ કરવા માટે આતુર છું.”તેજિન્દર પાલ સિંહ ઓબેરોયે દેહરાદૂનમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. પુણે યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગની સ્નાતક ડિગ્રી મેળવી છે. ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પી.જી. ડિપ્લોમા માર્કેટિંગ એન્ડ સેલ્સ કર્યું હતું. તેમણે ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે, સાથે જ સમાજની વિવિધ રીતે મદદ કરી સક્રિયપણે યોગદાન આપે છે.