Breaking News: કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

NEET પરીક્ષાના પેપર લીક મામલે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જૂનમાં પેપર લીક થવાના કારણે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો, જેના કારણે દિલ્હીમાં વિદ્યાર્થીઓ, કાર્યકરો અને વિપક્ષી પક્ષો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET પેપર લીકને લઈ ચાલી રહેલા વ્યાપક વિરોધ અને દબાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે રાજીનામું આપ્યું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતા આ સંવેદનશીલ મુદ્દા પર સરકારની વ્યાપક ટીકા થઈ હતી અને આ રાજીનામાને પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી સ્થાપિત કરવા તરફના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પેપર લીક થયા બાદ શરૂઆતમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને તે પોતાના નિર્ણય પર અડગ રહી હતી. આજે સરકાર અને CJP વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટો પહેલા કેન્દ્રીય શિક્ષણ પ્રધાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, ધર્મેન્દ્ર પ્રધાને પોતાનો રાજીનામું પત્ર જાહેર કર્યો. તેમાં તેમણે લખ્યું,”મારા યુવા સાથીઓ, હું ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા માટે સમર્પિત છું. મેં હંમેશા માન્યું છે કે એક મજબૂત, સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એ એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે.હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, લાગણીઓ અને ન્યાયી અપેક્ષાઓનો ખૂબ આદર કરું છું. ભારતની યુવા પેઢીના સપનાઓને પૂર્ણ કરવા એ આપણા બધાની રાજકીય અને સામાજિક જીવનમાં નૈતિક પ્રતિબદ્ધતા રહી છે. પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની સેવા કરવાની તક મળવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.”

ધર્મેન્દ્ર પ્રધાને NEET પેપર લીક અંગે શું કહ્યું?

તેમણે આગળ લખ્યું,”3 મે, 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં અનિયમિતતાઓ મળી આવી હતી. ભારત સરકારે તાત્કાલિક આ બાબતની નોંધ લીધી, તપાસ CBI ને સોંપી, પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષા તારીખ જાહેર કરી. આવતા વર્ષથી CBT મોડમાં પરીક્ષા લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.”