શોએબ અખ્તર દોઢડાહ્યોઃ કોહલીની નિવૃત્તિની ભવિષ્યવાણી કરી

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે એવું નિવેદન કર્યું છે કે આગામી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ બાદ કોહલી ટ્વેન્ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા વિશે વિચારે એવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સમાપ્ત થયેલી એશિયા કપ સ્પર્ધાની પાંચ મેચમાં કોહલીએ બે વાર નોટઆઉટ રહીને 276 રન કર્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે (122 નોટઆઉટ). આમ, એ તો હવે ફોર્મમાં આવી ગયો છે. એણે તેનું ગુમાવેલું ફોર્મ પાછું મેળવી લીધું છે ત્યારે અખ્તરે એની નિવૃત્તિનું નિવેદન કેમ કર્યું એ સમજાતું નથી.

ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. એમાં કોહલીને સામેલ કરવામાં આવ્યો છે. હવે અખ્તરે એમ કહ્યું છે કે કોહલી ટેસ્ટ અને વન-ડે ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટ્વેન્ટી-20માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. એની જગ્યાએ જો હું હોત તો હું પણ એવું જ કરત.